Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનતા સરકાર : આંદોલનની રાજનીતિ નિર્માણના તબક્કામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 June 2025

રાજકારણ

18 જૂન, 1975, જનતા સરકારની રચના

જૂન 1965થી માર્ચ 1976ના એ 9 મહિના દરમિયાન કટોકટીના દરિયા વચ્ચે ગુજરાત સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું અને એણે માર્ચ 1977ના જનતા રાજ્યારોહણનો પથ પ્રશસ્ત કર્યો. ગુજરાતનો મોરચો એનો પ્રાથમિક પૂર્વરંગ હતો.

પ્રકાશ ન. શાહ

જૂન 1975 – માર્ચ 1977 : પ્રજાસત્તાક ભારતની આ જળથાળ પચાસીએ કંઈક અંશે સંઘર્ષગર્ભા, કંઈક અંશે અગ્નિદિવ્ય શી ભલે નાની પણ નિર્ણાયક એક ઘટના આપણી પ્રજાકીય સ્મૃતિમાં ઇતિહાસદર્જ થઈ જવી ઘટે છે. 1975ના જૂનની 18મીએ બની આવેલી એ ઘટના તે બાબુભાઈ જશભાઈના નેતૃત્વ હેઠળ જનતા મોરચા સરકારનું રાજ્યારોહણ.

પૂર્વપ્રયોગોને મુકાબલે એક જુદી જ ઘટના હતી આ. 1967માં ટૂંકજીવી બિનકાઁગ્રેસ સરકારો બની હતી. લિમયેએ નાટ્યાત્મક રીતે કહ્યું તેમ અમૃતસરથી ગાડીમાં બેસો ને છેક કલકત્તા પહોંચો ત્યાં સુધી તમારે એકે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવાની જરૂર નહોતી રહેતી. પણ આ સરકારો ચૂંટણીપરિણામ પછી, અલગ અલગ કાર્યક્રમોને ધોરણે લડ્યા પછી અને છતાં, કરેલી અંકગણિતી ગોઠવણ જેવી બહુધા હતી. 1971માં દેશજનતાએ કથિત ‘ભવ્ય જોડાણ’ લોકસભાની ‘ગરીબી હટાવો’ ચૂંટણીમાં જોયું હતું. પણ હમણાં જીવદયાને ધોરણે એની ચર્ચા મ્યાન રાખીએ. 

1975માં જનતા મોરચા સરકાર સુધી પહોંચતાં નવું શું બન્યું? નવનિર્માણ આંદોલનને ભોં ભાંગી તે પછી જનજાગૃતિ આરંભિક એંશીપંચાસી દિવસ બાદ સૂની ન પડી ગઈ. ગુજરાતના નાનકડા જે.પી. ન્યુક્લિઅસે પડ જાગતું રાખ્યું. બિહાર આંદોલન તેમ જે.પી. નેતૃત્વમાં બદલાતી અખિલ હિંદ આબોહવાએ આ ન્યુક્લિઅસને (બિહારને મુકાબલે તે કમ છતાં) ગુજરાતની નવજાગ્રત નાગરિક શક્તિના વ્યાપક સંદર્ભમાં પક્ષ-અપક્ષ પરિબળોને એકત્ર આણી વૈકલ્પિક પરિબળ ઊભું કરવાની સુવિધા ને શક્તિ બક્ષ્યાં. 

બાબુભાઈ જશભાઈ પટેલ

લોકસંઘર્ષ સમિતિના ઠરાવથી એપ્રિલ 1975માં રચાયેલ જનતા મોરચાએ પક્ષવાર ક્વોટા કે થોડી અપક્ષ ટુકડાફેંકને બદલે એક જુદો જ અભિગમ લીધો. ઉમેદવાર પસંદગી હવે કોઈ પક્ષના બડેખાંની બપૌતી ન રહેતાં જે એક સહિયારું કોર ગ્રુપ બની આવ્યું હતું તેની સમક્ષ રજૂઆત અને પૂરતી આપલે મોકળાશની રીતે આગળ ચાલી. હા, મોરચાએ એક સુકાનીનો (ગુજરાતમાં સ્વાભાવિક જ મોરારજી દેસાઈનો) સ્વીકાર જરૂર કર્યો હતો. પણ એમની દરમિયાનગીરીને અવકાશ માત્ર ત્યારે ને ત્યારે જ રહેતો જ્યારે કોન્સેન્સસ ન હોય. જેમની પાછળ પક્ષીય દળકટકનો વાજોગાજો મુદ્દલ ન હોય એવી પ્રતિભાઓ ઉમેદવાર પસંદગીમાં રસ લેતી, દરમિયાન થતી ને એકંદરમતી સરજાતી. બી.કે. મઝુમદાર, ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી, ઇશ્વર પેટલીકર, ચંદ્રકાંત દરુ, એવી પ્રતિભાઓ હતી આ જે ટકોરાબંધ માણસ ને ટકોરાબંધ કાર્યક્રમમાં માર્ગદર્શન આપી શકે. પક્ષીય સમિતિઓ, એવાં જ રાવણાં, એમના આકા સૌ હશે. પણ એક નાનો એવો જ નિર્ણાયક ગાળો એ આવ્યો જ્યારે આવી જે.પી. મંડળીની મહદ્ ભૂમિકા આવી. 

ગુજરાતની 182 બેઠકોમાંથી સહેજે પંચોત્તેર ટકા બેઠકો માટેની પસંદગી મુકાબલે યુવા વર્ગ પૈકી હતી. જેમની કોઈ સીધી રાજકીય ભૂમિકા અગર ચૂંટણીકારકિર્દી ન હોય એવા નવા 140 ચહેરા અમે ઉતારી શક્યા હતા. 

… અને ચોસઠ મુદ્દાનો કાર્યક્રમ ? એટલું જ કહેવું બસ થશે કે ઢંઢેરાની ચર્ચા દરમિયાન બાબુભાઈ પટેલ, દિનેશ શાહ, વસંત ગજેન્દ્રગડકર, આર.કે. અમીન, પીલુ મોદી, કીર્તિદેવ દેસાઈ, આ લખનાર સાથે બુઝુર્ગ મોરારજી બધા જ કલાક, પૂરો સમય, બિલકુલ ટટ્ટાર મેરુદંડ, સામેલ થયા હતા ને મજબૂત વહીવટી પકડ સમેત જે શક્ય ન હોય તેવાં વચનો સામે ધરવાની તો વહીવટક્ષમ લોકમુદ્દાની બિનચૂક બાગબાની કરતા હતા. ગુજરાતના કાર્યક્રમની વિગતો જાણી જ્યારે જયપ્રકાશે, ત્યારે એમણે કહ્યું કે બિલકુલ વહેવારુ રાહ તમે લીધો છે.

જૂન 1975થી માર્ચ 1976ના નવ મહિના, ઇંદિરાઇ કટોકટી વચાળે, ગુજરાત સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું. આંતરરાષ્ટ્રીય રાજકારણના નકશામાં જેને જુદા રંગે ઓળખાવવું પડે ને બિરદાવવું પડે એવી એક મિસાલ એ હતી. મિસાલ પણ, મશાલ પણ … માર્ચ 1977માં રાજઘાટ પર નવનિર્વાચિત સાંસદોએ જે.પી.-કૃપાલાનીની સંનિધિમાં શપથ લીધા ત્યારે શબ્દોને એમનો અર્થ પાછો મળી રહ્યાનો જે થોડોકે સુખાભાસ, ગુજરાતનો મોરચો એનો પ્રાથમિક પૂર્વરંગ હતો. 

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 જૂન 2025

Loading

‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 June 2025

ચંદુ મહેરિયા

વિશ્વનાથન્‌ આનંદથી ડી. ગુકેશ સુધીની ચેસમાં વલ્ડ ચેમ્પિયનોની બિનસાંપ્રદાયિક ભારતમાં ઉજળી પરંપરા છે. હજુ હમણાં જ તેર વરસની મુસ્લિમ કિશોરી ફાતિમા તુજ જહેરાએ મુસ્લિમ બહુલ જમ્મુ-કશ્મીરમાં રાજ્યકક્ષાની ચેસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો છે. આ જ દિવસોમાં અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે ચેસ કે ‘શેતરંજ”(હિંદી શબ્દ ‘શતરંજ’)ની રમતને ઈસ્લામવિરોધી ગણાવીને તેના પર પ્રતિબંધ લાદ્યો છે!

૨૦૨૧થી અફઘાનિસ્તાનમાં સત્તાનશીન તાલિબાનોનો ઈસ્લામી કાયદા પ્રત્યેનો કઠોર દૃષ્ટિકોણ જાણીતો છે. તેમણે મહિલાઓને તો કોઈપણ રમતોમાં ભાગ લેવાની બંધી ફરમાવી જ છે, હવે શેતરંજ પર પ્રતિબંધ મૂક્યો છે અને અફઘાનિસ્તાનના શેતરંજ મહાસંઘને વિખેરી નાંખ્યો છે. ધાર્મિક ફરજ કે કર્તવ્યથી ધ્યાન ભટકાવે તે પ્રવૃત્તિ પ્રતિબંધિત હોવી જોઈએ, એવી શરિયા કાનૂનની જોગવાઈનો હવાલો આપીને અફઘાન સરકારે શેતરંજની રમત પર રોક લગાવી છે. જો કે વિશ્વના માનવ અધિકાર સંગઠનો અને રમત સંસ્થાઓને જરા સારુ લગાડવા એવી સ્પષ્ટતા કરી છે ખરી કે શેતરંજની રમત ઈસ્લામી કાયદાને અનુકૂળ છે કે કેમ તેની સ્પષ્ટતા અને ચકાસણી થાય ત્યાં સુધી તે પ્રતિબંધિત રહેશે. પરંતુ અગાઉ માર્શલ આર્ટ કે મહિલાઓને સ્પોર્ટ્સમાં ભાગ લેવા પર ફરમાવેલા પ્રતિબંધ જેવો આ પણ કાયમી પ્રતિબંધ જ છે. તાલિબાનોની દલીલ છે કે શેતરંજ એક પ્રકારનો જુગાર છે કે જુગારનો સ્રોત છે. શેતરંજ રમતાં લોકો તેમાં એટલા રમમાણ થઈ જાય છે કે તેમને જવાબદારીઓનું કોઈ ભાન રહેતું નથી. તે એટલે સુધી કે નમાજ પઢવાની ધાર્મિક ફરજ અદા કરવાનું પણ ચૂકી જાય છે. એટલે આ રમત નુકસાનકારક અને પ્રતિબંધને લાયક છે.

એક ચેસ બોર્ડ, બે ખેલાડી અને બત્રીસ પ્યાદાં(પ્રત્યેકના સોળ-સોળ)ની  શેતરંજની રમત બુદ્ધિજીવીઓની રમત કહેવાય છે. રમતવીરની બુદ્ધિ, ધૈર્ય અને પૂર્વાનુમાનની કસોટી કરતી આ રમતના એક ખેલાડીના ભાગે આવતા સોળ પ્યાદાં(સોળ સફેદ અને સોળ કાળા)માં એક રાજા, એક રાણી, બે હાથી, બે ઊંટ, બે ઘોડા અને આઠ સિપાહી હોય છે. સફેદ પ્યાંદાથી રમતનો આરંભ થાય છે . શહ અને માતની શતરંજની ચાલમાં રાજા કે બાદશાહને જીતવાનો અને બંદી બનાવવાનો હોય  છે. એટલે આ રમત રણનીતિક રમત છે અને તેમાં યુદ્ધના મેદાનનું અલ્પ અનુકરણ છે. ચેસની રમતને હ્યુમન સાઈકોલોજી, મેથ્સ અને કમ્પ્યૂટર સાયન્સ સાથે સંબંધ છે. બૌદ્ધિક મનોરંજન માટેનો આ ખેલ માનસિક વ્યાયામ માટેનું યુવા દિલોનું લોકપ્રિય સાધન છે. આલોચનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરનાર અને દિમાગને તેજ કરનાર આ રમત ગણાય છે. 

શેતરંજની રમતનું ઉદ્દભવસ્થાન ભારત હોવાનું મનાય છે. ભારતની ચતુરંગ નામક રમતમાં તેનાં મૂળ રહેલાં છે. પંદરમી સદીમાં યુરોપમાં આધુનિક શેતરંજનું સ્વરૂપ વિકસિત થયું છે. હેરોલ્ડ જેમ્સ રુથવેન મુરે લિખિત અને ઈ.સ. ૧૯૧૩માં ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કરેલ ‘હિસ્ટ્રી ઓફ ચેસ’ કિતાબમાં શેતરંજનો વ્યાપક અને અધિકૃત ઈતિહાસ આલેખાયો છે. આ પુસ્તકમાં તેના પરના પ્રતિબંધની પણ ઘણી માહિતી છે. 

ધર્મ, રંગ, લિંગ, દેશ જેવા ઘણાં કારણોથી શેતરંજની રમત પ્રતિબંધિત થઈ હોવાનો દીર્ઘ ઇતિહાસ છે. ઈસ્લામ અને ક્રિશ્ચિયન ધર્મે જ નહીં બૌદ્ધ અને યહૂદી ધર્મે પણ તેના પર રોક લગાવી છે. શેતરંજના પ્યાદાંની નકકાશીદાર આકૃતિ તસવીર જેવી છે અને ઈસ્લામમાં તસ્વીર વર્જ્ય છે એટલે ઈસ. ૬૫૫માં ઈસ્લામના એક ફાંટામાં તેને અસ્વીકૃત કરવામાં આવી હતી. બૌદ્ધોએ તેને વ્યભિચારના રૂપમાં જોઈને બંધી ફરમાવી હતી. ફ્રાન્સના રાજા લુઈ નવમાએ ઈ.સ. ૧૨૫૪માં ધર્મયુદ્ધથી પરત આવી દંડના દર્દરૂપે શેતરંજ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમને આ રમત બેકાર અને ઉબાઉ લાગી હતી. ચીન અને રશિયા પણ અગાઉ તેના પર બંધી ફરમાવી  ચૂક્યા છે. અશ્વેતોને આ રમત રમવા પર રોક લાગેલી હતી. તો રંગભેદ આચરતા દક્ષિણ આફ્રિકા સામે વિરોધ રૂપે રંગભેદ વિરોધી દેશોએ તેની સાથે ચેસ રમવાનો ઈન્કાર કરેલો છે. હિજાબ પહેરવાના અને લો કટ બ્લાઉઝના કારણે મહિલા ચેસ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિશ્વ શેતરંજ સંગઠન(FIDE- FEDRATION OF INTERNATIONAL DES ECHECS)નું બાકી લેણું નહીં ચુકવવાની સજા તરીકે યુગાન્ડા, ઈથિયોપિયા અને નાઈજીરિયા પર શેતરંજ રમવા પર રોક લગાવી હતી.

આંતરરાષ્ટ્રીય શેતરંજ મહાસંઘે ટ્રાન્સજેન્ડરોને શેતરંજની રમતની બહાર રાખ્યા છે. આ વળી કંઈ જુદા જ પ્રકારનો પ્રતિબંધ છે. ચેસ રમત સંગઠનનું કહેવું છે કે લિંગ પરિવર્તનની રમતવીરની સ્થિતિ પર મહત્ત્વની અસર પડે છે એટલે ટ્રાન્સ જેન્ડરને ઓપનમાં પ્રવેશની છૂટ છે પરંતુ માત્ર મહિલાઓ કે પુરુષો માટે પ્રતિબંધ છે. 

શેતરંજની રમત પર ધાર્મિક કે બીજાં કારણોસરનો પ્રતિબંધ ઘણી અસરો જન્માવે છે. તાલિબાનોના પ્રતિબંધથી અફઘાનિસ્તાનના ઘણા ચેસ પ્લેયર્સ દેશ છોડી ગયા છે. અફઘાનિસ્તાનમાં પાંચસો જેટલા શેતરંજ ખેલાડીઓના ઉજ્જવળ અને બહેતર જીવનનો માર્ગ બંધ થઈ ગયો છે. પ્રતિગામી અને સંકીર્ણતાથી લેવાયેલા ચેસ બંધીના પગલાં પછી અફઘાનિસ્તાનના ઘણાં કાફે બંધ થઈ ગયાં છે અને સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આ રોકને લીધે માનસિક આરોગ્ય અને વ્યવસાય બંને પર ખરાબ અસર પડી છે. જ્યારે ઘણા ઈસ્લામિક દેશોમાં ચેસ સ્વીકાર્ય છે અને સેક્યુલર દેશોમાં મુસ્લિમો બેરોકટોક શેતરંજ રમે છે ત્યારે ધર્મના નામે આ બંધી માનવીની સરળ સ્વતંત્રતા છીનવી લે છે. 

અફાઘાનિસ્તાને માર્શલ આર્ટને સ્વરક્ષણની રમતને બદલે બહુ જ હિંસક ગણી અગાઉ પ્રતિબંધિત કરી છે. હવે ચેસને બંધી ફરમાવી છે. મનોરંજન અને રમતના કેટલાક અન્ય રૂપો પર અફઘાનિસ્તાનમાં અગાઉથી જ પ્રતિબંધ લાગુ છે. તેમાં ચેસનો ઉમેરો થયો છે. સમયની બરબાદી કે જુગારને ઉત્તેજનની નજરે જોવાને બદલે જો તેને સકારાત્મક દૃષ્ટિથી જોવામાં આવે તો શેતરંજ ઘણી કામની રમત લાગે છે. તેમાં સ્પર્ધક વચ્ચે દુ:શ્મની કે નફરત ઊભી થાય છે તેવો તર્ક પણ વાહિયાત છે. ઓનલાઈન કે ડિજિટલ ચેસમાં પણ ભયસ્થાનો રહેલાં છે. તેમ માની તેનાથી દૂર રહેવાનું વલણ ખોટુ છે. શેતરંજનો ખેલ માત્ર સપાટી પર મનોરંજક લાગે છે અને વાસ્તવમાં તો તે એક પ્રકારનો જુગાર છે તેમ ગણી તેના પરના પ્રતિબંધનો બચાવ કરવો વાજબી નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

જેઇન ઑસ્ટિન અમર રહો !

રૂપાલી બર્ક|Opinion - Literature|18 June 2025

રૂપાલી બર્ક

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનિલાલ ભાષાણી સ્વાધ્યાયપીઠ’ના અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમનું સંચાલન કરવાની તક માટે ખૂબ આનંદ અનુભવું છું. બ્રિટિશ ભૂમિ પર સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ગુજરાતી ભાષા-સાહિત્યનું સંવર્ધન કરીને માતૃભાષાનું ગૌરવ કરે છે, એ રીતે બ્રિટિશ મહિલા નવલકથાકાર જેઇન ઑસ્ટિનની ૨૫૦મી જયંતી ઉજવીને અંગ્રેજી ભાષાનું ગૌરવ કરે છે. ૨૦૧૨માં સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા ચીની સાહિત્યકાર મો યૅન મુજબ લેખકની રાષ્ટ્રિયતા હોય છે, સાહિત્યને ભૌગોલિક સીમાઓ નડતી નથી. આથી આજનો કાર્યક્રમ ખૂબ આવકાર્ય અને બીરદાવવા યોગ્ય, અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમ યોજીને એક મિસાલ ઊભી કરવામાં આવી છે અને આવા ક્રૉસ-કલચરલ કાર્યક્રમો  વધુ યોજાય એવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે. 

અંગત ધોરણે હું ખૂબ આનંદિત છું કારણ કે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક-અનુસ્નાતક થઈ છું અને બ્રિટિશ પોઅટ્રીમાં એમ. ફિલ. અને પીએચ.ડી. કરેલું છે. દોઢ દસકો અંગ્રેજી સાહિત્યના ગાઢ સાનિધ્યમાં મેં ગાળ્યા છે. પરંતુ બાદમાં અન્ય સાહિત્યોનાં વાચન, અભ્યાસ અને અનુવાદ તરફ વળી જવાનું બન્યું. આ નિમિત્તે લગભગ ચાર દાયકા બાદ બ્રિટિશ સાહિત્યના વિશ્વમાં ફરીથી પ્રવાસ કરવાનો થયો એથી પુલકિત છું. 

૮૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે હું બી.એ. ઇંગ્લિશ ભણતી હતી, ત્યારે તમામ પેપર બ્રિટિશ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો અને બ્રિટિશ વિવેચન આધારિત હતાં. અમે નખશિખ બ્રિટિશ સાહિત્યિક જગતમાં ઓતપ્રોત રહેતા. તે ગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ અમેરિકન, ઇન્ડિયન રાઈટિંગ ઈન ઇંગ્લિશ, ટેકસ્ટ્સ ઈન ટ્રાન્સલેશન, કોમનવેલ્થ-આફ્રિકન-કેનેડિયન કે પછી દલિત, વગેરે હાંસિયાકૃત સાહિત્ય અભ્યાસક્રમમાં હોતું નહીં. એમ.એ.માં આમાં ફેરફાર થતો અને સાહિત્યનું ફલક સહેજ વિસ્તરતું. તરુણાવસ્થામાં સ્વાભાવિકપણે  બ્રોન્ટે બહેનો, જેઇન ઑસ્ટિન, ટોમસ હાર્ડીની નાયક-નાયિકા કેન્દ્રિત નવલકથાઓ વાંચવી ખૂબ ગમતી.

બાદમાં નારીવાદના અભ્યાસ દરમ્યાન ખ્યાલ આવતો ગયો કે એ સદીઓમાં લેખિકા હોવું એ કેટલી મોટી સિદ્ધિ હતી. કેટલો સંઘર્ષ, કેટલી અવહેલનાનો સામનો કરવો પડતો. ૨૦૨૪માં રેમી ટારગૉફ લિખિત પુસ્તક ‘શેક્સપિયર્ઝ સિસ્ટર્ઝ’ પ્રકાશિત થયું છે. વર્જિનિયા વુલ્ફે પોતાના પુસ્તક ‘અ રૂમ ઑવ વન્ઝ ઓઉન’માં વિલિયમ શેક્સપિયરની કાલ્પનિક બહેન ‘જ્યુડિથ’ વિશે લખાયું છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો શેક્સપિયર જેટલી જ પ્રતિભા ધરાવતી એમની બહેન લેખિકા બનવા ચાહતી તો શું થાત? અને અનુમાન કરે છે કે એને ડાકણ ગણવામાં આવી હોત, પાગલ કહેવામાં આવી હોત અને એટલી હદે સતામણી કરવામા આવી હોત કે એણે આત્મહત્યા કરી લીધી હોત. રેમી કહે છે કે વુલ્ફે ૧૯૨૦માં આમ લખ્યું કારણ કે ત્યાં સુધી એમ જ માનવામાં આતું હતું કે તે કાળમાં કોઈ લેખિકાઓ હતી જ નહીં અને વુલ્ફે રેર બુક્સ લાઈબ્રરીમાં જઈને જૂની હસ્તપ્રતો જોઈ નહોતી. રેમીએ સંશોધન કરી ને ચાર લેખિકાઓ વિશે દુનિયાને ઉજાગર કરી. એમના મુજબ રાણી એલીઝાબેથ પહેલા પોતે વિદ્વાન હતાં, ઘણી ભાષાઓ જાણતાં હતાં, અનુવાદક અને લેખિકા હતાં પરંતુ ૧૬મી સદીના ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓ માટે અભ્યાસની સુવિધાઓ નહોતી. ખૂબ ઓછી છોકરીઓને પ્રાથમિક શિક્ષણની તક હતી. છોકરીઓ માટે માધ્યમિક શાળાઓ કે કૉલૅજોની તો વાત જ નહીં. રેમી લખે છે કે જે છોકરીઓ વધુ અભ્યાસ કરતી તે પરિવારની દરકારને લીધે, ઘરે રહીને માતાપિતા કે ટ્યુટરને કારણે કરી શક્તી. કોઈ પણ પ્રકારના સામાજિક-સાંસ્કૃતિક હક કે લાભથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવતી. પ્રકાશન અને પ્રસિદ્ધિના લાભાર્થીઓ માત્ર પુરુષો હતા. પરંતુ રેમી નોંધે છે તેમ સ્ત્રીઓની કલ્પના અને એમની કલમ કોઈ છીનવી શકતું નહીં. આ સ્ત્રીઓએ એમના લખાણમાં એમને ગૂંચવતા પ્રશ્નો પુછ્યા જેવા કે કેમ પુરુષ ડાઈવોર્સ માગી શકે અને સ્ત્રી નહીં? કેમ પુરુષ યુનિવર્સિટીમાં ભણી શકે અને સ્ત્રીએ ઘરે રહીને બાળકો ઉછેરવાના? પરંતુ આ બાબતો હસ્તપ્રતોમાં જ કેદ રહી. સૅન્ડ્રા ગિલબર્ટ અને સુસન ગુબારે ૧૯૭૯માં એક પુસ્તક લખ્યું જેનું શિર્ષક હતું The Mad Woman in the Attic: The Woman Writer and the Nineteenth-Century Literary Imagination. આ પુસ્તકમાં એમનો ચર્ચાનો વિષય છે કે કેવી રીતે પુરુષ પ્રધાન સાહિત્યિક જગતમાં લેખિકાઓને સામાજિક ધોરણે ગેરલાયક ઠેરવીને એમની પર અંકુશ રાખવામાં આવતો. જેઇન ઑસ્ટિનની નવલકથાઓ રોમેન્ટીક ઍજમાં (બ્રિટિશ સાહિત્યના ઇતિહાસના વર્ગીકરણ મુજબ) અજ્ઞાત તરીકે પ્રકાશન પામતી. ત્યારબાદના વિક્ટૉરિયન ઍજમાં પણ લેખિકાઓની કૃતિઓ પ્રકાશકો છાપવા તૈયાર ન થતાં. બ્રોન્ટે બહેનો, શાર્લટ, ઍમીલી અને ઍન અનુક્રમે ક્યુરર, ઍલિસ અને ઍક્ટન બૅલના ઉપનામથી પોતાની હસ્તપ્રતો પ્રકાશકોને મોકલતાં. મૅરી ઍન ઍવન્ઝે (૧૮૧૯-૧૮૮૦) પોતાનું સમગ્ર લેખન જ્યોર્જ ઍલિયટના ઉપનામથી કર્યું. જેઇન ઑસ્ટિન લખતાં એ રોમૅન્ટિક ઍજ પૂર્વેની ઑગસ્ટન અથવા ઍનલાઈટનમૅન્ટ ઍજમાં બ્રિટિશ નવલકથાનો જન્મ થયો. તે ગાળામાં પણ અજ્ઞાત તરીકે ઘણી સ્ત્રીઓ સારું લખતી પરંતુ એમની ક્યાં ય નોંધ લેવાતી નહીં. અંગ્રેજીમાં સાહિત્યમાં મુખ્ય લેખકો અને એમની કૃતિઓ માટે અનુક્રમે સંજ્ઞા canon અને વિશેષણ canonical વાપરવામાં આવે છે. તે સદીની canonમાં આફ્રા બૅન અને ઍલાઈઝા હેવૂડ, વગેરેની વ્યવસ્થિત રીતે બાદબાકી કરવામાં આવતી. 

ત્યારબાદ મોડર્ન ઍજ દરમ્યાન (૧૮૯૧થી) પરિસ્થિતિમાં થોડો ઘણો સુધાર થવા લાગ્યો. ૧૯૧૧માં કૅથરીન મૅન્ઝફીલ્ડની ટૂંકી વાર્તાનો સંગ્રહ In a German Pension બહાર પડ્યો. વર્જીનિયા વુલ્ફનું દીવાદાંડી સમાન પુસ્તક A Room of One’s Own ૧૯૨૯માં બહાર પડ્યું અને સ્ત્રીલેખનમાં ક્રાંતિ સર્જાઈ. આમ છતાં, વર્જિનિયા વુલ્ફ જણાવે છે તેમ એમના સમયમાં સ્ત્રીઓને લખવાની મનાઈ નહોતી, પરંતુ લેખન કરવા સ્ત્રીએ ‘angel in the house’ની હત્યા કરી રાતના પોતાના આરામના સમયમાં લખવું પડતું. વુલ્ફે કહ્યું છે કે જેટલી કૃતિઓ અજ્ઞાતના નામે વંચાતી તે બધી સ્ત્રીઓ દ્વારા લખાયેલી હતી. આમ, અસંખ્ય અજ્ઞાત લેખિકાઓનાં બલિદાન અને તપથી કંડારેલી કેડી લેખિકાઓ નિશ્ચિંતપણે આગેકૂચ કરવા લાગી.

જેઇન ઑસ્ટિન

જેઇન ઑસ્ટિનની નવલકથાઓ પણ ‘By a lady’ નામે પ્રકાશિત થયેલી કારણ કે એમના સમયમાં સ્ત્રી માટે નવલકથા લખવી એ યોગ્ય પ્રવૃતિ ગણાતી નહીં અને સામાજિક નિંદાનું કારણ બનતું. એ તો ઠીક એમનાં ચરિત્ર પર શંકા કરવામાં આવતી અને એમને સંસ્કારવિહિન ગણવામાં આવતી. પિતૃસત્તાનો આવો સિતમ એ જમાનામાં સ્ત્રીઓ વેઠતી એ વિચાર માત્ર કમકમાટી ઉપજાવે છે. 

જીવતા જીવ નહીં પરંતુ છેક ઑસ્ટિનના મૃત્યુ બાદ એમની નવલકથાઓનો શ્રેય એમને મળ્યો. એમના ભાઈ હેનરી ઑસ્ટિને એમની છેલ્લી બે નવલકથાઓ Northanger Abbey અને Persuasion ૩ ડિસેમ્બર, ૧૮૧૭માં પોતાની બહેનના વિગતવાર પરિચય ‘Biographical Notice of the Author’ સાથે પ્રકાશિત કરી. આ પરિચય વાંચવો એક લાહવો છે. 1833માં રિચર્ડ બેન્ટલીએ જેઇન ઑસ્ટિનની નવલકથા ‘Sense and Sensibility’ પ્રકાશિત કરી એમાં હેનરી લિખિત ‘Memoir of Jane Austen’નો સમાવેશ કરવામાં આવેલો. જેઇન ઑસ્ટિનના જીવન-કવનની માહિતી માત્ર આ બે દુર્લભ સ્રોતમાંથી મળે છે, એ આપણું સૌભાગ્ય છે.  Tributeની શરૂઆત કરતા હેનરી લખે છે, “The following pages are the production of a pen which has already contributed in no small degree to the entertainment of the public. And when the public, which has not been insensible to the merits of Sense and Sensibility, Pride and Prejudice, Mansfield Park, and Emma, shall be informed that the hand which guided that pen is now mouldering in the grave, perhaps a brief account of Jane Austen will be read with a kindlier sentiment than simple curiosity.” હેનરી નોંધે છે કે ૧૮૦૯માં એમના પિતાના મૃત્યુ બાદ જેઇન એમનાં માતા અને બહેન સાથે ચૉટન રહેવા ગયાં. “From this place she sent her novels into the world.” અજ્ઞાત રહી સર્જન કર્યાનું આથી ઉતકૃષ્ટ દાખલો ક્યાં મળે? તે વખતના વિખ્યાત નવલકથાકાર સર વૉલ્ટર સ્કૉટે માર્ચ ૧૮૧૬માં જેઇન ઑસ્ટિનની Emmaનો રિવ્યુ ‘Quarterly Review’માં કરેલો : He hailed this ‘nameless author’ as a masterful exponent of the ‘modern novel’ in the realist tradition. એમને સર્જકનું નામ જાણવાની જિજ્ઞાસા નહીં થઈ હોય? તે વખતના પ્રિન્સ રિજન્ટ, બાદમાં કિંગ જ્યોર્જ IVએ ખાનગી રાહે રાજવી આદેશ મોકલી Emma એમને અર્પણ કરવાનું કહેલું. પ્રશ્ન એ થાય કે આદેશ કોને મોકલ્યો હશે? આદેશનું  પાલન કરવામાં આવ્યું. To His Royal Highness / The Prince Regent, / This work is, / By His Royal Highness’s Permission, / Most respectfully / Dedicated, /By His Royal Highness’s / Dutiful / And Obedient / Humble Servant, /The Author. 

હેનરી એમની બહેનની તેજસ્વીતાનું વર્ણન કરતાં લખે છે, “In the present age it is hazardous to mention accomplishments; our authoress would probably have been inferior to few in such acquirements, had she not been so superior to most, in higher things … She became an authoress entirely from taste and inclination. Neither the hope of fame nor profit mixed with her early motives.” એ સમયમાં ઉપર દર્શાવેલા કારણોને લીધે અતિ પ્રતિભાશાળી અને વિદ્વાન હોવા છતાં જેઇન ઑસ્ટિન પ્રસિદ્ધિ કે નફો એ ચાહતા તો ય પ્રાપ્ત થઈ શકે એમ નહોતા. પરંતુ એમની ક્ષમતા પર ગ્રહણ ન લાગી શક્યું અને એટલે જ ૨૫૦મી જયંતી આટલા રંગેચંગે સમગ્ર બ્રિટનમાં ઉજવાઈ રહી છે. 

ડેવિડ ગિલસન ‘Henry Austen’s Memoir of Jane Austen’ પર એમની ટિપ્પણીમાં નોંધે છે કે ‘જેઇન ઑસ્ટિનના ઘણા સમકાલિન નવલકથાકારો એમનાથી પ્રભાવિત થયેલા અને એમાં પુરુષો નવલકથાકારો પણ હતા. પરંતુ જેઇન ઑસ્ટિન “the undisputed mistress” હતાં એવા તારણ પર ગિલસન આવે છે. જેઇન ઑસ્ટિનના ંસર્જનને સમજવા માટે પ્રસ્તુત સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસની ભૂમિકા ખૂબ ઉપયોગી છે. જેઇન ઑસ્ટિન માટે “The novel was a weapon to reform humanity.” એમની નવલકથાઓના અમુક લક્ષણ અગાઉના નવલકથાના પ્રણેતા યુગમાંથી લીધેલા હતા જેવાં કે સંવેદનશીલતા, નૈતિકતા, શિષ્ટાચારનું આલેખન. આ ઉપરાંત એમના સમયમાં પ્રચલિત રોમૅન્ટિક મૅલોડ્રામાનું તત્ત્વ હતું, જેનાથી દૂર જઈને એમણે તાજગીભરી ઘરેલું વાસ્તવિક્તાનું આલેખન કર્યું, જેનાં કારણે એમની નવલકથાઓ લોકપ્રિયતા પામી હતી. જેઇન ઑસ્ટિન બળકટ સાહિત્યિક વ્યંગ, પાત્રો અને સમાજનું રમૂજી આલેખન કરી વાચકોને મનોરંજન પૂરું પાડતાં. ઑસ્કર વાઈલ્ડે The Picture of Dorian Gray (1891)માં કહ્યું છે, “If you want to tell people the truth, make them laugh, otherwise they’ll kill you.” જેઇન ઑસ્ટિનની નવલકથાઓ નાયિકાપ્રધાન છે અને એમની આગળ થઈ ગયેલા નવલકથાકારો હેનરી ફીલડીંગ અને ફ્રૅન્સીસ બર્નીમાંથી અપનાવેલી free indirect speechની લેખન શૈલી જેમાં લેખક અને પાત્રોના વિચારો, મંતવ્યોનો તાણોવાણો વણાતો જાય એમ નવલકથાનું પોત તૈયાર થાય. એમના બાળપણમાં સ્ટીવનટન હાઉસમાં ભજવેલા હાઉઝ પ્લેઝની ઊંડી અસર એમની નવલકથાઓમાં પમાય છે. પાત્રો અને ઘટનાઓ નાટકમાં હોય એવા જીવંત. સંવાદોની વિપુલ માત્રા પણ એટલે જ જણાય છે. Mansfield Parkમાં એક સંવાદ આ બાબતની શાહેદી પૂરે છે : “A love of the theatre is so general, an itch for acting so strong among young people.” જેઇન ઑસ્ટિન ખૂબ સારું નૃત્ય પણ કરતાં. એમની ૬ નવલકથાઓ પર ફિલ્મો બનેલી છે. નામાંકિત દિગ્દશર્ક ઍંગ લીએ બનાવેલી Sense and Sensibility જેઇન ઑસ્ટિનનો વિકટ જમાનો તાદૃશ્ય રજૂ કરે છે. 

નિજાનંદ માટે અને પરિવારજનો અને મિત્રો સુધી સિમિત જેઇન ઑસ્ટિને ૩ નોટબૂકમાં લખેલા ૧૩ કાવ્યો, ૩ નાટકો : The Visit, The Mystery અને The First Act of a Comedy છે. આ ઉપરાંત, એમની કલમથી શૅક્સપિયરનાં નાટકોનો આધાર લઈ લખેલી A History of England મળે છે જેમાં પોતાના નામની જગ્યાએ એ By a partial, prejudiced and ignorant Historian લખેલું છે. એમની સાતમી નવલકથા Sanditon અધૂરી મૂકીને ૧૮ જુલાઈ, ૧૮૧૭માં ૪૧ વર્ષની ઉંમરે જેઇન ઑસ્ટિન મૃત્યુ પામ્યાં. એમના ભાઈ શ્રદ્ધાંજલિ લેખમાં લખે છે, “She wrote whilst she could hold a pen, and with a pencil when a pen became too laborious. The day preceding her death she composed some stanzas replete with fancy and vigour. 

આવાં મહાન, આમર્ણાંત લેખિકાની સ્મૃતિને શત શત વંદન સાથે વિરમું. Long live the memory of Jane Austen!

07 જૂન 2025

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ને ઉપક્રમે, અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી અવસર નિમિત્ત, શનિવાર, 07 જૂન 2025ના રોજ, સભાસંચાલન કરતાં કરતાં, આપેલું વર્ચ્યુઅલ પ્રવચન]

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...107108109110...120130140...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved