Opinion Magazine
Number of visits: 9667299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અચાનક બીજે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2023

રમેશ ઓઝા

૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી પછી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સાથે ગેમ કરવામાં આવી હતી એ કદાચ યાદ હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં તો બીજાં અનેક ઉદાહરણ છે જેમાં ભારતીય જનતા પક્ષે જે ખભાઓનો ઉપર ચડવા માટે ઉપયોગ કર્યો હતો તેની સાથે જ દગો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી બી.જે.પી.ને એમ લાગવા માંડ્યું હતું કે હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જરૂર નથી. કાઁગ્રેસે જેમ વગર ટેકે એકલે હાથે ચાર દાયકા કરતાં વધુ સમય રાજ કર્યું હતું એમ આપણે પણ કરી શકીશું. બી.જે.પી.એ એન.ડી.એ.નું વિસર્જન નહોતું કર્યું, પણ તેને કદ પ્રમાણે વેતરવાનું શરૂ કર્યું હતું. બિહારમાં ચિરાગ પાસવાન તો ઠીક નીતીશકુમારને પણ વેતરી નાખ્યા હતા. નીતીશે કુમારે પલટી મારી એનું કારણ તેમનું અને તેમના પક્ષનું અસ્તિત્વ જ દાવ પર હતું એ છે. એવું જ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બન્યું હતું અને સેનાએ પોતાનું અસ્તિત્વ બચાવવા છેડો ફાડ્યો હતો. આવું જ પંજાબમાં અકાલી દલ સાથે બન્યું હતું. તમે એ પણ નોંધ્યું હશે કે બી.જે.પી.એ ૨૦૧૯ પછીથી એન.ડી.એ.ની કોઓર્ડીનેશન કમિટીની એક પણ બેઠક નથી બોલાવી.

હવે અચાનક બી.જે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને દિલ્હીમાં ૩૮ પક્ષોની એક બેઠક બોલાવી અને એ પણ એ જ દિવસે જે દિવસે બેંગલોરમાં ૨૬ વિરોધ પક્ષોની બેઠક થવાની હતી. એન.ડી.એ.ની બેઠકમાં હાજર રહેલા ૩૮ પક્ષોની યાદી પર એક નજર કરવા જેવી છે. ૩૮માંથી ૩૦ પક્ષો એવા છે જેનાં તમે ક્યારે ય નામ પણ નહીં સાંભળ્યા હોય અને કેટલાક તો ક્યારે ય એન.ડી.એ.માં નહોતા. એન.ડી.એ.ના અઢી દાયકા જૂના ઘટક પક્ષોમાંથી મોટાભાગના પક્ષો દગાખોરીથી બચવા અથવા દગાખોરીનાં કારણે જતા રહ્યા છે.

એવી શું જરૂર પડી કે અચાનક એન.ડી.એ.ની યાદ આવી?

એક કારણ તો એ છે કે બી.જે.પી. એમ બતાવવા માગે છે કે તે દેશમાં અછૂત નથી. દેશમાં એવા અનેક પક્ષો છે જે અમારી સાથે ચાલવા તૈયાર છે. તમે જોયું હશે કે બી.જે.પી.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંખ્યા બતાવી હતી; જુઓ તેઓ ૨૬ છે અને અમે ૩૮.

બીજું કારણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છે અને વિરોધ પક્ષો સંયુક્ત મોરચો રચીને બી.જે.પી.ના એક ઉમેદવારની સામે એક ઉમેદવાર ઊતારવાની તૈયારી કરી રહ્યા છે. બી.જે.પી.ને ખબર છે કે કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તેનો ગજ વાગવાનો નથી. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં ત્યાં પણ બહુ સફળતા મળે એમ નથી. આ રાજ્યોની કુલ બેઠક ૧૩૦ થાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ખાસ કોઈ સફળતા મળે એમ નથી અને પશ્ચિમ બંગાળની પંચાયતોની ચૂંટણીનાં ગયા અઠવાડિયે આવેલાં પરિણામોએ આ બતાવી આપ્યું છે. પશ્ચિમ બંગાળ લોકસભાની ૪૨ બેઠકો ધરાવે છે. આમ લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૫૦ બેઠકો બી.જે.પી.ને મળે એમ નથી. એ પછી છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એવાં રાજ્યો છે જ્યાં બી.જે.પી. સામે કાઁગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ નથી. ટૂંકમાં બી.જે.પી. સામે કાઁગ્રેસની સીધી લડાઈ થવાની છે અને આ રાજ્યોની કુલ બેઠકો છે; ૧૦૦. અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો કાઁગ્રેસના મત તોડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પણ મદમાં આવીને આપ સાથે સંબંધ બગાડ્યા એટલે એ હવે ખેલ બગાડવા કાઁગ્રેસ સામે મેદાનમાં ઉતરવાની નથી. આમ લોકસભાની ૨૭૨ બેઠકો એવી છે જ્યાં કાં તો બી.જે.પી.નો ગજ ટૂંકો પડે છે અથવા કાઁગ્રેસ સામે સીધો મુકાબલો થવાનો છે.

રહી ૨૭૧ બેઠકો જેમાં ૨૬ વિરોધ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે કે બી.જે.પી.ના એક ઉમેદવાર સામે વિરોધ પક્ષોના એક ઉમેદવારને ઊભો રાખવામાં આવે. એમાં કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત બી.જે.પી.નો ગઢ છે અને તેની બેઠકસંખ્યા ૧૧૧ છે. ઉત્તર પ્રદેશમાં કાઁગ્રેસ નબળી છે અને સમાજવાદી પક્ષ સામે માયાવતીનો બહુજન સમાજ પક્ષ છે જે વિરોધ પક્ષના મોરચામાં સામેલ થવા તૈયાર નથી. એક તો ઉત્તર પ્રદેશમાં બી.જે.પી. મજબૂત છે અને ઉપરથી માયાવતી મત તોડશે, એટલે ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. વળી ઉત્તર પ્રદેશની બેઠકો કોઈ ઓછી નથી ૮૦ છે. માયાવતીની જેમ ઓડીશામાં નવીન પટનાયક પણ કોઈ મોરચામાં જોડાયા નથી એટલે ત્યાં પણ ત્રિપાંખિયો જંગ થવાનો છે અને ઓડીશાનો બેઠકસંખ્યા ૨૧ છે.

જો વિરોધ પક્ષો સંગઠિત થાય અને એક સામે એકનો મુકાબલો થાય તો તે બી.જે.પી. માટે ચિંતાનો વિષય તો બને જ. માટે શરદ પવારના પક્ષમાં ફૂટ પાડવામાં આવી. માટે એન.ડી.એ. નામના મૃતપ્રાય મોરચાને ફરી જીવતો કરવામાં આવ્યો છે. એમાં જે પક્ષો છે એ ફૂટકળિયા છે, પણ તેનું કામ વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવારના મત તોડવાનું હશે. આને માટે પૈસા તો બી.જે.પી. પૂરા પાડશે.

વિરોધ પક્ષો સંગઠિત થશે ખરા? અને થશે તો એકતા ટકી શકશે ખરી? વિપક્ષી એકતાના અત્યાર સુધીના પ્રયાસોનો ઇતિહાસ જોતા ભરોસો બેસતો નથી, પરંતુ એ સાથે જ બી.જે.પી.ની દાદાગીરીનો વર્તમાન જોતા એ સંભવ પણ લાગે છે. બી.જે.પી.નો ઈરાદો તુર્કીની જેમ એકપક્ષીય શાસન લાદવાનો છે અને વિરોધ પક્ષો સામે અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સિવાય પ્રાદેશિક અસ્મિતા અને સમવાય ભારત સામે પણ અસ્તિત્વના પ્રશ્નો પેદા થયા છે. સોમવાર અને મંગળવારે બેંગલોરમાં મળેલી વિરોધ પક્ષોની બેઠકમાં સંગઠિત મુકાબલો કરવાની જે ગંભીરતા જોવા મળી એ જોતાં એમ લાગે છે કે એક સામે એક ઉમેદવાર ઊભો રાખવામાં સરેરાશ ૯૦ ટકા સફળતા મળશે. એન.ડી.એ.ના ફૂટકળિયા પક્ષો ઝાઝું નુકસાન નહીં પહોંચાડી શકે.

બી.જે.પી.ની ચિંતાનું ત્રીજું કારણ રાષ્ટ્રીય રાજકારણમાં કાઁગ્રેસે પુન:પ્રાપ્ત કરેલું સ્થાન છે. ૨૦૧૯માં કાઁગ્રેસને બોજારૂપ ગણવામાં આવતી હતી જેનો અત્યારે વિપક્ષી એકતાના એન્જીન તરીકે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની ઈમેજમાં પણ સુધારો થયો છે.

બી.જે.પી.ની ચિંતાનું ચોથું અને મોટું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. દૂરનું વિચારવાની ક્ષમતા ધરાવનારા બુદ્ધિશાળી અને સંવેદનશીલ નાગરિકોએ બંધારણમાં આલેખાયેલા ભારતને બચાવી લેવાનો સંકલ્પ કર્યો છે અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી તેમના માટે છેલ્લી તક છે. કર્ણાટકમાં નાગરિક સમાજ ઉતર્યો હતો અને હવે પછીની ચૂંટણીઓમાં ઉતરવાનો છે. અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પહેલી અને બીજી જુલાઈએ મહારાષ્ટ્રના નાગરિક સમાજની એક બેઠક જળગાંવમાં મળી હતી જેમાં ૮૦૦ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેમાં અડધા કરતાં વધુ યુવક-યુવતી હતાં. તેમની સક્રિયતા, મૌલિકતા અને ઉપરથી નિસ્વાર્થપણું ગ્રાઉન્ડ ઉપર ફરક પાડી શકે છે જેમ કર્ણાટકમાં બન્યું હતું. નાગરિક સમાજ મત તોડનારા ફૂટકળિયા પક્ષો અને અપક્ષ ઉમેદવારોને નિરસ્ત કરી શકે એમ છે. કર્ણાટકમાં આ પણ જોવા મળ્યું હતું.

હા, પુલવામાં જેવી ઘટના બને તો વાત જુદી છે. પણ આવું વારંવાર દરેક ચૂંટણી વખતે બને?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2023

Loading

ગુફ્તેગો એક માણસ સાથે ..

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|19 July 2023

૧૯૯૩ની ઉનાળાની એક બપોરે ગુણવંત શાહ, અવંતિકાબહેન સાથે, એરિઝોનાથી રોચેસ્ટર અશોકભાઈના ઘેર આવ્યા. તેમની સાથે ફોન ઉપર વાતચીત થતાં મેં તેમને કહ્યુંઃ ‘તમારા પ્રથમ પુસ્તક કાર્ડિયોગ્રામથી લઈ ઢાઈ અક્ષર પ્રેમ કા સુઘીનાં તમામ પુસ્તકો મેં વાંચ્યાં છે.”

ઢાઈ અક્ષર પ્રેમ કા તેઓ અમેરિકા આવ્યા તેના બેચાર અઠવાડિયા પહેલાં જ પ્રગટ થયેલું. તે પુસ્તક અમેરિકામાં મારી પાસે છે એવું જાણીને તેઓ ભાવભીના થઇ ગયેલા.

સાંજે પ્રવચનમાં અશોકભાઈએ ગુણવંત શાહનો પરિચય આપતાં કહ્યું કે, ‘ગઈ કાલ સુઘી હું ગુણવંતભાઈ અને તેમનાં પુસ્તકોથી સાવ અપરિચિત હતો. મારું સદ્ભાગ્ય કે મારા મિત્ર પ્રીતમે તેમનાં પુસ્તકોનો પરિચય કરાવ્યો.” અશોક્ભાઈ તેમનું વાકય પૂરું કરે તે પહેલાં જ ગુણવંતભાઈએ, તેમને અઘવચ્ચે અટકાવીને કહ્યું કે, ‘જો પ્રીતમભાઈ અત્યારે અહીં આવ્યા હોય તો તમે તેમને ઊભા કરો. મારે આ ક્ષણે તેમને મળવું છે.” તેમના સૂચનને માન આપી અશોક્ભાઈએ મને ઊભો કર્યો. ગુણવંતભાઈ જાણે વરસોથી ઓળખતા હોય તેમ ભેટી પડ્યા. તે ક્ષણે મેં તેમની સોનેરી ફ્રેમનાં ચશ્માં પાછળની નેહનીતરતી આંખમાં વાચકો પ્રત્યે પ્રેમની છાલક જોઈ તે આજ લગી ભૂલાઈ નથી.

એમનું વ્યાખ્યાન પૂરું થયા પછી મેં તેમને મારે ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. એનો સહજ સ્વીકાર કરતાં ગુણવંતભાઈએ મને કહ્યું, ‘સવારે આઠ વાગ્યે, નાયગરા જતાં હું તમારે ઘેર થઈને જઈશ.” સવારના લગભગ સાત વાગ્યે, હજુ તો હું નિદ્રામાં હતો ત્યાં અશોક્ભાઈનો ફોન આવ્યો કે ગુણવંતભાઈની સાથે તે પોણા કલાકમાં મારે ઘેર પહોંચે છે. ઘડીભર મને માન્યામાં ન આવ્યું કે ભારતથી આવતા ગુજરાતી સર્જકને મન સમયનું આટલું મૂલ્ય હશે! બરાબર આઠને ટકોરે મેં બન્નેને બારણે ઊભેલા જોયા.

૧૯૯૪માં એમણે મનોમન વિચાર કરી લીઘેલો કે તેમને મળનાર પુરસ્કારનો અંગત ઉપયોગ કરવાને બદલે તે પૂરેપૂરો સર્વોદય પરિવાર ટ્ર્સ્ટને આપી દેશે! અમેરિકાના પ્રવાસમાં તેમનાં પ્રવચનોનો પુરસ્કાર, બઘો ખર્ચ બાદ કરતાં, લગભગ બે હજાર ડૉલર થતો હતો. આટલી મોટી રકમ વિશે ઝાઝો વિચાર કર્યા વિના એમણે અમને કહી દીઘું કેઃ “એ રકમ ભારતમાં, સર્વોદય ટ્ર્સ્ટ પરિવારને તમે ચેક દ્વારા મોકલી આપો.”

અમે એમને થોડીક રકમ પરિવારને માટે રાખવા ઘણું સમજાવ્યા પણ તેમનો સંકલ્પ અફર રહ્યો. તેમણે મને કહ્યું કે, ‘આ તો ફકત સિતેર હજાર રૂપિયાની વાત છે, પણ તેની જગ્યાએ સિત્તેર લાખ હોય તો પણ મારે સર્વોદય ટ્ર્સ્ટને જ એ રકમ આપી દેવી જોઈએ.”

ગુણવંતભાઈ લગાતાર બે વર્ષ રોચેસ્ટર આવેલા. તે દરમિયાન, થોડો સમય તેમની સંગત માટે મળેલો. એમના અંગત-બિનઅંગત જાણ્યા પછી હું ચોક્ક્સ કહી શકું કે તેમનું જીવન ખુલ્લી કિતાબ સમું છે.  ગુણવંતભાઈ વ્યાખ્યાનમાં આવતાં પહેલાં બ્રશ, દાઢી, સ્નાન પતાવી સુઘડ સ્વચ્છ ખાદીનો ઝભ્ભોલેંઘો પહેરી ઘ્યાનમાં બેસે અને પૂરા સજ્જ થઈ, સમયસર વ્યાખ્યાનમાં આવી પોતાની પાસે જેટલું જ્ઞાન હોય તે ઠાલવીને જાતને હળવીફૂલ કરી નાખે. ઘણી વાર પ્રથમ નજરે સામેવાળી વ્યક્તિને ગુણવંતભાઈ અભિમાની હોય એવું લાગે પણ નજીક જવાની તક મળે તો લાગે કે પ્રેમની કેવી સરવાણી તેમનામાં વહે છે! એમનામાં કયારેક અઘીરાઈ જોવા મળે. આને કારણે સાવ નાની સરખી બાબતમાં ગુસ્સે થઈ જાય છે.

એક સાંજે ડૉકટર મિત્ર અશોક શાહે કવિમિત્ર ચંદ્રકાન્ત શાહને ફોન કરી જણાવ્યું કે આપણી વાત મુજબ અમુક દિવસે ગુણવંતભાઈ બોસ્ટન આવશે. ચંદ્રકાન્તે અશોકભાઈને કહ્યુંઃ ‘એ દિવસ કદાચ મને નહીં ફાવે, પરંતુ બેએક અઠવાડિયા પછી આવે તો કાર્યક્રમ માટે પૂરતી તૈયારી થઈ શકે. ‘ફોન પરની વાતચીતનો સાર અશોક્ભાઈએ ગુણવંતભાઈને આપ્યો. ગુણવંતભાઈ તેનાથી ગુસ્સે થયા. એમને શાન્ત પાડવા મેં તેમને ચંદ્રકાન્તની પરિસ્થિતિની વાત કરી એમનો ગુસ્સો શમી ગયા પછી, મનોમન પસ્તાવા સાથે એમણે કહ્યુંઃ ‘ચંદ્રકન્ત બોસ્ટનમાં કાર્યક્રમ ગોઠવી ન શકે તો કંઈ વાંઘો નથી.”

ગુણવંતભાઈને મન વ્યાખ્યાન એ સાઘના છે. આ સાઘનામાં તેઓ જરા પણ ખલેલ સહન ન કરી શકે. મારા ખાસ મિત્ર ડૉ. રાજેશ મહેતા, ગુણવંતભાઈના વ્યાખ્યાનમાં તેમની બે વર્ષની દીકરી પ્રાચી સાથે આવેલા. બાળકોને ભલા વ્યાખ્યાન સાથે શી લેવાદેવા! વ્યાખ્યાનમાં બેઠેલા સહુ કોઈનું ઘ્યાન તેની ઉપર પડે એ રીતે નિર્દોષ આનંદમાં બાળકી લીન હતી. પરંતુ તેનું રમતિયાળપણું વ્યાખ્યાનને બાઘક થતું ભાળીને ગુણવંતભાઈએ, રાજેશભાઈને ખૂબ નમ્રતાથી કહ્યું કે તેઓ બાળકને બહાર લઈ જાય તો સારું.

રાજેશભાઈ પ્રાચીને લઈ ઘેર ચાલ્યા ગયા. વ્યાખ્યાન બાદ ગુણવંતભાઈ, રાજેશભાઈ અને સંગીતાબહેનને વ્યાખ્યાનમાંથી અધવચ ઘેર જવું પડ્યું તે કારણે દુઃખી જણાતા હતા. મેં ગુણવંતભાઈને ચિંતા ન કરવાનું કહીને જણાવ્યું કે રાજેશભાઈ મારા અંગત મિત્ર છે અને બહુ સમજદાર વ્યક્તિ છે. તેમને આ બાબતમાં જરા ય ખોટું નહીં લાગ્યું હોય. આટલા શબ્દોએ તેમને કેટલું આશ્વાસન, કેટલી નિરાંત આપી હશે એ હું નથી જાણતો, પણ ગુણવંતભાઈનું આ રીતે ફરી સ્મરણ કર્યાનો આનંદ અવશ્ય છે.

અમેરિકા આવતા કેટલાક ગુજરાતી સાહિત્યકારોને સંસ્કૃતિ કે સાહિત્ય સાથે બહુ ઓછી લેવાદેવા હોય છે. આ વાત ગુણવંતભાઈને લાગુ પડતી નથી. એ જુદી માટીના માણસ લાગે છે. અમેરિકાના પ્રવાસ કે ડોલર કરતાં તેમને રસ પડે છે, યંત્રયુગમાં એક માણસથી દૂર થઇ ગયેલા બીજા માણસને નજીક લાવીને તેમનાં હ્રદયમાં પ્રેમતીર્થ ઊભાં કરવામાં! એમની ઈમાનદારી અને સચ્ચાઈ એમના વ્યવહારમાં પ્રગટ થાય છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

શું થશે ?

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|19 July 2023

‘સોમવારે સાતમના દિવસે,

હાજર થઈ જવાનું,

સાતમનું મૂહૂર્ત છે’,

મોટા સાહેબની સૂચના, 

સાંભળીને, 

રાજી-રાજી થઈ ગયો,

નવ દિવસની દિવાળીની રજા,

આ..હા..હા…!!!,

પણ ક્ષણમાં જ,

ખુશીના વાદળ,

વિખેરાઈ ગયા,

એ વિચારે,

જો, હું ક્યાંક ફરવા જઈશ,

તો,

મારી પ્રાણ પ્યારી,

ખુરશી સાથેના પ્રણય,

સંવાદની સાક્ષી,

ચાર દિવાલનું,

શું થશે….!!!!

e.mail : addave68@gmail.com

Loading

...102030...1,0631,0641,0651,066...1,0701,0801,090...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved