Opinion Magazine
Number of visits: 9667403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીનદયાલ બનામ સાવરકર કઈ દિશામાં સંઘ પરિવાર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 July 2023

ગોળવલકર ગુરુજીના પુસ્તક ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ અને દીનદયાલ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને સાથે અને સામસામે મૂકીને કોઈ તપાસે ત્યારે આ પક્ષે કાપેલું અને નહીં કાપેલું અંતર આપમેળે સમજાઈ રહેશે

પ્રકાશ ન. શાહ

નવા સંસદભવન અને સાવરકર જયંતીના જોગાનુજોગને પડછે આ દિવસોમાં, જુલાઈ 2023માં, એમ જ થઈ આવેલું સ્મરણ બરાબર સુડતાલીસ વરસ પરનું છે : અમે સૌ વડોદરા જેલમાં મિસાબન્દી હતા, સંસ્થા કાઁગ્રેસ, જનસંઘ, સમાજવાદી પક્ષ અને મારા જેવા જેપી સૈનિકો. ઉપરાંત, આર.એસ.એસ. અને જમાતે ઈસ્લામી જેવી પ્રતિબંધિત સંસ્થાઓના મિત્રો પણ ખરા. જયપ્રકાશજીના આંદોલન સાથે સત્તાપક્ષ સામે એક નવા, કંઈક સહિયારા કથાનક(નેરેટિવ)ની શક્યતાએ ભરેલું કટોકટીકાળના કારાવાસનું એ મળતાં મળેલું સહજીવન હતું.

એ મહિનાઓમાં અમે પરસ્પર વિચારવિમર્શના અવસરો શોધતા અને ઠમઠોરતા. જુલાઈ 1976માં એવું કયું નિમિત્ત મળી આવે? મને સૂઝેલું નિમિત્ત બારમી જુલાઈનું હતું. 1948ના ફેબ્રુઆરીની ચોથી તારીખે સરદાર પટેલ હસ્તકના ગૃહ મંત્રાલયે ‘દ્વેષ અને ધિક્કાર તેમ જ હિંસાનાં પરિબળોનાં નિર્મૂલન વાસ્તે’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રતિબંધિત સંસ્થા જાહેર કરી હતી, અને આશરે અઢાર મહિનાના અંતરાલ પછી 1949ની બારમી જુલાઈએ (અગિયારમી જુલાઈની મધરાતે) પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

મારી દૃષ્ટિએ સૂચિત વિમર્શનો મુખ્ય મુદ્દો, જેની ફરતે ઊહ ને અપોહ શક્ય બને, એ હતો કે 1948-49માં પ્રતિબંધ વખતે તમે (સંઘ) લગભગ એકલા પડી ગયેલા જેવા હતા, જ્યારે 75-76માં તમે એકલા નથી. આ કેવી રીતે બન્યું, એ તપાસવું રહે છે.

પ્રથમ પ્રતિબંધ પછી સંઘ વર્તુળોમાં શરૂ થયેલી ચર્ચા, એમનાં પ્રારંભિક પચીસ વરસથી વિપરીત રાજકીય પ્રવેશબારી માટેની હતી. સંગઠનબદ્ધ, શિસ્તબદ્ધ, ચોક્કસ અર્થમાં ‘બંધ’ જેવી દુનિયા અને સ્વરાજના ખુલ્લા વિશ્વ વચ્ચે જીવંત આપલે સારુ નિયંત્રિત ડોકાબારીની નહીં પણ વિધિવત્ ખુલ્લાં દ્વારની જરૂર હતી.

બીજે છેડેથી, છેક જ એવું નહીં તો પણ ઠીક ઠીક એકલાપણું અનુભવતી તે વખતની એક નોંધપાત્ર રાજકીય હસ્તી હતી – શ્યામા પ્રસાદ મુખર્જી. હિંદુ મહાસભાના નેતા. ભારતનું પ્રથમ પ્રધાનમંડળ નકરું કાઁગ્રેસબદ્ધ ન હોય એવી ગાંધીસલાહ પ્રમાણે નેહરુપટેલે જે રચ્યું એમાં મુખર્જી અને આંબેડકર આદિનો પણ સમાવેશ થયો હતો. પાછળથી પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશમાંથી હિંદુ લઘુમતીની હિજરત દમનરાજને કારણે ચાલુ રહી ત્યારે મુખર્જીએ પ્રધાનમંડળ છોડ્યું, પણ એ હિંદુ મહાસભામાં પુન: સક્રિય થવા રાજી નહોતા; કેમ કે સ્વતંત્ર ભારતમાં કોઈ પક્ષ કોઈ એક જ ધર્મકોમ સારુ ખુલ્લો હોય એ એમને સ્વીકાર્ય નહોતું.

શ્યામાપ્રસાદ મુર્ખરજી

મને યાદ છે, મુખર્જીનું નિધન થયું ત્યારે મોહનલાલ મહેતા – ‘સોપાને’ એમને અંજલિ આપતાં લખ્યું હતું કે રાષ્ટ્રવાદીઓ વચ્ચે કોમવાદી જણાતા મુખર્જી કોમવાદીઓ વચ્ચે રાષ્ટ્રવાદી વરતાતા. આ સંભારું છું ત્યારે જરી ફંટાઈને મને બંગાળી ભદ્રલોકની તાસીર ઉકેલવાનું મન થઈ આવે છે. 1905નો બંગભંગ સામેનો બંગાળના જનસાધારણનો ઉદ્વેક મુલ્કમશહૂર છે. આ જ ભદ્ર નેતૃત્વની પરંપરામાં શ્યામા પ્રસાદ 1941માં ફઝલૂલ હકના નેતૃત્વ હેઠળની મિશ્ર સરકારમાં જોડાયા હતા. હકે 1940માં મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ પાઈલટ કર્યો’તો એનો એમને ખટકો નહોતો. ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થયા પછી પણ એ એમાં ચાલુ રહ્યા હતા. મોડેથી અલબત્ત એમણે છોડવાપણું જોયું હતું, પણ તે પૂર્વે એક તબક્કે અંગ્રેજ સરકાર જ્યારે યુદ્ધયત્નમાં હોય ત્યારે આંદોલનથી એને નડતર ઊભું કરનારાઓ સાથે એણે કેવી રીતે કામ લેવું જોઈએ એવી લેખી સલાહ પણ આપી ચૂક્યા હતા.

જ્યારે ભાગલાની વાત આવી ત્યારે મુખર્જીએ લોર્ડ માઉન્ટબેટનને લખ્યું હતું કે ભારતના ભાગલા પડે કે ન પડે, બંગાળના પડે તે જરૂરી છે, જેથી અમે (બંગાળી હિંદુઓ) મુસ્લિમ બહુમતીના ત્રાસથી છૂટીએ.

ગમે તેમ પણ, હવે મુખર્જી છડા હતા અને સંઘની પ્રવેશશોધ પાકી ગઈ હતી. એટલે એ નેતા અને એમને સંઘની કાર્યકર ભેટ, આમ ભારતીય જનસંઘ, શ્યામા પ્રસાદ મુખર્જી, બલરાજ મધોક ને દીનદયાલ ઉપાધ્યાય એમ ત્રણ સ્થાપક સભ્યો સાથે ચિત્રમાં આવ્યો. સિદ્ધાંત-માવજત અને તડજોડની રાજનીતિ કરતે કરતે એ જેપી જનઆંદોલનમાં જોડાઈ નવી સ્વીકૃતિ પામ્યો. જુલાઈ 1949 અને જુલાઈ 1976 વચ્ચે આ ગુણાત્મક પરિવર્તન હતું.

મને યાદ છે, નવી દિલ્હીના આંબેડકર સ્ટેડિયમમાં માર્ચ 1975માં જનસંઘના અધિવેશનને જયપ્રકાશ નારાયણે એમની વ્યાપક ભૂમિકાએથી સંબોધ્યા પછી આભારવચનો ઉચ્ચારતાં અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે હમારા ચરિત્ર બદલ રહા હૈ. મધ્યમવર્ગી કાર્યકરો જનઆંદોલન જોડે જોડાય છે ત્યારે એમની માનસિકતા અને સમજમાં ચોક્કસ પરિવર્તન આવે છે, એ મતલબની વાજપેયીની થીસિસ હતી.

આ સુવાણમાં આગલા દસકામાં જે થોડા મહિના બિનકાઁગ્રેસ સરકારોમાં હિસ્સેદારીના રહ્યા એનો સહેજસાજ હિસ્સો હશે. પણ સવિશેષ હિસ્સો તો 1965માં જનસંઘના વિજયવાડા અધિવેશને જેના પર મહોર મારી તે ‘એકાત્મ માનવવાદ’ના દીનદયાલ ઉપાધ્યાયના પ્રબંધનો હતો. જનસંઘ જ્યારે જનતા અવતાર છોડી 1980માં ભા.જ.પ. બન્યો ત્યારે પણ એણે પક્ષના બંધારણની ત્રીજી કલમમાં પક્ષના પાયાના વૈચારિક અભિગમ તરીકે એકાત્મ માનવવાદનો વિધિવત્ સ્વીકાર કરેલો છે. અહીં આ વિચારની સમજૂતમાં નહીં જતાં એટલું જ કહીશું કે સંઘ પરંપરાના જડબેસલાક રાષ્ટ્ર કૈવલ્યવાદમાં નહીં ગંઠાતી એવી એક વ્યાપક ભૂમિકા હતી. ગોળવલકરના પુસ્તક ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ અને દીનદયાલના ‘એકાત્મ માનવવાદ’ને સાથે અને સામસામે મૂકીને કોઈ તપાસે ત્યારે આ પક્ષે કાપેલું જણાતું કે કાપવું રહી ગયેલું અંતર સમજાશે.

ગમે તેમ પણ, 2016માં દીનદયાલ શતાબ્દીનો તાકડો સાધી ઘટતા અવાજો કર્યા બાદ જે રીતે સાવરકરને આગળ કરાતા જણાય છે એ સંઘ શતાબ્દીનાં ઉંબર વરસોમાં 1925ના મુંજે-હેડગેવાર-બાબારાવ દિવસોમાં પાછા જવાનાં ચિહ્નો તો નથી ને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 જુલાઈ 2023

Loading

મહારાષ્ટૃમાં બી.જે.પી.ને ક્યારે ય બહુમતી મળી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|6 July 2023

રમેશ ઓઝા

શિવસેના પ્રમુખ બાળ ઠાકરે પુત્રપ્રેમ અને ન્યાયની વચ્ચે અટવાઈ ગયા હતા અને તેમણે ભત્રીજા રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો. એમાં કોઈ શંકા નથી કે રાજ ઠાકરે બાળ ઠાકરેના દેખીતા રાજકીય વારસદાર માનવામાં આવતા હતા. તેઓ તરૂણાવસ્થાથી બાળ ઠાકરેની સાથે હતા, બાળ ઠાકરેના ‘માર્મિક’ નામનાં સામયિકમાં તેમને મદદ કરતા હતા, શરૂઆતના વર્ષોમાં શિવસેનાની શાખાઓનું પ્રબંધન કરતા હતા, સારા વક્તા તો છે જ અને ઠાકરેબંધુઓમાં સૌથી વધુ પરસેવો રાજ ઠાકરે પાડતા હતા અને તે છતાં ય બાળ ઠાકરેએ પુત્રમોહથી ગ્રસ્ત બનીને રાજ ઠાકરેને અન્યાય કર્યો હતો અને તેમની જગ્યાએ ઉદ્ધવ ઠાકરેને આગળ કર્યા હતા.

શરદ પવાર અને અજિત પવારનો કિસ્સો બીજા છેડાનો છે. અજિત પવારમાં કોઈ પ્રકારની આવડત નથી, તે અસંસ્કારી માણસ છે, બોલવાનું ભાન નથી, બફાટ કરીને પોતાને જ હાસ્યાસ્પદ બનાવે છે, સત્તાભૂખ્યા માણસ છે અને ઉપરથી અવ્વલ દરજ્જાના ભ્રષ્ટ માણસ છે. શરદ પવારે અજિત પવારને પોતાનાં અનુગામી જાહેર નહીં કરીને તેમને કોઈ અન્યાય નથી કર્યો. ઊલટું જે માણસ જાહેરજીવનને લાયક નથી એવા માણસને માત્ર ભત્રીજો છે એટલે આટલો મોટો નેતા બનાવીને શરદ પવારે મહારાષ્ટ્ર સાથે અન્યાય કર્યો છે. એનો અર્થ એવો નથી કે પવારપુત્રી સુપ્રિયા સુલે પવારનાં રાજકીય વારસદાર બનવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ સુપ્રિયા સભ્ય અને સંસ્કારી છે જે રીતે ઉદ્ધવ ઠાકરે છે.

અજિત પવાર બળવો કરવાના જ હતા. ૨૦૧૯માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે પણ તેમણે કાકાની વિરુદ્ધ જઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા, પણ પછી જ્યારે તેમને ખબર પડી કે કોઈ મોટી સંખ્યામાં વિધાનસભ્યો તેમની પાસે નથી એટલે તેઓ પાછા આવ્યા હતા. દેખાવ એવો કરાવામાં આવ્યો હતો કે એ અજિત પવારનો બળવો નહોતો, પણ શરદ પવારનો અજિત પવાર સામેના કેસ પાછા ખેંચાવી લેવાનો માસ્ટર સ્ટ્રોક હતો.

હવે જ્યારે શરદ પવારે વિધિવત્ પોતાની પુત્રી સુપ્રિયા સુલેને વારસદાર જાહેર કરી દીધાં છે એટલે અજિત પવાર પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહત્ત્વાકાંક્ષા, અસંસ્કાર, લાંબી ગણતરી કરવાની ક્ષમતાનો અભાવ અને ભ્રષ્ટાચાર શરદ પવારની છત્રછાંયામાં ઢબૂરી દેવામાં આવતાં હતાં જે નવી સ્થિતિમાં શક્ય નહોતું. જે લોકો મહારાષ્ટ્રનાં રાજકારણથી પરિચિત છે અને અજિત પવારને ઓળખે છે એ જાણે છે કે અજિત પવારનું કોઈ રાજકીય ભવિષ્ય નથી, પણ અજિત પવાર આ નથી જાણતા. એ જાડી બુદ્ધિનો માણસ છે.

રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીમાં જે બન્યું એને માટે શરદ પવારની દયા ખાવી જોઈએ ખરી? ભારતમાં લગભગ બધા જ (એકાદ બે અપવાદ છોડીને) પ્રાદેશિક રાજકીય પક્ષો પરિવારની પેઢી જેવા છે. પક્ષમાં લોકતંત્ર હોતું નથી પણ વારસદારી ચાલે છે. બીજું શરદ પવારે પણ એ જ કર્યું હતું જે અજિત પવાર કરી રહ્યા છે. ૧૯૯૯માં કાઁગ્રેસ છોડતી વખતે તેમની પણ એ જ ગણતરી હતી જે અજિત પવારની છે. જો વડા પ્રધાનપદ ગાંઘી પરિવારને જ મળવાનું હોય તો બહાર નીકળીને જેનીતેની સાથે સોગઠાં ગોઠવીને હાથપૈર શું કામ ન મારવા! શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ફરક માત્ર સંસ્કાર, આવડત અને દૂરંદેશીનો છે. જે રાજકીય સંસ્કાર શરદ પવારે અપનાવ્યા હતા એ વારસામાં ઊતર્યાં છે.

અજિત પવાર સાથે જેટલા વિધાનસભ્યો ગયા છે એ તમામ સામે ઇ.ડી.ના કેસ છે. વિરોધ પક્ષોને તોડવા માટે ઇ.ડી.નો દુરુપયોગ કરાવામાં આવે છે. હવે બધા ભા.જ.પ. સાથે હાથ મેળવીને પવિત્ર થઈ જશે. બી.જે.પી.ના નેતાઓ જાણે છે કે કયા કયા રાજકીય પક્ષોમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો છે. તેમને બે જ વિકલ્પ આપવામાં આવે છે. કાં તો પક્ષ સામે બળવો કરીને તમારા પક્ષને કમજોર કરો અથવા જેલમાં જાવ. આ બધાં અઘોષિત ઈમરજન્સીનાં લક્ષણો છે. 

