Opinion Magazine
Number of visits: 9456366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નો કિંગ-૧: અમેરિકાને રાજા નહિ, આઝાદી જોઈએ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 June 2025

હેમન્તકુમાર શાહ

એક વ્યક્તિએ હમણાં જ લખ્યું છે કે, “અમેરિકામાં અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તે જો અમેરિકા જુએ તો, ખ્યાલ આવે કે અમેરિકાના ત્રાસથી અમેરિકાને આઝાદ કરવા માટે અમેરિકા અમેરિકામાં આક્રમણ કરે.”

છેલ્લાં સવાસો વર્ષમાં અમેરિકન રાજ્યના કે અમેરિકનોના સેંકડો રાજકીય ગુના હશે, અને છે પણ ખરા, તેમ છતાં અમેરિકા દુનિયાભરમાં તેની વાયબ્રન્ટ લોકશાહી અને વ્યક્તિની આઝાદીનાં ઉચ્ચ શિખરો માટે માનવજાતના ઇતિહાસમાં પંકાયેલું છે અને રહેશે. દુનિયાભરમાં માણસની સ્વતંત્રતા અને લોકશાહી માટે અમેરિકાનો જ દાખલો દેવાતો રહ્યો છે. પણ આજે એ લોકશાહી અને વ્યક્તિની આઝાદી ખતરામાં આવી પડ્યાં છે એમ લાખો અમેરિકનોને લાગી રહ્યું છે અને તેથી આજના દિવસે તેઓ તેના રક્ષણ માટે ‘ન રાજા’ (No Kings) આંદોલનના નામે રસ્તા પર આવી રહ્યા છે.   

અમેરિકામાં આજની રેલીઓ માત્ર અમેરિકાના ઇતિહાસમાં જ નહિ પણ માનવજાતના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ઘટના બનીને અનંત કાળ સુધી જીવતી રહેશે. એનું કારણ એ છે કે આજે પોતાની જાતને સીધી કે આડકતરી રીતે રાજા તરીકે સ્થાપવા માગતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ૭૯મો જન્મદિન છે, એટલું જ નહિ પણ, દેશની રાજધાની વોશિંગ્ટનમાં અમેરિકન લશ્કરની સ્થાપનાનાં ૨૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે અને બહુ મોટા ખર્ચે ભવ્ય લશ્કરી પરેડ થઈ રહી છે. આજનો દિવસ ફ્લેગ ડે તરીકે પણ અમેરિકામાં ઉજવાય છે કારણ કે ૧૭૭૭માં આ જ દિવસે તેના આજના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.  

‘નો કિંગ્સ’ આંદોલન અમેરિકામાં ‘૫૦૫૦૧’ આંદોલનના વિષય પર આધારિત છે. ૫૦ રાજ્યો, ૫૦ વિરોધ અને એક આંદોલન; એવા ખ્યાલ સાથે આ અંદોલન શરૂ થયું છે. અમેરિકામાં તમામ ૫૦ રાજ્યોમાં આજે મોટાં શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી નીતિઓના વિરોધમાં રેલીઓ નીકળશે. લોકો એમ માને છે કે ટ્રમ્પ દ્વારા જે નીતિઓ અપનાવવામાં આવી રહી છે તે લોકશાહી રીતે ચૂંટાયેલા નેતાને છાજે તેવી નથી પણ રાજા જેવી છે. અને એટલે જ ‘નો કિંગ્સ’ જેવું નામ આ આંદોલનને આપવામાં આવ્યું છે.

ટ્રમ્પની નીતિઓ સામેનું આ આંદોલન કેમ છે? ડોનાલ્ડ ટ્રમ્પ તાનાશાહી રીતરસમ અપનાવે છે, અબજોપતિઓ તેમને માટે પહેલા ખોળાના બન્યા છે અને ટ્રમ્પ દેશનું લશ્કરીકરણ કરી રહ્યા છે એવા આરોપો સાથે આ વિરોધી દેખાવોના આયોજકો અમેરિકાને ધમરોળી રહ્યા છે. ‘નો કિંગ્સ’ની વેબસાઈટ એમ કહે છે કે “રાષ્ટ્રધ્વજ કંઈ ટ્રમ્પની માલિકીનો નથી, એ તો અમેરિકન નાગરિકોનો છે. ૧૪મી જૂને તેઓ જ્યાં નથી ત્યાં બધે જ અમે ઊભા રહીશું અને કહીશું કે – સિંહાસન નહિ, તાજમુગટ નહિ, રાજા નહિ.”

અમેરિકામાં આશરે ૨,૦૦૦ સ્થળોએ ‘નો કિંગ્સ’ના દેખાવો થવાના છે એમ આંદોલનકારો કહી રહ્યા છે. તેમની વેબસાઈટ પર તેઓ કહે છે કે, “તેમણે અમારી અદાલતોની અવજ્ઞા કરી છે, અમેરિકન લોકોનો દેશનિકાલ કર્યો છે, શેરીઓમાંથી લોકોને તગેડી મૂક્યા છે, અમારા નાગરિક અધિકારો પર તરાપ મારી છે અને અમને રાજ્ય તરફથી મળતી સેવાઓ પર કાપ મૂક્યો છે.” જે લશ્કરી પરેડ થવાની છે તે “ખર્ચાળ, ઉડાઉ અને બિન-અમેરિકન” છે એમ તેઓ કહે છે કારણ કે તેમાં આ વર્ષે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ લશ્કરી વાહનો અને સૈનિકોને જોડવાનું નક્કી કરેલું છે.  

આ દેખાવો અહિંસક રહેશે અને કોઈ પણ જાતની ઉશ્કેરણી થાય તો પણ દેખાવકારો શાંત રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. લાખો લોકો જેમાં ભાગ લેવાના છે તેવા આજના દેખાવોમાં કોઈ શસ્ત્રો લઈ જવામાં નહિ આવે એમ પણ તેમણે કહ્યું છે. અત્યાર સુધીમાં આ દેખાવોમાં ૧૫.૩૩ લાખ લોકોએ પોતાની ભાગીદારી માટે નામ નોંધાવી દીધું છે.

જ્યાં નાગરિક તાનાશાહી, સામ્યવાદી તાનાશાહી, લશ્કરી તાનાશાહી, ધાર્મિક તાનાશાહી કે રાજાશાહી છે તે દેશોની તો વાત જ બાજુ પર મૂકો. પરંતુ ભારત જેવા જે દેશોમાં લોકશાહી છે ત્યાંના નાગરિકોએ આ દેખાવોમાંથી બોધપાઠ લેવો જોઈશે અને લોકશાહી વ્યવસ્થામાં તાનાશાહીનાં જે તત્ત્વો ઘૂસતાં દેખાતાં હોય તેમને રોકવા માટે જહેમત ઉઠાવવી પડશે.             

દુનિયામાં સામ્યવાદી સરમુખત્યારશાહી અને સોવિયેત સંઘનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે છેક ૧૯૭૧માં પ્રકાશિત થયેલું ગેરી એલન નામના લેખકનું એક પુસ્તક મેં વાંચેલું લગભગ ૧૯૭૭માં. એનું નામ છે : ‘None Dare Call it Conspiracy’. ગુજરાતીમાં: ‘કોઈ એને કાવતરું કહેવાની હિંમત નહિ કરે’. એ પુસ્તકમાં ત્યારે લેખકે એમ કહેલું કે તાનાશાહીનો પ્રવાહ કંઈ માત્ર મોસ્કો, બૈજિંગ, બર્લિન, જોહાનિસબર્ગ કે રિયોદજાનેરોમાંથી જ નથી વહેતો પણ એ વોશિંગ્ટન, દિલ્હી, લંડન અને પેરિસથી પણ વહે છે. આની સામે આજે ચેતવાનું છે.

રાજકીય નેતાઓ રાજાની જેમ વર્તવા માંડ્યા છે, લોકોને ગુલામ થવા સમજાવી રહ્યા છે અને તેઓ લોકોને એમ કહે છે કે ગુલામીમાં જ તેમનું સુખ સમાયેલું છે, અને લોકો માની પણ લે છે એ એક મોટું તાજ્જુબ છે. ખરેખર તો માણસ સ્વતંત્ર રહેવા માટે જ જન્મ્યો છે અને તે રાજ્ય કે સરકારોનો ગુલામ થઈ બેઠો છે. વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર કહે છે તેમ “મનુષ્ય પર સ્વતંત્ર થવાનો અભિશાપ છે.” 

ચાલો, સ્વતંત્ર મનુષ્ય તરીકે જીવવા માટે લડીએ એમ અમેરિકાનું ‘નો કિંગ્સ’ આંદોલન કહે છે. જેવી છે તેવી પણ લોકશાહી જ સારી છે. ખરાબ લોકશાહીનો ઉપાય સારી લોકશાહી છે, તાનાશાહી કે રાજાશાહી નહિ; લોકશાહીનું માળખું નામ પૂરતું યથાવત રાખીને ચલાવવામાં આવતી તાનાશાહી કે રાજાશાહી પણ નહિ.  

તા. ૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માલ્યા મામલે કોણ બકરો ? કોની ચડી બલિ?

નેહા શાહ|Opinion - Opinion|14 June 2025

નેહા શાહ

મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતુ ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ સેક્ટરના વેપાર માત્ર એક વ્યક્તિ કે કુટુંબ પૂરતા સીમિત નથી રહ્યા, એમાં સામાન્ય લોકોના પૈસાનું રોકાણ હોય છે. નાણાંકીય સંસ્થા જે ધિરાણ આપે છે તે પૈસા પણ સામાન્ય માણસોએ બેંક મુકેલી થાપણમાંથી આવે છે. એટલે જ્યારે ગેરવહીવટના પરિણામે કોઈ કંપની ખોટ કરે ત્યારે એના ભેગા લાખો લોકોની મૂડી ધોવાઈ જાય છે. સાથે કંપનીમાં કામ કરતાં કર્મચારી તેમ જ કંપનીને પુરવઠો પૂરો પાડતા અનેક નાના વેપારીઓને પણ ઊંડી અસર થાય છે. આ ઉપરાંત, જ્યારે કરોડોનાં ધિરાણની ચુકવણી ન થાય ત્યારે બેંક માટે નવું ધિરાણ કરવું કપરું બને છે, જેની સૌથી માઠી અસર નાણાં ઉદ્યોગ – વેપારી પર પડે છે. આમ, કોર્પોરેટ વેપારના નફા-નુકસાનની ઘણી વ્યાપક અસર થતી હોય છે. 

મોટા વેપારની પડતીના ઘણા કિસ્સામાં વ્યક્તિગત લોભ કારણ હોવાનું જણાયું છે. આવો જ એક કિસ્સો કિંગફિશર એરલાઈન્સ છે જેને ભારતના નાગરિકો કઈ રીતે ભૂલે? માર્ચ ૨૦૧૬માં ૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું પાછળ મૂકી વિજય માલ્યા દેશ છોડીને ગયા પછી પાછા આવ્યા જ નહિ, તે હાલમાં – જૂન ૨૦૨૫માં નવ વર્ષની ચુપ્પી પછી ફરી સપાટી પર આવ્યા છે. રાજ સમાની નામના યુવાન પોડકાસ્ટર સાથેના ચાર કલાક લાંબા પોડકાસ્ટ દ્વારા માલ્યા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આખો પોડકાસ્ટ સાંભળો તો એવું જ લાગે કે જાણે માલ્યા ભારતના વહીવટનો ભોગ બન્યા છે. પાછલા દાયકામાં વિશ્વસનીયતા માટે વગોવાયેલા મીડિયા તેમ જ ઈ.ડી. અને સી.બી.આઈ. સામેની ટીકાનો પણ માલ્યા પોતાના બચાવમાં બખૂબી ઉપયોગ કરી લે છે. તાત્કાલીન નાણાં મંત્રી પ્રણવ મુકરજીએ આપેલી એરલાઈન્સના વેપારનો વ્યાપ નહિ ઘટાડવાની સલાહને માનવાનો અફસોસ વ્યક્ત કરે છે જેની સ્પષ્ટતા આજે કોઈ કરી શકે એમ નથી. 

માલ્યાના પોડકાસ્ટમાંથી કરોડપતિઓ અને કોર્પોરેટ ગવર્નન્સ અંગેના તેમના વલણનો ચિતાર ઊભો થાય છે. માલ્યા કહે છે એમ ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી એમને નડી ગઈ એ વાત સાચી છે. આ સમય દરમ્યાન પેટ્રોલની કિંમત એક બેરલના ૧૪૦ ડોલર સુધી પહોંચી હતી જેનાથી વિમાન ઉડાડવાનો ખર્ચ ખૂબ વધી ગયો. તે સમયે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વિદેશી રોકાણ માટે ખુલ્યું ન હતું એટલે ઇતીદાહ જેવી એરલાઈન્સની તૈયારી હોવા છતાં કિંગફિશરમાં રોકાણ કરવાની મંજૂરી મળી નહિ. લોન, એની ઉપર ચડતું વ્યાજ અને પેનલ્ટી એ સાથે નહિ ચુક્વલી ટેક્સની રકમ બધું ગણો તો રકમ ૯,૦૦૦ કરોડથી પણ વધી ગઈ હતી. બેન્કોએ વ્યાજ ઘટાડ્યું, મુદ્દત વધારી તેમ છતાં વધતા દેવાને પહોંચી વળવું અઘરું હતું. માલ્યા તરફથી સેટલમેન્ટની જે દરખાસ્ત આવી હતી એ ૪,૦૦૦ કરોડ રૂપિયાની હતી – કુલ  લેણાની અડધી રકમ પણ નહિ! બેન્કે આ દરખાસ્ત સ્વીકારી નહીં. આ ૨૦૧૫-૧૬ના અરસાની વાત છે જ્યારે મોટા મોટા હેરકટ સાથે લોનનું સેટલમેન્ટ કરવાની પ્રથા શરૂ થઇ ન હતી. આ નીતિ-વિષયક માહોલ કિંગફીશરની  વિરુદ્ધ ગયો એ વાત સાચી. 

ધંધામાં ખોટ જવી એ ગુનો નથી. સંજોગો બદલાય તો ગણતરી અવળી પડી શકે છે. પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે કંપનીનાં નાણાંનો ઉપયોગ કંપનીના કર્તા-હર્તા પોતાના વ્યક્તિગત હિતને સર્વોપરી ગણી કરે છે. કિંગફીશરની કટોકટી દરમ્યાન વિજય માલ્યાના જીવન ધોરણમાં તો કોઈ ખાસ ફર્ક દેખાયો નહિ. આ સમય દરમ્યાન અતિશય ઝાકમઝોળ સાથે વિજય માલ્યાએ પોતાની સાઠમી વર્ષગાંઠ ઉજવી. ફોર્મ્યુલા-૧ અને આઈ.પી.એલ. ટીમ ખરીદવા જેવા ખર્ચ થયા. કંપની જ્યારે દેવામાં હોય, જ્યારે કર્મચારીઓના પગાર ચુકવવા પૈસા ન હોય, જ્યારે સાથે સંકળાયેલા નાના વેપારીની ચુકવણી અટકી હોય, જ્યારે ટેક્સના પૈસા ઉઘરાવ્યા છતાં ચુકવાયા ના હોય, ત્યારે કંપનીનો માલિક પોતાની ‘વ્યક્તિગત મિલકત’માંથી પણ ઐયાશ કહી શકાય એવા ખર્ચ કરે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય ગણાય? આ બધા ઉપરાંત માલ્યા સામે નાણાંનો દુરુપયોગના જે આરોપ છે એ તો ઊભા રહે જ છે. ઈ.ડી.એ કરેલી ચાર્જશીટ પ્રમાણે કિંગફિશર એરલાઈન્સને મળેલ લોનમાંથી ઓછામાં ઓછા રૂ. ૩,૫૪૭ કરોડ રૂપિયાનો ઉપયોગ ખાનગી જેટ વિમાન ખરીદવામાં (જેનો ઉપયોગ માત્ર વિજય માલ્યા કરતા હતા) તેમ જ ફોર્મ્યુલા વન અને આઈ.પી.એલ. ટીમની ખરીદી માટે વપરાયા છે. આ સાથે વિમાન માટે ઊંચા ભાડાના બિલ બનાવવા જેવા ગોટાળાના પણ આરોપ છે. આ ઉપરાંત પણ કેગ, આવક વેરા વિભાગ તેમ જ બેન્કના અહેવાલો પણ બતાવે છે કે યુ.બી. ગ્રુપના આંતરિક નાણાંકીય વહીવટોમાં ‘વ્યક્તિગત નાણાં’ અને કંપનીનાં નાણાં વચ્ચે ભેદ ધૂંધળો જ હતો. 

સરકારે ટાંચમાં લીધેલી માલ્યાની સંપત્તિમાંથી લહેણાણી વસૂલી થઇ ચુકી છે. આજે બદલાયેલી પરિસ્થિતિમાં માલ્યા ખૂલીને કહે છે કે તેમને બલિનો બકરો બનાવાયો છે. એમના ટેકામાં દેશના અન્ય ઉદ્યોગપતિઓ પણ ખૂલીને બોલી રહ્યા છે. ત્યારે કોર્પોરેટ સેક્ટરના કામ કરવાનાં માહોલની, સરકારી નીતિની તેમ જ ‘વ્યક્તિગત’ અને ‘કંપની’ વચ્ચેના તફાવત કરતા ગવર્નન્સ અંગે ચર્ચા ફરી એકવાર જરૂરી બને છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 June 2025

રવીન્દ્ર પારેખ

12 જૂન, 2025ની તારીખ ગુજરાત માટે ગોઝારી પુરવાર થઈ છે. બપોરે 1.38 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા ઉપડેલું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર, ટેક ઓફની ત્રીજી મિનિટે, 1.40 કલાકે, મેઘાણી નગર આઇ.જી.બી. કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયું. આ પ્લેનમાં 10 ક્રૂ મેમ્બર્સ સહિત 242 પેસેન્જરો હતા. એમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન મુસાફરો હતા અને કાર્ગો પણ હતું. આ પ્લેનના કેપ્ટન સુમિત સાંભરવાલ હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુન્દર હતા. અમદાવાદ એરપોર્ટના રન વે 23 પરથી 1.39 કલાકે ફ્લાઇટના પાઈલટે એ.ટી.સી.(એર ટ્રાફિક કંટ્રોલ)ને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) કર્યો હતો ને પ્લેન થોડી સેકંડોમાં જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. 58,000 લિટર એર ટર્બાઇન ફ્યુઅલ ભરેલું પ્લેન આગનો પ્રચંડ ગોળો થઈને રહેણાંક વિસ્તારમાં પડે તો કોલસો થવામાં શું બાકી રહે તે કહેવાની જરૂર નથી. ધુમાડાનો મોટો પહાડ ખડો થઈ ગયો ને તેણે લગભગ 300 જીવોનો ભડકો કરી દીધો છે.

એરપોર્ટ અને એરલાઇન્સનો સ્ટાફ બ્લેક બોકસ શોધી રહ્યો છે, જેથી આ ભયંકર દુર્ઘટનાનું કારણ જાણી શકાય. એમ લાગે છે કે ટેક ઓફની ત્રીજી મિનિટે પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં દુર્ઘટના ઘટી છે. એમ પણ કહેવાય છે કે ટેકનિકલ ખામી સર્જાતાં પ્લેન ક્રેશ થયું, તો ટેક ઓફ પછી, પ્લેનનાં ટાયર્સ ઇન્સર્ટ (પૈંડા અંદર ન ખેંચાતાં) ન થતાં આ દુર્ઘટના સર્જાઈ છે. ટાયર અંદર ન ખેંચાતાં, મેસ ચાલતું હતું એ બિલ્ડિંગ સાથે અથડાયાં. આ એટલે કહી શકાય કે પ્લેન અથડાયા પછી ટાયર્સ બિલ્ડિંગમાં ફસાયેલાં જોઈ શકાય છે. વ્હીલ પ્લેનની અંદર ખેંચાયું હોત, તો તે બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળ્યું ન હોત ! આ અથડામણ એટલી ભયંકર હતી કે પ્લેનની પાછલી ટેઇલના બે ટુકડા થઈ ગયા. એ સ્થિતિમાં પ્લેન અતુલ્ય નામક ઇન્ટર્ન ડૉક્ટર્સની (ચાર) બિલ્ડિંગોને અથડાયું. રાહતની વાત એ પણ છે કે બાજુમાં જ બીજી 5 માળની બિલ્ડિંગ હતી, ત્યાં ન ટકરાયું. ટકરાયું હોત તો એ PG હોસ્ટેલનાં ઘણા વિદ્યાર્થીઓનો ધુમાડો થઈ ગયો હોત. કમનસીબી એ છે કે પ્લેન 625 ફૂટની ઊંચાઈએ જ હતું ને 400 ફૂટ/મિનિટની ગતિએ તે નીચે આવ્યું. વધુ ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને કોઈ નિર્ણય લેવાનો સમય મળ્યો હોત, પણ આ તો ઊડયું તેવું જ પડ્યું, એટલે કોઈ પગલું ભરવાનો સમય જ ન રહ્યો. પ્લેન ઉપડ્યું જ હતું ને દુર્ઘટનાગ્રસ્ત થયું. તેમાં મોટા જથ્થામાં ફયુઅલ હતું, એટલે આગ લાગે તો તે કેવું વિકરાળરૂપ ધારણ કરી શકે તે કલ્પી શકાય એવું છે. દુર્ઘટનાને લીધે આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા. આખા અમદાવાદની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ને આર્મીએ મોરચો સંભાળ્યો.

દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સૌરાષ્ટ્રના અન્ય નેતાઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. રૂપાણીના નિકટના સાથી નીતિન ભરદ્વાજના કહેવા મુજબ વિજય રૂપાણી આજે તેમની દીકરીને મળવા લંડન આવવાના હતા ને તેઓ એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. કમનસીબે રૂપાણી, તેમની દીકરીને મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થતાં અણધાર્યા મૃત્યુનો ભોગ બન્યા છે. ગુજરાતે ભા.જ.પ.ના પૂર્વ મુખ્ય મંત્રી તો ગુમાવ્યા જ છે, પણ ભા.જ.પ.ના સબળ નેતા ને સફળ કાર્યકર પણ ગુમાવ્યા છે. ભા.જ.પ.ના રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની X પર અપાયેલી જાણકારી મુજબ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયાની વાત આવી, પણ પછી કશીક શંકાથી એ પોસ્ટ ડિલિટ કરી દેવાઈ. જો કે, વિજય રૂપાણીનુ  નિધન થયું હોવાની વાતને મીડિયાએ સમર્થન આપ્યું ને કમનસીબે એ આઘાતજનક વાત સાચી ઠરી.

પ્લેન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ હતી. હોસ્ટેલમાં સાંઠેક ઇન્ટર્ન ડોક્ટર્સ હોવાનો અંદાજ છે ને એ તમામ ડૉક્ટર્સનાં મોત થયાનું કહેવાય છે. પ્લેન અહીં જ પડતાં ડોક્ટર્સ સહિત પેસેન્જર્સ પણ મૃત્યુ પામ્યા છે. એર ઇંડિયાના એ પ્લેનમાં સુરતની સ્મિત હોસ્પિટલના ડૉક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતા શાહ પણ મુસાફરી કરી રહ્યા હતા. બે સિવાય બધાં જ મૃત્યુ પામ્યાં છે, ત્યારે તેમનાં મૃત્યુ પણ સુરતને આઘાત આપનારાં છે. દિલ્હીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા નીકળી ગયાના સમાચાર છે. શાહ તો અમદાવાદ પહોંચી પણ ગયા છે. વડોદરાથી એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમો રવાના થઈ છે, તો AMCની પણ તમામ ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે.

પ્લેન ક્રેશ થતાં સ્વજનોની ભાળ કાઢવા સ્વજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચિંતા ભરી પૂછપરછ કરવા ભાગદોડ કરી રહ્યા છે. અસારવા સિવિલમાં મૃતદેહો ખડકાઈ રહ્યા છે ને પોસ્ટમૉર્ટમ રૂમની બહાર બળેલા મૃતદેહોની ગંધ વધી રહી છે. કોલસો થઈ ગયેલા મૃતદેહો અને સ્વજનોનું હૈયાફાટ રુદન કાળજું કંપાવે એવાં છે. એકાએક અમદાવાદ અનાથ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. મૃતદેહોને હવે જૂના ટ્રોમા ખાતે લઈ જવાઈ રહ્યા છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા છે. ભારતના અને બ્રિટનના પી.એમ.એ X પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડોદરાથી 137 યુનિટ બ્લડ કોલ્ડ બોક્સમાં એમ્બ્યુલન્સ મારફત મોકલી દેવાયું છે. સિવિલના કસોટી ભવનમાં DNA ટેસ્ટ માટે સ્વજનોની લાઇન લાગી છે. મહાનુભાવો મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે, અંજલિઓ આપી રહ્યા છે. એરપોર્ટની બધી ફ્લાઇટો બપોરે બંધ કરી દેવામાં આવેલી, તે સાંજે ફરી શરૂ કરી દેવાઈ છે. બધાં બધું જ કરે છે, પણ જાણે કશાનો કોઈ અર્થ ન હોય એવું લાગે છે. અમદાવાદ જ નહીં, ગુજરાત આખું રૂંવે રૂંવે તૂટી, તરડાઈ ગયું હોય તેમ ઉદાસ થઈ ગયું છે.

અમદાવાદમાં તો ખરી જ, ગુજરાતમાં ય ખરી, કદાચ દેશમાં પણ ટેક ઓફની સાથે જ આટલા યાત્રીઓ સાથે પ્લેન ક્રેશ થઈ જાય એ જગતની કદાચ પહેલી ઘટના છે. જો કે, 19 ઓકટોબર, 1988ને રોજ અમદાવાદમાં જ બે કિલોમીટર દૂર ઇંડિયન એર લાઇન્સની ફ્લાઇટ આઇસી-113 ક્રેશ થઈ હતી ને ત્યારે 135માંથી 133 મુસાફરોનાં મોત થયાં હતાં. ત્યારે બેનો બચાવ થયો હતો. આ વખતે 242માંથી 241નાં મૃત્યુ થયાં છે ને એક જ વ્યક્તિ બચી છે. પ્લેન હજી તો ઊડ્યું જ હોય, તેણે અમદાવાદ છોડ્યું પણ ન હોય ને અમદાવાદમાં જ તૂટી પડે એ અત્યંત દુ:ખદ કરુણાંતિકા છે. કેટલાં ય કુટુંબો ખંડિત થયાં હશે, કેટલા ય સંબંધો બંધન મુક્ત થયા હશે, કોઈ રાહ જોતું હશે ને કોઈનું રાહ જોનારું જ નહીં રહ્યું હોય. કોઈ દિયરનાં લગ્નમાં આવ્યું હતું, તો કોઈ દીકરાને મળવા જઈ રહ્યું હતું. કોઈ મહારાષ્ટ્રનુ હતું, તો કોઈ રાજસ્થાનનું ! એ બધાંનો ધુમાડો થઈ ગયો છે ને એણે એટલાં આંસુ જન્માવ્યાં છે કે આયખું ખૂટે, પણ આંસુ ન ખૂટે. એટલું છે કે આ દુર્ઘટનાએ સંભવિત આનંદોલ્લાસને કદી ન ખૂટે એવા આંસુઓમાં ફેરવી દીધો છે.

ન્યૂઝ એજન્સી ANIએ પોલીસ કમિશનર દ્વારા એ માહિતી આપી છે કે એક બ્રિટિશ નાગરિક જ આ દુર્ઘટનામાં બચવા પામ્યો છે. બચી ગયેલ રમેશ વિશ્વાસ ભાલિયા કહે છે કે ટેક ઓફની 30 જ સેકંડમાં ભયંકર અવાજ સાથે પ્લેન ક્રેશ થઈ ગયું. ભાન આવ્યું ત્યારે આજુબાજુમાં લાશો જ લાશો હતી. પ્લેનના ટુકડા ચારે તરફ વેરાયેલા પડ્યા હતા. એ સિવાય 241 લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. એ તો જે મુસાફરો હતા તેમની વાત થઈ, પણ જે વિસ્તારમાં આ પ્લેન પડ્યું, તે રહેણાંક વિસ્તાર હતો ને એના રહેવાસીઓ પણ આગમાં હોમાયા છે. એવા લગભગ 75 માણસો મર્યાનો અંદાજ છે. આટલાં મૃત્યુનો આઘાત નિષ્ઠુર માણસને પણ હચમચાવી નાખે, તો જેનું કોઈ ગયું છે તેની આંખો ખાલી કેમ રહે? અમદાવાદ જ નહીં, આખું ગુજરાત આ આઘાતની બહાર ઈચ્છે તો પણ રહી શકે એમ નથી. એની કળ વળતાં વર્ષો લાગશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જૂન 2025

Loading

...102030...115116117118...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved