Opinion Magazine
Number of visits: 9563309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણ અપાઈ ન જાય તેની સરકાર ભારે કાળજી રાખે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 July 2023

રવીન્દ્ર પારેખ

સારી વાત એ બની કે બોર્ડમાં 58 શાળાઓ એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં સો ટકા પરિણામ લાવી અને તેનું યોગ્ય રીતે જ શિક્ષણ રાજ્ય મંત્રી દ્વારા અભિવાદન થયું. શિક્ષણ રાજ્ય મંત્રીએ એ પણ નોંધ્યું કે ઈંગ્લેંડમાં પહેલી શાળા સ્થપાઈ ત્યારે ભારતમાં 7,200 ગુરુકૂળ કાર્યરત હતાં, જે વેદોક્ત પદ્ધતિથી જ્ઞાન આપતાં હતાં. એ પદ્ધતિ અને ગુરુકૂળનું પછી શું થયું, તે તો એમણે ન કહ્યું, પણ ત્રણ મહત્ત્વની જાહેરાત એમણે કરી કે નજીકના દિવસોમાં જ 25,000 શિક્ષકોની નિમણૂક થશે અને 16,000 ઓરડા બનશે તથા એક પણ સરકારી સ્કૂલ બંધ નહીં થાય તેની કાળજી રખાશે. એ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી, અન્ય વહીવટી અધિકારીઓ, ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત હતા. જો એ એમ જ છૂટા ન પડ્યા હોય તો એમને મંત્રીશ્રીની વાતો અંગે વિચારવાનું થયું હશે.

શિક્ષકોની વાત કરીએ તો 2017થી શિક્ષકોની ભરતી થઈ નથી. 30,000 જેટલા કાયમી શિક્ષકો 6 વર્ષથી નિમણૂક પામ્યા નથી ને તેને વિકલ્પે વિદ્યાસહાયકો, પ્રવાસી શિક્ષકોથી કામ કઢાયું છે. એમાં પણ આ વર્ષે પ્રવાસી શિક્ષકોને મંજૂરી મળી નથી. તે એટલે કે એ બિનતાલીમી છે. આટલાં વર્ષો એનાથી ચાલ્યું ને હવે જ્ઞાન થયું કે ન ચાલે એટલે અત્યારે તો ગાડું ઘોંચમાં પડ્યું છે. બિનતાલીમી મંત્રીઓ જો ચાલતા હોય તો બિનતાલીમી શિક્ષકો પણ ચાલે એવી માન્યતાથી પ્રેરાઇને કદાચ, પ્રવાસી શિક્ષકો ચાલ્યા હોય એમ બને. બીજું, કારણ એ પણ ખરું કે બિનતાલીમીથી જ જો કારભાર ચાલે એમ હોય તો બી.એડ્. કોલેજો પણ નિરર્થક પુરવાર થાય. બને કે તાલીમ આપતી શૈક્ષણિક સંસ્થાઓને તાળાં ન લાગે એટલે કદાચ પ્રવાસી શિક્ષકોનો એકડો કાઢી નંખાયો હોય. એ જે હોય તે, પણ શિક્ષકોની ઘટ છે તે છે જ ! એ ઘટ નિમણૂકો વગર પુરાવાની નથી એ સ્પષ્ટ છે.

રહી વાત સ્કૂલો બંધ થવાની, તો વધારે દૂર ન જઈએ તો 22 ફેબ્રુઆરી, 2023ના સમાચાર છે કે રાજ્યમાં 2,600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી ગયાં છે. સાચું તો એ છે કે શાળાઓ બંધ થવાનું તો વર્ષોથી ચાલ્યું આવે છે ને તેમાં સરકાર તરફથી જ ખાનગીકરણને અપાયેલું પ્રોત્સાહન કેન્દ્રમાં છે. એ  તો ખાનગી સ્કૂલોની વધતી સંખ્યા પરથી પણ સમજી શકાય એમ છે. આ સ્થિતિ રાજ્યની જ છે એવું નથી, દેશભરની શાળાઓને આ વાત લાગુ પડે છે. કોરોનાને નામે ભલે ચરી ખાઈએ, પણ તે પહેલાં પણ આ જ સ્થિતિ હતી. 2018-‘19માં દેશભરમાં 51,108 સ્કૂલો બંધ થઈ હતી અને ખાનગી શાળાઓમાં 3.6 ટકાનો વધારો થયો હતો, એટલે કે તેની સંખ્યા 3,25,760થી વધીને 3,37,499 થઈ હતી, એટલે કે 11,739નો વધારો. વારુ, જે સ્કૂલો ચાલે છે, તેની દશા કેવી છે? વરસેક પરની વાત કરીએ તો ગુજરાતમાં 700 શાળાઓ એવી છે જે 1 જ શિક્ષકથી ચાલે છે. સારું છે કે સમ ખાવા પૂરતો એકાદ શિક્ષક તો છે ! એવા દિવસો આવે તો નવાઈ નહીં કે એક પણ શિક્ષક ન હોય એવી શાળાને સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે !

હકીકત એ છે કે આખો દેશ દેખાડા પર અને શાસકીય અખાડાઓ પર ચાલે છે. તમામ ધર્મો-અધર્મો, જાતિ-જ્ઞાતિઓ, પક્ષો- વિપક્ષો શક્તિ પ્રદર્શનમાં રાચે છે. એમાંથી શિક્ષણ પણ બાકાત નથી. એને ડેટાનું એવું ભૂત વળગ્યું છે કે ડેટા એ જ શિક્ષણ થઈ પડ્યું છે. એ ખબર નથી પડતી કે એક વિદ્યાર્થીની નામ-ઠામની વિગતો ઉપરાંત એવી તે કેવી વિગતો ખડકવાની થાય છે કે શિક્ષકો ભણાવવાનું બાજુ પર મૂકીને વિદ્યાર્થી દીઠ 65-70 કોલમો ભરવામાંથી જ ઊંચા ન આવે? શિક્ષકો કે આચાર્યોનો બચાવ નથી અહીં, એમાં ઘણાં શિક્ષણમાં કરકસર કરનારા ને પગારમાં કશું જતું ન કરનારા મતલબીઓ પણ છે જ, પણ જે શિક્ષક છે ને ભણાવવામાં રસ હતો એટલે શિક્ષક થયા છે, તે આ અણધારી કારકૂનીથી ડઘાઈ જાય એમ બને. એને વર્ગ શિક્ષણમાં રસ છે, એ ત્યાં કેટલું કામ કરે છે તેની તપાસ DEO કે શિક્ષણ સમિતિના અધ્યક્ષે કરવી જોઈએ. ડેટા મહત્ત્વનો છે, એની ના નથી, પણ શિક્ષણ પણ મહત્ત્વનું છે, એ વાતનું આખા શિક્ષણ વિભાગને વિસ્મરણ થયું છે તે દુ:ખદ છે.

સુરતની 529 શાળાઓએ ધોરણ 1ના વિદ્યાર્થીઓની માહિતી પૂરી ન પાડી તેથી DEOએ 7 દિવસમાં માહિતી પૂરી પાડવાનો પરિપત્ર કર્યો છે ને સાથે જ ધોરણ 2થી 8માં અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોય તો તેની પણ વિગતો માંગી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ખાનગી, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં, ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ઓનલાઈન ચાઇલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાં માહિતી અપલોડ કરવા આ બધું જરૂરી હશે, એની ના નથી, પણ એની તપાસ કોણ કરશે કે જે તે શાળામાં શિક્ષકો પૂરતા છે, અન્ય સુવિધાઓ પૂરતી માત્રામાં છે કે એ કેવળ સત્તાની જોહુકમીનો જ શિકાર છે? દર વર્ષે સ્કૂલો શરૂ થઈ જાય છે ને દર વર્ષે શિક્ષકોની ઘટની બૂમ ઊઠે જ છે. તેમાં વળી આ વખતે તો પ્રવાસી શિક્ષકોની પણ મંજૂરી નથી, આચાર્યો, શિક્ષકો વગર કેટલું ને કેવું ચલાવશે, એ જાણે શિક્ષણ વિભાગનો પ્રશ્ન જ ન હોય એમ લાગે છે. આ વખતે ડેટા પૂરો પાડવાની કામગીરી શરૂઆતથી જ એવી વધી છે કે શિક્ષકો પર ભણાવવા સિવાયનો બોજ જ એટલો છે કે શિક્ષકે ભણાવવાનું પણ હોય છે એ વાત જ વિસારે પાડી દેવાઈ છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે જોઈતી માહિતી જ એક સમયે પૂરતી ગણાતી હતી, તેને બદલે કોઈ ગુનેગારની વિગતો પોલીસ ભેગી કરતી હોય તેવી ઝીણી ઝીણી વિગતો પૂરી પાડવામાં, આ વિગતોની ગુપ્તતા કેટલી જળવાતી હશે તે પ્રશ્ન જ છે. ઓછી વિગતોથી ત્યારે સ્કૂલો બહુ નુકસાનમાં રહી હોય એવું ય નથી બન્યું ને આટલી વિગતો પછી હવે સ્કૂલો અને વાલી-વિદ્યાર્થીઓ વધુ સલામત હોય એવું પણ નથી. પોર્ટલમાં અપાતી વિગતોમાં બેન્ક ડિટેલ્સ પણ આપવાની થાય છે. એ વિગતો લીક થાય તો સંભવિત જોખમ સામે રક્ષણની કોઈ ખાતરી ખરી કે કેમ તે નથી ખબર. આટલી વિગતો ભેગી કર્યાં પછી એનું શું થાય છે એની પણ કોઈ માહિતી નથી, તો પ્રશ્ન એ થાય કે વાલી વિગતો આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવે છે? બટાકા કે ટામેટાં ચોરાઈ જતાં હોય તો આવી વિગતોનો દુરુપયોગ નહીં જ થાય એવું નથી.

શિક્ષણ સમિતિ અને આખો શિક્ષણ વિભાગ જે રીતે અંગ્રેજીના મોહમાં ગુજરાતીની અવગણના કરે છે તે માતૃભાષાને અપમાનિત કરનારું છે. કોઈ એક ગ્રૂપે, નગર પ્રથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જઈને, 44 જેટલી સ્કૂલોનાં ચારેક હજાર બાળકોને, પહેલાં પગથિયાથી જ અંગ્રેજી-હિન્દી શીખવાનું પુસ્તક વિના મૂલ્યે આપ્યું ને તેને સમિતિના અધ્યક્ષ અને અન્ય અધિકારીઓએ આવકાર્યું, પણ એ ગ્રૂપે એ ભાષાની સાથે ગુજરાતી પણ ઉમેર્યું હોત તો ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે તે અધિકારીઓને પણ યાદ આવ્યું હોત. ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં કોઈ ગુજરાતીનું પુસ્તક ન વહેંચે તે સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતીને વિકલ્પે અંગ્રેજી અને હિન્દી શિખવવાનું ગૌરવ લેવાય ને એનો ત્યાં ઉપસ્થિત ગુજરાતીઓને આઘાત ન લાગે એ કેવળ ને કેવળ શરમજનક છે. ભાષા અંગેની આટલી નિર્લજ્જતા ગુજરાત સિવાય બીજે ક્યાં ય નથી. અંગ્રેજી અને હિન્દીનો રજમાત્ર વાંધો નથી, એ અપાય તેનો આનંદ જ હોય, પણ ગુજરાતમાં ગુજરાતીને યાદ ન કરાય એ અપમાનથી ય વધારે અપમાન છે, ખાસ તો ત્યારે કે એ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત અને મૌન હોય. આ એટલે કહેવાનું થાય છે, કારણ ગુજરાતમાં ગુજરાતી વિષયમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયાનું નોંધાયું છે.

ટૂંકમાં, અરાજકતા શિક્ષણ ક્ષેત્રનું અવિભાજ્ય અંગ છે. આ ક્ષેત્રમાં શિક્ષકો પાસેથી ભણાવવાને બદલે શિક્ષણેતર કામો લેવાય છે, પરિણામે, બધી સામગ્રી છતાં, વિદ્યાર્થીઓ લગભગ ભણ્યા વગર પરત થાય છે. આવામાં નવી શિક્ષણ નીતિ અદ્ભુત હોય તો પણ તેનો અર્થ નથી, કારણ, પ્રશ્ન તેનાં અમલીકરણનો છે. ગમે એટલું ઉત્તમ બીજ જો કોળવાનું જ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. નવી શિક્ષણનીતિનું પણ એવું જ છે. તે યોગ્ય હાથો દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ. એ હાથો જો ડેટા ભરવામાં જ વ્યસ્ત હોય તો ઉતમ નીતિ પણ પોથીમાં જ રહે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જુલાઈ 2023

Loading

ઉત્સવઘેલો માણસ હરીશ પટેલ …..

પ્રીતમ લખલાણી|Diaspora - Features|9 July 2023

પ્રીતમ લખલાણી

છેલ્લા બે કલાકથી ગૃહના એક ખૂણામાં એક ખુરશી પર બે પગ ચઢાવીને નિરાંતે સભાની કાર્યવાહી નિહાળી રહેલ એક ત્રીસ-બત્રીસ વર્ષના યુવાને ઊભા થઈ પોતાની અસલ સુરતી ભાષામાં પોતાનો અંગત અભિપ્રાય રજૂ કરતાં જણાવ્યું,”મિત્રો, જો ભૂલથી આ નાના માણસથી કંઈ સાચુંખોટું બોલાઈ જાય તો, મહેરબાની કરીને મને માફ કરી દેજો.” પછી પોતાની ઓળખાણ આપતાં કહ્યું, “થોડા વખત પહેલાં હું ઓહાયોથી રોચેસ્ટરમાં સ્થાયી થયો છું. વ્યવસાયે હું એક નાની સરખી ત્રીસ રૂમની મોટેલ ચલાવું છું.” આટલું કહી તેણે ખોંખારો ખાઈને પોતાના મનહ્રદયની પછેડી ખોલી વાતને આગળ દોહરાવી. “છેલ્લા બે કલાકથી આપ સર્વ મિત્રોને આપણાં બાળકોને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે વિશેની ચર્ચા તમે હોંશેહોંશે અંગ્રેજીમાં કરી તેનું મને આશ્ચર્ય થાય છે! ખરેખર આ સભામાં કોઈ એકાદ ઘોળિયો કે પછી આફ્રિકન અમેરિકન આ ઘડીએ અહીં હાજર નથી. આપણે ગુજરાતના અને ભારતના જુદા જુદા પ્રાંતમાંથી અમેરિકામાં સ્થાયી થયેલા સંપૂર્ણ ગુજરાતીઓ છીએ! એમ છતાં આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલવાને બદલે આપણાં પોયરા-પોયરીને ગુજરાતી ભાષા કઈ રીતે શીખવવી તે બાબતની ચર્ચા-વિચારણા આપણે કેટલા ગૌરવથી અંગ્રેજીમાં કરી રહ્યા છીએ, તેનું મને હૈયે અપાર દુઃખ થાય છે. મારે મનની વ્યથા સાથે તમને કહેવું પડે છે કે આપણે બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ તે પહેલાં આપણે બઘાએ ગુજરાતી ભાષા શીખવાની ખૂબ જ આવશ્યકતા છે એવું મને લાગે છે!”

જો તમારે આવું ખોટું-સાચું, ભાગ્યું-તૂટયું અંગ્રેજી બોલી, બાળકોને ગુજરાતી કઈ રીતે શીખવવું તે બાબતની ચર્ચા કરીને તમારે તમારો ખોટો સમય બગાડવો હોય તો તમે ખુશીથી બગાડો, મારી પાસે આ બાબત માટે બિલકુલ ફાલતુ સમય નથી. હું તો ચાલ્યો. તમને ગુજરાતીના વર્ગ ખોલવા માટે મારા તરફથી જે કંઈ મદદની જરૂર હોય, તો તમે મને ગમે ત્યારે ફોન કરીને ખુશી સાથે જણાવી શકો છો.

આ માતૃભાષાપ્રેમી, ખુશમિજાજ, ઉત્સાહપ્રેમી, યુવાન એ બીજું કોઈ નહીં પણ જેમને ફકત રોચેસ્ટર શહેરમાં વસતા ગુજરાતી પરિવારો જ નહીં પણ રોચેસ્ટર શહેરને પોતાનું વતન બનાવવા ભારતનાં જુદાં જુદાં રાજયોમાંથી આવેલા ભારતીયો, જેમને હરિના શ્રી હરિ “હરિકલ્પન” તરીકે ઓળખે છે તે નવસારી જિલ્લામાં આવેલા સાતમ ટોળી ગામના અસલ ખેડૂતપુત્ર હરીશ નાથુભાઈ પટેલ …..

સ્નેહભીના વરસતા વાદળ સમી ઝરમર ઝરમર વરસતી વહાલસોઈ નેહનિતરતી આંખ, વાને જરા શ્યામવર્ણના આ પટેલ યુવાનના માથે જુગતરામ જોષીની બાળવાર્તાના બાળ નાયક અડુકિયા ને દડુકિયાના જેવા એકમેકથી જુગલબંઘી કરતા પવનમાં ફરફર ઉડતા એ-ચાર વાળ. મલક મલક થતા હોઠો પર ઝીણું ઝીણું હસતી તલવાર કટ મૂછ. ઈશ્વરકૃપાથી ખાઘેપીઘે આ સુખી જીવ તનથી જરા ભરાવદાર તો ખરો જ! પણ આ પટેલ મર્દ જો હજારોનાં ટોળાંમાં ઊભા હોય તો? તેની સુરતી બોલીને કારણે આપણા કાન દૂરથી પામી જાય કે ત્યાં આગળ હરીશ પટેલ ઊભા લાગે છે.

આ પટેલ માણસનું દિલ તો દિલાવર છે. તેમનું મનહ્રદય ખળખળ વહેતાં ઝરણાં સમું નિર્મળ  છે. આ પ્રેમઘેલો માણસ સંબંધ નામના ગણિતથી બહુ જ દૂર ભાગે છે. તેમને ભાગાકાર અને બાદબાકીથી સખત ચીડ છે. તેમને મન મૈત્રી, ઘનદોલતની હવેલીથી ઘણી ઊંચી છે. આ માણસે ખરેખર આખી જિંદગી મૈત્રી અને સંબંઘ પાછળ ચંદનની જેમ ઘસાઈ જવામાં આનંદ માન્યો છે. હ્રદયમનથી જો આપણે હરીશ પટેલ વિશે ફકત બે શબ્દોમાં જ કહેવું હોય તો બસ આટલું જ કહી શકીએ કે, “આ પટેલ માણસ ગણિતના આઠના આંકડા જેવો નહીં પણ નવના આંકડા સમો સંપૂર્ણ  છે.

જલારામ બાપામાં અપાર શ્રદ્ઘા, ભકિત અને વિશ્વાસ ઘરાવતા આ પટેલે જીવનમાં રોટલા અને ઓટલાને બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. તેમના ઘરનો રોટલો અને ઓટલો બહુ જ મોટો છે. જો તમે અમેરિકા જેવા દેશમાં પણ તેના ઘરે ફોન કર્યા વગર દિવસે તો શું પણ કાળી રાતે જઈ ચઢો અને તેમના ઘરનો દરવાજો ખખડાવશો તો તમે એક બાબતનું આશ્ચર્ય અનુભવશો! તેમના ઘરનો દરવાજો ખોલનાર હરીશ પટેલ કે કલ્પનાબહેન નહીં પણ કોઈ મહેમાન જ હશે તેમનું ઘર બારે માસ મહેમાનોથી છલકે છે. તેમનું ઘર તો હરિ મંદિર છે. તેમને મન દુઃખી માણસ તેમનો ઈશ્વર છે.

હરીશ પટેલ કોઈ એવી વ્યકિત નથી કે તેને કોઈ લૉટરી લાગી હોય અને રાતોરાત ઘનવાન થઈ ગયા હોય. આ પટેલે અમેરિકામાં પોતાને તેમ જ પરિવારને સ્થાપિત કરવા રાતદિવસ લોહીપસીનો એક કરી એક સમૃદ્ઘ સામ્રાજય ઊભું કર્યું છે આજે પણ મોટલમાં માણસો હાજર હોય કે ન હોય મોટલનું નાનુંમોટુ કામ ખંત પ્રેમથી વહેલી સવારથી મોડી સાંજ લગી કરતા હોય છે. આ માણસ જ્યારે પણ કોઈને મદદ કરે છે ત્યારે હંમેશાં એક વાતનો ખ્યાલ અચૂક રાખે છે કે આપણે કોઈને જમણા હાથે કરેલ મદદ આપણા ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ. જ્યારે પણ તે પોતાના તરફથી કોઈ વ્યકિત કે સંસ્થાને મદદ કરે છે ત્યારે તેમના તરફથી એક શરત હોય છે કે તમે મારું કે મારા પરિવારના નામનો કયાં ય ઉલ્લેખ ન કરવાના હો તો જ હું તમને મારું યોગદાન આપીશ.

એક જમાનામાં અમારા રોચેસ્ટર ગામમાં અઢળક ગુજરાતી પરિવારો હતા. સમય સંજોગને કારણે આજે અહીં બે-ચાર મોટી નામાંકિત કંપનીમાં વ્યવસાયની તક ઓછી થતાં દિવસે દવસે ગુજરાતી પરિવારો ઓછા થતા ગયા. છતાં હરીશ પટેલ જેવા બે-ચાર સંસ્કૃતિપ્રિય મિત્રોને કારણે પણ આજે વર્તમાનમાં અમારા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્ર્મો પહેલાંની જેમ જ ઘમઘોકાર થતા રહે છે. ખાસ કરીને જો અમારે ગુજરાતી કવિ સંમેલન કે કોઈ સાહિત્યનો કે પછી સુગમ સંગીતનો કાર્યક્રમ કરવો હોય અને જો હરીશ પટેલ તરફથી બસ એક વાર મને ‘હા”નો સંકેત મળી જાય પછી મારે આગળ-પાછળનો કંઈ પણ વિચાર કર્યા વગર બેઘડક કાર્યક્રમ કરી નાખવાનો! સાથોસાથ હરીશ પટેલ કહેશે કે કવિ, હવે કોઈ ચિંતા કર્યા વગર કોઈ પાસે ડૉલર માગવા ન જશો. મિત્રો, ડૉલર તો આપવાના હશે તો જ આપશે, પણ તમને કારણ વગરની લાખ શિખામણ આપ્યા વગર નહીં રહે.”

૨૦૦૩ના સપ્ટેમ્બર માસમાં ભારતથી કવિ સુરેશ દલાલ, મહેશ દવે અને ઉત્પલ ભાયાણી કાવ્ય વાચન તેમ જ પુસ્તક પ્રદર્શન નિમિતે રોચેસ્ટર પઘારેલા. એક સાંજે કાર્યક્રમ બાદ હરીશ પટેલે આ ત્રણે મહેમાન મિત્રો સાથે મને પણ તેમના ઘરે બીજા દિવસની બપોરે ભોજન માટે આમંત્રિત કરેલો.

ઈશ્વરની ઈચ્છા શી હશે? તે તો ભલા ઈશ્વર સિવાય બીજું તો કોણ જાણી શકે? હરીશ પટેલનાં ઘર્મપત્ની કલ્પના બહેન સમી સાંજથી ઉત્સાહ સાથે અમારા માટે ભોજન બનાવવામાં ગૂંથાયેલ હતાં. બીજા દિવસની બપોરે અમે ચાર જણા તેમને જણાવેલા સમય મુજબ તેમના ઘરે ભોજન માટે ગયા ત્યારે હરીશભાઈ અને કલ્પનાબહેનને બહુ જ થાકેલા જોઈ સુરેશભાઈએ તેમને પૂછયું, “પટેલ, અત્યારે તમે કેમ બહુ જ થાકેલા લાગો છો?” હરીશ પટેલે બહુ જ સંકોચ સાથે અમને જણાવ્યું કે,”ગઈ કાલે સાંજે તમારા કાર્યક્રમમાંથી ઘરે આવ્યો ત્યારે મારી નાની દીકરી ઉર્વિએ મને ફરિયાદ કરી કે ડેડી મને પેટમાં સખત દુઃખે છે. અમે જરા ય સમય બગાડયા વિના તે જ ઘડીએ તેને હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉકટરોએ નિદાન કરી અમને જણાવ્યું કે અમારે તાત્કાલિક સમય બગાડ્યા વિના હમણાં જ તેના એપેન્ડિકસનું ઑપરેશન કરવું  પડશે. ઉર્વિનું ઑપરેશન મોડી રાત્રે કરવું પડ્યું. અમારે બંનેએ આખી રાત હૉસ્પિટલમાં તેની પાસે રહેવાનું થયું. આ કારણે જરા નિંદર કે આરામ નહીં થયો હોવાથી ચહેરા પર સહેજ થાક વરતાય છે. બાકી ખાસ કંઈ વાત નથી.

સુરેશભાઈએ એ જ વખતે હરીશ પટેલને કહ્યું,”અરે! પટેલ, આવું ઓચિંતું બન્યું તો તમારે અમને ફોન કરીને જણાવી દેવું હતું. અમે સમજી શકીએ છીએ કે તમારી દીકરીની તબિયત ઓચિંતી બગડી ગઈ અને તમારે હોસ્પિટલમાં દોડવું પડયું. ભોજન બહુ મહત્ત્વનું ન હતું. દીકરીની તબિયતનું પહેલાં જોવાનું હોય. જો તમે આ કારણે ભોજન રદ્દ કર્યું હોત તો અમને જરા ય ખોટું ન લાગત!”

હરીશભાઈ, પોતાના અસલ મિજાજમાં બોલ્યા, “કવિશ્રી. તમારો મારા પ્રત્યે જે આદર ભાવ છે તે બદલ હું તમારો આભાર વ્યકત કરું છું. અરે ભલા માણસ, આટલી નાની અમથી વાતથી આપણે ગભરાઈ જઈએ તો તે કેમ ચાલે? સુખદુઃખ કંઈ આપણને એકને જ આવે છે એવું થોડું છે. તે તો હર કોઈને આવે છે. તેની એવી શી ચિંતા કરવાની? પછી હસતાંહસતાં બંને પતિપત્ની બોલ્યાં, ‘અરે!સુરેશભાઈ, તમારા જેવા મિત્રો કયાં રોજ અમારે ઘરે પઘારે છે. અમારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારે પગલે અમારું ઘર આજે પાવન થઈ ગયું. તમારા આશીર્વાદે મારી દીકરી આજે સાંજે ઘરે પણ આવી જશે!”

હરીશ પટેલે રોચેસ્ટર ગામમાં મૈત્રીની એક લીલી વાડી ઊભી કરી છે. રોચેસ્ટરનો ગુજરાતી માત્ર સમાજ જ નહીં પરંતુ દરેક ભારતીય તેમને મન તેમનો એક પરિવાર છે. જો હરીશ પટેલને કોઈ મિત્રના દુઃખ-દર્દની વાત કયાંકથી તેમના કાને પડી જાય તો આ માણસને મિત્ર આવીને તેમની પાસે મનની વાત કરે તે પહેલાં તો આ બાબતની જાણ કોઈને કર્યા વગર મિત્રના દુઃખદર્દમાં મદદ રૂપ થવા પહોંચી જશે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|9 July 2023

રમેશ ઓઝા

વડા પ્રધાને વ્હાઈટ હાઉસમાં ભારતમાં ક્ષય પામી રહેલા લોકતંત્ર વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એ વાત ખોટી છે. “લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે, ભારતીય પ્રજાનાં લોહીમાં છે, ભારતનો આત્મા છે.” આની સામે ફ્રેંચ ફિલસૂફ, સાહિત્યકાર અને રાજપુરુષ આન્દ્રે માલરો(Andre Malraux)ને જવાહરલાલ નેહરુએ જે કહ્યું હતું એ સરખાવો. આઝાદી પછીનાં તરતનાં વર્ષોની વાત છે. માલરોને નેહરુને મળવાનું થયું ત્યારે તેમણે કુતૂહલવશ નેહરુને પૂછ્યું હતું કે ભારત જેવા દેશની ધૂરા સંભાળો છો તો શું અનુભવ કરી રહ્યા છો? નેહરુએ કહ્યું હતું કે પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.

વડા પ્રધાન બે, નિવેદન બે અને વચ્ચે લગભગ ૭૦ વરસનો ફાંસલો. જો લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં હોત, લોહીમાં હોત, ભારતનો આત્મા હોત તો જવાહરલાલ નેહરુએ આન્દ્રે માલરોને જે કહ્યું એ કહેવું પડ્યું ન હોત અને જો પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યો રોપાયાં હોત, ઊંડા ગયાં હોત તો ભારતમાં લોકતંત્રનો ક્ષય થયો ન હોત અને અમેરિકન પત્રકારને વડા પ્રધાનને અઘરો પ્રશ્ન પૂછવો ન પડ્યો હોત. શું લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે? તમને નથી લાગતું કે જવાહરલાલ નેહરુનું નિવેદન વાસ્તવિક ધરાતલ પર હતું અને નરેન્દ્ર મોદીનું નિવેદન મહાનતાનો વરખ ચડાવીને બગલ દેનારું હતું?

ભારત શું, જગતના કોઈ દેશમાં લોકતંત્ર તેનાં ડી.એન.એ.માં નથી. કોઈ પ્રજાના આત્મામાં એનો વાસ નથી કે નથી કોઈ પ્રજાનાં લોહીમાં. આ શુદ્ધ ખણખણતું જાગતિક સત્ય છે. આનું કારણ એ છે કે લોકતાંત્રિક મૂલ્યો વ્યક્તિ માટે છે અથવા વ્યક્તિ તેનાં કેન્દ્રમાં છે જ્યારે પારંપારિક મૂલ્યો સમાજ માટે છે અથવા તેના કેન્દ્રમાં સમાજના જે તે અંગ છે. રાજા ગોબ્રાહ્મણ પ્રતિપાલક હોવો જોઈએ. ગાય અને બ્રાહ્મણની રક્ષા કરનારો. આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ હત્યા કરે, કોઈની સાથે બળાત્કાર કરે તો પણ તેને સજા કરવામાં નહોતી આવતી. ગઢવી હજુ આજે પણ ગોબ્રાહ્મણ પ્રતિપાલક રાજવીનાં ડાયરાઓમાં ગુણગાન કરે છે. સ્ત્રીની રક્ષા કરવાની પુરુષોની ફરજ છે અને કોઈ કારણે પુરુષ સ્ત્રીની રક્ષા ન કરી શકે તો સ્ત્રીએ જૌહર કરવાનાં હોય. આ સિવાય પુરોહિત વર્ગ પણ સમાજનાં જે તે અંગ પર શાસન કરતો હતો. માત્ર ભારતમાં નહીં બીજા દેશોમાં પણ. ભારતની વાત કરીએ તો અસ્પૃશ્યનો સ્પર્શ વર્જ્ય ગણાય, રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય ગણાય, વગેરે. સમાજનાં ચોક્કસ લોકો માટે મર્યાદાઓ અને બંધનો અને ચોક્કસ  લોકો માટે વિશેષ છૂટછાટો. આ બધું પુરોહિતો ઠરાવતા હતા. એ પછી સમાજનાં મહાજનો અથવા પંચ સમાજનાં અલગ અલગ લોકો ઉપર અલગ અલગ રિવાજ દ્વારા શાસન કરતા હતા અને પંચ હંમેશાં પુરુષોનું જ બનેલું રહેતું. આજે પણ ખાપ પંચાયત પોતાની મરજીથી લગ્ન કરવા ઇચ્છતાં યુગલોને લગ્ન કરવા દેતી નથી.

ટૂંકમાં વ્યવસ્થાનાં કેન્દ્રમાં વ્યક્તિ નહોતી, સમાજ હતો અને તેનાં અલગ અલગ ઘટક હતા અને અલગ અલગ ઘટકો માટે અલગ અલગ કાયદાઓ, રિવાજો, નિયમો હતા. માટે તો અંગ્રેજોને ભારતમાં કૌટુંબિક કાયદાઓમાં હસ્તક્ષેપ કરીને સુધારા કરવા મોંઘા પડી ગયા હતા અને છેવટે તે કરવાનું પડતું મુક્યું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે ભારતની પ્રજા આધુનિક મૂલ્યોના સ્વીકાર માટે તૈયાર નથી. માટે અંગ્રેજોએ પરંપરાગત ધાર્મિક આદેશોનું અર્થઘટન કરવા બ્રાહ્મણો અને મૌલવીઓને અદાલતમાં બેસાડવા પડતા હતા. અને આવી સ્થિતિ માત્ર ભારતમાં જ હતી એવું નથી, જગતના દરેક દેશમાં અલગ અલગ સ્વરૂપમાં સમાજનો એક વર્ગ બીજા વર્ગ પર શાસન કરતો હતો. એક સમૂહનું બીજા સમૂહ ઉપર શાસન. વ્યક્તિ તો એ સમૂહનો સભ્ય માત્ર હતી.

યુરોપમાં ચર્ચ (ખ્રિસ્તી ધર્મ – ધર્મગુરુઓ) સૌથી વધુ શક્તિશાળી હતો. તેમની પાસે ભગવાન હતા અને ભગવાનનો ડર તલવારના ડરથી પણ મોટો હતો. ઈશુ, બાયબલ અને સંગઠિત ધર્મ. તેમણે લોકોના જીવન પર જ કબજો નહોતો જમાવ્યો, મસ્તિષ્ક પર પણ કબજો જમાવ્યો હતો. ચર્ચે ભગવાનને નામે જે ગોરખધંધા કર્યા હતાં એનાં ઉપર તો પુસ્તકો લખાયાં છે.

પણ કહેવાય છે ને દરેક ચીજનો અંત હોય છે અને એમાં જો અતિરેક બેશુમાર હોય તો અંત થોડો વહેલો આવતો હોય છે. માનવમસ્તિષ્કમાં વિચાર સ્ફૂરે છે અને વિચાર કરતાં વધુ શક્તિશાળી બીજી કોઈ ચીજ આ દુનિયામાં નથી. માટે તો જગત આખામાં તાનાશાહો વિચારથી અને વિચારકોથી ડરે છે. માટે તેઓ શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો જમાવે છે કે જેથી વિચારવાની પ્રક્રિયાને રૂંધી શકાય. ચર્ચે પણ એવો પ્રયાસ કર્યો હતો. પૃથ્વી ગોળ છે અને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે એમ કહેવા માટે ચર્ચે ખગોળવિજ્ઞાની ગેલેલિયોને સજા કરી હતી અને માફી મગાવી હતી. તેઓ એક વાત ભૂલી જાય છે કે વિચાર શિક્ષણસંસ્થાઓની ચાર દીવાલોનો મોહતાજ નથી. બીજું વિચારનો સ્વભાવ એવો છે કે તે જો સ્વતંત્રતા હોય, મોકળાશ હોય તો વધુ ખીલે અને જો દમન હોય તો હજુ વધુ ખીલે. મોકળાશમાં ખીલેલા વિચાર રોમેન્ટિક હોય છે અને દમનમાંથી જન્મેલો વિચાર પરિવર્તનને જન્મ આપનારો વિદ્રોહી હોય છે. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધીએ દમનનો અનુભવ કર્યો અને એક વિચાર સ્ફૂર્યો જેને સત્યાગ્રહ તરીકે ઓળખાવવામાં આવે છે. સત્યાગ્રહ જેને નિર્બળ સમજવામાં આવે છે એનું સબળ હથિયાર છે.

મધ્યકાલીન યુરોપમાં ચર્ચનું દમન વધવા લાગ્યું ત્યારે વિચાર સ્ફૂર્યો કે માનવી શું પશુઓનાં ધણનો હિસ્સો છે? તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી? સમૂહ અને સમૂહનું નિયમન કરનારી સામાજિક સંસ્થા મોટી કે હું? જો આ જીવન મારું હોય તો મારી રીતે જીવન જીવવાનો અધિકાર પણ મારો હોવો જોઈએ. એ વિચારે ક્રાંતિ સર્જી જેને યુરોપનાં નવજાગરણ તરીકે ઓળખાવવામાં આવે છે. પહેલીવાર માગણી ઊઠી કે કોઈ પણ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ હોવી જોઈએ અને વ્યક્તિ પર વ્યક્તિનું જ અનુશાસન હોવું જોઈએ. જે કોઈ વ્યવસ્થા રચવામાં આવે એ વ્યક્તિની સ્વતંત્રતાને રુંધનારી ન હોવી જોઈએ. નવજાગરણનાં આંદોલને સમૂહની જગ્યાએ વ્યક્તિની સ્થાપના કરી, વ્યવસ્થાને વ્યક્તિકેન્દ્રી કરી, દરેક સત્તા(ઓથોરિટીઝ)ને પડકારી અને શ્રદ્ધાની જગ્યાએ શંકા અને પ્રશ્નોનો મહિમા કર્યો.

લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યોનો જન્મ આમાંથી થયો છે. ભારતની વાત જવા દો, જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી. માટે તો જગત આખામાં લોકશાહી દેશોમાં સમૂહની સર્વોપરિતા સ્થાપનારાં પરંપરાગત મૂલ્યો અને વ્યક્તિની સ્થાપનાં કરનારાં લોકતાંત્રિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ ચાલે છે અને લોકતંત્ર સંપૂર્ણપણે સ્વીકાર પામતું નથી. લોકોને એમ લાગે છે કે અમે બહુમતીમાં છીએ એટલે અમારાં પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યોનો અન્ય લોકોએ સ્વીકાર કરવો જોઈએ. સ્ત્રીઓએ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વરખ ચડાવેલી મહાન વાતો કરવાથી કેટલાક લોકોની વાહવાહી મળે, વાસ્તવિકતા એની જગ્યાએ કાયમ છે. આની સામે નેહરુનું કથન સરખાવો. કેટલું પ્રામાણિક અને વાસ્તવિક છે! પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જુલાઈ 2023

Loading

...102030...1,0361,0371,0381,039...1,0501,0601,070...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved