Opinion Magazine
Number of visits: 9563864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તકાલય અને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ 

સુમન શાહ|Opinion - Opinion|22 March 2023

== ગુજરાતી સાહિત્ય પરિષદમાં, એના ચી.મં. ગ્રંથાલયના સ્થાપના દિવસે, તારીખ ૧૭-મી માર્ચે આપેલા વ્યખ્યાનનું લેખ-રૂપ == 

સુમન શાહ

આ ક્ષણે મેં જોયેલાં પુસ્તકાલયો યાદ આવે છે : ડભોઇ : સયાજી બાળ પુસ્તકાલય, સયાજી સાર્વજનિક પુસ્તકાલય. વડોદરા : હંસા મહેતા યુનિ લાઇબ્રેરી (ઘણા લાયબ્રેરી બોલે છે, એક રીતે સાચું બોલે છે, પુસ્તકોને અને સાહિત્યકલાને લ્હાય લાગી છે ને બધું ‘બરી’ રહ્યું છે). હંસા મહેતા લાઇબ્રેરીનું એ મકાન બનતું જોવાથી ગમતું અને બની રહ્યું એ પછી એમાં બેસીને વાંચવાની ખૂબ મજા લીધેલી. ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ મારું પહેલું વિવેચન-પુસ્તક એમાં બેસીને લખેલું. ઉપલેટા, કપડવંજ અને બોડેલી -કૉલેજોની લાઇબ્રેરીઓ. અમેરિકામાં ફિલાડેલ્ફીઆમાં પેનની લાઇબ્રેરી. સ્વીચ દબાવો ને જોડે જોડેનાં રૅક્સ સાથેની આખી દીવાલ ખસે. પુસ્તક પાછું આપવું હોય તો બૉક્સમાં મૂકી દેવાનું. પન્નાબેન મને કહે, ચાલો હું તમને કંઈક બતાવું. ત્યાં એમણે મને જે બતાવ્યું તે એક પુસ્તક હતું – ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ! હું ‘આનન્દાશ્ચર્ય’ શબ્દ ભાગ્યે જ વાપરું છું પણ તે દિવસે આનન્દાશ્ચર્યનો સાક્ષાત્ અનુભવ કર્યો. એ હજી ત્યાં હશે, કોણે વાંચ્યું, કોણ વાંચશે, રામ જાણે !

અમદાવાદમાં, એમ.જે. અને વિદ્યાપીઠમાં કદીક ગયો છું. આ ચીમનલાલ મંગળદાસમાં કદી નથી આવ્યો. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીનો એક અનુભવ જાણવા જેવો છે. મારે એક પુસ્તક જોઈતું’તું. મેં નમ્બર વગેરેની કાપલી બનાવી લીધેલી. એક માણસ મને નીચેના માળે લઈ ગયો. એ શોધ કરતો ચાલ્યો. મેં એને કહ્યું – કયા રૅકમાં, આ નમ્બર પ્રમાણે છે, તે જુઓ ને. પણ એ કશું બોલે જ નહીં. મને ગુસ્સો આવતો’તો ને મારી નજર ધૂળ શોધતી’તી તે મને દરેક જગ્યાએ દેખાતી’તી. પુસ્તક ન મળ્યું. મેં કાઉન્ટર પરનાં બેનને પૂછ્યું – આ માણસ બોલતો જ નથી એવું કેમ? તો ક્હૅ – એ મૂંગો છે ! લાઇબ્રેરીમાં મૂંગા રહેવાનું હોય એમ શીખવનારો એ મને મહા મોટો શિક્ષક ભાસેલો ! પુસ્તકાલયમાં શાન્તિ જાળવવી જોઈએ એ આજ્ઞાનું જીવન્ત દૃષ્ટાન્ત હતો એ મૂંગેરીલાલ.

મારી હોમ-લાઇબ્રેરીમાં ગમતાં પુસ્તકો ઓછાં છે અને આવી પડેલાં અને રોજ આવ્યા કરતાં પુસ્તકો બહુ છે. તેનું હું વિસર્જન કરી રહ્યો છું અને મારા વડે લખાતાં પુસ્તકોનું સર્જન કરી રહ્યો છું, કોઈ ભાવિમાં થનારા એના વિસર્જન માટે.

આજના મારા વક્તવ્યમાં એક તીવ્ર પ્રશ્ન આ છે : પુસ્તકોની નિયતિ શી?

પુસ્તકાલયો? મેં કેટલીક કૉલેજોનાં પુસ્તકાલયોમાં તાળાંબંધ કબાટ જોયાં છે ! પુસ્તકોને સાચવે છે કે એમ સૂચવે છે કે વાપરવા માટે નથી? સાહિત્યકારો અને સાહિત્યરસિકોનાં ગૃહ ગ્રન્થાલયોમાં પુસ્તકો સચવાશે? એક નિવૃત્ત મુરબ્બી મિત્રે દસબાર પુસ્તકો મને પૂછ્યા વિના જ મોકલ્યાં, ચિઠ્ઠી મૂકેલી – તમારાં રસરુચિને અનુકૂળ આવે એવાં છે. એક-બે પુસ્તકોમાંથી સફેદ કીડા નીકળેલા. પુસ્તકો પસ્તીવાળા લઈ જશે? ગુજરીઓમાં જશે? કાગળ બનાવવાનાં કારખાનાંમાં જશે? કે પુસ્તકોને અગ્નિસ્નાન કરાવાશે? એક વાર એક પસ્તી લેનારો આવેલો, છાપાં તો લીધાં, પણ ક્હે – આ ચૉપડીઓ નથી આપવી? હું ને રશ્મીતા એકસાથે બોલેલાં – અત્યારે નહીં !

પુસ્તક માત્રનું છેલ્લે શું થવાનું? હું એના ઉત્તર લગી પ્હૉંચવા મથીશ.

પરમ્પરાગત પુસ્તકાલય સામે આજે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ ઊભાં થયાં છે. મોટું પ્લૅટફૉર્મ છે, ગૂગલ ક્લાઉડ. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે-દોડે છે, ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ, અને યૂટ્યુબ.

બીજાં વિવિધ પ્લૅટફૉર્મ્સ છે :

૧ : વિમીઓ, સ્પૉટિફાય અને યૂટ્યુબ. એ મીડિયા શૅરેન્ગિ પ્લૅટફૉર્મ્સ છે. એ સોશ્યલ મીડિયા ઍપ્સ છે. આપણે વપરાશકારો એ પર ફોટા વીડિયો ઑડિયો વગેરે મલ્ટિમીડિયા ફાઇલ્સ મૂકીએ છીએ ને શૅઅર કરીએ છીએ.

૨ : ટ્વીટર, ફેસબુક, લિન્ક્ડ્ઇન, અને ઇન્સ્ટાગ્રામ એવી જ સોશ્યલ મીડિયા સાઇટ્સ છે :

૩ : ક્વોરા, સ્ટૅકઓવરફ્લો, અને રેડીફ – નૉલેજ-બેઝ્ડ પ્લૅટફૉર્મ્સ છે. આ હૅલ્પ-સૅન્ટર સૉફ્ટવેર છે. એમાં આપણે એકબીજા માટે જાતે વિષયવસ્તુ સરજી શકીએ, તેનાં આયોજન કરી શકીએ. ક્વોરામાં માહિતીના પ્રશ્નોત્તરની એટલી બધી ચટાકેદાર સચિત્ર લીલા હોય છે કે તમને યાદ જ ન આવે કે તમારે મહત્ત્વનાં બીજાં અનેક કામ છે.

૪ : ગૃબહબ, ઉબર, અને ઍરબન્બ – સર્વિસ-બેઝ્ડ પ્લૅટફૉર્મ્સ છે. એ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે છે. સૉફ્ટવેરનો પ્રવાહ અસ્ખલિત ચાલે એ માટે મલ્ટિટેનન્ટ આર્કિટૅક્ચરનો વિનિયોગ કરે છે. ભૌતિક અને ડિજિટલ વિશ્વો વચ્ચે ડેટા, ડેટા-મૅનેજમૅન્ટ, ડેટા-સ્ટોરેજ, ડેટા-ઍનાલિસિસની માંગને પ્હૉંચી વળવા આઇ.ટી.ના વ્યાપારોને સંકોરે છે.

ગૂગલે એની એક વિકાસ-સભામાં કહેલું કે એની પાસે ૭ પ્રોડક્ટ્સ છે અને તેના ૧ બિલિયન વપરાશકારો છે. જીમેઇલ, ક્રોમ, મૅપ્સ, સર્ચ, યૂટ્યુબ, ગૂગલ પ્લેસ્ટોર, અને ઍન્ડ્રોઇડ – બે બિલિયન ઍક્ટિવ ડીવાઇસિસ ધરાવે છે.

મૅસેજિન્ગ ઍપ વ્હૉટ્સઍપના સક્રિય વપરાશકારો આશરે ૨૦૦૦ મિલિયન છે. એની પૅરન્ટ ફર્મ ફેસબુક મૅસેન્જરના ૧.૩ બિલિયન વપરાશકારો છે. ભારતમાં વ્હૉટ્સઍપના વપરાશકારો ૪૮૭ મિલિયન છે.

આ બધાં પ્લૅટફૉર્મ્સ જોડાયેલાં છે, ઇન્ટરનેટ સાથે. એમનું હાથવગું થાણું છે, કમ્પ્યૂટર.

કમ્પ્યૂટરમાં શું નથી? કમ્પ્યૂટરને હું વિશ્વના અભૂતપૂર્વ અને વિશાળ માહિતીભંડારોનો હજાર બારીબારણાંવાળો અને એ બહુ જ બહુ માળ ધરાવતો મહેલ કહું છું.

કમ્પ્યૂટરમાં, તમે માગો એ છે : વિશ્વભરનું સાહિત્ય. કાવ્ય, કથા, નાટક. તે-તેનાં શાસ્ત્રો. થીએટર. સિનેમા. ફિલ્મો. બધી જ લલિત કલાઓ. ઍજ્યુકેશન. અધ્યાત્મ અને પૂર્વનાં અને પશ્ચિમનાં બધાં જ તત્ત્વજ્ઞાન. મનોવિજ્ઞાન સહિતનાં બધાં જ સમાજવિજ્ઞાનો. બધાં જ નેચરલ સાયન્સિસ. હરેક પ્રકારની ડિક્ષનરીઓ, પ્રોનનસિએશનની પણ. સ્પેલચૅક. ગુજરાતી માટે સ્પૅલચૅક ક્યારે થશે? જોડણી અને મહામૂલા ‘સાર્થ જોડણીકોશ’-ની ભલામણો મુજબની જોડણી પૂરેપૂરી રફેદફે કે નષ્ટભ્રષ્ટ થઈ જાય એ પ્હૅલાં થાય તો સારું.

આ પ્લૅટફૉર્મ્સને જોઈને શરૂમાં હું નર્મદના જમાનાના માણસની જેમ બ્હાવરું બ્હાવરું જોતો’તો. એવા આગળના જમાનાનું ‘બુધવારિયું’ છાપું જોઈને પેલા બે જણા, જો મારામાં છે એ જ જગ્યાએ તારામાં છે, એમ કહેનારાની જેમ હું અચંબાથી અંજાયેલો હતો. પહેલી વાર કમ્પ્યૂટર પર લખ્યું ત્યારે લાગેલું કે આ ધરતી પરના કોઈ અજાણ્યા ટાપુ પર હરતોફરતો થઈ ગયો છું. હવા જ જુદી હતી. પિતાજી એક વાર વડોદરેથી મારા માટે કણવાળી પેન્સિલ અને પાકાં પૂઠાંની ૩૦૦ પાનની નોટબુક લાવેલા, મારી ખુશીનો પાર નહીં. એ નાનપણની નોટબુકમાં અને આ નોટબુકમાં એ જ કામ કરું છું, લખવાનું. પણ બેમાં ફેર છે. પેલી એક ડેડ આર્કાઇવ બની ગઈ છે, જ્યારે આનાં પાનાં બેહિસાબ છે અને બધું લેખન હાજરાહજૂર હોય છે.

પ્રાથમિક શાળામાં સ્લેટમાં ઘણા બધા ભાઈબંધો થૂંકથી ભૂંસતા, હું સ્વચ્છ પોતું લઈ જતો. લેખક થયો તેમાં, ચૅંકભૂંસ અને સુધારાવધારાથી લખાણ આડું જ નહીં પણ ઊભું, ત્રાંસુ, વચ્ચેની કોઇપણ કોરી જગ્યામાં ગોઠવાઈ ગયેલું થઈ જતું. એ નાનકડો સ્પર્શક્ષમ ગૂંચવાડો હતો. લેખકપત્નીની કરુણા જાગ્રત થતી – લેખકપતિ કેટલા કાર્યરત છે, શ્રમ લઇ રહ્યા છે. કાગળના ડૂચા વેરાયેલા પડ્યા હોય એને કામવાળી કાળજીથી વાળે એ વાતની કાળજી રાખતી. કાળી ને ભૂરી કે લાલ શાહીના ખડિયા ગયા, એ પડ્યા છે ગામડાગામના સૂકા કૂવા જેવા. વડોદરાની ‘પ્રતાપ’ પેનથી માંડીને દુનિયાભરની ઇન્ડિપેનો પણ ઊભી છે પુનર્જન્મની આશામાં જીવતી ડોશીઓની જેમ. મોતીના દાણા જેવા કે ટાઇપ્સ જેટલા મરોડદાર મારા હસ્તાક્ષર હમ્મેશને માટે ગયા. કંઈક લખું છું પછી મને જ નથી ઊકલતું.

પણ મારે “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ” માટે ઘરની પર્સનલ કે પબ્લિક લાઇબ્રેરીમાં જવાની જરૂર ન્હૉતી પડી. ચૅંકભૂસથી ઊભો થનારો ગૂંચવાડો કર્યા વિના મને ખોટું લાગે એ વાક્યને હું ડીલીટ કરી શકું છું. મને ગમતા કે મારા લખાણને સુસંગત એવા ગમે એટલા પ્રાચીન કે કાળગ્રસ્ત મનીષીનો ફોટો મૂકી શકું છું. લખતો હોઉં તેની સાથે, હરિપ્રસાદ ચૌરસિયાને જોતાં જોતાં સાંભળી શકું છું. ગમે એટલા અઘરા સ્પૅલિન્ગવાળા મહામનાના નામના ઉચ્ચારને એની મૂળ ભાષા પ્રમાણે તેમ જ બીજી અનેક ભાષાઓ પ્રમાણે સાંભળી શકું છું.

પુસ્તકાલય, ના, પુસ્તકાલયો, હવે મારા સ્ક્રીન પર છે. એ જ છે એનો ચિરંજીવી અવતાર. ત્યાંથી શરૂ થાય છે, પુસ્તકની નિયતિ. પુસ્તકનાં સમરિ રૂપો, એનાં અનૂદિત રૂપો, એની સમીક્ષાઓ ત્યાં જ છે.

આપણા જમાનામાં કહેવાયું કે અર્થનું મૃત્યુ થયું છે પણ અહીં પુસ્તકના મરણનો સંભવ જ નથી. અર્થમૃત્યુના સમાચારને ચોપાસથી તપાસી જોવાની સગવડ છે. કોઈ મોટાભાના ઓશિયાળા થવાની જરૂર નથી, એમને પણ તક નથી.

પુસ્તક વાચક માટે એટલું બધું નજીક છે, જાણે એનું હૈયું. એ હૈયામાં એ પુસ્તકનો વાચન-અનુભવ સંઘરાશે પણ વિકસતો રહેશે એ જ છે એની નિયતિ. 

પહેલાં પણ સંઘરાતો હતો પણ હવે એ અનુભવ એ-નો-એ નથી રહેતો, એમાં સુધારાવધારા થયા કરે છે. એ જ છે પુસ્તકવાચનનું ભવિતવ્ય જેમાં એના નિરન્તરના વિકાસની શક્યતા પડેલી છે. કેમ કે, એ વાચન કોઈ એક મલ્લીનાથના સિક્કા પછી અટકી ગયું નહીં હોય. રવીન્દ્રનાથની કૃતિનો અનુવાદ કોઈ એક નગીનદાસની સહી પછી અટકી ગયો નહીં હોય. શેક્સપીયરકૃત ટ્રેજેડીઝ વિશે એ.સી. બ્રૅડલિએ કરેલી સમીક્ષાઓ પછી પણ એ જ ભૂમિકાનાં બીજાં લેખનો થઈ શકતાં હશે.

માનવીય માહિતીસંસારને અને જ્ઞાનપુંજને સતત વિકસાવનારી આ નિત્યવર્ધમાન શક્યતા અભૂતપૂર્વ છે.

મારે એક વાત ભારપૂર્વક કહેવી છે. વેદો જો ‘અપૌરુષેય’ મનાય છે તો આ પ્લૅટફૉર્મ્સની ઉપયોગીતા ‘અપૌરુષેય’ લાગે એટલી બધી સહજ છે, પ્રયાસહીન છે. એવી બે ઉપયોગીતા વિશે દાખલા સહિતની વાત કરવા માગું છું :

એક છે, આપણા રસાનુભવનું દૃઢીકરણ.

કેવી રીતે? જુઓ, હવે આ બધાં પ્લૅટફૉર્મ્સ મારાં પુસ્તકાલયો છે. ‘પુસ્તકાલય’, ‘પુસ્તક’ અને ‘વાચન’ સંજ્ઞાઓના સંકેત બદલાઈ રહ્યા છે. આ પુસ્તકાલયોનાં આ બધાં વિવિધ અને બહુરૂપધારી ‘પુસ્તકો’-નો હું ‘વાચક’ છું. એનો ‘ગ્રન્થપાલ’ પણ હું છું. એની મદદો લઈને હું મારા રસાનુભવને સુધારી શકું છું.

દાખલા તરીકે, મને ‘તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ પંક્તિમાં, એના વ્યાપક સંદર્ભમાં ‘શાન્તરસ’ દેખાયો છે. કાશ્યપની એ ઉક્તિ પાસે હું થંભી ગયેલો. મને યાદ આવ્યું હતું કે આ પ્રસંગને ભલે કરુણમાં ગણાવાય છે, પણ મને એમાં શાન્તરસ અનુભવાયો છે. અને આનન્દવર્ધન જેવા મહાન કાવ્યાચાર્ય પણ દર્શાવી ગયા છે કે ‘મહાભારત’-માં પ્રમુખપણે વ્યાપક રસ કોઈ હોય તો તે શાન્ત છે. તો હું સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થયેલા સમગ્ર રસવિધાનમાં જવા માગું તો આ પુસ્તકાલયો મને તુરન્ત મદદ કરશે. હું અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાન્તની શબ્દની તાત્પર્યશક્તિની ચર્ચા પાસે જવા માગું તો જઈ શકીશ. રસના મૂળમાં ધ્વનિ છે કહેનારા ધ્વનિવાદ જેવી એકથી વધુ સિદ્ધાન્તસરણીઓ પાસે પણ જઈ શકીશ. ટૂંકમાં, મદદ માટે આ પ્લૅટફૉર્મ્સ પર કેટલાયે સુજ્ઞો મારી સમીપે ઊભા હોય છે. અથવા હું એમની સમીપે જઈ શકું છું.

બીજી અપૌરુષેય મદદ મેળવી શકું છું chatGPT પાસેથી. બે માસ પૂર્વે ચિ. મદીરે એની વાત કરેલી. એનું પૂરું નામ છે, ચૅટજનરેટિવ પ્રીટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર. આ એક aichatbot છે. એ nlp-નો એટલે કે, નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનો વિનિયોગ કરે છે. એની સ્થાપક openai કમ્પની કહે છે કે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ભૂમિકાએ વિકસાવાયેલું એક નૂતન મૉડેલ છે. ગૂગલ સર્ચ અને ચૅટજીપીટીમાં ફર્ક એ છે કે ગૂગલ હનુમાનજીની જેમ આખો પર્વત ઉપાડી લાવશે, જ્યારે આ તો સંજીવનીનો માત્ર છોડ જ લાવશે. તમે માગ્યું એ જ આપવું અને એના કેન્દ્રમાં રહીને સંવાદના વર્તુળને વિકસાવવું એ એની વિશેષતા છે.

એ આપણી જોડે વાતચીત કરતું હોય એમ, સંવાદની રીતે, વર્તે છે, અલબત્ત, બોલીને નહીં, પણ હું જો એને પૂછું કે ગુણસુંદરીના ઘરસંસારમાં માનચતુર અને ધર્મલક્ષ્મી એની સાથે કેવોક વર્તાવ રાખે છે, તો એ મને ‘સરસ્વતીચંદ્ર’-માં જોઈને યોગ્ય ઉત્તર આપશે. હું એને કંઈક બીજું પૂછીશ કે ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન કયા કયા વિદ્વાનોએ ચર્ચ્યો છે તો એ મને સુરેશ જોષી સુધી લઈ જશે. અમારી વચ્ચેના એવા સંવાદમાં એની કશીક ભૂલ હશે તો, સુધારશે.

એટલું જ નહીં, ખોટી સ્થાપનાઓને ચૅલેન્જ પણ કરશે. એને હું પૂછું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોષી પછી કોની વિચારસરણી પ્રભાવક નીવડી છે, તો એ કહેશે કે, સુરેશ જોષીની. હું પૂછું કે એ હકીકતને મચડવાનો પ્રયાસ કોણે કર્યો તો એનું નામ અને જેમાં એ મચડાટ છે એ લેખને હાજર કરશે. એવાં એવાં ઉપજાવી કાઢેલાં જેટલાં જૂઠાણાં હશે,‘પોસ્ટ ટ્રુથ’, એ તમામ વિશે રહસ્યસ્ફોટ કરશે. પરિણામે, હવે ખોટા ઇતિહાસ નહીં લખી શકાય.

સામે, ચૅટજીપીટી મારી અનુચિત માગણીઓને પણ ફગાવી દેશે. હું આને એક સુલક્ષણા અને પરિશુદ્ધ વિદ્વાનનું વર્તન ગણું છું. કુદરતી બુદ્ધિવાળો આપણો કહેવાતો વિદ્વાન, બની બેઠેલો મોટાભા, અંગત રાગદ્વેષ ભેળવીને જે પ્રકારની ગરબડ-સરબડ કરે, એ આ આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સની હન્ડ્રેડ પરસૅન્ટ વસ્તુલક્ષીતામાં શક્ય જ નથી.

ગુજરાતી ભાષા અને એના સાહિત્ય વિશે ચૅટજીપીટી હજી અભ્યાસો કરી રહ્યું છે. પણ એના વિધિસરના chat.openai.com પોર્ટલ પર જાય એને એ હાલ મફત વાપરવા દે છે, પછીના સમયમાં ફી માગે, કે ન પણ માગે.

આ બધાં પ્લૅટફૉર્મ્સની મોટી એક મદદ એ છે કે હું જે છું એ જ રૂપે સંસાર સામે રજૂ થઈ શકું છું. એ મારા જ્ઞાનને જાહેરમાં મૂકવાની મારી હિમ્મતને દાદ આપે છે. હું મારી પ્રામાણિકતાને સૂર્યપ્રકાશ હેઠળ મૂકું છું. વિશ્વનો કોઈપણ મનુષ્ય એની ચકાસણી કરી શકે છે. આ ઓપનનેસ પણ અ-પૂર્વ છે.

જેમ કે, હું મારું પુસ્તક પ્રોડ્યુસ કરી શકું છું, મારું પુસ્તકાલય ખડું કરી શકું છું. એ માટે મારે ઘોડા કે કબાટ વસાવવાની જરૂર નથી. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીના પેલા મૂંગેરીની જેમ અહીં બધાં જ મને મૂંગે મૉંએ મદદ કરે છે. હું મારી પોતાની વેબસાઇટ કે બ્લૉગ ખોલીને બધી જ રીતે જાહેર થઈ શકું છું. હું પોડકાસ્ટ પર મારા સાહિત્યકાર સાથીમિત્ર સાથે સંવાદ રચી શકું છું. એનાં ઍપિસોડ્સ કરી શકું છું. સ્ટ્રીમયાર્ડ કે ઝૂમ પર સાહિત્યચર્ચાઓ રાખી શકું છું. સાહિત્યજનો ઓછાં પણ લોકો જ જેમાં વધારે હોય છે એવાં સાહિત્યકલાના જીવને ન છાજે એવાં ભદ્દાં લોકાર્પણ કાર્યક્રમોને સ્થાને એ પુસ્તક વિશે અભ્યાસ કરીને આવેલા ત્રણ-ચાર મિત્રોની વાતો સાથે ઇ-મિત્રાર્પણ કાર્યક્રમ યોજી શકું છું.