બી.જે.પી.એ ગયા વર્ષે શિવસેનામાં વિભાજન કરાવીને મહારાષ્ટ્રમાં સરકાર તો રચી પણ પરેશાનીનો પાર નહોતો. શિંદે-જૂથના દરેક વિધાનસભ્યને પ્રધાનપદુ જોઈતું હતું. બીજું, સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ રાજ્ય વિધાનસભાના સ્પીકરે પક્ષાંતર કરનારા સેના વિધાનસભ્યોના ભાગ્યનો ફેંસલો કરવાનો છે. આદેશ આપ્યે ત્રણ મહિના થઈ ગયા છે, પણ કેટલા દિવસ ટાળી શકાય. સર્વોચ્ચ અદાલતે જે શબ્દોમાં મહારાષ્ટ્રના ગવર્નર અને સ્પીકરની ટીકા કરી છે એ જોતાં સાવ બેશરમ બનીને નિર્ણય લઈ શકાય એમ નથી. ત્રીજું, સેનાને તોડ્યા પછી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સેના માટે સહાનુભૂતિ એટલી પ્રચંડ છે કે બળવાખોરો અંદરથી ડરેલા છે. જો પ્રધાનપદું પણ ન મળે તો સોળના ભાવમાં લૂંટાઈ જવા જેવું થાય. બી.જે.પી.ના નેતાઓ ત્રસ્ત હતા અને તેને રાહતની જરૂર હતી. હવે કદાચ થોડી રાહત મળશે.

પણ સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહારાષ્ટ્રમાં બી.જે.પી. માટે અનુકૂળતા નથી. આ એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને કયારે ય બહુમતી મળી નથી અને નરેદ્ર મોદીના હોવા છતાં પણ બી.જે.પી. બહુમતીની નજીક સુદ્ધાં પહોંચી શકી નથી. માટે તો મુંબઇ મહાનગરપાલિકાની અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજવામાં આવતી નથી. વરસ પહેલાં મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી કારણ કે તેમને ખબર છે કે મોટું ધોવાણ થવાનું છે.

એમ તો એવું પણ કહેવાય છે કે અજિત પવારના બળવા પાછળ શરદ પવારનો હાથ છે. તેમણે જ બળવો કરવા માટે થોડા વિધાનસભ્યો આપ્યા હશે અને અજિત પવાર નામની ઘેલી કન્યાને સાસરે વળાવ્યા પછી વળાવિયા પાછા આવી જાય. કન્યા સાસરે રખડી પડે અને પિયરનાં દરવાજા બંધ થઈ જાય. એ પછી સુપ્રિયા સુલે સામે કોઈ પડકાર ન રહે. શરદ પવારે પોતે જ કહ્યું છે કે હું સ્થિતિ પલટાવી આપીશ. શરદ પવાર ચતુર માણસ હોવાની ખ્યાતિ ધરાવે છે અને છે પણ એટલે શરદ પવારને લઈને આવી થિયરીઓ વહેતી રહે છે.

દરમ્યાન શરદ પવારના ચહેરા પર શાંતિ અને સ્વસ્થતા જોઈ? તેમણે પંચાવન વરસની લાંબી રાજકીય યાત્રામાં સ્વસ્થતા ગુમાવી હોય એવું ક્યારે ય જોવા મળ્યું નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જુલાઈ 2023

Loading

ટાઈટેનિક: પ્રેમની અને જહાજની ટ્રેજેડી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 July 2023

રાજ ગોસ્વામી

111 વર્ષ પહેલાં, નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ‘ટાઈટેનિક’ કયારે ય સમાચારોમાંથી ગાયબ રહેતું નથી. આધુનિક માનવ ઇતિહાસનું (જે તે વખતે) જેટલું મોટું જહાજ હતું, એટલી જ મોટી એ દુર્ઘટના હતી. તેનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું, ત્યારે તેને સૌથી સુરક્ષિત જહાજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 15 એપ્રિલ 1912ના રોજ તે સમુદ્રમાં ડૂબ્યું, ત્યારે તેમાં 2,224 મુસાફરો સવાર હતાં. એમાંથી 1,500થી વધુ લોકો, જહાજની સાથે જ, પાણીમાં ગરકાવ થઇ ગયાં.

23મી જૂને ‘ટાઈટેનિક’ ફરીથી સમાચારોમાં ચમક્યું. એનો કાટમાળ હજુ પણ સમુદ્રના તળિયે છે. સમુદ્રશાસ્ત્રીઓથી લઈને સાહસિકો વખતો વખત ડૂબકી મારીને તેની શોધખોળ કરતાં રહે છે. 23મી તરીકે, ‘ધ ટાઈટેન’ નામનું એક સબમર્સીબલ વાહન ‘ટાઈટેનિક’ની જ્યાં જળસમાધિ છે ત્યાં ધડાકા સાથે ડૂબી ગયું અને એમાં સવાર પાંચ લોકોનાં મોત થઇ ગયાં.

જહાજ ડૂબ્યાના 73 વર્ષ પછી, 1985માં, સમુદ્રના તળિયે તેનો કાટમાળ પહેલીવાર શોધવામાં આવ્યો તે પછી ‘ટાઈટેનિક ટુરિઝમ’ની શરૂઆત થઇ હતી. અમેરિકાની ઓસિયનગેટ નામની એક કંપની આવી ટુર ચલાવે છે. મિનિવાન કદનું ‘ધ ટાઈટેન’ વાહન આ કંપનીનું હતું. તે સમુદ્રમાં તૂટી ગયું તેના સમાચાર આવ્યા ત્યારે, ૩૩ વખત એ કાટમાળનાં ચક્કર મારી આવનારા  હોલિવૂડના ફિલ્મ નિર્દેશક જેમ્સ કેમરોને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને જ્યારે પહેલીવાર એ સમાચાર મળ્યા હતા કે સબમર્સીબલનો નેવિગેશન અને કોમ્યુનિકેશન સંપર્ક થતો નથી, ત્યારે જ તેમને ફાળ પડી હતી કે તેની સાથે દુર્ઘટના થઇ છે.

“મેં તરત જ સબમર્સીબલ સમુદાયમાં મારા સંપર્કોને ફોન લગાવ્યો હતો,” કેમરોને કહ્યું હતું, “એકાદ કલાકમાં જ મારી પાસે અમુક તથ્યો આવી ગયાં હતાં. એ લોકો 3,500 મીટર પર હતા અને નીચે 3,800 મીટર તરફ ઉતરી રહ્યા હતા. તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, અને મેં તરત જ કહ્યું – મોટી દુર્ઘટના વગર સંપર્ક ન તૂટે. મારી શંકા હતી કે અંદર સ્ફોટ થયો છે.”

તેમણે ઉમેર્યું હતું, “મારી નજર સામે એવું દૃશ્ય તરી ગયું જેમાં લોકો ચીસાચીસ કરતાં હોય અને ઓક્સીજન માટે ફાંફા મારતાં હોય. એ કેવી વિડંબના છે કે 1912માં જે જગ્યાએ ટાઈટેનિક ડૂબી ગયું હતું, તે જ જગ્યાએ ધ ટાઈટેન ડૂબી ગયું. બંને વખતે ચેતવણીઓને ગણકારવામાં આવી નહોતી.”

આ જેમ્સ કેમરોન એ જ છે જેમણે 1997માં જગપ્રસિદ્ધ ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી હતી. 2012માં, કેમેરોને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચાર પત્રને કહ્યું હતું કે 13,000 ફીટ નીચે ટાઈટેનિક જ્યાં ડૂબી ગયું હતું તે દુનિયાની સૌથી અઘરામાં અઘરી જગ્યા છે. ત્યાં સમુદ્રના તળિયેથી તમે કોઈને બચાવ માટે પણ બોલાવી ન શકો. તેમને એ જગ્યા જોવી હતી, જ્યાં માણસ પહેલાં ક્યારે ય ગયો નહોતો.

મૂળ કેનેડામાં જન્મેલા કેમરોન કોલેજમાં ભણવાને બદલે ટ્રક ચલાવતા હતા અને જ્યોર્જ લુકાસની અંતરીક્ષ ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જોઇને ફિલ્મો અને તેની સ્પેશ્યલ ઈફેક્ટ તરફ આકર્ષાયા હતા. 1989માં તેમણે ‘ધ એબીસ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં સમુદ્રમાં ઓઈલ-રિગ પર કામ કરતા કર્મચારીઓને સમુદ્રમાં વિચિત્ર પ્રજાતિનો ભેટો થાય છે. તે વખતથી તેમનામાં સમુદ્રના પેટમાં શું હોય તેનું કુતૂહલ જાગ્યું હતું.

‘ટાઈટેનિક’માં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવાસ કરતી અમીર પરિવારની રોઝ બકટેર (કેટ વિન્સ્લેટ) અને થર્ડ-ક્લાસના મુસાફર જેક ડાઉસન(લીયોનાર્ડો ડિકેપ્રીઓ)ની વાર્તા છે. બંને ચાર દિવસની તેમની ટાઈટેનિક યાત્રા દરમિયાન પ્રેમમાં પડે છે. એક બાજુ તેમના એ રોમાન્સ અને એમાં આવતી અડચણો અને બીજી જહાજનું હિમશીલા સાથે ટકરાઈને ડૂબી જવું એ બે ઘટનાઓ એકસાથે ફિલ્મમાં ચાલતી રહે છે. છેલ્લે જેક રોઝને તરાપા પર તરતી રાખીને ખુદ બરફ જેવા કાતિલ પાણીમાં ઠરી જઈને અવસાન પામે છે.

આખી ફિલ્મ ફ્લેશબેકમાં હતી. ફિલ્મની શરૂઆતમાં, ટાઈટેનિક જહાજના કાટમાળની શોધખોળ કરી રહેલા અમુક ગોથાખોરો, વૃદ્ધ થઇ ગયેલી રોઝ પાસેથી આંખે દેખ્યો અહેવાલ માંગે છે. રોઝ તે કેવી રીતે લંડનમાં જહાજ પર સવાર થઇ અને કેવી રીતે જેકને ભટકાઈ ત્યાંથી વાર્તા કહેવાનું શરૂ કરે છે. આખી ફિલ્મ આમ જુઓ તો બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મ જેવી છે. તે વખતે ઘણા ફિલ્મ વિવેચકોએ કહ્યું પણ હતું કે જેમ્સ કેમરોને બોલિવૂડ લવ-સ્ટોરી બનાવી છે, જેમાં એક અમીર છોકરી છે, એક ગરીબ છોકરો છે, બંને વચ્ચે પ્રેમ છે અને છોકરીનો પરિવાર એમાં વિલન બને છે.

2009માં, કેમરોને પ્લેબોય પત્રિકાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે પ્રેમ-કહાની કહેવા માટે કે પૈસા કમાવા માટે ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી નહોતી, બલકે તેમને જહાજના કાટમાળ સુધી ડૂબકી મારીને તેને શૂટ કરવું હતું. કેમેરોન પોતે સારા ગોથાખોર છે. તેમણે કહ્યું હતું, “ટાઈટેનિકનો કાટમાળ સમુદ્રનો માઉન્ટ એવરેસ્ટ છે. ગોથાખોર તરીકે મારે ત્યાં જવું હતું. મને જ્યારે ખબર પડી કે અમુક લોકો આઈમેક્સ ફિલ્મ બનાવવા માટે ટાઈટેનિક સુધી ગોથું મારી આવ્યા છે, તો મને થયું કે હું એક ફિલ્મ બનાવીશ જેથી ત્યાં જવાનો ખર્ચો નીકળી જાય. એક ખોજયાત્રીનું કામ સૌથી અઘરો અનુભવ કરવાનું અને પાછા આવીને તેની વાર્તા કહેવાનું છે.”

પરંતુ, વર્ષો પહેલાં એક ડૂબી ગયેલા જહાજ એક જહાજના કાટમાળને શૂટ કરવા માટે કોણ પૈસા આપે? (આજના હિસાબે તે 20 કરોડ રૂપિયામાં બની હતી) એટલે કેમરોને ફાયનાન્સરોને લલચાવવા માટે આઈડિયા લડાવ્યો કે શેક્સપિયરના સદાબહાર પ્રેમીઓ, રોમિયો અને જુલિયેટ, ટાઈટેનિક જહાજ પર હોય તો કેવું? રોમિયો અને જુલિયેટની પ્રેમ કહાની પર દુનિયાભરમાં અનેક ફિલ્મો બની છે. આપણે ત્યાં બોલિવૂડમાં ‘એક દુજે કે લિયે’, ‘બોબી’, ‘સોદાગર’, ‘કયામત સે કયામત તક’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મો બની છે.

તેની વાર્તા સર્વકાલીન છે: રોમિયો અને જુલિયેટ ગળાડૂબ પ્રેમ છે, પણ તેમનો પરિવાર એકબીજાને નફરત કરે છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે, પણ જુલિયેટને ત્રણ દિવસમાં કાઉન્ટ પેરિસ સાથે પરણાવી દેવાનો કારસો ગોઠવાય છે. આમાંથ બચવા માટે જુલિયેટ પાદરી પાસે એવું ઔષધિ માંગે છે, જે પીવાથી તે મૃત નજર આવે.

પાદરીએ આ વાત રોમિયોને કહેવાની હોય છે પણ તે પહેલાં રોમિયો માની લે છે કે જુલિયેટ મરી ગઈ છે. એટલે તે જુલિયેટની ‘કબર’ પર જઈને તેને ચૂંબન કરે છે અને પોતાની પાસે રાખેલું ઝેર પી જાય છે. તે ફરી જુલિયેટને ચૂંબન કરે છે અને જુલિયેટ આંખો ખોલે તે પહેલાં મરી જાય છે. પ્રેમીને મૃત જોઇને દુઃખી થઇ ગયેલી જુલિયેટ રોમિયોની કટાર ખેંચીને પોતાના હૃદયમાં મારી દે છે, જેથી પરપુરુષથી બચી શકે.

‘ટાઈટેનિક’માં એ જ વાર્તાને થોડા ફેરફાર સાથે એવી રીતે સમાવામાં આવી હતી કે પ્રેમીઓની ટ્રેજેડી અને જહાજની ટ્રેજેડી સાથે-સાથે ચાલે. જેમ્સ કેમરોનને ફિલ્મની સફળતા વિશે બહુ આશા નહોતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “ફિલ્મ પૂરી થવાના છેલ્લા છ મહિના હતા, ત્યારે મને થયું હતું કે મારી કેરિયર પતી જશે. મને લાગ્યું હતું કે આમાં પૈસા નહીં બને. મને થયું હતું કે મેં ટ્વેંટીએથ સેન્ચુરીની તિજોરીમાં મોટું ગાબડું પાડ્યું છે અને મને એ લોકો માફ નહીં કરે.”

પરંતુ ‘ટાઈટેનિક’ એ વખતની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ એટલું જ નહીં, 14 ઓસ્કાર નોમિનેશનમાંથી 11 એવોર્ડ લઇ ગઈ. કેમરોન કહે છે કે તેનું કારણ કંઇક અંશે ટાઈટેનિક જહાજની પોતાની વાર્તા છે. ઇતિહાસમાં એ દિવસે શું થયું હતું તેનું કુતૂહલ આ ફિલ્મની લોકપ્રિયતા માટે જવાબદાર છે. તે કહે છે, “હું હંમેશાં માનું છું કે એક સદાબહાર પ્રેમ કહાનીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઉર્જા બક્ષે છે. ફિલ્મમાં જેક રોઝને જીવન આપે છે. છેલ્લા શોટમાં અમે તેની એ ભૂરી આંખોમાં તેના 103 વર્ષને પસાર થતું બતાવ્યું હતું. જેકે તેને આટલી મોટી ગીફ્ટ આપી હતી.”

ફિલ્મની વાર્તાની અને કેમરોનના નિર્દેશનની તો ઘણી બધી વાતો છે પણ તેમની ચીવટની બે નાનકડી વાતો નોંધવા જેવી છે: ફિલ્મ ફ્લેશબેકમાં છે, એટલે વર્તમાન સમય અને ફિલ્મની ક્રેડીટનાં રીલ્સ કાઢી નાખીએ, તો ફિલ્મની કુલ લંબાઈ બે કલાક અને ચાલીસ મિનિટની છે. 1912માં, ટાઈટેનિકને ડૂબતાં પણ એટલો જ સમય લાગ્યો હતો. બીજું, હિમશીલા સાથે જહાજની ટક્કર 37 સેકન્ડની હતી. ફિલ્મમાં પણ એ દૃશ્ય 37 સેકન્ડનું છે.

(પ્રગટ : ‘સુપરહિટ’, “સંદેશ”; 05 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0841,0851,0861,087...1,0901,1001,110...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved