Opinion Magazine
Number of visits: 9563749
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ક્ષમતા નહીં, દૃષ્ટિ સીમિત હોય છે : ખલિલ જિબ્રાન 

સોનલ પરીખ|Opinion - Opinion|13 May 2023

·       મોટા ભાગનો પ્રેમ, આપણે જે કહીએ છીએ અને જે કહેવા માગીએ છીએ એ બે વચ્ચેના અવકાશમાં ખોવાઈ જાય છે

·       આપણને જે અવરોધે છે તે ક્ષમતાનો અભાવ નથી, આપણને આપણી જ દૃષ્ટિની સીમાઓ જકડી રાખતી હોય છે.

·       વિશ્વના પટ પર ફરી વળો, એની વાતો ન કરો. સાચી પ્રેમકહાણીને જીવી જાઓ, એ વિશે કશું ન કહો. આનંદ માણો, એને વર્ણવવા ન બેસો. સુંદર બાબતોને શબ્દોથી ખરડી ન નાખો

·       એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી

— ખલિલ જિબ્રાન   

‘હું પૃથ્વીના કર્ણપટે એક શબ્દ સંભળાવવા આવ્યો છું. પ્રભુના પ્રતિબિંબ સમા પ્રેમ અને સૌંદર્યનો પ્રકાશ ઝીલવા આવ્યો છું. હું સર્વ માનવો સાથે રહેવા આવ્યો છું. મારા એકાંતમાં હું જે કંઈ કહીશ તેનો પડઘો આવતી કાલે બધાનાં હૃદયમાં પડવાનો છે.’

આ સુંદર અને અર્થઘન શબ્દો ખલિલ જિબ્રાન સિવાય કોના હોઈ શકે?

10મી એપ્રિલે આ અમર સર્જકના દેહાવસાનને 92 વર્ષ થયા. તેના જન્મને દોઢસો વર્ષ થયાં. કેટલાં ય પાણી વહી ગયાં, કેટલા ય પ્રવાહો પલટાઈ ગયા, દુનિયા કેટકેટલાં ક્રાંતિકારી પરિવર્તનોમાંથી પસાર થઈ. આમ છતાં ખલીલ જિબ્રાનના વિચારોની અને શબ્દોની તાજગી ઓસરી નથી. ક્યાંથી ઓસરે – જિબ્રાને કહ્યું છે, ‘એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી.’

એમનો જન્મ 1883માં સિરિયાના લેબનન પ્રાંતના એક ગામમાં. બાર વર્ષ સુધી ઘરમાં માબાપ પાસે જ શિક્ષણ થયું. એ દરમિયાન અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાઓ શીખી લીધી. ચિત્રકામ એટલું ગમતું કે ચાર વર્ષની ઉંમરે કાગળ વાવવા અને ઉગાડવાની કલ્પના કરી, જેથી કાગળ ખૂટે નહીં. છ વર્ષની ઉંમરે ઈટલીના ચિત્રકાર લિયોનાર્ડો પર લગભગ પૂજવાની હદ સુધીનો પ્રેમ જાગ્યો.

પછી કુટુંબ અમેરિકાના બૉસ્ટનમાં આવી વસ્યું. જિબ્રાનને ત્યાં ગમ્યું નહીં. ત્યાંના શિક્ષણથી તેને એવો ત્રાસ થયો કે બે વર્ષમાં અમેરિકા છોડી એકલા જ બૈરુતમાં આવી અરબી ભણવા માંડ્યું. 1901માં મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે વૈદક, આંતરરાષ્ટ્રીય કાયદો, ધર્મોનો ઇતિહાસ અને સંગીત જેવા વિષયોનો ઘણો અભ્યાસ પણ થઈ ગયો હતો. ઉપરાંત ‘ધ પ્રોફેટ’નો ખરડો અરબી ભાષામાં તૈયાર થઈ હયો હતો. ‘અલ-હકીકત’ (સત્ય) નામનું એક સામયિક પણ કાઢેલું.

મેટ્રિક થયા પછી જિબ્રાન ગ્રીસ, ઈટલી અને સ્પેન થઈ પેરિસ ગયા. 1901થી 1903 તેઓ પેરિસમાં ચિત્રકલાનો અભ્યાસ કરતા હતા. સાથે લેખન પણ ચાલતું. એમના ‘સ્પિરિટ ઑફ રિબેલિયસ’ પુસ્તકને બૈરુતના પાદરીઓએ ‘ભયંકર’ કહ્યું અને બજાર વચ્ચે બાળ્યું. જિબ્રાનને દેશવટો અને ધર્મવટો ફરમાવ્યો. જિબ્રાનને ખબર પડી ત્યારે શાંતિથી કહે, ‘પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરો.’ આંતરરાષ્ટ્રીય કાયદો, ધર્મોનો ઇતિહાસ અને સંગીત શીખી લીધા હતા.

મા બીમાર પડતાં જિબ્રાન 1903માં બૉસ્ટન આવ્યા. એની પથારી પાસે બેસી ‘ધ પ્રોફેટ’ના અંશ સંભળાવતા. માએ કહ્યું, ‘સારું લખ્યું છે, જિબ્રાન, પણ હજુ પાક્યું નથી. હમણાં ઊંચું મૂક.’ અને જિબ્રાને દસ વર્ષ સુધી એને ઊંચું મૂકી દીધું. 1903થી 1908 જિબ્રાન બૉસ્ટનમાં હતા. એક વાર મકાનને આગ લાગી અને અત્યાર સુધીની બધી જ કલાકૃતિ ભસ્મીભૂત થઈ ગઈ. તેઓ પેરિસ ચાલ્યા ગયા અને ચિત્રકલાનો અભ્યાસ ફરી શરૂ કર્યો.

1923માં ‘ધ પ્રોફેટ’ અંગ્રેજીમાં પ્રગટ થયું. આખું નવેસરથી જ લખાયું હતું. એ પહેલાં ‘બ્રોકન વિંગ્સ’, ‘ધ ટેમ્પેસ્ટ્સ’ અને ‘પ્રોસેશન્સ’ પ્રગટ થઈ ચૂક્યાં હતાં. ત્યાર પછી ‘ધ મેડનેસ’, ‘ધ ફૉર રનર’ વગેરે છએક પુસ્તકો આવ્યાં. અંગ્રેજીમાં હતાં અને બાઈબલની શૈલીમાં લખાયાં હતાં તેથી આખા યુરોપનું ધ્યાન ખેંચાયું. વીસ કરતાં વધુ ભાષામાં એના અનુવાદો થયાં. યુરોપ-અમેરિકામાં અનેક સ્થળે એમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાતાં.

જિબ્રાન દિવસે ચિત્રો દોરે અને રાત્રે લખે. બે છેડે બળતી મીણબત્તીની જેમ એમની સર્જકતા અને આયુષ્ય બમણા વેગે ખર્ચાતાં હતાં. કદાચ એટલે જ માત્ર 49માં વર્ષે એમણે ચિરવિદાય લઈ લીધી. એક વાર્તામાં એક માણસ ઘર શોધ્યા કરે છે. લેખક તેને મદદ કરવા માગે છે, ત્યારે એ ઊભો થઈ હાથ પહોળા કરે છે. એની હથેળીઓમાં ઊંડા ઘા પડેલા છે. લેખક રડી પડે છે, ‘ઓહ…ઓહ… તમે તો નાઝારેથના ઈસુ છો!’ ઈસુ કહે છે, ‘લોકો મારા ઉત્સવો ઊજવે છે, પણ મારી સામે કોઈ જોતું નથી. આ પૃથ્વી પર પૂર્વથી પશ્ચિમ સુધી મેં ભ્રમણ કર્યું છે, પણ કોઈ મને ઓળખતું નથી. વનનાં પશુઓ સારુ એમની બખોલો છે, આકાશનાં પંખીઓ સારું એમના માળા છે, પણ મારે માટે – માનવીના પુત્ર માટે એ નચિંત થઈ શિર ઢાળીને સૂઈ શકે એવું કોઈ નિવાસસ્થાન શોધ્યું જડતું નથી.’ આટલું કહી ઈસુ ચૂપ થાય છે. લેખક આગળ લખે છે, ‘મેં આંખ ખોલી તો સામે માત્ર ધૂમ્રસ્તંભ ખડો હતો. પલકારામાં એ વિખેરાઈ ગયો …’ અનુભૂતિ અને સર્જકતાના કયા સ્તરેથી આવી કૃતિઓ જન્મતી હશે!

એમનું અંગત જીવન સાદું અને ભાવનાપ્રધાન રહ્યું. એમના અનેક સ્ત્રીઓ જોડેના સંબંધોને સુભાષ ભટ્ટ ‘ચૈતન્યના આવિષ્કારના ભિન્ન ભિન્ન તબક્કાઓ’ એવા શબ્દોમાં વર્ણવે છે. સર્જકતા એટલી ઊભરાતી કે એને વ્યક્ત કરવા ગજા બહારનો પરિશ્રમ કરવો પડતો. ‘ધ પ્રોફેટ’નો ‘વિદાયવેળાએ’ નામનો અત્યંત સુંદર અનુવાદ કરનાર કિશોરલાલ મશરૂવાળા લખે છે કે ‘જિબ્રાનની બુદ્ધિ અત્યંત કુશાગ્ર હતી અને સ્વભાવમાં બાળક જેવી નિષ્કપટ સરળતા હતી. સાથે ઉદારતા, સતત અધ્યયન અને અખૂટ વતનપ્રેમ. અમેરિકામાં બેઠા લેબનનના તરુણોને પ્રેરણા આપી શકતા. પુનર્જન્મમાં માનતા અને જેમ હિંદુઓ માને છે કે ભગવાનના અવતારો ભરતખંડમાં જ થાય છે તેવો જ વિશ્વાસ ધરાવતા કે ઈશ્વરના પયગંબરો સિરિયામાં જ જન્મે છે.’

ન્યૂયૉર્કની એક હૉસ્પિટલમાં 10 એપ્રિલ 1931ના દિવસે તેમનું અવસાન થયું. શબને ન્યૂયૉર્કથી બૉસ્ટન, ત્યાંથી બૈરુત અને ત્યાંથી એમના જન્મસ્થાને પહોંચાડ્યું ત્યારે જુલાઈ મહિનો આવી ગયો હતો. જ્યાંથી તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા ત્યાં જ તેમને માનપૂર્વક અને વિધિપૂર્વક દફનાવવામાં આવ્યા.

પ્રેમ વિનાના મનને જિબ્રાન ‘ઋતુઓ વિનાનું જગત’ કહે છે. લખે છે, ‘પ્રેમને હું સમજી શકું એ પહેલાં હું પ્રેમનું ગીત ગાતો. પણ જ્યારે મને પ્રેમની અનુભૂતિ થઈ ત્યારે મારા શબ્દો માત્ર મારા ઉચ્છવાસમાં ભળી ગયા અને મારા હૃદયનું સંગીત ઊંડી નીરવ શાંતિમાં સમાઈ ગયું. તમે કહી શકો એમ હો તો કહો, કે મારા હૃદયમાં જલતી આ જ્યોત શાની છે, જે મારું સઘળું સામર્થ્ય ખર્ચાવી નાખે છે અને મારી આશાઓ-ઈચ્છાઓને ઓગાળી નાખે છે? આ કયા હળવા, મૃદુ ને સુંદર હાથ છે જે મારા આત્માને એકાંતની પળોમાં આવરી લઈ મારા હૃદયપાત્રમાં આનંદની કટુતા અને દર્દની મધુરતાથી મિશ્રિત સુધા રેડી જાય છે?’

‘હું વ્યાકુળ છું – આ કઈ પાંખો મારી પથારીની આસપાસ ફફડાટ કરતી ફરે છે? આ કયું રહસ્ય છે જે સઘળાં કાર્યોનું કારણ ને સઘળાં કારણોનું કાર્ય છે? મંદિરના ગુંબજમાંથી પડઘા આવે છે, “સૃષ્ટિમાં બે જ ચીજ છે, થીજેલો પ્રવાહ અને ભભૂકતી જ્વાળા.” હું પોકારું છું, “તો હે પ્રભુ! મને એ ભભૂકતી જ્વાળાનો હોમ બનાવ અને એ દૈવી આતશનું બળતણ પણ બનાવી દે.”’

‘મોટાભાગનો પ્રેમ, આપણે જે કહીએ છીએ અને જે કહેવા માગીએ છીએ એ બે વચ્ચેના અવકાશમાં ખોવાઈ જાય છે.’ ‘આપણને જે અવરોધે છે તે ક્ષમતાનો અભાવ નથી, આપણને આપણી જ દૃષ્ટિની સીમાઓ જકડી રાખતી હોય છે.’ ‘વિશ્વના પટ પર ફરી વળો, એની વાતો ન કરો. સાચી પ્રેમકહાણીને જીવી જાઓ, એ વિશે કશું ન કહો. આનંદ માણો, એને વર્ણવવા ન બેસો. સુંદર બાબતોને શબ્દોથી ખરડી ન નાખો.’

પ્રેમ અને જિંદગી પર આટલું ચિંતન કર્યું હોય તે મૃત્યુ વિશે કહ્યા વિના રહે? યાદ આવે છે ‘વિદાયવેળાએ’નું છેલ્લું વાક્ય, ‘થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ અને એક બીજી માતા મને ધારણ કરશે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ઍપ્રિલ 2023

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૬)

સુમન શાહ|Opinion - Literature|13 May 2023

કવિઓના પ્રકાર –

કાવ્યશાસ્ત્રમાં, કવિઓના ત્રણ પ્રકાર વર્ણવાયા છે :

શાસ્ત્ર-કવિ. કાવ્ય-કવિ. શાસ્ત્ર અને કાવ્ય બન્નેમાં પ્રવીણ, ઉભય-કવિ.

સુમન શાહ

શ્યામદેવ જણાવે છે કે એ ત્રણમાં ઉત્તરોત્તર કવિ, શ્રેષ્ઠ છે. એટલે કે, શાસ્ત્ર-કવિથી કાવ્ય-કવિ અને કાવ્ય-કવિથી ઉભય-કવિ ચડિયાતો છે.

પણ વાસ્તવને ઓળખનારા રાજશેખર કહે છે – ના ના, પોતપોતાના વિષયમાં બધા શ્રેષ્ઠ છે. તેઓ સરસ કહે છે કે – રાજહંસ ચન્દ્રિકાપાન નથી કરી શકતો અને ચકોર નીરક્ષીર-વિવેકમાં સમર્થ નથી. એટલે કે, પોતપોતાના વિષયમાં બન્ને શ્રેષ્ઠ કલાવિદ છે.

તદનુસાર, શાસ્ત્ર-કવિ શાસ્ત્રીય ગમ્ભીરતાને કારણે રસ, ધ્વનિ આદિ દ્વારા કાવ્યમાં રસ-સમ્પદાની શોભા વધારતો હોય છે. તેવી રીતે, કાવ્ય-કવિ તર્કકર્કશ શાસ્ત્રીય જટિલ વિષયોને પોતાની સુકુમાર કલાકૃતિથી સરસ અને સુન્દર બનાવી શકતો હોય છે. ઉભય-કવિ બન્ને વિષયોમાં સિદ્ધહસ્ત હોવાને કારણે વાસ્તવમાં બન્નેમાં શ્રેષ્ઠ નીવડતો હોય છે.

રાજશેખર એક નૉંધપાત્ર સત્ય ઉચ્ચારે છે. કહે છે – અમે માનીએ છીએ કે કાવ્ય અને શાસ્ત્રનો ઉપકાર્ય-ઉપકારક ભાવ છે; શાસ્ત્ર દ્વારા કાવ્યને ઉપકાર થાય છે અને કાવ્ય દ્વારા શાસ્ત્રને. કવિ જો શાસ્ત્રોનો પણ વિદ્વાન હોય તો એની રચના અધિક ગમ્ભીર, સરસ અને ઉચ્ચ કોટિની નીવડી આવે છે. કેવળ શાસ્ત્ર જાણનારો વિદ્વાન કવિતાનો વિરોધી હોય છે, એ જો કવિતા કરે, તો અરોચક અને નીરસ નીવડતી હોય છે. જ્યારે, કાવ્યનું જ્ઞાન શાસ્ત્રીય વાક્યોના પોષણમાં સરળતાથી સહાયક નીવડે છે. પરન્તુ, કેવળ કાવ્યજ્ઞાનમાં શાસ્ત્રીય ગામ્ભીર્યનો અભાવ રહેતો હોય છે.

અહીં રાજશેખર સઘળા કવિ-ભેદ સાચવે છે છતાં તરત સમતા ભણી વળી જાય છે. આમે ય મને તેઓ પ્લુરાલિસ્ટ વરતાયા છે. મેં જ્યારે જોયેલું કે એમણે શાસ્ત્ર-કવિ અને કાવ્ય-કવિના પેટા પ્રકારો પણ દર્શાવ્યા છે, ત્યારે મને મારું આ મન્તવ્ય દૃઢ થતું લાગેલું.

કાવ્ય-કવિના પ્રકાર જોઈએ. એમણે ૮ પ્રકાર દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે :

૧ : રચના-કવિ

આ કવિ કેવળ શબ્દોની રચનાછટા દાખવતો હોય છે. એની કૃતિ પઠન-શ્રવણમાં સુન્દર પ્રતીત થાય છે પણ અર્થ બાબતે એમાં ગમ્ભીરતા નથી હોતી.

૨ : શબ્દ-કવિ

એમાં એક છે, નામ-કવિ

એ નામવાચક સુબન્ત (નામાદિ) શબ્દો બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – જેમ પુરુષ માટે વિદ્યા, રાજા માટે મહિમા, વૈદ્ય માટે પ્રજ્ઞા, ભવિષ્યદર્શી માટે બુદ્ધિ, સજ્જન માટે દયા,  વગેરે વગેરે …

અહીં અનેક નામો – સુબન્ત શબ્દો – એકનીએક ક્રિયા સાથે જોડાયા છે, એટલે એના રચનાકારને નામ-કવિ કહેવો જોઈશે.

એમાં બીજો છે, આખ્યાત-કવિ 

એ આખ્યાત પદ બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – સમુદ્રમાંથી અમૃતમન્થન પ્રસંગે, ગુરુએ – બૃહસ્પતિએ – કરેલી અમૃતમન્થનની ઘોષણા સાંભળીને દેવતાગણ અટ્ટહાસ્ય કરતા’તા, પ્રસન્ન થતા’તા, ગર્જના કરતા’તા, ફરકતી ભુજાઓનો પરસ્પર આઘાત કરતા’તા, સ્તુતિ કરતા’તા, પ્રમુદિત થતા’તા.

અહીં નામ-પદ તો એક-બે જ છે, બાકી બધાં આખ્યાત અથવા ક્રિયાપદ છે.

૩ : નામાખ્યાત-કવિ

આ કવિ નામ અને ક્રિયાપદ બન્નેનાં મિશ્રણ કરતો હોય છે.

૪ : અર્થ-કવિ

ઉદાહરણ – કુમાર કાર્તિકેયના જન્મમહોત્સવ પ્રસંગે, હાથ ઊંચા કરીને એક બાજુએથી ભૃંગિરિટ ગણ આવી રહેલો ને બૂમો પાડીને કહેતો’તો – હે ગણો ! બેસી શું રહ્યા છો, દેવીએ (પાર્વતીએ) પુત્ર પ્રસવ્યો છે, ગાવ અને નાચો. એવી જ રીતે, બીજી બાજુએથી ચામુણ્ડા આવી રહેલી; બધાં પરસ્પર મળીને આલિંગન કરતાં કરતાં નાચવા લાગેલાં. એમનાં ગળામાં લટકતી પુરાણાં સૂકાં હાડકાંની માળાઓ પરસ્પર અથડાઈ એટલે એનો એવો તો ભયંકર ધ્વનિ થયો કે દેવતાઓનો દુન્દુભિ ધ્વનિ તો ક્યાં ય દબાઈ ગયો.

અહીં કવિએ શબ્દરચના તો કરી જ છે પણ અપેક્ષા એ રાખી છે કે પ્રધાનપણે અર્થ ચમત્કારી બની આવે.

૫ : અલંકાર-કવિ

એમાં એક છે, શબ્દાલંકાર-કવિ

ઉદાહરણ – ખેદ છે કે મેં મારાં પાપકર્મોને લીધે વિષમ રણ પ્રાપ્ત ન કર્યુ ને વિષ-મરણ પ્રાપ્ત કર્યું. હું મન્દભાગી ભાગીરથીમાં ન મરીને સાધારણ એવી રથ્યામાં – ગલીમાં – દુર્ગતિ પામીને મર્યો.

અહીં, વિષમ-રણ અને વિષ-મરણ, ભાગીરથ્યામ્ અને મન્દભાગી રથ્યામ્ -માં પાદમધ્યયમક શબ્દાલંકાર છે.

એમાં બીજો છે, અર્થાલંકાર-કવિ.

ઉદાહરણ -ફરફરતી જિહ્વારૂપી પતાકાવાળા અને ફણારૂપી છત્ર ધારણ કરનારા સર્પરાજ વાસુકીની દાંતરૂપી શલાકાઓનો ભંગ કરવા માટે મારી ભુજાઓ સમર્થ છે.

અહીં, જિહ્વા-પતાકા, ફણચ્છત્ર, દંષ્ટ્રા-શલાકા વગેરેમાં રૂપક અલંકારની પ્રધાનતા પ્રતીત થાય છે.

૬ : ઉક્તિ-કવિ

ઉદાહરણ – યૌવન ! આ સુનયના રમણીમાં તું રમણીય ક્રીડાઓ કરી રહ્યું છે. એની સુન્દર પાતળી કમર કોઈના શ્વાસથી ભંગ થવા યોગ્ય છે, સ્તનોની વિશાળતા સુન્દર ભુજલતાઓ જોડે આલિંગન કરી રહી છે, અને એનું મુખચન્દ્ર આંખોની નલિકાથી પાન કરવાને યોગ્ય આકર્ષક થઈ ગયું છે.

અહીં યૌવનના આરમ્ભનું વર્ણન છે. કવિએ શ્વાસભંગ માટે યોગ્ય કટિ, સ્તનોની વિશાળતાને આલિંગન, અને મુખચન્દ્રનું નેત્રનલિકાથી પાન, વગેરે ઉક્તિઓમાં વિશેષતા દાખવી છે.

૭ : રસ-કવિ

ઉદાહરણ – મોટે ભાગે લોકોમાં જાણીતું છે કે પ્રસિદ્ધ તામ્રવર્ણી નદી સમુદ્ર સાથે સંગમ કરે છે, ત્યાં ઉચ્ચ કોટિનાં મોતી ઘણાં ઉત્પન્ન થાય છે. કાલિદાસે પણ એની ચર્ચા કરી છે. કવિ વર્ણન કરે છે : હે કૃશોદરિ ! સમુદ્રમાં ભળી જતી આ નદીને જો, છિપોનાં સમ્પુટથી નીકળેલા એના જલકણ સુન્દરીઓના વિશાળ સ્તન-તટો પર મોતીના હાર રૂપે શોભે છે.

અહીં, કવિ સમ્ભોગ શ્રૃંગારરસ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે.

૮ : માર્ગ-કવિ

ઉદાહરણ – પૂર્વકાળે શિવજીની નેત્રજ્વાળાથી કામદેવ બળી રહ્યો’તો, ત્યારે એના પ્રિય મિત્ર ગ્રીષ્મે એને દાહશમનની ઔષધિઓ પ્રદાન કરેલી, જેથી એનો તાપ શાન્ત થઈ શકે – જેમ સુગન્ધબાલાની ગન્ધથી – માલતીની છાલથી – ચન્દન વૃક્ષોના સારથી – અશોકનાં લીલાં સરસ પલ્લવથી – શિરીષનાં પુષ્પથી અને પક્વ કેળાંથી થઈ શકે છે. તાત્પર્ય એ છે કે આ બધાં સાધન ગ્રીષ્મકાળે શીતળ, એટલે કે કામક્રીડા-નાં જીવન હોય છે. 

અહીં, કવિએ મૂળથી માંડીને ફળ સુધીની ઔષધિઓનો વર્ણનક્રમ આકર્ષક રીતે તેમ જ વૈદર્ભી રીતિ અથવા માર્ગ અનુસાર સાચવી બતાવ્યો છે.

રાજશેખરે કવિઓની દસ અવસ્થા પણ દર્શાવી છે. ક્રમશ: જોઈએ :

૧ :

કવિત્વપ્રાપ્તિની ઇચ્છાથી કાવ્ય અને તદંગભૂત અલંકાર છન્દ કલા આદિ વિદ્યાઓના જ્ઞાન માટે ગુરુકુળમાં જાય, એ જન કાવ્યવિદ્યાસ્નાતક છે.

૨ :

મનમાં ને મનમાં કાવ્યરચના કરે છે પણ સંકોચવશ, અથવા દોષ નીકળશે એવા ડરને કારણે, કોઈને સંભળાવે નહીં, મનમાં જ રાખે, એ જન હૃદયકવિ છે.

૩ :

પોતાની રચનાની વિપરીત આલોચના થશે એવા ભયથી, એ રચના બીજાની છે, એમ કહીને પઠન કરે, એ જન અન્યાપદેશી કવિ છે.

૪ :

કંઈક રચના કરવા લાગ્યો હોય પણ પુરાતન કવિઓમાંથી કોઈ એકને પોતાનો આદર્શ માનીને એની છાયામાં કાવ્ય રચ્યા કરતો હોય, એ જન સેવિતા કવિ છે.

૫ :

જુદા જુદા વિષયો લઈને ફૂટકળ રચનાઓ કર્યા કરે, કોઈ એક નિબન્ધન પર જાય નહીં, એ જન ઘટમાન કવિ છે.

૬ :

એક સમ્પૂર્ણ નિબન્ધ-કાવ્યનું નિર્માણ કરે, એ જન મહાકવિ છે.

૭ :

જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી પ્રબન્ધ-રચનાઓ અને ભિન્ન ભિન્ન રસમાં સ્વતન્ત્રતાપૂર્વક નિર્બાધ કાવ્યનિર્માણ કરવામાં સમર્થ હોય, એ જન કવિરાજ છે. સંસારમાં કવિરાજ ગણ્યાગાંઠ્યા હોય છે.

૮ :

મન્ત્ર વગેરેનાં ઉપદેશ અને અનુષ્ઠાનથી કાવ્યસિદ્ધિ પ્રાપ્ત કરે, એ જન આવેશિક કવિ છે.

૯ :

પોતે જ્યારે ઇચ્છે ત્યારે ધારાપ્રવાહથી કોઈપણ વિષય પર કાવ્યરચના કરી પાડે, એ અવચ્છેદી કવિ છે.

૧૦ :

અવિવાહિત કન્યાઓ કે કુમારો પર મન્ત્રશક્તિ દ્વારા સરસ્વતીનો સંચાર કરે, એમની પાસે કાવ્યો કરાવે, એ જન સંક્રામયિતા કવિ છે.

બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ —

કોઈને લાગે કે આ જાતના પ્રકારભેદ અને તેનાં આટલાં બધાં વર્ગીકરણથી, ટૅક્સોનૉમિથી, શો લાભ? યાદ કરો, કેળવણીપરક અમેરિકન મનોવિજ્ઞાની બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ, કેળવણીક્ષેત્રે કેટલી લોકપ્રિય થયેલી.

આ કવિભેદનિરૂપણ અને તેનાં વર્ગીકરણથી સીધી કે આડકતરી રીતે કાવ્યવિદ્યા અને કાવ્યપરમ્પરા જેવાં અતિ આવશ્યક વાનાંનો મહિમા સૂચવાય છે. લાભ એ કે એ મહિમા આત્મસાત્ થાય તો કાવ્યકલાજ્ઞાન મળે, પ્રેરણા અને શીખ પણ મળે; કાવ્યદોષથી બચી શકાય, કાવ્યગુણની સૂઝબૂઝનો વિકાસ થાય. કલા અને અકલા વચ્ચેનો મૂળ ફર્ક શું છે તે સમજાય.

આ સઘળા કવિભેદ કવિઓની ભિન્ન ભિન્ન વર્તણૂકોનો પણ પરિચય આપે છે. એ વર્તણૂકો સાર્વત્રિક અને સર્વકાલીન છે, કોઈપણ ભાષાસાહિત્યના કવિઓમાં, સર્જકોમાં, જોવા મળે છે.

આપણે ત્યાં ક્યાં નથી એવી બધી વર્તણૂકો …

(હવે પછી, કુન્તક — )

= = =

(05/12/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી?

રમેશ સવાણી|Opinion - Opinion|12 May 2023

આપણા વડા પ્રધાન ત્રણ નેતાઓની લાંબી લીટી ભૂંસી, પોતાની ટૂંકી લીટી લાંબી દેખાડવાની સતત કોશિશ કરે છે. નકલ કરે છે, પણ મેળ પડતો નથી !

[Illustration courtesy : The Print]

પ્રથમ છે, જવાહરલાલ નેહરુ. તેમની આંતરરાષ્ટ્રીય છબિને નાની કરવા વડા પ્રધાને અનેક દેશોની યાત્રા કરી. પરંતુ એ સમજી શક્યા નહીં કે નેહરુ વિદેશમાં જઈને ‘અબ કી બાર ટ્રમ્પ’ જેવી મૂર્ખતા કરતા ન હતા ! નેહરુ કોર્પોરેટ મિત્રોને ઠેકો મળે તે માટે વિદેશ યાત્રા કરતા ન હતા ! નેહરુ ભારત નિર્માણ માટે લાગેલા હતા. નેહરુ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. વડા પ્રધાન તો વૈજ્ઞાનિક અભિગમને સાવ ફાલતું સમજે છે ! વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાદળાં છે અને તેમાં આપણું ફાઈટર વિમાન રડારમાં દેખાશે નહીં, એટલે એટેક કરવાનો મોકો છે !’ વડા પ્રધાને 5 મે 2023ના રોજ, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું કે “કાઁગ્રેસ સતામાં આવશે તો બજરંગ બલિ હનુમાનની પૂજા કરતા બજરંગદળ પર પ્રતિબંધ મૂકશે !” આમાં કોઈ તર્ક ખરો? 1984માં બનેલા બજરંગ દળની સરખામણી, સદીઓથી પૂજાતા બજરંગ બલિ સાથે કરી શકાય? વડા પ્રધાનને ગણેશજીમાં કોસ્મેટિક સર્જરી દેખાય છે ! બંધારણનાં આર્ટિકલ- 51A (h) મુજબ “દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવે.” નેહરુમાં આ ભાવના હતી, વડા પ્રધાનમાં તો બધું વિપરીત જોવા મળે છે ! નેહરુ આધુનિકતાવાદી હતા; જ્યારે વડા પ્રધાન revivalist-પુનરુત્થાનવાદી છે. નેહરુ Harmony-સંવાદિતાના માસ્ટર હતા; જ્યારે વડા પ્રધાન Polarisation-ધ્રુવીકરણના માસ્ટર છે ! એટલે નેહરુને આંબી શકવાની કોઈ શક્યતા જ નથી. નફરત ફેલાવવી સહેલી છે, સમજણ રોપવાનું કામ અઘરું છે. અઘરું કામ નેહરુએ કર્યું હતું.

બીજા છે, ઇન્દિરા ગાંધી. બાંગ્લાદેશ દેશ યુદ્ધને ભૂંસી નાખવા વડા પ્રધાને સર્જીકલ સ્ટ્રાઈક કરી ! પરંતુ ઇન્દિરાજી જેવી ઈમેજ બનાવી ન શક્યા !

ત્રીજા છે, ગાંધીજી. ગાંધીજીની સાદગી કરતાં પોતાની ફકીરી મહાન છે, તેવું દેખાડવાની કોશિશ કરી. સંન્યાસી બની હિમાલય જઈ તપસ્યા કરવાની વાત કરી ! પણ વચ્ચે 10 લાખનો સૂટ આવી ગયો ! કોર્પોરેટ મિત્રો તથા કોર્પોરેટ ધર્મ ધર્મગુરુઓ વચ્ચે આવીને ફકીરી છીનવી ગયા !

ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજી પ્રેસથી ડરતા ન હતાં; પણ આપણા વડા પ્રધાન પ્રેસથી ફફડે છે, તેથી દરબારી-ગોદી મીડિયાની હજારો કોશિશ છતાં; રોજે કરોડો રુપિયા ખર્ચ કરવા છતાં; વડા પ્રધાનની છબિ મોટી બનતી નથી ! મહાન કાર્યો કરવાથી મહાન છબિ બનતી હોય છે; નફરત ફેલાવવાથી છબિ ક્યારે ય મોટી બની શકે નહીં !

શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી? 

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1021,1031,1041,105...1,1101,1201,130...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved