Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

નેહા શાહ|Opinion - Opinion|17 October 2025

નેહા શાહ

બાબા સાહેબ આંબેડકરના મત અનુસાર સ્ત્રીઓ અને દલિતો બંનેમાં એક સામ્ય છે. બંને સમાજમાં રહેલા માળખાકીય ભેદભાવનો સામનો કરે છે. જાતિપ્રથા અને પિતૃસત્તા – આ બંને વ્યવસ્થાઓ એક બીજાની પૂરક છે અને સદીઓથી દલિતો અને સ્ત્રીઓને સમાન દરજ્જો, માન-મર્યાદા અને અધિકારોથી વંચિત રાખવામાં એનો ફાળો છે. એટલે બંધારણ ગમે તેટલું સારું લખાય, એમાં દરેક નાગરિકના સમાન અધિકારની કાળજી રખાય, પણ જ્યાં સુધી સામાજિક સુધારો નહિ થાય ત્યાં સુધી દરેક વ્યક્તિને સાચા અર્થમાં સ્વતંત્રતા નહિ મળે. બાબા સાહેબની આ વાત આઝાદીના આઠ દાયકા પૂરા થવા પર છે, ત્યારે પણ કેટલી સાચી જણાય છે! ગયા અઠવાડિયે બનેલી બે તદ્દન અલગ અલગ ઘટનાને આ વાસ્તવિકતા એક તાંતણે બાંધે છે  એક, ચીફ જસ્ટીસ ગવાઈ પર જૂતું ફેંકાયુ અને બે, તાલીબાની વિદેશ મંત્રી મુત્તાકીએ ભારત ખાતેના તેમના દૂતાવાસમાં કરેલી પત્રકાર સભામાં મહિલા પત્રકારોને પ્રવેશ ન આપાયો. બંને ઘટનામાં દેખાય છે કે સામાજિક અધિક્રમ અને એમાંથી ઉદ્દભવતા ભેદભાવ કેટલા સામાન્ય અને સ્વીકૃત છે. 

જસ્ટીસ ગવાઈ આ હોદ્દા સુધી પહોંચેલા બીજા દલિત ચીફ જસ્ટીસ છે. મધ્ય પ્રદેશમાં ભગવાન વિષ્ણુની ક્ષતિગ્રસ્ત મૂર્તિના કેસમાં ચીફ જસ્ટીસે કરેલી ટિપ્પણીથી એક વર્ગ નારાજ છે. કોઈની લાગણી દુભાય એવી ટિપ્પણી તેઓ ટાળી શક્યા હોત, અને અંગે જાહેર ચર્ચા થવી જોઈએ. પણ ઈકોતેર વર્ષના વકીલ રાકેશ કિશોરે તો ચર્ચાનો રસ્તો અપનાવ્યા વિના  મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો ! ત્યારબાદ એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે આ એક ગણતરીપૂર્વકનો હુમલો હતો અને તેમને પોતાના કર્યા પર કોઈ પસ્તાવો નથી, પણ ગર્વ છે! આ ઘટનાએ ચીફ જસ્ટિસની સામે સોશ્યલ મીડિયા પર દુ:વ્યવહારનુ શરમજનક વંટોળ પણ ઊભું થયું. વ્યાપકપણે શેર થયેલા એ.આઈ. – જનરેટેડ એક વીડિયોમાં ચીફ જસ્ટીસ ગવઈની અપમાનજનક છબી જોવા મળી. ઘણાં પ્રચલિત મીડિયાએ પણ હળવા સ્વરે રાકેશ કિશોરની ટીકા કરી, બમણા જોરે જસ્ટીસ ગવાઈના ચુકાદાઓની ટીકા કરી રાકેશ કિશોરનો લગભગ બચાવ કર્યો, તો પછી એમાં રહેલા જ્ઞાતિવાદી વલણની ચર્ચા તો વૈકલ્પિક યુ-ટ્યુબ મીડિયાના ભાગે જ આવી.  રાકેશ કિશોર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી હજુ સુધી થઇ નથી. 

આ આખી ઘટનામાં ઘણા ‘જો’ અને ‘તો’ જોડીએ તો એક ચિત્ર ઊભું થાય છે જે આપણા સમાજની વાસ્તવિકતા રજૂ કરે છે. જો જસ્ટીસ ગવાઈ દલિત ન હોત તો તેમણે કરેલી ટિપ્પણી અંગે ગમે તેટલી નારાજગી હોવા છતાં કોઈ સવર્ણ વકીલે આવું કૃત્યુ કર્યું હોત? જો જસ્ટીસ સવર્ણ  હોત અને જૂતું ફેંકનાર દલિત કે મુસલમાન હોત તો એમને ક્ષમા બક્ષવામાં આવી હોત? તો મીડિયાએ એમને લગભગ વધાવતા ઈન્ટરવ્યુ કર્યા હોત? આમ તો ચીફ જસ્ટીસના પદે બેઠેલી વ્યક્તિનું અપમાન એટલે સમગ્ર ન્યાયતંત્રનું અપમાન કહેવાય. પણ, સમગ્ર ઘટનાની ચર્ચા માત્ર વ્યક્તિગત હુમલા અને અપમાન પૂરતી સીમિત થઇ ગઈ. 

બીજી ઘટના તાલીબાની વિદેશ મંત્રીની પત્રકાર સભાની છે. આફ્ઘાનીસ્તાનના વિદેશ મંત્રી માવલાવી આમીર મુત્તકી અઠવાડિયા માટે ભારત આવ્યા છે. ભારતે સત્તાવાર રીતે તાલીબાનની સત્તાને સ્વીકારી નથી, એટલે સૌથી પહેલા તો એ પ્રશ્ન કરવો રહ્યો કે તાલીબાની મંત્રી ભારતમાં શું કરે છે? એમને પત્રકાર પરિષદ ભરવાની અનુમતિ કઈ રીતે અપાઈ? અને તે પણ મહિલા પત્રકારોને પ્રવેશ ના આપવામાં આવ્યો, એવી તાલીબાની વ્યવસ્થા ભારતની ધરતી પર કઈ રીતે ગોઠવાઈ? આ ઘટના અંગે થયેલા ઊહાપોહ પછી આફઘાન દૂતાવાસે વ્યવસ્થાપનમાં રહેલી ચૂક પર વાંકનો ટોપલો ઢોળ્યો ! ભારત સરકારે એમ કહીને હાથ ઉપર કરી લીધા કે આફઘાન દૂતાવાસ ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો ! ત્યાં પહોંચેલા પુરુષ પત્રકારોએ પરિષદમાં ભાગ લીધો! તેઓ બહિષ્કાર કરી શક્યા હોત ! એ તો સારું છે કે દેશમાં જાગરૂક નાગરિકો છે – પત્રકારો, સ્વતંત્ર નાગરિકો અને વિરોધ પક્ષના નેતાઓએ આ ઘટનાનો વ્યાપક વિરોધ કર્યો. બીજા દિવસે પુરુષ પત્રકારોએ પણ પોતાનો વિરોધ નોંધાવી પરિષદમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો ત્યારે મહિલા પત્રકારોને પ્રવેશ મળ્યો, તેઓ પ્રથમ હરોળમાં બેઠી અને પરિષદ થઇ. એ પણ નોંધવું રહ્યું કે સત્તાપક્ષના કોઈ નેતા, કે સમર્થક તરફથી તાલીબાની પત્રકાર પરિષદ અંગે કોઈ ટિપ્પણી આવ્યાનું સાંભળ્યું નથી.  મુદ્દો એ છે કે અતિથિની આગતાસ્વાગતામાં આપણા નિર્ણયકર્તાઓને પણ પ્રથમ દૃષ્ટિએ એમાં વાંધો ઉઠાવવા જેવું કશું લાગ્યું નહિ ! આપણો દેશ, આપણી ધરતી, અને આપણા બંધારણના ન્યાયક્ષેત્રમાં આવો ભેદભાવ યુક્ત પ્રસંગ સત્તાવાર રીતે બન્યો! 

આવી ઘટનાઓમાં ઊંડે રહેલી માન્યતા અને વિચારસરણી છતી થાય છે. જેમાં ભેદભાવ પચાવી ચુકેલા સમાજની છબી છતી થાય છે, જે મુખ્યત્વે સ્ત્રી વિરોધી તેમ જ જ્ઞાતિવાદી છે. આપણા આચાર અને વિચારમાં આ વલણો એટલા ઊંડે સુધી ખૂંપેલા છે કે એમાં કશું ખોટું થતું દેખાતું પણ નથી. એટલે બંને ઘટનાનાં મૂળમાં રહેલી માણસ – માણસ વચ્ચેનો ભેદભાવ કરતી વિચારસરણીની ચર્ચાને સપાટી પર લાવવા માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|17 October 2025

હેમન્તકુમાર શાહ

સમીર અમીન (૧૯૩૧-૨૦૧૮) નામના એક ઇજિપ્શિયન-ફ્રેન્ચ અર્થશાસ્ત્રીએ એમ કહ્યું છે કે દુનિયાભરમાં પાંચ જૂથો સામાન્ય લોકો પર પોતાનો અડ્ડો જમાવીને બેઠાં છે. એ બધાં સામાન્ય લોકો સામે કાવતરાં કરવામાં ભેગાં જ છે. સામાન્ય લોકોનું આર્થિક, સામાજિક અને રાજકીય શોષણ કરવામાં તેઓ એકબીજાને સહકાર આપે છે અને તેમાંથી મળતા લાભો મેળવે છે.

આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા બ્રિટિશ અર્થશાસ્ત્રી એડમ સ્મિથ (૧૭૨૩-૯૦) દ્વારા એમ લખવામાં આવ્યું હતું કે, “વેપારીઓ જ્યારે ભેગા મળે છે ત્યારે ગ્રાહકો સામે કાવતરાં કરીને છૂટા પડે છે.” આ વાક્ય સમીર અમીન જે પાંચ જૂથોનો ઉલ્લેખ કરે છે તેમને સહિયારી રીતે લાગુ પડે છે.

સમીર અમીન આ પાંચ જૂથો આ મુજબ ગણાવે છે :

(૧) સામાજિક અને રાજકીય નેતાઓ

(૨) સરકારી અમલદારો

(૩) ઉદ્યોગપતિઓ

(૪) લશ્કર

(૫) વ્યવસાયીઓ (એટલે કે પ્રોફેસરો, વકીલો, ડોક્ટરો, મેનેજરો, સ્થપતિઓ, મોટા વેપારીઓ, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સાહિત્યકારો, પત્રકારો, આઈ.ટી. જેવા દરેક ક્ષેત્રના ટેકનિકલ નિષ્ણાતો તેમ જ મોટિવેશનલ સ્પીકરો, વગેરે)

મને આ પાંચમાં એક બીજું જૂથ ઉમેરવાનું મન થાય છે અને તે છે : 

(૬) બધા ધર્મોના ‘ધધૂપપૂ એક હજાર આઠો’ કે જેમાં કહેવાતા સાધુઓ, ભગવંતો, મૌલવીઓ, આયાતોલ્લાહો, પાદરીઓ, પોપ, કથાકારો વગેરેનો સમાવેશ થાય છે. 

આ અર્ધો ડઝન લોકો, કે જેમની વસ્તી દુનિયાની કુલ વસ્તીના દસ ટકાથી વધારે હોતી નથી, દુનિયાના નેવું ટકા લોકો પર અડિંગો જમાવીને બેઠા છે. તેઓ શોષણજનક વ્યવસ્થાઓ ઊભી કરે છે, તેમને પોતાને જ લાભકર્તા એવા કાયદા અને નિયમો બનાવે છે અને બાકીની ૯૦ ટકા વસ્તીનું શોષણ કરે છે. 

લોકોએ ખરી આઝાદી આ અર્ધો ડઝન લોકોથી મેળવવાની છે. આ લોકો પાસે જ અર્થસત્તા, રાજસત્તા અને ધર્મસત્તા છે. ઘણી વાર તો ખ્યાલ પણ ન આવે કે કયા જૂથ પાસે કઈ કઈ સત્તા છે. આ ત્રણેય સત્તાના કોકટેલ સામે મહાત્મા ગાંધીએ બગાવતનો ઝંડો ઉગામ્યો. આવો અહિંસક ઝંડો ઉઠાવનારા માનવજાતના હજારો વર્ષોના ઇતિહાસમાં એ પહેલા હતા. તેમણે દરેક વ્યક્તિના “સ્વરાજ” માટે સર્વોદય, સ્વદેશી અને સત્યાગ્રહના માર્ગો બતાવ્યા છે. 

ઈશ્વર, અલ્લાહ અને ગોડ જેવા ભગવાનો અને તેમના પૃથ્વી પરના જાતે બની બેઠેલા એજન્ટો મનુષ્યને ગુલામ બનાવે છે અને તેને ગુલામ બનાવતી તમામ વ્યવસ્થાઓને ઉછેરે છે, બરાબરની પોષે છે અને ટકાવે છે; એટલે એ ભગવાનોથી આઝાદ થઈએ તો સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામીમાંથી બહાર નીકળવાના અને તમામ પ્રકારની બેફામ સત્તા સામે સત્યાગ્રહ કરવાના રસ્તા મળે, નહીં તો નહિ મળે. 

તા.૧૭-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 October 2025

રવીન્દ્ર પારેખ

તહેવારો આવે એટલે ખાણીપીણીના જલસા પડી જાય છે, તેમાં ય સુરતમાં તો ખાસ ! દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે અને દિવાળીના નાસ્તા, મીઠાઈઓ, શરબતો, મુખવાસ … વગેરેની ધોધમાર ખરીદી શરુ થઈ ગઈ છે. દિવાળી નિમિત્તે પગાર, પેન્શન, બોનસની પણ વહેલી લહાણી થાય છે, એટલે આવક વધતાં ખરીદીની પણ મોકળાશ વધે છે, તેથી કપડાં, ખાણીપીણીની ધૂમ ખરીદી નીકળે છે. દિવાળી ઉજવવાનું નાનેથી માંડીને મોટેરાં સુધીનાં અને અમીરથી લઈને ગરીબ સુધીનાં તમામ લોકોને ગમતું હોય છે. તંદુરસ્ત હોય કે નાદુરસ્ત, સૌ દુ:ખ ભૂલીને ઘારી-ઘૂઘરા, સુંવાળી-થાપડા-ચોળાફળી ઝાપટવામાં પડે છે અને પરેજીને થોડા દિવસ બાજુ પર મૂકી દે છે. એક સમયે આ બધી વસ્તુઓ ઘરમાં બનતી હતી, પણ હવે બધું બહારથી ઘરમાં આવે છે, એટલે કોઈ હવે ઘરમાં મહેનત કરતું નથી. બહારથી ઘરમાં આવતું થયું, એટલે નફો રળી ખાવા ભેળસેળવાળી, હલકી કક્ષાની વસ્તુઓનું વેચાણ દર વર્ષે વધે છે ને ઉત્તરોત્તર વધતું જ રહે છે. આમ પણ દિવાળીમાં તળેલી વસ્તુઓનું જોખમ શરીરને હતું જ, તેમાં ભેળસેળિયું ખાવાનું વધતાં આરોગ્યના પ્રશ્નો વધુ વકરે છે.

ભેળસેળ વધતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું આ વખતે સફાળું બેઠું થયું છે અને બજારમાં વેચાતી મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રીઓનું લેબોરેટરીમાં તપાસ કરાવવાનું પણ શરૂ થયું છે. જરૂર પડી ત્યાં હલકી ગુણવત્તાની સામગ્રીનો નાશ કરવાનું પણ બન્યું છે. એમ કરવાથી નકલી વસ્તુઓ કે નબળી વસ્તુઓનું વેચાણ ઘટવું જોઈએ, પણ તેવું બહુ બનતું નથી. થોડોઘણો સુધારો થયો હોવાનું લાગે, પણ નફાખોર વેપારીઓ દંડ ભરીને કે લાંચ આપીને પણ, ભેળસેળિયું વેચવાનું ભાગ્યે જ છોડે છે. આ દુકાનદારો એટલા રીઢા હોય છે કે તેમને તંત્રોનો કોઈ ભય લાગતો નથી. તેઓ દંડ ભરીને પણ હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેચાણ પૂરી બેશરમીથી ચાલુ રાખે છે. ભલભલા ખૂનીઓ પૈસા દબાવીને છૂટી જતાં હોય, તો વેપારીઓને પણ એવું હોય છે કે દંડ, સજા ને લાંચથી તે અનેકની જિંદગી સાથે રમત રમી શકે છે. લોકોની જિંદગીમાં હોળી સળગાવીને આ સજ્જનો દિવાળી ઉજવતાં હોય છે.

આમ થવામાં વેપારીઓની લોભિયા વૃત્તિ તો જવાબદાર છે જ, પણ કોર્પોરેશનની ઢીલાશ પણ ઓછી જવાબદાર નથી. તંત્રો બરાબર ફરજ બજાવે તો પણ આવા વેપારીઓને કાબૂ કરી શકાતા નથી, તેમાં પદ્ધતિમાં રહેલી બેદરકારી કદાચ વધારે જવાબદાર છે. વધારે નહીં, તો છેલ્લા એક બે દિવસમાં વર્તમાનપત્રોમાં આવેલા સમાચારો જોઈએ, તો ખ્યાલ આવશે કે તંત્રો ચૂકે છે, તેનો લાભ વેપારીઓ આપોઆપ ઉઠાવે છે. કેવી રીતે તે જોઈએ –

આપણે કેટલા ઘાતકી થયા છીએ, તેનો દાખલો કફ સિરપને લીધે થયેલાં બાળકોનાં મૃત્યુએ આપ્યો જ છે. રોગ મટાડવા દર્દી દવા લે છે, પણ હવે દવાથી દર્દ નહીં, દર્દી જ મટી જાય છે. હરામના પૈસા મેળવવાની એવી લ્હાય માણસને લાગી છે કે પૈસા મળતા હોય તો માણસ પોતે મરવા કે મારવા પર આવી જાય છે.

જાહેરાતોમાં ચીજવસ્તુઓની શુદ્ધતા દેખાડાય છે, એવું ખરીદી વખતે દેખાતું નથી. છેતરવું અને છેતરાવું માણસ માત્રની લાક્ષણિકતા છે. છેતરાયો ન હોય એવો માણસ મળવો મુશ્કેલ છે, પણ પૈસાથી છેતરાવા કરતાં ભેળસેળિયા, અશુદ્ધ અને હલકી ખાદ્ય સામગ્રી દ્વારા આરોગ્યનું જે જોખમ છેતરીને ઊભું કરવામાં આવે છે તે વધારે ઘાતક છે. તંત્રો તપાસ, પરીક્ષણ વગેરે તો કરે છે, પણ તેનો અર્થ રહેતો નથી. જેમ કે, અમરોલી-કોસાડમાં પોલીસ અને સુરત પાલિકાએ રેડ કરીને હલકી ગુણવત્તાવાળા ઘીનો 361 લિટરનો જથ્થો સીઝ કર્યો ને તેના સેમ્પલ ફૂડ વિભાગે તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા. રિપોર્ટમાં એ નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા છે. નમૂનાઓમાં ચરબી-ફેટી એસિડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તેને ધ્યાને લઈ જવાબદાર ડેરી પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમ તો આ બધું બરાબર લાગે છે, પણ તપાસ ન થઈ હોત તો આ બધું વેચાયું જ હોત ! એટલે કે વેચનારને તો પોતે ખોટું કરે છે એવું લાગતું જ નથી. વારુ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાય તે પછી પણ ભેળસેળિયા કે અશુદ્ધ ઘી-માવા વગેરેનું વેચાણ અટકતું લાગતું નથી. ઘારીનો નમૂનો તપાસ માટે મોકલાય ને રિપોર્ટ આવે ત્યાં સુધીમાં ચંદની પડવો તો પૂરો થઈ ચૂક્યો હોય છે, એ સ્થિતિમાં પેલી તપાસનો શો મતલબ રહે છે, તે વિચારવાનું રહે છે. થવું તો એવું જોઈએ કે તપાસ સ્થળ પર જ થાય ને નબળું લાગે તો તે દુકાનનું લાઇસન્સ જપ્ત કરી તાત્કાલિક અસરથી વેચાણ અટકાવવામાં આવે. જેવું ઘોડદોડ રોડની મીઠાઈની એક દુકાનમાં થયું. ફૂડ વિભાગે દરોડો પાડ્યો એ જ વખતે મીઠાઈની ટ્રે પર વાંદો ફરતો દેખાયો. વાંદો એટલો નસીબદાર કે રંધાયો નહીં, નહીંતર કોઈના બોક્સમાં ને ત્યાંથી કદાચ કોઈ હોજરીમાં ગયો હોત ! મીઠાઈના દુકાનદારે મામલો પતાવવા ને પટાવવાની કોશિશ કરી જોઈ, પણ 120 કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો જ ને ઉપરથી 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. આ નમૂનાઓનું પરીક્ષણ સ્થળ પર જ થાય તો હલકી ચીજવસ્તુઓનાં વેચાણ પર બ્રેક લાગે. ખરેખર તો તહેવારો પૂરા ન થાય ત્યાં સુધી એ દુકાનોને સીલ કરી દેવી જોઈએ, જેથી થોડો વખત તો લોકો છેતરાતા બચે.

આ ઉપરાંત મીઠાઈની 12 દુકાનોમાંથી 24 નમૂનાઓ લેવામાં આવ્યા. એ તમામ નમૂનાઓ એક યા બીજા કારણોસર ફેલ થયા. આમાં પણ એકવાક્યતા નથી. એક છાપું કહે છે કે બધા નમૂના ફેલ થયા તો એક કહે છે, નમૂના તપાસમાં મોકલ્યા છે ને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે. પોલીસ અને પાલિકાએ હાથ ધરેલા જોઈન્ટ ઓપરેશનમાં પુણા યોગીચોક વિસ્તારની ડેરીઓના 80 કિલો માખણ અને રો મટિરિયલ કબજે લઈ ડેરી સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરી હતી.

આ ગરબડ સુરતમાં જ છે એવું નથી, રાજકોટમાં પણ નમકીન અને મિલ્ક શોપીનું દૂધ ને ઘી ખાવા લાયક જણાયું નથી. બીજા શહેરોની સ્થિતિ પણ બહુ વખાણવા લાયક નહીં જ હોય ! એમ લાગે છે કે તપાસ બે રીતે ચાલે છે. એકમાં તરત નિર્ણય આવે છે, બીજામાં લેબોરેટરી રિપોર્ટ આપે તેના પર આધાર રાખવો પડે છે. વેલ, ત્યાં સુધીમાં તહેવારો વિદાય લઈ ચૂક્યા હોય છે, નબળી ને હલકી વસ્તુઓ વેચાઈ ચૂકી હોય છે ને આરોગ્યને જે નુકસાન થવાનું હોય તે થઈ ચૂક્યું હોય છે. આ તપાસ તહેવારોમાં જ થાય છે, તે પણ બરાબર નથી. હલકી કક્ષાની વસ્તુઓ વેચવા ટેવાયેલા વેપારીઓ તો કોઈ પણ સમયે ગુણવત્તા જોડે છેડછાડ કરી જ શકે છે.

વધારે દુ:ખદ તો એ છે કે લોકો તહેવાર ઉજવવાના ઉમંગમાં ખાવાપીવાની વસ્તુઓ ખરીદતા હોય છે. એમને ઉજવણાંનો એવો આનંદ હોય છે કે તેઓ ક્યાં છેતરાય છે એનો ખ્યાલ પણ નથી આવતો. ખ્યાલ આવતો હોય તો થોડું લેટ ગો પણ કરતા હોય છે. એ છેતરપિંડી તેમને તહેવારો પછી ભારે પડતી હોય છે. તબિયત બગડતાં દવાખાનાના ચક્કરો શરૂ થાય છે. વેપારીઓ વધુ કમાણીના લોભમાં નિર્દોષ લોકોને દવાદારૂના ચકરાવે એવા ચડાવે છે કે ખર્ચનો પાર નથી રહેતો. વળી દવા ભેળસેળિયા નીકળી તો ભોગ જ ફરી જાય છે. કફ સિરપ જો નિર્દોષ બાળકોના જીવ લઈ શકતાં હોય તો કોનો ભરોસો કરવો તે સમજાતું નથી.

વેલ, આવી ભેળસેળવાળી ખાવાની વસ્તુઓ મફત નથી મળતી કે વેપારીઓ તે દયાદાન ધરમમાં પણ નથી વેચતાં. તહેવારને નામે વધુ મોંઘા ભાવે આ બધું વેચાય છે ને તે વળી વધુ દામ આપીને ખરીદાય છે ને પરિણામ, માંદગીમાં ને ક્યારેક તો મૃત્યુમાં આવે છે. કમાલ છે ને, માંદગી કે મોત પણ કેટલાં મોંઘાં થઈ ગયાં છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઑક્ટોબર 2025

Loading

...102030...107108109110...120130140...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved