લવ ગ્રોવમા પ્રેમની સુવાસને બદલે ગંદા પાણીની બદબૂ
રાજાના નામનો બગીચો ને રાજાના નામનો રોડ
ધનજી ઉવાણે પાય, ભૂપ ભીખંતો દીઠો,
સુરજી ન દેખે આંખ, બોલતો કડવું મીઠો.
હીરો માણેક, મોતિયો, રતનિયો કથીર દેખે નહિ,
કવિ શામળ કહે સંસારમાં, કારણ નામ રહ્યું કહીં?
યથા નામ તથા ગુણ એવી ઉક્તિ કરતાં ઊંધી વાત અહીં આપણા મધ્યકાલીન કવિ શામળે કરી છે. નામ કરતાં વિપરીત ગુણ, કે ગુણ કરતાં વિપરીત નામ! આપણી ભાષાનાં નવલકથા, નાટક વગેરેમાં ઘણા દાયકાઓ સુધી ગુણ પ્રમાણે પાત્રોનાં નામ આપવાનો ચાલ હતો. જેમ કે, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથામાં આવતાં શઠરાય, પ્રમાદધન, વિદ્યાચતુર, ગુણસુંદરી, જેવાં નામો. પણ આવાં નામ અપવાદરૂપ હોય. કદાચ શામળની વાત વ્યવહારમાં વધુ સાચી હોય એમ બને.
પણ આજે આ શામળની, ને નામની વાત કેમ? કારણ મુંબઈનું એક નામ, જે એની સ્થિતિ કરતાં સાવ ઊંધું છે. તમે ત્યાં ભલે કદિ ગયા ન હો, પણ રસ્તા પરથી પસાર થતાં નામનું પાટિયું તો જોયું જ હોય: ‘લવ ગ્રોવ પર્જન્ય જલ ઉદંચન કેન્દ્ર’. હકીકતમાં ગંદા પાણીને દરિયામાં વહેવડાવી દેતાં પહેલાં અહીં તેને ‘શુદ્ધ’ કરવામાં આવે છે, અને પછી ઓટને વખતે દરિયામાં વહાવી દેવામાં આવે છે. પણ આવા કેન્દ્રનું નામ ‘લવ ગ્રોવ’ કેમ? અને આ માત્ર કેન્દ્રનું નામ નથી, આખા વિસ્તારનું નામ છે. અને એ નામની પાછળ છે એક પ્રેમકથા.
૧૯મી સદીમાં લવ ગ્રોવ
એક જમાનામાં વરળીની ટેકરી પર ગાઢ જંગલ હતું. એક ખુશનુમા સાંજ. બીજાઓની નજરોથી બચવા એક યુવક અને યુવતી ટેકરીના પગ પાસે, ખાડીનાં પાણીમાં પગ બોળીને બેઠાં હતાં. બંનેને એકબીજા વગર નહોતું કશું દેખાતું, નહોતું કશું સંભળાતું. શું થયું એ તો રામજી જાણે, પણ છોકરી અચાનક પડી ખાડીનાં પાણીમાં. અને એક જોરદાર મોજાએ એને દૂર ફંગોળી. બીજી જ ઘડીએ છોકરાએ પણ પાણીમાં ઝંપલાવ્યું. પોતાની પ્રેમિકાને બચાવવા ઘણા ફાંફાં માર્યાં. પણ વ્યર્થ. બંને ખાડીનાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયાં.
એ જમાનો બ્રેકિંગ ન્યૂસનો નહોતો. એટલે છેક બીજે દિવસે મુંબઈના લોકોને આ વાતની ખબર પડી. કેટલાયે લોકો એ જગ્યા જોવા ઊમટી પડ્યા. અને તેમણે એ જગ્યાનું નામ પાડી દીધું : લવ ગ્રોવ. ૧૮૩૮માં સર રોબર્ટ ગ્રાન્ટ મુંબઈના ગવર્નર બન્યા. તેમણે અહીં ડ્રેનેજ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. ૧૮૪૨માં અહીં પમ્પિંગ સ્ટેશન બન્યું. પેલા જુવાન પ્રેમીઓની કરુણ દાસ્તાન ગવર્નર સાહેબને કાને પડી. અને તેમણે જાહેર કર્યું કે આ ટેકરી, આ પમ્પિંગ સ્ટેશન હવેથી ઓળખાશે લવ ગ્રોવ તરીકે. એ વિસ્તારનું સત્તાવાર નામ તો આજે બદલાઈ ગયું છે. પણ પેલા પમ્પિંગ સ્ટેશનનું નામ તો એનું એ જ છે : લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન.
તો આ નામ અંગે બીજી પણ એક વાત નોંધાઈ છે. કંપની સરકારના અમલદારો અને સૈનિકો તો મુંબઈના ફોર્ટ કહેતાં કિલ્લાની અંદર રહેતા. પણ એ વખતે અહીં ઘણા અંગ્રેજ વેપારીઓ પણ હતા. તેઓ મઝગાંવ વિસ્તારમાં આવેલા બંગલાઓમાં રહેતા, પોતપોતાની પત્ની અને છૈયાં-છોકરાં સાથે. પણ તેમાંના કેટલાકને દ્વૈતીયિક પ્રેમસંબંધો પણ ખરા. આવા વેપારીઓ મઝગાંવથી ખાસ્સી દૂર આવેલી ટેકરીની તળેટીમાં નાનાં કોટેજ બંધાવતા, અને અવારનવાર ત્યાં પ્રેમાલાપ કરતા. તેથી એ જગ્યાનું નામ પડ્યું લવ ગ્રોવ. પણ પછી વખત જતાં અહી બંધાયું ગંદા પાણીને, વરસાદના પાણીને શુદ્ધ કરવાનું કેન્દ્ર. આખા વિસ્તારમાં પ્રેમને બદલે પથરાતી થઈ જાતજાતની દુર્ગંધ. એ કેન્દ્ર સાથે તો ‘લવ’ જોડાયો, પણ ત્યાંના એક રસ્તાને પણ નામ મળ્યું વરળી લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન રોડ! ખરું જોતાં એનું નામ પાડવું જોઈતું હતું ‘પુષ્કળ દુર્ગંધ રોડ.’
થોડા વખત પહેલાં એક મિત્રે વાતવાતમાં પૂછેલું : મુંબઈના રસ્તા અને ઇમારતો સાથે અંગ્રેજો સ્ત્રીઓનાં નામ જોડતા કે નહિ? એ વખતે તો થોડાં નામ સૂઝેલાં : વિક્ટોરિયા ટર્મિનસ, વિક્ટોરિયા ગાર્ડન, ક્વીન્સ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ. એવું એક વધુ નામ તે લેડી હાર્ડિન્જ રોડ. એ વખતની બી.બી.સી.આઈ. રેલવેના માટુંગા સ્ટેશનના ફાટકથી લેડી જમશેદજી રોડ થઈને માહિમ બજાર રોડ સુધીનો ૬૦ ફૂટ પહોળો રસ્તો ૧૯૧૪માં બંધાયો. એ વખતના મ્યુનિસિપલ કમિશનર પી.આર. કેડલે આ વાત સત્તાવાર રીતે ૧૯૧૪ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે જણાવી. એ વખતે ૩,૧૦૦ ફૂટ લાંબા આ રસ્તા પર લાઈટના થાંભલા ખોડવાનું કામ ચાલુ હતું. આ કામ પૂરું થાય એટલે રસ્તો લોકો માટે ખુલ્લો મૂકાશે એમ કમિશનરે જણાવ્યું. તેમણે એમ પણ ઉમેર્યું કે આ રસ્તાના બંને છેડાને આગળ લંબાવવાની પણ યોજના છે. તેમને મતે મુંબઈના બધા રસ્તાઓમાં આ રસ્તો સૌથી વધુ સુંદર હતો. અને પછી તેમણે દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તાની સાથે લેડી હાર્ડિન્જનું નામ જોડવું જોઈએ. અને એ દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ.
લેડી હાર્ડિન્જ
પણ આ લેડીસાહેબા હતાં કોણ? એ વખતની મુંબઈ સરકારમાં કોઈ સ્ત્રી ઊંચા હોદ્દા પર પહોંચી હોય એવું તો જાણવા મળતું નથી. આ લેડીસાહેબાના પિતા અને પતિ બંને હતા ‘લોર્ડ’. પિતાનું નામ લોર્ડ એલિંગ્ટન. ૧૮૬૮માં જન્મ. ૧૮૯૦માં લગ્ન કર્યાં લોર્ડ હાર્ડિન્જ સાથે. આ લોર્ડસાહેબ ૧૯૧૧થી ૧૯૧૬ સુધી હિન્દુસ્તાનના વાઈસરોયના પદે રહ્યા હતા. લેડી હાર્ડિન્જ મુંબઈની મુલાકાતે આવેલાં, પણ તે પછી થોડા જ વખતમાં, ૧૯૧૪ના જુલાઈમાં, તેમનું અવસાન થયું. એટલે આ રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. દિલ્હીમાં તેમના નામની કોલેજ આવેલી છે, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, જે ફક્ત સ્ત્રીઓ માટેની જ કોલેજ છે. જ્યારે હિન્દુસ્તાનનું પાટનગર દિલ્હી ખસેડવામાં આવ્યું ત્યારે જ લેડીસાહેબાએ નક્કી કર્યું હતું કે અહીં સ્ત્રીઓને મેડિકલ શિક્ષણ આપવા માટે ખાસ કોલેજ હોવી જોઈએ. ૧૯૧૪ના માર્ચની ૧૭મીએ લેડી હાર્ડિન્જે જ તેના મકાનનો પાયો નાખેલો. ત્યારે એ કોલેજને નામ આપેલું ક્વીન મેરી કોલેજ એન્ડ હોસ્પિટલ. પણ પછી ૧૯૧૪ના જુલાઈની ૧૧મી તારીખે લેડી હાર્ડિન્જનું અવસાન થયું. ક્વીન મેરીએ પોતે ખાસ સંદેશો મોકલ્યો કે આ હોસ્પિટલ સાથે મારા નામને બદલે લેડી હાર્ડિન્જનું નામ જોડાય તે જ યોગ્ય ગણાય. એટલે ૧૯૧૬ના ફેબ્રુઆરીની સાતમી તારીખે જ્યારે વાઈસરોય લોર્ડ હાર્ડિન્જે તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે નામ બદલીને રાખવામાં આવ્યું લેડી હાર્ડિન્જ કોલેજ.
કવિ કાન્તના ‘વસંતવિજય’ નામના ખંડકાવ્યમાં એક પંક્તિ આવે છે :
નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.
પણ રાજાજીની પરવાનગી માગી હોય, છતાં તેમનો હુકમ આવે જ નહિ, આવે જ નહિ, તો શું કરવાનું? તેમણે હુકમ કર્યો છે એમ માનીને આગળ ચાલવાનું. આવું જ કૈંક બન્યું હતું બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ સાથે. ૧૯૧૧ના એપ્રિલની ૨૦મી તારીખે તેની મિટિંગમાં ચેરમેને દાદર-માટુંગા સ્કીમની વિગતવાર ચર્ચા કરી. વિન્સેન્ટ રોડ પર એક ગોળાકાર બગીચો બનાવવા અંગે, ત્યાંથી છેક ક્રાફર્ડ માર્કેટ સુધી ૧૫૦ ફૂટ પહોળો રસ્તો બાંધવા વિષે, જણાવ્યું. અને પછી દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તા સાથે નામદાર મહારાજા પંચમ જ્યોર્જનું નામ જોડવું. પણ કોઈએ સવાલ કર્યો કે મહારાજાની અનુમતિ વગર આપણે આ રીતે તેમનું નામ કોઈ રસ્તા અને ગાર્ડન સાથે જોડી શકીએ ખરા? એટલે ‘પ્રોપર ચેનલ’ દ્વારા પંચમ જયોર્જની અનુમતિ માટે અરજ ગુજારવામાં આવી. પણ શું આજની કે શું ગઈ કાલની, શું અહીંની કે શું તહીંની, સરકારો બધી સરખી. ડાઈનોસોરની જેમ હલનચલન મહામુશ્કેલીએ કરે. એટલે નેક નામદારની પરવાનગીની રાહ જોઈ જોઈને ટ્રસ્ટ તો થાક્યું. છેવટે વિચાર્યું કે આપણે તો નેક નામદારને માન જ આપવું છે ને! એટલે આગળ વધો. ૧૯૧૬માં સરસ મજાનો ગોળ બગીચો બનાવ્યો તેને નામ આપ્યું કિંગ્સ સર્કલ ગાર્ડન. ત્યાંથી ક્રાફર્ડ માર્કેટ સુધીનો રસ્તો તો નહિ, પણ એલ્ફિન્સ્ટન રોડ પરના જૂના ટ્રામ ટર્મિનસ સુધીના રસ્તાને નામ આપ્યું કિંગ્ઝ વે. એ વખતની જી.આઈ.પી. રેલવેની હાર્બર લાઈન પરના નજીકના સ્ટેશનનું નામ પણ કિંગ્ઝ સર્કલ. આ સ્ટેશન અને માટુંગા સ્ટેશન સાવ નજીક. પણ માટુંગા મેન લાઈન પરનું સ્ટેશન.
વિહંગ દૃષ્ટિએ આજનું કિંગ્ઝ સર્કલ
૧૯૪૭ પછી ધીમે ધીમે અંગ્રેજોનાં નામ હટાવવાની અને નવાં નામ આપવાની શરૂઆત થઈ. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કિંગ્ઝ ગાર્ડનનું નવું નામ પડ્યું, બી.એન. માહેશ્વરી ઉદ્યાન. આ નવા નામની તકતી મોરારજી દેસાઈને હાથે મૂકાઈ હતી. એ વખતે તેઓ કેન્દ્રીય સરકારમાં નાણાં મંત્રી હતા. એ વાતને લગભગ ૬૦ વરસ થયાં, પણ આજે ય મુંબઈના ઘણા લોકો તો આ જગ્યાને કિંગ્ઝ સર્કલ તરીકે જ ઓળખે છે. અને હજી સુધી તો સેન્ટ્રલ રેલવેએ સ્ટેશનનું નામ બદલ્યું નથી. પણ ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે!
પણ જેનું નામ તેનો નાશ નક્કી છે. એટલે જ નરસિંહ મહેતા કહી ગયા છે : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં. એટલે રસ્તાનાં નામ બદલાય તેનો ઝાઝો હરખશોક કરવો નહિ. ગઈ કાલે જે નામ હતું તે આજે નથી. આજે છે તે આવતી કાલે હશે કે નહિ તે કોઈ કહી શકે તેમ નથી. તો ફરી જઈએ શામળભટ્ટ પાસે.
જે નામ તેહનો નાશ છે, ધર્મ જ એવો ધારવો,
કવિ શામળ કહે મૂરખ કરે ગંદી દેહનો ગારવો.
જે જાયું તે જાય, ફૂલ ખીલ્યું તે ખરશે,
ભર્યું તેહ ઠલવાય, ચઢ્યું તે તો ઊતરશે.
લીલું તે સૂકાય, નવું તે જૂનું થાશે,
આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 29 એપ્રિલ 2023)