પણ જો નીવડેલા લેખકો આ બધી નવતાઓને આત્મસાત્ કરશે નહીં તો કશો જ લાભ થશે નહીં. દેશી નામાની પદ્ધતિ ગઈ એમ પરમ્પરાગત લેખન અને એવું જ પછાત સાહિત્ય કાયમ માટે કદાચ લુપ્ત થઇ જશે. કેમ કે હવે કોઇ પેપર અને પેન લઇને લખવા બેસવાનું નથી. અને નીવડેલાઓ કઈ સમ્પદા સાચવવાને જોડાતા નથી એ જો નવોદિતો સમજશે તો એ દિશાએથી મળનારા લાભને પણ તેઓ આ નવતાઓની મદદથી પોતાનાં લેખનોમાં ઉમેરી શકશે. 

હું ભૂતકાળમાં આસાનીથી જવાય એટલે દૂર જઉં છું એ મારો વર્તમાન હોય છે અને ભવિષ્ય તો મારા હાથમાં જ હોય છે. કાળની આ પ્રવાહિતા આમ પણ સૂચવાઈ છે – આપણે નેવિગેટ કરીએ – સ્ક્રોલ કરીએ – સ્ટ્રીમિન્ગ કરીએ તે શેમાં કરીએ છીએ? એક અપ્રતિમ એવા ડિજિટલ પ્રવાહમાં.

ભવિષ્યમાં પરમ્પરાગત પુસ્તકાલયો પણ ડિજિટલ સગવડોવાળાં થઈ ગયાં હશે, કમ્પ્યૂટર પર જ પુસ્તક, લેખ, લેખક જાતે શોધી લેવાં પડશે. એ પછી જ જે તે સ્થાનેથી મળશે. અમેરિકામાં હું જ્યાં રહું છું એ પીઓરીઆ શ્હૅરની પબ્લિક લાઇબ્રેરી એવી અદ્યતન છે. એમાં પુસ્તકો ઉપરાન્ત, મૂવીઝની કે જાતભાતના સ્ટડીઝની ડીવીડીઝ છે. ઑડિયો બુક્સ છે. સ્પોકન ઑડિયો પણ ઉપલબ્ધ છે. સોફા પર બેસીને વાંચી શકો એવા આરામદાયક સોફા ઠેકાણે ઠેકાણે પાથરેલા છે. ઉનાળાની ગરમીથી બચવા માટે એમાં સૅન્ટ્રલ એ.સી. છે. શિયાળાની ઠંડીથી બચવા તમારા સોફા સામે જ ફાયરપ્લેસ છે. તમારે બે કે ચાર મિત્રોને નાની સભા કરવી છે તો કાચની કૅબિન્સ છે. પણ બધું જ તમારે તમારા કમ્પ્યૂટરથી કે લાઇબ્રેરીનાં કમ્પ્યૂટર્સથી શોધી લેવાનું રહે. તમે ગૂંચવાવ ને લાઇબ્રેરીના કર્મચારીઓ પાસે મદદ માગો તો પ્રેમથી આપશે.

ત્યાં પહેલી વાર મેં દૉસ્તોએવસ્કી કામૂ કાફકા કે સાર્ત્રની સૃષ્ટિઓની કક્ષાનાં પુસ્તકો શોધવા મથામણ કરેલી પણ નિષ્ફળ ગયેલો. મેઇન લાઇબ્રેરિયનબાનુ મને કહે, ધિસ ઇઝ પબ્લિક લાઈબ્રેરી, સર. મને ભાન પડેલું કે જનતાજનાર્દન માટેનું સાહિત્ય વિપુલ છે અને તે પણ ખાસ્સું સુવાચ્ય તેમ જ રસપ્રદ હોય છે.  

= = =

(March 20, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીવારસાનાં નારીરત્નો : : બિરદ ભોંય પર પદચિહ્નો

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|21 March 2023

“વિશ્વ જેમને ‘મહાત્મા’ નામથી ઓળખે છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને સૌથી વધુ નજીકથી જેમણે જાણ્યા હોય તો તે છે કસ્તૂરબા. ગુજરાતીમાં કહેવત છે ને, ‘મહાદેવના ગુણ તો પાર્વતી જાણે’. કસ્તૂરબાએ ગાંધીજીનાં સહધર્મચારિણી બનીને ગાંધીજીનાં કાર્યને વધુ દિપાવ્યું  છે.”

બાપુની સામે અને સાથેના પ્રથમ સત્યાગ્રહી : કસ્તૂરબા

“પૂતળીબાઈએ જેમ ગાંધીજીને વ્યસનથી દૂર કર્યા તેમ તામિલનાડુના કસૂવા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં તરુણ બાળકો વ્યસનથી દૂર રહે તે માટે ૨૦૧૫માં પાંચમી ઑગસ્ટે પૂતળીબાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દરેક બાળકે પોતાની માતાનો હાથ પકડીને દારૂનું વ્યસન નહીં કરવાની  પ્રતિજ્ઞા લીધી હતી.”

મોહનની મા : પૂતળીબાઈ

“ગાંધીજીના મંત્રી તરીકે મહાદેવભાઈ દેસાઈનું નામ જાણીતું છે; પરંતુ ગાંધીજીની ગેરહાજરીમાં આશ્રમનું કામ સંભાળી લઈને તેની માહિતી ગાંધીજી જ્યાં હોય ત્યાં પત્રવ્યવહારથી પહોંચાડવાનું કાર્ય કરતાં કુસુમબહેન દેસાઈનું નામ પ્રમાણમાં ઓછું જાણીતું રહ્યું. તેમણે ગાંધીજીનાં મંત્રી તરીકે પણ થોડો વખત કાર્ય કર્યું હતું.”

ગાંધીજીનાં કર્મઠ સાથીદાર : કુસુમબહેન દેસાઈ

“આજે પણ આપણે રામ અને શ્રવણ જેવા આદર્શ પુત્રોની કથા સાંભળીને નવી પેઢી સમક્ષ તેવાં ઉદાહરણો આપીએ છીએ. આ એવા પુત્રો છે જેમણે માતા-પિતાને આપેલા વચન પ્રમાણે જીવન સમર્પિત કરી દીધું પણ આવું જ કાર્ય કોઈ પુત્રીએ કર્યું હોય તો સામાન્ય રીતે તેની નોંધ જરૂર પૂરતી જ લેવાઈ છે. પિતાની પડખે ઊભા રહીને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હોય એવાં પુત્રી એટલે મણિબહેન પટેલ. તેઓ ‘સરદાર પુત્રી’ તરીકે પણ જાણીતાં હતાં.

ગાંધી વિચારને વરેલી સરદાર પુત્રી : મણિબહેન પટેલ 

ઉપરોક્ત શીર્ષકો અને અવતરણો મોસમ ત્રિવેદી લિખિત પુસ્તક ‘ગાંધી વારસાનાં  નારીરત્નો’માંથી નોંઘ્યાં છે. કોઈપણ વ્યક્તિનાં જીવનકવનને સમગ્રપણે જોઈ-વિચારી-સમજીને શબ્દાંકિત કરવાનું કાર્ય આ લખ્યું એટલું સહેલું નથી.

નારીવાદી સમાજશાસ્ત્રી લેખિકા તરીકે તટસ્થ રહીને એક અગત્યના ઐતિહાસિક સમયખંડને આવરી લઈને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, પર્યાવરણીય નિસબત ધરાવતી  પ્રતિબદ્ધ કર્મશીલ સ્ત્રીઓની યશગાથાનું લેખન અને સંકલન પ્રકાશિત કરનાર બહેન મોસમ, સંપાદક કેતન રુપેરા અને અણમોલ પ્રકાશનના ડો. ગૌરાંગ જાનીની આ એક અલગ અને વિશિષ્ટ પ્રકારની સમાજસેવા છે એવું મને લાગે છે. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ ન. શાહે તેમ જ ગાંધી આચારવિચાર સમર્પિત કર્મશીલ કોકિલાબહેન વ્યાસે આવકાર્યું છે. સાદગીને વરેલાં ગાંધીમાર્ગના પ્રસારક અને પ્રેરક ઈલાબહેન ભટ્ટને અર્પણ થયું છે.

આ પુસ્તક માટે જાણીતાં ઇતિહાસના પ્રોફેસર ફાલ્ગુની પુરોહિત લખે છે, “એ ૧૮૬૨માં જન્મેલા જમનાબાઈ સક્કાઈથી લઈ ૧૯૩૯માં જન્મેલાં કોકિલાબેન વ્યાસ જેવાં ગાંધી મૂલ્યોને જીવન સમર્પિત કર્યુ હોય તેવી ૬૦ મહિલાઓનાં જીવન ચરિત્રનું આલેખન છે. એ રીતે આ પુસ્તક ૭૭ વર્ષનાં સમયખંડને આવરી લેતા નારી ઇતિહાસનું પણ પુસ્તક છે.

પુસ્તકની પ્રસ્તાવના જાણીતાં નારીવાદી બકુલા ઘાસવાલાએ લખી છે. બકુલાબહેને આ મહિલાઓની પ્રવૃત્તિઓને વિશાળ ઐતહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવી છે.

પુસ્તકનું સંપાદન યુવા ગાંધી અભ્યાસી કેતન રૂપેરાએ કર્યુ છે. તેમણે અત્યંત ખંત અને મહેનતથી આ નારીરત્નોનાં જન્મ, અવસાનની માહિતી ઉપલબ્ધ કરાવી છે. દરેક નારી ચરિત્રમાં આ નારીરત્નો છબિ સાથે કોઈક ખાસ વાત બોક્ષમાં મૂકવામાં આવી છે . વિશિષ્ટ માહિતી સાથેની આ સજાવટ આંખને પણ આનંદ આપે છે !

પુસ્તકની સરળ ભાષા સામાન્ય વાચકની જ્ઞાન પિપાસાને સંતોષે છે. તો પુસ્તકના અંતમાં અપાયેલ સંદર્ભ સાહિત્યની સૂચિ અભ્યાસુઓને વિશેષ અભ્યાસ માટે પ્રેરે છે.

અણમોલ પ્રકાશનનું આ બીજું પુસ્તક છે.

ગાંધીજીએ સમગ્ર ભારતની પ્રજા પર દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી એક વિશિષ્ટ પ્રભાવ ઊભો કર્યો. દેશભરમાં પ્રવાસ કર્યા પછી સમસ્યાઓથી તૃણમૂળ સુધી પરિચિત થયા પછી એમણે વખતોવખત વિવિધ આંદોલનોને ગતિમાન કર્યા અને પોતાની રીતિનીતિ સાથે એને પરિણામલક્ષી પણ બનાવ્યાં. આંદોલન દરમિયાન અને જ્યારે આંદોલનો સ્થગિત હોય ત્યારે એમણે સમાજસુધારા માટે, લોકચેતના માટે રચનાત્મક કાર્યો શરૂ કર્યા, કરાવ્યાં અને લોકોને જોડ્યાં. સ્વનિર્ભરતા, વ્યસનમુક્તિ, અસ્પૃશ્યતા જેવાં સામાજિક દૂષણો અને કુરિવાજો દૂર કરવાથી લઈ સાર્થ જોડણી કોશની રચના કરાવવા સુધીનાં કાર્યો એમણે હસ્તક લીધાં અને પાર પણ પાડ્યાં. આ કાર્યોમાં એમણે મહત્ત્વનું કાર્ય સ્ત્રીઓને સ્વતંત્રતા આંદોલનમાં જોડીને સક્રિય કરવાનું પણ કર્યું. એમનાં કાર્યો અને વિચારોથી પ્રભાવિત સ્ત્રી કાર્યકર્તાઓનાં જીવન-કવનને ઉજાગર કરતું આ પુસ્તક વાચનરસ ધરાવતા જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ માટે પૂરતું ભાથું લઈને આવ્યું છે. મને આ પુસ્તકની પ્રસ્તાવના લખવાની તક મળી એમાં ભાઈ ગૌરાંગ અને મોસમનો મારા પરનો વિશ્વાસ છે એવું મને લાગે છે. મૂળ પ્રસ્તાવના તો ખાસ્સી લાંબી લેખણે લખાયેલી છે. ગાંધીવિચાર માર્ગે અને સમાજના કલ્યાણ-વિકાસ માટે કાર્યરત સ્ત્રી-કર્મશીલો માટે સોનલ શુક્લ, ગાર્ગી વૈદ્ય – યશવંતદાદા, આ લખનાર અને અન્ય લેખકોએ લખ્યું જ છે ત્યારે યુવા લેખિકા મોસમે એને એક વિશિષ્ટ નામાભિધાન અને સમયખંડના પરિપ્રેક્ષ્યમાં સંકલિત કરીને અલગ ભાત ઉપસાવી છે.

સપ્તાહના સૌથી વધુ આવકાર પામેલા પુસ્તક તરીકે એની ગણના થઈ ચૂકી છે એટલે ગુજરાતી પ્રજાની વાચનરુચિ માટે આદરભાવ સાથે શિષ્ટવાચનના પ્રસાર માટેની આશા વઘારે પ્રદીપ્ત થાય છે. અભિયાન સામયિકમાં પ્રગટ દસ બેસ્ટ સેલર બુક્સમાં સ્થાન પામેલા પુસ્તક તરીકે નોંધાયેલી ઘટના સુખદ અને સંતર્પક લાગે છે. મોસમ, ભાઈ ગૌરાંગ અને કેતન રુપેરાને  અભિનંદન.

વલસાડ
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધીરુબહેન પટેલ: જીવન અને લેખનમાં આસન સે મત ડોલ

દીપક મહેતા|Profile|21 March 2023

ના, આ પરીકથા નથી. પણ એક ખરી કથા છે. આજથી નવેક દાયકા પહેલાંના મુંબઈ શહેરમાં એક છોકરી રહે. પરીકથામાં રાક્ષસને રોજ એક બત્રીસ લક્ષણો ખાવા જોઈએ. આ ખરી કથામાં છોકરીને રોજ એક નવી ચોપડી વાંચવા જોઈએ. પિતા રોજ સાંજે કામ પરથી ઘરે આવે ત્યારે એને માટે એક નવી ચોપડી લેતા આવે. બીજે દિવસે તો ચોપડી પૂરી. છોકરી હતી ભારે નસીબદાર. વાંચવા માટે એની પાસે ત્રણ-ત્રણ મહેલ. ઘરના કંપાઉન્ડમાં આવેલું વડનું મોટું ઝાડ તે એક નંબરનો મહેલ. ઘટાદાર આંબલી એ બે નંબરનો મહેલ. અને નાની ચીકુડી તે ત્રણ નંબરનો મહેલ. મન થાય તે મહેલમાં બેસીને અંધારું થાય ત્યાં સુધી ચોપડી વાંચીને પૂરી કરે. ક્યારેક નવી ચોપડી ન મળે ત્યારે દુઃખીના દાળિયા થઈ જાય, અને એ નાની ધીરુ મોટી ધીરુને કાગળ લખે : ‘મોટી ધીરુ : વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુઃખ પડે છે. નાના છોકરાઓ માટે તો જરૂર જરૂર લખજે ને મહેરબાની કરી સલાહો ન આપતી. લિ. નાની ધીરુ.’

આ નાની ધીરુ એટલે આપણા આલા દરજ્જાના લેખક ધીરુબહેન પટેલ. ના, લેખિકા નહિ. શું જીવનમાં કે શું સાહિત્યમાં સ્ત્રી તરીકે ગ્રેસનો (વધારાનો) એકે માર્ક ન માગ્યો કે ન સ્વીકાર્યો. સોળ વરસની ઉંમરે ૧૯૪૨માં ‘સંદેશ’ વર્તમાનપત્રના દિવાળી અંકમાં પહેલી વાર્તા છપાઈ ત્યારથી માંડીને લગભગ છેલ્લા દિવસો સુધી ધીરુબહેન લખતાં રહ્યાં. જો કે લખવાનું કામ સહેલું નહોતું. થોડાં કાવ્યો લખેલાં તે એક વાર આપણા મૂર્ધન્ય સાક્ષર બલવન્તરાય ઠાકોરને બતાવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘મારું માને તો હમણાં કવિતા લખવાનું રહેવા દે. પહેલાં ગદ્ય પાકું થાય પછી કવિતાનો વારો.’ રામપ્રસાદ બક્ષી જેવા મોટા ગજાના વિદ્વાન જ્યાં આચાર્ય હતા એ સાંતાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં ભણવા માટે દાખલ થયાં. જાણીતા અભ્યાસી વિવેચક ભૃગુરાય અંજારિયા ગુજરાતીના શિક્ષક. તેમણે એક વાર ટોણો માર્યો : ‘જીવનના યાદગાર પ્રસંગોએ પણ કવિતાની ચાર લીટી ય લખી ન શકે તેને કાંઈ શિક્ષિત કહેવાય?’ પત્યું. ધીરુબહેને મનમાં ગાંઠ વાળી લીધી : ‘હવેથી જે કાંઈ લખવું તે જાતને પૂછીને જ લખવું. બીજા કોઈ ચમરબંધી લેખકને પણ પૂછીને નહિ.’ અને પોતાનાં ઢગલાબંધ પુસ્તકો દ્વારા ધીરુબહેને વાચકો માટે પણ ત્રણ મહેલ બનાવ્યા : પહેલો કથા-નવલકથાનો, બીજો નાટક-એકાંકીનો અને ત્રીજો પેલી નાની ધીરુ જેવાં બાળકો માટેનાં વાર્તા-નાટક-કાવ્યો-જોડકણાંનો.

ધીરુબહેન પટેલ

ધીરુબહેનનો જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવન અને લેખનનું કાઠું ઘડાયું તે તો મુંબઈમાં અને મુંબઈથી. ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી સાથે એમ.એ. કરી અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક થયાં. પણ પછી બધો સમય લેખનને આપી શકાય એ માટે કોલેજની નોકરી છોડી. એ વખતે જ નક્કી કર્યું કે હવે પછી કોઈ પણ જાતની નોકરી કરવી નહિ. પછીથી સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના સ્થાપક તંત્રી થયાં, પણ ત્યારે પગાર કે ભથ્થાં પેટે પણ એકે રૂપિયો લીધો નહિ.

૧૯૫૫માં પહેલાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘અધૂરો કોલ’ વાર્તાસંગ્રહ, અને ‘પહેલું ઇનામ’ નાટક. પણ એક મોટા ગજાના લેખક તરીકે વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચાયું તે તો ૧૯૬૩માં ‘વડવાનલ’ નવલકથા પ્રગટ થઈ ત્યારથી. તે પછી પ્રગટ થઇ વાવંટોળ, શીમળાનાં ફૂલ, વમળ, ગગનનાં લગન, કાદમ્બરીની મા, એક ડાળ મીઠી, અતીતરાગ, આગંતુક. ૧૯૯૬માં પ્રગટ થયેલી આગંતુક નવલકથા માટે ધીરુબહેનને ૨૦૦૧માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો.

અધ્યાપક બન્યાં પછી થોડો વખત ધીરુબહેન વિવેચન અને પુસ્તક સમીક્ષા લખવા તરફ વળ્યાં. વિવેચક તરીકે તેમણે ઘણાનું ધ્યાન પણ ખેંચ્યું. પણ જેમની પાસે સ્કૂલમાં ભણેલાં તે રામપ્રસાદ બક્ષી એક વાર સાન્તાક્રુઝના ટાગોર રોડ અને સરસ્વતી રોડના નાકે મળી ગયા ત્યારે તેમણે લાલ બત્તી ધરી : ‘ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઈ જશો. તમારે એ નથી થવાનું – બહુ સભાન થઈ જશો તો સર્જકતા કદાચ ખોઈ બેસશો. એ ન કરશો.” બસ, ગુરુ આજ્ઞા શિરોધાર્યા.

પહેલી નવલકથા ‘વડવાનલ’ જન્મભૂમિ-પ્રવાસીમાં હપ્તાવાર પ્રગટ થતી હતી. બાકીના બધા દિવસ ધીરુબહેન ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના અનુવાદ કરે અને ગુરુવારે ‘વડવાનલ’નું એક પ્રકરણ લખે. આ રીતે એક વરસ લખીને એ નવલકથા પૂરી કરી. ત્રીજા જ પ્રકરણ વખતે ધીરુબહેન ભારે અસ્વસ્થ. તેમને વિચારમાં ડૂબેલાં જોઇને માતા ગંગાબહેન પટેલે પૂછ્યું : ‘શું થયું છે?’ ‘બા! લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કંઈ નથી. આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” મા તરત બોલ્યાં : ‘લોકોની દરકાર કરે એનાથી લેખક થવાય?’ આ એક જ ટોણો બસ હતો. તે દિવસથી ધીરુબહેનની કલમ સડસડાટ ચાલવા લાગી, તેમણે પોતે ધારેલે રસ્તે જ.

ગંગાબહેન એટલે એ જમાનાનાં એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની. ગાંધીજી અને બીજા ઘણા નેતાઓ સાથે ઓળખાણ. આઝાદીની લડત દરમ્યાન જેલમાં પણ ગયેલાં. પિતા ગોરધનભાઈ વેપારી, પણ મુક્ત મનના. ધીરુબહેન બે-ત્રણ મહિનાની ઉંમરનાં હતાં ત્યારે ઘરમાં તેમના કાન વીંધાવવા અંગે ચર્ચા થવા લાગી. ત્યારે પિતાએ બહુ દૃઢતાથી કહ્યું : ‘એ મોટી થાય અને એનો પોતાનો નિર્ણય કરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ જોઈએ. એને પૂછ્યા વગર આપણે એના કાન કઈ રીતે વીંધાવી શકીએ?’ અને એટલે ધીરુબહેનના કાન ક્યારે ય વિંધાયા નહિ. ધીરુબહેને કહ્યું છે : ‘મારી અંદરનું જીવન લીલુંછમ રહી શક્યું એનું મુખ્ય કારણ મારાં માતા-પિતા. એમણે મને હંમેશાં મારી રીતે જીવવા દીધી છે.’

ધીરુબહેનને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં મેં તેમને પૂછેલું : ‘તમે આજીવન ખાદી પહેરી છે, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં તમે ગાંધીવાદી નથી, એમ કેમ?’ તેમનો જવાબ : ‘ગાંધીજી પોતે ગાંધીવાદી નહોતા એટલે જ તો તેમને ચાહું છું.’ ધીરુબહેન જેમ ગાંધીવાદી નહિ તેમ નારીવાદી પણ નહિ. નવલકથા, વાર્તા, નાટક વગેરેમાં અનેક સબળ નારીપાત્રોનું સર્જન તેમણે કર્યું. અને છતાં રૂઢ અર્થમાં તેમને નારીવાદી કહી ન શકાય. આ અંગે તેમને પૂછતાં જવાબ મળેલો : ‘હું નારીવાદી નથી કારણ હું નથી બધા પુરુષોને ધિક્કારતી કે નથી દરેક સ્ત્રી દેવી હોય છે એમ માનતી.’

ધીરુબહેનને કશાનો છોછ નહિ. રેડિયો, ટી.વી., રંગભૂમિ, ફિલ્મ વગેરે માટે પણ લખે. પોતાની જાતને પૂછીને લખે તેમ બીજાની જરૂરિયાત પ્રમાણે પણ લખી આપે. આપણા જાણીતા સર્જક ગુલાબદાસ બ્રોકરે એક સંપાદન માટે ધીરુબહેન પાસે વાર્તા માગી. પણ જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવતી હોય એવી વાર્તા જોઈએ. ધીરુબહેને તરત કહ્યું : ‘એવી વાર્તા તો મેં લખી નથી. પણ તમે બે કલાક રાહ જોઈ શકો તો લખીને મોકલું.’ પછી તો એ વાર્તા બીજાં પણ ઘણાં સંપાદનોમાં લેવાઈ. એવી જ રીતે તેમણે એકમાત્ર ગઝલ પણ લખી આપેલી જેને વરસનાં શ્રેષ્ઠ કાવ્યોના સંપાદનમાં પણ સ્થાન મળેલું.

ધીરુબહેન એટલે સામા પૂરે તરનાર અઠંગ તરવૈયા. સત્તાણુ વરસની ઉંમરે નબળી થતી જતી તબિયત સામે છેલ્લા દિવસ સુધી ઝઝૂમ્યાં. તેમણે લખવાનું શરૂ કર્યું ત્યારે હજી લેખિકાઓને વિવેચકો બહુ ગંભીરતાથી જોતા નહિ. બીજું, એ વખતે આપણા સાહિત્યમાં ઘટનાનું તિરોધાન, ભાષાકર્મ, આકૃતિબંધ વગેરેના હઠાગ્રહવાળું આધુનિકતાનું વાવાઝોડું ફૂંકાતું હતું. ત્યારે બીજાને નહિ પણ પોતાને પૂછીને લખવું અઘરું. પણ ધીરુબહેન એટલે ‘આસન સે મત ડોલ.’ અને એટલે જ સાચી સર્જકતા રૂપી ‘પિયા’નું મિલન તેમને થયું.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ચિત્રલેખા”; 29 માર્ચ 2023 તારીખનો અંક 

Loading

...102030...1,1581,1591,1601,161...1,1701,1801,190...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved