Opinion Magazine
Number of visits: 9458224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વોચ્ચ અદાલત આખરે છે શું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 December 2022

ભારતનું બંધારણ ઘડાનારાઓએ સર્વોચ્ચ અદાલતને બે જવાબદારી સોંપી હતી. એક બંધારણનું અર્થઘટન કરવાની અને બીજી ભારતના પ્રત્યેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની. આ સિવાય વડી અદાલતતોના ચુકાદાઓ સામેની અપીલો વધારાનું કહો કે રાબેતાનું કામ થયું. મુખ્ય કામ હમણાં કહ્યું એ બે હતાં.

અર્થઘટનની જવાબદારી સોંપવામાં આવી એનાં ત્રણ કારણ હતાં. એક તો એ કે બંધારણ એક માનવઘડિત દસ્તાવેજ છે એટલે એમાં સ્થળ અને કાળની મર્યાદા હોવાની. સમય અને સમાજ બદલાતા રહે છે એટલે નવા પ્રશ્નો પેદા થાય છે અને જૂના પ્રશ્નોનું સ્વરૂપ બદલાય છે. બીજું એ કે ભારતીય રાષ્ટ્રમાં અનેક ભાગીદારો છે, દાવેદારો છે અને તેમનાં હિતો છે. કેન્દ્ર, રાજ્યો, જિલ્લાઓ, નાગરિકો, ન્યાયતંત્ર, લોકપ્રતિનિધિ ગૃહો, રાજકીય પક્ષો, લોકશાહી સંસ્થાઓ, ધર્મ અને ધર્મસંસ્થાઓ, સમાજસંસ્થાઓ, વગેરે અનેક ભાગીદારો છે અને તેમનાં બદલાતાં સ્વરૂપો અને હિતો હોય છે. તેમનાં હિતો જ્યારે ટકરાય ત્યારે સર્વોચ્ચ અદાલતે બંધારણનું અર્થઘટન કરવાનું આવે. વળી બંધારણ ઘડનારાઓએ તમામ દાવેદારો અથવા સત્તાકેન્દ્રો વચ્ચે સંતુલન જળવાય એવા રાષ્ટ્રની કલ્પના કરી છે. એ સંતુલન જળવાઈ રહે એ જોવાનું અને ન જળવાતું હોય તો ટોકવાનું કામ પણ સર્વોચ્ચ અદાલતનું છે. બંધારણના અર્થઘટનનું કામ અહીં પણ કરવું પડે. ત્રીજું કારણ એ કે ભારતનું બંધારણ જે ભારત હકીકતમાં અસ્તિત્વ ધરાવતું હતું એનો દસ્તાવેજ નથી પણ હોવા જોઈતા ભારતનો દસ્તાવેજ છે. વાસ્તવિક ભારત અને બંધારણ ઘડનારાઓની કલ્પનાના ભારત વચ્ચે અંતર હતું અને આજે પણ છે. એ બંધારણ ઘડનારાઓની કલ્પનાના ભારતને સાકાર કરવાનું જેમનું કામ છે એ શાસકો અને બીજા દાવરારો જે માર્ગ અપનાવે એ બાબતે પ્રશ્નો અને શંકાઓ પેદા થઇ શકે છે. સંઘર્ષ પણ થઇ શકે છે અને ત્યારે બંધારણની જોગવાઈઓનું અને બંધારણ કલ્પિત ભારતનું અર્થઘટન કરવું પડે અને એ કામ સર્વોચ્ચ અદાલતનું છે.

સર્વોચ્ચ અદાલતને બંધારણનું અર્થઘટન અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની મહાન જવાબદારી સોંપવામાં તો આવી પણ સર્વોચ્ચ અદાલત આખરે છે શું? બીજી સંસ્થાઓની માફક ન્યાયતંત્ર પણ માનવીએ બનાવેલી માનવીઓની સંસ્થા છે અને એ સંસ્થા પોતે ભારતીય રાજ્યમાં એક દાવેદાર છે અને તેમાં બિરાજમાન લોકો આખરે હાડચામના માનવી છે. ટૂંકમાં ન્યાયતત્રનો સંસ્થાકીય સ્વાર્થ પણ હોઈ શકે છે અને ન્યાયમૂર્તિઓનો અંગત સ્વાર્થ પણ હોઈ શકે છે. આ સિવાય બંધારણનું અર્થઘટન કરનારાઓની ચોક્કસ વિચારધારા હોઈ શકે છે.

તો સવાલ બે હતા કે એકંદરે ન્યાયતંત્ર માટે યોગ્ય જજોની પસંદગી કેવી રીતે કરવી અને એમાં પણ સર્વોચ્ચ અદાલત માટે યોગ્યમાંથી યોગ્યતમ શ્રેષ્ઠ જજોને પસંદ કઈ રીતે કરવા? ન્યાયતંત્રમાં એવા જજો હોવા જોઈએ જેના ઉપર સામાન્ય સંજોગોમાં નજર રાખવી ન પડે અને અસાધારણ સંજોગોમાં નજર રાખવાની યંત્રણા પણ હોય. આખો મદાર જજોની પસંદગી અને તેમની સર્વોચ્ચ અદાલત સુધીની બઢતીની પ્રક્રિયા વિશેનો હતો. ન્યાયતંત્ર જેવી પવિત્ર અને મહત્ત્વની સંસ્થામાં યોગ્ય વ્યક્તિઓ પ્રવેશે અને ખોટા સિક્કાઓ ન ઘૂસી જાય એ કેવી રીતે બને? એને માટે શું કરવું જોઈએ.

આશ્ચર્યની વાત છે કે આ બાબતે બંધારણ ચૂપ છે. નિયુકિતમાં શાસકોને એટલે કે સરકારને બહાર રાખીને નિયુકિતની કોઈ ચોક્કસ પ્રક્રિયા બતાવવામાં આવી નથી. અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે જગતમાં કોઈ દેશમાં જજોની નિયુકિતની કોઈ ફૂલપ્રૂફ આદર્શ વ્યવસ્થા નથી. અલગ અલગ દેશમાં અલગ અલગ વ્યવસ્થા છે અને એ દરેકના પ્રશ્નો છે. દાખલો આપવો હોય તો અમેરિકાનો આપી શકાય. અમેરિકાની અદાલતે ગર્ભપાત કરાવવાના સ્ત્રીઓના અબાધિત અધિકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. એ ચુકાદો જૂનવાણી તો હતો જ પણ આગલા પ્રગતિશીલ ચુકાદાને ઉથલાવનારો પણ હતો. આનાં બે અર્થઘટન થઇ શકે. કાં તો આવડત વિનાના ખોટા જજો અમેરિકન ન્યાયતંત્રમાં ઘૂસી ગયા અને કાં જજો સમયના પ્રભાવથી મુક્ત નથી રહી શક્યા. જજો સમયના પ્રવાહોથી અને સામાજિક પ્રભાવોથી પ્રભાવિત ન થાય અને બંધારણને વફાદાર રહે એવી તેમની પાસે અપેક્ષા છે. ટૂંકમાં દેશના ન્યાયતંત્ર માટે યોગ્ય જજો કેવી રીતે શોધવા અને યોગ્ય સ્થાને નિયુક્તિ કેવી રીતે કરવી તેનો કોઈ ફૂલપ્રૂફ ઉપાય કોઈ દેશ પાસે નથી.

કદાચ આ કારણે બંધારણ ઘડનારાઓએ આ સવાલ શાસકોના વિવેક ઉપર છોડ્યો હોવો જોઈએ.

હકીકત જે હોય તે પણ જજોની નિયુકિત કોણ કરે અને કેવી રીતે કરે એ બાબત આપણે ત્યાં સંદિગ્ધ છે એટલે તેનો લાભ અને ગેરલાભ ઉઠાવવામાં આવે છે. લાભ અને ગેરલાભ બન્ને પક્ષ ઉઠાવે છે, સરકાર પણ ઉઠાવે છે અને જજો પણ ઉઠાવે છે. આ સિવાય ભારત એક ઘડાઈ રહેલું રાષ્ટ્ર છે એટલે વખતો વખત એવા શાસકો આવતા રહેવાના જેમની રાષ્ટ્ર વિશેની પોતાની એક ક્લ્પના છે અને એ ક્વચિત બંધારણ કલ્પિત રાષ્ટ્રની વિભાવના કરતાં અલગ હોવાની. અત્યારે દેશને આનો અનુભવ થઇ રહ્યો છે અને ભૂતકાળમાં પણ થોડા પ્રમાણમાં આનો અનુભવ થયો હતો. જો અમેરિકા જેવા રૂઢ અર્થમાં ઘડાઈ ચૂકેલા રાષ્ટ્રની રાષ્ટ્ર વિભાવના સામે પડકારો પેદા થઇ શકે તો ભારત માટે તો એ મોટો પડકાર છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ડિસેમ્બર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—176

દીપક મહેતા|Opinion - Opinion|24 December 2022

પહેલવહેલી છત્રી સૂર્યે રેણુકા દેવીને આપેલી 

અજંતાના ચિત્રમાં આલેખાઈ છે છત્રી

છત્રીના અનેક અવતાર 

છે ચડતી ને પડતી જ્યમ ભરતી ને ઓટ,

કોઈ ભોગવે છે ઓટ, કોઈ મેળવે છે નોટ.

દાસો તે શેઠો, ને સરદારો કામેલ,

કિસ્મતનો એ ખેલ, કિસ્મતનો એ ખેલ.

જે અદના તે આલા, ને આલા રખડેલ,

કિસ્મતનો, કિસ્મતનો એ ખેલ.

ખરશેદજી બાલીવાલાના ૧૮૯૨માં ભજવાયેલ નાટક ‘અસલાજી યાને કંજૂસના કરમની કહાણી’માંનું આ ગીત એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે મહાજન, જન, લોક, અને લઘુ સંસ્કૃતિ એ સમાજ અને સંસ્કૃતિના water tight compartments નથી જ. એકમાંથી બીજામાં આવનજાવન સતત થતી રહેતી હોય છે. આનું કારણ સંજોગો, સ્વભાવ, સાહસવૃત્તિ, સત્તા સ્થાને બેઠેલાની મરજી કે ખફગી હોઈ શકે. સમાજશાસ્ત્રી એન. શ્રીનિવાસનો સર્વમાન્ય થયેલો એક સિદ્ધાંત કહે છે કે સંસ્કૃતિના ‘નીચલા’ સ્તર પર રહેલા લોકો સતત ‘ઉપલા’ સ્તરની સંસ્કૃતિમાં સામેલ થવાનો પ્રયત્ન કરતા હોય છે. એ માટે તેઓ જુદી જુદી બાબતોમાં ઉપલા વર્ગનું અનુકરણ કરતા રહે છે. તેમાં પહેરવેશ, વાતચીતની ઢબ, વાક્યપ્રયોગો, નવી કે જૂદી વસ્તુઓ કે સાધનોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થતો હોય છે.

મુંબઈ એટલે આખા દેશનું અગ્રણી મહાનગર. દેશના જૂદા જૂદા ભાગોમાંથી રોજે રોજ કેટલાયે લોકો અહીં આવતા રહે છે. કોઈ નોકરી માટે, કોઈ ધંધા માટે. કોઈને સંગીત કે નાટક કે ફિલ્મના ક્ષેત્રે નામ કાઢવું છે ને દામ બનાવવા છે. તો ઘણા તો માત્ર આ મહાનગરનાં સાધન-સગવડથી આકર્ષાઈને આવે છે. અને દરિયાવ દિલ મુંબઈ એ બધાંને સમાવી લે છે. પણ આવા આગંતુકોનો મહાનગર સાથેનો સંબંધ કેવો અને કેટલો ઉપલકિયો હોય છે તે આપણે કોવિડની મહામારી વખતે જોયું. હજારો લોકોનાં ધાડેધાડાં રાતોરાત પોતાના ‘દેશ’ તરફ દોડી ગયાં. પણ મુંબઈ એક એવું મહાનગર છે, જેને ‘કોઈ નિંદો, કોઈ વંદો’થી ઝાઝો ફરક પડતો નથી.

સાધારણ રીતે એમ મનાય અને કહેવાય છે કે સો ગામડાં ભાંગીને એક શહેર ઊભું થાય છે. પણ મુંબઈની બાબતમાં એ સાચું નથી. મુંબઈ એ એક નવું સર્જન છે. આજે આપણને સ્વીકારવું ન ગમે તો ય બ્રિટિશ શાસનનું સર્જન છે. એણે ગામડાંને ભાંગ્યાં નથી, પોષ્યાં છે. મુંબઈના મૂળ વતની એવા કોળી, આગરી, વગેરે આજે ય પોતપોતાની આગવી લઘુ સંસ્કૃતિને સાચવીને અહીં જીવે છે. અને આ શહેર એના સ્લમ્સ અને સ્કાઈસ્ક્રેપર્સમાં સતત વિકસતું રહે છે, ખીલતું રહે છે. આ શહેર તમને સમૃદ્ધ જરૂર બનાવશે. પણ એક શરતે : જો તમે તેને સમૃદ્ધ બનાવશો તો જ. આ રીતે સમૃદ્ધ થયેલા એવા અસંખ્ય લોકો મુંબઈમાં વસે છે જે કવિ નિસિમ એઝેકીલની જેમ કહે :

I cannot leave this island, 

I was born here and belong.

મુંબઈ એક એવું શહેર છે જે સતત ચાલતું, બલકે દોડતું હોવા છતાં સ્થિર રહી શકે છે. અને સ્થિર દેખાતું હોવા છતાં સતત ગતિશીલ રહે છે. અગાઉ એનું મોઢું ગ્રેટ બ્રિટન તરફ રહેતું. ગ્રેટ બ્રિટનનાં ફેશન, ખાણીપીણી, પહેરવેશ, વગેરેનું કંઈ નહિ તો મહાજન સંસ્કૃતિને વળગણ રહેતું. અંગ્રેજોનું અનુકરણ કરવામાં એ સંસ્કૃતિના લોકો મોટાઈ અનુભવતા. પણ હવે મુંબઈ બહુમુખી બન્યું છે. એની નજર અમેરિકા સામે છે અને ત્યાંનાં ખાણીપીણી, પહેરવેશ વગેરેને તે અપનાવી લે છે તો થાઈ, ચીની, જાપાની, ફ્રેંચ, મેક્સિકન, કે બીજા કોઈ દેશ-પ્રદેશની ખાણીપીણીનો કે પહેરવેશનો તેને બાધ નથી, બલકે જ્યાંથી જે લેવા જેવું લાગે ત્યાંથી તે લેવા તત્પર હોય છે. તો બીજી બાજુ દેશના જુદા જુદા પ્રદેશોની વિશિષ્ટ વસ્તુ, વાનગી, પહેરવેશ વગેરે અપનાવતાં પણ તેને સંકોચ નથી. અને મહાજન સંસ્કૃતિ જે અપનાવે તે જન સંસ્કૃતિ પણ જોતજોતામાં અપનાવી લે છે. એટલે જ ફાઈવ સ્ટાર હોટેલમાં અને ફૂટપાથ પરની લારીમાં અહીં થાઈ અને ચાઈનીઝ ફૂડ વેચાય છે. અહીં તમને સાયન-માટુંગામાં ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સાંભાર મળે. તો અહીં જ એવી પણ ‘મદ્રાસી’ હોટેલો છે જે ગળચટ્ટો સાંભાર બનાવે છે – ગુજરાતી ગ્રાહકોની રુચિને અનુકૂળ થવા.

રેણુકા ઉર્ફે યેલ્લમ્મા દેવી

અજંતાના ચિત્રમાં આલેખાયેલી છત્રી

રોજિંદા જીવનમાં વપરાતી નાની નાની વસ્તુઓનો દાખલો લઈએ. રાજકપૂર અને નરગીસે શ્રી ૪૨૦ ફિલ્મના ગીત ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’ દ્વારા અમર બનાવી દીધેલી છત્રી. એનો ઇતિહાસ લગભગ ૩,૦૦૦ વરસ જૂનો. એનું ઉત્પત્તિસ્થાન ઈજિપ્ત, ચીન, અથવા હિન્દુસ્તાન હોવાનું મનાય છે. કંઈ નહિ તો મહારાષ્ટ્રમાં તો તેનો પગપેસારો ઘણો વહેલો થયેલો. ઔરંગાબાદ પાસેની અજંતાની ગુફામાંના ચિત્રમાં રાણીને માથે છત્રી ધરીને ઊભેલી દાસી જોવા મળે છે. છત્રીની ઉત્પત્તિ વિશેની એક કથા મહાભારતમાં જોવા મળે છે. સપ્તર્ષિઓમાંના એક ઋષિ જમદગ્નિ તીરંદાજીમાં ખૂબ પાવરધા. તેમનું તીર ખૂબ દૂર દૂર સુધી જાય. પત્ની રેણુકા દર વખતે દોડીને આંખના પલકારામાં તીર પાછું લઈ આવે. પણ એક વાર આ રીતે તીર પાછું લઈને આવતાં એક આખો દિવસ લાગ્યો. જમદગ્નિએ કારણ પૂછ્યું ત્યારે રેણુકાએ કહ્યું કે આશ્રમની બહાર કેટલો તડકો છે, કેટલી ગરમી છે એની તમને ક્યાં ખબર છે? આ સાંભળીને ક્રોધાયમાન થયેલા ઋષિએ સૂર્ય તરફ તીરનો વરસાદ વરસાવ્યો. ત્યારે સૂર્યે માફી માગી અને પોતાના તડકા અને ગરમીથી બચવા માટે રેણુકાને છત્રી આપી. આ રેણુકા જ દક્ષિણ ભારતમાં યેલ્લમ્મા દેવી તરીકે પૂજાય છે. મુંબઈમાં પણ તેમનાં ચાર મંદિર આવેલાં છે : બે બાંગુર નગરમાં, એક સાકી નાકા વિસ્તારમાં, અને એક ન્યૂ પનવેલમાં.


છત્રીની સાક્ષીએ ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ હૈ’ 

પણ આજે આપણે જે છત્રી વાપરીએ છીએ તે તો આવી છે ગ્રેટ બ્રિટનથી. ઈ.સ. ૧૭૦૦ની આસપાસ ગ્રેટ બ્રિટનમાં છત્રીએ પ્રવેશ કર્યો. પણ ત્યારે તે ફક્ત બાનુઓ માટે જ હતી. પુરુષો માટે નહિ. ૧૭૫૦ના અરસામાં જોનાસ હાનવે નામનો દાનવીર છત્રી લઈને લંડનના રસ્તાઓ પર નીકળતો ત્યારે લોકો તેનો હુરિયો બોલાવતા. ઘોડા ગાડીવાળાઓને તો થયું કે લોકો જો આ રીતે છત્રી લઈને રસ્તે ચાલતા થશે તો આપણો તો ધંધો ઠપ્પ થઈ જશે. એટલે તેઓ હાનવે પર સડેલાં ઈંડાં ને ટમેટાં ફેકતા. પણ બારે માસ વરસાદવાળા બ્રિટનમાં છત્રી કેટલી ઉપયોગી છે એ બ્રિટિશ લોકોને સમજતાં વાર ન લાગી.

મુંબઈને છત્રી મળી અંગ્રેજો પાસેથી. અહીં તો બળબળતી ગરમી સામે પણ તે કામ આવે તેમ છે એ તેમને તરત સમજાયું. અંગ્રેજ અમલદારો પહેરવેશ, ખાણીપીણી વગેરે પોતાના દેશનાં જાળવી રાખતા. પણ પોતાના માન-મોભા માટે, રાજ્યસત્તાના પ્રતિક તરીકે જે વસ્તુ કે વિધિ વાપરતા તેમાં દેશી રાજાઓનું અનુકરણ કરતા. દેશી રાજાઓ છત્રી વાપરે ખરા, પણ તેનો ભાર પોતે ન ઉપાડે. તેમની પાછળ ચાલતો નોકર રાજા સાહેબને માથે છત્રી ધરીને ચાલતો હોય. અંગ્રેજ અમલદારોએ પણ આ રીત અપનાવી. છત્રી વાપરવાની ખરી, પણ તે ઉપાડે ‘દેશી’ નોકર.

મહાજન સંસ્કૃતિએ અંગ્રેજો પાસેથી છત્રી અપનાવી. મુંબઈમાં ત્રણ-ચાર મહિના વરસાદના, પણ ત્રણેક મહિના ભારે ગરમીના પણ ખરા. અને છત્રી વરસાદ ઉપરાંત તડકા-ગરમીથી પણ બચાવે. અંગ્રેજો જે છત્રી વાપરતા એ બધી પોતાના દેશમાંથી ખરીદીને લાવતા. પછી ૧૮૬૦માં મુંબઈમાં શરૂ થયેલી ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ નામની કંપનીએ પહેલી વાર સ્વદેશી છત્રી બનાવવાનું શરૂ કર્યું, અને ‘સ્ટેગ’ (હરણ) બ્રાન્ડની છત્રી બજારમાં મૂકી. ત્યાં સુધી ‘દેશી’ લોકો સૂકા તાડપત્ર કે શણની ‘ધોંગડી’ માથે ઓઢીને વરસાદથી થોડુંઘણું બચતા. ૧૮૮૦માં બીજી એક બ્રાન્ડ બજારમાં આવી, સન બ્રાન્ડ. છત્રી બનાવવાનું ઘણુંખરું કામ હાથ વડે થાય. વળી તેમાં જુદા જુદા વ્યવસાયના લોકોની જરૂર પડે. એટલે એક જમાનામાં છત્રીને કારણે ઘણા લોકોને રોજગાર મળી રહેતો.

૧૮૬૦માં મુંબઈમાં પહેલવહેલી છત્રી બનાવનાર કંપની

અરે, છત્રી જેવી છત્રીએ પણ કેટલા અવતાર ધારણ કર્યા! રાજા-મહારાજાની સોનેરી રૂપેરી મખમલી છત્રી. લાકડાના અર્ધગોળાકાર હેન્ડલ વાળી, મોટી ‘ક્લાસિકલ’ છત્રી. બીજે છેડે એવી ધારદાર અણી હોય કે ભૂલમાં ય વાગે તો લોહી નીકળે. પછી પ્લાસ્ટિકનાં રંગબેરંગી હેન્ડલ આવ્યાં. સિન્થેટિક કપડું આવ્યું. છત્રીની સાઈઝ નાની-મોટી થતી રહી. ફોલ્ડિંગ છત્રી આવી. પણ પુરુષો માટેની છત્રીના કાપડનો રંગ આજ સુધી મુખ્યત્વે કાળો જ રહ્યો. રંગબેરંગી છત્રીઓ તો બાનુઓ અને બાળકો માટે. તેમાં એક અપવાદ ટ્રાફિક પોલીસ માટેની છત્રી. એનું કાપડ કાળું નહિ, સફેદ હોય, અને અર્ધ ગોળાકાર હેન્ડલને બદલે સીધું હેન્ડલ હોય જે કમરપટામાં ખોસી શકાય. આથી ટ્રાફિક પોલીસના બંને હાથ છૂટા રહે.

પછી આવી ઈમ્પોર્ટેડ છત્રીઓ. મોંઘી દાટ. પૈસાદારને પોસાય એવી. પણ પછી ચીની છત્રીઓએ આવીને આખી બાજી બદલી નાખી. દેખાવમાં વધુ સારી, અને અહીં બનતી છત્રીઓ કરતાં સસ્તી. બજારમાં ઢગલાબંધ મળે. ટકાઉ કેટલી એ જૂદી વાત. પણ હવે મહાજન અને જન સંસ્કૃતિમાં પણ ટકાઉપણાનો આગ્રહ ઘટી ગયો છે. ઊલટું, વસ્તુ ટકાઉ ન હોય તો સારું, કારણ થોડે થોડે વખતે બદલી શકાય.

છત્રી નામ સાંભળતાં આપણને પહેલો ખ્યાલ વરસાદ અને તડકાથી રક્ષણ કરતી છત્રીનો જ આવે. પણ ધનિકો કે મોટી હોટેલ તેમના બગીચામાં મસ મોટી ‘ગાર્ડન અમ્બ્રેલા’ વાપરે. તો વળી કેટલીક કંપની પોતાની જાહેર ખબર માટે છત્રીનો ઉપયોગ કરે. નદી કે દરિયા કિનારે આરામ ફરમાવતા લોકો માટે પણ મોટી, રંગબેરંગી છત્રી કામ લાગે. અને આવી જગ્યાએ ક્યારેક તો પ્રેમી પંખીડાં છત્રી બને તેટલી નીચી રાખીને નિકટતાનો અનુભવ પણ માણે! અને હવે તો રસ્તા પરના ઘણા ફેરિયા પણ રંગબેરંગી છત્રી રાખે છે. અને ફોટોગ્રાફરની સફેદ રિફ્લેક્ટર છત્રી પણ કેમ ભૂલાય? મંદિરોમાં દેવ-દેવીને માથે શોભતી છત્રી, બલ્કે છત્ર.

અને હા. પરમ તત્ત્વ અને છત્રી વચ્ચે એક સમાનતા છે : 

‘ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં,

અંતે તો છત્રીની છત્રી હોયે. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 ડિસેમ્બર 2022

Loading

વિચારો નહીં, સત્તા કાંપી ઊઠે છે

અનુવાદ : નંદિતા મુનિ|Poetry|23 December 2022

Rajesh Neeravના એક કાવ્યનું મારું ભાષાંતર

……………

વિચારથી 

બહુ ગભરાય છે સત્તા

રમતો રમો, ફિલ્મો જુઓ

નાચો ડિસ્કોમાં, પબમાં જાઓ

મલકાય છે સત્તા

શોપિંગ કરો, મોલમાં ફરો

પ્રેમગીત રચો, તહેવારો ઉજવો

મોજ માણો, ફરવા ઉપડો

ખુશ થઈ જાય છે સત્તા

પણ

પુસ્તક, રંગમંચ, ગોષ્ઠિ, સભા

(લેખન, વાદવિવાદ, ભાષણ, સૂત્રોચ્ચાર)

સાવધાન થઈ જાય છે સત્તા

વિનયપૂર્વક હાથ જોડાવે છે

દરબારમાં કુરનીશ કરાવે છે

ઘૂંટણભર બેસવાની આદત પડાવે છે

સાષ્ટાંગ કરવાની કળા આખા દેશને શીખવે છે

રમતે ચડે છે સત્તા

પહેલાં મદહોશ કરી

પછી હાલાં સંભળાવી

થાબડી થાબડીને

મીઠાં સપનાં દેખાડે 

પછી પોતે જ સ્વપ્ન બની જાય છે સત્તા

પછી કોઈ એક જણ ઊઠે છે

લોકોને 

સપનાંમાંથી ઉઠાડવા

હાક કરે છે

બે-ચાર-આઠ-દસ-વીસ

શોષિતો ભેગાં થાય છે ધીમે ધીમે

કાંપી ઊઠે છે સત્તા

બેઠક રાખે છે

યોજના બનાવે છે

જાસૂસી કરાવે છે

દલાલ મોકલે છે

કુટિર સ્મિત કરે છે સત્તા

ધીમે ધીમે શોર વધે છે

ઘટાટોપ છવાય છે

-સામ-દામ-દંડ-ભેદના 

નવા નવા ઉપાય કરે છે સત્તા

દમન‌ ન‌ લાગે‌ એવું દમન

લાલચ ન લાગે એવી લાલચ

જાળ ન લાગે એવી જાળ

ભય ન લાગે એવો ભય

નવી નવી શોધો અપનાવે છે સત્તા

ક્યાં ય કોઈ હાથ ઊંચો ન થાય

કોઈ મુઠ્ઠી ન ભીંસાય

હાથ સાથે હાથ ક્યારે ય ન મળે 

કોઈ આંખ રાતી ન થાય

કોઈ છાતીમાં તોફાન ન સરજાય

કોઈ સીનો સરેઆમ સામો ન થાય 

બસ, સાવ આટલું જ ઈચ્છે છે સત્તા

વિચાર કરતો માણસ

સૌથી વધુ ખતરનાક હોય છે

વિચાર કરવા જેટલી ફુરસદ જ ન મળવા દો –

(બહુ લાંબું વિચારે છે સત્તા)

વિચારથી ડરે છે સત્તા.

Loading

...102030...1,1581,1591,1601,161...1,1701,1801,190...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved