કોઈ ગયું
થવાનું હતું એ, થયું.
બળ્યું
રખ્યા જેવુંય પછી કંઈ ન રહ્યું.
ખખડ્યું પતરું
અને ખખડી પડ્યું મન અમથું-અમથું.
e.mail : umeshsol@gmail.com
કોઈ ગયું
થવાનું હતું એ, થયું.
બળ્યું
રખ્યા જેવુંય પછી કંઈ ન રહ્યું.
ખખડ્યું પતરું
અને ખખડી પડ્યું મન અમથું-અમથું.
રમેશ ઓઝા
જેને મુખ્ય ધારાના અને માતબર કહેવાય એવા મીડિયા(પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્ને)માંથી ૯૦ ટકા કરતાં પણ વધારેને મેનેજ કરવામાં આવ્યા હોવા છતાં, અને તે ગોદી મીડિયામાં ફેરવાઈ ગયા હોવા છતાં, એક પછી એક એવી ઘટના બની રહી છે જે નહોતી બનવી જોઈતી. થોડાં ઉદાહરણ જોઇએ.
ગોદી મીડિયાએ સરકાર તરફી અને જે કોઈ સરકારનો વિરોધ કરતા હોય તેના વિરોધી ચોવીસે કલાક કાગારોળ કરી હોવા છતાં નેશનલ સિટીઝનન્સ રજિસ્ટ્રી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી. ગોદી મીડિયાની પરસેવો પાડનારી સેવા છતાં ય ખેડૂતોનું આંદોલન સફળ નીવડ્યું, સરકારે ઝૂકવું પડયું અને કૃષિકાનૂનો પાછા લેવા પડ્યા. ગોદી મીડિયાએ ખેડૂતોને બદનામ કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું.
ગોદી મીડિયાની ચોવીસ કલાકની સેવા છતાં ય રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા સફળ નીવડી અને રાહુલ ગાંધીની આખી ઈમેજ બદલાઈ ગઈ. ૨૦૧૩થી રાહુલ ગાંધીને ખતમ કરવા માટે કુપ્રચાર કરવામાં આવતો હતો. ગોદી મીડિયાની અવિરત સેવા છતાં ય લદાખમાં ચીને ભારતનાં ૬૫ પેટ્રોલિંગ પોસ્ટમાંથી ૨૬ પોસ્ટ ભારત પાસેથી છીનવી લીધી છે, એનો સ્વીકાર ભારત સરકારે કરવો પડ્યો છે. ૬૫માંથી ૨૬. આ કડવી હકીકતનો સ્વીકાર એટલા માટે કરવો પડ્યો કે વિશ્વભરમાં સ્વતંત્ર મીડિયા દ્વારા જગતને જાણ થઈ ગઈ.
અને હવે ગોદી મીડિયાની અવિરત સેવા છતાં ય અદાણીનો પરપોટો ફૂટી રહ્યો છે. ગોદી મીડિયાએ ઘણું વારનિશ કર્યું પણ હવે દુનિયા જાણે છે કે નોટબંધીનો તુઘલખી પ્રયોગ નિષ્ફળ નીવડયો. હવે સરકાર પણ નોટબંધીનાં જશનો દાવો નથી કરતી, બલકે તેને ભૂલાવવાનું કામ ગોદી મીડિયા કરે છે પણ એ ડામ ભૂલાતો નથી. તો સવાલ એ છે કે ગોદી મીડિયા પરિણામકારી ન હોવા છતાં ય તેને શા માટે નભાવવામાં આવે છે? કોઈ ચીજ છુપાવી શકાતી નથી, બધું જ બહાર આવી જાય છે, લાખોની સંખ્યામાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી પડે છે અને ક્વચિત સરકારે પીછેહઠ કરવી પડે છે તે ગોદી મીડિયાનો ખપ શો?
આનો ઉત્તર એક પ્રસંગ દ્વારા મળી જશે. છત્તીસઢના રાયપુર શહેરમાં બાગેશ્વર નામનો એક બાવો છે. મહા ખેપાની અને ધૂતારો. ચમત્કારી બાબો. વળી પાછો રામકથા કરે. બાબાના ચમત્કારોની લોકવાયકાઓ વહેતી થવા લાગી (આ કામ પૈસા લઈને ગોદી મીડિયા કરી આપે છે) અને બાબો રાયપુરમાં સેંકડો એકર જમીનમાં બાગેશ્વાર ધામનો માલિક થઈ ગયો. એ બાબો નાગપુરમાં કથા કરવા ગયો ત્યારે સમાજમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરતા એક સંગઠને બાબાને પડકાર્યો. કહ્યું કે જો તમે અમારી સામે ચમત્કાર કરી બતાવશો તો અને અમારા પ્રશ્નોના સાચા જવાબ આપશો તો અમે તમારાં ચરણોમાં માથું મૂકીને માફી માગી લેશું. વળી સો ટકા સાચા જવાબની પણ જરૂર નથી, ૯૦ ટકા પણ ચાલશે. એ પછી શું થયું? બાબો નવ દિવસની જગ્યાએ સાત દિવસમાં કથા આટોપીને ભાગી ગયો.
અને એ પછી શું થયું?
એ પછી જે થયું એમાં ઉપરના પ્રશ્નનો જવાબ મળી રહેશે. ગોદી મીડિયા કોઈ ચીજ છુપાવી નથી શકતા તો તેનો ખપ શો છે? બાબો કથા આટોપીને ભાગી ગયો અને સમાજમાં ચર્ચા થવા લાગી ત્યારે એક હિંદુ સંગઠને નિવેદન બહાર પાડ્યું કે આવા નાસ્તિક સેક્યુલરિયાઓ મુસ્લિમ ખ્રિસ્તી અને બીજા ધર્મના ધુતારાઓને તો ઉઘાડા પાડતા નથી અને હિંદુઓની પાછળ પડી જાય છે. આ લોકો હિંદુવિરોધી છે. હા, આ હકીકત છે. આમ જ કહેવામાં આવ્યું છે. ધર્મના નામે ધતિંગ બધા જ ધર્મમાં ચાલે છે તો હિંદુ ધર્મમાં ચાલતા ધતિંગની પાછળ તમે શા માટે પડ્યા છો? બીજા ધર્મના અનુયાયીઓની આંખ ઉઘાડવાનું કામ તો તમે કરતા નથી તો અમારી આંખ ઉઘાડવા શા માટે મંડી પડ્યા છો? જાવ, તમે હિંદુ વિરોધી છો.
બેવકૂફ બનવાનો અધિકાર. મુસલમાનો અને ખ્રિસ્તીઓ બેવકૂફ બને તો અમે શા માટે નહીં. જો મુસલમાનો અને ખ્રિસ્તીઓને બેવકૂફ બનાવવામાં આવે તો અમને શા માટે નહીં? અમારો ધર્મ બીજા ધર્મો કરતાં ચડિયાતો છે, એટલે બેવકૂફોની સંખ્યા હજુ ઘણી વધારે હોવી જોઈએ. ગર્વ સે કહો હમ ભી બેવકૂફ હૈ. જાવ, પહેલાં બીજા ધર્મોના બેવકૂફોની આંખ ઉઘાડી આવો પછી અમારી પાસે આવજો.
ધુતારાઓ વિજ્ઞાનનિષ્ઠ જવાહરલાલ નહેરુના યુગમાં પણ હતા. ત્યારે પણ આવી ઘટનાઓ બનતી હતી. જેમ કે રાજુલાની બાજુમાં આવેલા જિંઝકા નામનાં ગામમાં એક દેવી પ્રગટ થઈ હતી અને ધતિંગ એવું જામ્યું હતું કે જિંઝકાવાળીનાં દર્શનાર્થીઓથી ટ્રેનો પગ મૂકવાની જગ્યા ન મળે એ રીતે છલકાતી હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે બેવકુફ બનવાનો અમારો જન્મસિદ્ધ અધિકાર છે.
જાવ પહેલાં મુસલમાનોની અને બીજાઓની આંખ ઉઘાડી આવો પછી અમારી પાસે આવજો. ત્યારે બેવકુફ બનનારાઓ બેવકુફ સાબિત થયા એ વાતની શરમ અનુભવતા હતા. એમ નહોતા કહેતા કે ગર્વ સે કહો હમ ભી બેવકુફ હૈ. ગોદી મીડિયા આવા લોકો માટે છે અને માટે તેને પોષવામાં આવે છે.
અને પાછો આ જ હિંદુ ગર્વથી કહે છે કે અમે વિશ્વગુરુ છીએ. હિંદુ સમાજ માટે આ અધોગતિનો કાળ છે, અમૃતકાળ નથી.
ફરવા જવાનું તો સૌને ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને
કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.
પણ કોઈક એવા પણ અલગારી હોય છે, જે રખડ્યા જ કરે. એમને ઘર પાછા ફરવાનો ઉમળકો લગીરે હોતો નથી. કદાચ એમને ઘર હોતું જ નથી.
એક એવા અલગારીની આ વાત છે. એનું નામ છે – પોલ સલોપેક.
એને કોઈ પૂછે કે, “તમારું ઘર ક્યાં?”
તો એનો લાક્ષણિક જવાબ છે ,” જન્મ – અમેરિકામાં, ઉછેર – મધ્ય મેકિસિકોમાં, જુવાનીનો મોટા ભાગનો સમય આફ્રિકામાં ઠેર ઠેર રખડપટ્ટી. મારું ઘર જ્યાં હું ઊભો હોઉં, તે એક મિટર x એક મિટર જમીન.”
આ પોલ ભાઈને નેશનલ જ્યોગ્રાફિકે એક કામ સોંપ્યું છે – રખડયા કરવાનું! અને કોઈ વાહનમાં નહીં – બસ પગપાળા પ્રવાસ જ! દુનિયાના ચારેય ખંડોને આવરી લેતી આ સફર આફ્રિકાના જિબુતી દેશમાંથી જાન્યુઆરી – ૨૦૧૩માં શરૂ થઈ હતી. ૨૧,૦૦૦ માઈલ લાંબી અને દસેક વર્ષ સુધી ચાલુ રહેનારી આ સફર આર્જેન્ટિનાના છેક દક્ષિણે આવેલ ટેરા ડેલ ફુએગોમાં પૂરી થશે. હાલમાં પોલ ભારતમાં છે.
એના પ્રવાસી અનુભવો જાતજાતના છે અને ભાતભાતના લોકો સાથે છે. પંજાબમાં એની સાથે રસ્તા પર ચાલી રહેલા ખેડૂત યુવાનોનો ધખારો છે – ગમે તેમ કરીને ન્યુઝિલેન્ડ પહોંચી જવું અને જીવનમાં નવો નિખાર લાવવો. આવા તો અસંખ્ય અનુભવો પોલને આટલાં વર્ષોમાં થયા છે, થતા રહે છે. એનો એક ઇન્ટરવ્યૂ લાંબો છે, પણ નીચેની લિન્ક પર વાંચવા જેવો છે
પોલના સચિત્ર અનુભવો નેશનલ જ્યોગ્રાફિકાની વેબ સાઈટ પર અપડેટ થતા રહે છે.
આપણને સ્વાભાવિક રીતે થાય કે, ‘શું કામ આ બધા ઉધામા?’
વાત એમ છે કે, નેશનલ જ્યોગ્રાફિકે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે ‘Out of Eden walk’ એ પ્રોજેક્ટને સમજવા આપણે માણસજાત આખી દુનિયા પર શી રીતે ફેલાઈ ગઈ, તે વિશે થોડુંક જાણવું જોઈશે. આમ તો આ બહુ મોટો વિષય છે. ઇથિયોપિયા, જિબુતી દેશોના વિસ્તારમાંથી સૌથી જૂનું માનવ હાડપિંજર મળી આવ્યું હતું. (આશરે ૩૨ લાખ વર્ષ જૂનું) એક માન્યતા પ્રમાણે એ સ્ત્રીને માનવ જાતની આદિમદાદી ગણવામાં આવે છે! આ શાસ્ત્રના તજજ્ઞોમાં એ લ્યુસી તરીકે જાણીતી છે.
એક માન્યતા એવી છે કે, ત્યાંની માનવ વસ્તીની નાની નાની ટુકડીઓ જાતજાતનાં કારણોને લીધે આગળ અને આગળ વધતી ગઈ અને લાખો વર્ષોના અંતે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. જો કે, આ માન્યતાને પડકારતા બીજા પુરાવા પણ મળ્યા છે. પણ અહીં આપણે એ ચર્ચામાં નથી પડવા માંગતા.
નેશનલ જોગ્રાફિકે ‘આ માન્યતા મુજબના રૂટ પર હાલ શી હાલત છે?’ – એ જાણવા આ પ્રોજેક્ટ વિચાર્યો હતો અને એ કામ પોલ ભાઈને સોંપ્યું હતું. એણે આખા રૂટ પર ચાલતા જઈને જાતતપાસ કરવાની છે કે, ‘હાલમાં આ રૂટ પર માનવ હિજરત જારી છે કે, કેમ? અને એનાં શાં કારણો છે?’
જ્યાં જ્યાં પોલ રખડયો, ત્યાંથી એ બાતમી લાવ્યો છે કે, માણસને એક સ્થાયી સ્થિતિ સ્વીકાર્ય નથી, અને તે હમ્મેશ હિજરત કરતો આવ્યો છે. ઘણી વખત આવી હિજરત મજબૂરીના કારણે પણ થતી હોય છે. ગરીબી, ભૂખમરો, જાતિ જાતિ વચ્ચેના સંઘર્ષો, ધાર્મિક અસહિષ્ણુતા વગેરે અનેક કારણોના લીધે માણસ પોતાનું વ્હાલું વતન છોડવા મજબૂર બની જતો હોય છે. આવી અનેક દુખિયારી જનતાનો અને એમની વ્યથાઓનો પોલે અનુભવ કર્યો છે. એમના માટે એના દિલમાં દર્દ અને સહાનુભૂતિ છે.
પણ મજબૂરીથી થતી હિજરતની વ્યથાઓ બે ત્રણ પેઢી પછી હળવી બની જતી હોય છે અને હિજરતી જાત નવા સમાજમાં સમાઈ જતો હોય છે. વખાના માર્યા ગુજરાત આવેલા પારસી લોકો આનું સરસ ઉદાહરણ છે. કેરાલાના સિરિયન ખ્રિસ્તી લોકો પણ આવી જ રીતે ભારતીય સમાજમાં ભળી ગયેલી જાતિ છે.
સાથે સાથે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા પણ માણસ કાયમને માટે વતન છોડતો હોય છે. આખી દુનિયામાં ફેલાઈ ગયેલા ડાયાસ્પોરા ગુજરાતીઓ અંગે આપણને સૌને ખ્યાલ છે જ. અમેરિકાના બન્ને ખંડના બધા દેશો પણ મૂળ હિજરતી લોકોના સ્વદેશ બની ગયા જ છે ને ?
વેપાર માટે પણ સોદાગરો સૈકાઓથી દૂર દૂર જઈ, સસ્તી કિમતમાં માલ ખરીદી વતનમાં એની ઉપર અઢળક નફો પણ રળતા આવ્યા જ છે ને? એ સ્વાર્થી વેપારી રસમ ભલે હોય, પણ એના કારણે માનવજાતિઓ વચ્ચે અનેક જાતનાં આદાન પ્રદાન પણ થયાં જ છે. એક માન્યતા એવી પણ છે કે, આવાં આદાન પ્રદાનના કારણે પણ જ્ઞાન અને વિજ્ઞાનનો વિસ્તાર થયો છે.
વૈશ્વિક સ્તરે એક નાનું જૂથ એમ પણ માને છે કે, માણસજાત અત્યારે જે તબક્કે આવીને ઊભી છે, તેમાં વૈશ્વિક નાગરિકતા સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. દેશ દેશ વચ્ચેના સીમાડા ભૌગોલિક નકશાઓમાં નથી હોતા! ‘વિશ્વમાં કોઈ પણ માણસને પોતાની હાલત સુધારવા હિજરત કરવાનો હક્ક હોવો જોઈએ.’ – એ પ્લેટોનિક ખ્યાલ ભલે હોય, પણ એના વિશે જાગરૂકતા વધતી જાય છે.
પોલના એક સરસ વિચાર સાથે આ લેખનું સમાપન કરીએ –
The world is growing complicated. To understand it, we don’t need more information, we need more meaning. A walked journey spanning four continents and seven years is just one way to try and tackle this challenge.