Opinion Magazine
Number of visits: 9667403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગ્નમાં પડે એટલી મુશ્કેલી હવે કદાચ છૂટાછેડામાં નહીં પડે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2023

રવીન્દ્ર પારેખ

એક તરફ આપણે પોતાની જાતને બહુ મોડર્ન, એડવાન્સ્ડ, લેટેસ્ટ ફેશન્ડ ગણાવીએ છીએ ને લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ, હાઇફાઈ રિસેપ્શન ને સ્વિત્ઝર્લેન્ડ કે પેરિસમાં હનીમૂન ને એવું એવું તો કૈં કૈં પ્લાનિંગ કરીએ છીએ, ક્યાંક એ ખરા અર્થમાં થતું પણ હશે, પણ મોટે ભાગે તો આપણી ચામડી નીચે આપણે વધુ રૂઢિચુસ્ત, વહેમી ને દંભી માણસો છીએ તે પણ એટલું જ સાચું છે. ક્યાંક લગ્ન પહેલાં હનીમૂન થઈ ગયું હોય છે, તો ક્યાંક કુટુંબો દ્વારા સંતાનોનાં લગ્ન જ્ઞાતિમાં જ કરવાનો આગ્રહ રખાય છે, ક્યાંક છોકરી પોતાની પસંદગીનો વર શોધે છે તો માબાપ તેનું ભલું ઇચ્છવાની લ્હાયમાં પોતાને ગમતો છોકરો ભટકાડી આપે છે ને છોકરી ક્મને પરણી જાય છે અથવા તો આત્મહત્યા કરી લે છે. અમે તો કૈં જ્યોતિષ-બોતિશમાં માનતા નથી – કહીને ખાનગીમાં કુંડળી ખોલી નાખતાં માબાપો છે ને કુંડળી નથી મળતી તો દિલ મળે કે ન મળે, માબાપને કોઈ ફરક પડતો નથી, તેવું પણ છે. તેમણે તો સંતાનોને ઠેકાણે પાડવાં હોય છે. ટૂંકમાં, આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે.

ક્યારેક છોકરાંઓ પણ માથાનાં નીકળે છે. માબાપ કહે ત્યાં પરણી તો જાય છે, પણ પછી જેની સાથે પરણવું હતું એની સાથેનું કનેક્શન પણ ચાલુ રાખે છે. પછી જ્યારે ખબર પડે કે છોકરો કે છોકરી તો પૂર્વપ્રેમને ભૂલ્યાં નથી, તો માબાપ પર આભ તૂટી પડે છે ને તેઓ છાતી કૂટવા લાગે છે, પણ એ બધું ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવા જેવું જ છે. માબાપ ખોટી આનબાન ને શાનમાં સંતાનોની પથારી ફેરવી નાખે છે. એમાં સૌથી વધારે મરો તો એ નિર્દોષ વ્યક્તિનો થાય છે જે પરણીને એ ઘરમાં આવે છે. એને તો ખબર જ નથી કે એનાં આવતાં પહેલાં જ ઘરમાં ઘણું રંધાઈ ચૂક્યું છે. પછી જે કકળાટ થાય છે તે લોહીનાં આંસુ પડાવે છે. ઘરની શાંતિનો સર્વનાશ થાય છે ને રોજના ઝઘડાનો ઉકેલ છૂટાછેડામાં શોધાય છે. સાચું તો એ છે કે છૂટાછેડા પણ અત્યંત મુશ્કેલ બાબત આજ સુધી રહી છે, એટલે ઘણાં તો એનાથી દૂર જ રહેવા મથે છે.

એક સમય હતો જ્યારે લગ્ન, કોઈ એકનાં મૃત્યુ પછી જ પૂરાં થતાં. પતિપતિની વચ્ચે બને કે ન બને, જિંદગી પૂરી થતી. તેનું એક કારણ તે મહિલાઓ એટલી શિક્ષિત ન હતી તે હતું. ઘર અને વર સાચવવા સિવાય બીજું કોઈ લક્ષ્ય જ તેમની પાસે ન હતું. સાસરામાં સચવાઈ રહે એટલે દીકરીને કરિયાવર કે દહેજ અપાતું. સ્વેચ્છાએ અપાતું. તે પછીથી સાસરિયાં તરફથી હકની જેમ મંગાતું થયું. વરને મોટો કરાયો, તેને ભણાવાયો, નોકરીધંધે લગાડાયો તે વહુ માટે જ ને ! એમ કહીને દહેજ પછી પણ ઉઘરાણીઓ થતી ને દીકરીનો બાપ કટકે કટકે કપાતો રહેતો. કોઈ છોકરીનો બાપ એમ નથી કહેતો કે દીકરીને મોટી તો મેં પણ કરી છે, તેને ઘરકામ શીખવ્યું છે, ઢસરડો કરવાની ટેવ પાડી છે તે પણ વર માટે જ ને !

એ પછી તો છોકરીઓ પણ ભણીગણીને નોકરીધંધે લાગી, પ્રેમમાં પડવા લાગી, વર પસંદ કરતી થઈ, ફેર અફેરમાં પડી, ઘણાં કુટુંબોમાં તેનું વર્ચસ્વ વધ્યું, પણ સાસરામાં તેને મળવું જોઈતું માન આજે ય ઓછું જ પડે છે. તે પોતે વરને છોડતી થઈ છે, સાસરિયાંઓનાં ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરતી ને તેમને સળિયા પાછળ ધકેલતી થઈ છે. જો કે, એનું પ્રમાણ ઓછું જ છે. ભણી હોય કે નોકરી કરતી હોય તો પણ કન્યાના બાપે હજી દહેજ આપવું જ પડે છે. એરેન્જ્ડ મેરેજમાં હજી દહેજ માંગનાર ઘણાં કુટુંબો છે જ. એ ન મળે તો અસંતોષ સાસરિયાંઓનો વધતો જ આવે છે. એટલું છે કે હવે સમાજ શિક્ષિત થયો છે એટલે ઘણા વ્યવહારો અન્ડર ટેબલ થાય છે. સમાજ જેમ જેમ શિક્ષિત થયો, તેની શોષણની રીતો વધુ આધુનિક અને વધુ સૂક્ષ્મ થતી ગઈ છે. બીજી તરફ લગ્નજીવન પણ એટલું જ જટિલ અને તનાવયુક્ત થયું છે. પ્રેમલગ્ન કરનારાંઓ સુખી નથી તો, એરેન્જ્ડ મેરેજ કરનારાં બધાં દુખી જ છે એવું પણ નથી. થયું છે એવું કે સંવેદનશીલ અને સહનશીલ સમાજ હવે ઘટતો આવે છે. શાંતિનું સ્થાન અજંપાએ લીધું છે. મતભેદો અને મનભેદો આજનાં સમાજનાં વ્યાવર્તક લક્ષણો છે.

એવું નથી કે દહેજને મામલે જ છૂટાછેડા થાય છે, હવે તો શિક્ષિત પતિપત્નીનાં જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રેમ પણ ઉમેરાયો છે. નોકરીધંધા નિમિત્તે લગ્નેતર સંબંધોની ટકાવારી વધી છે. એ મુદ્દે પણ કોર્ટમાં છૂટાછેડાની અરજીઓ વધી છે. આજે ઘણાં યુગલો છૂટાં થઈને નવી જિંદગી જીવવા ઈચ્છે છે, પણ કેસનો ભરાવો એટલો છે કે વહેલો નિકાલ લાગતો નથી. વળી છૂટાં થનાર યુગલને સંપત્તિના, ભરણપોષણના, સંતાનોના એટલા બધા પ્રશ્નોનો છે કે ન્યાય મેળવવામાં સમય જાય જ છે. પરિસ્થિતિ એટલી ઘેરી બને છે કે ન સાથે રહેવાય કે ન અલગ રહેવાય. ત્રિશંકુ જેવી દશામાં વર્ષો નીકળી જતાં હોય છે, પણ કેસનો નિકાલ લાગતો નથી. દેખીતી રીતે લાગતું હોય કે પતિપત્ની વચ્ચે બધાં પ્રયત્નો છતાં કોઈ સમાધાન થઈ શકે એમ જ નથી, ત્યાં પણ છૂટાછેડા થતાં નથી ને પતિપત્નીએ કેટલોક સમય દોજખ જેવી જિંદગી જીવવી પડે છે. આવી વિષમ પરિસ્થિતિમાંથી કોર્ટે તાજેતરમાં જ એક ઉકેલ શોધ્યો છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ગયા સોમવારે કરેલા નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે પતિપત્ની વચ્ચેના તમામ સંબંધો પૂરા થાય અને તેમાં સુધારાને કોઈ અવકાશ જ ન હોય તો અત્યાર સુધી જરૂરી ગણાયેલો છ મહિનાનો વેઇટિંગ પિરિયડ વિશેષ સંજોગોમાં જરૂરી રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ પતિપત્ની વચ્ચેના સંબંધોમાં કોઈ સુધારો ન થાય એવી સ્થિતિમાં, એવી સ્થિતિમાં જ, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ અનિવાર્ય ગણ્યો નથી. આમ તો સુપ્રીમે 29 સપ્ટેમ્બર, 2022 ને રોજ આ નિર્ણય અનામત રાખ્યો હતો, પણ ગયા સોમવારે એનો ચુકાદો આપી દીધો છે. આ ચુકાદો હવે મહિલાઓને આગળ વધવાની તકો પૂરી પાડશે એવું નેશનલ કમિશન ફોર વુમન-NCWને લાગે છે. સુપ્રીમે કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરતાં  ઉમેર્યું છે કે આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ સંદર્ભે જ લાગુ થશે ને જે તે છૂટાછેડા ઇચ્છુક યુગલે સ્વેચ્છાએ, પરસ્પર સંપૂર્ણ સહમતિથી અલગ થવું હશે, તો, ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહેશે. કોઈ પણ પક્ષ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમમાં સીધી અરજી કરી શકશે નહીં. હા, સુપ્રીમને પોતાને લાગશે તો તે સામેથી કેસ હાથ પર લઈ શકશે. એ પણ સ્પષ્ટ છે કે આ ચુકાદો દરેક કિસ્સામાં લાગુ નહીં પડે. જે કિસ્સામાં મતભેદ દૂર થવાની થોડી પણ શક્યતાઓ છે, ત્યાં આ ચુકાદો લાગુ કરાશે નહીં. અત્યાર સુધી એવું હતું કે હિન્દુ મેરેજ એકટની કલમ 13બી-1 હેઠળ સંમતિથી છૂટાછેડાની અરજી પર ફેમિલી કોર્ટ પતિપત્નીને ફેરવિચારણા માટે અને સમાધાનની કોઈ શક્યતા હોય તો તે તપાસવા માટે 6થી 18 મહિનાનો ગાળો આપતી હતી ને જયાં હજી એવી તકો છે ત્યાં એ વાત હજી લાગુ પડે જ છે, પણ જ્યાં બધા પ્રયત્નો પછી પણ સમાધાનની કોઈ શક્યતા જ નથી, ત્યાં અને ત્યાં જ સુપ્રીમે 6 મહિનાની રાહ જોવાનું જરૂરી ગણ્યું નથી.

આમ તો અત્યારે પણ લગ્નોમાં ન્યાતજાત, ધર્મ, કુંડળી, ગોત્ર જેવી અનેક બાબતો મુશ્કેલીઓ ઊભી કરે જ છે ને એ બધું જોયા-તપાસ્યા પછી પણ લગ્નો સફળ થાય જ એની કોઈ ખાતરી કોઈ ધર્મ, કોઈ જ્યોતિષ, કોઈ કુટુંબ તરફથી મળતી નથી ને જિંદગીભર જોડાવા માટે બે વ્યક્તિને, ઇચ્છાથી કે અનિચ્છાથી ફરજ પાડવામાં આવે છે. ઉધારઉછીનું કરીને, કુટુંબો લખલૂટ ખર્ચ કરીને વાહવાહી લૂંટે છે ને સંતાનોની જિંદગી દાવ પર લગાવે છે. આ અગાઉ હતું ને આજે પણ છે. ક્યાંક સાચા પ્રેમની વાત બનતી પણ હશે, ક્યાંક કોર્ટ મેરેજની સાદાઈ પણ અપનાવાતી હશે, પણ છેલ્લે તો વાત કોર્ટ પર જ આવે છે. બધી જ વખતે કુટુંબ જ જવાબદાર હોય એવું પણ નથી, પતિપત્ની પણ નાની નાની વાતે છણકાતાં રહે છે. નભાવવાનું કયારેક જ બને છે ને સંતાનોનો પણ વિચાર કર્યાં વગર અલગ થવા કોર્ટ સુધી ઊભાં જ નથી રહેતાં. ક્યાંક સમજાવટ કામ કરતી પણ હશે, પણ વાતે વાતે અલગ થવાની ફેશન પડી હોય એવું પણ લાગે છે. મુશ્કેલી એ છે કે દુ:ખ તો વેઠાતું નથી, સુખ પણ વેઠાતું નથી. બહુ ઝડપથી સુખનો ઓડકાર આવી જાય છે ને પછી ફરિયાદો, આરોપો ને ઝઘડાઓનો સિલસિલો શરૂ થાય છે ને એનો છેડો છૂટા થવામાં આવે છે. આવનારા સમયમાં કદાચ લગ્નો મુશ્કેલીથી થશે, પણ છૂટાં થવાનું સરળ થઈ જશે ને જ્યાં સમાધાનની કોઈ શક્યતા જ નહીં રહે ત્યાં 6 મહિના વેઇટિંગ પિરિયડની રાહ જોવાનું ફરજિયાત ન રાખતો છેલ્લો ચુકાદો ઘણા યુગલોને ઉપકારક નીવડે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2023

Loading

ગુર્જરી વિશ્વરૂપને વરે : નોબૅલ-સન્માનિત સર્જકોનાં ‘સાહિત્યત્વ’નું ગુજરાતીમાં અવતરણ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|7 May 2023

પુસ્તક પરિચય 

● ‘સાહિત્યત્વ’ : સંપાદન : અદમ ટંકારવી અને પંચમ શુક્લ, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઈટેડ કિંગ્ડમ, એપ્રિલ 2022, પાનાં 432, રૂ. 675/- 

નોબલ પુરસ્કાથી સન્માનિત લેખકોના વક્તવ્યોના ગુજરાતી અનુવાદોનો સંચય ‘સાહિત્યત્વ’ એ આપણી ભાષાના સમૃદ્ધ અનુવાદ-રાશિમાં મહત્ત્વનો ઉમેરો છે.

‘સહસ્ત્રાબ્દીના સંધિકાળની આસપાસનાં વર્ષો’ એટલે કે 1991થી 2016 દરમિયાન નોબલ સન્માન મેળવનાર 26 સર્જકોના વક્તવ્યોનો અહીં સમાવેશ છે.

તેમને દેશ તેમ જ દેશાવરના એકવીસ અનુવાદકોએ ગુજરાતીમાં ઊતાર્યા છે. યુનાઇટેડ કિન્ગડમમાં ચાળીસેક વર્ષથી કાર્યરત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક મહત્ત્વના પ્રકલ્પ તરીકે અદમ  ટંકારવી અને પંચમ શુક્લના સંપાદન હેઠળ આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે.

ઉત્કૃષ્ટ રીતે નિર્માણ પામેલું સહેજ મોટા કદનું આ સચિત્ર અને ઓપદાર પુસ્તક 432 પાનાંનું હોવા છતાં વજનમાં હળવું છે.

ધોરણસરની સાહિત્યરુચિ ધરાવનાર વાચકો-અભ્યાસીઓને આ સંગ્રહના કેટલાક લેખકો વત્તા-ઓછાં પરિચિત હોવાના, જેમ કે ટૉની મૉરિસન, શેયમસ હિની, દારિયો ફો, વી.એસ. નાયપોલ, ડૉરિસ લેસિન્ગ, એલિસ મુનરો અને બૉબ ડિલન.

વર્ષ 2015નું સન્માન મેળવનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સયેવીચના વ્યાખ્યાન અત્યારે વિશેષ પ્રસ્તુત છે. સ્વેતલાનાનો જન્મ યુક્રેનમાં અને તેમની કારકિર્દી બેલારુસમાં. રશિયન શાસકોની કડક આલોચના માટે દેશનિકાલ પામ્યા બાદ યુરોપના વિવિધ દેશોમાં વસે છે.

અત્યારે બેલારુસની લોકશાહી માટેની ચળવળના સક્રિય ટેકેદાર અને યુક્રેન પરના રશિયન આક્રમણના સખત વિરોધી છે. તેમના પુરસ્કાર વ્યાખ્યાનનું શીર્ષક છે : ‘હારેલી લડાઈ વિશે’.

પ્રકાશકીય નોંધે છે કે ‘સમાવેશક અભિગમથી’ અનુવાદકો તરીકે એવી વ્યકિઓની  પસંદગી કરવામાં આવી છે જે ‘વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; અકાદમી સાથેના નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે’.

એ નોંધપાત્ર છે કે આ પુસ્તકના અનુવાદકોમાંથી બહુ ઓછા અનુવાદકો વ્યાવસાયિક કૉલમનવીસો કે અનેક પુસ્તકો લખનાર સર્જકો/વિવેચકો છે. 

ઘણાં નામો એકંદરે ઓછા જાણીતા છે. પણ તેમનું હીર અહીં બરોબર પરખાયું છે. તેમણે ઘણી મહેનતથી વાચનીય અનુવાદો કર્યા છે. કામચોરી નથી, અણઘડ અભિવ્યક્તિના દાખલા જૂજ  છે, સઘન સંમાર્જનનો અંદાજ મળતો રહે છે.

આફ્રિકન લેખિકા નેડીન ગોર્ડીમરના વ્યાખ્યાનના આરંભે જ તેમનાથી તદ્દન ભિન્ન ભારતીય સાંસ્કૃતિક પરિવેશ બતાવતો અનુવાદ મળે છે : ‘નાદ-બ્રહ્મ સ્વરૂપે શબ્દ ઇશ્વરને આધીન હતો …’ અંગ્રેજી શબ્દો છે : ‘The word was with God, signified God’s word …’

ઈટાલિયન નાટ્યકાર અને રાજકીય વ્યંગકાર દારિયો ફોનું વ્યાખ્યાન તેની અંદરના ઠઠ્ઠાચિત્રો સાથે છાપવામાં આવ્યું છે. તેમાંથી ‘Gurgle, gurgle, splash…’નું ગુજરાતી છે : ‘બુડબુડ .. બુડબુડ, છાલક ..’.

અનુવાદોમાં ‘અમળાટ’, ‘કરસાંઠી’, ‘કાચફૂકણિયા’, ‘ચતુરા’, ‘ટગલી ડાળ’, ‘બિરદ ભોંય’, ‘પિતરણ’ ‘માંકડા’, ‘હેરિયું’ જેવા એકદમ દેશજ પોતના શબ્દો મળતા રહે છે. તેના મૂળ અંગ્રેજી શબ્દો શોધવા એ મજા પડે તેવો વ્યાયામ છે.

અનુવાદકો હેરોલ્ડ પિન્ટર, ટૉમસ ટ્રાન્સટ્રોમર, પેટ્રિક મોદિયાનોના વ્યાખ્યાનોમાં આવતી કવિતાઓ અને બૉબ ડિલનમાં આવતાં ગીતને ગુજરાતીમાં લાવ્યાં છે.

તમામ વ્યાખ્યાનોને આવરી લેતું ‘પરિષ્કૃતિ’ નામનું વીસ પાનાનું સંપાદકીય પુષ્કળ મહેનતથી લખવામાં આવ્યું છે. વક્તવ્યોમાંથી ઊભા થતાં સાહિત્ય પદાર્થ, આત્મભાન, સમાજ દર્શન, સર્જન પ્રક્રિયા, ભાષા તેમ જ ભાવક અંગેના પ્રશ્નોની અવતરણો સહિત છણાવટ તેમાં અવતરણો સાથે કરવામાં આવી છે.

કેટલાંક વક્તવ્યોમાં લાંબી-ટૂંકી પણ ચોકસાઈથી લખાયેલી ફૂટનોટસ છે. ગુન્ટર ગ્રાસના વ્યાખ્યાનમાં આવતા ઉદ્દગાર ‘બુભુક્ષાના ધસારાની ઝીંક કોઈ દુર્ગદ્વાર ઝીલી ન શકે’ની ફૂટનોટમાં ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે …’ યાદ કરવામાં આવી છે.

અઢળક વિશેષ નામોના ગુજરાતી લિપ્યંતરમાં અહીં જોવા મળતી એકંદર ચોકસાઈથી ગુજરાતી પુસ્તકોમાં ઓછી જોવા મળે છે. સવૃત અને વિવૃત ‘એ’ સ્વરના મુદ્રણના પ્રશ્નો પણ અહીં ઓછા છે.

અનુવાદકોના શ્રેયનામોને આપવામાં આવેલું ગૌણ સ્થાન બીજી આવૃત્તિની દૃષ્ટિએ ફેરવિચાર માગી લે છે.

આ પ્રકારના  સંભવત: પહેલાવહેલા સંગ્રહમાં વક્તવ્યો ઉપરાંત પણ વાચકને ન્યાલ કરી દે તેવી વિપુલ વાચન સામગ્રી મળે છે. તેનો શ્રેય ‘સંવર્ધક’ કેતન રૂપેરાને મળે છે. ‘પ્રકાશકીય’માં કેતનના સહયોગને ‘ગોવર્ધન-ટેકો’ ગણીને તેની ‘ઓશિંગણ ભાવે’ નોંધ લેવામાં આવી છે.

સંવર્ધકે દરેક લેખકના જીવન-સર્જનનો માત્ર દોઢસો-બસો શબ્દોમાં સંતર્પક પરિચય આપવાનું પડકારરૂપ કામ કર્યું છે. પુસ્તકના અનુક્રમની સાથે વિશ્વનો નકશો અને કયા વર્ષે કયા દેશને પારિતોષિક મળ્યું તેનું ગ્રાફિક જોવા મળે છે.

દરેક વક્તવ્યનું પહેલું પાનું સાહિત્યકાર વિશેની પાયાની માહિતીને ચિત્રાત્મક રીતે મૂકે છે. તેમાં નોબેલ citation એટલે કે સન્માનપત્રમાંથી પારિતોષિક કઈ ગુણવત્તા (quality) માટે આપવામાં આવ્યું છે તેને વર્ણવતાં અંગેજી અવતરણનો મહત્ત્વનો હીસ્સો Prize Motivation મથાળા હેઠળ મૂકવામાં આવ્યો છે.

જેમ કે બૉબ ડિલનમાં માટે : ‘for having created new poetic expression within the great American song tradition’. તદુપરાંત પુસ્તકમાં ડાબી બાજુના ત્રણ અલગ અલગ ક્રમનાં પાનાં એવાં છે કે જેમાંથી દરેક પર આઠ સાહિત્યકારોના અંગ્રેજી અવતરણો વાંચવા મળે છે.

પુસ્તકના મુખપૃષ્ઠ પર નોબલ પુરસ્કાર આપનાર સ્વીડીશ એકેડેમિના સ્ટૉકહોમ ખાતેના મુખ્ય મથકનો ફોટો મૂક્યો છે, જે પાનાંના રંગસંયોજન અને UV Varnishથી ઘણું આકર્ષક લાગે છે.

પુસ્તક માનવધિકારના કર્મશીલ અને વરિષ્ઠ સંપાદક વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. ‘ગુજરાતી ડાયસ્પોરાની દીવાદાંડી’ સમા વિપુલભાઈ માટેની અર્પણપત્રિકાના શબ્દો છે : ‘બ્રિટિશ ગુજરાતીઓ ગુજરાતી સાંભળે, બોલે, વાંચે, લખે, જીવે તે માટે એમણે કરેલ પ્રયત્નની કદરરૂપે’.

‘સાહિત્યત્વ’ પુસ્તક રંજક નથી, પણ તે વાચકને ખૂબ આંતરસમૃદ્ધિ આપે છે. આ પુસ્તક અને તેનું નામ બંને ગુજરાતી ભાષાનો હિસ્સો બને તેવું સત્વ ધરાવે છે.

અનુવાદકો અને લેખકોના નામ આ મુજબ છે : 

* અદમ ટંકારવી – જૉન મૅક્સવેલ કોત્ઝી, દક્ષિણ આફ્રિકા; એલ્ફ્રિડ યેલિનેક, ઑસ્ટ્રિયા; હેરૉલ્ડ પિન્ટર, યુનાઈટેડ કિંગ્ડમ * અવનીશ ભટ્ટ – વી.એસ. નાઇપોલ, યુનાઈટેડ કિંગ્ડમ * અશોક વિદ્વાંસ – નેડીન ગોર્ડીમર, દક્ષિણ આફ્રિકા  * અહમદ ગુલ –  શેયમસ હિની, આયર્લૅન્ડ * આરાધન ભટ્ટ – ડોરિસ લેસિંગ, યુનાઈટેડ કિંગ્ડમ * આશા બૂચ : ટોની મૉરિસન, યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરિકા * ઇમ્તિયાઝ પટેલ –  ટૉમસ ટ્રાન્સ્ટ્રોમર, સ્વિડન * ચિરંતના ભટ્ટ – જોસે સરમાવો, પોર્ટુગલ * ચિરાગ ઠ્ઠક્કર ‘જય’ – બૉબ  ડિલન, યુ.એસ. એ. * દીપક ધોળકિયા – ગાઓ શિન્ગજિયાન, ચીન  * નંદિતા મુનિ – જોં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો, ફ્રાન્સ * નીતા શૈલેષ – ડેરેક વૉલકૉટ, સેન્ટ લૂસિયા; એમો યાન – ચીન ; એલિસ મુનરો, કૅનેડા * પંચમ શુક્લ -વિસ્લાવા સિમ્બોર્સકા, પોલેન્ડ * પીયૂષ જોશી – પેટ્રિક મોદિયાનો, ફ્રાન્સ * પ્રતિષ્ઠા પંડ્યા – ઓરહાન પામુક, તુર્કી * બકુલા ઘાસાવાલા-દેસાઈ – મરિયો  વરગાસ લોસા * ભદ્રા વડગામા – ઇમરે કરતેઝ, હંગેરી; સ્વેતલાના એલેક્સિયેવીચ, બેલારુસ * ડૉ. રજની પી. શાહ – દારિયો ફો ઇટાલી * રંજના હરીશ – હેરતા મ્યુલર * રાજન્દ્રસિંહ જાડેજા – કેન્ઝાબૂરો ઓએ, જાપાન * હરીશ મીનાશ્રુ – ગુન્ટર ગ્રાસ 

● પ્રાપ્તિસ્થાન – ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસ રંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2023 [અનુવાદકોના નામની યાદીના  ઉમેરણ સાથેનો લેખ]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

રણજીત ગુહા : એક અનોખા ઇતિહાસકાર

રમેશ ઓઝા|Opinion - Opinion|7 May 2023

રમેશ ઓઝા

આમ તો ઇતિહાસનું વિષયવસ્તુ ઇતિહાસ એટલે કે અતીતની ઘટનાઓ હોય છે, પણ તેનો ખપ વર્તમાનમાં હોય છે. અંગ્રેજોએ ભારત ઉપર ભારતને સંસ્થાન બનાવીને બને એટલો લાંબો સમય રાજ કરવું હતું એટલે તેમણે તેમને અનુકૂળ આવે એ રીતનો ઇતિહાસ લખ્યો હતો. ભારત ઉપર રાજ કરવું અને ભારતને સંસ્થાન બનાવીને રાજ કરવું એ બેમાં જમીન આસમાનનો ફરક છે. સંસ્થાનનાં કેન્દ્રમાં સત્તા સાથે અને સત્તાથી વિશેષ શોષણ હોય છે. શોષણ લાંબો સમય તો જ ટકે જો શોષણકર્તા સત્તાધીશોનો સમાજના દરેક ઘટક હોંશે હોંશે સ્વીકાર કરે. આને માટે અંગ્રેજોએ એવી રીતે ભારતનો ઇતિહાસ લખ્યો કે દરેક સમાજઘટકને અંગ્રેજો પોતાનાં લાગ્યા હતા. હિંદુઓ અંગ્રેજોને કારણે પોતાને મુસલમાનોથી સુરક્ષિત માનતા હતા અને મુસલમાનો અંગ્રેજોને કારણે પોતાને હિંદુઓથી સુરક્ષિત માનતા હતા. દલિતો અને પછાત કોમો અંગ્રેજોને કારણે પોતાને સવર્ણ હિંદુઓથી સુરક્ષિત માનતા હતા. દક્ષિણના દ્રવિડો અંગ્રેજોના કારણે પોતાને ઉત્તરના આર્યો સામે સુરક્ષિત માનતા હતા. શોષણ દરેકનું થતું હતું, પણ એ છતાં ય તેમને અંગ્રેજો તારણહાર લાગતા હતા. આ અંગ્રેજોએ લખેલા ભારતના ઇતિહાસની કમાલ હતી.

જેઓ દેશની આઝાદી માટે લડ્યા હતા એ લોકોને સમજાઈ ગયું હતું કે અંગ્રેજોએ તેમને માફક આવે એવો જે ઇતિહાસ લખ્યો છે એ રાષ્ટ્રીય એકતાનાં પાયામાં રોપવામાં આવેલી સુરંગ છે. જ્યાં સુધી રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી ઇતિહાસ નહીં લખાય ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ થવાનું નથી. એટલે આઝાદી પછી રાષ્ટ્રીય ઇતિહાસલેખન કરવાનો ઉપક્રમ સરકારે, વિવિધ સંસ્થાઓએ અને વ્યક્તિગત રીતે કેટલાક ઇતિહાસકારોએ હાથ ધર્યો. એ ઇતિહાસલેખનના કેન્દ્રમાં ભારત અને ભારતની પ્રજાની અંદર રહેલી એકતા હતાં. વિવિધતાનો સ્વીકાર તેમ જ આદર અને તેનાં દ્વારા એકતાને ઘનીભૂત કરવી. જે લોકોએ આઝાદીનાં આંદોલનમાં ભાગ નહોતો લીધો અને લેવો પણ નહોતો તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ વધારે માફક આવતો હતો. શું કરીએ અમે તો દેશ માટે સમર્પિત છીએ, પણ બીજા નથી.

ઇતિહાસ લેખનની ત્રીજી સ્કૂલ માર્કસવાદીઓની છે. જગતનો ઇતિહાસ મુખ્યત્વે શોષણનો ઇતિહાસ છે. એક વર્ગ બીજા વર્ગનું શોષણ કરે છે અને એ જ જગતનું સત્ય છે. શોષણ કરનારી વ્યવસ્થા હંમેશાં પોતાનાં હિતમાં કાયમ રહે એ માટે શોષણકર્તાઓ શાસકોનો, ધર્મ અને ધર્મગુરુઓનો, સામાજિક અને સાંસ્કૃતિક રીતિરિવાજોનો, શિક્ષણનો ઉપયોગ કરે છે. જગતમાં સપાટી ઉપર જે બની રહ્યું છે એ વાસ્તવમાં વર્ગસંઘર્ષ છે. આનો અર્થ એ થયો કે વર્ગસંઘર્ષનો ઇતિહાસ એ જ માનવસમાજનો ઇતિહાસ.

ઇતિહાસ લેખનની ચોથી સ્કૂલ આજકાલ ભારતમાં નજરે પડી રહી છે એ હિંદુ રાષ્ટ્રવાદીઓની છે. રાષ્ટ્રવાદી ઉતિહાસ લેખન નહીં, હિંદુ રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખન. ભારતમાં રાષ્ટ્રવાદી ફક્ત હિંદુ જ હોય એવું તેમનું ગૃહિત છે. તેઓ અંગ્રેજોના ઇતિહાસમાંથી એટલું લે છે જે હિંદુઓને માફક આવે અને એ નથી લેતા જે હિંદુઓને માફક ન આવે. તેઓ હિંદુઓને માફક ન આવે એવી ઐતિહાસિક ઘટનાઓને, હિંદુઓએ શરમાવું પડે એવા પરાજયોને, સામાજિક-સાંસ્કૃતિક રીતિરિવાજોને ભૂલવાડી દેવા માગે છે, ભૂંસી નાખવા માગે છે. એને માટે તેઓ નવેસરથી ઇતિહાસ લેખન કરે છે જેમાં કાપકૂપ અને ઉમેરણ બન્નેનો સમાવેશ થાય છે.

પણ આ ચારમાંથી કોઈએ સ્ત્રીઓની, દલિતોની, જંગલમાં રહેતા આદિવાસીઓની, ખેતમજૂરોની, બંધવા મજદૂરોની વાત કરી નથી. શું આ હાંસિયામાં રહેલી પ્રજાની અંદર કોઈ ચેતના જ નહોતી? શું તેમણે તેમની પીડાને કોઈ દહાડો વાચા આપી જ નહોતી? શું તેમણે ક્યારે ય વિદ્રોહ કર્યો જ નહોતો? તેમણે ખૂબ પીડા સહન કરી હતી, પણ શું તેમની સહન કરવાની ક્ષમતાએ ક્યારે ય જવાબ આપ્યો જ નહોતો? શું તેમણે ઊંહકારો કર્યો જ નહોતો? ન્યાય અન્યાય શું કહેવાય તેની તેમને જાણ નહોતી? પણ આશ્ચર્યની વાત છે કે અંગ્રેજોએ, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ, માર્કસવાદીઓએ કે હિંદુ રાષ્ટ્રવાદીઓને તેમના તરફ કાન માંડવાની તસ્દી નહોતી લીધી. માર્કસવાદીઓએ તેમનાં વર્ગસંઘર્ષકેન્દ્રી ઇતિહાસ લેખનનાં ખાનાંમાં હાંસિયામાં રહેલી પ્રજાઓનાં શોષણનો અને શોષણ સામેના સંઘર્ષનો સમાવેશ નહોતો કર્યો, જે તેમની પાસે અપેક્ષિત હતો.

આ કામ રણજીત ગુહાએ કર્યું હતું જેમનું હમણાં સો વર્ષની વયે ૨૮મી એપ્રિલે અવસાન થયું. વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર રણજીત ગુહાએ ૧૯૮૦માં સબાલ્ટર્ન સ્ટડીઝનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. સબાલ્ટર્નનો અર્થ થાય છે હાંસિયામાં સ્થાન પામતા લોકો. એવા લોકો જેઓ બીજાની મરજીથી જીવે છે અને બીજાનાં આદેશોનું પાલન કરે છે. એવું નથી કે તેમના જીવનની કોઈ કિંમત હોતી નથી, પરંતુ કિંમત કરનારાઓએ કિંમત કરી નથી. સામાન્ય પ્રજા તો ઠીક, પ્રગલ્ભ ઇતિહાસકારોને પણ તેમના તરફ નજર કરવાની જરૂર નહોતી લાગી. રણજીત ગુહાએ કહ્યું કે તેમણે પણ સંઘર્ષ કર્યો છે, કારણ કે તેમની અંદર પણ જીવતી ચેતના હતી. તેમણે પણ શોષણ સામે વિદ્રોહ કર્યો હતો. પરંતુ તેમની અભિવ્યક્તિની, અભિવ્યક્તિનાં સ્વરૂપની, અભિવ્યક્તિનાં માધ્યમોની, તેમણે કરેલા સંઘર્ષની, તેમની શહીદીની કોઈએ નોંધ પણ નથી લીધી. અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાનની સરહદે ભીલોએ કરેલો વિદ્રોહ અને દક્ષિણ ગુજરાતની રાનીપરજ પ્રજા હોળીના દિવસે શોષણકર્તા પારસીઓને ગાળો આપતાં ગીતો ગાય એ બન્ને પીડાને આપવામાં આવેલી અભિવ્યક્તિ છે. તમને નથીં લાગતું કે તેમની વ્યથાની અને વાચાની નોંધ લીધા વિના ભારતનું ઇતિહાસ લેખન અધૂરું છે? રણજીત ગુહાએ ચાલીસ વર્ષ પહેલાં આ પ્રશ્ન કર્યો હતો.

ઇતિહાસ લેખનના વિષયવસ્તુ તરીકે સબાલ્ટર્ન એવો શબ્દપ્રયોગ તેમણે સૌથી પહેલાં કર્યો હતો. આમ તો ઇટાલિયન સામ્યવાદી ફિલોસોફર એન્ટોનિયો ગ્રામસીએ આ શબ્દ પ્રયોજ્યો હતો પણ એ જુદા સંદર્ભમાં. ગુહા સાથે કેટલાક મેધાવી ઇતિહાસકારો જોડાયા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની સાથે મળીને સબાલ્ટર્ન સ્ટડીઝ પ્રોજેક્ટ શરૂ થયો. ધીરેધીરે ઇતિહાસકારો જોડતા ગયા અને સોએક ઇતિહાસકારોનું એક રાવણું બની ગયું જેમાં ડેવિડ હાર્ડીમેન જેવા વિદેશીઓ પણ હતા. કેટલાક વૈચારિક મતભેદ થતા પ્રોજેક્ટમાંથી નીકળી પણ ગયા. અત્યાર સુધીમાં હાંસિયામાં રહેલી પ્રજાએ દાખવેલી ચેતનાને અને તેમના સંઘર્ષને વાચા આપતાં ૧૧ ખંડો પ્રકાશિત થઈ ચુક્યાં છે જેમાંથી પહેલા છ ખંડોનું સંપાદન રણજીત ગુહાએ કર્યું હતું. રણજીત ગુહાને અનુસરીને બીજા દેશોમાં પણ આ રીતનું સબાલ્ટર્ન ઇતિહાસ લેખન શરૂ થયું છે.

તમે ક્યારે ય વિચાર્યું હતું કે ઘરમાં ગોંધી રાખેલી સ્ત્રી પણ પોતાને કોઈને કોઈ રીતે વ્યક્ત કરે છે? ક્યારે ય કાન આપવાની કોશિશ કરી છે? માટે રણજીત ગુહા સાંપ્રત યુગના મહાન ઇતિહાસકારોમાં સ્થાન ધરાવે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 મે 2023

Loading

...102030...1,1491,1501,1511,152...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved