Opinion Magazine
Number of visits: 9567350
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરોડપતિ ભારતીયો પગ વડે મત આપે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 June 2023

રાજ ગોસ્વામી

ઇઝરાયેલી ઇતિહાકાર યુવલ નોઆ હરારીના વૈશ્વિક બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’નો, આ લખનારે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે નિમિત્તે થોડો અધિક અભ્યાસ કરતી વખતે, હરારીના ઇન્ટરવ્યૂમાં એક દિલચસ્પ વચન વાંચવામાં આવ્યું હતું: “મનુષ્યો તેમના પગ વડે મત જાહેર કરે છે. દુનિયાભરમાં મારા પ્રવાસ દરમિયાન અસંખ્ય દેશોમાં હું એવા અનેક લોકોને મળ્યો છું જેમને અમેરિકા જવું હોય, જર્મની જવું હોય, કેનેડા જવું હોય અથવા ઓસ્ટ્રેલિયા જવું હોય. થોડા એવા લોકોને પણ મળ્યો હતો જેમને ચીન કે જાપાન જવું હોય, પણ હું હજુ એકપણ એવા માણસને મળ્યો નથી જેને રશિયામાં સ્થળાંતર કરવાનું સ્વપ્ન હોય.”

સોવિયત રશિયામાં જન્મીને અમેરિકા સ્થળાંતર કરનાર કાનૂનવિદ્ય ઈલ્યા સોમિને કહ્યું હતું કે એક હુકૂમતમાંથી બીજા હુકૂમતમાં સ્થળાંતર કરવું (પગ વડે મત આપવો) એ રાજકીય સ્વતંત્રતાનું પ્રતિક છે. રશિયન સામ્યવાદી નેતા વ્લાદિમીર લેનિને, રશિયન ઝારની સેના છોડીને ભાગી રહેલા સૈનિકો અંગે કહ્યું હતું કે, “તેમણે તેમના પગ વડે મત વ્યક્ત કર્યો હતો.” અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને પણ આ વિચારનું સમર્થન કરતાં કહ્યું હતું કે પ્રતિકૂળ સ્થાનિક પરિસ્થિતિઓના ઉપાય તરીકે લોકોએ એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું જોઈએ.

કંઇક આવી જ રીતે, ભારતીય લોકો પગ વડે મત વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરમાં સમૃદ્ધિ અને ઇન્વેસ્ટમેન્ટના પ્રવાહો પર નજર રાખવાનું કામ કરતી સંસ્થા હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેનશનનું તાજું અનુમાન કહે છે વર્ષ 2023માં 6,500 કરોડપતિ ભારતીયો વિદેશમાં કાયમી સ્થળાંતર કરી જશે. ગયા વર્ષ કરતાં આ આંકડો થોડો ઓછો છે. 2022માં, કુલ 7,500 અમીર ભારતીયો વિદેશોમાં જઈને વસી ગયા હતા. દસ લાખ ડોલર જેટલી ઇન્વેસ્ટમેન્ટ ક્ષમતાવાળા લોકો ‘કરોડપતિ’ અથવા હાઈ-નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ (એચ.એન.આઈ.) ગણાય છે.

આટલી મોટી સંખ્યામાં સ્થળાંતર કરી જનારા દેશોમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. આ વર્ષે ચીન 13,500 અમીર લોકોને ગુમાવશે. ત્રીજા નંબરે યુ.કે. (3,200) અને ચોથા-પાંચમા સ્થાને (3,000ની સામે યુક્રેન યુદ્ધ પછી 8,500 સ્થળાંતર સાથે) રશિયા છે.

હેનલી એન્ડ પાર્ટનર્સમાં પ્રાઇવેટ ગ્રાહકોના ગ્રુપ હેડ ડોમિનિક વોલેકે કહ્યું છે કે, “તાજેતરની નિયમિત ઉથલપાથલોથી વિસ્થાપન આવ્યું છે – સલામતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણમાં પરિવર્તન અને ક્રિપ્ટો કરન્સીની ઉપલબ્ધિ સુધ્ધાં જેવાં કારણોથી વધુને વધુ ઈન્વેસ્ટરો તેમના પરિવારોનું સ્થાનાંતર કરવાનું વિચારે છે.”

ભારતમાં ટેક્સ કાનૂન અને તેની જટિલતાઓના કારણે પણ કરોડપતિ ભારતીયો દેશમાંથી પલાયન થઇ રહ્યા છે. આ રિપોર્ટ આવ્યો તે પછી તરત જ ઇન્ફોસિસ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ટી.વી. મોહનદાસ પાઈએ ટ્વીટ કરીને અમીરોના પલાયન માટે સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. તેમણે લખ્યું હતું કે નાણાં મંત્રાલયે હાઈ-નેટવર્થ વાળા લોકોનું જીવવાનું દુષ્કર કરી નાખ્યું છે.

એ ઉપરાંત, આઉટબાઉન્ડ રેમિટેન્સનો પણ એક મુદ્દો છે જેનાથી ભારતીયો તેમના ઇન્વેસ્ટમેન્ટને બીજા દેશોમાં લઇ જવા મજબૂર બન્યા છે. ભારતીય અમીર પરિવારોનાં પસંદગીનાં સ્થળ દુબઈ અને સિંગાપોર છે. તેના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, અનુકૂળ ટેક્સ તંત્ર, મજબૂત વ્યાપારી માહોલ, સુરક્ષા અને શાંતિ જેવાં પરિબળો તેમાં આકર્ષણનાં કારણો બન્યાં છે.

એસ.કે.વી. લો ઓફિસના સિનિયર એસોસિયેટ સુહેલ બુતાને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ સમાચાર પત્રને કહ્યું હતું કે, “ભારતના સ્ટાર્ટઅપ સાહસિકો દુબઈ કે સિંગાપોર ઉડી રહ્યા છે તેનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં, ખાસ કરીને દુબઈમાં, ભારતની સરખામણીમાં સ્ટાર્ટઅપનો ટેક્સ ઘણો ઓછો આવે છે. દુબઈને ઘર બનાવાનું બીજું કારણ એ છે કે ત્યાં ઘરેલું/વાણીજ્ય પ્રોપર્ટીના લીઝ પર 5-10 ટકાનો જ ટેક્સ આવે છે.”

વિદેશ જવાનું આ વલણ નવું નથી. નવું એટલું જ છે કે તેમાં ઉત્તરોતર વૃદ્ધિ થઇ રહી છે. તેની પાછળ આર્થિક કારણો તો છે જ, સાથે સામાજિક કારણો પણ છે. અમીરોના પરદેશ સ્થળાંતરને ભારતીયોમાં પશ્ચિમ માટેની ઘેલછાના સંદર્ભમાં જોવું જોઈએ. 2021માં, ભારતીય મૂળના અમેરિકન પરાગ અગ્રવાલની ટ્વિટરના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સી.ઈ.ઓ.) તરીકે નિમણૂક થઈ, ત્યારે ટ્વિટર પર જ એક મીમ વાઈરલ થયું હતું; તેમાં એક મધ્યમ વર્ગના ઘરની સ્ત્રી એક હાથમાં ચપ્પલ લઈને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, “ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર સી.ઈ.ઓ. બન ગયા, ઔર તુ બસ ડેઈલી ટ્વિટર પે બોયકોટ ધીસ ધેટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ.”

ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે, અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે તેની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી. જે દિવસે અગ્રવાલની નિમણૂક થઇ, તે જ દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ તેમનું નાગરિકત્વ ત્યજી દીધું છે. વિદેશી બાબતોના મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું કે સપ્ટેમ્બર 2021માં એક લાખથી વધુ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસે છે. 2022માં, આ સંખ્યા 2,25,620 થઇ હતી.

આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં કેવી રીતે ભારતીયો સી.ઈ.ઓ. બની રહ્યા છે તેની ખુશી મનાવી રહ્યા છીએ, ત્યારે બીજી તરફ ભારતીયો તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે. જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય, તે દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?

ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડોકટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઉપડી જતા હતા. તેના માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જતા રહેવાનાં સપનાં સેવતાં હોય છે.

આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટાભાગનાં સંતાનો અને પેરન્ટસનું એ સ્વપ્ન રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું ન હતું, જે બીજા દેશો આપી શકતા હતા, પરંતુ ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે તેને ભારતમાં આવકાર આપ્યો છે છતાં, બ્રેઈન ડ્રેઇનમાં રુકાવટ નથી આવી, તે એક વિચારવા જેવો મુદ્દો છે.

જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધાં એકબીજાને કહેતાં હોય છે કે, “આના કરતાં તો ફોરેન જતા રહેવું જોઈએ.” આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમેનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે, તે ભારતમાં નજર નથી આવતી.

“સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” એવું વર્ષમાં એકાદ બે પ્રસંગોએ બોલી લેવાથી દેશભક્તિનું સાર્વજનિક કેથાર્સિસ થઇ જાય એટલું જ, બાકી મોટાભાગના લોકો પહેલી ફ્લાઈટ પકડીને ન્યુયોર્ક જતા રહેવાની ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે ત્યાં તેમની મહેનત અને આવડતની કદર વધુ થાય છે. આવી ફિરાક સાધારણ લોકોને જ છે એવું નથી. ભણેલા-ગણેલા અને સાધન-સંપન્ન ભારતીયો પણ બહેતર ભવિષ્ય માટે પરદેશી બનવા તત્પર છે.

યુવલ નોઆ હરારીએ તેમના પુસ્તક ‘હોમો સેપિયન્સ’માં જ લખ્યું હતું, “પૈસો પૈસાને ખેંચે છે. ગરીબી ગરીબીને ખેંચે છે. શિક્ષણ શિક્ષણને ખેંચે છે અને અજ્ઞાન અજ્ઞાનને ખેંચે છે. જે લોકોને ભૂતકાળે પીડ્યા હતા તે ફરીથી પીડાનો ભોગ બનવાના છે, અને જેમને ઇતિહાસે સૌભાગ્ય બક્ષ્યું હતું તેમને ફરીથી સૌભાગ્ય પ્રાપ્ત થશે.”

આ એક વિષચક્ર છે જે સદીઓ સુધી ચાલતું રહે છે. ઇતિહાસની ફૂટપટ્ટી પર આવા ચક્રની ગતિ એટલી બહુ ધીરી હોય છે કે આપણને સ્થિરતાનો ભ્રમ થઇ જાય. સમાજો અને રાષ્ટ્રોને પાયમાલ થતાં કે સમૃદ્ધ થતાં સદીઓ નીકળી જાય છે, અને તેની શરૂઆત આપણા વર્તમાનમાં, આપણી આંખ સામે થતી હોય છે. એટલાં માટે જ, જેની પાસે દૂરંદેશી હોય તે જીતે છે, જે ‘સબ ચંગા હૈ’માં રાચે છે તે હારે છે.

લાસ્ટ લાઈન :

“બ્રેઈન ડ્રેઈન(નાળા)માં પડ્યું હોય તેના કરતાં બ્રેઈન ડ્રેઈન થઇ ગયું તે સારું.”

— રાજીવ ગાંધી

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 18 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૧) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|19 June 2023

સુમન શાહ

કુન્તકના અધ્યયન દરમ્યાન મને ગમી ગયેલી એમણે પ્રયોજેલી વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ સંજ્ઞાઓ વિશે આ અગાઉના લેખોમાં ચર્ચા કરી છે. 

આજે, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓ સમજીએ.

વક્રકવિવ્યાપારથી કવિતાનું સ્વરૂપ – નેચર – સૂચવાય છે અને વૈદગ્ધભંગીભણિતિથી કવિતાની રૂપરચના – ફૉર્મ – સૂચવાય છે તેમ શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓથી કવિતાનું કાર્ય -ફન્કશન- સૂચવાય છે.

શોભાતિશય એટલે ઉક્તિની વક્રતાથી જનમેલું વાણીનું સૌન્દર્ય, એટલે કે, ભાષિક સાહિત્યિકતા, લિટરરીનેસ, વર્ડ-બ્યુટિ. અતિશય કેમ? સામાન્ય ભાષાની સાદીસીધી ઉક્તિશોભામાં વધારો થઈ ગયો હોય છે તેથી શોભાતિશય. ‘તમે ક્યાંના રાજા છો?’ એ પ્રશ્નોક્તિને સ્થાને ‘આપના આગમનથી આપ કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો?’ એમ પુછાય એટલે શોભાતિશયનો અનુભવ થાય.

વક્રોક્તિનું એક કાર્ય શોભાતિશય. શોભાતિશયનું કાર્ય સહૃદયાહ્લાદકારીત્વ; એટલે કે, એથી સહૃદયો આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી જેનું ચિત્ત મુકુરીભૂત થયેલું છે તેને સહૃદય કહેવાય છે. સાર એ કે સાહિત્યકલાના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં ભાવનની ગુંજાઇશ હોવી જોઇશે.

શોભાતિશયનું બીજું કાર્ય તદ્વિદાહ્લાદકારીત્વ; એટલે કે, એથી એનો જાણકાર, તદ્વિદ, અધિકારી, આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. તદ્વિદ એટલે જેને કૃતિના સ્વરૂપની, રીતિની, અને સઘળા વ્યાપારની તથા સાહિત્ય સમગ્રની જાણકારી છે, એવો જેનો અધિકાર છે તેવી વ્યક્તિ. સાર એ કે કૃતિના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં સાહિત્યજ્ઞાનની ગુંજાઇશ હોવી જોઇશે.

આમ, કવિતાનું કાર્ય શોભાતિશય છે એ ખરું, પણ એનો આનન્દ તો અધિકારીને જ થશે. આ અધિકારીતા કલાનુભવની શરત બને છે અને તેથી વ્યાપક પ્રજાસમૂહોની બાદબાકી થઈ જાય છે, જો કે એ જુદી વાત છે.

સહૃદય અને તદ્વિદને ‘આઇડીયલ રીડર’ કે ‘ટારગેટ રીડર’ કહી શકીએ કે કેમ? લૂઇસ રોસેનબ્લાટ આદિ સમીક્ષકોએ શરૂ કરેલા ‘રીડર રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’-ને કુન્તકના આ વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમજ તદ્વિદાહ્લાદકારી વિભાવો સાથે સરખાવીને તુલનાવાચી અધ્યયન કરી શકાય, જો કે એ પણ જુદી વાત છે.

= = =

(06/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘આદિપુરુષ’ આદિ નહીં, આધુનિક પણ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 June 2023

રવીન્દ્ર પારેખ

ઓમ રાઉતની રામાયણ આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ જોઈ. તે જોવાનું એક કારણ તે રામાયણ આધારિત છે તે ! જો કે, શરૂઆતમાં જ લાંબા ડિસ્ક્લેમરમાં માફીપત્ર જેવો બચાવ સંભળાવાયો ત્યારે લાગ્યું કે આમાં રામાયણ સાથેની છેડછાડ હશે ને આખી ફિલ્મ પછી તો છેડછાડ જ લાગી. 600 કરોડની આ ફિલ્મ, સૌથી મોંઘી બૉલીવુડ ફિલ્મ છે તેવા પ્રચારથી અને એકથી વધારે ટ્રેલર્સ અને ટીઝર્સથી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતી રહી છે, પણ તે સાદી ફિલ્મ તરીકે પણ બહુ કમાઈ શકે એમ લાગતું નથી. ‘આદિપુરુષ’ની સૌથી મોટી ‘રામાયણ’ જ એ છે કે એમાં રામાયણ જ ખાસ નથી. VFXનો પણ ઉચિત ઉપયોગ નથી. ગીતો ઠીક છે. ‘મંત્રો સે બઢકર તેરા નામ, જયશ્રી રામ, જયશ્રી રામ…’ કે ‘રામ સિયા કી કરુણ કહાની, એક હૈ ચંદન, એક હૈ પાની…’ જેવી પંક્તિઓ સાંભળવાનું ગમે. અજય-અતુલનું સંગીત એકંદરે ઠીક, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ખાસ કરીને યુદ્ધ વખતનું, માથું દુખી આવે એટલું લાઉડ છે. મનોજ મુન્તશીરનાં સંવાદો રામાયણ માટેનાં નહીં, પણ કોઈ થ્રીલર માટે લખાયા હોય તેવા વધારે છે. સંવાદો અંગે ભારે ઊહાપોહ છે. હનુમાનની પૂંછડી ઇન્દ્રજિત સળગાવે છે ત્યારે હનુમાનના મુખમાં આ સંવાદ મુકાયો છે, ’કપડાં તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપકી.’

તો, હનુમાનને પણ આવું સંભળાવાય છે, ‘તેરી બુઆ કા બગીચા હૈ કિ હવા ખાને આ ગયા !’

લક્ષ્મણ મેઘનાદના સર્પાસ્ત્રથી મૂર્છિત થાય છે તો તેને માટે આવો સંવાદ છે, ‘મેરે સર્પને તેરે શેષ કો લંબા કર દિયા’.

રાવણની લંકા પર કૂચ કરવા માટે આ મતલબનો એક સંદેશ મોકલવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ ભારતની બેટી પર હાથ ન મૂકી શકે. આ ખોટું એટલા માટે છે કે ભારત નામ રાજા ભરત પરથી આવ્યું ને એ પ્રચલિત, રામના અનેક સૈકાઓ પછી થયું.

મનોજ મુન્તશીરે પોતાનાં પર જ મુશ્તાક હોવાના વહેમમાં, સંવાદો લખ્યા છે ને તેમનું કહેવું છે કે આપણા વડીલો આ જ રીતે કથા કહેતા હતા. તેમણે સમજવું જોઈએ કે કથા શ્રાવ્ય માધ્યમ છે ને એને કથાકાર કહે તો અને વડીલ કહે તો, ભાષામાં ફરક પડે જ ! બીજું, ફિલ્મ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે અને ટપોરીની ફિલ્મ હોય કે ધાર્મિક ફિલ્મ હોય, તે મુજબ તેના સંવાદો બદલાય. ટૂંકમાં, મનોજની વડીલોવાળી દલીલ ગળે ઊતરે એમ નથી. સંવાદોમાં રાજકીય પ્રભાવ પણ એક સંવાદમાં વર્તાય છે, જ્યારે રામ યુદ્ધ માટે કૂચ કરતી વખતે અહંકારની છાતીમાં વિજયનો ‘ભગવો’ ધ્વજ ઉતારવાની વાત કરે છે. જો કે, મનોજે લોકોનો રોષ પ્રમાણ્યો છે ને દિગ્દર્શક ઓમ રાઉત સાથે મળીને સંવાદો બદલવાનું સ્વીકાર્યું છે.

આખી ફિલ્મમાં રામ-સીતાનાં વનવિહાર અને જળવિહારનાં દૃશ્યો સુંદર છે, પણ રામાયણની બહુ જ ઓછી વાતો અહીં આમેજ કરાઈ છે. જે આમેજ કરાઇ છે તેનું આધુનિકરણ એટલું વરવું છે કે તે રામાયણનો ભાગ હોવાનું લાગતું નથી. પહેલું દૃશ્ય રાવણનાં તપનું છે. રાવણ શિવ ભક્ત હતો, હિમાલયમાં શિવની આરાધના કરે છે, પણ પ્રગટ બ્રહ્મા થાય છે ને હિરણ્યકશ્યપુને આપેલું વરદાન (ન રાતે ન દિવસે, ન ઘરમાં ન બહાર મૃત્યુ થશે …) રાવણને આપે છે. એ પછી રામ તપ કરતા દેખાડાય છે. અહીં પણ કોઈ વિદેશી ફિલ્મમાંથી ઉઠાવાઈ હોય તેવી કોઈ ડાકણી સેનાનો સામનો કરવાનો રામને થાય છે. એ શું કામ થાય છે તે ફિલ્મ કથાકાર જાણે. ફિલ્મમાં ક્મ્પ્યુટરાઇઝ્ડ ચામચીડિયાં ને વિચિત્ર વાદળી પંખીઓ આક્રમણ કરતાં બતાવ્યાં છે એ જોતાં ટેક્નિકના નિરર્થક ઉપયોગનો સંતોષ જ લેવો પડે. એક દૃશ્યમાં રામ, સીતાને ઝાડ પરનાં ઝુલેથી ઉતારતા દેખાય છે, ત્યારે સીતાનો ગુલાબી પાલવ ઊડતો દેખાય છે, પણ કમાલ એ છે કે આટલા પવનમાં ઝાડનું એક પણ પાન હાલતું નથી.

રામકથાની વિશેષતા એ છે કે તે ક્રમબદ્ધ રીતે કહેવાય તો જ તેની અસર વર્તાય, પણ ‘આદિપુરુષ’માં ફ્લેશબેક ટેકનિક પણ કામમાં લેવાઈ છે. જેમ કે રામ વનમાં પહેલાં બતાવાય છે ને કૈકેયીની દશરથ પાસે બે વચનોની માંગણી – પછી બતાવાય છે. સીતા હરણ પહેલાં લક્ષ્મણ એક રેખા ખેંચે છે જેથી કોઈ દુરિત સીતા સુધી ન પહોંચી શકે. લક્ષ્મણ રેખાનું એ રીતે વિશિષ્ટ મહત્ત્વ છે. તેને બદલે ફિલ્મમાં અદૃશ્ય એવો ઈલેક્ટ્રિક પડદો રચવામાં આવ્યો, જેમાં પેલી રેખાનું મહત્ત્વ વિસરાઈ ગયું. પછી તો સીતાનું હરણ થાય છે. રામલક્ષ્મણ આવે છે ને જુએ છે કે સીતા કુટીરમાં નથી. આ વાત ફિલ્મમાં બદલાઈ. રાવણને આકાશમાર્ગે હરણ કરી જતો, નીચે સમાંતરે દોડી રહેલા રામલક્ષ્મણ જુએ છે. આ વેપલામાં વિરહી રામની વ્યાકુળતા પ્રગટ કરવાનો અવકાશ ન રહ્યો. જટાયુ વધ થાય છે, પણ તેનું ય મહત્ત્વ ફિલ્મમાં અપ્રગટ જ રહ્યું.

એ સાચું કે આખું રામાયણ ફિલ્મમાં બતાવવાનું મુશ્કેલ છે, પણ મહત્ત્વના પ્રસંગો સાંકળીને બે અઢી કલાકની ફિલ્મો થઈ જ છે. પહેલી ફિલ્મ 1917માં કદાચ ફાળકે એ કરેલી. એ પછી વિજય ભટ્ટે 1943માં ‘રામરાજ્ય’ બનાવેલી. તે જમાનાની એ રેકોર્ડ બ્રેક કમાણી કરનારી ફિલ્મ હતી. ગાંધીજીએ જોયેલી એ એક માત્ર ફિલ્મ હતી. એ પછી રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલે પણ દર્શકોમાં સારી અસર ઊભી કરેલી. ‘આદિપુરુષ’ 26 વર્ષે રામાયણ પર આવેલી થ્રી ડી ફિલ્મ છે, પણ તેણે ‘રામાયણ’નું ઓઠું જ લીધું છે ને ઘણી મનમાની કરી છે. તેનાં પર પ્રતિબંધ મૂકવાની દિલ્હી હાઇકોર્ટમાં અરજી પણ થઈ છે. જો કે, એ યોગ્ય નથી. ફિલ્મને ફિલ્મની રીતે જ જોવી-સમજવી જોઈએ. ગમે, તે જુએ ને ન ગમે, તે ન જુએ એટલું જ પૂરતું છે. તેને કાનૂની રીતે રોકવાનું ઠીક નથી.

ઓમ રાઉતે રામ નામના કોઈ પણ શૂરવીર માણસની ફિલ્મ કરી હોત તો કોઈ વાંધો ન હતો, પણ તેમણે રામકથાનો આધાર લઈને કથા સાથે ચેડાં કર્યાં છે તે બરાબર નથી. ‘સીતારામમ્‘ નામની ફિલ્મમાં નામ સિવાય રામસીતાની કોઈ વાત નથી, તો તેની સામે કોઈ વાંધો નથી, પણ ‘આદિપુરુષ’માં રામને નામે ઘણું વટાવાયું છે. ફિલ્મને અંતે પુષ્પક વિમાન લવાયું તો રાવણને યાંત્રિક ડ્રેગન પાળવાનું કેમ ગમ્યું હશે તે નથી સમજાતું. એ જોઈને ‘ગેમ ઓફ થ્રોન્સ’ યાદ આવે. આખી ફિલ્મમાં વાનર સેના, યુદ્ધ સૈનિકો વગેરે જોઈએ છીએ ત્યારે હેરી પોટર, લોર્ડ ઓફ ધ રિંગ્સ, બાલવીર જેવાના પડઘા અનુભવાયા કરે છે. રાવણ, ફિલ્મમાં પરાણે રાવણ થયો છે. તેનો લુક કોઈ અલાઉદ્દીન ખિલજી જેવો વધારે છે. તેની હેર સ્ટાઈલ આજના બ્યૂટી પાર્લરે આપી હોય તેવી છે. તે ટી-શર્ટ પહેરે છે કે સાપનો મસાજ લે છે તે જુગુપ્સાજનક લાગે છે. એક દૃશ્યમાં તો તે હથિયારો તપાવતો વેલ્ડર વધારે લાગે છે. વેલ્ડરો માસ્ક પહેરે તેવું તે પહેરતો દેખાયો છે. તેની લંકા પણ લોર્ડ ઓફ ધ રિંગ્સની મોરડોર-કાળી લંકા તો ઓમ રાઉત જ બતાવી શકે. એમને ખબર છે કે લંકા સોનાની હતી? એ ખબર છે કે લંકા પર કુબેરનું શાસન હતું ને તે સંપત્તિનો દેવ છે? તે લંકાને કોલસાની ન થવા દે. કોણ જાણે કેમ પણ આખી ફિલ્મ ડાર્ક મોડ પર જ ચાલે છે. દિવસનું અજવાળું ને કુદરતી આકાશ અહીં લગભગ ગેરહાજર છે.

દશાનનનાં દસ માથાં એક લાઇનમાં જોવા કલ્પવાનું જ દરેક ભાવકને ગમે, તેને બદલે માથાં પાંચ આગળ ને પાંચ પાછળ કર્યાં. બબ્બે રાખ્યાં હોત તો એકની પાછળ એક એમ પાંચનું સરઘસ નીકળ્યું હોત. સારું છે કે એવું ન કર્યું. આમ તો, આવું બધું બતાવવા પાછળનો કોઈ બુદ્ધિપૂર્વકનો તર્ક નથી. રાવણ તરીકે સૈફ અલી ખાન બહુ પ્રયત્નો કરે છે, પણ તે રાવણની પ્રતિભા પ્રગટ કરવાને બદલે સાધારણ વિલનથી આગળ જઇ શકતો નથી. બાકીના બધાં જ પાત્રો નિર્જીવ છે. રામ તરીકે પ્રભાસે 120 કરોડ લીધા, પણ રામનો આભાસ પણ ઊભો ના થઈ શક્યો. કોઈ પાત્રને એક્સપ્રેશન્સ જ નથી એટલે પ્રેક્ષકો પાત્રો સાથે જોડાતાં નથી. સાચું તો એ છે કે રામ કે સીતા કે હનુમાનને ચહેરે કોઈ ચૈતસિક આભા જ પ્રગટતી નથી ને રામ જાણે જીવ વગર જ સીતા શોધમાં જોડાતાં હોય એવું લાગે છે. હનુમાનને દાઢી આપી, પહેલવાનનો લુક આપ્યો. લેધર ડ્રેસ ને મોઢામાં પાન ઠૂંસ્યુ હોય તેમ ગાલ ફુલાવ્યા, પણ ચહેરા પર રામ ભક્તિ ન જણાઈ. ક્રિતિ સેનનનું સીતા તરીકે સૌંદર્ય તો પ્રગટ્યું, પણ આભિજાત્ય અપ્રગટ જ રહ્યું. લક્ષ્મણ તો સાધારણથી ય વધુ સાધારણ છે.

એમ લાગે છે કે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, લેખકે વિષય સંદર્ભે  કોઈ સંશોધન કે ચિંતન ખાસ કર્યું જ નથી ને પ્રેક્ષકોને બહુ હળવાશથી લીધા છે. તેમને એવો વહેમ છે કે રામને નામે કૈં પણ બતાવીશું તો લોકો પૈસા ખર્ચીને હોંશે હોંશે મૂરખ બનવા આવશે. હનુમાનજીને નામે એક સીટ ખાલી રાખનારાઓ એ નથી જાણતા કે લોકો ધારે તો આખું થિયેટર જ ખાલી રાખી શકે એમ છે. દુ:ખ એ વાતનું છે કે 600 કરોડ ખર્ચવા છતાં આખા ફિલ્મ યુનિટે ક્યાં ય મગજ ખર્ચ્યું નથી, એટલે બધું જ ‘રામ નામ સત્ય’ થઈને જ રહ્યું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જૂન 2023

Loading

...102030...1,0631,0641,0651,066...1,0701,0801,090...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved