Opinion Magazine
Number of visits: 9458222
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?

વિવેક મનહર ટેલર|Opinion - Literature|21 February 2023

ગ્લૉબલ કવિતા : 

ત્રીસ હજાર વર્ષ જૂના ચિત્રો? મધ્ય પ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાં જઈને ટાઢ-તાપ-તડકા-પવનના તમાચાઓ ત્રીસ-ત્રીસ હજાર વર્ષોથી એકધારા સહન કર્યા બાદ પણ અડીખમ રહેલા ખુલ્લી ગુફાઓમાંના ભીંતચિત્રોને જોઈને આંખ ચાર થઈ જાય. કોઈ પણ જાતની સંસ્કૃતિનું કે સભ્યતાનું નામોનિશાન પણ નહોતું એ સમયે પણ જંગલી માનવી ગુફાઓમાં એવા રંગો વડે ચિત્રો દોરતો હતો જે હજારો વર્ષોથી એવાં ને એવાં છે. વિશ્વ આખામાં ઠેકઠેકાણે આવાં ગુફાચિત્રો મળી આવે છે જે સૂચવે છે કે આજનો હોય કે ગઈકાલનો – માનવમાત્રને કળા અને આંતરિક અભિવ્યક્તિ વિના ચાલ્યું નથી. વિશ્વભરની ભાષાઓમાં હજારો વર્ષો જૂનું સાહિત્ય જડી આવે છે એ પણ એ જ કારણે કે साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशुः पुच्छविषाणहीनः।

ભાષા જ આપણને પ્રાણીઓથી અલગ તારવી આપે છે. અને ભાષા સતત પરિવર્તનશીલ છે. ભાષા નદી સમાન છે. એ સતત વહેતી અને બદલાતી રહે છે. આજે આપણે ઑનેસ્ટનો અર્થ પ્રામાણિક કરીએ છીએ પણ ચારસો વર્ષ પહેલાં શેક્સપિઅરના સમયમાં એનો અર્થ સારો માણસ થતો હતો. ચૌસરની અંગ્રેજી, શેક્સપિઅરની અંગ્રેજી અને આજની અંગ્રેજી ભાષા સામસામે મૂકીએ તો ત્રણેય અલગ ભાષા જ હોય એવું અનુભવાય. છસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના સમયથી ગુજરાતી ભાષાની નદીનો પ્રવાહ આજ તરફ વળવો શરૂ થયો પણ હજાર વર્ષ પહેલાંની ગુજરાતી વાંચીએ તો હરદ્વાર ગોસ્વામી જેવો જ પ્રશ્ન આપણને થાય :       

એના કરતાં હે ઈશ્વર, દે મરવાનું, 

ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું? 

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. આ દુહાઓ ‘હેમચંદ્ર’ના દુહા તરીકે ઓળખાય છે.

કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિની વાત કરીએ તો ૧૦૮૯ની સાલમાં કાર્તક સુદ પૂનમના દિવસે ધંધુકા ખાતે જન્મ. બાળપણનું નામ ચાંગદેવ. નવ જ વર્ષની વયે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. હેમચંદ્ર બન્યા. જૈન ઉપાશ્રયમાં શાસ્ત્રાભ્યાસ કર્યો. આચાર્યપદ મેળવ્યું. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં એમણે સાહિત્ય અને ભાષાવિષયક જે ઊંડુ ખેડાણ કર્યું એ न भूतो, न भविष्यति છે. પ્રવર્તમાન ગુજરાતી ભાષાને નિશ્ચિત દિશા મળી. જૈન રાજધર્મ બન્યો અને અહિંસા પરમોધર્મ. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગ પર એમણે કામ કર્યું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનું અને ‘શબ્દાનુશાસન’માં ગ્રંથસ્થ કરવાનું મહાન કાર્ય એમણે કર્યું. કહે છે કે જયસિંહે સિદ્ધપુરમાં એમના ‘સિદ્ધહેમ’ની હાથી ઉપર શોભાયાત્રા કઢાવી હતી.

પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. આ ઉદાહરણો એટલે આ દુહાઓ. આમ તો આ દુહાઓની સંખ્યા ઘણી મોટી છે પણ અહીં માત્ર દસ દુહાઓ સમાવ્યા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે  રમેશ જાનીએ આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.

રમેશ જાની ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં પ્રાકૃત અને આજની ગુજરાતી ભાષાની સમાનતા વિશે કહે છે, ‘કોઈ કોઈ શબ્દનો પડઘો આપણી ભાષામાં પડતો હોય એમ નથી લાગતું? ‘સામલા’ અને ‘શામળા’ વચ્ચે, ‘ચંપાવણ્ણી’માંના ‘વણ્ણી’ અને ‘વર્ણી’ કે ‘વરણી’ વચ્ચે, ‘નિદ્ડી’ અને ‘નીંદરડી’, ‘સલોણી’ અને ‘સલૂણી’ વચ્ચે, ‘ગોરડી’ અને ‘ગોરી’ વચ્ચે, ‘ભડુ’ અને ‘ભડ’ વચ્ચે, ‘હેલ્લિ’ અને ‘હે અલી’, ‘ખુડુક્કઈ’ અને ‘ખડકે’ કે ‘ખટકે’, ધુડુક્કઈ’ અને ‘ધડકે’, ‘વારિસ’ અને ‘રસ’ વચ્ચે માત્ર નામનો જ ભેદ નથી?’  

એક પછી એક આ દુહા જોઈએ : 

(૧)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,

નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ 

કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ 

ઢોલો [ધવ(ધણી)+લો] યાને ધણી એકદમ શામળા વર્ણનો ને ધણિયાણી ચંપાના ફૂલ જેવી ગૌરવર્ણી. બંને સંભોગમાં રત હોય ત્યારે કાળા ધણીની ઉપર પત્નીની ધવલ કાયા જાણે સોનાની રેખા કસોટી પર પડી ન હોય એમ લાગે છે. કસોટી એટલે સોના-રૂપાનો કસ જોવા માટેનો પથ્થર જેના પર સોના-ચાંદીને ઘસીને પારખવામાં આવે છે. ‘નળાખ્યાન’ના પંદરમા કડવામાં પ્રેમાનંદ પણ આ ઉપમા પ્રયોજે છે : 

ગલસ્થળ નારંગફળ શા, આદિત્ય ઇંદુ અકોટી;

અધર પ્રવાળી, દંત કનકરેખા, જિહ્વા જાણે કસોટી

(ગાલ નારંગીના ફળ જેવા, સૂર્ય-ચંદ્ર કાનની કડી જેવા, હોઠ લાલ, દાંત જાણે કે સુવર્ણરેખા અને જીભ જાણે કસોટી.) 

(૨) 

હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,

વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ, 

મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ. 

મેઘલરાત એટલે અંધારી તારા વગરની રાત. આવામાં પાછો પ્રવાસ. એક તરફ હૈયામાં ગોરીની યાદ ખટકતી હોય તો બીજી તરફ આકાશમાં મેઘ ગરજતો હોય. બંને બાજુ સંકટ. બંને તરફ વરસાદ. બંને રીતે ભીનાં જ થવાનું ને વળી આગળ પણ વધવાનું. 

(૩) 

અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ, 

વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય, 

સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.  

પરસ્પર અસીમ-અપાર પ્રેમ કરનારમાંથી કોઈ એકને કો’ક કારણોસર કદાચ લાખ જોજન દૂર જવાનું થાય અને બે જણ કદાચ સો-સો વર્ષ સુધી પાછાં મળી જ ન શકે; બસ, વિયોગના તાપમાં તવાયા કરે પણ જે ઘડીએ આ બે અતૃપ્ત આત્માઓ ભેગાં થશે એ ઘડી, એ મિલનની ઘડી નિતાંત સુખની ઘડી જ બની રહેશે … સાચો પ્રેમ કદી પણ ઉપસ્થિતિ કે સમયનો મહોતાજ નથી હોતો. એ તો એમ જ કહે, 

હું સમયની પાર વિસ્તરતો રહું, 

તું અનાગત થઈ મને મળતી રહે.   

(૪) 

પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ, 

મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ. 

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?

બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.  

મિલન અને વિરહ – બંનેમાં મીઠી પીડા છે. પ્રિયતમ સાથે હોય તો ઊંઘવાનો પ્રશ્ન જ નથી આવતો. રાત આખી કામકેલિમાં ક્યાં વીતી જાય એ ય ખબર ન પડે. એથી વિપરિત પ્રિયજન પરોક્ષ-આંખથી અળગો હોય, દૂર ગયો હોય તો એની યાદમાં રાત આખી પડખાં ઘસી-ઘસીને જ વિતાવવી પડે છે. ઊંઘ ન તો મિલનમાં આવે છે, ન જુદાઈમાં. પ્રેમ બંને જ સ્વરૂપે ઊંઘનો દુશ્મન છે. 

(૫) 

સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ 

ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ 

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ   

ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ 

નખશિખ લાવણ્યમયી આ સુંદરી કંઈ અલગ જ પ્રકારનો વિષડંખ ધરાવતી નાગણ છે. નાગ તો જેને ગળે લાગે એ મરણ પામે છે પણ એથી ઊલટું, આ સુંદરી તો જે વીરપુરુષને ગળે નથી લાગતી એ બિચારો દુઃખી થઈને, તિરસ્કૃત થઈને મરી જાય છે. સૌંદર્યની કેવી ઉત્તમ પરિભાષા! 

(૬) 

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,

અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ, 

અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !

જેની આપણે કાગડોળે રાહ જોતાં હોઈએ એની આવવાની વકી હોય ત્યારે કાગડો ફળિયે આવી બેસે તો ઘરનું કોઈક કહે કે ફલાણો માણસ આવતો હોય તો ઊડી જજે. કાગડો ઊડી જાય તો એ માણસ તરત આવશે અન્યથા વિલંબ થાય એવી આપણે ત્યાં માન્યતા છે. કાગડો કા-કા કરી રહ્યો છે પણ ઊડતો નથી અને એ ઊડે તો જ પરદેશ ગયેલો પિયુ પાછો ફરે એમ માનતી પ્રોષિતભર્તૃકા કાગડાને ઊડાડવા પથરાં વીણવા વાંકી વળે છે પણ પ્રિયતમના વિરહમાં એ સૂકાઈને એવી તો કાંટા જેવી થઈ ગઈ છે કે એના કૃષ હાથમાંથી અડધાં કંકણ નીકળી જઈને જમીનમાં પડે છે. પણ રહે! અચાનક જ પિયુ પધારતો નજરે ચડે છે અને હરખઘેલી ભાન ભૂલીને દોડે એમાં બે હાથ અથડાય છે કે હર્ષનું માર્યું શરીર ફૂલવા માંડે છે પણ બાકીના કંગન તડાક્ કરતાંકને ત્યાં જ તૂટી જાય છે … કાગડો, વિરહ અને પિયામિલનની આ વાત પર બાબા ફરીદની અમર પંક્તિઓ જરૂર યાદ આવે : 

कागा सब तन खाइयो, चुन-चुन खइयो मांस

दो नैना मत खाइयो, पिया मिलन की आस

(૭) 

સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ

તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!  

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ, 

તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ. 

સૌંદર્યની જ બોલબાલા છે. મુગ્ધ ગોરીના માથા પરની ઓઢણી પણ સાવ જીર્ણ થઈ ગયેલી હતી ને ગળાની માળામાં પૂરા વીસ મણકાં પણ નહોતા પણ એ છતાં સુંદરતાનો પ્રકોપ તો જુઓ! ગોરીએ બધા જ ગોઠિયાઓને ઊઠબેસ કરાવી.    

(૮) 

એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,

તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી

તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!  

ભારતીય રાજવી પરંપરામાં વીરપુરુષનું એક ચિત્ર દોરવામાં આવ્યું છે જેમાંના એક પણ રંગ ઉપટેલા હોય તો તમને પુરુષ હોવાનું ઓળખપત્ર જ ન મળે. જે ભડવીરે યુદ્ધમાં માથે તલવાર ઝીલી નથી, તોફાની ઘોડાઓને પલાણ્યા નથી ને સુંદરીને ગળે નથી લગાડી એનો તો જન્મારો જ એળે ગયો.   

(૯) 

મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ 

દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ 

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,  

દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર 

વીરપુરુષોનું આપણે ત્યાંનું સંસ્કૃતિચિત્ર આ દુહામાં વધુ બળવત્તર થયું છે. નાયિકાની સખી એના કંથના વખાણ કરતાં થાકતી નથી એને વારતા નાયિકા કહે છે, હે સખી! તું મારા કંથના ખોટેખોટા વખાણ ન કર, કેમ કે એનામાં બે દોષ તો છે જ. માન્યું કે એ મોટો દાની છે ને એણે ભલે દાનમાં બધું જ દઈ દીધું પણ હું તો બાકી જ રહી ગઈ ને? મતલબ એ પૂરો દાનવીર નથી. અને એ એવો મોટો શૂરવીર પણ નથી. યુદ્ધ કરતાં કરતાં એની તલવાર પણ રહી ગઈ મતલબ પૂરી શૂરવીરતાથી યુદ્ધમાં ઝંપલાવવામાં એ કાચો પડ્યો છે. 

(૧૦) 

ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,

લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ, 

સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત. 

અને આ આખરી દુહો તો પુરુષાતનની પરાકાષ્ઠા છે. યુદ્ધમાં કેસરિયા કરવા એ આપણી જૂની પરંપરા રહી છે. એ જ વાત આ દુહામાં પણ કહેવાઈ છે. સખી સાથે વાત કરતાં-કરતાં નાયિકા કહે છે કે, બહેન! સારું થયું કે મારો પતિ યુદ્ધમાં જ મરાયો. જો એ જીવતો ઘરે પરત ફરત તો હું લાજથી મરી જાત. માણસની જિંદગી કરતાં એની શૂરવીર તરીકેની પ્રતિષ્ઠાની વધુ કિંમત છે. યુદ્ધમાં સૌભાગ્ય છીનવાઈ જાય એમાં સૌભાગ્ય નજરે ચડે છે. પોતે વિધવા બને એ ચાલે, પણ ખંડિત મર્દાનગીવાળા ભાગેડુ પતિની સધવા બનવું ભારતીય આર્ય નારીને મંજૂર નથી.  

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

પ્રગટ : “ગુજરાત ગાર્ડિયન”; 21 ફેબ્રુઆરી 2023; પૃ. 07
સૌજન્ય : વિવેકભાઈ ટેલરની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પરસ્પર સહયોગ

વિનોબા|Opinion - Opinion|21 February 2023

આચાર્ય વિનોબાજી

જેમ તમારા હાથ-પગ-આંખ વગેરે બધું જ સાબૂત છે એમ મારાં બધાં અંગ સાબૂત છે. જેમ તમે એક પૂર્ણ પુરુષ છો એમ હું પણ એક પૂર્ણ પુરુષ છું. તમે પણ સમર્થ છો, હું પણ સમર્થ છું. હવે આપણે બંને હાથમાં હાથ પરોવીને પરસ્પર સહયોગ કરીએ, તો તેને સમર્થોનો સહયોગ કહેવાશે. જો એવું હોત કે ભગવાન કોઈ એકને ચાર આંખો આપત, પણ કાન ન આપત અને બીજા કોઈને ચાર કાન આપત, પણ આંખ ન આપત અને ત્યારે જે પરસ્પરાવલંબન ચાલતું હોત તો એક સાંભળવાનું કામ કરત અને એક જોવાનું કામ કરત. તો આને સમર્થોનું પરસ્પરાવલંબન ન કહેતાં આને ‘અંધ-પંગુ ન્યાય’ કહેવાત.

આપણે જ્યારે એમ કહેતા હોઈએ કે અમે સ્વાવલંબનવાદી છીએ તો આપણે એકદમ સંકુચિત થઈ જઈએ છીએ. અને એટલા માટે આપણે પરસ્પરાવલંબનમાં માનીએ છીએ. આપણે દરેક પૂર્ણ છીએ અને બીજાને પણ પૂર્ણ રાખીશું. અને પૂર્ણોનું પરસ્પરાવલંબન ચાલશે. પેલી જે યોજના છે એમાં બંને અપૂર્ણ છે, અને બંને મળીને પૂર્ણ બને છે. જ્યારે આપણી યોજનામાં આપણે પણ પૂર્ણ છીએ અને તમે બધાં પૂર્ણ છો અને બંને મળીને પરિપૂર્ણ બનીએ છીએ.

આપણે પરસ્પર સહયોગ ચાહીએ છીએ. જ્યાં સારા ઘઉંની પેદાશ નથી થતી, ત્યાં આપણે ઘઉંને ઉગાડીશું નહીં અને દરરોજ ઘઉં ખાવાનો આગ્રહ નહીં રાખીએ. આપણી જમીનમાં જે ઊગે તે – ચોખા અને જુવાર પેદા થાય છે, તો તે રોજ ખાઈશું. એવું પણ નથી કે ઘઉં ખાવા એ પાપ છે. માટે ઘઉં ખાવાની ક્યારેક ઇચ્છા થાય તો જરૂર ઘઉં ખરીદશું. આપણે આટલું કરવું જોઈએ કે આપણી જે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ છે કે જેના વગર ક્ષણ પણ ન ચાલે, તેવી ચીજવસ્તુઓ માટે આપણે બીજા પર આધાર ન રાખવો જોઈએ. આનું નામ છે અહિંસાની રચના. અને આને જ ‘સ્વદેશી’ કહે છે.

વળી એવું પણ નથી કે સ્વદેશીમાં બહારના લોકો સાથે વેપાર-વ્યવહાર નહીં ચાલે. સ્વદેશી વ્રતમાં પરસ્પર વ્યવહાર માટે ઘણો અવકાશ છે. સમજવું એ જોઈએ કે જે કામ આપણાથી સારી રીતે કરી શકાતું હોય તો એ કામનો બોજો બીજા પર લાદવો એ સદંતર ખોટું છે. ગામડાઓમાં આપણે જે વસ્તુ સારી રીતે બનાવી શકીએ તેમ છીએ, તે ત્યાં ન બનાવીએ અને બીજાની ચીજવસ્તુઓ ખરીદતા રહીએ, તો આનો શું અર્થ છે ? કપડાં શહેરોની મિલમાં બને છે. અને કપાસ ક્યાં ઉત્પન્ન થાય છે ? જો કપાસ શહેરમાં પેદા થતો હોત તો આપણે ગામડાઓ માટે ખાદીનો આગ્રહ ન રાખત. અને આપણે ગામવાળાઓને આ જ કહેતા હોત કે તમારે ત્યાં કપાસ નથી થતો, તમારે ત્યાં અનાજ પેદા થાય છે તો તમારે અનાજ જ ઉગાડવું જોઈએ. પણ જ્યારે ગામડામાં કપાસ પેદા થાય છે, તો અહીંનો કપાસ ત્યાં મોકલો અને ત્યાંનાં કપડાં અહીં લાવો – આ બધું છે શું ?

વિનોબાજી

આજે તો દુનિયામાં વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થઈ જશે, કાંઈ કહી શકાતું નથી. કેમ કે આખી દુનિયાનું બધું ભલુંબૂરું કરવાનો અધિકાર બે-ચાર વ્યક્તિઓના હાથમાં છે. જો એમનાં દિમાગ બગડે, તો લડાઈ શરૂ થઈ જશે. આપણે બધાંએ આખી દુનિયાની પ્રવર્તમાન રચના એવી બનાવી દીધી છે કે અહીંની વસ્તુ ત્યાં મોકલો અને ત્યાંની વસ્તુ બીજે ક્યાંક મોકલો. આવી પરિસ્થિતિને લીધે દુનિયામાં ક્યારે સંતુલન ખોરવાશે – કહેવાય નહીં. પછી માની લઈએ કે વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય છે, તો હિંદુસ્તાન એમાં જોડાવા ઇચ્છે કે ન ઇચ્છે, તે એમાં શામિલ છે જ, એવી પરિસ્થિતિ થશે. મોટાં મોટાં મહાનગરો પર બોમવર્ષા થશે, ત્યારે મિલો ચાલી ન શકે. આવા સંજોગોમાં બધાને નિર્વસ્ત્ર રહેવાની સ્થિતિ આવી શકે. માટે જ આપણી રોજિંદી વપરાશની વસ્તુઓ બહારથી ખરીદવી ખતરનાક છે.

સારું યંત્ર એને કહેવાય કે જે સ્વયમેવ ચાલતું રહે. સમાજ-રૂપી યંત્ર પણ ત્યારે સારું માનવામાં આવે જ્યારે તે પોતાની મેળે ચાલતું રહે. આપણે ત્યાં દરેક ગામમાં ત્યાંના સ્થાનિક લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો જેમ કે અન્ન-વસ્ત્ર વગેરેની વ્યવસ્થા પોતાના ગામમાં અથવા દસ-પાંચ ગામ મળીને પેદા કરે. અને જે આપણા દરરોજના ઉપયોગની વસ્તુ ન હોય તો તે જ્યાં પેદા થાય છે, ત્યાંથી ખરીદાય તો એક સારી વ્યવસ્થા ઊભી થશે. વળી મને આ વિચાર પણ પસંદ નથી કે આપણે હિંદુસ્તાનમાં ખૂબ વધારે પ્રયત્ન કરીને નાહક ઘડિયાળ બનાવીએ. સ્વીટ્ઝર્લેન્ડ ઘડિયાળોનું સારું ઉત્પાદન કરે છે. હું તો એટલું કહેવા માગું છું કે લોકો પણ નાહક ઘડિયાળ ન પહેરે. આજકાલ તો દરેકના હાથમાં ઘડિયાળ જોવા મળે છે. અને આનો ઉપયોગ પણ એ જોવામાં થાય છે કે કેટલો સમય આળસમાં પસાર થયો, એની ખબર પડે. વળી ગુણવત્તાની દૃષ્ટિએ કોઈ ઘડિયાળ બીજી ઘડિયાળથી મેળ ખાતી નથી. કોઈની ઘડિયાળ કાં તો દસ મિનિટ આગળ હોય તો કોઈની ઘડિયાળ દસ મિનિટ પાછળ.

એટલું જ નહીં, આજે દુનિયામાં એક બીજો બહુ મોટો પ્રશ્ન એ છે કે ક્યાં ય શુદ્ધ ચીજવસ્તુ મળતી નથી. દવાઓ સુધ્ધાં શુદ્ધ મળતી નથી. આ ભયંકર દશા છે. આમાં માણસની નિષ્ઠુરતાની કોઈ સીમા નથી. આ બધી ભેળસેળ, મિશ્રણ એટલા માટે થાય છે કે લોકો સ્વદેશી ધર્મને ઓળખતા નથી. માટે જ આપણે આપણું પોતાનું કામ જાતે કરતા રહેવું જોઈએ. જેટલું આપણાથી થઈ શકે એટલું કર્યા પછી જે નથી થઈ શક્યું, તે કામનો બોજો બીજા પર નાખી શકીએ છીએ. એ જ રીતે બીજાં પણ જે કામ કરી શકતાં નથી, તે અધૂરાં કામની જવાબદારી આપણે ઉપાડવી જોઈએ.

આમ, આવી રીતે એકબીજાની મદદ લેવા-કરવામાં પાપ કે સંકોચ ન હોવા જોઈએ. આ ‘ઉપકાર’ શબ્દમાં જ એક ખૂબી છે. થોડીક મદદને ઉપકાર કહે છે. આપણે આપણું પોતાનું મુખ્ય કામ જાતે જ કરીએ અને કાંઈક એવી થોડીક વસ્તુઓ કે જે આપણે બનાવી શકતા નથી, તે બીજાઓ પાસેથી લઈએ. આપણે એમનો એટલો ઉપકાર લઈએ અને આપણે પણ એટલો ઉપકાર એમના પર કરીએ. જો કોઈ લંગડો છે, તો તેને ખભા પર બેસાડ્યો. તે પ્રેમનું કર્તવ્ય હશે. સવાલ આ જ છે કે પ્રેમ અને કરુણા શું કરે છે ? આપણા નજીક રહેનારા માણસે જે ચીજવસ્તુ બનાવી, તેને ન ખરીદતાં આપણે દુનિયાની ચીજવસ્તુ ખરીદીએ તો તે સંકુચિત સ્વાર્થ અને નિષ્ઠુરતા છે.

આમ, સ્વદેશી ધર્મ એટલે દયાભાવને જીવનમાં ઉતારીને વ્યવહારમાં તેને ઉતારવો. આપણે આટલું સમજી લઈશું તો સ્વદેશી ધર્મ વિષયમાં જે આપણને મૂંઝવતા પ્રશ્નો ઊભા થાય છે, તેનો હલ આવી જશે. દયાની જેમ કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી એમ સ્વદેશી ધર્મની કોઈ એક ચોક્કસ નીતિ બનાવવી અઘરી છે. માનું હૃદય તેના બાળક માટે હંમેશાં પ્રેમથી ભરેલું હોય છે, તેથી બાળકનો ‘ભૂખ’ શબ્દ સાંભળતાં જ તે મા એને જમવાનું બનાવીને જમાડે છે. પણ અહીં માની દયાની પરિ-સમાપ્તિ પૂરી થતી નથી. આપણે સમજીએ કે બાળક ખાવાનું માંગે તો માનું એને ખવડાવવું એ તેનું ‘દયાળુ’ કર્તવ્ય છે એવી જ રીતે બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ એના ખાવાનું માંગવા છતાં ખાવાનું ન આપવાનું પણ એટલું જ દયાળુ કર્તવ્ય હોય છે. મા આ કડવું કર્તવ્ય કરવા માટે તૈયાર નથી. એની પાસે ‘દયા’ નહીં, પણ ‘માયા’ છે. સ્વદેશી ધર્મ ‘માયાળુ’ નથી ‘દયાળુ’ છે.

આપણે ત્યાં ભક્તો-સંતો-સજ્જનોનું વર્ણન કરતાં કહેવાય છે કે તેઓ મીણની જેમ અત્યંત મુલાયમ અને વ્રજને પણ તોડી શકે તેવા કઠોર હોય છે. દયાનું પણ આવું જ સ્વરૂપ છે. દયાનો કોઈ એક જ પ્રકારનો નિયમ નથી. માયાનો નિયમ એક જ પ્રકારનો હોય છે. જેમ અંધજન માટે પૂર્ણિમા કે અમાસ વચ્ચે અંતર નથી હોતું. એનું પોતાનું એક જ સરળ ‘અદ્વૈત’ રહેતું હોય છે. દયાભાવ માટે ન્યૂનાધિક્ય (સારા-ખરાબને ઓળખવાનો વિવેકભાવ) દૃષ્ટિ જરૂરી છે. કેમ કે તે આંખ ધરાવે છે. સ્વદેશી ધર્મ એ દયાભાવનો વિનિયોગ છે. એટલા માટે સ્વદેશી ધર્મમાં મેંચેસ્ટરથી કપડાં ખરીદવાનો નિષેધ છે એમ ચીનને અફીણ પીવડાવવાનો નિષેધ છે. જેવી રીતે સ્વદેશી ધર્મને દેશી શરાબ ગમે તેટલી ‘દેશી’ હોય, છતાં તે ગ્રાહ્ય નથી. ઊલટું, સ્વિટ્ઝર્લેન્ડની ઘડિયાળો વિદેશી હોવા છતાં ખરીદવામાં કોઈ વાંધો નથી.

આજે બહારનો પ્રવાહ એટલો બધો વેગીલો છે કે આપણે સ્વદેશીનું નામ પણ ભૂલી ગયા છીએ. આ સ્થિતિ જોતાં મને ક્યારેક કયારેક રડવું આવી જાય છે. સ્વરાજ્ય આવ્યાને હજી માંડ પાંચ વરસ થયાં, અને આપણા બજારમાં વિદેશી માલ આવવા લાગ્યો છે. અને દુ:ખ એ છે કે આપણે વગર વિચાર્યે એ માલને ખરીદવા પણ લાગ્યા છીએ. કહીએ છીએ કે ખાદી મોંઘી પડે છે, મિલનાં કપડાં સસ્તાં પડે છે. પરંતુ આપણને એ ખબર પડતી નથી કે મિલનાં કપડાં ખરીદવાથી તે પૈસા ક્યાં જાય છે – કોની પાસે જાય છે. ખાદી ખરીદવાથી આ પૈસા ગામડાંની બહેનો પાસે જાય છે કે જે પોતે સૂતર કાંતે છે. આપણા પૈસા એક રીતે ગુપ્તદાન થઈ જાય છે. વળી આપણે ત્યાં તો ગુપ્તદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. જે દાન જાહેર થાય છે, જે દાનનો ઢંઢેરો પીટવામાં આવે છે, એ દાનની કોઈ કિંમત રહેતી નથી. તો જો ખાદીનાં કપડાં માટે વધારે પૈસા આપવા પડતા હોય તો સમજવું કે એટલા પૈસા એ ગરીબને મળે છે. દરિદ્રને બીજું દાન ન આપો, પણ એને રોજીરોટી મળતી રહે તેવું દાન આપવું જોઈએ.

ગામમાં જો ગામનો તેલી ગામના જ વણકરનાં વણેલાં કપડાં ખરીદતો નથી અને એ બંને બહારથી અનાવશ્યક વસ્તુઓ ખરીદે છે તો ગામ આખું દરિદ્ર બની રહે છે. અભાવગ્રસ્ત હાલતમાં દુ:ખી થાય છે. આવું ન થાય એટલા માટે આપણે ગામડાંનો માલ વધુ પૈસા આપીને પણ કેમ ન ખરીદવો પડે, છેવટે એ મોંઘો નથી રહેતો. ગામડામાં ઉત્પન્ન થયેલ વસ્તુ ખરીદવાથી એકબીજાને મદદ પહોંચાડાય છે. આમ ગામનાં બધાં જ લોકો ગામમાં જ પેદા થયેલી વસ્તુઓ વાપરે અને બહારની ચીજવસ્તુને ગામમાં બિલકુલ ન આવવા દે અને ગામમાં ને ગામમાં ઉત્પન્ન થયેલ કાચા માલને પાકો માલ બનાવશે તો આ સ્વદેશી ધર્મનું પાલન થશે.

આપણે એવો સમાજ ઇચ્છીએ છીએ જેમાં ગામ સ્વાવલંબી બને. જે રોજિંદી જરૂરિયાતો છે તે ગામમાં ને ગામમાં જ નાના નાના ઉદ્યોગો દ્વારા નિર્માણ પામે. અને જે મોટા મોટા ધંધાઓ છે – જેનો સંબંધ કેવળ દેશ પૂરતો નહીં પણ આખી દુનિયા સાથે છે – એ ધંધા-ઉદ્યોગો ખાનગી વ્યક્તિની માલિકીના નહીં, સમાજની માલિકીના હોવા જોઈએ. આના વગર સર્વોદય સમાજ ન રહી શકે. આ સાથે આપણે આ પણ સમજવું જોઈએ કે જે મોટા મોટા ધંધા અને વ્યવસાયોમાં ઘણી મોટી સંખ્યામાં આપણા મજૂરો કામ કરે છે – તેવા મજૂરોને ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં સોંપી દેવા એ ભયંકર છે. ઉપરથી એવો આક્ષેપ કરાય છે કે ખાનગી માલિકી નહીં રહે તો લોકો એમાં પોતાની અક્કલ નહીં લગાવે. આજે એ લોકો સ્વાર્થ-ભાવે એ ધંધામાં દિમાગ ચલાવે છે, માટે તે ધંધા ઓછા ખર્ચાથી ચાલે છે. જો તે ધંધા સરકારના થઈ જશે તો દેશને ઉદ્યોગપતિઓની બુદ્ધિનો લાભ મળશે નહીં. આ જો સાચું હોય તો આપણે બધાં ધર્મવિહોણાં થઈ જઈશું. પછી ભલેને આપણે સાચ્ચા હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી હોઈએ, આપણો દાવો ખોટો સાબિત થશે. જે કામ સમાજ માટે કરવાનું છે, તે સંપૂર્ણ નિષ્ઠાથી કરવાનું છે – આને ધર્મ કહે છે.

(ક્રમશ:)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 01-02 તેમ જ 21

Loading

સાંપ્રદાયિકતા અને ભારત જોડો યાત્રા

Opinion - Opinion|21 February 2023

યોગેન્દ્ર યાદવ

શું ભારત જોડો યાત્રાએ સાંપ્રદાયિક તિરસ્કાર ઘટાડ્યો ? કે પછી તે મારો ભોળો બાલિશ આશાવાદ છે ? હું આ પ્રશ્ન થોડા ગભરાટ સાથે પૂછું છું. પરંતુ તણાવ ઓછો કર્યો છે એ હકીકત છે.

હું લાંબા સમયથી સંખ્યાઓ અને ગણિત સાથે કામ કરનાર માણસ છું. મેં હંમેશાં કોઈ પણ કારણ અને અસરના દાવાઓનું સમર્થન કરવા માટે નક્કર પુરાવા માંગ્યા છે. પરંતુ આવા સવાલ નક્કર પુરાવા સ્વીકારતો નથી. ઓછામાં ઓછા આટલા ટૂંકા સમયમાં તો નહીં જ તેમ છતાં, તે પૂછવા યોગ્ય છે, કારણ કે તે ખરેખર કોઈ મોટી બાબત સાથે સંબંધિત પ્રશ્ન છે. જો એ વાત સાચી હોય કે આ યાત્રાએ ખરેખર સાંપ્રદાયિક તણાવમાં સહેજ પણ ઘટાડો કર્યો છે, તો તે સમર્થન અને ઉજવણી કરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. તે એવા યુગમાં રાજકારણની સર્જનાત્મક સંભાવના વિશે છે જ્યારે રાજકારણને એક ખરાબ વસ્તુ તરીકે જોવામાં આવે છે અને પ્રસ્તુત કરવામાં આવે છે. તે એવા યુગમાં રાજકારણની સર્જનાત્મક ક્ષમતા વિશે છે જ્યારે રાજકારણને જ ખરાબ બાબત તરીકે જોવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે.

તેથી ચાલો, હું આ વાત સાવધાનીપૂર્વક જણાવું છું. હું માત્ર એક પ્રશ્ન ઉઠાવી રહ્યો છું, અંતિમ જવાબ આપતો નથી; જેમ સામાજિક વિજ્ઞાનમાં કહેવાય છે ને કે તે એવી પૂર્વધારણા છે કે જેની ચકાસણી કરવાની બાકી છે. અહીં હું રમખાણો, હિંસા અને નફરતને લીધે થતા ગુનાઓ જેવાં સાંપ્રદાયિકતાનાં સંગઠિત અથવા પૂર્વ આયોજિત કૃત્યો વિશે વાત નથી કરી રહ્યો. જો આ કૃત્યો નફરતની રાજનીતિથી પ્રેરિત જૂથો દ્વારા ડિઝાઈન ન કરાય અને ચલાવવામાં ન આવે, જેનો આ યાત્રા વિરોધ કરવા માંગે છે.

હું તેમનામાં અચાનક હૃદય પરિવર્તનની અપેક્ષા રાખતો નથી, અને તે પણ ભારત જોડો યાત્રાથી. મને રોજિંદા સાંપ્રદાયિક તણાવમાં રસ છે જે ગુપ્ત દુશ્મનાવટ અને અવિશ્વાસ, દુરુપયોગ, અપમાન, પડોશની બોલાચાલીમાં અસ્તિત્વ ધરાવે છે – મને એમાં રસ છે કે શું આ યાત્રાએ સાંપ્રદાયિક કટ્ટરતામાં સામાન્ય લોકોની સંડોવણીને ઓછી કરી છે ખરી ? આ વાત યાત્રાએ જે વિસ્તારોને આવરી લીધા છે તે વિસ્તાર પૂરતી સીમિત નથી. અને મારું અનુમાન છે કે જ્યાં જ્યાં આ યાત્રાનો સંદેશો પહોંચ્યો છે ત્યાં તેણે સ્થાનિક કોમી તણાવ ઘટાડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે.

મજબૂત અપીલ

એકતા પરિષદના મારા સહયાત્રી, પુષ્પરાગે મારા આ અનુમાન વિશે મને સૌ પ્રથમ સચેત કર્યો હતો. તે નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું હશે, જ્યારે અમે મધ્ય પ્રદેશના એક મોટા ગામમાં અમારી યાત્રા પૂરી કરી હતી. તેઓ પાછા આવ્યા અને તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે કરેલી વાતચીતનું વર્ણન કર્યું – કેટલાક મુસ્લિમ પરિવારો, જેમણે તેમના નિવાસસ્થાન પહોંચતા પહેલાં યાત્રા વિશે સાંભળ્યું હતું તેમણે કહ્યું કે જ્યારથી યાત્રાના સમાચાર આવવા લાગ્યા છે ત્યારથી તેમના ગામમાં સાંપ્રદાયિક તણાવ ઓછો થયો છે. એકે કહ્યું : તેઓ રાહતની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે અન્ય સ્થળોએ પણ આવી જ વાર્તાઓ સાંભળી છે. મને વિશ્વાસ બેસતો ન હતો. જ્યારે સારા સમાચાર આવે છે ત્યારે અમે ઝડપથી વિશ્વાસ નથી કરતા. જ્યારે મેં એક મિત્ર સામે આનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેણે પણ કહ્યું કે તેણે એક રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી એવું જ કંઈ સાંભળ્યું છે કે જ્યાંથી યાત્રા પહેલા જ પસાર થઈ ગઈ હતી.

ગુપ્તચર અહેવાલોમાં પણ રાજ્યમાં સાંપ્રદાયિક ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ તેણે મને તરત જ તેના વિશે ન લખવાની સલાહ પણ આપી, કારણ કે આવા સમાચાર નફરતની રાજનીતિથી લાભ મેળવનારાઓ તરફથી પ્રતિક્રિયા તરફ દોરી શકે છે. વાસ્તવમાં, કર્ણાટકના મારા મિત્રોએ રાજ્યમાં યાત્રાની સફળતા બાદ નફરતની ઝુંબેશમાં વધારો નોંધ્યો છે. ત્યારથી મેં મારા ઘણા મિત્રો સાથે જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરી છે જ્યાં અલગ અલગ સરકારો છે. પ્રતિભાવો મારી પૂર્વધારણાની હળવીથી માંડીને મજબૂત પુષ્ટિ સુધીના હતા. એ વાત સાચી છે કે નફરતને લીધે પ્રેરિત ગુનાઓમાં નાટ્યાત્મક ઘટાડો થયો નથી. તેમ જ ઝેર ફેલાય તેવા પ્રસાર માટે મીડિયા સંચાલિત ઝુંબેશ નથી. પરંતુ મેં કહ્યું તેમ, હું એવી આશા નથી રાખતો કે નફરત કરનારાઓ નિરાશ થઈ જશે. મને નફરતમાં શામેલ થતા સામાન્ય લોકો પર યાત્રાની અસર જોવામાં – શોધવામાં રસ છે. તેથી, હું આ પૂર્વધારણા કેટલાક ભાવિ સામાજિક વિજ્ઞાનીઓ સમક્ષ રજૂ કરું છું. દરમિયાન, હું રાષ્ટ્રવ્યાપી જનમત સર્વેક્ષણના આગલા રાઉન્ડની રાહ જોઉં છું કે શું તેમને સાંપ્રદાયિક દૃષ્ટિકોણમાં કોઈ નાના ફેરફારો દેખાયા છે ખરા ? અથવા અમુક કેસ સ્ટડીની કે જે ચૂંટણીથી ઉપર ઊઠીને યાત્રાની અસરની તપાસ કરે.

નફરતના સમયમાં પ્રેમ

એક સારી પૂર્વધારણાને પ્રભાવિત કરતાં બે પરિબળો વચ્ચેના સંબંધને દર્શાવવાને કારણે બંધ ન કરવી જોઈએ. આપણે આવા સંબંધની અપેક્ષા રાખવાનું કારણ પણ જણાવવું જોઈએ. મારે જે કહેવું છે તે અહીં છે. ભારત જોડો યાત્રાએ સાંપ્રદાયિક કટ્ટરતામાં ઘટાડો કર્યો હોય તેવું લાગે છે, એટલા માટે નહીં કે તેણે સાંપ્રદાયિકતાનો સામનો કરવા માટે સક્રિય તાકાતનું નિર્માણ કર્યું છે. તેણે જે વિસ્તારો પસાર કર્યા છે તે રાષ્ટ્રીય અસર નોંધવા માટે ખૂબ નાના છે. તે વિસ્તારોમાં યાત્રાએ હજુ સુધી સ્વૈચ્છિક દળનું નિર્માણ પણ કર્યું નથી જે કોઈ પણ સંઘર્ષમાં અસરકારક રીતે હસ્તક્ષેપ કરી શકે.

અમારી પાસે યાત્રાનો સંદેશ છે, સામાન્ય અને વ્યાપક. તેમ છતાં, ‘જોડો’નું અસરકારક આહ્વાન જ એકતાના સંદેશને યાદ કરવાનું અને ફરીથી જોડવાનું કામ કરે છે. નફરતની રાજનીતિ સામે રાહુલ ગાંધીનું સ્પષ્ટ વલણ વિપક્ષના મોટા ભાગના મુખ્ય પ્રવાહના રાજકારણીઓ દ્વારા જે વ્યૂહાત્મક મૌન ચાલી આવ્યું હતું, તેમાં એક તાજું પરિવર્તન આવ્યું. અને પ્રેમ વિશે બોલવાનું એ અચાનક સ્વીકાર્ય બન્યું છે. ‘હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’ જેવાં નિવેદનોની શેલ્ફ લાઈફ આપણે ધારીએ છીએ તેના કરતાં લાંબી હોય છે.

જો નફરત ફેલાય છે, તો પ્રેમ પણ ફેલાય છે

જ્યારે યાત્રા ઉત્તર પૂર્વ દિલ્હીને પાર કરી રહી હતી ત્યારે હું તેના વિશે વિચારતો રહ્યો. જાફરાબાદ મેટ્રો સ્ટેશનથી શિવ વિહાર સુધી, અમે એવા વિસ્તારોમાંથી પસાર થયા જ્યાં ૨૦૦૨માં કોમી રમખાણો થયાં હતાં. રસ્તાની બંને બાજુએ, સાંપ્રદાયિક રીતે વિભાજિત એવા બંને બાજુના લોકોએ અમારું સ્વાગત કર્યું. યાત્રામાં એક દેશભક્તિનું ગીત વાગી રહ્યું હતું, ‘સારે જહાં સે અચ્છા,’ હું તેને સારી રીતે સાંભળી શકતો હતો. ‘મઝહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના’ આ ગીત અને દૃશ્ય જોઈને મારી આંખોમાં આંસુ સાથે આગળ વધનારો હું એકલો નહોતો.

મુસ્લિમો ખુશ, ઉત્સાહિત હતા, પરંતુ યાત્રામાં સ્થાનિક હિંદુઓની પણ નોંધપાત્ર હાજરી હતી. હું તેમના ચહેરા પર કંઈક બીજું વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શું આ પ્રદેશમાં તેમની સંખ્યા વધુ હતી તેથી કે યાત્રાની હાજરીથી મુસ્લિમોનો ભય અને ચિંતા ઓછાં દેખાતાં હતાં ? અથવા હું ફક્ત તેની ક્લ્પના કરી રહ્યો હતો ?

મને ફૈઝ અહમદ ફૈઝની એ પંક્તિઓ યાદ આવી ગઈ : ‘ખૂન કે ધબ્બે ધુલેંગે કિતની બરસાતોં કે બાદ’. શું લોહીના ડાઘ ખાલી ભાષણોથી સાફ થઈ શકે ? પરંતુ જો લોહીના ડાઘ નફરતમાંથી જન્મે છે, જે શબ્દોને કારણે છે, તો શબ્દોથી તેનાં વળતાં પાણી શા માટે નથી થતાં ? તો શું આ માત્ર બાલિશ કોરો આશાવાદ છે ? એવું હોય પણ ખરું, પરંતુ, કોઈ મારી પૂર્વધારણાનું ખંડન કરે તે પહેલાં હું આ ક્ષણનો આંનદ માણવા માગું છું.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૂ. 16 તેમ જ 23

Loading

...102030...1,0961,0971,0981,099...1,1101,1201,130...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved