Opinion Magazine
Number of visits: 9456020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 September 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકારે ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025’ વિધાનસભા ગૃહમાં મંજૂર કરાવી લીધું. આ કાયદા હેઠળ હવે મહિલાઓની સંમતિથી અને સલામતીની શરતોએ, તેમની પાસેથી રાતપાળીમાં પણ કામ લઈ શકાશે. આમ તો ‘કારખાના કાયદો’ કેન્દ્ર સરકારનો છે. તેમાં રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો જરૂરી સુધારા કરી શકે છે. સરકારનું માનવું છે કે ફેક્ટરી એક્ટમાં થયેલ આ સુધારાથી મહિલાઓને સમાનતાની અને આર્થિક ઉપાર્જનની તકો મળી રહેશે. નવા સુધારાઓ મુજબ કામના કલાકો અને ઓવરટાઈમમાં પણ મહત્ત્વના ફેરફારો થયા છે અને તેનો હેતુ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ વિધેયકનો હેતુ રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી વધારવાનો છે. અગાઉ આ કાયદા મુજબ મહિલાઓ રાતપાળીમાં નોકરી કરી શકે એવી જોગવાઈ ન હતી, પણ હવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાને લઈને અને મહિલાઓના બંધારણીય અધિકારોનું સન્માન કરતાં રાતપાળીની જોગવાઈ ઉમેરવામાં આવી છે. એને લીધે મહિલાઓ રાત્રે સલામત વાતાવરણમાં કામ કરીને આર્થિક રીતે સક્ષમ બની શકશે અને પરિવાર માટે પણ દિવસ દરમિયાન વધુ સમય ફાળવી શકશે એવું સરકારને લાગે છે.

આમ તો કારખાના ધારા-1948 મુજબ સવારે 6થી સાંજે 7 સિવાયના સમયમાં મહિલાઓ પાસેથી કામ લઈ શકાતું નથી. મતલબ કે રાતપાળી કરાવી શકાતી નથી, પણ હવે એ જ કાયદાની જોગવાઈઓમાં ફેરફાર થતા મહિલાઓ પાસેથી રાતપાળીમાં કામ લઈ શકાશે. સરકાર વાંચવા-સાંભળવાથી પણ ડાયાબિટીસ થઈ જાય એવી મીઠી વાતો ભલે કરે, પણ સીધી વાત એ છે કે તે મહિલાઓને આર્થિક ઉપાર્જનની તકો પૂરી પાડવાને નામે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા માંગે છે. બીજું, મહિલાઓ દિવસની સાથે જ રાત્રે પણ વધારે કલાકો કામ કરવાની હોય, તો દિવસ દરમિયાન તે પરિવાર માટે વધુ સમય ફાળવી શકશે એવું સરકારને કઈ રીતે લાગે છે, તેનો ખુલાસો થવો જોઈએ.

કારખાના ધારા, 1948માં 6 કલમો સુધારવામાં આવી છે. નવા સુધારા મુજબ કામદારો વિરામ સાથે 12 કલાક કામ કરી શકશે, પણ એ કલાકો અઠવાડિયાના કુલ 48 કલાકથી વધે નહીં તે જોવાનું રહેશે. આ 12 કલાકમાં 6 કલાકે અડધા કલાકની રિસેસની જોગવાઈ પણ હશે. એ સાથે જ જે કામદારો 12 કલાક કામ કરે છે, તેમને ચાર દિવસના 48 કલાક પૂરા થયેથી પાંચમાં અને છઠ્ઠા દિવસે પગાર સાથે રજા આપવાની રહેશે. એ ઉપરાંત ત્રણ મહિનામાં પૂર્વ મંજૂરી સાથે 125 કલાકની મર્યાદામાં ઓવરટાઈમ પણ કરી શકાશે. આમ કરવા પાછળ સરકારનો હેતુ નવા ઉદ્યોગોને આકર્ષવાનો અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે. સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જ્યાં જરૂર છે, ત્યાં આ જોગવાઈઓનો અમલ કરવામાં આવશે. એવું નથી કે 12 કલાકનો નિયમ આખા ગુજરાતને એક સાથે લાગુ પડશે. કોઈ વર્ગ કે જૂથ (કંપની) 12 કલાક કામની માંગણી કરે તો સરકાર મંજૂરી આપવાનું વિચારશે. સરકારને આવી મંજૂરી આપવાનું ઠીક ન લાગે તો તે પાછી પણ ખેંચી શકે છે.

આમ તો આ કાયદા દ્વારા જડતાપૂર્વક પાલન કરાવવાનો આગ્રહ નથી એ સારું છે, બીજું, મહિલાઓની રાતપાળીમાં કામ કરવાની વાતમાં સંમતિ વગર કામ ન કરાવવાની વાત પણ છે. એ બધું છતાં વ્યવહારમાં શ્રમિક મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે, તે સરકાર પણ જાણે છે ને લોકો તો જાણે જ છે. એ ઉપરાંત મહિલાઓ સાથે થતા દુર્વ્યવહારના બનાવો અને અસુરક્ષાની સ્થિતિ જોતાં રાતના ત્રણ કલાક વધારે કામ કરાવવાનું સલાહ ભરેલું કેટલું તે પ્રશ્ન જ છે. શ્રમિક મહિલાનું અનેક સ્તરે શોષણ થતું હોય, ત્યાં રાતના પણ તેમની પાસેથી કામ લેવાનું શોષણને ઉત્તેજન આપવા જેવું તો નથી ને તે વિચારવાનું રહે.

એ સાથે જ બાર કલાકની નોકરી માટે ઘરેથી નીકળવા ને પરત આવવાનો સમય પણ જોડવાનો રહે. એ સમય કલાકનો હોઈ શકે કે તેથી વધુ પણ હોઈ શકે. ધારો કે ઘરેથી લાવવા-લઈ જવાનું સરકાર કે કંપની દ્વારા ગોઠવાય તો પણ ઘરથી નોકરીએ જવા-આવવામાં સમય તો લાગે જ ! વિધેયકમાં તો શ્રમિક મહિલાને વાહનમાં ઘરેથી લાવવા-લઈ જવાની વાત છે જ, પણ જરા વિચારીએ કે શ્રમિક મહિલાને એવી સગવડ પૂરી પાડવાનું વ્યવહારુ છે ખરું? 9 કલાકની નોકરીમાં એ સગવડ આપવાનું આજ સુધી વિચારાયું નથી તો અત્યારની આ જીવદયા લાંબો ટાઈમ ટકે એમ લાગે છે? એ સગવડ બંધ થઈ તો શ્રમિક મહિલાની શી સ્થિતિ થાય તે કહેવાની જરૂર છે?

દેખીતું છે કે વિપક્ષો એનો વિરોધ કરે જ, પણ તે વિપક્ષનો વિરોધ છે એટલે તેને નજરઅંદાજ કરવાનું ઠીક નથી. વિપક્ષનો મુદ્દો એ છે કે બાર કલાકની નોકરી અને આવવા જવાનો સમય ગણતા, મહિલા પરિવારનું ધ્યાન ન રાખી શકે. બાર કલાકની નોકરીને લીધે શ્રમિકો પણ આઠ કલાકની ઊંઘ પૂરી ન કરી શકે ને એ કોઈ ગંભીર બીમારી નોતરે એમ બને. એ સ્થિતિમાં 12 કલાક કામ લેવાનો આખો સુધારો જ રદ્દ થવાને પાત્ર છે. કાઁગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ તો ત્યાં સુધી કહ્યું કે બાર કલાક કામ લેવાની વાતે ફેક્ટરી માલિકોને ફાવતું આવી જશે અને જે કામદારો બાર કલાક કામ કરવાની ના પાડશે, એમને કાઢી મૂકતા પણ માલિકો અચકાશે નહીં. મેવાણીની એ વાત પણ સાચી છે કે મહિલાઓને ઘરે પણ કામ પહોંચતું હોય છે ને તે કરવા કોઈ નોકર-ચાકર હોતા નથી. એ કામ શ્રમિક મહિલાએ જ કરવાનું રહે છે. એવામાં કામના કલાકો 12 થાય તો ઘરકામ, બાળઉછેર અને આરામની બાબતે તેણે નાહી લેવાનું જ રહે કે બીજું કંઇ?

‘આપ’ના ગોપાલ ઇટાલિયાએ પણ વાજબી વાંધો એ વાતે પાડ્યો કે તંત્રો 8 કલાક કામ કરતાં હોય, તો મજૂરોના કામના 12 ક્લાક કરવાનું શોષણને ઉત્તેજન આપવા જેવું જ થશે. જો વધારે કલાક કામ કરવાથી જ રાજ્યનો વિકાસ થવાનો હોય, તો તલાટી, મામલતદાર, સચિવોએ પણ બાર કલાક કામ કરવું જોઈએ. તંત્રો 8 કલાક કામ કરતાં હોય તો મજૂરો પાસેથી 12 કલાક કામ લેવાનું યોગ્ય ખરું? એમ લાગે છે, ગુજરાત સરકારે કારખાના કાયદામાં સુધારો કરીને વેચાતી લીધી છે.

ખરેખર તો ફેક્ટરી એક્ટ કેન્દ્રનો કાયદો છે, એમાં ગુજરાત સરકાર 12 કલાકનું રોડું નાખીને ઉપદ્રવ કરી રહી છે. ભારતનું જે હવામાન છે તે પણ 8 કલાકથી વધુ કામ લેવાની અનુકૂળતા આપે એમ નથી. 8 કલાકથી વધુ કામ કરવા જતાં 7.44 લાખ મજૂરો છેલ્લાં પાંચ વર્ષમાં મૃત્યુ પામ્યાં છે. એક તરફ સ્ત્રી સશક્તીકરણની વાત થતી હોય ને બીજી તરફ 12 કલાક કામ લેવાની વાત મોડો વહેલો શોષણનો જ મહિમા કરશે એ સમજી લેવાનું રહે. એ ખરું કે વધારાના કલાક કામ કરવામાં ડબલ મજૂરીનો લાભ મજૂરોને મળે ને આ બધા મજૂરો છે, એમને ડબલ મજૂરી મળે તો પૈસાની લાલચે, જીવ પર આવીને પણ કામ કરે, પણ એમ કામ કરાવવા જેવું ખરું? ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘરકામ ને બાળઉછેર લમણે લખાયેલાં હોય ત્યારે, રાતપાળી કરાવવાનું કોઈ રીતે હિતાવહ નથી. 7થી 10 રાતપાળીમાં ૩ કલાક વધારે કામ કરાવવાને બદલે એટલા વધુ કામદારો કામ પર રખાય ને તેમને પગાર ચૂકવાય તો બીજા એક ગરીબને રોજી મળે એ વધારે સારું નહીં?

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે અઠવાડિયામાં કામના કલાકો 48થી વધે નહીં એ નક્કી હોય તો 8 કલાકને હિસાબે 6 દિવસે 48 કલાક કામ થાય તો શી મુશ્કેલી આવે એ સ્પષ્ટ નથી. ચાર દિવસમાં 12 કલાક સખત કામ કરાવીને પછી ત્રણ દિવસ કામ વગરનાં રાખીને કયો વિશેષ હેતુ સિદ્ધ થાય તે પણ અકળ છે. કામના કલાકો સરખા જ હોય તો ચાર દિવસ રોજના 12 કલાક કે 6 દિવસ રોજના 8 કલાક કામથી ઉત્પાદનમાં કેટલો ફરક પડે? કોણ જાણે કેમ પણ ઔદ્યોગિક વિકાસને નામે સરકાર ઉદ્યોગપતિઓની સગવડ સાચવવા જ આ બિલ લાવી હોય એમ લાગે છે. આમ તો આ અખતરો જ છે, પણ ખતરાથી વધારે નથી ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 સપ્ટેમ્બર 2025

Loading

લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|11 September 2025

રમેશ સવાણી

હિટલરનું પતન થયું અને જર્મનીએ મે-1945માં આત્મસમર્પણ કર્યું, ત્યારે નાઝી રાજ્યના કેન્દ્રિય પોલીસ માળખાને નાબૂદ કરવામાં આવ્યું હતું. નાઝી ગુપ્ત પોલીસને ગુનાહિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. તેના ઘણા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને સજા કરવામાં આવી હતી. જ્યારે પણ તાનાશાહ / સરમુખત્યાર સત્તા પરથી હટે ત્યારે પોલીસનું આવી બને !

9 સપ્ટેમ્બર 2025ના રોજ નેપાળના કાઠમંડુમાં પોલીસ Riot shieldsની પાછળ છુપાઈને લોકોનો માર સહન કરી રહી છે. લોકો ઊછળી ઊછળી પોલીસ પર પ્રહાર કરે છે. નેપાળમાં ઠેરઠેર આ સ્થિતિ થઈ છે. પોલીસની આ સ્થિતિ એટલે થાય છે તેમણે લોકાની સેવા કરવાને બદલે સત્તાપક્ષની ચાપલૂસી કરી હોય છે. 

લોકતંત્ર હોય કે તાનાશાહી જ્યારે પોલીસ સત્તાપક્ષના એજન્ટ તરીકે ભૂમિકા ભજવે છે, ત્યારે લોકોના ગુસ્સાનો ભોગ સૌ પ્રથમ પોલીસ બને છે. 

પોલીસે કાયદા મુજબ કામ કરવાનું હોય છે, પણ સત્તાપક્ષની ઇચ્છા મુજબ કામ કરે છે. સત્તાના ઈશારે ભ્રષ્ટાચારી / બળાત્કારી / હત્યારાને છાવરે છે અને સત્તાનો વિરોધ કરનારાઓને ખોટા કેસમાં જેલમાં પૂરે છે. 

મોટાભાગે પોલીસ સત્તાપક્ષની કઠપૂતળી જેવી બની જાય છે. કાયદાને વફાદાર પોલીસ અધિકારી જૂજ હોય છે, જેઓ સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે કામ કરતા હોય. આવા પોલીસ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ મળે છે, પ્રમોશનમાં વિલંબ થાય છે, તુચ્છ બાબતોમાં ખાતાકીય તપાસ કરવામાં આવે છે. 

સૌથી ખરાબ બાબત એ છે કે સરકાર જેમને સાઈડ પોસ્ટિંગમાં મૂકે તે પોલીસ અધિકારી સાથે સત્તાનાં ચાટુકાર પોલીસ અધિકારીઓ અસ્પૃશ્યતા રાખે છે ! તેમને હલકી નજરે જોવામાં આવે છે. મોદીજીએ ગુજરાતના IPS અધિકારી સતીષ વર્મા / રાહુલ શર્મા / રજનીશ રાય / આર.બી. શ્રીકુમારને અસહ્ય ત્રાસ એટલે આપેલ કે તેમણે સત્તા સામે ઝૂકવાનો ઈનકાર કર્યો હતો. આ અધિકારીઓથી બીજા IPS અધિકારીઓ દૂર રહેતા હતા ! IPS સંજીવ ભટ્ટે મોદીજીની વિરુદ્ધ બોલવાને બદલે તેમની ચાપલૂસી કરી હોત તો તેઓ જેલમાં હોત?

લોકશાહીમાં દર પાંચ વરસે સત્તા બદલે છે, ત્યારે પોલીસ અધિકારીઓ પણ રાતોરાત પાટલી બદલી નાખે છે. નવા સત્તાપક્ષની ચાપલૂસી શરૂ કરે છે. પરિણામે લોકોને કાયદા મુજબ કામ કરતી પોલીસ મળતી નથી ! ગુજરાતમાં કેટલાક IPS અધિકારીઓ કાઁગ્રેસના શાસન વેળાએ તથા ભા.જ.પ.ના શાસન વેળાએ પણ મલાઈદાર પોસ્ટિંગ મેળવી શકતા હતા; તે તેમની લાયકાતના કારણે નહીં પણ ચાપલૂસીના કારણે ! સત્તા દર 5 વરસે બદલવી જોઈએ. કોઈ મુખ્ય મંત્રી / વડા પ્રધાનને ‘અવતારી’ માનવા તે લોકશાહીનું અપમાન છે. 

પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કરે તો લોકો પાસે કોઈ વિકલ્પ નથી. લોકો પોલીસનું ગેરવર્તન / નાલાયકી જોતા હોય છે. સત્તાના કારણે લોકો ચૂપ રહે છે. પરંતુ જો લોકોને મોકો મળે તો પોલીસને સસલા જેવી કરી મૂકે. જ્યારે લોકો બળવો કરી શાસક / તાનાશાહ બદલી નાખે ત્યારે લોકો પોતાની દાઝ કાઢતા હોય છે. કદાચ, એટલા માટે નેપાળના લોકો પોલીસને ઠમઠોરી રહ્યા છે ! 

10 સપ્ટેમ્બર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2025

રાજ ગોસ્વામી

બાસુ ચેટર્જી (1927-2020) મધ્યમ વર્ગના દર્શકો માટે, મધ્યમ વર્ગના વિષયો પર અને ‘મધ્યમ કક્ષા’ના કલાકારો સાથે ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા, પિયા કા ઘર, ખટ્ટા-મીઠા, અને બાતો બાતો મેં જેવી શહેરી બેકગ્રાઉન્ડવાળી તેમની ફિલ્મોમાં પ્રેમ અને વૈવાહિક સંબંધોનાં તાણાવાણાની પેશકશ રહેતી હતી. 

એક ફિલ્મ તેમાં અપવાદ હતી. જે વર્ષે, 1986માં, તેમણે અનિલ કપૂર અને અમૃતા સિંહની કોમેડી ફિલ્મ ‘ચમેલી કી શાદી’ અને મિથુન ચક્રવર્તી-મૂન મૂન સેનની કોર્પોરેટ દુનિયામાં મહિલાના શોષણ પર ફિલ્મ ‘શીશા’ આપી, તે જ વર્ષે તેમણે ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની એક અસાધારણ લીગલ થ્રિલર ફિલ્મ આપી હતી. 

બે વર્ષ પહેલાં, આ ફિલ્મની રીમેક બનાવાની પણ જાહેરાત થઇ હતી. ‘એક રુકા હુઆ ફેંસલા’ને હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક દિલચશ્પ કોર્ટરૂમ ડ્રામા ગણવામાં આવે છે. બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવે છે. બાસુ ચેટર્જી એક પ્રતિભાશાળી નિર્દેશક હતા અને ફિલ્મોમાં પ્રયોગો કરવાનું પસંદ કરતા હતા. તેમણે હોલીવુડની ’12 એન્ગ્રી મેન’ ફિલ્મને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું. 

આ તે સમય હતો જ્યારે હિન્દી ફિલ્મો ગીતો પર ચાલતી હતી અને તેને દેશ-વિદેશમાં શૂટ કરવામાં આવતી હતી. આ ફિલ્મમાં એવું નહોતું. આખી ફિલ્મ એક જ રૂમમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મ મલ્ટી-સ્ટારર હતી જેમાં બોલિવૂડના ઘણા કલાકારોએ એક જ રૂમમાં અભિનય કર્યો હતો, જેમ કે – પંકજ કપૂર, એસ.એમ. ઝહીર, હેમંત મિશ્રા, એમ.કે. રૈના, કે.કે. રૈના, અનુ કપૂર અને બીજા છ અન્ય કલાકારો. 

આખી ફિલ્મ 117 મિનિટ લાંબી, એટલે કે 2 કલાકની હતી. કલ્પના કરો કે એક જ રૂમમાં 12 લોકો સાથે આટલી લાંબી ફિલ્મનું શૂટિંગ કરવું કેટલો અલગ અનુભવ રહ્યો હશે. એમાં કોઈ જ ગીત નહીં, કોઈ રોમાન્સ નહીં, માત્ર 12 લોકો જ્યુરી તરીકે બંધ રૂમમાં એક હત્યાના રહસ્યને ઉકેલી રહ્યા છે.

તેમની સામે ઝૂંપડપટ્ટીના 18 વર્ષના એક કિશોરનો કેસ છે. કિશોર પર તેના પિતાની હત્યાનો આરોપ છે. જજ સામે દલીલો-પ્રતિદલીલો થઇ ચુકી છે અને હવે આ કિશોર દોષિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ 12 જણાની જ્યુરી પર છોડવામાં આવ્યું છે. કિશોર દોષિત સાબિત થાય તો તેને મૃત્યુદંડની જોગવાઈ છે.

જ્યુરી ચર્ચા-વિચારણા શરૂ કરે છે ત્યાં જ સ્પષ્ટ થઇ જાય છે કે આઠ નંબરના જ્યુરી (કે.કે. રૈના, જેને તમે છેલ્લે પ્રતિક ગાંધીની ‘સ્કેમ 1992’માં બેન્કર મનોહર ફેરવાણીના કિરદારમાં જોયો હતો) સિવાય બીજા તમામ જ્યુરીએ મન બનાવી લીધું છે કે કિશોર દોષિત છે. એ લોકો ઝડપથી ફેંસલો આપીને છૂટી જવા ઈચ્છે છે. સામાન્ય રીતે જ્યુરીના ફેંસલા બહુમતીમાં હોય છે, પણ આઠ નંબરના જ્યુરીનો ‘નકરાત્મક’ વોટ બાકીના લોકોને નડી જાય છે – ફેંસલો રોકાઈ જાય છે. એ જ્યુરી બાકી અગિયારને તેમનો ફેંસલો બદલવા માટે ફરજ પાડે છે. 

કિશોર દોષિત છે કે નહીં તેનો તેમનો વિવાદ વધુ એટલા માટે રસપ્રદ બને છે કારણ કે દરેક જ્યુરી શહેરના સામાન્ય નાગરિક છે, તેઓ તેમના રોજીંદા જીવનના સંઘર્ષ કરે છે, તેમનામાં લાગણીઓના ઉતાર-ચઢાવ છે, તેમનામાં પૂર્વગ્રહો છે. એ બધા વચ્ચે, આઠ નંબરનો જ્યુરી એવો મુદ્દો ઊભો કરે છે કે કેસમાં જે પુરાવા પેશ કરવામાં આવ્યા છે તે સંયોગિક છે અને છોકરા અંગે ઉતાવળે ન્યાય ન કરવો જોઈએ. તે હત્યાના માત્ર બે જ સાક્ષીઓની વિશ્વનીયતા અને આધાર અંગે પ્રશ્નો ઊભા કરે છે, તેને હત્યાના સાધનની ગેરહાજરી પણ શંકાસ્પદ લાગે છે.

તે કહે છે કે છોકરો દોષિત હોવા અંગે વાજબી શંકા છે ત્યારે તેનો આત્મા તેની વિરુદ્ધ વોટ આપવાની ના પાડે છે. તે બાકી જ્યુરીને પડકાર ફેંકે છે કે તેઓ નિશંકપણે સાબિત કરે કે છોકરો દોષિત છે. તે તેની તાર્કિક દલીલોથી બાકી જ્યુરીનાં મન બદલવામાં સફળ થાય છે. 

ફિલ્મમાં, આપણે કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે તથ્યોને માનીએ છીએ (અથવા અમાન્ય રાખીએ છીએ) તેનું માનવીય મનોવિજ્ઞાનને સુંદર રીતે પેશ કરવામાં આવ્યું હતું. આ બારે જ્યુરીએ એકમત પર આવવું જરૂરી હતું અને જ્યુરી નંબર આઠ તેના માટે કેવી મહેનત કરે છે તેને બાસુ’દાએ ખૂબસૂરત રીતે બતાવ્યું હતું. 

દિલ્હીના નાટ્ય નિર્દેશક અને લેખક રણજીત કપૂરે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવશિખિયા અભિનેતાઓને લઈને, 1954ના ટેલીવિઝન નાટક ’12 એન્ગ્રી મેન’(જેના પરથી હોલીવૂડની ફિલ્મ બની હતી)નું એક નાટક ભજવ્યું હતું.

દિલ્હીમાં આ નાટકની ઘણી વાહ વાહ થઇ હતી. પછી તેને મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં ભજવવામાં આવ્યું હતું. બાસુ ચેટર્જીએ ત્યાં આ નાટક જોયું હતું અને એ જ નાટકના કલાકારોને લઈને ફિલ્મ બનાવાનું નક્કી કર્યું હતું. જુહુના એક બંગલામાં એક જ અઠવાડિયામાં તેનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું હતું. તેમણે દરેક કલાકારને મહેનતાણા તરીકે 5,000 રૂપિયા આપ્યા હતા. 

બાસુ ચેટર્જી

આ ફિલ્મ નોંધપાત્ર છે કારણ કે જ્યાં સુધી ફેંસલો ન આવે ત્યાં સુધી જ્યુરીએ રૂમની બહાર નીકળવાનું નથી. રૂમમાં લગભગ ખાલી છે, જેથી દર્શક તરીકે આપણું ધ્યાન જ્યુરીની ચર્ચા-વિચારણા પર જ રહે. રૂમમાં પંખાનો ઘોંઘાટ, બહારથી આવતા ટ્રાફિકનો અસ્પષ્ટ અવાજ અને પાત્રો વચ્ચે ભારેખમ મૌન તનાવમાં વધારો કરે છે અને દર્શક તરીકે આપણે પણ રૂમ કેદ હોવાનો અનુભવ કરીએ છીએ.

ચર્ચા-વિચારણાની તાર્કિક પ્રક્રિયા કેવી રીતે જ્યુરીની (અને દર્શકોની) ધારણાઓમાં પરિવર્તન લાવી શકે છે તે આ ફિલ્મ દર્શાવે છે. આ પ્રક્રિયા દરમિયાન, પ્રેક્ષકોને દરેક જ્યુરીનાં વ્યક્તિત્વ, તેમની ધારણાઓ, પૂર્વગ્રહો, અર્થઘટન અને તારણોનું નિરીક્ષણ કરીને તેમની ખુદની ધારણાઓ અંગે પુનર્વિચાર કરવા માટે ફરજ પાડે છે.

ભારતની ધરતી પર વિદેશી વાર્તાને સ્થાપિત કરવી એ એક મોટો પડકાર છે. બાસુ ચેટર્જીએ માત્ર અમેરિકન વાર્તાનું ભાષાંતર જ કર્યું ન હતું, તેમણે ભારતીય વાતાવરણમાં તેની ભાવનાને જીવંત કરી હતી. મૂળ ફિલ્મમાં છૂપો વંશીય તનાવ પણ એક વિષય હતો. બાસુ’દાએ તેને ભારતના વર્ગ સંઘર્ષ અને શહેરી-ગરીબ વિભાજનમાં સુંદર રીતે પરિવર્તિત કરી દીધો હતો. છોકરો ‘બસ્તી’ એટલે કે ઝૂંપડપટ્ટીનો હોવાનું ઘણા જ્યુરી સભ્યો માટે તેની ગુનાહિતતાનો સૌથી મોટો પુરાવો બને છે. તે બાસુ’દામાં રૂપાંતરણની કમાલ હતી કે દર્શકો એક ક્ષણ માટે પણ ભૂલતા નથી કે આ વાર્તા તેમની અને તેમના સમાજની છે, જેના પૂર્વગ્રહો તેઓ રોજ અનુભવે છે. 

આ ફિલ્મ જોયા પછી આપણને એવું જરૂર થાય કે આપણે રોજિંદા જીવનમાં કેટલી વાર ‘જ્યુરી’ બનીએ છીએ. સોશિયલ મીડિયા પર, ઓફિસમાં, મિત્રો વચ્ચે, આપણે કેટલી સરળતાથી અફવાઓ અથવા આપણા પૂર્વગ્રહોના આધારે કોઈના વિશે અભિપ્રાય બનાવીએ છીએ અને ચુકાદો આપીએ છીએ. આ ફિલ્મ આપણને ઉતાવળા અભિપ્રાયો બાંધતા અટકાવે છે. અને એટલે આજે પણ આ ફિલ્મ એટલી જ પ્રાસંગિક છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામકલેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 10 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...10111213...203040...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved