Opinion Magazine
Number of visits: 9667356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ ધરતી પરનું એક માત્ર દયાજનક પ્રાણી છે માણસ

રમેશ ઓઝા|Opinion - Opinion|6 August 2023

રમેશ ઓઝા

લોકસભાની અને ઉત્તરનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક છે એટલે કોમી હુલ્લડો તો જાણે થવાનાં છે. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી પહેલાં સતત કોમી હુલ્લડો થતાં હતાં અને ટીપુ સુલતાન ભારતની મોટી સમસ્યા હતી. અત્યારે લોકો ટીપુને ભૂલી ગયા છે અને કોમી હુલ્લડો પણ બંધ થઈ ગયાં છે. કર્ણાટકમાં હિંદુ આવતી ચૂંટણી સુધી સુરક્ષિત છે.

એકની એક ઘટના, એકના એક સ્વરૂપમાં, એકના એક સંજોગોમાં હજાર વાર બને અને છતાં ય લોકો તેને સાચી માને અને દોરવાય એ તો માનવમસ્તિષ્કની કમાલ જ કહેવાય. કૂતરાને તુતુ કરીને બોલાવો અને પછી દોડીને આવેલા કૂતરાને ખાવાનું ન આપો તો એ વધુમાં વધુ બે વાર આવશે અને છેતરાશે, ત્રીજીવાર નહીં આવે. પણ આ ધરતીનું સૌથી અકલમંદ પ્રાણી માણસ વારંવાર આવશે અને છેતરાશે. છેતરાયા પછી પણ છેતરાશે. સાંપ્રત સત્તાકીય રાજકારણ, સાંપ્રત ધર્મકારણ (કે ધાર્મિકતા) અને સાંપ્રત અર્થકારણ માનવીની વારંવાર છેતરવાની અને છેતરાયા પછી પણ માથું ઊંચું રાખીને ફરીવાર છેતરાવાની ક્ષમતા પર આધારિત છે. આ વિરલ ક્ષમતા આ ધરતી પર માત્ર સૌથી બુદ્ધિશાળી પ્રાણી જ ધરાવે છે.

માટે જે. કૃષ્ણમૂર્તિ નામના વીતેલી સદીના અનોખા અને મૌલિક ફિલસૂફે કહ્યું હતું કે માનવીય સંકટનું મૂળ એનાં મસ્તિષ્કમાં છે. માણસ આ ધરતીપરનું એક માત્ર દયાજનક પ્રાણી છે જે પોતાની જાતને છેતરે છે અને જાણતો હોવા છતાં છેતરે છે. છેતરાયા પછી પણ છેતરે છે. સૌથી બુદ્ધિમાન પ્રાણીની આ શોકાંતિકા છે. શા માટે માણસ પોતાની જાતને છેતરે છે, જાણતો હોવા છતાં છેતરે છે અને છેતરાયા પછી પણ છેતરે છે? આનું કારણ છે ભય. માનવી આ ધરતી પરનું અત્યંત અસુરક્ષિત ભયભીત પ્રાણી છે અને એ ટોળાંમાં સુરક્ષા શોધે છે. દેખીતી રીતે જે તે ઓળખનાં ટોળાં રચનારાઓ તેનો લાભ લે છે. ફેર એન્ડ લવલી વાપરનારો એક શાણી જમાતનો સભ્ય છે, તેને ગોરા થતાં આવડે છે, તેને એવો અહેસાસ કરાવવામાં આવે છે; પછી ભલે એ આખી જિંદગી ફેર એન્ડ લવલી વાપર્યા પછી પણ ગોરો ન થાય.

ભારતમાં અંગ્રેજો આવ્યા એ પછી હિંદુ અને મુસલમાનો વચ્ચે કોમી હુલ્લડો શરૂ થયાં. એ પહેલાં ધાર્મિક પ્રશ્ને મનદુઃખ, ઝઘડા કે વિખવાદની ઘટનાઓ બનતી હતી, પણ જેને આપણે હુલ્લડ કહીએ છીએ એવી ઘટનાઓ નહોતી બનતી. મનદુઃખ અને ઝઘડા માનવીય હોય છે, પરિવારમાં પણ આવું બનતું હોય છે, જ્યારે હુલ્લડ શુદ્ધ રાજકીય હોય છે. એની પાછળ એજન્ડા હોય છે. ભારતમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે અંતર વધારવાનો અંગ્રેજોનો એજન્ડા હતો. અંતર વધે તો એકતા સ્થાપિત ન થાય અને એકતા સ્થાપિત ન થાય તો પરસ્પર અવિશ્વાસની સ્થિતિમાં આપણું હોવું તેમના માટે અનિવાર્ય બની જાય. બન્ને કોમને એમ લાગવું જોઈએ કે આપણા (અંગ્રેજો) થકી તેઓ સુરક્ષિત છે.

અને એવું બન્યું પણ ખરું. હિંદુ અને મુસલમાનને એક સાથે એક જ ઘટના દ્વારા અસુરક્ષાનો અહેસાસ કરાવવા કોમી હુલ્લડો શરૂ થયાં. કોમી હુલ્લડો માટે આટલી તરકીબ વિકસાવવામાં આવી હતી :

૧. ધાર્મિક જુલૂસ ઉપર પત્થરમારો થાય. 

૨. મસ્જિદની નજીક નમાજને સમયે વાજિંત્ર વગાડવાની ઘટના બને. 

૩. મંદિરમાં ગોમાંસ અને મસ્જિદમાં ડુક્કરનું માંસ ફેંકવામાં આવે. 

૪. ગાયની કતલ કરવાની કે કતલ કરવા લઈ જવાની ઘટના બને. નજર સામે કતલ થાય એ જરૂરી નથી, હાહાકાર થાય એટલું પૂરતું છે.

બસો વરસથી આ ચાર પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે, એક સરખી બને છે, એક હજાર વખત બની હશે અને દરેક વખતે કેટલાક લોકો રસ્તા પર ઉતરી પડે છે. ક્યારેક વળી મંદિર, મસ્જિદ કે ઇદગાહની જમીનને લઈને ઝઘડો પેદા કરવામાં આવે. ભારતમાં કોમી હુલ્લડનું શાસ્ત્ર અને તંત્ર એવું છે જેમાં કોઈ વિકાસ થયો નથી અને છતાં જેને જોઈએ છે તેને ફળ આપે છે. અંગ્રેજોને ફળ મળ્યું અને હવે એ લોકોને ફળ મળી રહ્યું છે જેઓ કોમી રાજકારણ કરે છે.

જે લોકો કોમી હુલ્લડ વખતે ઉશ્કેરાઈ જાય છે તેને ક્યારે ય પ્રશ્ન પણ નહીં થતો હોય કે બસો વરસથી એક સરખાં કારણે, એક સરખાં સંજોગોમાં એક હજાર કરતાં વધુ વખત હુલ્લડો થયાં હશે અને તેમાં કોઈ કોમને આજ સુધી કોઈ ફાયદો નથી થયો પણ કોઈકને જરૂર ફાયદો થઈ રહ્યો છે. એ જ તો ખૂબી છે માનવમસ્તિષ્કની. તેને એવો પણ પ્રશ્ન થતો નથી કે લોકોનો ગુસ્સો કોઈક ત્રીજું નક્કી કરે એટલો સમય ટકે અને સક્રિય રહે. કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો આવે, કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો ભડકે, કોઈક ઈચ્છે એટલો સમય ગુસ્સો ટકે અને કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો શાંત થઈ જાય. વાત એમ છે કે માણસને છેતરાવું ગમે છે કારણ કે તે ભયભીત છે અને તેને ટોળાંમાં રહેવું છે. કોઈ માણસ ક્રીમ લગાડીને ગોરો થયો નથી અને કોઈ માણસને અમુક બ્રેન્ડનું ઓઈલ વાપરવાથી માથામાં વાળ ઉગ્યા નથી, પણ છતાં ય વાપરે છે અને છેતરાય છે. એટલે તો કોમી હુલ્લડનું બસો વરસથી અવિકસિત શાસ્ત્ર હજુ ફળ આપે છે.

માનવી દયાજનક પ્રાણી છે અને ટોળાંનો માનવી હજુ વધુ દયાજનક છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑગસ્ટ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—208

દીપક મહેતા|Opinion - Opinion|5 August 2023

સર જમશેદજી નસરવાનજી તાતા: 

રાત–દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી     

 સ્થળ : જમશેદજી તાતા રોડ 

સમય સવારના ચાર

જીન્સ-કુરતું પહેરેલો એક જુવાન પત્રકાર ઓફિસેથી નીકળી ચર્ચગેટ સ્ટેશન તરફ જઈ રહ્યો છે. મોબાઈલ પર ઉમાશંકર જોશીનું ગીત વાગી રહ્યું છે તે સાથોસાથ ગણગણતો રહે છે.

સપનાં લો કોઈ સપનાં,

અવાવરૂ કો હૈયાખૂણે નાખી રાખો,

નહિ કંઈ પૂણે, 

નીવડશે કદી ખપનાં

સપનાં લો કોઈ સપનાં  

ભીખા શેઠ : પધારો, પધારો વાચ્છા શેઠ. જમશેદજી નસરવાનજી તાતાની શીળી છાયામાં આપનું સ્વાગત છે.

દિનશા શેઠ : કેમ બાવા! તમુની તબિયત તો સોજ્જી છે ને?

ભીખા શેઠ : કેમ?

દિનશા શેઠ : આય તમે પેલા ગુજરાતી લેખકો જેવું ‘શુદ્ધ’ ચોખ્ખું-ચણાક બોલવા લાગિયા એટલે પૂછું છ.

ભીખા શેઠ : એ તો એમ કે આપરી ગુજરાતી ભાસાના એક જાનીતા-માનીતા લેખકે મહેતાજીને લખિયું છે કે આય બધ્ધા પારસી જબાનમાં જ બોલબોલ કીધા કરે ચ એના કરતાં અમારી જેમ ‘શુદ્ધ’ ગુજરાતીમાં કેમ નઈ બોલે? અમુને સમજવું થોરું સહેલું પરે ને!

રઘલો : સેઠ! મેં બી પાંચ-સાત ગુજરાતી ચોપરી વાંચેલી હો. પણ એમાં તો મેઘાણીભાઈ સોરઠી બોલી વાપરે, ઉમાશંકરભાઈ ઈડરિયા મલકની બોલી વાપરે, અને ઓલા ગુણવંતરાયભાઈ તો દરિયાખેડુની બોલી વાપરે. તે વારે કોઈ આવી ફરિયાદ કરે છ?

ભીખા શેઠ : જો રઘલા! આય અમે પારસી લોક તો દૂધમાં સાકરની જેમ મિક્સ થઈ ગિયા, એ વાતને કેટલાં ય વરસ થઈ ગિયાં. પન હજી ઘન્ના ‘સુધ્ધ’ બોલનારાને પારસી જબાન ગોઠતી જ નૈ. 

વાચ્છા શેઠ : તમે બેઉ આ લપ મૂકોની! પેલો જવાન ગિયો તે કેવું મીઠ્ઠું ગીત ગુણગુણતો હૂતો : ‘સપનાં લો કોઈ સપનાં.’ આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા!

જમશેદજી : તમે બી સું દીન્શાજી! જે થોરું ઘણું થયું એ કીધું. 

વાચ્છા શેઠ : સર! તમુએ એક નહિ પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી કે નહિ? 

ભીખા શેઠ : સ્વામી વિવેકાનંદ? પેલા અમેરિકાના શિકાગો શહેરની કોન્ફરન્સમાં સોજ્જું મજાનું ભાસણ કીધેલું તે? 

વાચ્છા શેઠ : હા જી, એ જ સ્વામી વિવેકાનંદ. વાત જાને એમ છે કે સ્વામીજી અને સર જમશેદજી, બંને ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામની સ્ટીમરમાં સાથે ટ્રાવેલ કરી રહ્યા હુતા. ૧૮૯૩ના મે મહિનાની ૩૧ તારીખે સ્વામીજી પેનેનસુલા નામની આગબોટમાં મુંબઈથી નીકલિયા. સીધો રસ્તો લેવાને બદલે લાંબો રસ્તો લીધો. મુંબઈથી ગિયા ચીન, અને ત્યાંથી ગિયા જાપાન. તાંના યોકોહામા બંદરેથી આર.એમ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા નામની સ્તિમરમાં વાનકુવર જવા નીકલિયા. 

રઘલો : અરે સેઠ! મુને આગગાડી અને આગબોટની વાતો બઉ ગમે છ. આય આગબોટની થોરી વાત કરો ની!

વાચ્છા શેઠ : સાંભલ દિકરા. એ જમાનામાં એરોપ્લેન તો હુતાં નહિ. એટલે એક દેસથી બીજે દેસ જવા માટે આગબોટ એક જ સાધન હુતું. આય એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા કેનેડિયન પેસિફિક સ્ટીમશિપ્સ નામની કંપનીને વાસ્તે ગ્રેટ બ્રિટનમાં ૧૮૯૦-૧૮૯૧માં બંધાઈ હુતી. કલાકના ૧૬ દરિયાઈ માઈલની ઝડપે ચાલતી આય ટ્વીન પ્રોપેલર બોટ એ વખતે સૌથી ફાસ્ટ ચાલતી સ્ટીમર હુતી. તેમાં એકુ વખતે ૭૭૦ મુસાફરો બેસી સકતા હુતા. 

ભીખા શેઠ : બીજી એક વાત. ૧૯૧૪માં કેનેડિયન કંપનીએ આય બોટ આપના દેસના ગ્વાલિયરના મહારાજાને વેચી દીધી. એવને બોટનું નવું નામ રાખ્યું ‘લોયલ્ટી.’ પણ તે વારે જ પહેલી વર્લ્ડ વોર સુરુ થઈ. આ બોટમાં ફેરફાર કરી તેને સૈનિકો માટેની ઓસ્પિટલ બનાવી નાખી. વોર પૂરી થયા પછીથી ૧૯૧૯ના માર્ચમાં આપના દેસની પહેલવહેલી ‘દેશી’ શિપિંગ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશને આય શીપ ખરીદી લીધું. અને એ જ વરસના એપ્રિલ મહિનાની પાંચમી તારીખે આપના દેસના વહાનવટાના હિસ્ટરીમાં એક નવું સોનેરી ચેપ્ટર લખાયું. તે દહારે આય દેશી કંપનીની ‘લોયલ્ટી’ સ્ટીમર મુંબઈથી ગ્રેટ બ્રિટન જવા નીકલી. તે દહાડા સુધી હિન્દુસ્તાન-બ્રિટન વચ્ચેની મુસાફરી પર અંગ્રેજ કંપનીઓની મોનોપોલી હુતી. 

ભીખા સેઠ : પણ વાચ્છા સેઠ! સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદની વાત હવે આગળ ચલાવોને!

વાચ્છા સેઠ : સર જમશેદજી બી શિકાગો જતા હુતા, પણ ધંધાના કામે. જાપાનથી કેનેડાની મુસાફરી સુરુ થઈ ત્યારે સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદ એકુમેકુને ઓલખતા હુતા નહિ. પન શીપની લાંબી મુસાફરીમાં એકમેકુને મલિયા, વાતો કીધી. તે વારે સર જમશેદજીએ સ્વામીજીને કીધું કે આપ તો આપરા દેસનું નામ રોશન કરવા જાવ છો. પણ મારાં બી બે નાલ્લાં સપનાં છે આપરા દેસ માટે. એક તો સાયન્સના ટીચિંગ અને રીસર્ચ માટે એક મોટ્ટી ઇન્સ્ટિટ્યૂટ શુરુ કરવી ચ આપરા દેસમાં. અને બીજું સપનું તે પાણીની મદદથી વીજળી પેદા કરવા એકુ હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ નાખવો ચ, મુંબઈની પાસે. સ્વામીજીએ એવનની વાત સાંભલીને કીધું કે બહુ ઉમદા વિચાર છે આપના. આવું કોઈ કામ કરો અને મદદની જરૂર પરે તે વારે મુને યાદ કરજો. 

રઘલો : સર જમશેદજી સાહેબનાં એ સપનાં સાચાં પડિયાં કે નહિ? 

વાચ્છા શેઠ : સર જમશેદજીનાં બેઉ સપનાં સાચાં પરિયાં બી, અને નૈ બી પરિયાં.

ભીખા શેઠ : એ વરી કઈ રીતે? 

વાચ્છા શેઠ : એ એવી રીતે કે બેઉ પ્રોજેક્ટની શુરૂઆત તેમની આંખ સામે થઈ પન એ પૂરા થાય એ પહેલાં જમશેદજી શેઠ ખોદાયજીને પ્યારા થઈ ગયા.

ભીખા શેઠ : એ બે પ્રોજેક્ટ તે કિયા?

વાચ્છા શેઠ : સ્વામી વિવેકાનંદ સાથેની સફર પછી પાંચ વરસે જમશેદજી શેઠે કાગજ લખિયો : ‘આજથી પાંચ વરસ પર જાપાનથી વાનકુવર જતી શીપ પર આપરે મલિયા હુતા તે આપને કદાચ યાદ હોસે. એ વખતે મેં મારાં બે સપનાં બાબત વાત કરી હુતી. મને કહેતાં ખુસી ઉપજે છ કે તેમાંથી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું કામ હવે સુરુ થૈ ગયું છે. બેંગલોરમાં આય માટે મૈસૂરના મહારાજાએ ૩૭૧ એકર જમીન અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. મેં બી મારી થોરી જમીન અને મકાનો આપ્યાં છે.’ નવાં મકાનો બંધાવા લાગિયાં, બીજી બધી સગવરો ઊભી થવા લાગી. આય બધી તૈયારી જોઈને જમશેદજી જરૂર હરખાયા હોસે. પન એવન પરદેશની મુસાફરી પર ગિયા હુતા ત્યારે જર્મનીમાં ૧૯૦૪ના મે મહિનાની ૧૯મી તારીખે એવન આ ફાની દુનિયા છોરીને ચાલી ગિયા. 

૧૯૨૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાતે ગાંધીજી 

જમશેદજી તાતા : એકુ વાત કેઉં? ઘન્ના લોક કહે છ કે મહાત્મા ગાંધી વિજ્ઞાનની વિરુદ્ધ હુતા. પન એવું નથી. મારા સપનાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની મહાત્માએ બે વાર મુલાકાત લીધી હુતી. પહેલી ૧૯૨૭ની ૧૨મી જુલાઈએ. અને બીજી ૧૯૩૬ના જૂનની ૧૨મી તારીખે. પહેલી વાર આવિયા તેવારે કસ્તૂરબા અને મહાદેવ દેસાઈ બી સાથે હુતાં અને સર સી.વી. રમણ અને કેનેથ એસ્ટને તેઓની પરોણાગત કીધી હુતી. એ વખતે મારી રૂહ બી ત્યાં હાજર હુતી.

ભીખા શેઠ : અને સર સાહેબનું બીજું સપનું?

તાતા પાવર સ્ટેશન, અસલ મકાન 

વાચ્છા સેઠ : એ હુતું મુંબઈ શેરને ઈલેક્ટ્રીસિટી પૂરી પાડવા માટે હાઈડ્રોલિક પાવર સ્ટેશન શુરુ કરવાનું. લોનાવલા પાસેની એકુ જાગા જોઈને જ એવનને થિયું કે અહીં હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઊભું કરી મુંબઈને પાવર પહોચારી સકાય. પરદેસથી એક્સપર્તોને બોલાવિયા, તેમણે બી કીધું કે હા, આમ જરૂર જ થઈ સકે તેમ છે. પન આ પાવર સ્ટેશન ધમધમતું થિયું તે બી સર સાહેબ બેહસ્તનશીન થયા તે પછી. 

ભીખા શેઠ : આય તાતા પાવર સ્ટેશન આજે બી મુંબઈ શેરના ઘન્ના ભાગોમાં પાવર પૂરો પાડે છે. અને એ રીતે લોકો આજે બી સર સાહેબને યાદ કરે છે.

વાચ્છા શેઠ : તમુની આય વાત એકદમ સાચ્ચી, પન આય મુંબઈમાં સર જમશેદજીનું બીજું બી એક બહુ મોત્તું મેમોરિયલ બિલ્ડિંગ છે.

રઘલો : એ વરી કયું?

વાચ્છા શેઠ : પાલવા બંદર પર આવેલી તાજ મહાલ હોટેલ. 

ભીખા સેઠ : પાલવા બંદર એટલે તો ગેટ વે ઓફ ઇન્ડિયા કની?

તાજ મહાલ હોટેલ, ૧૯૦૩માં બંધાઈ ત્યારે

વાચ્છા શેઠ : હા, પણ ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે આય હોટેલ સુરુ થઈ ત્યારે તિયાં ગેટ વે ઓફ ઇન્ડિયા હૂતો જ નઈ. એ તો ૧૯૨૪ના ડિસેમ્બરની ચોથી તારીખે ખુલ્લો મૂકાયો હૂતો. એ જાગોને આપરા દેસી લોકો પાલવા બંદર કહેતાં, અને અંગ્રેજો એપોલો પિયર. 

આય તાજ મહાલ હોટેલ એ સર જમશેદજી નસરવાનજી તાતાનું રાત-દિવસ લોકની આવનજાવન વરે ધબકતું મેમોરિયલ છે. 

ભીખા શેઠ : સર સાહેબ બેહસ્તનશીન થિયા પછી એવનને વાસ્તે દિલગીરી જાહેર કરવાને આપરા ટાઉન હોલમાં એક મોટ્ટી મિટિંગ ભરાઈ હુતી. તે વેલા જસ્ટીસ નારાયણ ગણેશ ચંદાવરકર શોકના ઠરાવને ટેકો આપવાને ઊભા થિયા ત્યારે બોલ્યા હુતા : ‘ઘન્ના લોક કહે ચ કે સર જમશેદજી તાતાના દિમાગમાં રોજ નવા નવા વિચારો આવતા હુતા. તો કોઈ વલી બોલે ચ કે એવન હંમેશ બીજાઓને નવાં નવાં કામ કરવા ઇન્સ્પીરેશન આપતા હુતા. પન કદાચ વધુ સાચી વાત તો એ છે કે સર જમશેદજી નસરવાનજી તાતા એટલે રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી.

સાહેબો, આપની આય પુતલાં પરિષદનો આજે છેલ્લો દિવસ છે. એટલે છુટ્ટા પરતાં પહેલાં આપરે સૌ સાથે મળીને જેહાંગીર નસરવાનજી પટેલ ‘ગુલફામ’ના ‘ધન ધન ધોરી’ નામના નાટકનું એક ગીત ગાઈએ. 

રઘલો : અરે પણ સેટ! આય ગુલફામ હુતા કોન એ તો જરા કહો.

વાચ્છા સેઠ : આપરી ગુજરાતી ભાસાના બહુ મોટ્ટા નાટક-લેખક હુતા.

૧૮૬૧ના જુલાઈની ૧૪મી તારીખે ખોદાયજીએ એવનને આય દુનિયામાં મોકલિયા અને ૧૯૩૬ના ઓગસ્ટની ૨૪મી તારીખે પોતાની પાસે પાછા બોલાવી લીધા. આપરી ગુજરાતી બોલીમાં – ફક્ત પારસી ગુજરાતીમાં નહિ, one act plays કહેતાં એકાંકી નાટક સૌથી પેલ્લે એવને લખિયાં. બટુભાઈ ઉમરવારિયા અને યશવંત પંડ્યાનાં એકાંકી છપાયાં તે પેલ્લાં દસ-બાર વરસે ગુલફામનાં એકાંકી છપાયાં અને તખ્તા પર ભજવાયાં બી હુતાં. 

(બધા ઊભા થઈને ગાય છે)

જગ કિરતાર સરજનહાર,

કિસ્તી મારી તું પાર ઉતાર. 

મુજ કોમનો તું કર ઉધ્ધાર, 

ઓ દાતાર! કર બેડો પાર. 

સખાવત ને બહાદુરીનું 

આપજે અમને જોમ

કૂલ દુન્યા સાથે કહે 

ધન ધન પારસી કોમ.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 05 ઑગસ્ટ 2023)

Loading

ગમતાં નામ  : 

વિજય ભટ્ટ|Poetry|5 August 2023

આજે મળસ્કે ઊઠી ગયો.
સૂર્યનારાયણ હજી ધરા પર સહેજ ડોકિયું કરે તે પહેલાં જ.
આજે એક આછી પાતળી જાણીતી નિરાંત હતી.
રોજ નથી હોતી એવી,
ખાલી-ખમ રવિવારની ભરપૂર નિરાંત.

લીધો ગરમ ચાનો કપ હાથમાં.
જઈ બેઠો બેકયાર્ડમાં.
પેલા ખૂણા પરની ગમતીલી લોખંડની ખુરશી પર.
જે મારી નાનકડી બાગવાડીનો સૌથી મજબૂત સદસ્ય.
જ્યારે મારે મારી સાથે વાત કરવી હોય,
શબ્દ ટપકાવવા હોય,
તો ત્યાં જ બેસું, હંમેશાં.

આજે ખાસ લખવાની ઈચ્છા નથી.
નવી ડાયરી ખરીદી છે તો ઉદ્ઘાટન કરું.
ઘણાનાં નામ અને ફોન નમ્બર છૂટા છવાયા પડ્યાં છે
તો નવી ડાયરીમાં સરખી રીતે લખી દઉં. 

જૂની ડાયરી ઘણાં નામો, સરનામાં, અને ફોન નમ્બરથી
ભરાઈ ગઈ છે,
ઉભરાઈ ગઈ છે,
ને ધરાઈ ગઈ છે.
કેટલાં ય નામ ઉકલતા નથી,
સમજાતાં નથી,
અજાણ્યાં લાગે છે,
જાણે એ પહેલાં જેવાં નથી રહ્યાં.
અમુક નામ તો મારી ડાયરીમાં કેમ લખાયાં છે તે જ ખબર નથી.
અમુક નામ ક્યાંક સ્થળ અને સમયના બંધનમાંથી  આગળ નીકળી ગયાં છે!
ઘણાં નામ હવે વરસે દહાડે એક વાર દિવાળી શુભેચ્છા પૂરતા જ.

ઘણાં  પાના પર અને નામ પર ડાઘા પડી ગયા છે,
એ પાના હવડ લાગે, બરડ થઇ ગયાં છે, સબંધોની જેમ જ,
ગમે ત્યારે ફાટી જાય, બહુ જ સાચવી ને અડકવું પડે છે, એને  પણ,
સંબંધોની જેમ જ.

પણ આજથી તો નવી ડાયરી!

ચાલ!  તાજા, ગમતા, અંગત, વ્હાલા લોકોનાં નામ, ફોન અને સરનામાં સૌ પહેલા લખું.
લખું યાદી, નામની, મારા ગમતીલાઓની.
નવી નક્કોર, કોરી કડક ડાયરીમાં.
 હજી નવા બાઈન્ડીંગની સુગંધ પણ છે!

ટેવ મુજબ જ
પ્રથમ પાનાં પર લખ્યું,
શ્રી ગણેશાય નમઃ
શ્રી સરસ્વત્યૈય નમઃ 
પછી થોડી લાઈન ખાલી રાખી.
ટેવ મુજબ જ.

કર્યું શરૂ લખવાનું, ગમતીલી નામાવલીનું.
કેટલાં ય અંગત નામ માનસપટ પર સહજ  તરતાં આવ્યાં.
ને હજી લખું ત્યાં તો એકાએક …..

ઊડીને સામેથી આવ્યું એક પતંગિયું!
કહે “મને લખો”
સામે જ બેઠેલા લચલચતા સફેદ ગુલાબનું ટોળું
તાકી ને મને જોતું હતું કે હું પતંગિયા સાથે એનું નામ પણ લખું છું કે નહિ.
લો બંનેને લખ્યા.

પેલી મોં નીચું રાખીને શરમાતી નાની મરચીના છોડે
આંખ ઊંચી કરીને શરમાતાં સહેજ જોયું મારી સામે.
બસ, તો ઉમેરો એને.
 
ને પેલો બાજુનો, નાનકો મીઠો લીમડો
રોજ જ વઘારમાં આવે.
આજે મને એ જવાદે કે? 
કહે, “લખ મને. કઢી વગર તો તને ચાલતું નથી જ ને?”
આ લખ્યું, લે. ચાલવાનું છે એના વિના?

બાજુના વાડામાંથી ડોકિયાં કરતી પેલી જૂઈ ઠાવકી થઇ,
 “જો જો, હું રહી ના જાઉં.”

પેલી રાતરાણીએ રાતપાળી પૂરી કરતાં કરતાં જ
ઈશારો કર્યો “મને સાંજે જ લાડ કરો એવું ના ચાલે”
લખી એને.

છેક .. પેલી ઝાંપલી પાસેની બોગનવેલી દૂરથી બોલી
“મારાથી ત્યાં સુધી અવાતું નથી પણ હું બધું જ જોઉં છું.”
ઉમેરી લ્યો એને પણ, બાકી એ તો દૂર જ સારી.
એના પેલા કાંટાળા નખ,  એ કદી કપાવતી જ નથી.
જેટલાં ફૂલ, તેટલા જ કાંટા!

એકાએક હવાનો ઝોંકો આવ્યો અને પેલી પારિજાતનો ‘સ્મેલ-મેસેજ’ આવ્યો.
મેં કહ્યું: “હા, મારી વ્હાલી, લે ઉંમેરી તને, તું તો કાના-રુક્મિણીની પણ ખાસ.”

આખા બાગમાં વાત ફેલાઈ ગઈ.
“અલી, તારું નામ ઉમેરાયું?”
“અલ્યા, તને પૂછ્યું?”
“એ ભાઈ, મારું પણ લખજો, હોં!”

પંખીઓને પણ ખબર પડી ગઈ.
પેલી રોજની ઉડાઉડ કરતી ચકલીઓ, પેલી કાબર.

લખાવો નામ વ્હાલ વહેંચવા!
બાગમાં બધાને અંદર અંદર હેતની હુંસાતુંસી,
ગમતા થવાની ગમ્મત,  
ફૂલોની ફરિયાદ અને સુગંધિત સંવાદ.
વ્હાલા થવાની વેળા કોઈ ને ય જવા દેવી ન હતી.
હા ભાઈ હા, જો તમે ગમતીલા હશો તો રહી નહિ જ જાઓ, બસ.

નામ લખાતાં જ ગયાં, લખાતાં  જ ગયાં, લખાતાં જ ગયાં ….
ડાયરીનાં પાના ભરાતાં જ ગયાં, ભરાતાં જ ગયાં, ભરાતાં જ ગયાં …..
ડાયરીનું છેલ્લું પાનું પણ હવે પૂરું ભરાઈ જવા આવ્યું.
માંડ માંડ એકાદ નામની જગ્યા કરી શકાય, કદાચ
તે પણ બહુ ઝીણા અક્ષરે લખું તો જ.

સૂર્યાગમન થઈ ગયું હતું. સમગ્ર તેજ તેજ!
બધાં જ ફૂલો, બધાં જ છોડ, ઘાસ, વૃક્ષ, અરે, માટી પણ
સજાગ!

અને .. અચાનક જ, સહેજ પણ બોલ્યા વગર ..
પેલા એક દૂરના ફૂલ ઉપરથી ઝાકળે
એવું તો એક તીક્ષ્ણ સૂર્યકિરણ મારી આંખ તરફ ફેંક્યું!

હવે ક્યાં લખીશ ઝાકળનું નામ?
સારું થયું ગણેશ અને મા સરસ્વતીનાં નામ પછી થોડી લાઈન
પહેલેથી જ રાખી હતી મેં.
લખ્યું ઝાકળનું નામ. ડાયરીનાં પહેલા પાનાં પર જ.
છેક ઉપર જ, આગળ, પહેલું જ!

ઝાકળ રોજ યાદ કરાવે –
“ઝાકળ ઊડી જશે અને ડાઘા રહી જશે … તારી ડાયરીમાં”

૪, ઓગસ્ટ, ૨૦૨૩; લોસ એન્જલસ
e.mail : vijaybhatt01@gmail.com

Loading

...102030...1,0361,0371,0381,039...1,0501,0601,070...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved