Opinion Magazine
Number of visits: 9667403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શુક્લસાહેબ 

s, સુરેન્દ્ર ભીમાણી|Opinion - Photo Stories, Opinion - Short Stories|25 July 2023

માતુશ્રી દયાગૌરી તુલસીદાસ શાળાના અગિયારમા ધોરણમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી અને ઇતિહાસના શિક્ષક કેશવલાલ શુક્લ આજે પણ વર્ગ પૂરો થયા પછી એ જ ઉત્સાહથી વિદ્યાર્થીઓ સાથે લોબીમાં વાત કરી રહ્યા હતા.

ત્યાંથી પસાર થતા પ્રિન્સિપાલ સાહેબે એમની તરફ જોઈને સ્મિત કર્યું, અને વિદ્યાર્થીઓ સાથેની વાત પૂરી થતાં એમને મળી જવાનું કહ્યું.

પ્રિન્સિપાલની ઓફિસમાં શુક્લસાહેબ હસતે ચહેરે દાખલ થયા. એમની રાહ જોઈને બેઠેલા પ્રિન્સિપાલ સાહેબે એમને કહ્યું, “ગઈ કાલની ટ્રસ્ટીઓની મીટિંગમાં તમારી અહીંની લાંબી કારકિર્દીનો ઉલ્લેખ માનભેર થયો હતો.”

સાંભળીને શુક્લસાહેબ ખુશ થયા અને સ્વગત બોલતા હોય તેમ કહેવા માંડ્યું, “મારું જીવન જ આ શાળાને હું સમર્પિત કરી ચૂક્યો છું, અને હજી મારાં બાકીનાં વર્ષો પણ એ જ રીતે પસાર કરવાની મારી નેમ છે.”

એમને આગળ બોલતા અટકાવીને પ્રિન્સિપાલ સાહેબે એક પરબીડિયું એમને આપ્યું અને કહ્યું, “ગઈ કાલની મીટિંગમાં તમારે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ દસ્તાવેજ પર સહી કરીને કાલે મને આપી દેજો તો હું તે ટ્રસ્ટીઓને પહોંચતો કરીશ.

શુક્લસાહેબે ઉત્સાહપૂર્વક કહ્યું, “હા, એ તો વર્ષોવર્ષ થાય છે તેમ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો દસ્તાવેજ જ છે ને? સહી કરીને હું લેતો આવીશ, અને હા, મારા કામની કદર કરીને મારી નોકરી ચાલુ રહેવા દેવા બદલ ટ્રસ્ટીઓનો ઘણો આભાર. મારા વતી જરૂરથી એમને કહેજો. મેં આ ચાળીસ વર્ષોમાં વિદ્યાર્થીઓની કેટલી પેઢી ભણાવી છે તેનો તો તમને ખ્યાલ હશે જ. અને બંદા તો હજીયે તૈયાર જ છે.”

શુક્લસાહેબ એમની ધૂનમાં હજી આગળ બોલવા જતા હતા, ત્યાં એમને અટકાવીને પ્રિન્સિપાલ સાહેબે કહ્યું, “કેશવલાલ, જરા પરબીડિયું ખોલીને ટ્રસ્ટીઓનો કાગળ હમણાં જ વાંચી લો ને. આ … … કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો દસ્તાવેજ નથી.”

પણ શુક્લસાહેબના ઉત્સાહનો કેફ હજી ઊતર્યો નહોતો. એમને વધારે ભ્રમમાં ન રાખતાં પ્રિન્સિપાલ સાહેબે ચોખવટ કરી : “કેશવલાલ, જુઓ. તમે ઘણાં વર્ષો આ શાળાને તમારી સેવા આપી. ટ્રસ્ટીઓ એની કદર તો કરે છે જ, પણ સાથે એમણે એવું પણ નક્કી કર્યું છે કે તમારી જગ્યાએ હવે કોઈ યુવાન વ્યક્તિને લેવી. નવી આવતી પેઢીઓ માટે હવે નવા લોહીની જરૂર છે.”

આ સાંભળીને ચોંકી ગયેલા શુક્લસાહેબે પરબીડિયું ખોલીને કાગળ કાઢ્યો અને વાંચ્યો. વાંચતાં જ મોં વીલું થઈ ગયું. કાંઈ કહેવાના હોશ ન રહ્યા. ત્યાં પ્રિન્સિપાલ સાહેબે સાંત્વન આપતાં કહ્યું, “તમારી આટલી લાંબી સેવા નકામી નથી ગઈ. આ દસ્તાવેજમાં છે તે મુજબ તમને સારું એવું પેન્શન મળશે અને તમારા રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, જેમાં તમારે કુલ ભાડાનો મામૂલી ભાગ જ આપવાનો રહેશે. હમણાંની ટર્મ પૂરી થતાં તમારી અહીંની કારકિર્દી પણ પૂરી થશે.”

પ્રિન્સિપાલની ઓફિસમાં ઉત્સાહભેર આવેલા શુક્લસાહેબ દસ્તાવેજ પર સહી કરીને ઉદાસ ચહેરે ત્યાંથી નીકળ્યા. તેઓ અવિવાહીત હતા, અને શાળાની નજીકના, ટ્રસ્ટીઓએ આપેલા ક્વાર્ટરમાં રહેતા હતા. રસોઈ અને ઘરકામ માટે એમને ત્યાં રમાબહેન હતાં. ઘરે આવ્યા તો એમની રાહ જોઈને બેઠેલાં રમાબહેને કહ્યું, “સાહેબ, થાળી તૈયાર કરીને ક્યારની ઢાંકી રાખી છે. ગરમ કરું ને? ખાવા બેસો છો ને?” રમાબહેનની સામે જોયા વગર સાહેબે કહ્યું, “ના, આજે મને ભૂખ નથી. હું જમીશ નહીં.”

રમાબહેન ગયાં એટલે કેશવલાલ એમની ટેબલ પાસેની ખુરશી પર બેઠા અને વિચારમાં ગરકાવ થઈ ગયા. વર્ગની ચાર દીવાલો અને તેમાંના વિદ્યાર્થીઓ જ જેમનું જીવન હતા એવા કેશવલાલ ક્યાં ય સુધી સૂનમૂન બેસી રહ્યા. આ રીતે અચાનક નોકરી ગયાનો આંચકો જીરવવો એમના માટે બહુ કપરું કામ હતું.

કદિ ન અનુભવેલો ઘોર નિરાશાનો ભાવ એમને ઘેરી વળ્યો. એક જ વિચાર એમને આવતો રહ્યો કે શાળાને અર્પેલાં એમનાં બધાં વર્ષો નકામા ગયા છે, અને એમનું જીવન કોઈના કામમાં આવ્યું નથી.

નિરાશા સામે સારી એવી વાર ઝઝૂમ્યા પછી છેવટે એમણે ટેબલનું ખાનું ખોલ્યું. ખાનાના એક ખૂણે, બધાથી છાની રીતે આણી રાખેલી પિસ્તોલ કાઢી અને પોતાના લમણા પાસે ધરી. પિસ્તોલ થોડીક વાર એમ જ રાખી અને ઘોડો દબાવ્યો નહીં. ત્યાર બાદ પિસ્તોલ ખિસ્સામાં રાખીને બહાર કમ્પાઉન્ડમાં ગયા. ત્યાર સુધીમાં રાત પડી ગઈ હતી.

કેશવલાલ ફરતા ફરતા એક બાંકડા પર બેઠા. ત્યાં સામે કેટલાંક પૂતળાં હતાં, અને દરેકની નીચે કેટલીક જીવનપ્રેરક કાવ્યકંડિકાઓ કોતરેલી હતી. બાંકડા પર થોડી વાર બેઠા અને વ્યગ્રતા કાંઈક શમી. ઉપરાંત, ત્યાં કોતરેલી કાવ્યકંડિકાઓએ પણ એમના મનમાં કશોક પ્રકાશ પાડ્યો હોય એવું લાગ્યું. પણ પેલો મૂંઝારો અને નિરાશા સાવ ગયા નહોતા.

કેશવલાલ ફરી શાળાના મકાનમાં આવ્યા અને એમના વર્ગમાં ગયા. એમની ખુરશી પર બેસીને ફરી કાંઈક વિચારવા લાગ્યા. ત્યાં તો કૌતુક થયું. વર્ગમાંના ખાલી બાંકડા પર ધીમે ધીમે કરીને એક પછી એક વિદ્યાર્થીઓ બેઠેલા દેખાવા માંડ્યા. કૌતુક ખાસ તો એ વાતનું હતું કે આ બધા ય વિદ્યાર્થીઓ દાયકાઓ પહેલાં એમના હાથ નીચે ભણી ગયા હતા, અને એ બધા ય દિવંગત હતા.

કેશવલાલનું આ આશ્ચર્ય હજી શમ્યું ન શમ્યું ત્યાં તો એક પછી એક વિદ્યાર્થીઓએ ઊભા થઈને એમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. એકે કહ્યું, “સાહેબ હું નરહરિ પંડ્યા. તમારું શીખવેલું કાવ્ય ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’ હજી ય મારા કાનમાં ગૂંજે છે, અને તેને મારો જીવનમંત્ર બનાવી માનવસેવાના કામમાં જ મેં મારું જીવન વિતાવ્યું. ‘માનવસંઘ પરિવાર’ની સ્થાપના કરી. આજે એ ફૂલ્યું-ફાલ્યું છે, અને માનવસેવાના કાર્યમાં પ્રવૃત્ત છે. આ તમારા શિક્ષણનું જ પરિણામ છે.”

બીજા વિદ્યાર્થીએ કહ્યું, “સાહેબ, હું સુરેશ ધાનક. ઇતિહાસના શિક્ષકો તો ઘણા ય છે, પણ તમારી પાસેથી જે રીતે પ્રેરણા પામતાં ઇતિહાસના પાઠો ભણ્યા, અને સમ્રાટ અશોક અને રાજા રામમોહન રાય સરખા મહાન પુરુષોનો પરિચય તમે જે રીતે કરાવ્યો તે મારા મનમાં સોંસરવો ઊતરી ગયો, અને તેમને મારા પ્રેરણાસ્રોત બનાવીને મેં મારા જીવનનો માર્ગ કંડાર્યો. ‘મહાત્મા ગાંધી પ્રેરણાગ્રામ’થી તો આપણે સૌ પરિચિત છીએ જ. તમારા આશીર્વાદથી મેં તે શરૂ કર્યું, અને મારા પછીના સેવકો આજે તે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.”

“સાહેબ, હું નવનીત પાઠક. તમે શીખવેલું ગુજરાતી વ્યાકરણ મેં આત્મસાત કર્યું, મારો ભાષાનો પ્રેમ પાંગર્યો, અને મેં શરૂ કરેલું ભરૂચનું ‘નૂતન આદર્શ વિદ્યાલય’ આજે ગુજરાતીના અભ્યાસ માટે પંકાઈ ગયું છે તે તમારા શિક્ષણ અને મૂક આશિષનું જ પરિણામ છે.”

“સાહેબ, હું દેવેન્દ્ર મજીઠિયા …”  “હું આનંદ લોઢા …”  “હું વિનય દેસાઈ …” અને એમ એક પછી એક વિદ્યાર્થીઓએ શુક્લસાહેબના શિક્ષણનાં સિંચનથી એમનું જીવન કેવું પ્રેરિત થયું હતું એની વાતો કરી.

વિદ્યાર્થીઓનાં આ વક્તવ્યો પૂરા થયાં, તેઓ સંતોષપૂર્ણ સ્મિત સાથે બાંકડા પર બેઠા, અને ધીમે ધીમે કરીને અદૃશ્ય થયા. વર્ગ પાછો હતો એવો ને એવો ખાલી થયો.

સાનંદાશ્ચર્યના ભાવ સાથે શુક્લસાહેબ ત્યાંથી ઊઠ્યા, એમના ઘરે પાછા આવ્યા અને રમાબહેનને કહ્યું, “મારું ભાણું ગરમ કરજો, હોં. હું જમવા આવું છું.”

e.maill : surendrabhimani@gmail.com

Loading

નયનને બંઘ રાખીને, મે તમને જોયાં છે : મનહર ઉઘાસ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|25 July 2023

કલ્યાણજીભાઈ તો એક ઉમદા વ્યક્તિ હતા. તેમણે ફિલ્મ સંગીતમાં હંમેશાં નવા યુવાન ચહેરાઓને તક આપી છે. સંગીત કલાનું ક્ષેત્ર ખેડવા માટે યુવાન પેઢીને તૈયાર કરવામાં મનથી એમને બહુ જ આનંદ થતો હતો. કલાના હીરા પારખુ ઝવેરી કલ્યાણજીભાઈને પ્રથમ મુલાકાતમાં જ યુવાન મનહરભાઈના સ્વરમાં મૂકેશજીના કંઠના આબેહૂબ દર્શન થયાં. તેમને મનહરભાઈના કંઠમાં ભરપૂર શ્રદ્ઘા હતી. આ નવોદિત યુવાન કલાકારને બસ ફકત એક જ સોનેરી તક મળવાની જરૂર છે. કલ્યાણજીભાઈની આ વાત ઈશ્વરને પણ મંજૂર હશે! કલ્યાણજીભાઈ મૂકેશજીની પાસે ફિલ્મ “વિશ્વાસ”નું ગીત “આપસે હમકો બિછડે હુએ, એક જમાના બીત ગયા”નું રેકોંર્ડિગ કરાવવા ઈચ્છતા  હતા. ગીતનું જે દિવસે રેકોર્ડિંગ કરવાના હતા તે સવારે મૂકેશજીની તબિયત જરા ઠીક ન હતી. કલ્યાણજીભાઈએ આ ગીતની સંપૂર્ણ તૈયારી કરી લીઘી હતી. તેમના મનમાં વસી ગયેલા નવોદિત યુવાન કલાકાર મનહરભાઈ પાસે  તેમણે આ ગીત ગવડાવી તેનું રેકોર્ડિંગ કરી લીઘું. મનહરભાઈ પાસે જ્યારે આ ગીત ગવડાવ્યું ત્યારે કલ્યાણજીભાઈના મનમાં હતું કે એક વાર આ ગીત મનહરભાઈના સ્વરે રેકોર્ડિંગ કરાવી લઈએ પાછળથી ફરી મૂકેશજીના સ્વરમાં રિટેક કરી લઈશું. મૂકેશજીએ જ્યારે વિશ્વાસનું આ ગીત મનહરભાઈના સ્વરમાં સાંભળ્યું ત્યારે તેમને કલ્યાણજીભાઈને વિશ્વાસ સાથે કહ્યું, “આ ગીતનું રેકોર્ડિંગ મનહરભાઈના સ્વરમાં અદ્ભુત થયું છે. મનહરભાઈએ ગીતને દિલથી ગાયું છે. મારા માટે ખરેખર આ એક ખુશીની વાત છે. કલ્યાણજીભાઈ, મને નથી લાગતું કે મારા સ્વરમાં તમારે આ ગીત ફરીથી રેકોર્ડિંગ કરવું જોઈએ. તમે આ ગીતને મનહરના જ સ્વરમાં ફિલ્મમાં રહેવા દો.”

ભાગ્યે જ કોઈ સંગીત પ્રેમીઓને આ વાતની ખબર હશે. મનહરભાઈના સ્વરના જાદુને મહમ્મદ રફી સાહેબે પણ પારખ્યો હતો. મનહરભાઈ રફી સાહેબ સાથે એક ગીત કોરસમાં ગાતા હતા. અચાનક ગીતના રેકોર્ડિંગ વખતે કોરસ કલાકાર સાથે ગાતા મનહરભાઈનો સ્વર રફી સાહેબના કાને પડયો. તેમના કાન ચમકી ઊઠ્યા. તે જ વખતે તેમણે સંગીતકાર મિત્રને જણાવ્યું કે, આ કોરસ કલાકાર વચ્ચે ગાતા આ મનહર નામના છોકરાને તમે કોરસમાંથી કાઢી બહાર બેસાડી દો. આ વાતથી મનહરભાઈને મનમાં થયું, “અરે, શું હું કોરસ કલાકાર સાથે બરાબર ગાઈ રહ્યો ન હતો કે રફી સાહેબે મને દૂર કરી બહાર બાંકડે બેસાડી દીઘો?” ગીતનું રેકોર્ડિંગ પૂર્ણ થયું એટલે રફી સાહેબે સંગીતમમિત્ર પાસે આવીને બહુ જ મૃદુ સ્વરે તેમને જણાવ્યું. “અરે, ભાઈ, યહ મનહર નામકા લડકા કિતના બેહતરિન ગા રહા હૈ ઉસકો કભી કોરસ મેં ગાને કે લિએ આપ મજબૂર મત કરના. બસ, મેરી એક બાત આપ માન લો. ઈસ લડકે કો આપ બસ એક દો ગીત કિસી ફિલ્મ કે લિયે રેકોર્ડિંગ કરા કે ઊસે આગે બઢને કા આપ એક મૌકા દો.”

આઠ મે, ૨૦૧૦ને શનિવારે ટોરેન્ટોના વિશાળ કાઁગ્રેસ ભવન સભાગૃહનો પાછલો દરવાજો જે ફકત કલાકારોના પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે દરવાજેથી કવિ ચન્દ્રકાન્ત શાહ, અભિનય સમ્રાટ પરેશ રાવલ, હું અને લોક સાહિત્યના નામાંકિત ગાયક પ્રફુલ્લ દવે પ્રવેશી રહ્યા હતા. રંગમંચની પાછળ અમારી નજરે પડતા વિશાળ સિનેમા સ્ક્રીન પર મનહરભાઈ દસથી બાર હજાર ગુજરાતી શ્રોતાઓ વચ્ચે મન બહેલાવીને આનંદવિભોર, સિસોટીના અવાજ અને તાલીઓના ગડગડાટ વચ્ચે વેણીભાઈ પુરોહિત રચિત અને દિલીપ ઘોળકિયા દ્વારા સ્વરબદ્ધ ગીત,’ તારી આંખનો અફીણી’ ગાઈને શ્રોતાઓને ખુશખુશાલ કરી રહ્યા હતા, આ જોઈ મને પ્રફુલ્લ દવેએ કહ્યું કે, ‘મનહરભાઈએ તો આજે ટોરેન્ટોને સંગીત સાગરમાં ડુબાડી દીઘું છે.” આ વાકય તેમનું પૂરું થયું ન થયું અને મને બીનાએ કહ્યું, ‘મનહરભાઈને મેં આજથી ત્રીસ વર્ષ પહેલા મુંબઈમાં સાંભળ્યા હતા. તેમનો અવાજ આજે પણ આટલો જ અદ્દભુત અને સુરીલો છે. ‘પ્રફુલ્લભાઈએ તરત જ કહ્યું, “બહેન, આ બાબતમાં કોઈ બે મત નથી.” ટોરાન્ટોની જનતા મનહરભાઈનાં ગીતો અને ગઝલમાં એવી તરબોળ ભીંજાઈ રહી હતી, ને મનહરભાઈ તેમના આનંદ સાગરમાં એવા ડૂબી ગયા હતા કે તેની વાત જ પૂછો મા! લોકલાગણીમાં મસ્ત થઈ ગયેલા મનહરભાઈએ જ્યારે બરકત વિરાણી ‘બેફામ”ની ગઝલ, “નયનને બંઘ રાખીને મેં જ્યારે તમને જોયાં છે” ગાવાની શરૂઆત કરી, અને લોકો એવા ખુશખુશાલ થઈ ગયા કે, મનહરભાઈ, તેમની ખુશીમાં ઝૂમતા સિકયોરિટીની કોઈ પરવા કર્યા વગર હાથમાં માઈક લઈને ગઝલ ગાતા મંચ પરથી નીચે ઊતરી બાર હજાર શ્રોતાઓની વચ્ચે જે રીતે ગઝલ ઉત્સાહ સાથે ગાતા હતા તે અદ્ભુત દૃશ્યને અહીંયા શબ્દોમાં કંડારવા માટે મારી કલમને શબ્દો ટૂંકા પડે છે.

ગુજરાતી કવિ, નાટ્ય કલાકાર, સંગીત ક્ષેત્રના નામાંકિત કલાકાર મનહરભાઈ લાંબા અને દેખાવડા તો છે જ, પણ મનહરભાઈ આ બઘાંમાં એક અલગ વ્યક્તિત્વ ઘરાવે છે. મનહરભાઈ વિશે જો મારે એક જ વાકયમાં કહેવું હોય તો હું કહી શકું કે મનહરભાઈ લાંબા નથી પણ એક ઊંચા કલાકાર તો ખરા અને ઊંચું વ્યક્તિત્વ ઘરાવતા માણસ છે.

મનહરભાઈ જેટલા ઉચ્ચ કોટિના ગાયક છે એવા જ એક સારા વાચક પણ છે. તેમની યાદશક્તિને પણ આપણે દાદ આપવી જ પડે. તમે જો તેમની સાથે નિરાંતે બેઠા હો તો અત્યાર સુઘીમાં તેમણે ગાયેલ મોટા ભાગના ગઝલકારોની ગઝલો તો તેમને કંઠસ્થ ખરી, પણ સાથોસાથ આ બઘા ગઝલકારોના ઘણા શેરો સાંભળવાની મજા ગઝલો જેટલી જ આવે છે. ટોરેન્ટોમાં કાર્યક્રમ બાદ હું, મનહરભાઈ, બીના તેમ જ ટોરેન્ટોના બેચાર તેમના યુવાન ગઝલપ્રેમીઓ હોટેલની લૉબીમાં મોડી સાંજ સુઘી બેઠાં હતાં. તે સાંજે મનહરભાઈ બહુ જ ખુશમિજાજ હતા. આ યુવાન મિત્રોએ તે દિવસે કાર્યક્રમમાં ન ગાયેલી ગઝલો તેમને યાદ કરાવેલી. મનહરભાઈએ પોતે આટલા મોટા કલાકાર છે તેનું કોઈ અભિમાન રાખ્યા વગર જાણે અમારી સાથે અંતાક્ષરી રમતા હોય તેવા ભાવ સાથે પોતે ગાયેલ અગણિત ગઝલો અને ફિલ્મી ગીતો મોડી રાત સુઘી અમારી સાથે બેસીને ગાયાં.

વર્તમાન ગુજરાતી પેઢી અને ગઈકાલની પેઢીને આજે એકાંતમાં ગુજરાતી ગઝલ ગુનગુનાવતી કરી દીઘી છે તેનો યશ મનહરભાઈને ફાળે જાય છે, એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. ઈશ્વરની ઈચ્છા કંઈ ઓર હશે. ભલે, મનહર ઉઘાસ જેવા ગાયકનું મયખાનું હિન્દી ફિલ્મમાં નથી ખૂલ્યું પણ તેનું શિવાલય ગુજરાતી ગઝલમાં સોળે કળાએ ઊઘડ્યું છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

કરસનદાસ જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|25 July 2023

જે ગુજરાતી કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગસ્ટ 1871] વિશે જાણતા ન હોય તે સાચો ગુજરાતી નથી.

આ કરસનદાસે એકલા હાથે ધર્મના ઠેકેદાર સામે મોરચો માંડ્યો હતો. તેની સામે બદનક્ષી સબબ કેસ થયો હતો, જે ‘મહારાજ લાઈબલ કેસ’ તરીકે પ્રસિદ્ધ છે. કરસનદાસ સમાજ સુધારક / શિક્ષક / પત્રકાર / સાહિત્યકાર / સાહસિક મુસાફર / ઉત્તમ વહીવટકર્તા / સાચા સંવેદનશીલ માનવી હતા.

1855માં કરસનદાસે ‘સત્યપ્રકાશ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. સમાજ અને ધર્મસંપ્રદાયોમાં ફેલાયેલાં અનિષ્ટોની આકરી આલોચના કરી. 21 ઓક્ટોબર, 1860ના રોજ ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ આચાર્ય જદુનાથજી મહારાજના પાખંડ વિરુદ્ધ તેમણે લેખ લખ્યો : ‘હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો.’ ઊહાપોહ થયો. પાખંડી ધર્માચાર્યો હચમચી ગયા. આ લેખને જાહેર બદનામી ગણાવીને જદુનાથજી મહારાજે 14 મે 1861ના રોજ કરસનદાસ પર મુંબઈની સર્વોચ્ચ અદાલતમાં 50,000/– રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. કરસનદાસ કોર્ટમાં હારી જાય તે માટે ષડયંત્ર રચાયું, જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ તરીકે જાણીતો છે, તેમાં પણ જદુનાથજી મહારાજની હાર થઈ ! કરસનદાસ પર કોર્ટમાં હુમલો થયો, પરંતુ તે અડગ રહ્યા.  આખરે બન્યું ઊલટું, દાવો માંડનાર જદુનાથ મહારાજે રુપિયા 50,000/- કરસનદાસને ચૂકવવા પડ્યા ! કરસનદાસે રાજકોટ અને લીંબડીના વહીવટદાર તરીકે સેવા આપી હતી.

કરસનદાસે 23 પુસ્તકો લખ્યાં છે. તેમાંથી ‘મહારાજ લાઈબલ કેસ’ તથા 1866માં પ્રકાશિત ‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’ પુસ્તકો દરેક ગુજરાતીએ વાંચવા જોઈએ. 1863માં તેમણે ઇન્ગ્લેન્ડનો પ્રવાસ કરેલ તેથી કપોળ જ્ઞાતિએ તેમને નાત બહાર મૂકેલ ! કરસનદાસ જીવનપર્યંત જ્ઞાતિ બહાર રહ્યા. માત્ર 39 વર્ષની વયે તેમનું લીંબડી ખાતે અવસાન થયું. આ બન્ને પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ કે કરસનદાસ ધર્મ વિરોધી ન હતા; પરંતુ પાખંડના / રુઢિચુસ્તતાના જબરજસ્ત વિરોધી હતા અને પ્રગતિશીલતાના પ્રખર સમર્થક હતા.  

‘ઇન્ગ્લેન્ડમાં પ્રવાસ’માં કરસનદાસ ઉદ્યોગ / હોંશિયારી / એકબીજાથી ચડિયાતા થવાની હોંશ / કામની વહેંચણી / હારી જાય તો ય કામ ન છોડવું / સાહસ / દૈવત-એનર્જી / હિંમત / ટેક / સ્વતંત્રપણું / પરોપકારબુદ્ધિ બાબતે ઇન્ગ્લેન્ડ અને દેશીઓ વચ્ચે તુલના (પેજ- 224થી 237) કરી છે : “ઈંગ્લેન્ડની પ્રજાનો મોટામાં મોટો ગુણ ઉદ્યોગ છે. આપણા દેશમાં તન અને મન લગાડી એક સરખી મહેનત કરનારા થોડા પરુષો મળશે. ઈંગ્લેન્ડમાં મહેનતું લોકો ઠામેઠામ મળશે. ઇંગ્લેન્ડની પ્રજાનો બીજો મોટો ગુણ હોંશિયારી છે. આપણા દેશીઓમાં ઉદ્યોગ થોડો છે તેની સાથે હોંશિયારી પણ થોડી છે. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ ઇંગ્લેન્ડની પ્રજામાં અતિશય જોવામાં આવે છે. આપણા લોકોમાં આ હોંશ નથી. એકબીજાથી ચડિયાતા થવાની હોંશ જ્યાં સુધી આપણા લોકોમાં આવશે નહીં ત્યાં સુધી દેશ પાછળનો પાછળ રહેતો જશે. કામની વહેંચણીનો ગુણ આપણાં દેશીઓ જાણતા નથી. જુદું જુદું કામ જુદાં જુદાં માણસોએ કરવું અને અનેક કામમાં એક માણસે હાથ ન નાખવો, એનું નામ કામની વહેંચણી. એક માણસ જેટલાં કામ કરી શકે તેટલાં તેમની પાસે કરાવવાં અને ‘કસર’ માટે વધારે માણસ રાખવા નહીં, આ નિયમ ઉપર દેશીઓ ચાલે છે. આપણે જેને કસર સમજીએ છીએ તે અંતે નુકસાન કરે છે ! હારીને કામ છોડવું નહીં એ ઇંગ્લેન્ડની પ્રજાનો કિંમતી ગુણ છે. તેઓ મંડ્યા રહે છે તેથી એ દેશને લાભ થયો છે. જ્યારે આપણે એવા કામમાં હાથ નાખીશું જેનું તરત ફળ મળે ! વિલાયતના લોકોમાં હોંશનો ગુણ છે. હોંશ વિના મોટાં અને ભારે કામ પાર પડી શકતા નથી. સાહસનો ગુણ ઇંગ્લેન્ડની પ્રજામાં વિશેષ જોવા મળે છે, જે દેશીઓમાં ઓછો જોવા મળે છે. દૈવત-એનર્જીનો ગુણ અંગ્રેજ પ્રજામાં મોટો છે. આપણું દૈવત ક્યાં ભરાઈ બેઠું છે? ઇંગ્લેન્ડની પ્રજામાં હિમ્મતનો ગુણ ઘણો મોટો છે. હિમ્મત વિના મોટા કામ થઈ શકતા નથી, હિમ્મત વિના મોટા રાજ મળતા નથી, મોટા રાજ ચાલતા નથી. હિમ્મતથી અંગ્રેજ લોકો શું કરી શક્યા છે તે આપણી સામે છે. માણસે ખોટી મમત મૂકી દેવી જોઈએ પણ હલકું કામ નહીં કરવાની ટેક રાખવી જોઈએ. ઇંગ્લેન્ડમાં જેવું છૂટાપણું રાજા તથા અમીર ભોગવે છે તેવું જ છૂટાપણું ગરીબ રઈયત પણ ભોગવે છે. ઇંગ્લેન્ડરાજની મોટી ખૂબી તેના ‘ઈન્સાફની ગોઠવણ’માં છે. જ્યાં અમીર તથા ફકીરને અથવા શ્રીમંત તથા ભિખારીને સરખો અને વાજબી ઈન્સાફ મળે છે. પરોપકાર કોને કહેવો એ જેવું વિલાયતના લોકો સમજે છે તેવું આપણા દેશીઓ સમજતા નથી. માણસને ઠગવો, તેનું ધન લૂંટી લેવું અને જાનવરો માટે પાંજરાપોળ બાંધવી અથવા બ્રાહ્મણોને સારી પેઠે ઘીગોળના લાડુ જમાડવા એ પરોપકાર નથી !”

કરસનદાસે 1860માં ધર્મ ક્ષેત્રના પાખંડીઓ સામે પડીને જબરજસ્ત સામાજિક ક્રાન્તિ કરી હતી. સવાલ એ છે કે કરસનદાસ તેમના સમયે જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી? કેમ કોઈ પાખંડનો પર્દાફાશ કરવા તૈયાર થતું નથી? તે સમયે વૈજ્ઞાનિક અભિગમના કારણે અંગ્રેજો ધાર્મિક પાખંડની સામે હતા; આજે સત્તાપક્ષ ધાર્મિક પાખંડીઓના પક્ષે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0541,0551,0561,057...1,0601,0701,080...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved