Opinion Magazine
Number of visits: 9663126
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાર યાદી સુધારણા : માંગે છે ફેરવિચારણા !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 January 2026

રવીન્દ્ર પારેખ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની કામગીરીમાં BLOને BLOW પડતો હોય તેવી સ્થિતિ છે. બૂથ લેવલ ઓફિસર(BLO)ની કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ થયો છે, ત્યાં મહિનાઓથી તેઓ શાળાઓમાં જઈ શક્યા નથી, એટલું જ નહીં, શિક્ષકો શાળામાં ન જાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શિક્ષકને ઈરાદાપૂર્વક શાળાથી દૂર રાખવાનું દબાણ કદાચ પહેલીવાર આટલાં પ્રમાણમાં તંત્રો દ્વારા થયું હશે. વારુ, ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી મતદાર યાદીની સુધારણા માટે થઈ છે, તેમાં મોટે ભાગે તો બગાડો જ બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ, તેમાં જૂની મતદાર યાદીમાંથી 2.89 કરોડ નામો કાપી નાખવામાં આવ્યાં છે. આ નામ પહેલાં 15.44 કરોડ હતાં જે હવે 12.55 કરોડ રહ્યાં છે. એમાં જે ગુજરી ગયાં કે બહાર ગયાં તેમનાં નામ કપાય, તે સમજી શકાય એમ છે. એવાં નામો 46.23 લાખની આસપાસ છે. પણ, બીજા નકલી કે ડુપ્લિકેટ 25.47 લાખ હતા. એ સિવાય બીજા 2.17 કરોડ મતદારોનો કોઈ ટાળો જ નથી મળતો. સવાલ તો એ છે કે આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો ઘૂસી ગયા ત્યાં સુધી ચૂંટણી પંચ ક્યાં હતું? કોની સેવામાં હતું? એ ખરું કે બીજા કેટલાંક નામો નીકળ્યાં તેમાં વિધર્મીઓ મુખ્ય છે.

ગુજરાતની વાત કરીએ તો 5.08 કરોડ ફોર્મ વહેંચાયાં છે, જેમાંથી 4.32 કરોડની ચકાસણી થઇ ગઈ છે. એમાં પણ 67.98 લાખનું મેપિંગ થઈ શક્યું નથી. 2025ની યાદીમાં નામ છે, પણ 2002ની યાદીમાં નામ મેચ થતું નથી. મતદારો બંનેમાં હોય એવાં નામો 1,61,55,411 છે. બાકીનાઓએ ચૂંટણી પંચ સમક્ષ પુરાવાઓ રજૂ કરવા પડશે. 11 રાજ્યોની SIRની કામગીરી પૂરી થઈ ગઈ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાંથી ૩.69 કરોડ મતદારોનાં નામ દૂર થયાં છે.  મધ્ય પ્રદેશમાં 42.74 લાખ, છત્તીસગઢમાં 27.34 લાખ, કેરળમાં 24.08 લાખ, અંદામાન અને નિકોબાર દ્વીપમાં ૩.10 લાખ, પશ્ચિમ બગાળમાં 58.20 લાખ, રાજસ્થાનમાં 41.85 લાખ, ગોવામાં 11.85 લાખ, પુડુચેરીમાં 1.૦૩ લાખ, લક્ષદ્વીપમાં 1616, તમિલનાડુમાં 97 લાખ, અને ગુજરાતમાં 73 લાખ મતદારોનાં નામ કપાયાં છે.

આમાં BLOની કામગીરી ટેન્શનથી મુક્ત નથી. દેશમાં કેટલા ય BLOએ કામગીરીનાં દબાણમાં આત્મહત્યા કરી છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૩ BLOએ આત્મહત્યા કરી છે. એમાં સૌથી વધુ 9 મધ્ય પ્રદેશમાં છે. યુ.પી.-ગુજરાતમાં એ સંખ્યા 4-4 છે. આ આત્મહત્યાઓ પાછળ જવાબદારીને નક્કી સમય મર્યાદામાં પૂરું કરવાનું દબાણ તો હતું જ, પણ BLO પર રાજકીય દબાણ પણ ઊભું કરવામાં આવ્યું ને એ પણ આત્મહત્યામાં પરિણમ્યું. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં BLO અને શિક્ષક વિપિન યાદવે ઝેર ખાઈને આપઘાત કરેલો, ત્યારે તેના પિતા સુરેશ યાદવે જણાવેલું કે દીકરાએ મરતા પહેલાં ફોન પર કહ્યું હતું કે SDM અને BDM મતદાર યાદીમાંથી OBC મતદારોનાં નામ હટાવવા અને સામાન્ય વર્ગના નામ વધારવા માટે દબાણ કરી રહ્યા છે. BLOએ તેમ કરવાની ના પાડી તો તેને સસ્પેન્શનની ને ધરપકડની ધમકીઓ આપવામાં આવી. વિપિનની પત્નીએ પણ જણાવેલું કે અધિકારીઓ ‘આધાર’ ન આપનારાઓનાં નામ પણ જોડવાનું દબાણ કરતા હતા. એ બધાંને લીધે વિપિન ખૂબ દબાણમાં આવતાં તેણે આત્મહત્યા કરી હતી.

આવું દબાણ જયપુરના એક BLOએ પણ અનુભવ્યું છે. BLO કીર્તિકુમાર શર્માનું કહેવું છે કે જયપુરના પૂર્વ કાઉન્સેલર સુરેશ સૈનીનો ફોન આવ્યો, જેમાં તેમણે કહ્યું કે જયસિંહપુરા વિસ્તારના વોર્ડ નમ્બર 13નાં 467 નામ સામે જે વાંધો લેવામાં આવ્યો છે, તેના પર વિચારણા કરો. આ નામોને ભા.જ.પ. રદfd કરવા માંગે છે, એવું પણ સૈનીએ કહ્યું. BLOનું માનવું છે કે મુસ્લિમ મતદારોને હટાવવા આવું કરાવાઈ રહ્યું છે. આનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં સૈની કહે છે કે જો BLO આ ‘વસ્તી’નાં તમામ નામો હટાવી દે તો ભા.જ.પ.ના ધારાસભ્ય, બાલમુકુન્દ આચાર્ય થઈ શકે એમ છે. કીર્તિકુમાર શર્મા પાસે મતદાર યાદી વેરિફિકેશનનું કામ હતું એટલે સૈનીએ આ વાત શર્માને કહી ને ધમકી પણ આપી કે આ ન થાય તો સસ્પેન્શન માટે તૈયાર રહેવું. જવાબમાં કીર્તિકુમાર શર્માએ રોકડું પરખાવ્યું કે ફાંસીએ લટકાવી દો તો પણ નામ રદ્દ નહીં કરું.

આ મામલે વિપક્ષોનું માનવું છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.ના વફાદાર તરીકે વર્તી રહ્યું છે. કાઁગ્રેસ સહિતના વિપક્ષો તો SIRને શંકાથી જ જોઈ રહ્યા છે. SIRની કામગીરીમાં લાખો નામ નીકળી ગયાં છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી તો સ્પષ્ટ કહે છે કે ભા.જ.પ. SIRને નામે પછાત, દલિત, ગરીબ મતદારોને હટાવીને પોતાને અનુકૂળ આવે એવી મતદાર યાદી તૈયાર કરાવવા માંગે છે. જો કે ભા.જ.પ.ના સાંસદ સુધાંશુ ત્રિવેદી રદિયો આપતા જણાવે છે કે વિપક્ષે પહેલાં EVM પર આરોપો લગાવ્યા ને હવે મતદાર યાદી પર આરોપો લગાવે છે.

ગુજરાતમાં પણ ખોટી રીતે મતદાર યાદીમાં મતદારોના નામ રદ્દ કરવાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે મતદાર યાદીની ચકાસણી બાદ, છેલ્લા બેત્રણ દિવસમાં ભા.જ.પે. 9,58,000થી વધુ અરજીઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે દાખલ કરી છે. (બાપુનગર, ખંભાળિયા, રાજકોટ, કચ્છ વગેરે વિસ્તારોમાંથી હજારો અરજીઓ એક સાથે દાખલ કરવાનું પણ શંકાસ્પદ છે) 73.73 લાખ મતદારો હટાવ્યા પછી પણ 9.58 લાખ મતદારો રદ્દ કરવાનું ભા.જ.પ.ના ઈશારે થઈ રહ્યું હોવાનું ઇસુદાન ગઢવીનું માનવું છે. તેમણે અધિકારીઓને ચેતવ્યા છે કે રાજકીય દબાણ હેઠળ ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ફેરફાર થશે તો આમ આદમી પાર્ટી કાનૂની કાર્યવાહી કરશે. કચ્છમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરીમાં 13,000 મુસ્લિમ મતદારોનાં નામ કમી કરવાનો ખેલ શરુ થતાં કાઁગ્રેસ અને મતદારો ચોંકી ગયાં છે. આ અંગે ફરિયાદ થતાં કચ્છ જિલ્લા ભા.જ.પ. અને ચૂંટણી અધિકારી એવા કચ્છ કલેકટરે કોઈ જાહેર ખુલાસો ન કરતાં કામગીરીની તટસ્થતા સંદર્ભે પ્રશ્નો ઊઠ્યા છે.

હાલ 11 રાજ્યોમાં ચૂંટણી પંચ મતદારોનું વેરિફિકેશન કરે છે, ત્યારે પશ્ચિમ બંગાળ દ્વારા આ વેરિફિકેશનને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું કે તમે વેરિફિકેશન દરમિયાન એક કરોડથી વધુ મતદારોને બહાર કર્યા છે અને ખરાઈ માટે નોટિસો મોકલી છે. એને લીધે લોકો કેવા તનાવ અને મુશ્કેલીમાં છે તે સમજાવું જોઈએ. સુપ્રીમે આદેશ આપ્યો છે કે સવા કરોડ લોકોની યાદી તાલુકા ઓફિસ, ગ્રામપંચાયત અને વોર્ડ ઓફિસમાં નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે, તે સાથે જ જેમને નોટિસો મોકલવામાં આવી છે, તેમને જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવે. સુપ્રીમમાં તૃણમૂલ તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સરનેમની સ્પેલિંગ મિસ્ટેક જેવાં કારણે પણ, લોકોને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી પંચના વકીલે એક કિસ્સો ટાંકતાં કહ્યું કે એક દીકરા અને તેની માતા વચ્ચે 15 વર્ષનું જ અંતર છે. આ મુદ્દે સુપ્રીમના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ ઝાટકણી કાઢતાં કહ્યું કે માતા-પુત્ર વચ્ચે 15 વર્ષનું અંતર હોય તેમાં વાંધો શો છે? ભારતમાં બાળલગ્નો થતાં હોય એ સંજોગોમાં 15 વર્ષનો તફાવત અશક્ય નથી. બાલવિવાહ પણ કડવી વાસ્તવિકતા છે ને તેને તે રીતે જ મૂલવવી જોઈએ. એક કરોડથી વધુ લોકોને નોટિસ મોકલવી, નાની વાત નથી. સુપ્રીમના આદેશમાં તૃણમૂલને પોતાની જીત દેખાઈ ને તેમના સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે ભા.જ.પ.નો SIRનો પશ્ચિમ બંગાળનો ખેલ ખતમ થઇ ગયો છે.

મતદાર યાદી સુધારણાનું લક્ષ્ય તો યાદી સ્વચ્છ અને અધિકૃત કરવાનું છે. તેને બદલે જે ચાલી રહ્યું છે તે તો ગંદકી વધારનારું જ છે. આ બધા તાયફા પરથી એવું લાગે છે કે SIRની કામગીરી વેરિફિકેશન કરતાં પણ, વધારે તો સત્તાધારી પક્ષને જે જે નડતર રૂપ છે તેવાં જાતિ-કોમને મતદાર યાદીમાંથી રદ્દ કરાવીને પક્ષની જીત પાકી કરી લેવાની છે. આમ તો અત્ર તત્ર સર્વત્ર ભા.જ.પ.ની જ બોલબાલા છે, તો  આવાં કાવતરાં કરીને તે પોતાની છાપ બગાડવા કેમ મથે છે, તે સમજાતું નથી. ભા.જ.પ. પાસે શક્તિશાળી ને સંપીલા નેતાઓ છે જ ને વિપક્ષમાં એવા વફાદારોનો દુકાળ છે, પછી મતદાર યાદી જોડે ચેડાં કરાવવાનો મતલબ પ્રતિષ્ઠાને દાવ પર લગાવવાથી વિશેષ શું છે?  આનાથી બચવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2026

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|22 January 2026

તું હજી ડૂસકાય છે, ડૂમાય છે?
શબ્દ કે શાહી તળે સંતાય છે?

માછલી જેવું જ તું પણ તરફડ્યો,
શીદને ધીવર બની ચર્ચાય છે?

એક ખોબો જીવતી તરસે કહ્યું,
જીવ અપરંપાર બસ છલકાય છે.

આ સમયને ખંડમાં તોડ્યા પછી,
ક્યાં કશું પણ કોઈથી જોડાય છે.

એવું તે શું થૈ ગયું ‘નિર્મન’ કહે,
તૂટતાં પહેલાં ત…ડડ તરડાય છે.

તા.22.1.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

તેઓ ભલે ને મીઠું પકવતા, એથી શું : અગરિયાનાં છોકરાંને વળી ભણવું શું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 January 2026

શિક્ષણ – 

છતે સ્વરાજે ‘લોકશક્તિ’નું આ ‘લાવણ્ય’! 

માંડ માંડ સ્થાયી શિક્ષક મળ્યા હતા … હવે કહે છે કે કથિત બાલમિત્રથી રોડવી લો : પૈસા નથી (એન.ઈ.પી. 2020ની  જાહેરાતોમાં ખરચાઈ ગયા એટલે સ્તો ?), હાય અમૃતપર્વ !

પ્રકાશ ન. શાહ

દાંડીકૂચનો મહિમા કરતી વેળાએ કહેવાનું બનતું રહ્યું છે કે ગાંધીપ્રતાપે આપણે લવણ સારુ લડ્યા ને લોકશક્તિનું લાવણ્ય ખીલવી શક્યાઃ ભલે, લગરીક આલંકારિક એવું પણ આ સત્ય નથી એવું તો નથી. છતાં, દુર્દૈવ વાસ્તવ એ પણ છે કે જે જણ નમકના પકવણહાર છે, એમને છતે સ્વરાજે સ્વરાજના સુખથી કેમ જાણે આજે આટલે વરસે, આટલે એટલે દસવીસ નહીં પણ ખાસા સાત દાયકાથીયે વધુ વરસોથી છેટું તે છેટું એવો ઘાટ છે. 

પ્રજાસત્તાક દિવસના ભણકારા વચ્ચે આ લખી રહ્યો છું. ત્યારે બરાબર, ચાલુ મહિનાના પહેલે જ અઠવાડિયે આવેલી એ સરકારી જાહેરખબર જોઉં છું જેમાં અગરિયાઓની શાળામાં હવે શિક્ષક તરીકે કાયમી વ્યવસ્થાની અવેજીમાં બાલમિત્રોની નિમણૂક કરાશે. બંધારણે ભલે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ ભાખી હોય પણ એક પર એક નવી અને હવે તો ‘એન’ કહેતાં ન્યૂ નહીં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જાહેરાત પછી અને છતાં ‘પૂરા કદની શૈક્ષણિક વ્યવસ્થાને બદલે યદ્વાતદ્વા કથિત બાલમિત્રો દ્વારા ભણાવવાની આ પેરવી? સ્વરાજના આરંભકાળે માનો કે સાધનો માંડ જોગવવાનાં હતાં, પણ આજે પણ આમ – અને તે બચાડાં અગરિયા બાળુડાં સારુ? બજેટના છ ટકા શિક્ષણ પાછળ ફાળવવાના રાષ્ટ્રીય સંકલ્પથી ઉત્તરોત્તર કેમ જાણે છેટું વધતું જતું ન હોય?

ચુંવાળિયા કોળી, મિયાણા, સંધિ જેવી ઓળખે ઓળખાતા આ અગરિયાઓની ઇતિહાસનિયતિ બે’ક લગી તો ક્રિમિનલ તરીકે વર્ણવાયાની રહી છે. 1857 અગર અસહકાર યુગથી બેઠેલ સ્વરાજસંગ્રામનાં પાત્રોને આપણે સંભારીએ છીએ. પણ કંપની સરકારના વારાથી ને તે પછી આ સૌ પ્રજાવર્ગો સ્થાપિત સત્તા સામે સતત લડતા રહ્યા છે. જો કે, ઇતિહાસના મેગા નેરેટિવમાં આ સૌ વણગાયાં ને વણપોખાયાં રહેતા આવ્યા છે. એમને નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુરે 1871થી ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ’ લેખે જાહેર કર્યા એ સિવાય કશાં પેન્શનફેન્શન મળ્યાં જાણ્યાં નથી. હમણેના દાયકાઓમાં ઓ.બી.સી.નો નવો સિક્કો એમને પર લાગ્યો છે. 

પણ એમનું વાસ્તવચિત્ર. કચ્છના નાના રણમાં, આકરા ટાઢતડકા વચ્ચે ઓગસ્ટ-ઓક્ટોબરથી આઠેક મહિનાના ગાળામાં પોતાના થાનકથી દૂર, ઘોર વિષમ સંજોગોમાં મીઠાની ખેતી કરે અને ચામડીના રોગો, મીઠાના ઢગે પરાવર્તિત સૂરજતેજે ઝંખવાતી આંખો, હર વરસે વરસાદ સાથે ધ્વસ્થ થતી કાચી ઝૂંપડી, વરસોવરસ નવી ગિલ્લી નવો દાવ …. આ એમની જિંદગી, છતે સ્વરાજે ‘લોકશક્તિ’નું આ ‘લાવણ્ય’ !

સેવાસંસ્થાઓની કામગીરી, ખાસ કરીને ગણતર, જનપથ આદિની પહેલસંડોવણી ત્યાં શાળાની સોઈ, પાણીવચાળે તો જૂની બસોમાં ખડા કરાયેલ વર્ગો, એને સ્થાને પૂરા કદની વ્યવસ્થા સાથે શિક્ષકજોગવાઈ. આર.ટી.ઈ.ના પ્રતાપે પ્રવેશતક અને અલબત્ત, આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની સક્રિય દરમિયાનગીરી. 

આ બધાં પછી સ્વરાજનાં અમૃતવર્ષોમાં આગળ જવાની વાતને બદલે દીધી સગવડ સમેટવાની ને અગવડ વધારવાની, શાસકીય નીતિ ને ગતિવિધિ વિશે શું કહેવું. ગુજરાત મોડેલની ગાજવીજ વચ્ચે અનવસ્થા ઠીક ઠીક છૂપી રહી હશે, પણ અગરિયા લોકમાં કશીક વિકાસતક પ્રજાસૂય મથામણમાંથી જરૂર ઊભી થઈ આવતીકાલના મોડેલની ગરજ સારતી હતી, પણ – 

ખરું જોતાં આ દાસ્તાં માત્ર અગરિયાની જ છે એવું નથી. જેને આપણે સુખી  ને સમૃદ્ધ ગુજરાત કહીએ છીએ તેમાં વાસ્તવિકતામાં સમાજનો કેટલો મોટો હિસ્સો વંચિતજનોનો છે. અને વિસ્તરતા મધ્યમવર્ગ છતાં સરવાળે કેટલા સીમિત પ્રમાણમાં આપણે ત્યાં સહિતોનો ટાપુલોક છે. એની આપણને કદાચ ખબર જ નથી. સરકાર અને સત્તાપક્ષ વાસ્તવિક  કામના પ્રમાણમાં જે બેફામ જાહેરાતખર્ચ ભોગવે છે એના એકબે ટકા માંડ ફાળવવામાં આવે તો બાલમિત્રને બદલે પૂરા સમયની વ્યવસ્થાપૂર્વકની શિક્ષક-જોગવાઈ ને બીજું કેટલુંયે સરળતાથી થઈ શકે. 

પૂછો વિનય અને ચારુલનેઃ કોઈકે લોકજીવનની વિષમતાને શબ્દ ને સૂરમાં સાકાર કરતાં આ બેલડીનાં ગીતો અને જે તે ગીતમાં નિરૂપિત વર્ગ/વર્ણ હાલાકીને ધોરણે રાજ્યના બજેટની સરખામણી કરવી જોઈએ. આનાતોલ, ફાન્સની એ વાત સાંભરશે કે સરકારો ગરીબોના મતે અને શ્રીમંતોના પૈસે ભોગવટો  કરે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી 2026

Loading

...10111213...203040...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved