Opinion Magazine
Number of visits: 9456310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—294

દીપક મહેતા|Opinion - Opinion|21 June 2025

નેવલ કમાન્ડર નાણાવટીએ વેપારી આહુજાના ફ્લેટમાં જઈને બબ્બે ગોળી કેમ છોડી?      

એપ્રિલ ૨૭, ૧૯૫૯. 

એપ્રિલ-મે એટલે મુંબઈકરો માટે તાવણીનો ટેમ. ઉપરથી કાળઝાળ ગરમી વરસે, નીચે પાણીનાં ફાફાં. હવામાં ભેજ ભારોભાર, એટલે પરસેવાનો નહિ પાર. છતાં શહેર દિવસ-રાત ધમધમતું રહે. એટલે જ તો એને બિરુદ મળ્યું : A City that never sleeps. આ સદા જાગતા શહેરની સંભાળ રાખવાનું કામ બોમ્બે પોલીસનું. ક્રાફર્ડ માર્કેટથી થોડે દૂર બોમ્બેના પોલીસ કમિશનરની ઓફિસનું મકાન. ૧૮૯૪ના નવેમ્બરની ૧૭મી તારીખે બે માળના આ મકાનનું બાંધકામ શરૂ થયું અને ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૪મીએ પૂરું થયું. રોયલ યોટ કલબના મકાનની ડિઝાઈન બનાવનાર જોન આડમ્સે ડિઝાઈન તૈયાર કરી હતી અને બાંધકામ કર્યું હતું જગન્નાથ કોનટ્રેકટર્સની કંપનીએ. આ નવા મકાનનું ઉદ્ઘાટન ૧૮૯૭ના જાન્યુઆરીની પહેલી તારીખે થયું. મુંબઈના ત્રીજા પોલીસ કમિશનર આર.એચ. વિનસેન્ટ ભાયખળાનું સાસૂન બિલ્ડિંગ છોડીને આ નવા મકાનમાં આવ્યા. 

ડેપ્યુટી પોલિસ કમિશનર લોબો

બોમ્બે પોલીસના ડેપ્યુટી કમિશનર જોન લોબો પોતાની ઓફિસમાં દાખલ થયા. તે વખતે એવો નિયમ કે રોજ સાંજે લોબોસાહેબ પોલીસ કમિશનર પ્રવીણ સિંહજીની ઓફિસમાં જાય. કમિશનર સાહેબનો ઓર્ડરલી જર્મન સિલ્વરની ચકચકતી ટ્રેમાં ચાનો સાધન સરંજામ લઈ આવે. બંને અફસરો ચાની ચુસ્કી લેતા જાય, અને ડેપ્યુટી કમિશનર આખા દિવસનો અહેવાલ કમિશનર સાહેબને આપતા જાય. જરૂર લાગે ત્યાં સાહેબ સૂચનો કરે તે લોબો સાહેબ પોતાની ખિસ્સા ડાયરીમાં નોંધતા જાય. 

આજે કમિશનર સાહેબ સાથેની મિટિંગ થોડી વહેલી પૂરી થઈ. લોબો સાહેબ પોતાની ઓફિસમાં પાછા આવ્યા અને ખુરસી પર બેઠા. ઉપર જોઈને ખાતરી કરી લીધી કે પંખો ચાલે છે. આજે લોબો સાહેબ થોડા ખુશમિજાજ લાગે છે, તેમના ઓર્ડર્લીએ વિચાર્યું. અને કેમ ન હોય? સાહેબને વાત કરી તો તેમણે તરત પંદર દિવસની રજા મંજૂર કરી દીધી. લોબોએ તેમને કહ્યું કે આ ગરમીથી તો હું ત્રાસી ગયો છું, સાહેબ. એટલે બે અઠવાડિયાં નીલગિરી જવાનો પ્લાન ઘડ્યો છે. મનમાં બીક હતી કે સાહેબ ‘ના’ નહિ પાડે તો ય રજાના દિવસ તો ઓછા કરી નાખશે. પણ ના. સાહેબે તો તરત રજા મંજૂર કરી દિધી.

લોબો સાહેબ ઘરે જવા નીકળવાની તૈયારી કરતા હતા એ જ વખતે બહારથી કોઈનો અવાજ કાને પડ્યો : ‘લોબો સાહબ કા ઓફિસ કહાં હૈ?’ અને ઓર્ડરલી એક સુદૃઢ બાંધાવાળા, ગોરા પારસી યુવાનને લઈને દાખલ થયો. શેક હેન્ડ માટે હાથ લંબાવતાં તેણે કહ્યું : ‘આઈ એમ કમાન્ડર કાવસ નાણાવટી ફ્રોમ ધ ઇન્ડિયન નેવી.’ ઊભા થઈને શેક હેન્ડ કરતાં લોબો એકદમ સતર્ક થઈ ગયા. તેમનામાં રહેલી ગૂના શોધનની સૂઝ કહેતી હતી કે હમણાં ગામદેવી પોલીસ સ્ટેશનથી જે ફોન આવેલો તેને અને આ નાણાવટીને કોઈક સંબંધ હોવો જોઈએ. 

એ જ વખતે નાણાવટીએ એકી શ્વાસે બોલવાનું શરૂ કર્યું : “મારે એક આદમી સાથે ઝગડો થયો. તેણે મારી પર હુમલો કરી મારા હાથમાંની બ્રાઉન પેપરની થેલી ઝૂંટવી લીધી. હું એ થેલી લેવા જતો હતો ત્યાં થેલીમાં રહેલી મારી સર્વિસ રિવોલ્વરમાંથી અકસ્માત બે ગોળી છૂટી અને પેલા માણસને વાગી. એનું નામ પ્રેમ આહુજા.” લોબોસાહેબ બહુ જ શાંતિપૂર્વક બોલ્યા : “હા. અને હમણાં જ ગામદેવી પોલીસ સ્ટેશનનો ફોન હતો. એ માણસનું મોત થયું છે.”

પછી જાણે કશું જ ન થયું હોય તેમ શાંતિથી પૂછ્યું : “કમાન્ડર, તમે ચા લેશો કે કોફી?’ “કંઈ નહિ. પણ જો એક ગ્લાસ પાણી મળી શકે તો …” અને ઓર્ડરલી લઈ આવ્યો તે આખો ગ્લાસ પાણી નાણાવટી એકી ઘૂંટડે પી ગયા. પછી ઓર્ડરલીને બોલાવીને લોબોએ કહ્યું : “સાહેબને બાજુના કમરામાં બેસાડો.” પછી ઇન્ડિયન નેવીના ચીફ લો એન્ફોર્સમેન્ટ ઓફિસરને ફોન લગાડી વાત કરી. એ ઓફિસરે કહ્યું કે નાણાવટી ઇન્ડિયન નેવીમાં બહુ ઊંચા સ્થાને છે. આજ સુધીનો તેનો રેકર્ડ ચોખ્ખો ચણાક છે. બનાવ બન્યા પછી તે સામે ચાલીને તમારી પાસે આવ્યો છે અને આત્મસમર્પણ કર્યું છે. આ બધું જોતાં તેને પોલીસ લોક-અપમાં ન મોકલો તો સારું એવી મારી વિનંતી છે.

લોબોએ પોતાની ઓફિસની બાજુના એક કમરામાં નાણાવટી માટે રાત રહેવાની સગવડ ઊભી કરાવી લીધી. ઓરડાની બહાર કડક ચોકીપહેરો ગોઠવી દીધો. અને પછી નાણાવટીને કહ્યું : “આજની રાત તમારે અ ઓરડામાં ગાળવી પડશે. પછી શું કરવું એનો નિર્ણય રક્ષા મંત્રાલય કાલે લેશે.” 

કાવસને રાતે ઊંઘ તો ક્યાંથી આવે? નજર સામે ચિત્રો તરવર્યાં કરે. આખું નામ કાવસ માણેકશા નાણાવટી. જન્મ ૧૯૨૫. માણેકશા અને મેહરા નાણાવટીનો મોટો દીકરો. નાનો ભાઈ હોશંગ. પાક્કી છ ફીટની ઊંચાઈ. વજન લગભગ ૬૫ કિલો. આંખ અને વાળ, બંને કાળા. અમેરિકાના ડાર્ટમોથમાં આવેલી રોયલ નેવી કોલેજમાં પ્રશિક્ષણ. 

વિદેશી પત્નીનું લગ્ન પહેલાંનું નામ સિલ્વિયા કિંગ. ગ્રેટ બ્રિટનના પોર્ટસમાઉથમાં જન્મ ૧૯૩૧. મૂળ કેનેડાની વતની. ઊંચાઈ ૫ ફીટ ૫ ઇંચ, વજન ૬૦ કિલો. વાળનો રંગ આછો કથ્થાઈ (લાઈટ બ્રાઉન) આંખો માંજરી.  

કમાન્ડર કાવસ નાણાવટી

કાવસ નાણાવટી પરદેશમાં હતા ત્યારે બંને મળ્યાં, પ્રેમમાં પડ્યાં અને ૧૯૪૯ના જુલાઈ મહિનામાં અદારાઈ ગયાં. ત્યારે સિલ્વિયાની ઉંમર માત્ર અઢાર વરસની. નેવીનું પ્રશિક્ષણ પૂરું થયા પછી કાવસ અને સિલ્વિયા હિન્દુસ્તાન પાછાં આવ્યાં અને કાવસ ઇન્ડિયન નેવીમાં જોડાયા. હોશિયાર, ચાલાક, ચબરાક, મહેનતુ, એટલે બઢતી થતી ગઈ. રાજકારણીઓ સાથે સંબંધો બંધાતા ગયા. ઇન્ડિયન નેવીમાં પાંચમાં પૂછાતા થયા. કફ પરેડ વિસ્તારમાં નેવીએ આપેલા વિશાળ ફ્લેટમાં બધાં સાધન સગવડ. પણ અગવડ એક જ — નેવીની નોકરીમાં મુંબઈ, પત્ની, અને ત્રણ બાળકોથી અવારનવાર દૂર રહેવું પડે, મહિનાઓ સુધી. જો આમ દૂર રહેવું પડતું ન હોત તો કદાચ આજનો આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત. 

આવા આવા વિચારોમાં સવાર ક્યારે પડી ગઈ એની ખબરે ન પડી. ઓર્ડરલી એલ્યુમિનિયમની કિટલીમાં ચા લઈને આવ્યો. સાથે જાડા કાચનાં સફેદકપ-રકાબી, નાની પેપર ડિશમાં થોડાં બિસ્કીટ. બધું ટેબલ પર મૂકીને એ ગયો. કાવસ આ ‘બેડ ટી’ સામે તાકી રહ્યો. રોજ તો જર્મન સિલ્વરની ટ્રેમાં ફાઈન ચાઈનાનો ટી સેટ હોય. કેટલ પર રંગબેરંગી ભરતકામવાળી ટી-કોઝી હોય. ચાર પાંચ પ્લેટમાં જાતજાતનો નાસ્તો હોય. સિલ્વિયા બે કપ ચા બનાવે. અલકમલકની વાતો કરતાં બંને ચા પીતાં જાય અને તાજાં અખબારો પર નજર ફેરવતાં જાય. 

પણ આજે આ ચા પીવાની? નાસ્તામાં ફક્ત બે-ચાર બિસ્કિટ! અરે, પણ સિલ્વિયાએ ચા પીધી હશે કે નહિ? તેના હાથમાં છાપું હશે? હશે જ. અને પહેલે પાને છપાયેલા સમાચાર એ વાંચતી હશે : ‘મોટરના જાણીતા શો-રૂમના માલિક અને ધનાઢ્ય વેપારી પ્રેમ આહુજાનું તેમના જ ઘરમાં ખૂન! ઇન્ડિયન નેવીના કમાન્ડર નાણાવટીની ધરપકડ.’ ન છૂટકે કાવસે ચા પી લીધી અને બિસ્કિટ ખાઈ લીધાં. મનમાં વિચાર્યું : ‘હવે તો આવી ઘણી બાબતોથી ટેવાવું પડશે.’ એ જ વખતે ડેપ્યુટી પોલીસ કમિશનર લોબો આવી પહોંચ્યા. બોલ્યા : “કમાન્ડર નાણાવટી! તૈયાર થઈ જાવ. તમને અહીંથી લઈ જઈને નેવલ કસ્ટડીમાં સોંપવાના છે.” આ સાંભળીને આવા કપરા સંજોગોમાં પણ કમાન્ડર નાણાવટીને થોડો હાશકારો થયો. સાથોસાથ વિચાર આવ્યો : ‘પણ આ બન્યું કઈ રીતે?’ 

પ્રેમ આહુજાનો મૃતદેહ

એ બન્યું આ રીતે : અડધી રાત સુધી ઇન્ડિયન નેવીના અધિકારીઓ, મુંબઈ અને દિલ્હી સરકારના મંત્રીઓ, મુંબઈના પોલીસ કમિશનર, વગેરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કાયદા પ્રમાણે તો ખૂનના ગુનામાં સંડોવાયેલા ઇસમને ખટલો શરૂ થતાં સુધી પોલીસ કસ્ટડીમાં જ રાખવો જોઈએ. પણ આ તો નેવીના આલા દરજ્જાના કમાન્ડર. મુંબઈના રાજભવન અને દિલ્હીના તીન મૂર્તિ ભવન સાથે મીઠા સંબંધ. ચર્ચાવિચારણા પછી દિલ્હીથી હુકમ છૂટ્યો : ‘કમાન્ડર નાણાવટીને પોલીસ કસ્ટડીમાં નહિ, નેવલ કસ્ટડીમાં મોકલો.’    

જીવન જ્યોત, નેપિયન્સી રોડ

કમાન્ડર નાણાવટી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને મળવા ગયા તે પહેલાં જ ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચના ઓફિસરો, અને હવાલદારો નેપિયન્સી રોડ પર આવેલા જીવન જ્યોત બિલ્ડિંગમાં પહોંચી ગયા હતા. આ નેપિયન્સી રોડનું આજનું સત્તાવાર નામ સેતલવડ લેન. પોલીસ ફ્લેટ પાસે પહોંચી ત્યારે બારણું ખુલ્લું હતું. ૯ X ૬ ફૂટના બાથરૂમમાં બધે તૂટેલા કાચના ટુકડા વેરાયેલા હતા. બાથરૂમના બારણાના હેન્ડલ પર, બાથરૂમની દીવાલો પર, ઠેર ઠેર લોહીના ડાઘ હતા. બાથ રૂમની ફર્શ પર પીળા રંગનું એક મોટું એન્વલપ પડ્યું હતું. તેના પર નામ લખ્યું હતું : ‘લેફ્ટનન્ટ કમાન્ડર કે. એમ. નાણાવટી’. હાથમાં સફેદ ગ્લોવ્ઝ પહેરેલા ક્રાઈમ બ્રાંચના અધિકારીએ વાંકા વળીને, બહુ જ સાવચેતીપૂર્વક એ એન્વલપ ઉપાડી લીધું. ફ્લેટના માલિકનો મૃતદેહ બાથરૂમની ફર્શ પર પડ્યો હતો. તેણે ફક્ત કમ્મરે ટુવાલ વીંટાળેલો હતો. એ પણ લોહીથી ખરડાયેલો હતો. પંચનામું કરીને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વિધિ શરૂ કરી. એ મૃતદેહ હતો ફ્લેટના માલિક પ્રેમ ભગવાનદાસ આહુજાનો. મુંબઈના એક જાણીતા મોટરના શો રૂમના માલિક. બીજા પણ ઘણા ધંધા. ખાણીપીણી, મદિરા અને મદિરાક્ષીના શોખીન. 

પણ નેવલ કમાન્ડર કાવસ નાણાવટી અને વેપારી પ્રેમ આહુજા વચ્ચે એવું તે શું થયું હશે કે નાણાવટીએ તેના ઘરમાં જઈને, તેના પર બબ્બે ગોળી છોડી?

એની વાત આવતા શનિવારે.    

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 જૂન 2025 

Loading

સ્રેબ્રેનીત્સા માનવ સંહાર – ત્રીસમી પુણ્યતિથિ

આશા બૂચ|Opinion - Opinion|21 June 2025

આશા બૂચ

2016માં માન્ચેસ્ટરની 20 મહોલ્લાઓ સાથે હું સ્રેબ્રેનીત્સા ગઈ હતી. તે વખતે જોયેલાં સ્મારકો અને એ સંહારમાંથી બચેલી મહિલાઓ તેમ જ બાળકોની લીધેલી મુલાકાતો દિલમાં હંમેશને માટે કંડારાઈ ગઈ છે. તે વખતે રેડીઓ મુલાકાત અને કેટલીક શાળાઓમાં જઈને આ વિષે વાત કરી જાગૃતિ લાવવા પ્રયાસ કરેલો. ફરી પાછી, એવી જ સંહાર લીલાઓ ખેલાઈ રહી છે. જો તક મળશે તો ગાઝા અને યુક્રેનમાં બચી જવા પામેલાં લોકો વચ્ચે જઈશ અને નફરત તેમ જ વૈર ભાવના ન પ્રગટે જેથી ફરી ફરી આવી હિંસા ન થાય એ માટે મારાથી બનતું બધું કરી છૂટીશ. 

આ લેખ મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાને અર્પણ.

— આશા બૂચ

°°°

1,00,000થી વધુ લોકો 1992-95 દરમ્યાન બોસ્નિયા–હ્ર્ઝ્ગોવિનાની લડાઈ દરમ્યાન મરાયાં

બોસ્નિયા–હ્ર્ઝ્ગોવિનાની લડાઈ 1995માં પૂરી થઈ ત્યારે 30,000 જેટલાં લોકો લાપતા  હતાં

સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડમાં 8,372 જેટલાં 12 વર્ષથી ઉપરનાં બાળકો અને પુરુષોની પદ્ધતિસર હત્યા કરવામાં આવી. 

આ અમાનવીય ઘટના સ્રેબ્રેનીત્સામાં બની, તેને આજે ત્રણ દાયકા વીત્યા. લંડનના સેન્ટ પોલ્સ કેથેડ્રલ ખાતે, 17 જૂન 2025ને દિને, બ્રિટન સ્થિત સંગઠન ‘રિમેમ્બર સ્રેબ્રેનીત્સા’ અને બ્રિટનના સરકારી ખાતાઓના સંયુક્ત ઉપક્રમે એ ઘટનામાં વિલુપ્ત થયેલાને શ્રદ્ધાંજલિ આપવા એક સમારંભનું આયોજન થયેલું, જેમાં હાજર રહેવાનો મોકો મળેલો.

બ્રિટનનાં નાયબ વડા પ્રધાન એન્જલા રેઇનર, લંડનના મેયર સાદિક ખાન, ધારાસભ્ય પ્રીતિ પટેલ, બેરોનેસ વારસી ઉપરાંત સેન્ટ પોલ્સ કેથેડ્રલના ડીન, બોસ્નિયા-હર્ઝેગોવિનાના ગ્રાન્ડ મુફ્તી, બિશપ ઓફ લંડન અને મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાના પ્રમુખ મુનિરા સુબાસિચ મુખ્ય અતિથિ હતાં. એ માનવ સંહારમાં બચી જવા પામેલા ઘણા યુવાનો અને લંડન તથા માન્ચેસ્ટરની શાળાઓના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં ભયાનક કતલેઆમ થઇ. આટલી મોટી સંખ્યામાં પદ્ધતિસર અને ઔદ્યોગિક ધોરણે કોઈ દેશના નાગરિકોની હત્યા કરવી, મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને મોટી સંખ્યામાં નાગરિકોને બળજબરીથી નિષ્કાસિત કરવા પાછળ કારણ એક જ હતું; એ પ્રજાજનોની ઓળખ મુસ્લિમ હતી. કોઈ એક સમૂહના લોકોનું અમાનવીકરણ કરીને સામૂહિક હત્યા કરવી એ કોઈ નવી બાબત નથી. નાઝી જર્મનીમાં જુઇશ લોકોને ઉતરતી કક્ષાના માનવ અને જીવાત ગણીને તેમની અતિ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. નોંધ એ વાતની લેવાની રહે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ આ પ્રકારનાં યુદ્ધ અને જાનહાનિ માટે ‘Never again’ કહીને યુ.એન. અને NATO જેવાં સંગઠનો સ્થપાયાં, છતાં સ્રેબ્રેનીત્સામાં માનવ સંહાર થયો અને રવાંડામાં ટુટ્સી પ્રજાને હુટુ જાતિના લોકોએ ‘વાંદા’ સાથે સરખાવીને તેમની સામૂહિક કતલ કરી. અને આજે 21મી સદીમાં પણ આપણે એવો જ માનવ સંહાર નજરે નિહાળી રહ્યા છીએ.

સ્રેબ્રેનીત્સાની દુર્ઘટનામાંથી પાઠ શીખવા મળ્યો તે એ કે નફરત અને અસહિષ્ણુતાને વહેલાસર પડકારવામાં ન આવે તો તેમાં અનેક ગણી વૃદ્ધિ થતી રહે, જે અંતે કોઈ એક સમૂહનો વિનાશ નોતરે. જે દેશોમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો સદીઓ સુધી હળીમળીને રહેતા હોય, એક ભાષા બોલતા હોય, સમાન સંસ્કૃતિને અનુસરતા હોય એ જ પ્રજા નાની એવી ચિનગારી ફેંકવાથી એકબીજાનાં જાનના દુ:શ્મન થઈ બેસે એ સ્રેબ્રેનીત્સા સંહારમાં સાબિત થઇ ગયું. આપણે ઇતિહાસ પાસેથી શું શીખ્યા? દુઃખદ બાબત તો એ છે કે એ કત્લેઆમ કરનારી સત્તા આવો ભયાનક માનવ સંહાર આચરવામાં આવ્યો છે એ વાતનો સદંતર ઇન્કાર કરે છે, અને તેથી હજુ આજે પણ ગુનેગારો મુક્ત ફરે છે અને જેમણે સ્વજનો ગુમાવ્યાં છે એ લોકો સંહારમાંથી બચી જવા પામ્યા, પરંતુ દુઃખની ગર્તામાં સપડાયેલા રહેવાની સજા હજુ ભોગવી રહ્યા છે.

એ શ્રદ્ધાંજલિ સમારંભમાં કુરાન અને ન્યુ ટેસ્ટામેન્ટમાંથી બોધવચનોનું વાંચન કરવામાં આવ્યું, તેમ જ કેથેડ્રેલના ડીન તરફથી મનનીય વક્તવ્ય રજૂ થયું.

સહુથી વધુ દિલને સ્પર્શી જાય તેવું વક્તવ્ય મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સાના પ્રમુખ મુનિરા સુબાસિચનું હતું.

પોતાના પતિ અને પુત્ર સહિત નિકટના પરિવારના 22 સભ્યોને સ્રેબ્રેનીત્સા સંહારમાં જેમણે ગુમાવ્યા છે એ મુનિરા છેલ્લાં 30 વર્ષથી આ વેદનાને કઈ રીતે સહન કરતાં આવ્યાં છે એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવા અસમર્થ હતાં. આમ છતાં તેમણે કહ્યું કે યુનાઇટેડ નેશન્સે જેને સલામત ક્ષેત્ર જાહેર કરેલું એ જગ્યાએ આશ્રય લીધેલો ત્યાં અમારા નિર્દોષ સંતાન, ભાઈ, પતિ અને પિતાને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, અને યુરોપ એ ઘટનાને નિહાળી રહ્યું હતું. એ લોકોની હત્યા થઈ કેમ કે એ લોકો મુસ્લિમ છે એ તેમના નામ પરથી પરખાઈ આવતું હતું. અમે માનવસંહારના તાંડવમાંથી બચી ગયા, પણ એ ઘટનાનો ઇન્કાર હજુ જેમનો તેમ છે તેથી એ વેદના શમી નથી. માનવ સંહાર બાદ જન્મેલાં બાળકો પાસે તેમના પિતાનો એક પણ ફોટો નથી અને તેઓ મધર્સ ઓફ  સ્રેબ્રેનીત્સાના સભ્યોને પૂછે છે, “અમારો ચહેરો અમારા પિતાને મળતો આવે છે?” જરા કલ્પના કરી જુઓ, આ બાળકોના મનની વેદના કઈ રીતે રૂઝાવી શકાય?

મધર મુનિરાએ કહ્યું કે મુસ્લિમ સમાજના મોટા ભાગના પુરુષોની હત્યા કરવામાં આવી હતી એટલે મોટી સંખ્યામાં માત્ર મહિલાઓ જ જીવિત હતી. તેઓએ પોતાના સંતાનોને પ્રેમથી ઉછેર્યાં અને નફરત તથા બદલો લેવાની ભાવનાથી દૂર રાખ્યાં. તેમાંનાં ઘણાં આજે એન્જીનિયર્સ, ડોક્ટર્સ, પ્રોફેસર્સ અને શિક્ષકો બન્યા છે, કેમ કે તેમનું જીવન પોતાની સફળતા ઉપર ચણાયું છે, ધિક્કાર ઉપર નહીં. મુનિરાની આ વાત જો બધાને સમજાય, તો આજના તમામ સંઘર્ષો પર પૂર્ણવિરામ આવી જાય. મધર્સ ઓફ સ્રેબ્રેનીત્સા વતી મુનિરાએ હાજર રહેલા તમામને વિંનતી કરી કે નફરત દૂર કરવા અને જેનોસાઇડના ઈન્કારનો પ્રતિકાર કરવા સાથ આપે. ગયેલા સ્વજનોને પાછા નહીં મેળવી શકાય, પણ ગુનેગારોને સજા કરીને ભોગ બનેલાઓને ન્યાય જરૂર આપી શકાય. આજથી ત્રીસ વર્ષ પહેલાં સામૂહિક માનવ સંહાર થયો હતો એ હકીકત છે, અને ફરી એવી ઘટના બનતી રોકવી તે સહુનું કર્તવ્ય છે એના પર તેમણે ભાર મુક્યો.

એલમીના કુલાસિચે કઈ રીતે તેને પોતાના માતા-પિતા સાથે Trnopoije કોન્સન્ટ્રેશન કેમ્પમાં બળજબરીથી લઇ જવામાં આવ્યાં હતાં, તેમને ભૂખે મારવામાં આવ્યાં અને કેવી રીતે પોતાના પિતા, કાકા અને પાડોશીઓની હત્યા થતી જોઈ તેનું વર્ણન કર્યુ. 1992માં એમની ઉંમર માત્ર સાત વર્ષની હતી. જેનોસાઇડમાંથી બચી જવા પામેલી પોતે પણ આજે એક નાના બાળકની મા છે અને ઈચ્છે છે કે આ નફરત અને હિંસાની સાંકળ તૂટે જેથી દરેક બાળકને તેનું બાળપણ જીવવાનો અધિકાર મળે.

બોસ્નિયા-હર્ઝેગોવિના પ્રેસિડન્સીના ક્રોએટ સભ્ય, બોસ્નિયાક સભ્ય અને યુનાઇટેડ કિંગ્ડમસ્થિત એલચીએ પણ ત્રણ દાયકા પહેલાં બનેલી આ ગોઝારી ઘટનાને વિસારે ન પાડી દેવા અને ફરી આવી હિંસા ન બનવા પામે તે માટે એકત્રિત પ્રયાસો કરવા અરજ કરી. તેઓએ એક ચેતવણી ઉચ્ચારી, જેની નોંધ લેવી ઘટે. હાલમાં ફરી એ દેશ પર જોખમના વાદળાં ઘેરાઈ રહ્યાં છે. રશિયાની નજર એ ભૂ ભાગને પોતાનામાં સમાવી લેવા પર તોળાઈ રહી છે. આથી જ તો બ્રિટન તેમ જ યુરોપના તમામ દેશની પ્રજા અને વહીવટ કર્તાઓને સમયસર પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ઈ.સ.1995માં 8,572 પુરુષો અને બાળકોની હત્યા થઈ, તેમાંનાં ઘણાંનાં અવશેષો હજુ લાપતા છે. ઉપર દર્શાવેલ છબિમાં જેમના અવયવો સામૂહિક કબરોમાંથી મેળવી શકાયા, તેમની ખાંભીઓ જોઈ શકાય છે.

સ્રેબ્રેનીત્સા માનવ સંહારની ત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સર્બિયન પ્રાર્થનામાં આપણે સહુ જોડાઈએ :

We pray to Almighty God

May grievance become hope!

May revenge become justice!

May mothers’ tears become prayers

That Srebrenica

Never happens again

To no one and nowhere! 

e.mail : 71abuch@gmail.com

 

 

Loading

બાપુનો દાંત

જૈનેન્દ્રકુમાર [અનુવાદ: સુભદ્રા ગાંધી]|Gandhiana|21 June 2025

જૈનેન્દ્રકુમાર

‘ડૉક્ટર આવ્યા છે. આપને સુવિધા હોય ત્યારે …’ ગાંધીજી તકિયેથી ટટ્ટાર થતાં બોલી ઊઠ્યા, ‘સુવિધા …? હમણાં જ છે.’

ડૉક્ટર આવતાં આવતાંમાં તો ગાંધીજી ખુરશી પર જઈ બેઠા. ડોક્ટર પોતાની તૈયારીમાં લાગી ગયા. તે જ ઘડીએ એક મિત્રે નિકટ આવીને મારા કાનમાં કહ્યું, ‘જો જો હોં, એવું ન બને જૈનેન્દ્ર, કે દાંત ડૉક્ટર પાસે જ રહી જાય.’

મને પણ રસ પડ્યો. મેં કહ્યું, “બને કે દાક્તરને મનમાં ય એને માટે લોભ જાગે.’

મિત્રે ગુસપુસ કાનમાં કહ્યું, ‘એ જ તો, પણ જો જો કોઈ પણ ઉપાયે દાંત એની પાસે રહેવા ન પામે.’

મારી દિલચસ્પી વધતી ગઈ. મેં એમને નિશ્ચિંત કર્યા ને ખબરદાર બની ચોકી કરવા લાગ્યો.

ઘડપણનો દાંત. એને ખેંચી કાઢવામાં વાર કેટલી લાગવાની, ને કષ્ટ પણ શું થવાનું ? દાંત ખેંચી કાઢ્યો કે તરત હું એમની નજદીક પહોંચી તરત હું એમની નજદીક પહોંચી ગયો. મેં કહ્યું, ‘લાવો ધોઈ લાવું.’

આમ સહજ ગાંધીજીનો દાંત મારા કબજામાં આવી ગયો. મેં એને ધોયો, લૂછ્યો ને રૂમાં લપેટી એક નાનકડા પરબિડિયામાં પડીકી વાળી કાળજીપૂર્વક ગજવામાં મૂકી દીધો.

સુભદ્રાબહેન ગાંધી

ચોવીસ કલાક તો મારા હૈયાના ધબકાર સુણતો એ મારા કુરતાના ઉપલા ગજવામાં પડ્યો રહ્યો. બીજે દિવસે સવારમાં એક માનનીય બંધુ મારી પાસે આવ્યા. પૂછવા લાગ્યા ‘પછી, પેલો દાંત તમારી પાસે જ છે કે ?’

મેં કહ્યું, ‘જી, બધી રીતે સુરક્ષિત છે. એની કશી ચિંતા કરવા જેવું નથી.’ એમની મતલબને મેં સમજ્યા છતાં વણસમજી કરી નાખી. તે પછી એમને પણ એ વિશે વધુ સ્પષ્ટ કરી કશું કહેવાનું ન સૂઝ્યું …

પાછળથી જાણવા મળ્યું કે એ દાંત તો ભલભલાની મહત્ત્વાકાંક્ષાનો વિષય બની ચૂક્યો હતો. નેપથ્યમાં પ્રસ્તાવ થઈ ચૂક્યો હતો કે, ગમે તેમ તો ય જૈનેન્દ્ર અનધિકારી ગણાય … ને દાંત તો ભારે ઐતિહાસિક જણસ ઠરી. ખેર, એ વસ્તુની ઐતિહાસિકતા વિશે ને મારા અનધિકારીપણા વિશે હું પોતે પણ સભાન હતો એથી જ અંતરમાં થોડી નિર્બળતા ને અવિશ્વાસ સળવળ્યાં .. તો ય ઊંઘતાનો ડોળ કરી પડયો રહ્યો … જાણે બહેરો હોઉં … કશી વાત સાંભળતો જ ન હોઉં.

તે પછી પેલા મિત્ર મળ્યા, એક નહિ, અનેક બહાને વારંવાર મળ્યા … ને દર વખતે મેં એમને આશ્વાસન આપ્યું કે, ‘વસ્તુ અત્યંત સુરક્ષિત છે.’ મિત્રને નિરુપાય ખાલી હાથ પાછા ફરવું પડતું. ને હું આમ અબુધનો પાઠ ભજવ્યે ગયો.

નાનીશીક વાત, પણ ગંભીર બની જાય છે. એ જ બની રહ્યું હતું. ઉચ્ચમાં ઉચ્ચ ક્ષેત્ર લગી વિક્ષોભ પ્રસરી ચૂક્યો હતો … ઈન્દ્રાસન સુધ્ધાં ડોલી ઊઠયું!

એક દિવસ વાતવાતમાં ગાંધીજીએ એકાએક પૂછયું, ‘અરે, જૈનેન્દ્ર, પેલો દાંત તારી પાસે છે ?’

પૂછયું, ‘અરે, જૈનેન્દ્ર, પેલો દાંત તારી પાસે છે ?’ બચાવ કરતો હોઉં એવા ભાવથી મેં કહ્યું, ‘હા છે તો ખરો.’

‘અત્યારે છે ?’

‘જી … પણ આપ એનું શું કરશો ?’

‘શું કરીશ? પાછો મોંમાં તો જડાવી શકવાનો નથી જ.’

સાહસ કરીને મેં કહ્યું, ‘તો, પછી રહેવા જ દો ને … જેવો એ બીજે ગમે ત્યાં હશે તેવો મારી પાસે રહેશે.’

બોલ્યા, ‘આખરે ભઈ, એ છે તો મારો જ ને ? અત્યારે જ મને આપી દે …’

મેં જોયું કે, સામેનો માણસ નકરો મહાત્મા નથી, ધીંગો વકીલ પણ છે … ને તે ઉપરાંત શું ને કોણ નથી એ ? નરદમ અનુલ્લંઘનીય આદેશ. ચૂપચાપ ગજવામાંથી પડીકી કાઢીને ગાંધીજીની આગળ ધરી દીધી.

ગાધી ઐતિહાસિક હતા. એમનો દાંત પણ ઐતિહાસિક બની જાત. સાંચીના સ્તૂપમાં બુદ્ધનો દાંત જ છે ને. 

ખેર, એમણે પોતાના એક વિશ્વાસુ માણસના હાથમાં એ દાંત મૂકતાં કહ્યું, ‘જાઓ, આને કોઈ ખૂબ ઊંડા કૂવામાં પધરાવી આવો.’

એ માણસ તો પોતાનું કર્તવ્ય પાર પાડીને મોકળો થઈ ગયો. પરંતુ ગાંધીજી નિરાંતનો શ્વાસ લઈ શક્યા નહિ. ત્રણ ચાર દિવસ પછી વળી તેએાએ એ માણસને પૂછયું, ‘ભાઈ, પેલો દાંત પછી કૂવામાં ફેંકી આવેલા ને?’

‘હા જી.’

‘બરાબર યાદ છે ને તમને ?’

પેલા માણસે કહ્યું, ‘હા.’ ને ગાંધીજીએ નિરાંતનો ઊંડો શ્વાસ લીધો. 

દુનિયાને મોહ ને આસક્તિની પકડમાં લઈ જાય એવી પોતાની એક પણ વસ્તુને તેઓ મોકળી રાખવા તૈયાર ન હતા … ને છતાં જગતની નાના પ્રકારની આસક્તિઓ ને એની વિવશતાઓને જોઈને અનુકંપાથી એમનું હૈયું ભીનું થઈ આવતું …!

એમની દૃષ્ટિ જેટલી સૂક્ષ્મ હતી, એટલી જ નિર્મમ હતી. ક્યાં ય મેલનો એક છાંટો પણ તેઓ સહી શકતા નહિ. એમને મન મેલ કંઈ હોય તો તે કેવળ અસત્ય. એ સિવાય ઘોરમાં ઘોર અપરાધી પ્રત્યે પણ તેઓ સદાય ને સહૃદય હતા. આવી સહૃદયતા ને નિર્મમતા વચ્ચે મેળ શી રીતે સાધી શકાતો હશે ? એ સમજવું ગાંધીજીને જાણ્યા વિના સંભવિત નથી.

20 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 339.

Loading

...102030...104105106107...110120130...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved