Opinion Magazine
Number of visits: 9458281
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમિતાભનું કથન ચોંકાવનારું પણ વધારે રાહત પહોંચાડનારું

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2022

વર્તમાન યુગના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને તેમના ટીકાકારોને સુખદ આંચકો આપ્યો છે અને શાસકોને ઝટકો આપ્યો છે. અમિતાભ બચ્ચન અને આવું બોલે! બન્ને પક્ષને વિસ્મય થઈ રહ્યું છે.

પણ તમને આની જાણ નથી ને? ક્યાંથી હોય! ગોદી ગલૂડિયાં તમને એ જ કહે છે જે કહેવાનું તેમને કહેવામાં આવ્યું હોય અને એ નથી કહેતા જે ન કહેવાનું તેમને કહેવામાં આવ્યું હોય.

દેશમાં કોરોનાનો ઉપદ્રવ શરૂ થયો ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી મહાભારતનાં યુદ્ધનો જેમ ૧૮ દિવસમાં અંત આવ્યો હતો તો કોરોના જીવાણુનો અંત તો એનાથી પણ વહેલો આવશે. હું કહું છું ને! બસ, પણ તમારે એક કામ કરવાનું છે. તેમણે દેશની જનતાને એક ટોટકો આપ્યો હતો કે તમારે ચોક્ક્સ દિવસે ચોક્ક્સ સમયે સપરિવાર હાથમાં થાળી લઈને પીટવાની છે અને કોરોનાનાં જીવાણુને કહેવાનું છે કે ‘ગો કોરોના ગો….’ અનેક લોકોએ થાળી પીટી હતી, જેમાં અમિતાભ બચ્ચન અગ્રેસર હતા. તેઓ પૂરા પરિવાર સાથે તેમના બંગલાની અગાશીમાં ગયા હતા અને શ્રદ્ધાપૂર્વક થાળી પીટીને કોરોનાને દેશ છોડી જવાની તાકીદ કરી હતી. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે મોટી સંખ્યામાં મીડિયા અમિતાભ બચ્ચન અગાશીમાં પહોંચે એ પહેલાં બંગલાના રોડની સામેની બાજુએ પહોંચી ગયા હતા અને કેમેરા ગોઠવીને તૈયાર હતા. દેખીતી રીતે મીડિયાને આગોતરી જાણ કરવામાં આવી હોય તો જ આવું બને. અમિતાભ બચ્ચને હોંશે હોંશે એક હાસ્યાસ્પદ ઘટનામાં ભાગ લીધો હતો.

અને તમને એ વાતની તો જાણ હશે જ કે અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રેન્ડ એમ્બેસેડર હતા. નરેન્દ્ર મોદીની ભારતનાં કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનની તુલનામાં શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકેની અને ઇતિહાસમાં ક્યારે ય ન થયા હોય એવા નેતા તરીકેની ઓળખ વિકસાવવામાં અને હવે પછી દેશના વડા પ્રધાનપદ માટે ઉત્તમ ઉમેદવાર તરીકે પ્રોજક્ટ કરવામાં અમિતાભ બચ્ચનનો ગુજરાતનાં બ્રેન્ડ એમ્બેસેડર તરીકે ફાળો હતો.

માટે આ લખનાર સહિત અનેક લોકો અમિતાભ બચ્ચનને મહાન કલાકાર પણ કરોડરજ્જુ વિનાના સામાન્ય દરજ્જાના ઈન્સાન તરીકે જોતા આવ્યા છે. અંગત નુકસાન થાય એવી ક્યારે ય કોઈ ભૂમિકા નહીં લેવાની.

પણ આ વખતે તેમણે ચોંકાવી દીધા.

કોલકોતામાં યોજાયેલા આંતરરાષ્ટૃીય ફિલ્મ મહોત્સવના ઉદ્દઘાટન સમારંભમાં અમિતાભ બચ્ચને ૩૦ મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. તેમનાં લેખિત ભાષણમાં તેમણે ભારતીય સિનેમાનો રાજ્ય સાથેના સંબંધોનો અને સમાજના ઠેકેદારો સાથેના સંબંધોનો એક ચિતાર આપ્યો હતો. આઝાદી પહેલાંનો અને આઝાદી પછીનો. સિનેમાસર્જકોએ અથડામણ વહોરી હતી. પોતાના અવાજને ગૂંગળાવા નહોતો દીધો. શાસકો અને સ્થાપિત હિતોની સામે પડીને તેમણે અદના આદમીને તેમ જ શોષિતોને વાચા આપી હતી. હિન્દુ મુસલમાન વચ્ચે તિરાડ પાડવાના અંગ્રેજોના પ્રયત્નોને નિષ્ફળ બનાવવામાં અને મુસલમાનોની પડખે ઊભા રહેવા અને એ રીતે દેશની સામાજિક એકતા જાળવી રાખવામાં ફિલ્મસર્જકોએ એક ભૂમિકા નિભાવી હતી.

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સર્જન સ્વાતંત્ર્યનો તેમ જ સામાજિક સરોકારનો એક સદીનો મનનીય કેનવાસ આપ્યા પછી તેમણે વર્તમાનની વાત કરી હતી જેમાં સત્તાવાર સેન્સરનો માર્ગ અપનાવ્યા વિના સામાજિક અને પ્રજાકીય દબાવોનો ઉપયોગ કરીને સર્જન સ્વાતંત્ર્યને રુંધવામાં આવી રહ્યું છે. તેમનો ઇશારો શાહરૂખ ખાનની ફિલ્મ વિશે હતો. આમિર ખાનની ફિલ્મના કરવામાં આવેલા બહિષ્કાર વિષે હતો. એ પછી તેમણે આજકાલ ઇતિહાસની કોઈ ઘટના કે ઇતિહાસ પુરુષને લઇને ફિલ્મો બનાવવાનો જે દોર ચાલી રહ્યો છે તેનો ઉલ્લેખ કર્યો હતો અને તેને તેમણે અંગ્રેજીમાં ઇમેજિનરી ઝિંગોઇઝમ (કાલ્પનિક રાષ્ટ્રવાદી ઉન્માદ) તરીકે ઓળખાવ્યો હતો. આમાં કોઈ ઐતિહાસીક ઘટના અને ઇતિહાસ પુરુષ તો એક નિમિત્ત હોય છે મુખ્ય એજન્ડા કાલ્પનિક રાષ્ટ્રવાદી ઉન્માદ પેદા કરવાનો હોય છે.

તેમણે તેમનાં ભાષણમાં જે છેલ્લી વાત કહી એ તો કોઈ સામાજિક હિતોને વરેલા પ્રતિબદ્ધ કલાકાર કહે એવી હતી. તેમણે સત્યજીત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અત્યારે સમય આવી ગયો છે કે આપણે તેમની પાસે પાછા જઇએ. તેમણે સિનેમાને સાર્થકતા આપી હતી. અને એ પછી કહ્યું હતું કે આવતું વર્ષ સત્યજીત રાયનું શતાબ્દી વર્ષ હશે, પણ અત્યારે સત્યજિત રાય હયાત હોય તો? તેમણે ખાસ સત્યજિત રાયની ફિલ્મ ‘‘ગણશત્રુ’’નો ઊલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આજે જો સત્યજિત રાય હયાત હોય તો તેમની હાલત એવી થઈ હોત જેવીતેમના ‘‘ગણશત્રુ’’ના નાયકની થઈ હતી.

ઘણા વાચકોને ‘ગણશત્રુ’ ફિલ્મ વિશે ખાસ કોઈ જાણકારી નહીં હોય એટલે અહીં થોડો પરિચય કરાવવો રહ્યો. ‘ગણશત્રુ’ હેનરિકઇબ્સનની મહાન કૃતિ ‘એન એનીમી ઓફ ધ પીપલ’ પર આધારિત છે. ફિલ્મની કથા એવી છે કે એક કસબામાં અશોક ગુપ્તા નામના લોકો માટે નિસબત ધરાવનારા એક તબીબ રહે છે. કસબામાં અચાનક કમળાના કેસો વધવા લાગે છે. ડૉક્ટર અશોક ગુપ્તાને સમજાય જાય છે કે આ પ્રદૂષિત પાણીનું પરિણામ છે. ગામના દરેક કૂવા અને જળાશયોનાં પાણીની ચકાસણી તેઓ કરે છે પણ કોઈ પાણી બિમારી પેદા કરે એવું પ્રદૂષિત નહોતું. એક દિવસ તેમનાં ધ્યાનમાં આવ્યું કે લોકો ભક્તિભાવથી મંદિરમાં જાય છે અને ત્યાં તેમને ચરણામૃત આપવામાં આવે છે અને લોકો એ પીવે છે. ડૉ. ગુપ્તા ચરણામૃતનાં પાણીની ચકાસણી કરે છે અને ધ્યાનમાં આવે છે કે ચરણામૃતનું પાણી પ્રદૂષિત છે.

મંદિર પ્રસિદ્ધ હતું. તેનું ચરણામૃત દરેક અસાધ્ય રોગોને પણ મટાડે એવું ચમત્કારી માનવામાં આવતું હતું. લોકો દૂરદરાજથી દર્શન કરવા અને ચરણામૃત પીવા આવતા હતા, તેની બંધ ટબૂડીઓ વેચાતી હતી, ધર્માચાર્યો લાખો રૂપિયા કમાતા હતા, બીજા અનેક ધંધા મંદિર પર આધારિત હતા અને આ ડૉક્ટર કહે કે પાણી પ્રદૂષિત છે એટલે ચરણામૃત ચમચીભર પણ પીવામાં ન આવે. લોકો ભલે મરે પણ ધંધો બંધ ન થવો જોઈએ. ડૉક્ટર અશોક ગુપ્તા પણ મોટા પ્રમાણમાં બીમાર પડતા દરદીઓની સારવાર કરીને પૈસા કમાઈ શક્યા હોત અને તેમને એવી સલાહ પણ આપવામાં આવી હતી, પરંતું તેમનો માંહ્યલો જાગતલ હતો. તેમણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને શું થયું ખબર છે? તેમને સ્થાપિત હિતોએ પ્રજાના શત્રુ જાહેર કર્યા. ધર્મવિરોધી અને નાસ્તિક જાહેર કરવામાં આવ્યા. પછી તેમને જે રીતે સતાવવામાં આવ્યા એની કોઈ સીમા નહોતી. સતાવનારાઓમાં તેમાંના સગા ભાઈ પણ હતા જે રાજકારણી હતા. લોકો અંધભક્ત બની રહે અને તેમની કયારે ય આંખ ન ખૂલે એમાં તેમનો સ્વાર્થ હતો. લોકો મરે એનાથી તેમને કોઈ ફરક નહોતો પડતો. ધર્મ, સત્તા અને વાણિજ્યની ધરી રચાય છે અને એ ધરી એટલી શક્તિશાળી હોય છે જે એક ભલા માણસને પણ પ્રજાના શત્રુ જાહેર કરી શકે છે. 

આપણને ગુજરાત વિરોધીઓની એક જમાત ઓળખી બતાવવામાં આવી હતી. હજુ હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતનાં શત્રુ તરીકે વડા પ્રધાને મેધા પાટકરને ખાસ યાદ કર્યાં હતાં. એ સિવાય હિન્દુઓના શત્રુ, દેશના શત્રુ, રાષ્ટ્રના શત્રુ એવી મોટી યાદી છે જેનાથી તમે વાકેફ છો. કદાચ તમે પણ એ યાદી લઇને ફરતા હશો. વાસ્તવમાં આ લોકો પ્રજામિત્ર છે જે પ્રજાનાં હિતની વાત કરે છે પણ ઉપર કહી એવી ધરીને એવા માણસો પોસાતા નથી એટલે તેમને ‘‘ગણશત્રુ’’ અર્થાત્ પ્રજાનાં શત્રુ જાહેર કરવામાં આવે છે. ગમે તે થાય પ્રજાની આંખ ખુલવી ન જોઈએ. એ માટે ભાઈ પણ ભાઈની વિરુદ્ધ જઈ શકે.

અમિતાભ બચ્ચને કહ્યું કે આજે જો સત્યજિત રાય હયાત હોય તો તેમની હાલત એવી જ થાય જેવી તેમની ફિલ્મના નાયકની થઈ હતી. અમિતાભ બચ્ચનનું આ કથન ભલે ચોંકાનારું છે પણ એનાથી વધારે રાહત પહોંચાડનારું છે. હવે ઘડીભર વિચારો કે નસીરુદ્દીન શાહ કે આમીર ખાન કે શાહરૂખ ખાને આ વાત કહી હોત તો? તો ગોદી ગલૂડિયાં તેમનાં પર તૂટી પડ્યાં હોત. ભક્તો ક્રોધાયમાન થઈને ધુણતા હોત. પણ અમિતાભ બચ્ચન તો મહાનાયક છે, કરોડો લોકો તેમને ચાહે છે એટલે તેમનાં કથનને ઢબૂરી દેવામાં આવ્યું. ખબર પ્રસારિત કરવાની નહીં કે તેના વિષે બોલવાનું જ નહીં! અનુપમ ખેરને પણ કહેવામાં આવ્યું હશે કે દેશપ્રેમ પર લગામ રાખવાની છે.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનાં વિશે ભક્તોએ વિચારવું જોઈએ. શા માટે સમયને અતિક્રમી જનારા મહાન સર્જકો ‘‘ગણશત્રુ’’ બનાવે છે અને ‘કાશ્મીર ફાઈલ્સ’ નથી બનાવતા? અથવા શા માટે ‘કાશ્મીર ફાઈલ્સ’ બનાવનારાને માત્ર બે મહિનામાં જ્યુરીની ઝાપટ ખાવી પડે છે જ્યારે ‘‘ગણશત્રુ’’ને દાયકાઓ પછી પણ યાદ કરવામા આવે છે? જવાબ સરળ છે. કઢીચટ્ટાઓ મહાન કૃતિ ન આપી શકે અને મહાન સર્જકો કઢી ન ચાટી શકે. અમિતાભ બચ્ચનને પણ એવું લાગવા માંડ્યું હશે કે વ્યવસાયી હિતો અને ભય અંદર બેઠેલા સર્જકને મારી રહ્યો છે. એક કલાકારનો તરફડાટ અસહ્ય બનવા લાગ્યો હશે અને બોલી નાખ્યું!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2022

Loading

સાયબોર્ગ : ઓર્ગેનિક જીવન બહારનું નવું ‘જીવન’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 December 2022

દુનિયાની સૌથી મોટી ફોટો શેરીંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર લિલ મિક્યુલા નામની મોડેલ-કમ-મ્યુઝીક આર્ટીસ્ટનું એકાઉન્ટ છે. એ બ્રાઝિલિયન છે, ૧૯ વર્ષની છે અને સેક્સી છે. એનો દાવો છે કે તે કેલિફોર્નિયાના ડોવનીમાં રહે છે. ૨૦૧૬માં એ ઇનસ્ટાગ્રામ પર આવી હતી. ૨૦૧૭માં એનું ‘નોટ માઈન’ નામનું પહેલું ગીત આવ્યું હતું. એ પછી એનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં છે. એ નિયમીતપણે મોડેલ્સ, કલાકારો અને સંગીતકારો સાથે એના ફોટા અપડેટ કરે છે. સેલ્ફી પણ મૂકે છે. એ જાણીતી બ્રાંડનાં વસ્ત્રોનું મોડેલીંગ કરે છે. એનું ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પણ છે. એક ઈ-મેઈલ એડ્રેસ પણ ખરું. ઇન્ટરનેટની દીવાની આજની પેઢીમાં આ લિલી સેક્સ-સિમ્બલ છે. 2022 સુધીમાં એના 30 લાખ ફોલોઅર્સ થયાં છે.

એમાં એક જ મુશ્કેલી છે; લિલ મિક્યુલા નામની કોઈ છોકરી અસ્તિવમાં નથી. આ માત્ર એનો ડિઝીટલ અવતાર છે. મતલબ કે એને કોમ્પ્યુટરના ગર્ભાશયમાં પેદા કરવામાં આવી છે. લિલ મિક્યુલા કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજ (સી.જી.આઈ.) છે. લોસ એન્જીલીસ સ્થિત ‘બ્રુડ’ નામની સ્ટાર્ટઅપ કંપનીએ એનું સર્જન કર્યું છે. આ કંપની આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સમાં કામ કરે છે.

૧૯૯૫માં, ‘ટોય સ્ટોરી’ નામની એક હોલિવૂડ કોમેડી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ પહેલી કોમ્પ્યુટર-એનીમેટેડ ફિલ્મ હતી. તે પછી ‘સ્ટાર વોર્સ,’ ‘ટ્રોન’ અને ‘જુરાસિક પાર્ક’માં કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી તો આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજીમાં એટલી પ્રગતિ થઇ છે કે માણસ જેવાં મગજવાળા હાલતાં-ચાલતાં રોબોટ અને કોમ્પ્યુટર-પાત્રો બની રહ્યાં છે.

આજથી ૧૦ વર્ષ પહેલાં, કૃત્રિમ બુદ્ધિ(આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ)ની વાતો જોરશોરથી થતી હતી, ત્યારે ઘણાને એ તુક્કા જેવી લગતી હતી. આપણને ભલે હજુ રોબોટથી પનારો પડ્યો ન હોય, પણ ફેસબુક, ગૂગલ, આઈ.બી.એમ. વાટસન અને માઈક્રોસોફ્ટ માણસના બ્રેઈનની જેમ જ આપણી સાથે વર્તી રહ્યાં છે. હવે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સમાં માણસની પાંચ ઇન્દ્રિયો – જોવું, સાંભળવું, સુંઘવું અને સ્પર્શ કરવું આવશે.

આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ શું કરી શકશે એનો આ લેખ સાથેનો ફોટોગ્રાફ પુરાવો છે. અહીં દેખતા એક પણ ચહેરા જીવતા લોકોના નથી, ન તો એ કોઈ ફોટોશોપ રમત છે. આ આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરેલા ફોટા છે. એને ફોટા કહેવાય કે કેમ એ પણ પ્રશ્ન છે, કારણ કે મૂળભૂત રીતે બહુ બધા ન્યુરલ નેટવર્કના સમન્વયથી ઉપજાવી કાઢેલા ચહેરા છે, જે સાચા ચહેરાથી ભિન્ન નથી. મશીનમાં જો ઈમોશન પેદા થાય તો માણસની જેમ આવી રીતે ચહેરામાં વ્યક્ત કરી શકે. આ ટેકનોલોજીથી તમે તમારું સંતાન ભવિષ્યમાં કેવું દેખાશે એ જોઈ શકશો, અને કોઈકને ફોર્જરી કરવી હશે, તો તસ્વીરી પુરાવા પણ ઊભા કરી શકશે.

વાત આટલેથી અટકતી નથી. આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ અને બાયોએન્જિનિયરિંગ ક્ષેત્રમાં જે કામ થઇ રહ્યું છે, તેમાં માણસ અને બીજાં જીવોને ‘હેક’ કરવાનું, એમાં ફેરફાર કરવાનું અને નવા સ્વરૂપે તેમને પેદા કરવાનું સંભવ બનશે. પૃથ્વી ઉપર કરોડો વર્ષોથી દરેક પ્રકારનું જીવન ઓર્ગેનિક (કાર્બનિક, સેન્દ્રિય) ક્ષેત્રમાં સીમિત રહ્યું છે. અમીબા હોય, ડાયનાસોર હોય, નાળિયેર હોય, પોટેટો હોય કે મનુષ્ય હોય, તે સૌ જૈવિક પદાર્થોના સંયોજનથી બનેલા છે, અને તેને ઓર્ગેનિક બાયોકેમિસ્ટ્રીના નિયમો લાગુ પડે છે, પણ હવે આ સીમા તોડીને ઓર્ગેનિક અને ઓટોમેટિક પ્રોગ્રામ(રોબોટ)ના સંયોજનથી સાયબોર્ગ (સાઈબરનેટીક જીવ) બનવાનું કામ ચાલી રહ્યું છે.

એમાં એવા પ્રયોગો થઇ રહ્યા છે કે શરીરમાં શું થઇ રહ્યું છે તેની જાણ બાયોનિક સિસ્ટમને થાય. લાખો નેનોરોબોટ્સ અને સેન્સર્સ ઈમ્યુન સિસ્ટમમાં શું થઇ રહ્યું છે તેનું ધ્યાન રાખે. તે કેન્સર કે બીજા રોગોની શરૂઆત નોંધશે અને એને રોકશે. આ સિસ્ટમ તમારા મૂડ, ઈમોશન અને વિચારોનું મોનિટરીંગ કરશે. એનો મતલબ કે બહારની સિસ્ટમ, તમે ખુદને ઓળખો છો, તેના કરતાં વધુ સારી રીતે તમને ઓળખશે. એ સિસ્ટમ ગૂગલ પાસે હોઈ શકે, એમેઝોન પાસે હોઈ શકે અથવા સરકાર પાસે પણ હોઈ શકે.

ગુસ્સો હોય કે પ્રેમ હોય, માનવીય ઈમોશન મૂળભૂત રીતે બાયોકેમિકલ પ્રક્રિયા છે. ડોક્ટર જેમ તાવનું નિદાન કરે છે, તેવી રીતે સિસ્ટમમાં ઈમોશનનું નિદાન પણ થશે. આ એક પ્રકારનું ડેટા-કલેક્શન છે, જે આરોગ્યની સેવા પૂરી પાડવા કામ લાગશે, અને સરકારોને લોકોની મન:સ્થિતિનો પણ તાગ આપશે. ઇતિહાસમાં એક સમયે જમીન સૌથી અગત્યનો રિસોર્સ હતી. એ પછી મશીનો સંપત્તિ બન્યાં. હવે ૨૧મી સદીમાં ડેટા, પેટ્રોલ-ડીઝલની જેમ, કીમતી જણસ બની છે. આ ડેટાની માલિકી કોની હશે, એ સૌથી મોટો પ્રશ્ન હશે. આધાર કાર્ડને લઈને જે લડાઈ થઇ રહી છે, તેમાં કરોડો લોકોની પર્સનલ માહિતીનો જે ડેટા છે, તેની પ્રાઈવસીની ચિંતા છે.

માનવ જીવનની પ્રગતીનો ઇતિહાસ કહે છે કે જે પણ નવી ટેકનોલોજીની શોધ થઇ છે, એના સારા ઉપયોગની સાથે એનો દુરપયોગ પણ થયો જ છે. વીજળી માટેની ન્યુક્લિયર તકનીકમાંથી ખતરનાક બોમ્બ બન્યા, ઝડપથી ઊડીને બીજી જગ્યાએ જવાની વિમાનની ટેકનોલોજીમાંથી બીજા દેશને તહસનહસ કરવાના જેટ બોમ્બર બન્યાં. નવી ટેકનોલોજીના કંટ્રોલનો સવાલ હંમેશાં રહ્યો છે, અને ૨૧મી સદીમાં આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની ચેલેન્જ પણ એ જ હશે. જેની પાસે તાકાત હશે, સત્તા હશે એની પાસે તેની માલિકી હશે. તે એનો ઉપયોગ કેવી રીતે કરશે, તે ના તો આપણને ખબર છે કે ન તો આપણને પૂછવા આવશે.

સાયન્સ અને ટેકનોલોજીથી સુવિધાઓ વધે છે, એનો અર્થ એ નથી કે દુનિયા ઉત્તમ બનશે. દુનિયા જોખમી પણ એટલી જ બને છે. બીજા ગ્રહો પર જીવનની શોધખોળ જ એટલે માટે થઇ રહી છે કે, આ પૃથ્વી રસાતાળ જાય (જે અનિવાર્ય જ છે), ત્યારે જેની પાસે ક્ષમતા હોય, એ બિસ્તરા-પોટલાં લઈને બીજે ઘર વસાવે. સાયન્સ અને ટેકનોલોજી માણસને તાકાતવર બનાવે છે, એ ખરું, પણ સવાલ એ છે કે એ પાવરનું કરવું શું? જવાબમાં ઘણા વિકલ્પ છે. માણસ ડાહ્યો થઈને એનો ફાયદો લઇ શકે અને ગાંડો થઈને બધું ખેદાનમેદાન કરી શકે. ઇતિહાસ માણસની મૂર્ખામીથી ભરેલો છે. ૨૧મી સદીમાં અસીમ ટેકનોલોજીકલ રિસોર્સની તાકાત અને માણસની બેવકૂફી ભેગા થાય, તો ભવિષ્ય કેવું હશે એની કલ્પના કરવી અઘરી નથી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મન્તવ્યજ્યોત (૨૩) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સઘન વાચન

સુમન શાહ|Opinion - Literature|28 December 2022

વાત સાક્ષરજીવનની અને તેમાં પણ સાહિત્યિકતાની ચાલી રહી છે. લખાયેલી કે છપાયેલી કૃતિને એના કર્તાએ જો સાહિત્યની કહી છે તો દેખીતું છે કે સૌએ એની સાહિત્યિકતાને જ ઉકેલવી પડે. એને વડીલોપાર્જિત મિલકતનો દસ્તાવેજ કે છાપું વાંચતા હોઈએ એમ વાંચી જઈએ તો સાહિત્યિકતા હાથ ન આવે.

આમે ય સાહિત્યિકતા પુષ્પની સુવાસ જેવી ન-શરીરી છે, એને માત્ર અનુભવી શકાય છે. સહૃદય ભાવકો એ અનુભવ સુખપૂર્વક મેળવતા હોય છે. એ સુખાનુભવની પૂર્વશરત એ હોય છે કે કોઈ પણ સાહિત્યકૃતિનું સઘન વાચન કરવું જોઈએ. તેઓ માટે એમ કરવું સહજ હોય છે કેમ કે એ કે બીજી કોઈપણ પૂર્વશરત તેમના ભાવકત્વ સાથે એકરૂપ થઈ ગઈ હોય છે.

પરન્તુ એ સુખ સૌ વાચકોને સુલભ નથી હોતું. એ માટે એમણે સઘન વાચન કોને કહેવાય તે જાણવું પડે અને તે પછી તેને ધાર્મિકતાથી, એટલે કે, નરી ચુસ્તતાથી વળગી રહેવું પડે.

થોડા દિવસ પર બાબુ સુથારે સઘન વાચનની વાત કરતાં એ વિશે પશ્ચિમમાં કેટલાં બધાં પુસ્તકો લખાયાં છે તેની વાત કરેલી. એમ પણ દર્શાવેલું કે સઘન વાચન કેટકેટલી રીતે અને કેવા કેવા આશયોથી થયાં છે.

મારે આ વિષયમાં થોડું જુદું કહેવું છે; મારી દૃષ્ટિની આગવી સમજ ઊભી કરવી છે.

માધ્યમિક શાળાના કોઈ શિક્ષક આગળ આ વાત ખોલી હોય, તો એ એટલું જ કહેશે – એકોએક શબ્દ વાંચવાનો સાહેબ, બીજું શું !

આ ‘સઘન વાચન’ શબ્દપ્રયોગ આપણે ત્યાં અંગ્રેજી ‘ક્લોઝ રીડિન્ગ’ માટે સ્થિર થયેલો છે. કેટલાક એને ‘નિકટવર્તી વાચન’ કહે છે. કેટલાક કંઈક બીજું પણ કહે છે; અત્યારે યાદ નથી આવતું.

ઘણી વિદેશી પારિભાષિક સંજ્ઞાઓ વિશે હું એકાધિક વાર લખી ચૂક્યો છું, પરિસંવાદ પણ યોજ્યા છે. પણ મૂળની પારિભાષિક સંજ્ઞાના કોઈ એક જ ગુજરાતી પર્યાય પર આપણી વિદ્વત્તાને સ્થિર થવું જાણે ગમતું નથી. હોય એટલા સુજ્ઞજનો ભેગા થઈને કોઈ એક માટે નિર્ણય લે એવું થતું નથી. પારિભાષિક કોશવાળાઓએ કોઈ એક પર પસંદગી ઢોળી તો હોય છે પણ એમની વિનમ્રતા એવી કે ગાંધીજીની માફક લખતા નથી કે હવે પછી કોઈને સ્વેચ્છાએ પરિભાષા પ્રયોજવાનો અધિકાર નથી …

એટલે, કોઈ એને જે કહેવું હોય એ કહે, હું તો ‘સઘન વાચન’ જ કહીશ. એટલા માટે નહીં કે મેં એ પર્યાયને બિલકુલ ઉચિત ધાર્યો છે, ના, એમાં જે ‘સઘન’ છે એ મને દરેક વખતે પથરાની જેમ વાગે છે. ‘નિકટવર્તી’ પણ સતાવે છે, એમ થાય કે શેની નિકટે? કો’કની નિકટે બેસીને? એમ રમૂજ ખાતર પુછાય પણ ખરું. પણ હું ‘સઘન વાચન’ જ પ્રયોજું છું કેમ કે વરસોથી એ જ પ્રયોજું છું કેમ કે મારે મારાં લેખનોમાં સુસંગતતા જાળવવી હોય છે; વળી, મેં કહ્યું એમ, મારે આ શબ્દપ્રયોગની આગવી સમજ ઊભી કરવી છે, મને એમ કરવામાં રસ છે; મમમમથી કામ છે, ટપટપથી નહીં.

આ ‘ક્લોઝ રીડીન્ગ’ શબ્દ-પ્રયોગ ‘ન્યૂ ક્રિટિસિઝમ’-વાળા લાવ્યા. તેઓને કૃતિના પેજની બ્હાર જવું જ ન્હૉતું એટલે ભારપૂર્વક ક્હૅતા, ક્લોઝ રીડિન્ગ, ક્લોઝ રીડિન્ગ. એમનો વાચક કૃતિની બ્હાર જાય એ એમને પરવડે એવું ન્હૉતું. કેમ કે કૃતિમાં એમણે મૅટાફર આયરનિ ટૅન્શન પૅરૅડૉક્સ વગેરે જાતભાતની આલંકારિકતાઓ સરજી હોય. આપણા આધુનિકો પણ માધ્યમસભાનતાથી દોરવાયેલા. કાવ્યમાં તેઓ પણ કલ્પનો પ્રતીકો હૉંશે હૉંશે પ્રયોજતા. વાચકો એ બધાને ન પામે તે તો કેમ ચાલે? આખું કવિકર્મ ઍળે જાય.

સંરચનાવાદીઓ આવ્યા અને નવ્ય વિવેચકોની એ ગમતીલી હઠનું નિરસન થયું. એ લોકોએ કહ્યું કે કાવ્યાર્થ મૂળે તો શબ્દાર્થ છે અને તે તમારી કૃતિની પૂર્વે અને મનુષ્યજીવનના બાહ્ય સંદર્ભોમાં ઘડાયેલો છે. શબ્દાર્થ જીવનપદ્ધતિનું ફળ છે. એને પેજમાં કેદ કરીને ન જોવાય, પેજની બ્હાર જવું પડે. રોલાં બાર્થે સંરચનાવાદનો અર્ક રજૂ કરતાં કહ્યું હતું કે ‘વસ્તુઓને એમ અલગ કરીને ન જોવાય; વસ્તુઓને એ જેના સંવિભાગ છે તે વધારે મોટી સંરચનાઓના સંદર્ભોમાં જોવી જોઈએ; વળી, એ મોટી સંરચનાઓ પણ વિશ્વને આપણે માણસો જે રીતે-પ્રકારે ઘટાવીએ છીએ તેની પેદાશો છે.’

માધ્યમિક શાળાના પેલા શિક્ષકની વાત સાચી છે. સઘન વાચન કરનારે બધા જ શબ્દો વાંચવાના, એક પણ ચૂકી જાય, લીટીઓ ગુપચાવી જાય, ફકરા ગગડાવી જાય, તે ન ચાલે.

ખરો ભૂખ્યો જન, બુભુક્ષિત, પીરસાયેલી થાળી સિવાયનું કશું જોતો નથી એમ વાચકે કૃતિને વિશે એકધ્યાન થઈ જવાનું. સાથે, શબ્દ શબ્દના અર્થોને પણ પામતા જવાનું જેમ વાનગી વાનગીના રસ-ગુણને પેલો બુભુક્ષિત માણતો રહેતો હોય છે.

બુભુક્ષિત —

Pic courtesy : VectorShots & Wikipedia

કાવ્યની વાત કરું : કાવ્ય કડકડાટ વાંચી જવા માટે નથી. જોડણી સાચવીને કાવ્યનું પઠન કરવું જોઈશે. કાવ્યપંક્તિમાં વિરામચિહ્નો અર્થનિર્ધારણમાં મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. એથી પણ પઠનને દોરવું જોઈશે. છન્દોબદ્ધ રચનામાં, લઘુ-ગુરુ પણ પઠનને દોરતા હોય છે, દોરવાવું અનિવાર્ય હોય છે. એમાં, યતિસ્થાનો હોય છે તેને પણ પઠનમાં સાચવવાં પડે, જેમ કે, ‘બેઠી ખાટે’ પછી યતિને અનુસરીએ, તો તરત સમજાશે કે કાવ્યનાયિકા કેટલું થાકી હશે અને તે પછી પઠન કરીએ કે ‘ફરી વળી બધે મેડીઓ ઓરડામાં’ – તો, પીયરઘરને જોઇને પામી લેવાની અધીરાઇ, તલસાટ, ત્વરા, વગેરે એની મનોસ્થિતિને સમજી શકીએ. કવિએ એ બધું લખ્યું નથી હોતું પણ વાચકે ઉમેરી લેવાનું હોય છે.

કૃતિ ઉમેરવા દે એ ઉમેરવું તે વાચકનો હક્ક છે, ધર્મ પણ છે. એ અર્થમાં સઘન વાચન થોડુંક સહ-સર્જન પણ છે. 

’હસી શકે તો હસજે જરા વધુ’ પંક્તિમાં ‘હસી શકે તો’ એવી જે શરત મૂકી છે એટલે પઠનને પળભર રોકીએ તો એ હાસ્યના ઉગમ વિશે ઘણા વિચારો આવી શકે. એ શરતને ધ્યાનમાં ન લઈએ તો ચાલી જાય, પણ એ વાચનને હું અધૂરું કહીશ. કેમ કે કવિએ વાચકને વિશેષાર્થની તક આપી હતી પણ એ ચૂકી ગયો.

સઘન વાચનનો અર્થ એ પણ ખરો કે ‘કદી મારી પાસે વન વનતણાં હોત કુસુમો’ જેવી છન્દોબદ્ધ રચનાને ગાવી પણ જોઈશે – ભલે, પણ્ડિતોએ કહ્યું છે કે કાવ્ય ગાવા માટે નથી. કોઈ વાચક “મેઘદૂત”-નું છન્દોનુસારી ગાન કરી તો જુએ; એની આંખો વિરહભીની થઈ જશે. પણ્ડિતોએ કહ્યું તે સાચું છે પણ ગાઈએ તે પણ ખોટું તો નથી – ‘યા કુન્દેદુ તુષારહારધવલા…’ કરીને ગાઈએ છીએ એટલે કવિ ઝંખે છે એ હૃદયભાવ સહજપણે જાગે છે, અર્થ અન્તરમાં ઑગળવા લાગે છે, મા સરસ્વતી સમક્ષ થાય છે.

ટૂંકીવાર્તા કે કોઈપણ કથાકૃતિના સઘન વાચન માટે આથી જુદું એટલું જ ઉમેરવાનું કે કથાનું મનોમન શ્રવણ થાય તેની તકેદારી સાથે તેને વાંચવી જોઈશે. એમાં આવતાં વર્ણનોને ચિત્ર જોતા હોઈએ એવી તત્પરતાથી વાંચવાં જોઈશે. પાત્રો વચ્ચેના સંવાદો મનોમન બોલીને કે બબડીને વાંચી જોવા જોઈશે; નાટક ખૂલવા માંડશે.

આ વાત નાટ્યકૃતિઓના સઘન વાચનને પણ એટલી જ લાગુ પડે છે. કેમ કે સારા નાટકમાં કથાતત્ત્વ અને કવિતાતત્ત્વ રસાઈ ગયાં હોય છે. વાચક દુષ્યન્તની ભૂમિકામાં પ્હૉંચી જઈને ખાનગીમાં અભિનય કરી બેસે તો એ સઘન વાચનને હું આવકાર્ય ગણીશ.

કેમ કે, સઘન વાચન કરનારો વાચક છેવટે તો કૃતિને ઍક્ચ્યુલાઈઝ કરતો હોય છે; પૂર્વાયોજનને અનુસરતો જાય છે, અને પૂરા ધ્યાનથી, બહુવિધ કાળજીથી, આકાર આપતો રહે છે, એટલું જ નહીં, જાતે ને જાતે એને માણતો હોય છે તેમ જ સર્જકને પોતાનો આનન્દ પ્હૉંચાડતો હોય છે. એ આકાર અને તે સમેતનો કૃતિભોગ જ સઘન વાચન છે, ન અન્ય.

માઇકેલ ઍન્જલો (1475-1564)

Pic courtesy : VectorShots & Wikipedia

માઇકેલ ઍન્જેલો મહાન કલાકાર હતા, ઇજનેર પણ હતા, ચિત્રકાર અને શિલ્પી હતા. (1475-1564). આયોજન એમના ચિત્તમાં ચાલતાં, તદનુસારનાં સર્જન કરતા. એમનામાં બધી જ પૂર્વશરતો અને સર્જનપરક બધાં જ તત્ત્વો એકરૂપ હતાં. જુઓ ને, શિલામાં વધારાનો લાગે તે પથ્થર કાઢી નાખતા, ને મૂર્તિ પ્રગટતી…!…  

સવાલોનો સવાલ એ છે કે કૃતિ જ જો ક્લોઝલિ નહીં લખાઈ હોય તો ગમે એટલું ક્લોઝ રીડિન્ગ કરનારો શું લાભવાનો -? 

કોઈએ ‘ક્લોઝ રીડિન્ગ’-ને શક્ય બનાવનારા ‘ક્લોઝ રાઈટિન્ગ’-નો, ‘સઘન સર્જન’-નો, કદી વિચાર કર્યો છે ખરો?   

યથાક્રમે આવી શકતા લેખમાં હું કરી બતાવીશ. 

= = =

(Dec 28, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1541,1551,1561,157...1,1601,1701,180...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved