Opinion Magazine
Number of visits: 9667423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેર આયે દુરુસ્ત આયે : EDના સંજય મિશ્રાને SCનું ગરગડિયું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 July 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, આપણે આ જ સ્થાનેથી જોયું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી જે નવ નેતાઓ શિંદે – ફડણવિસની સરકારમાં જોડાઈ ગયા, તેમાંથી ચાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ હતી. વિરોધ પક્ષોનો આરોપ છે કે ઈ.ડી.ની તપાસનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવે છે. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજીત પવાર સાથે ચાલ્યા ગયા છે.”

જે દિવસે એન.સી.પી.ના આ નેતાઓએ સરકારમાં સામેલ થવાના શપથ લીધા, તે જ દિવસે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં સુપ્રીમ કોર્ટના જજ સાહેબોને વિનવણી કરી રહ્યા હતા કે ઈ.ડી.ની અમાપ તાકાત પર લગામ લગાવી દો, નહીં તો લોકોને જીવવાનું ભારે થઇ પડશે.

હવે આ જ સુપ્રીમ કોર્ટે, ઈ.ડી.ના વડા સાહેબ સંજય કુમાર મિશ્રાનાં બે એક્સ્ટેન્શને કાનૂની રીતે અવૈદ્ય ગણાવીને, તેમને 31મી જુલાઈ પછી ઈ.ડી.ના ડિરેકટરની ખુરશી ખાલી કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે ગયા નવેમ્બર મહિનામાં, 1984 બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસના ઓફિસર એસ.કે. મિશ્રાને, 18 નવેમ્બર 2023 સુધી બીજી વાર ખુરશીમાં ચાલુ રહેવાનું કહ્યું હતું.

કાઁગ્રેસ પાર્ટીનાં જયા ઠાકુર અને તૃણમુલ કાઁગ્રેસનાં મહુઆ મોઇત્રા સહિતના અનેક અરજદારોની અરજીઓનો નિકાલ કરતાં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેન્ચે 11 જુલાઈના રોજ, 8 સપ્ટેમ્બર 2021 પછીના મિશ્રાના એક્સ્ટેન્શને ગેરકાનૂની ઠરાવ્યું હતું.

ઈ.ડી.માં પ્રિન્સીપાલ સ્પેશ્યલ ડિરેકટર તરીકે કામ કરતા મિશ્રાને 19 નવેમ્બર 2018ના રોજ બે વર્ષ માટે ડિરેકટર બનાવામાં આવ્યા હતા. 13 નવેમ્બર 2020ના રોજ એ અવધિમાં સુધારો કરીને ત્રણ વર્ષ કરવામાં આવ્યાં હતાં.

કેન્દ્ર સરકારે એવો તર્ક રજૂ કર્યો હતો કે ઈ.ડી.ના ડિરેકટર પદે મિશ્રાનું એક્સ્ટેન્શન જનહિતમાં છે કારણ કે તેઓ અમુક અગત્યના કેસોનું મોનિટરિંગ કરી રહ્યા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે એક્સ્ટેન્શનનો વિરોધ કરતી અરજી ‘વ્યક્તિગત હિત’માં કરાઈ છે એટલે તેને ખારીજ કરી નાખવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે મિશ્રાને ખુરશી ખાલી કરવાનું કહ્યું તેનાથી કેન્દ્ર સરકારને કેટલું ‘માઠું’ લાગ્યું છે તે ચુકાદો આવ્યો તેના ગણતરીના કલાકોમાં આવેલા ગૃહ મંત્રી અમિત શાહનું બયાન છે (નોંધ: ઈ.ડી.ના ડિરેકટર નાણાં મંત્રી સીતારમણના નિર્દેશમાં કામ કરે છે). ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ પર સામાન્ય રીતે સરકારના લોકો ‘અમે માનનીય અદાલતના ચુકાદાનું સન્માન કરીએ છીએ’ તેવું ઔપચારિક બયાન કરે છે, પણ ગૃહ મંત્રી ગળું ખંખેરીને બોલ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું;

“જે લોકો માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશ થાય છે તે ભ્રમમાં છે … મહત્ત્વનું એ નથી કે ઈ.ડી.ના ડિરેકટર કોણ છે કારણ કે પદ પર જે પણ હોય, તે વિકાસ વિરોધી માનસિકતાવાળા પરિવારવારવાદીઓના ભ્રષ્ટાચાર પર નજર રાખશે.”

તેના જવાબમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે કહ્યું હતું, “તો પછી તમે તેમને (મિશ્રાને) ત્રીજું એક્સ્ટેન્શન કેમ આપ્યું હતું?” કાઁગ્રેસના નેતા સૂરજેવાળાએ કહ્યું હતું કે, “મિશ્રા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પછી, 17 નવેમ્બર 2021 પછી ઈ.ડી.એ લીધેલાં તમામ પગલાં ગેરકાનૂની અને અમાન્ય બની જાય છે.”

આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને તીખો સવાલ કર્યો હતો કે, “આ પદ પર એક વ્યક્તિ શા માટે અનિવાર્ય છે? શું સંસ્થામાં કોઈ બીજી વ્યક્તિ નથી જે આ કામ કરી શકે? તમે એમ કહેવા માંગો છો કે ઈ.ડી.માં કોઈ સક્ષમ વ્યક્તિ છે જ નહીં? એ નિવૃત્ત થશે ત્યારે એજન્સીનું શું થશે?”

નરેન્દ્ર મોદી સરકારની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એસ.કે. મિશ્રા મહત્ત્વના અધિકારી હતા. તેમના માત્ર ચાર વર્ષના કાર્યકાળમાં 65,000 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. ઈ.ડી.એ તેમની દેખરેખમાં 2,000થી વધુ દરોડાઓ અને સર્ચ ઓપરેશન કર્યાં હતાં. જો કે વિરોધ પક્ષોનો આરોપ છે કે સરકાર વિરુદ્ધ બોલતા લોકોને ચૂપ કરવા માટે અથવા ભા.જ.પ.માં જોડાઈ જવાનું દબાણ કરવા માટે ઈ.ડી.નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષો ઈ.ડી.ને ભા.જ.પ.નું વોશિંગ મશીન પણ કહે છે. મિશ્રાના કાર્યકાળમાં 100થી વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.

ગયા એપ્રિલ મહિનામાં, 14 જેટલા વિરોધ પક્ષો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવીને ફરિયાદ કરી હતી કે કેન્દ્ર સરકાર તેમના નેતાઓને પરેશાન કરવા માટે ઈ.ડી. અને સી.બી.આઈ. જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરે છે. કોર્ટે ત્યારે કહ્યું કે તે વ્યક્તિગત કેસો પર તથ્યોના આધારે નિર્ણય કરી શકે, પરંતુ રાજકારણીઓ માટે અલગથી કોઈ માર્ગદર્શન આપી ન શકે. એ જ મહિનામાં, દિલ્હી વિધાનસભાએ ઈ.ડી.-સી.બી.આઈ.ના દુરપયોગ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો હતો. માર્ચ મહિનામાં બંગાળ વિધાનસભાએ પણ આવો જ પ્રસ્તાવ પસાર કર્યો હતો.

અહીં એક વિસ્તૃત પ્રશ્ન પણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ગેરઉપયોગ થતો હોવાના આરોપ અગાઉ કાઁગ્રેસની સરકારો પર પણ આરોપો લાગેલા છે. કટોકટી વખતે ઇન્દિરાપુત્ર સંજય ગાંધી સી.બી.આઈ.નો વડો હોય તે રીતે તેનો ગેરઉપયોગ કરતો હતો.

ઈ.ડી. અને સી.બી.આઈ. સંવેધાનિક સંસ્થાઓ નથી. તે શાસકીય આદેશો પર કામ કરે છે. પરિણામે તેને જે તે સરકારોના રાજકીય ઘોંચપરોણા વાગતા રહે છે. ભારતમાં આમ પણ રાજકીય ભ્રષ્ટાચાર સૌથી ટોચ પર છે (એશિયામાં સૌથી વધુ, 39 ટકા, લાંચ ભારતમાં લેવાય છે અને સૌથી વધુ, 46 ટકા, નાગરિકો અંગત લાગવગથી કામ કઢાવે છે) એટલે કેસોનો નિર્ણય તેની યોગ્યતા પર નહીં, પણ રાજકીય લાભાલાભ પર લેવાય છે.

આ એજન્સીઓ પાસે જરૂરી સ્વતંત્રતા નથી કે તેઓ પારદર્શી રીતે અને કાનૂનને વફાદાર રહીને અપરાધની છાનબીન કરે. ઉપરાંત, તે તેમના બજેટ માટે સરકારોની ‘દયા-માયા’ પર નિર્ભર હોય છે એટલે પ્રભાવશાળી રીતે કામ કરવાની તેની ક્ષમતાને અસર પડે છે.

આ એજન્સીઓ સામે પાંચ મુખ્ય ફરિયાદો છે :

1. રાજકીય વહાલાં-દવલાં : શાસક પક્ષો તેમના રાજકીય વિરોધીઓને ઠેકાણે પાડવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે.

2. પારદર્શિતાનો અભાવ : એજન્સીઓ કેવી રીતે કામ કરે છે તેને લઈને સરકાર બહાર કોઈને કશી ખબર નથી. એટલે તેની જવાબદેહી પણ નક્કી થતી નથી.

3. સત્તાનો ગેરઉપયોગ : એવા ઘણા કિસ્સાઓ છે જેમાં એજન્સીઓએ તેમના અધિકાર ક્ષેત્રની બહાર જઈને વ્યક્તિઓને પરેશાન કર્યા હોય, ધમકાવ્યા હોય.

4. માનવાધિકારનો ભંગ : એજન્સીઓ ગેરકાનૂની અટકાયત, શારીરિક અત્યાચાર, કસ્ટોડિયન હિંસા જેવી બળજબરાઈ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે.

5. ન્યાયમાં વિલંબ : એજન્સીઓ પર કોઈ સંવેધાનિક દબાણ ન હોવાથી તેની તપાસ વર્ષો સુધી અનિર્ણિત રહે છે જેનાં પરિણામે નિર્દોષ લોકો જો ઝપટે ચડી ગયા હોય તો વર્ષો સુધી ન્યાય વગર લટકી રહે છે.

આમાં મુખ્ય વાત એ છે કે જ્યાં સુધી આ એજન્સીઓ પારદર્શક વ્યવહાર નહીં કરે અને તેની સંવેધાનિક જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી તેનાં કામોમાં જનતાનો વિશ્વાસ પેદા નહીં થાય. જેમ ભારતમાં પોલીસની કાર્યાવાહી સંદિગ્ધતાના દાયરામાં રહે છે અને તેમાં તાતા પોલીસ રિફોર્મની જરૂર છે, તેવી રીતે આ કેન્દ્રીય એજન્સીઓને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવા માટે તેની કામ કરવાની શૈલીમાં સુધારા કરવાની જરૂર છે.

ભૂતપૂર્વ ગૃહ સચિવ, જી.કે. પિલ્લાઇએ એક જગ્યાએ કહ્યું હતું કે, “તમામ એજન્સીઓના વડાઓ કાનૂન અને સંવિધાનથી બંધાયેલા છે. એજન્સીઓ જો કાનૂનનો ગેરઉપયોગ કરતી હોય, તો તેમની સામે કોર્ટે પગલાં ભરવાં જોઈએ. કોઈના સંવેધાનિક હક્કોનું ઉલ્લંઘન થતું હોય તો સજા થવી જોઈએ. વિભાગના વડાઓને એમનાં અપકૃત્યો માટે દંડ થવો જોઈએ.”

લાસ્ટ લાઈન:

“જ્યાં સુધી જનમતની પરવાનગી હોય, સરકારો હંમેશાં કાનૂનના તંત્રનો દુરપયોગ કરવાની.”

– એમિલ કપોયા, અમેરિકન પ્રકાશક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કવિ રમેશ પારેખ સાથે પાંચ દિવસ

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|17 July 2023

ભારત અમેરિકા એરોપ્લેનની ચોવીસ કલાકની લાંબી યાત્રાને કારણે વિનુભાઈ મહેતા અને વિનોદ જોશી કરતાં કવિ રમેશ પારેખના ચહેરા પર વઘારે થાક વર્તાતો હતો. મારા ઘરના ઉંબરામાં પગ મૂકતાં જ રમેશભાઈએ કચકચાવીને મફલર માથા પર વીંટી, વિનુભાઈ મહેતાને બહુ જ ઘીમા સ્વરે કહ્યું કે, “અહીંના વાતાવરણમાં મને મૂંઝવણ થાય છે. જો બને તો તમે મને કાલે સવારે વળતી ફલાઈટમાં પાછો મુંબઈ મોકલી આપો તો તમારો આભાર.”

સવારે બેડમાંથી ઊઠતાં જ કવિએ પહેલો પશ્ન  અમને પૂછfયો, “મારું ઈન્ડિયા પાછું જવાનું શું થયું?”

“રમેશ, ગઈકાલે મોડી રાત લગી અમે ઍર ઇન્ડિયાની ઑફિસમાં તારી ટિકિટ બુક કરાવવા માથાઝીક કરી. અત્યારે અહીંયા ઉનાળો હોવાથી લગભગ ઇન્ડિયા પાછા જતી બઘી ફલાઈટ ઓવર બુક્ડ છે. ત્રણચાર અઠવાડિયાં લગી ઇન્ડિયા પાછા જવાની ટિકિટ મળવાના તો કોઈ સંજોગ જણાતા નથી.”

રમેશભાઈએ કોઈ સવાલ પૂછયા વગર વિનુભાઈની વાત સાંભળી બેડમાં પોતાની પાસે પડેલ મફલર પાછું માથે વીંટી મને કહ્યું, મને જરા ય ઠીક નથી. હાથપગમાં સખત કળતર થાય છે. પેટમાં ગડબડ જણાય છે. કદાચ મને હમણાં ઊલટી થશે એવું લાગે છે …” બીનાએ, રમેશભાઈને એક ગ્લાસમાં જીંજરેલ આપતાં કહ્યું કે, “તમે આટલું જીંજરેલ પી જાઓ. તમને થોડીક વારમાં પેટમાં ગડબડ ઓછી થઈ જશે.”

જેમ તેમ કરી અરઘો ગ્લાસ જીંજરેલ પીને રમેશભાઈએ કશું બોલ્યા વગર, પગ લાંબા કરી, માથે ધાબળો ઓઢીને પાછું બેડમાં લંબાવી દીઘું.

બરાબર એ જ વખતે ઘરમાં મહેમાન હોવાને કારણે રોજ કરતાં વહેલી ઊઠેલી મારી અઢી વર્ષની દીકરી કરિશ્મા દોડતી, વંટોળ સમી ગેસ્ટ રૂમમાં આવી ચડી. આજુબાજુ કશું ય જોયા વગર રોજની આદત મુજબ બેડ પર હું સૂતો છું એમ સમજીને નિરાંતે ઊંઘતા રમેશભાઈ પર કૂદી. અચાનક માથે આ શું પડયું? એ ચિંતામાં રમેશભાઈ બેડમાં સબાક કરતા ઊભા થઈ ગયા. બેડમાં મારે બદલે સાવ બીજા જ કોઈ અજાણ્યા માણસને જોઈ કરિશ્મા ભયભીત થઈ ડઘાઈ ગઈ.

કરિશ્માને બેડમાં પોતાની પાસે ભયભીત બેઠેલ જોઈ કવિના મનમાં શું ચમત્કાર થયો એ તો ઈશ્વરને ખબર! પણ ગઈ કાલ રાતથી ભારત પાછા જવાની બાળહઠ લઈ બેઠેલા કવિનો ચહેરો ક્ષણમાં ફૂલ સમો ખીલી ઊઠ્યો. તેમના મન પરથી ઘરઝુરાપો પવનવેગે અદૃશ્ય થઈ ગયો. કવિએ કરિશ્માને બે હાથ લાંબા કરી વહાલથી બાજુમાં બોલાવી. પોતાના ખોળામાં બેસાડી કાલુંઘેલું બોલતા રમાડવા મંડયા. કરિશ્મા કવિની ભાષામાં ખડખડાટ હસે. કવિ પણ હાસ્યમાં કોઈ કંજૂસાઈ કર્યા વગર નાયગરાના ઘોઘ સમા ખડખડાટ મને હસતા હતા. બઘી દુનિયાદારી ભૂલી કવિ બેચાર મિનિટમાં તો કરિશ્માનો ઘોડો બની બેઠા. ઘડી બાદ કરિશ્માને ખભે બેસાડી રમેશભાઈ ઘી-ગોળ વેચવા ઘરના બઘા ઓરડાઓમાં ફરી વળ્યા. કવિને આટલી રમતથી સંતોષ ન થયો એ તો કરિશ્માને ખભે બેસાડી ઘરની પાછળના બેકયાર્ડમાં દોડ્યા. આખરે, ખરે બપોરે કવિ પસીનાથી રેબઝેબ થઈ કરિશ્મા જોડે રમી થાક્યા. કરિશ્માને કાંખમાં તેડી ખુશ ખુશાલ મને બેકયાર્ડમાથી પાછા આવીને અમને કહે, “ભાઈ, આ છોકરી તો ગજબની છે. મને થકવી દીઘો. પતંગિયાં જેવી છે. હું થાકી ગયો પણ મને કહે અંક્લ, હજી તમે દોડો હું તમને પકડવા આવું છું.”

કરિશ્મા જોડે રમીને ભાવવિભોર બનેલ કવિએ બીનાને કહ્યું, ‘બીનાબહેન, હવે તો પેટમાં ઉંદરડા દોડે છે. તમે જમવા ક્યારે બોલાવો છો? બસ, હું તો એની રાહ જોઉં છું. વિનુભાઈ અને વિનોદને જ્યારે જમવા બેસવું હોય ત્યારે જમવા બેસે. જો રસોઈ તૈયાર હોય તો મારી અને પ્રીતમભાઈની થાળી માંડો!”

બપોરે અમે બઘા ડાઈનિંગ ટેબલ પર લંચ લેવા બેઠા. બીનાને ખબર નહીં કે રમેશભાઈને કાનની તકલીફને કારણે રસોઈમાં ખટાશ લેવાનું ટાળે છે. બીનાએ શાક તેમ જ કઠોળમાં લીંબુ નાખ્યું હતું. એ તો મનમાં વિચારતી હતી કે હવે રમેશભાઈ જમવામાં શું લેશે? ચાલને, જલદીથી બટાકાની સુક્કી ભાજી કવિ માટે બનાવી નાખું ત્યાં તો કવિએ સામેથી જ બીનાને કહ્યું,”તમે મારી બિલકુલ ચિંતા ન કરો. રસોઈમાં તમે જે કંઈ બનાવ્યું છે તે બઘું મને ચાલશે.”

મોડી સાંજે અમે નાયગરાથી પાછા આવી મારા ઘરની લીલી લૉનમાં ખુરશીઓ નાંખી. છસાત મિત્રો બીયરની મજા સાથે કવિતાનો આનંદ માણી રહ્યા હતા. શકુરભાઈ અને રમેશભાઈને અમરેલીની વાતોમાં ડૂબી ગયેલા જોઈ અહવાભાભીએ રમેશભાઈને કહ્યું, “હવે તમે અને સરવૈયા અમરેલીની વાતોમાંથી બહાર નીકળો તો, અમારે તમારી થોડીક કવિતા સાંભળવી છે. શકુરભાઈ રમેશભાઈને કહે, રમેશ, આજે તો અમારે તારા કંઠે તારું ગીત સાંભળવું છે. પછી મને કહે અરે, અમે તો રમેશને અમરેલીમાં ઢોલકના તાલમાં બહુ જ ગાતો સાંભળ્યો છે. ચાલ રમેશ થાવા દે આજ તારું એકાદ ગીત …” અને રમેશભાઈએ અમને સંભળાવ્યું … ‘મોગરાની કળી, મને બગીચામાં મળી…”

રમેશભાઈને મૂડમાં જોઈ વર્ષોથી મનમાં ઘૂંટાતો એક પ્રશ્ન વિનુભાઈએ પૂછી નાંખ્યો, “રમેશ મને આજ લગી તારી એક વાત સમજાણી નથી. “મીરાં સામે પાર” કાવ્યસંગ્રહ તે કોઈ કવિમિત્ર કે પરિવારના કોઈ સભ્યને અર્પણ કરવાને બદલે, અમરદાસ ખારાવાળા” ગિરનારી બાપુને” કેમ અર્પણ કર્યો છે?” 

“આ ગિરનારી બાપુ વિશે તમને શું કહું? એકવાર હું બાપુ જોડે બેઠો હતો. વાતમાં ને વાતમાં અમારી મુંબઈ જવાની વાત નીકળી. બાપુ મને કહે, “રમેશ, હું બે દિવસ બાદ પ્લેનમાં મુંબઈ જાઉં છું. તારે મુંબઇ પ્લેનમાં આવવું છે? ત્યારે મેં કહેલું કે બાપુ, તમે પણ ખરા છો. જો મારે ચાલીને જવાનું હોય તો હું બસમાં જવાનું ટાળું, તો પછી તમારી સાથે પ્લેનમાં તો હું ક્યાંથી આવું? અમારાં એવાં ભાગ્ય કયાં કે પ્લેનમાં મુંબઈ જઈએ? વિનુભાઈ, તમે નહીં માનો, એ વખતે બાપુ પાસે ખિસ્સામાં એક ઓપન ટિકિટ મુંબઈની હતી. મને કહે લે રમેશ, તું મુંબઈ ફરી આવ. મારે તો અમરેલી છોડીને કયાં ય જવું ન હતું. બાપુની આ વાતથી હું બહું ખુશ થઈ ગયો. મનમાં ગાંઠ વાળી લીઘી કે ભવિષ્યમાં ઇશ્વર કરશે તો બાપુનું ઋણ ચૂકવી દઈશ. બસ, ‘મીરાં સામે પાર” વખતે વિચારતો હતો કે આ સંગ્રહ કોને અર્પણ કરું? મને તે ઘડીએ બાપુ યાદ આવતા, મેં અમરશીબાપુને અર્પણ કર્યો.

વિનુભાઈ, અમરદાસબાપુ સાથે કયારેક નિરાંતે બેઠા હો તો જલસો પડી જાય. તમને તો ખબર જ હશે કે કેટલાક હાસ્ય કલાકારોને બાપુ પાસેથી હાસ્યનો મસાલો મળી રહે છે. એક વાર મેં બાપુને પૂછ્યું, “બાપુ, તમે રામાયણની કથામાં સીતા વિદાયના પ્રસંગનું વિવરણ કરો. ત્યારે તમારા શ્રોતાજનોની આંખ ભીની થઈ જાય, પણ તમારી આંખેથી તો એક આંસુયે ન ટપકે. મને ઘણી વાર નવાઈ લાગે છે. ત્યારે એમણે કહ્યું કે, ‘અરે ! રમેશ, તને હું શું કહું? મારી આંખમાં તો ત્યારે આંસુ આવે કે જ્યારે સાંજે આરતી ભાવિક ભક્તો પાસે ફરીને મારી પાસે આવે અને થાળીને સાવ ખાલી જોઉં … ત્યારે મારી આંખમાં ઝળઝળિયાં આવે.”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ભૂતકાળ

ઉમેશ સોલંકી|Poetry|17 July 2023

હાડકાને બટકી નાખતું બળ

ખેચી લાવ્યું વીતેલા વખતના તળમાંથી પળ

પળ હલી શકે

મનફાવે એમ ફરી શકે

ધાર્યું કરી શકે

ભલભલાને અવગણી શકે.

પળ બેઠી

ઘૂરકિયા કરતી ગઈ છેટી

નસકોરાં એનાં બહુ ફૂલેલાં

જાણે ગુફા, ગુફામાં કરોળિયાનાં જાળાં બાઝેલાં

જાળાનો એક તાર તૂટ્યો

ઊડ્યો

હવામાં લહેરાયો

અંગૂઠાને લપેટાયો

લાંબો થયો

વીંટળાતો ગયો, વીંટળાતો ગયો

શરીર પર જગા ન જરી બચી

હું મમી.

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...1,0661,0671,0681,069...1,0801,0901,100...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved