Opinion Magazine
Number of visits: 9743360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહીં ખુશી કહીં ગમઃ કાશ્મીરમાં G20ના આયોજનમાં કોઇએ જોઇ સફળતા તો કોઇએ ઠેરવ્યું અયોગ્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 May 2023

કાશ્મીરને સ્વર્ગ અમસ્તા જ નથી કહેવાયું, પણ આ પ્રદેશ રાજકારણીઓ માટે એક ‘પિંગપોંગ’ બની ગયો છે. કંઇ ન મળે તો જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આગળ ધરવો, તેમાં કંઇક ‘બ્યુટિફિકેશન’ કરી નાખવું કે પછી ક્યારેક કંઇ તેનાથી પણ વરવું.

ચિરંતના ભટ્ટ

ભારતે G20ની અધ્યક્ષતાનું જે બીડું ઝડપ્યું હતું તે કદાચ સારા ચોઘડીએ થયેલી ઘટના હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ના માર્ચમાં જ્યારે વૈશ્વિક મુદ્દાઓ માટે કોઇ એક મંચ શોધવાની વાત કરી હતી, ત્યારે એ જ આખા મુદ્દાને આગળ ધપાવવાના આશયથી થર્ડ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપે શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં બેઠક કરી. આ બેઠક રંગેચંગે પૂરી પણ થઇ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ આખા આયોજનની બહુ મોટા પાયે નોંધ લીધી. પાકિસ્તાનને આ અંગે વાંધો ઉઠાવ્યો તો ભારતે એવો અભિપ્રાય રાખ્યો કે ભારતની આંતરિક બાબતોમાં પાકિસ્તાનના ચંચૂપાતને કોઇ સ્થાન નથી.

ગોઆમાં જ્યારે શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક થઇ હતી, ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શ્રીનગરમાં આ સમિટના આયોજન કરવા માટે ભારતને જાણે ધમકી જ આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન આ નિર્ણયની ટીકા કરે છે અને અમે આ બેઠક શ્રીનગરમાં થશે ત્યારે એવો જવાબ આપીશું કે લોકો તે યાદ રાખશે. જો કે ત્યાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એવી ચોખવટ કરી હતી કે બિલાવલ ભુટ્ટો ઝરદારી આ પ્રકારનું કંઇ બોલ્યા નહોતા પણ તેમના વિધાનને ફેરવી તોળવવામાં આવ્યું હતું. આપણા વિદેશ મંત્રી  જયશંકરે ભુટ્ટોને આતંકી ઉદ્યોગના પ્રતિનિધિ ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનને G20 સાથે કંઇ જ લેવાદેવા નથી. આ બધા ઉગ્ર માહોલ વચ્ચે ડાલ સરોવરના કાંઠી શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં 22મી મે-એ બેઠક થઇ અને ટુરિઝમ, ડિજીટલાઇઝેશન, સ્કિલ્સ, એમ.એસ.એમ.ઇ. અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ ચર્ચાયા. સિંગાપોર, સાઉથ કોરિયા, નેધરલેન્ડ, ફ્રાંસ જેવા દેશોના પ્રતિનિધિઓએ ભારતની આ પહેલ અને આયોજનના ભારે વખાણ કર્યા.

કાશ્મીરમાં આ આયોજન થવું શા માટે અગત્યનું ગણાય અને તેને લગતા વિવિધ પ્રતિભાવો શું છે તે સમજવું જરૂરી છે. 2019માં ભારતીય જનતા પાર્ટીની સંઘીય સરકારે મુસલમાન બહુમત ધરાવતા જમ્મુ અને કાશ્મીરના બે મુખ્ય રાજ્યોને સંઘ પ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યા હતા – જમ્મુ અને કાશ્મીર તથા લદાખ. લદાખ સીમા પરનો એવો પ્રદેશ છે જે ભારત અને ચીન વચ્ચેની લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સમાનાંતર છે – ભારત અને ચીન બન્ને તેની પર દાવો માંડીને બેઠા છે. કાશ્મીરમા થયેલા G20ના કાર્યક્રમને અમુક રાષ્ટ્રો, મીડિયા વગેરેએ ભારે બિરદાવ્યો. આ કાર્યક્રમના આયોજન પહેલાં આકરી સિક્યોરીટી ડ્રિલ્સ પણ થઇ જેથી કોઇ અરાજકતા કાર્યક્રમ દરમિયાન ન ખડી થાય. 1989ની સાલથી વિરોધ પક્ષો, સામાજિક કાર્યકરો, માનવાધિકાર પર કામ કરનારાએ કેન્દ્રમાં આવેલી ભારતીય સરકારો પર માનવાધિકારના હનનના આક્ષેપો મુક્યા છે પણ કેન્દ્રમાં જેની પણ સરકાર હોય તે પક્ષે આવા કોઇ આક્ષેપો સ્વીકાર્યા નથી.

આ કાર્યક્રમના આયોજન માટે થઇને સલામતીના કડક પગલાં લેવાયાં. સ્થાનિક વિરોધ પક્ષો જ નહીં પણ પૂર્વ કાશ્મીરી મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આટલા મોટા પાયે કરાયેલી સલામતી વ્યવસ્થાની ટીકા કરી એમ કહ્યું કે આ બધામાં સામાન્ય જનજીવન વધારે મુશ્કેલ બન્યું છે અને આ પ્રકારની સલામતી વ્યવસ્થા તો અમેરિકાના ગ્વાન્ટાનામો બેના કારાગારની યાદ અપાવે તેવી છે. જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ આ અંગે કોઇ પણ પ્રતિભાવ નથી આપ્યો. સ્થાનિક લોકોએ અમુક મીડિયામાં આ બધી વ્યવસ્થાઓને કારણે પોતે કેટલા હેરાન થાય છે તેવી વાત કરી છે અને આ પ્રદેશમાં કાયમી શાંતિ હશે તો જ વિકાસ શક્ય છે બાકી આવા કાર્યક્રમોના આયોજનથી કંઇ ફેર નથી પડવાનો તેવું ત્યાંના લોકોએ પોતાની અન્ય મીડિયા સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યું છે.

વ્યવસ્થાને મામલે બધું શ્રેષ્ઠ રીતે જ કરાયું હશે તેમાં કોઇ બે મત નથી પણ શું આ પ્રકારના આયોજનથી ભારત સરકાર કાશ્મીર પર પોતાની પકડ અને કબજાને વધુ સ્પષ્ટ અને મજબૂત કરે છે તેવું ચિત્ર નથી ખડું થતું? શ્રીનગરમાં થઇ રહેલું શહેરી વિકાસનું કામ પણ ત્યાંના લોકોને કઠે છે કારણ કે તેમને માટે એ શહેરના એવા હિસ્સાઓને બદલે છે તે તેમને માફક આવે તેમ નથી. આ ખૂબસૂરત પ્રદેશના લોકો એ હદે સંવેદનશીલ છે કે સરકાર જે નામકરણનાં કામ કરે છે તેનાથી તેમને જાણે પોતે એ સ્થળથી અલગ પડી ગયા હોય તેવો અનુભવ થાય છે. ભારતીય શાસન હેઠળ કાશ્મીરીઓને થોડા ટેરિટોરિયલ અને સાંસ્કૃતિક અધિકારો મળ્યા છે અને કાશ્મીર પાસે પોતાનું ભવિષ્ય નક્કી કરાવનો અધિકાર પણ છે. ભા.જ.પા. સરકારે કાશ્મીરના સ્પેશ્યલ સ્ટેટસનો લાંબો સમય સુધી વિરોધ કર્યો અને બાદમાં 2019માં કાશ્મીર સંબંધિત ફેરફાર કરવામાં આવ્યા. વળી કાશ્મીરમાં ટુરિઝમને વેગ આપવા માટે હાલની સરકારે બહુ કામ કર્યું છે, પણ તેનાથી સ્થાનિકો બહુ ખુશ છે એમ પણ નથી. કાશ્મીરની મુલાકાત લેનારાઓએ તેનો ઇતિહાસ સમજવો પણ જરૂરી છે. આ પ્રદેશનો મુદ્દો હજી પણ ચૂકાદાની રાહમાં છે ત્યારે ત્યાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય બેઠક કરવી કાયદા વિરોધી ગણાય તેવું પણ આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સે કહ્યું છે. કાશ્મીરમાં બધું ‘સબ સલામત’ છે એમ બતાડવાનો આશય પણ આ કાર્યક્રમના આયોજન પાછળ છે તેવા અભિપ્રાય પણ છે.

કાશ્મીરમાં આ પહેલાં એંશીના દાયકામાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી તે પછી આ પહેલું આંતરરાષ્ટ્રીય આયોજન થયું. ત્યારે પણ 1983માં થયેલી મેચમાં લંચ બ્રેકમાં કેટલાક તોફાની ટોળાંએ પિચ ખોદી નાખી હતી તો બીજી મેચ વખતે દર્શકોએ ભારતની હારને વધાવીને પાકિસ્તાન તરફી નારેબાજી કરી હતી. આ બન્ને ઘટનાને કારણે કાશ્મીનો મુદ્દો એ વખતે જરા પ્રકાશમાં આવ્યો હતો. આ વખતે ચીન, સાઉદી અરેબિયા, ઇજીપ્ત અને ટર્કી G20ની આ ઇવેન્ટથી દૂર રહ્યા. પણ ચીને તો અરુણાચલ પ્રદેશમાં પણ G20ની ઇવેન્ટમાં ભાગ નહોતો લીધો. ટર્કીના વડાએ ભારતનું કાશ્મીર પ્રત્યેનું વલણ હંમેશાં વખોડ્યું છે કારણ કે તેમનો એજન્ડા મુસ્લિમ વિશ્વના નેતા તરીકે ઓળખ સ્થાપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રીય સંઘની જનરલ એસેમ્બલીની બેઠકમાં તેમણે એમ કહ્યું હતું કે ભારતે કાશ્મીરમાં નીતિ બદલી તે પછી સમસ્યાઓ ઓછી થવાને બદલે વધારે જટિલ બની છે.

કાશ્મીરમાં કરાયેલા આ આયોજન અંગે અમેરિકન શિક્ષણવિદ્ નોઆમ ચોમસ્કીએ આ અંગે સવાલ ઉઠાવ્યો. તેમના મતે કાશ્મીરમાં આવી બેઠક યોજનારાઓએ પોતાના અંતરાત્માને સવાલ કરવો જરૂરી છે. ભાગલાનો ભોગ બનેલા કાશ્મીરે જે વેઠ્યું છે તે બહુ આકરું છે અને 2019માં આવેલા પરિવર્તનો પછી કદાચ કાશ્મીર એવો પ્રદેશ છે જ્યાં સૌથી વધારે સૈન્ય તૈનાત છે, ત્યાં લોકોને જેલ ભેગા કરાય છે, તે ગાયબ થાય છે, તેમને મૂળભૂત અધિકારો ભોગવવાનો મોકો પણ નથી મળતો ત્યારે કાશ્મીરમાં બધું ‘નોર્મલ’ છે, એવું બતાડવાનો પ્રયાસ સુધ્ધાં કરવો અયોગ્ય છે.

બાય ધી વેઃ

જગન નાથ આઝાદે કાશ્મીર વિશે લખેલી આ પંક્તિ ઘણું બધું કહી જાય છે, ‘તાસીર વો એક તેરી હાવઓં કો મિલી હૈ, જો ખાક કો તિર્યાક કરે ઝહેર કો અકસીર’. કાશ્મીરને સ્વર્ગ અમસ્તા જ નથી કહેવાયું પણ આ પ્રદેશ રાજકારણીઓ માટે એક ‘પિંગપોંગ’ બની ગયો છે. કંઇ ન મળે તો જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આગળ ધરવો, તેમાં કંઇક ‘બ્યુટિફિકેશન’ કરી નાખવું કે પછી ક્યારેક કંઇ તેનાથી પણ વરવું. ત્યાં વસનારાઓ પણ વિચારમાં હશે કે કઇ તરફ જવું, વળી ત્યાં આતંકવાદનો ઓછાયો તો છે જ અને અલગાવવાદીઓ પોતાની શતરંજ રમ્યા કરે છે. 75 વર્ષથી કાશ્મીર નામનું સ્વર્ગ હેરાન થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના ઇરાદા ચોક્કસ સારા હોઇ શકે પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે તેને સ્વીકારનારાઓનો આંકડો મોટો થાય તે જરૂરી છે. જે અમુક સ્તરના હકારાત્મક પરિવર્તનો આવ્યા છે તેનો વિસ્તાર વધે, તેની પહોંચ વધે તેવી જ સમજ પર સત્તાધીશો વધુ ધ્યાન આપે એ જ દુઆ કરવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 મે 2023

Loading

લેભાગુ અને ભાગેડુની ભાગીદારી 

રમેશ ઓઝા|Opinion - Opinion|28 May 2023

રમેશ ઓઝા

ભારતમાં વચલી જ્ઞાતિઓના અનુલોમ-વિલોમ બાબતે આ કૉલમમાં મેં લખેલા લેખ વિષે એક વાચકની પ્રતિક્રિયા આવી કે ખ્રિસ્તી તે વળી આદિવાસી હોતા હશે? તેમની સમજ એવી છે કે ખ્રિસ્તી એટલે ફાડ ફાડ અંગ્રેજી બોલનારા ભદ્ર અને આદિવાસી એટલે આર્થિક-સામાજિક એમ દરેક રીતે પછાત. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે?

આ એક એવો દેશ છે જ્યાં દેશપ્રેમી બનવા માટે દેશને સમજવાની જરૂર કોઈને લાગતી નથી. ભારતનાં નકશાની અંદર જેટલી ભૂમિ બતાવી છે એ દેશ અને તેને હું પ્રેમ કરું છું એટલે દેશપ્રેમી એવી ટૂંકી સમજ લોકો ધરાવે છે. જેમ પત્થરની મૂર્તિ કાંઈ માગતી નથી અને તેની પૂજા કરીને પોતાને ધાર્મિક તરીકે ઓળખાવી શકાય છે એમ જળ-થળ પણ કાંઈ માગતાં નથી અને તેને  પ્રેમ કરીને દેશપ્રેમી તરીકે ઓળખાવી શકાય છે. પણ જેમ ધર્મ મૂર્તિમાં સીમિત હોતો નથી એમ દેશ જળ-થળમાં સીમિત હોતો નથી. ધર્મ ચોક્કસ દર્શન અને મૂલ્યોનો બનેલો હોય છે એમ દેશ એ ભૂમિમાં વસતી પ્રજાનો અને પ્રજાના પીંડનો બનેલો હોય છે.

સમસ્યા અહીં આવે છે. સાચા ધાર્મિક બનવું હોય તો પોતાનાં ધર્મનાં દર્શનને સમજવું પડે, તેનાં મૂલ્યોને સમજવાં પડે, તેને અપનાવવાં પડે, આત્મસાત કરવાં પડે, સહધર્મીઓને તે સમજાવવાં પડે, પોતાનાં સંતાનોને વારસામાં આપવાં પડે અને સૌથી મોટી વાત, દર્શન અને મૂલ્યોની બાબતે આપણો ધર્મ અન્ય ધર્મોથી ક્યાં અલગ પડે છે અને બીજા ધર્મો આપણા ધર્મથી ક્યાં અલગ પડે છે એ સમજવું પડે. દર્શન અને મૂલ્યોની બાબતે બીજી ધાર્મિક કોમ આપણાથી ક્યાં અલગ પડે છે અને આપણે બીજાથી ક્યાં અલગ પડીએ છીએ એ સમજવું પડે. એક વાર, માત્ર એક જ વાર આવો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે.

પણ કહેવાતા ધાર્મિકો આવી ઝાંખીથી ડરી જાય છે. કારણ એ છે કે જીવતો ધર્મ કાંઈક અપનાવવા-છોડવાનો આગ્રહ રાખે. દર્શન અને મૂલ્યોના ત્રાજવે અને સદ્દઅસદ્દના ત્રાજવે સતત તોળાવું પડે છે. નાપાસ થવાનો ડર રહે છે અને પાસ થવા માટે જહેમત કરવી પડે છે. આનાં કરતાં મૂર્તિ અને બાહ્ય ઓળખ આપનારાં કર્મકાંડ સારાં. મૂર્તિ અને માળા આગ્રહી (ડિમાન્ડીંગ) નથી હોતાં. આમાં નાપાસ થવાનો ડર નહીં અને પાસ થવાની પળોજણ નહીં. ધાર્મિક ગણાઈએ, સમૂહનો ભાગ બનીએ, સમૂહની તાકાતમાં આશ્રય મેળવીએ, સમૂહની તાકાતનો દુરુપયોગ કરીએ, બીજાને તુચ્છ ગણીને અને આપણને મહાન ગણાવીને પોરસાઈએ.

જે વાત ધાર્મિકોને લાગુ પડે છે એ વાત દેશપ્રેમીઓને પણ લાગુ પડે છે. ધર્મને મૂર્તિ અને માળામાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો એમ દેશને જળ અને થળમાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો. પણ એ જ દેશ જો પ્રજાનો બનેલો હોય તો ઘણું માગે. જે તે પ્રજાની વિવિધતા હોય, કેટલીક પ્રજા આપણાંથી સાવ જુદી હોય, તેના પ્રશ્નો હોય, તેનાં સપનાં હોય, તેમની ફરિયાદો હોય, અપેક્ષાઓ અને એષણાઓ હોય, ચોક્કસ ભૌગોલિક સ્થિતિમાં વિકસેલા રીતિરિવાજ હોય, જીવનશૈલી હોય. જીવતા માણસના બનેલા જીવતા સમાજના જીવાતા જીવનના પ્રશ્નો હોય.

હમણાં ધર્મની બાબતમાં કહ્યું એમ એક વાર, માત્ર એક જ વાર પ્રજાના બનેલા દેશને સમજવાનો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. દેશની ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે. પણ અગેન ધાર્મિકોની માફક જ દેશપ્રેમીઓ દેશની ઝાંખીથી ડરી જાય છે. બધા કેમ એક સરખા નથી અને બધા કેમ એક સરખી રીતે વિચારતા નથી? જો વૈવિધ્ય પ્રકૃતિદત્ત છે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ કે તેને નકારવું જોઈએ? કોણ કોના પક્ષમાં સ્વીકાર કે અસ્વીકાર કરે? આદિવાસીઓ તો આદિમજાતિઓ છે એમ આપણે કહીએ છીએ અને ખ્રિસ્તી ધર્મ તો બે હજાર વર્ષ જૂનો છે અને એ પણ વિદેશથી આવ્યો છે, તો આપણી ભૂમિના આદિવાસીઓ કેમ ખ્રિસ્તીઓ બન્યા, હિંદુ ધર્મ તેને પોતાની પાંખમાં કેમ ન લઈ શક્યો? પહેલા સવાલના જવાબમાં ધર્માંતરણ કરાવનારા મિશનરીઓ ઉપર ઠીકરું ફોડવા જશો ત્યાં બીજો સવાલ આવી પહોંચશે, હિંદુ ધર્મ કેમ તેમને પોતાની સોડમાં ન રાખી શક્યો કે લઈ શક્યો?

પ્રજાના બનેલા જીવતા દેશને પ્રેમ કરવા જશો તો આવા સેંકડો સતાવનારા સવાલો ઉપસ્થિત થશે અને તમારે તેનાથી ભાગવું છે. જે તે સમાજને સમજવો પડે, તેના પ્રશ્નો અને અરમાનોને સમજવાં પડે, નીરક્ષીર વિવેક કરવો પડે, આપોઆપ સદ્ભાવ અને સંયમ સામે આવીને ઊભા રહે અને પછી માણસ બનવાની લાંબી પળોજણ. દર્શન અને મૂલ્યો આધારિત ધર્મ જેમ ડિમાન્ડીંગ હોય છે એમ પ્રજાનો બનેલો દેશ પણ ડિમાન્ડીગ હોય છે. અંદર રહેલા માણસને જગાડવો એ માણસ માટે સૌથી દુષ્કર કામ છે. ક્ષણે ક્ષણે કસોટી થાય છે અને માટે માણસ અંદર રહેલા માણસને પોઢાડી રાખે છે. માટે જળ અને થળને પ્રેમ કરતાં દેશપ્રેમી બનવું સારું. કોઈ આગ્રહ નહીં, કોઈ કસોટી નહીં કે પાસ-નાપાસની ચિંતા નહીં.

લેભાગુઓને ખબર છે કે સરેરાશ માણસ ભાગેડુ પ્રાણી છે અને માણસ નામના ભાગેડુ પ્રાણીને વાડામાં પૂરીને તેઓ તેનો લાભ લેતા હોય છે. લેભાગુ ધર્મગુરુઓ ધર્મની મહાનતા, કર્મકાંડ, ધાર્મિક અસ્મિતા, મૂર્તિ અને મંદિરોમાં ભાગેડુ ધાર્મિકને આશ્રય આપે છે. લેભાગુ ધર્મગુરુ ધાર્મિકને દર્શન અને મૂલ્યોની નજીક જવા દેતો નથી અને પેલા ભાગેડુને જવું પણ નથી. ધર્મગુરુ ભાગેડુ ધાર્મિકને પોષે છે અને ભાગેડુ ધાર્મિક ધર્મગુરુને પોષે છે. આવું જ દેશપ્રેમનું. ડીટ્ટો. લેભાગુ નેતાઓ દેશપ્રેમીને સ્થૂળ અસ્મિતાઓ અને પ્રતિકોમાં અટવાવી રાખે છે. તેને એક દુ:શ્મન પકડાવી દે છે અને પોતાને તારણહાર તરીકે. લેભાગુ નેતા દેશપ્રેમીને સમાજના બનેલા જીવતા દેશનો પરિચય કરાવતો નથી, કરવા દેતો નથી અને પેલા ભાગેડુ દેશપ્રેમીને કરવો પણ નથી.

મને ખુશી છે કે એક વાચકમિત્રના મનમાં પ્રશ્ન થયો કે આદિવાસી તો પછાત હોય છે અને ખ્રિસ્તી આધુનિક સભ્ય અને ભદ્ર. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે? મારી એ મિત્રને સલાહ છે કે પ્રશ્નની પૂંઠ પકડીને પ્રશ્નનો ઉત્તર શોધે. ભાગવાનો જરા ય પ્રયાસ નહીં કરતા. જો કરશો તો લેભાગુઓના વાડે પૂરાઈ જશો.

શંકા કરો, પ્રશ્ન પૂછો અને ઉત્તર શોધો. અંદર રહેલો માણસ જાગી જશે. ગેરંટી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—198

દીપક મહેતા|Opinion - Opinion|27 May 2023

લશ્કરની બેરેક્સ ગઈ, પણ બેરેક રોડ રહ્યો 

સ્ટ્રેન્ડ : બુક સ્ટોલ, સિનેમા, રોડ

બે દાનવીર મહિલાઓ : રોઝ નેસબિટ અને મોટલીબાઈ વાડિયા    

પંડિત જવાહરલાલ નેહરુ, રાષ્ટ્રપતિ અબુલ કલામ, ડો. મનમોહન સિંહ, વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ, તેજાબી લેખક ખુશવંત સિંહ, — આ અને બીજા મહાનુભાવો જ્યારે મુંબઈ આવે ત્યારે ખાસ સમય કાઢીને એક દુકાનની મુલાકાત જરૂર લેતા. એ દુકાન કઈ? મહાનુભાવો અનેક, પણ જવાબ એક જ છે : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. આપણા સુરેશ દલાલનું, મરાઠીના પંડિત પત્રકાર ડો. અરુણ ટીકેકરનું તો એ જાણે બીજું ઘર. પણ એવું તે શું વેચાતું હતું, એ દુકાનમાં? તો કે ચોપડીઓ. ફક્ત અંગ્રેજી. પણ દેશ કે પરદેશમાં પ્રગટ થયેલું કોઈ પણ પુસ્તક જોઈતું હોય તો ત્યાંથી મળી જાય. હાજર સ્ટોકમાં ન હોય તો મગાવી આપે. એના સ્થાપક-માલિક ટી.એન. શાનબાગ જાતે ‘ભયંકર’ (મરાઠી અર્થમાં) પુસ્તકપ્રેમી. કાયમી મુલાકાતીઓની પસંદગી બરાબર જાણે. તેમને ગમે તેવું કોઈ નવું પુસ્તક આવ્યું હોય તો હોંશથી બતાવે. ખરીદવા માટે જરા ય આગ્રહ નહિ. ઘણી વાર એવું બને કે પુસ્તકની કિંમત ખરીદનારને પોસાય તેમ ન હોય. વાત પામી જઈને શાનબાગ સામેથી કહે : અત્યારે લઈ જાવ. વંચાઈ જાય એટલે પાછું આપી જજો. તમે ગમે તેટલી ચોપડી ખરીદો, દસ ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ ન આપે તે ન જ આપે. હા, એમાં એક વાર અપવાદ કરેલો. સાંજે દુકાન બંધ કરીને શાનબાગ બેઠા બેઠા નવાં પુસ્તકો પર નજર ફેરવતા બેઠા હતા. એવામાં બેલ વાગી. બેલ સાંભળી શાનબાગ ઊભા થયા અને દરવાજો ખોલ્યો. જોયું તો સામે ઊભા હતા પંડિત જવાહરલાલ નેહરુ! કહે : આખો દિવસ બીજા કામોમાં એવો તો અટવાયેલો રહ્યો કે આવી ન શક્યો. પણ અહીં આવ્યા વગર તો જવાય જ કેમ? એટલે આવે કટાણે આવ્યો. તે દિવસે નેહરુએ જે પુસ્તકો ખરીદ્યાં – હા ખરીદ્યાં – તેના પર શાનબાગે સામે ચાલીને વીસ ટકા ડિસકાઉન્ટ આપ્યો!

સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં બેઠેલા તેના સ્થાપક શાનબાગ

૧૯૪૮માં શાનબાગે આ દુકાન શરૂ કરેલી. ના, ત્યારે તો એ દુકાન પણ નહોતી. એ જમાનાના પ્રખ્યાત સ્ટ્રેન્ડ સિનેમામાં એક બાંકડા જેટલી જગ્યા ભાડે લીધી, અને પાટિયું માર્યું : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. થોડા વખતમાં તો પ્રતિષ્ઠા જામી. પણ જગ્યા નાની પડવા લાગી. એટલે ૧૯૫૩માં એ જગ્યા છોડી બજાર ગેટ સ્ટ્રીટમાં મોટી દુકાન લીધી. પણ નામ તો એ જ રાખ્યું સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. પાછલાં વર્ષોમાં મુશ્કેલીઓ આવી, ગ્રાહકો ઓછા થતા ગયા. પણ જીવ્યા ત્યાં સુધી દુકાન ચલાવી. એમના અવસાન પછી દીકરી વિદ્યા વીરકરે નવેક વરસ ચલાવી. પણ છેવટે શાનબાગના અવસાન પછી કુલ ૭૦ વરસનું આયુષ્ય ભોગવી એ દુકાન વિલીન થઈ.

સ્ટ્રેન્ડ સિનેમા

જેના પરથી શાનબાગે પોતાની દુકાનનું નામ પાડ્યું તે ‘સ્ટ્રેન્ડ સિનેમા’ એટલે એક જમાનાનું મુંબઈનું જાજરમાન થિયેટર. ઉત્તમ અંગ્રેજી ફિલ્મો બતાવે. ખૂબસૂરત ઈમારત. હેં? ઈમારત, અને ખૂબસુરત? હા, કેમ? ‘ઈમારત’ શબ્દ પણ નારી જાતિનો જ છે ને! (નારીવાદી મિત્રો માફ કરે.) ૧૯૪૦ના દાયકામાં આ સિનેમા બંધાયું. લગભગ ૫૦ વરસ જીવ્યું. પછી થયું ધરાશાયી. આજે એ જગ્યાએ એક વરવી ઈમારત ઊભી છે. પણ આ થિયેટરનું નામ ‘સ્ટ્રેન્ડ’ કેમ પડ્યું? સાધારણ રીતે કોઈ રસ્તા પર બહુ જાણીતી ઈમારત આવી હોય તો તેના નામ પરથી રસ્તાનું નામ પડે. જેમ કે ચર્ચગેટ સ્ટ્રીટ. પણ અહીં જરા ઊંધી વાત છે. રસ્તાનું નામ સ્ટ્રેન્ડ રોડ. એ રસ્તા પર આવેલા થિયેટરનું નામ પડ્યું સ્ટ્રેન્ડ સિનેમા. કોલાબા વિસ્તારમાં એપોલો પિયરથી હેન્રી રોડ સુધીના રસ્તાનું નામ હતું સ્ટ્રેન્ડ રોડ. પણ કેમ? કારણ અંગ્રેજી ‘સ્ટ્રેન્ડ’ શબ્દનો એક અર્થ થાય છે દરિયા કિનારો. એ વખતની હાર્બરને અડીને આ રસ્તો આવેલો હતો એટલે બન્યો સ્ટ્રેન્ડ રોડ.

સ્ટ્રેન્ડ રોડ, ૧૯૩૫

તળ મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામને પણ દરિયા સાથે સંબંધ. મરીન ડ્રાઈવ, કોલાબા કોઝવે, ફોરશોર રોડ, વગેરે. આ બધામાં મરીન ડ્રાઈવ ઉંમરમાં સૌથી નાનો છે. ત્રણ કિલો મિટર લાંબા આ રસ્તાના બાંધકામની શરૂઆત તેના ચોપાટી છેડેથી ૧૯૧૫માં થઈ હતી. તેના બાંધકામનું શ્રેય પાલનજી મિસ્ત્રીને જાય છે. વખત જતાં આ રસ્તો મુંબઈનું એક મહામૂલું ઘરેણું બની ગયો. ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતા આ રસ્તાની આજની હાલત તો મોતીની તૂટેલી, વેરવિખેર પડેલી માળા જેવી થઈ ગઈ છે – નવા કોસ્ટલ રોડના બાંધકામને કારણે.

મરીન ડ્રાઈવ કરતાં મરીન લાઈન્સ ઘણો વધુ જૂનો વિસ્તાર. અંગ્રેજોના જમાનામાં લશ્કરના બે ભાગ હતા : અંગ્રેજ અને ‘દેશી’. કિલ્લો હતો ત્યાં સુધી તો અંગ્રેજ સૈનિકો માટે ખાસ બેરેક બાંધવામાં આવેલી. તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ ત્યાં જ. પણ ‘દેશી’ સૈનિકો માટે કિલ્લાની બહાર અલગ વ્યવસ્થા. આજના આઝાદ મેદાન પાસે તેમને માટે અલગ ‘કેમ્પ’ હતો. આથી ઘણા લોકો એ મેદાનને ‘કાંપ(કેમ્પ)નું મેદાન’ તરીકે ઓળખતા. પણ પછી કિલ્લો તોડી પાડ્યો ત્યારે મરીન બટાલિયન માટે જ્યાં બેરેકસ બાંધી તે વિસ્તાર મરીન લાઈન્સ તરીકે ઓળખાયો. તેની આસપાસની કેટલીક ગલ્લીઓ બેરેક રોડ, પહેલી, બીજી, ત્રીજી મરીન સ્ટ્રીટ તરીકે ઓળખાતી. એક જમાનામાં ત્રીજી મરીન સ્ટ્રીટને લોકો વાણિયાવાડી તરીકે ઓળખતા કારણ ત્યાં ગુજરાતી વાણિયાઓની ઘણી વસ્તી હતી. પણ વખત જતાં ત્યાં પારસીઓની વસ્તી વધી ગઈ. તો ચોથી મરીન સ્ટ્રીટ ‘ગવળી વાડી’ તરીકે ઓળખાતી કારણ ત્યાં ગોવાળોની ઝાઝી વસ્તી હતી. પણ પછી સત્તાવાળાઓએ ગાય-ભેંસના તબેલા ત્યાંથી હટાવ્યા. આમાંના બીજા બધા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે, પણ મેટ્રો સિનેમાની પાછળના એક રસ્તાનું નામ આજે ય બેરેક રોડ છે.

એક જમાનામાં આવું હતું મરીન ડ્રાઈવ

મરીનડ્રાઈવના દરિયા કિનારાથી હવે જઈએ વરળી. મુંબઈના અસલ સાત ટાપુઓમાંનો એક. પણ હવે તો ક્યાં સાંધો, ક્યાં રેણ એની ખબરે ન પડે. આ નામ કેવી રીતે પડ્યું? ત્રણ શક્યતા ચીંધી છે જાણકારોએ. એક માન્યતા એવી કે એક જમાનામાં આ ટાપુ પર વડનાં પુષ્કળ ઝાડ હતાં તેથી આ નામ પડ્યું. મૂળ નામ હતું વડાળી, એટલે કે વડનું ગામડું. પછી તેમાંથી થઈ ગયું વરળી. તો બીજો મત છે કે વર + આળી થયું વરળી. ‘વર’ એટલે કૃપા, આશીર્વાદ. નજીકમાં આવેલા મહાલક્ષ્મીના મંદિરનાં દેવીના આશીર્વાદ મળેલા એટલે આ નામ. તો વળી બીજા કેટલાક કહે છે કે વાત સાવ સીધી સાદી છે. સાત ટાપુઓમાં જેનું સ્થાન ‘વર’ એટલે કે ઉપર છે તે વરળી. ભાષાના જાણકારો કહે છે કે જો ‘વડ’ સાથે સંબંધ હોય તો નામ વડળી થવું જોઈએ, વરળી નહિ. વડનાં પુષ્કળ ઝાડને લીધી મુંબઈમાં એક બીજું નામ છે જ, વડાળા. મહાલક્ષ્મી માતાના આશીર્વાદવાળી વાત લગભગ કોઈ સ્વીકારતું નથી. ઘણાખરા જાણકારો ત્રીજી શક્યતા સ્વીકારે છે.

થોડા વખત પહેલાં એક નારીવાદી મિત્રે પૂછેલું : તે આ મુંબઈ શહેરમાં રસ્તાઓ સાથે કોઈ  સ્ત્રીઓનાં નામ જોડાયાં છે કે નહિ? નિખાલસ જવાબ આપવો હોય તો કહેવું પડે કે બહુ ઓછી સ્ત્રીઓનાં નામ આ રીતે જોડાયાં છે. એનું એક કારણ એ પણ ખરું કે આપણે જે જમાનાના મુંબઈની વાત કરીએ છીએ તે જમાનામાં બહુ ઓછી સ્ત્રીઓ જાહેર જીવનમાં, રાજકારણમાં, પડતી. છતાં, ક્યારેક સ્ત્રીઓનાં નામ કોઈ ને કોઈ રસ્તા સાથે જોડાતાં ખરાં. આવો એક રસ્તો તે મઝગાંવ રોડથી પરળ રોડ સુધી જતો નેસબિટ રોડ. આર્મેનિયન કુળની આ બાનુનું આખું નામ રોઝ નેસબિટ. પૈસે ટકે ખૂબ સમૃદ્ધ. મઝગાંવ વિસ્તારમાં ઘણી જમીન તેની માલિકીની. જેટલી ધનવાન એટલી જ આસ્થાવાન. એણે જ બંધાવ્યું મઝગાંવ વિસ્તારમાં સેન્ટ એન્સ ચર્ચ, ઈ.સ. ૧૭૮૭માં. જો કે આજે અહીં જે ઈમારત છે તે બંધાયેલી ૧૮૮૧માં. આ ચર્ચનું મકાન મુંબઈની બધી ચર્ચનાં મકાનોમાં સૌથી વધુ સુંદર હોવાનું મનાય છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ દરમ્યાન આ નેસબિટના પતિ કોમોડોર નેસબિટ હતા હાર્બર માસ્ટર ઓફ બોમ્બે, એટલે કે મુંબઈ બંદરના મુખિયા. આ નેસબિટબાઈએ પોતાને ખર્ચે ચર્ચ તો બંધાવ્યું, પણ તેના નિભાવ માટે પણ ઘણી મોટી રકમ મૂકતાં ગયાં. ૧૮૧૯માં તેમનું અવસાન થયું તે પહેલાં પોતાની બધી મિલકત તેમણે આ ચર્ચને દાનમાં આપી. તેમની દફન વિધિ આ ચર્ચના કમ્પાઉન્ડમાં કરવામાં આવેલી. પછીથી અહીં સેન્ટ મેરી હાઈ સ્કૂલ શરૂ કરવામાં આવી.

એવી જ રીતે એક પારસી દાનવીર મહિલાનું નામ પણ એક રસ્તા સાથે જોડાયેલું : મોટલીબાઈ સ્ટ્રીટ. મોટલીબાઈ નવરોજી વાડિયાનો જન્મ ૧૮૧૧માં, બેહસ્તનશીન થયાં ૧૮૯૭ના મે મહિનાની ૨૪મી તારીખે. જહાંગીર નસરવાનજી વાડિયાનાં એકમાત્ર દીકરી. મુંબઈમાં વહાણ બાંધકામના ઉદ્યોગનો પાયો નાખનાર લવજી વાડિયાનાં વંશજ. એ જમાનામાં એવણ પારસીઓમાં સૌથી વધુ પૈસાદાર બાનું ગણાતાં હતાં. માત્ર ૨૬ વરસની ઉંમરે ૧૮૩૭માં વિધવા થયાં. પોતાના કુટુંબની બધી જ મિલકત કુશળતાપૂર્વક સાચવી રાખી, એટલું જ નહિ, તેમાં વધારો કર્યો. મુંબઈના જરથોસ્તિઓને અવલમંજલ પહોંચાડવાના ફંડમાં ૧૮૬૨માં પંદર હજારની રકમ આપી હતી. જ્યારે એક તોલો સોનાનો ભાવ લગભગ ૧૯ રૂપિયા હતો ત્યારના ૧૫ હજાર! ૧૮૭૩માં જહાંગીર નસરવાનજી વાડિયાના નામના દવાખાના માટે દસ હજાર રૂપિયા અને પોતાનું એક મકાન ભેટ આપ્યાં હતાં. સ્ત્રીઓ અને બાળકો માટેની હોસ્પિટલ શરૂ કરવા માટે ૧૮૮૮માં દોઢ લાખ રૂપિયા, મઝગાંવમાં આવેલી પોતાની જમીન તથા તે પરની ઈમારત ભેટ આપ્યાં હતાં. ૧૮૯૨ના માર્ચની ૧૫મી તારીખે ‘મોટલીબાઈ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન થયું હતું. મોટલીબાઈના ઉઠમણાના દિવસે પારસીઓના ચાલ મુજબ જુદી જુદી સંસ્થાઓને કુલ રૂપિયા ૨,૧૪,૧૯૦ દાનમાં આપ્યા હતા

જેમ રસ્તાઓનો અંત નથી તેમ રસ્તા વિશેની વાતોનો પણ અંત નથી. અને છતાં ક્યારેક તો સ્થિર ઊભા રહેવાનું મન થાય. જેમ રસ્તાની ધારે પૂતળાં ઊભાં રહે છે તેમ.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 મે 2023

Loading

...102030...1,1591,1601,1611,162...1,1701,1801,190...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved