Opinion Magazine
Number of visits: 9743484
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકાનો પ્રોમેથિયસ: હીરો કે વિલેન?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 May 2023

2002માં મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘ઇન્સોમેનિયા,’ 2005થી 12 વચ્ચે સુપરહીરો બેટમેન ટ્રીઓલોજી ‘ધ ડાર્ક નાઈટ,’ 2010માં સાયન્સ ફિક્શન ‘ઇન્સેપ્શન,’ 2014માં સાયન્સ-ફિક્શન ‘ઇન્ટરસ્ટેલર,’ 2017માં યુદ્ધ ફિલ્મ ‘ડનકિર્ક’ અને 2020માં સાયન્સ એક્શન થ્રિલર ‘ટેનેટ’ જેવી એક એકથી ચઢિયાતી ફિલ્મો આપનારા ફિલ્મ નિર્દેશક ક્રિસ્ટોફર નોલન નવી કઈ ફિલ્મ લઈને આવશે, તેનો દુનિયા ભરના ફિલ્મ દર્શકોને ઇન્તજાર હતો. એ પૂરો થયો છે. 21મી જુલાઈના રોજ તેમની 12મી અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ઓપનહેઈમર’ આવી રહી છે.

આ ફિલ્મ કેમ મહત્ત્વાકાંક્ષી છે? કારણ કે એમાં માનવ જાતના એક એવા ઇતિહાસની વાત છે જેનાં, સારાં કે ખોટાં, ફળ આજે પણ આપણે ભોગવી રહ્યાં છીએ અને જ્યાં સુધી પૃથ્વી પર જીવન છે ત્યાં સુધી તે ભોગવતા રહીશું. તમને ઓપનહેઈમરનું નામ ખબર ન હોય તે શક્ય છે, પણ તમને એટમ બોમ્બની તો ખબર હશે જ. કોને ન હોય? ભારત સહિત વિશ્વના 9 દેશો પાસે માનવ જાતને ભસ્મ કરી નાખવાની તાકાતવાળા એટમ બોમ્બ છે. બીજા અન્ય દેશો પણ તેને બનાવાની મથામણ કરી રહ્યા છે.

આ બોમ્બ પેદા કરવાનું ‘પાપ’ ઓપનહેઈમર નામના વિજ્ઞાનીના નામે દર્જ છે. તેમનું આખું નામ જે. રોબર્ટ ઓપનહેઈમર છે. બીજા વિશ્વયુદ્ધના સમયે, અમેરિકાએ ઇતિહાસનો પહેલો એટમ બોમ્બ બનાવવા માટે જે કાર્યક્રમ ઘડ્યો હતો, જેને મેનહટન પ્રોજેક્ટ કહેવાય છે, તેની આગેવાની આ ઓપનહેઈમરે લીધી હતી.

એટમ બોમ્બને તમે કયા દૃષ્ટિકોણથી જુવો છો તે પ્રમાણે તમે ઓપનહેઈમરને આધુનિક ઇતિહાસના મહાનાયક અથવા ખલનાયક તરીકે જોઈ શકો, પણ એક વાત નિશ્ચિત છે કે માનવ ઇતિહાસની કહાની ઓપનહેઈમરની કહાની વગર અધૂરી છે. ક્રિસ્ટોફર નોલને, હોલિવૂડના પડદા પર તેની આ રોમાંચક અને વિવાદાસ્પદ કહાની કહેવાનું બીડું ઝડપ્યું છે.

ઓપનહેઈમરને કેમ મહાનાયક અથવા ખલનાયક નક્કી કરવાનું મુશ્કેલ છે? આ પ્રશ્ન સમજવા માટે, ગ્રીક પુરાણકથાઓના એક નાયક પ્રોમેથિયસની વાર્તા જાણવી જોઈએ.

ગ્રીક પુરાણમાં, પ્રોમેથિયસ નામનો એક યુવાન દેવ સ્વર્ગમાંથી આગને ચોરીને પૃથ્વી પર લાવ્યો હતો અને મનુષ્યોને તેની ભેટ આપી હતી. સ્વર્ગના દેવોને એવો ડર લાગ્યો કે મનુષ્યો આગમાંથી જ્વાળા બનાવશે, જ્વાળામાંથી બત્તીઓ બનાવશે, બત્તીઓમાંથી તેમને સૂર્યની ઉર્જા એકઠી કરવાની પ્રેરણા મળશે અને સૂર્યની ઉર્જાથી તેઓ એટલા પ્રગતિશીલ બની જશે કે ગ્રીક દેવતાઓને ઉથલાવીને ખુદ દેવ બની જશે. પરિણામે, ઝીયસ નામનો દેવ ગુસ્સે થયો અને પ્રોમેથિયસને તેના આ અપરાધ બદલ એક પર્વત પર સાંકળોથી બાંધી દેવાની સજા ફરમાવી, જ્યાં તેને ગીધો આજીવન ચાંચ મારતાં રહ્યાં.

કંઇક આવું જ ઓપનહેઈમરના કિસ્સામાં બન્યું હતું. એક તરફ તેણે પાર્ટિકલ ફીઝિક્સના વિજ્ઞાનનો આધાર લઈને, યુરેનિયમમાંથી એક એવી ઊર્જા છૂટી પાડવાની ટેકનિક વિકસાવી હતી, જેણે મનુષ્યને અમર્યાદિત તાકાત પ્રદાન કરી હતી, અને બીજી તરફ, એ તાકાતે એવી સંભવાનાને જન્મ આપ્યો હતો કે ઘડીના છઠ્ઠા ભાગમાં માનવ જાત તબાહ થઇ જાય.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 1938માં, જર્મન રસાયણશાસ્ત્રી ઓટ્ટો હાન અને ફ્રિત્ઝ સ્ટ્રાસમેને સૈદ્ધાંતિક રીતે (કાગળ પર) પુરવાર કર્યું હતું કે અણુને તોડીને તેમાંથી મોટી માત્રામાં ઊર્જા છૂટી પાડી શકાય છે. તેનાં પગલે, અમેરિકા, ગ્રેટ બ્રિટન અને કેનેડામાં આવીને વસેલા નાઝી જર્મની અને અન્ય ફાસિસ્ટ રાષ્ટ્રોના રેફ્યુઝી વૈજ્ઞાનિકોને એવો ડર લાગ્યો હતો કે હિટલરનું જર્મની જો એટમ બોમ્બ બનાવશે તો, યુદ્ધ જીતવાનું તો અસંભવ બની જ જશે, પણ હિટલર પશ્ચિમનાં રાષ્ટ્રોને તબાહ કરી નાખશે.

આ વૈજ્ઞાનિકોએ અમેરિકન સરકારને તેમની ચિંતા પહોંચાડી હતી. વિશેષ તો, ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને (જે યહૂદી હોવાના કારણે નાઝીઓના ત્રાસથી અમેરિકા નાસી આવ્યા હતા) 1939માં, રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટને એક પત્ર લખીને ચેતવણી ઉચ્ચારી હતી કે નાઝીઓ એક એવો બોમ્બ બનાવી રહ્યા છે જે સામૂહિક નરસંહાર નોતરશે. પાછળથી જો કે આઇન્સ્ટાઇને આ પત્ર લખવા બદલ અફસોસ થયો હતો.

જે રોબર્ટ ઓપનહેઈમર

વૈજ્ઞાનિકોની ચિંતાથી પ્રેરાઈને, રૂઝવેલ્ટના વહીવટીતંત્રએ, યુ.એસ. કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના મેજર જનરલ લેસ્લી ગ્રોવ્સની આગેવાનીમાં મેનહટન પ્રોજેક્ટ (કાર્યક્રમ મેનહટ શહેરની એક લેબોરેટરીમાં હાથ ધરવામાં આવ્યો હતો) માટે પરવાનગી આપી હતી. આ પ્રોજેક્ટના વડા તરીકે ન્યુક્લિયર ફીઝિસિસ્ટ રોબર્ટ ઓપનહેઈમરની નિમણૂક કરવામાં આવી હતી. 1942થી 1946 સુધીમાં અહીં ઇતિહાસનો પહેલો એટમિક બોમ્બ બનાવામાં આવ્યો હતો.

ઓપનહેઈમર, 1904માં, ન્યૂયોર્કના યહૂદી પરિવારમાં પેદા થયો હતો. તે રસાયણમાં હાર્વર્ડ કોલજમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. કોલજના વખતથી જ તેને કોલાઇટિસની બીમારી હતી. કોલેજના નિયમ મુજબ, રસાયણશાસ્ત્રની સાથે તે સાહિત્ય, ઇતિહાસ, ફિલોસોફી અને ગણિત પણ ભણ્યો હતો. 1924માં તે ભૌતિકશાસ્ત્રનું ભણવા માટે કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ ગયો હતો. 1926માં તે જર્મનીની ગોટિન્જન યુનિવર્સિટીમાં જોડાયો હતો. અહીં તે પાર્ટિકલ ફીઝિક્સમાં માસ્ટર બન્યો હતો. અમેરિકા પાછા આવીને તેણે ઘણાં વર્ષો સુધી કોલેજોમાં ભણાવાનું કામ કર્યું હતું.

ઓપનહેઈમર ઊંચો, પાતળો અને ચેઈન-સ્મોકર હતો. તે ભણતી વખતે, પ્રયોગ કરતી વખતે લાંબા સમય સુધી ખાવાની ઉપેક્ષા કરતો હતો. કેમ્બ્રિજના તેના પરિચિતો અનુસાર, તેનામાં આત્મનાશી (સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ) વૃત્તિ હતી. તેનામાં ઊંડું ડિપ્રેશન હતું. તેના ભાઈને એકવાર તેણે કહ્યું હતું, “મને મિત્રો કરતાં ફીઝિક્સની જરૂરિયાત છે.

ઓપનહેઈમરને વિજ્ઞાન ઉપરાંત આધ્યામિકતામાં રસ પડ્યો હતો. વિશેષ તો તે સંસ્કૃત ભાષા શીખ્યો હતો (એ તેની આઠમી ભાષા હતી). તેના કારણે જ તેને સંસ્કૃતમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદો વાંચવાનું મન થયું હતું. પાછળથી તેણે કહ્યું હતું તેનું જીવનદર્શન ગીતા વાંચીને કેળવાયું છે.

1940માં, નાઝીઓના હાથે ફ્રાન્સનું પતન થયું પછી મિત્ર-રાષ્ટ્રોમાં ચિંતા પેઠી હતી. ઓપનહેઈમરને પણ એવું લાગેલું કે ફાસિવાદને જો રોકવામાં નહીં આવે તો પશ્ચિમી સભ્યતા ખતમ થઇ જશે. એટલે, અમેરિકાએ યુદ્ધના ધોરણે એટમ બોમ્બ બનાવાનું નક્કી કર્યું ત્યારે, ઓપનહેઈમરે એમાં જોડાવા માટે હામ ભરી હતી. 1945ના જુલાઈમાં, ન્યૂ મેક્સિકોના રણમાં પહેલો બોમ્બ ફોડવામાં આવ્યો. બીજા મહિને, હિરોશીમા અને નાગાસાકી પર બે બોમ્બનો અસલી પ્રયોગ કરવામાં આવ્યો. જાપાન તત્કાળ શરણે આવી ગયું.

પહેલા બોમ્બના પ્રયોગનું સાંકેતિક નામ ‘ટ્રિનિટી ટેસ્ટ’ રાખવામાં આવ્યું હતું. આ ટેસ્ટ ઐતિહાસિક હતો. દુનિયાએ પહેલીવાર આવી વિધ્વંશક તાકાત જોઈ હતી. તેની સફળતાથી ઓપનહેઈમરને તત્કાળ બોમ્બની અસલી તાકાતની ખબર પડી ગઈ હતી. આ ટેસ્ટ સંદર્ભમાં, 1961માં એક ઇન્ટરવ્યૂમાં તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો, ઓપનહેઈમરે ગીતાનો એક શ્લોકને ટાંકીને કહ્યું હતું :

“મને હિંદુ શાસ્ત્ર ભગવદ્ ગીતાની એ પંક્તિ યાદ આવે છે જ્યારે વિષ્ણુ રાજકુમાર(અર્જુન)ને મનાવાની કોશિશ કરી રહ્યા છે કે એ તેનું કર્તવ્ય નિભાવે, અને તેને પ્રભાવિત કરવા માટે બહુ-સશસ્ત્ર રૂપ ધારણ કરીને કહે છે – ‘હવે હું મૃત્યુ બની ગયો છું, સંસારને નાશ કરવા વાળો.’ મને લાગે છે કે આપણને સૌને કોઈને કોઈ રીતે આ વિચાર આવતો હોય છે.”

જાપાનની તબાહી જોયા પછી ઓપનહેઈમર શાંતિવાદી બની ગયો હતો અને બોમ્બના નિર્માણને નિયંત્રિત કરવાની વકાલત કરવા લાગ્યો હતો. ઓપનહેઈમરને માણસની આ નિર્દયી તાકાતનો અહેસાસ હતો. 1946માં જ તેણે કહ્યું હતું, “મેનહટન પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે, અમને પ્રોમેથિયસની દંતકથાનો, માણસે શોધેલી નવી શક્તિના અપરાધબોધનો અહેસાસ થયો હતો.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પડછાયો

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Opinion|28 May 2023

સ્ટેશન આવતાં ટ્રેઇનમાંથી ઊતરીને સૌ પોતપોતાના સ્થાને જવા રવાના થાય છે. હું પણ આ સૌમાંનો એક છું.

બહાર રસ્તા પર આવીને જોઉં છું તો બધું સુમસામ દેખાય છે, ક્યાંય કશી હલચલ નથી, ક્યાંય કોઈ દેખાતું નથી. ટ્રેઇનમાંથી મારી સાથે ઊતરેલા બીજા પ્રવાસીઓ અચાનક ક્યાં અદૃશ્ય થઈ ગયા?

“નહીં કોઈ પ્રાણી ગિરિમહીં હજી જાગ્રત દિસે” એ પંક્તિ અનાયાસે યાદ આવી જાય છે. પણ આ તો શહેર છે, ગિરિ નથી, તેની શું શહેરને જાણ નહીં હોય? 

થોડું આગળ જતાં – અને હજી હું એકલો જ છું – એક રમતગમતનું મેદાન આવે છે. હા, ત્યાં બાળકો રમતા લાગે છે, પણ પાસે જઈને જોઉં છું તો ત્યાં પણ કશી હલચલ નથી; બાળકો તેમની રમતના જે તબક્કામાં હતા તેમાં જ સ્થિર થઈ ગયા છે. આ તે કેવું કૌતુક!

એક બસ ઊભેલી જોઉં છું. તેમાં ડ્રાઈવર, કન્ડક્ટર, પ્રવાસીઓ છે, પણ ચિત્રમાં દોર્યા હોય તેવા, તદ્દન ગતિવિહીન. 

નજીકના એક થિએટરમાં નજર કરું છું. ત્યાં પણ લોકો દેખાયા, પણ જાણે પૂતળા; હલનચલન જ નહીં! એટલું જ નહીં, પડદા પરનું દૃશ્ય પણ freeze frame બનીને જડાઈ ગયું છે. 

મૂંઝાઈને થિએટરમાંથી બહાર નીકળું છું અને ફરી ચાલવા માંડું છું, અને ત્યાં બીજું કૌતુક બને છે: થોડે દૂર કશી હલચલ થતી જણાય છે. એ ઘટનાનો પર પામવા હું મારી ઝડપ વધારું છું, ત્યાં જ ઓચિંતું મારું ધ્યાન પડે છે કે મારો પડછાયો જ મારી સાથે નથી!

હું ચમકું છું, અને આ સુમસામ, વેરાન, છેતરામણા નગરમાં, બીજી બધી વસ્તુઓની ખોળ છોડી દઈને મારા પડછાયાની શોધમાં નીકળી પડું છું.

———————————————— 

e.mail : surendrabhimani@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 2

સુમન શાહ|Opinion - Literature|28 May 2023

સુમન શાહ

મનુષ્યજાતિના વર્તમાનમાં કુદરતી બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે – નેચરલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વચ્ચે – સંઘર્ષ મંડાયો છે અને તે મહા સંઘર્ષ છે. એટલું જ નહીં, એ બન્ને વચ્ચે સાયુજ્ય ઊભું કરવું એ પણ એક મહા સંકુલ સંઘર્ષમાં ઊતરવા-સમું દુરુહ છે.

એથી વિકસી રહેલી અદ્યતન ટૅક્નોલોજિની મનુષ્યજીવન પર થઈ રહેલી ઘાતક સુખદ અસરો પણ એટલી જ મહા અભૂતપૂર્વ છે.

મને આ મુદ્દો આ લેખમાળામાં મૂકવો અને ક્રમે ક્રમે ચર્ચવો જરૂરી લાગે છે.

હરારી એમની શૈલીના ભવિષ્યવાદમાં આ મુદ્દાને જુદી જુદી રીતે આવરી લે છે. એ વાત પ્રસંગ પડશે ત્યારે કરીશ.

પરન્તુ જરાક ફંટાઈને મારે એ કહેવું છે કે એ અસર હાલ ચાલુ છે ને ક્યારનીયે ચાલુ થઈ ગઈ છે. એટલું જ નહીં, બહુ ઝડપી ગતિએ બધું બદલાઈ ગયું છે, બદલાઈ રહ્યું છે.

જેમ કે, મોટો બદલાવ આ : ઔદ્યોગિક ક્રાન્તિ પછીની પુશબટન ટૅક્નોલૉજિ અને તે પછીની ક્લિક્-બટન ટૅક્નોલૉજિ. એ વિકાસના ફળ રૂપે મનુષ્યને લાધેલો, ભલે નિ:સામાન્ય ભાસતું દૃષ્ટાન્ત છે, સ્માર્ટ ફોન. એણે પેલા કાળિયા ફોનને કાળગ્રસ્ત કરી દીધો. વાતચીતની આપણી રીત લઢણ ગરજ જરૂરિયાત બદલાઈ ગયાં. ઘણાને થાય છે કે લોકો નિરાંતે વાત નથી કરતા, ઘણાને થાય છે કે ફોન પતાવતા જ નથી, બોલ્યા કરે છે. કારણ એ છે કે સ્માર્ટ ફોન એ બન્ને પ્રકારના લોકોની જરૂરિયાતને તોષે છે. લાગે કે મફતમાં તોષે છે. ખરેખર તો માણસ એ માટે શું ચૂકવે છે તેની એને ખબર નથી, પણ ટૅક્નોલૉજિ એનો રજે રજનો પળે પળનો હિસાબ કરતું હોય છે. એને ખબર નથી કે જીવનનો કેટલો સમય એની પાછળ ખરચાઈ રહ્યો છે. અને, કેટલો શક્તિવ્યય? જેનો કશો અંદાજ પણ નથી આવતો.

મારી એક પોસ્ટમાં મેં પુસ્તકાલય અંગેના મારા વ્યાખ્યાન-લેખમાં “ચૅટજીપીટી”ની વાત કરેલી. એના આગમન પછીના બહુ જ ટૂંકા ગાળામાં એના ઍક્ટિવ યુઝર્સની સંખ્યા દિન પ્રતિ દિન વધીને કરોડોએ પ્હૉંચી છે. એના શીર્ષકમાં જ ‘ચૅટ’-નો નિર્દેશ છે. આપણે બે કે વધુ મનુષ્યો વાત કે સંવાદ કરીશું કે તમારી જોડે મશીન સંવાદ કરશે? આપણે અનુવાદ કરશું કે એ કરી દેશે? સવાલો છે? ના, સવાલો નથી, એ થઈ રહ્યું છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ભૂમિકાએ વિકસાવાયેલું એ એક નૂતન મૉડેલ છે. ગૂગલ સર્ચ અને ચૅટજી,પી,ટી,માં ફર્ક એ છે કે ગૂગલ હનુમાનજીની જેમ આખો પર્વત ઉપાડી લાવશે, જ્યારે આ તો સંજીવનીનો માત્ર છોડ જ લાવશે. તમે માગ્યું એ જ આપવું અને એના કેન્દ્રમાં રહીને સંવાદના વર્તુળને વિકસાવવું એ એની વિશેષતા છે.

વ્યાખ્યાનમાં મેં દાખલો આપેલો : હું જો એને પૂછું કે ગુણસુંદરીના ઘરસંસારમાં માનચતુર અને ધર્મલક્ષ્મી એની સાથે કેવોક વર્તાવ રાખે છે, તો એ મને ‘સરસ્વતીચંદ્ર’-માં જોઈને યોગ્ય ઉત્તર આપશે. હું એને કંઈક બીજું પૂછીશ કે ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન કયા કયા વિદ્વાનોએ ચર્ચ્યો છે તો એ મને સુરેશ જોષી સુધી લઈ જશે. અમારી વચ્ચેના એવા સંવાદમાં એની કશીક ભૂલ હશે તો, સુધારશે.

એટલું જ નહીં, ખોટી સ્થાપનાઓને ચૅલેન્જ પણ કરશે. એને હું પૂછું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોષી પછી કોની વિચારસરણી પ્રભાવક નીવડી છે, તો એ કહેશે કે, સુરેશ જોષીની. હું પૂછું કે એ હકીકતને મચડવાનો પ્રયાસ કોણે કર્યો તો એનું નામ અને જેમાં એ મચડાટ છે એ લેખને હાજર કરશે. એવાં એવાં ઉપજાવી કાઢેલાં જેટલાં જૂઠાણાં હશે, ‘પોસ્ટ ટ્રુથ’, એ તમામ વિશે રહસ્યસ્ફોટ કરશે. પરિણામે, હવે ખોટા ઇતિહાસ નહીં લખી શકાય.

સામે, ચૅટજી.પી.ટી. મારી અનુચિત માગણીઓને પણ ફગાવી દેશે.

હું આને એક સુલક્ષણા અને પરિશુદ્ધ વિદ્વાનનું વર્તન ગણું છું. કુદરતી બુદ્ધિવાળો આપણો કહેવાતો વિદ્વાન, બની બેઠેલો મોટાભા, અંગત રાગદ્વેષ ભેળવીને જે પ્રકારની ગરબડ-સરબડ કરે, એ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની હન્ડ્રેડ પરસૅન્ટ વસ્તુલક્ષીતામાં શક્ય જ નથી.

ચૅટજી.પી.ટી. હાલ ગુજરાતી ભાષા શીખી રહ્યું છે એની નૉંધ લેવી જોઈએ.

પણ આ પ્રકારના આર્ટફિશ્યલ આધારિત અનેક સૉફ્ટવેઅર આવી ગયા છે, આવી રહ્યા છે. એથી મળનારાં ઍલગોરિધમ્સની મદદ વધતી જશે અને એથી સમજાતું જશે એમ કે અમુક કામો માટે મનુષ્યોની જરૂર નથી. એ લોકોને નવરા કરી દેવાશે, કરી દેવાયા છે, કરી દેવાય છે. નવરાશ માટે ‘લેઇશર’ શબ્દ પ્રચલનમાં છે. આમેય આજે આપણે પૂછવું પડે છે, હું તો પૂછું જ છું, આર્યુ ફ્રી, તો ફોન કરું. કહું છું, મને તમારી પાસે પૂરતી લેઇશર હોય ત્યારે ફોન કરજો. આ નવરાશ તમારા સમ્બન્ધની ગાંઠને મજબૂત કરે છે, ઢીલી પણ કરે જ છે. એ અર્થમાં એ ઘાતક સુખદ છે.

પરન્તુ એનો મોટો ઘા તો એ છે કે એથી વ્યક્તિની સર્જનાત્મક શક્તિ, સમીક્ષાત્મક શક્તિ ક્ષીણ થઈ જાય. મને એકડે એકથી ઊઠા સુધીના આંક આવડતા’તા પણ આજે ચાર-પાંચ આંકડાના સરવાળા બાદબાકી કે ભાગાકાર ગુણાકાર માટે મને કૅલ્ક્યુલેટર વિના ચાલતું નથી, દલીલબાજો એમ કહેતા હોય છે કે એથી મળેલા સરળતા-સુખને અંકે કરી લો. મારો સવાલ એ છે કે, એ પછી શું.

જેમ કે, બીજો મોટો બદલાવ આ : ખાસ તો, સોશ્યલ મીડિયાનો આવિષ્કાર, અને તેનો ગુજરાતી સાહિત્ય માટે થઈ રહેલો ઉપયોગ. એણે કેટલા લાભ સંપડાવ્યા અને એણે સાહિત્યકારને તેમ જ એની સાહિત્યિક માનસિકતાને કેટલી બદલી એ વિચારવાને પલાંઠી લગાવીને બેસવું પડે એમ છે.

લાભ એ કે સ્વપ્રકાશન માટે સ્થાન શોધવાની જરૂર ન રહી. કોઈ તન્ત્રીની શેહ ભરવાની કે એને સલામ ભરવાની જરૂર ન રહી. કશી લાગવગ લગાડવાની કે લાલચ આપવાની જરૂરત ન રહી. લેખક તરીકેનો મિજાજ જેવો હોય તેવો સાચવીને ખુશ રહેવાની સગવડ થઈ કેમ કે વિવેચક નામના પ્રાણીની નુક્તેચિનીથી પણ બચી જવાયું.

પણ, સૌથી મોટી હાનિ થઈ છે રુચિની. રુચિ ધોવાઇને નિર્માલ્ય થઈ ગઈ છે. સાદામાં સાદી ઉક્તિ પણ પોતાને સાહિત્યરસિક કહેવડાવતા જનને પણ નથી પ્હૉંચતી.

બીજું, સાહિત્યની આડપેદાશ રૂપે ભાવક / વાચકનું વિચારજગત ખીલતું હોય છે, પણ તે આજે વેરવિખેર છે. સમાજના સામાન્યજનોના વિચારજગતને પ્રેરવા માટે તો વિચારોની અંદર સાહિત્યરસ અને બીજા અનેક રસને બરાબર ભેળવીને મોટિવેશન ટૉક્સનાં આયોજન કરવાં પડે છે. સામાન્ય વાચન પણ અઘરું પડે છે, વિદ્વદ – ભોગ્યને તો કોઈ સૂંઘવાય તૈયાર નથી.

ત્રીજું, નુક્સાન છે નીવડેલી સાહિત્યપરમ્પરાનો અનાદર, ઉત્તમ ગ્રન્થો, ઉચ્ચ આદર્શો ઉપકારક સિદ્ધાન્તો કે શાસ્ત્રો વિશે બેપરવાઈ. અને, તે જ માનસિકતા અનુસાર, અધિકૃત વ્યક્તિઓ વિશે પણ બેફીકરાઇ અથવા તેમનો ખપ પૂરતો ઉપયોગ.

ચૉથું, સ્વસ્થ સમીક્ષા કે મૂલ્યાંકનને સ્થાને વાહ-વાહી અને લાઇક્સની સંખ્યાથી રાજી રહેવાનું વલણ. સ્વસ્થ સમીક્ષાને અભાવે હું મોટો તું નાનો, હું ઍવૉર્ડી તું સામાન્ય, જેવી હૂંસાતૂંસી અને તેમાંથી જનમેલું સાહિત્યપરક રાજકારણ.

પાંચમું, જેને મેઇન સ્ટ્રીમ ગુજરાતી લિટરેચરના મોવડી કહેવાય એ મહાજનોની ગુજરાતી સાહિત્યના આ સોશ્યલ મીડિયા વિશેની ઉદાસીનતા, ક્યારેક સૂગ પણ ખરી.

ગુજરાતી સાહિત્યકારોની આ સોશ્યાલિટી એટલી તો સંકીર્ણ છે કે એને રીયલ સોશ્યલ મીડિયાની ખબર જ નથી. કેમ કે, ટૅક્નોલૉજિને એનાં ઉપકારક-અનુપકારક સતમાં ન પામ્યા હોઈએ તો કૂવામાંનાં દેડકાંના રાજીપાનું કિંચિત્ સુખ મળે છે, સાથોસાથ, લુચ્ચા શિયાળની ચતુરાઈથી ફુલણજી કાગડાને થયેલી હાણ પણ થઈ શકે છે.

આમાં, સાહિત્યિક સંસ્કૃતિ – લિટરરી કલ્ચર – પ્રગટે અને તે સર્વસામાન્ય સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાથરે અથવા તો સાહિત્યકલા શાસન કે ધર્મ જેવાં જીવનનિર્ણાયક પરિબળોને ટકોરે એમ થવું હાલ તો અસંભવિત દીસે છે.

હરારીએ પોતા તરફથી ચાર C આગળ કરેલા છે, બહુ જાણીતા છે. એ છે, critical thinking, creativity, collaboration, communication. હું એને ચાર ‘સ’ કહું છું : સમીક્ષાપરક વિચાર. સર્જકતા. સહયોગ. સંક્રમણ.

જાણી શકીશું કે આ ચારનો વૈયક્તિક અને સાહિત્યિક કારકિર્દીના ઘડતરમાં આજે, વર્તમાનમાં, અને આપણા અચૉક્કસ ભાવિમાં, કેવોક વિનિયોગ કરી શકાય એમ છે.

હાલ આ લેખમાળા મેં વૉર્મિન્ગ-અપની રીતે અથવા નેટ-પ્રૅક્ટિસની રીતે શરૂ કરી છે, ધીમે ધીમે અન્તરાલમાં ઊતરવામાં ડહાપણ છે એમ માન્યું છે.

= = =

(05/27/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1581,1591,1601,161...1,1701,1801,190...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved