લોકસભાની અને ઉત્તરનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક છે એટલે કોમી હુલ્લડો તો જાણે થવાનાં છે. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી પહેલાં સતત કોમી હુલ્લડો થતાં હતાં અને ટીપુ સુલતાન ભારતની મોટી સમસ્યા હતી. અત્યારે લોકો ટીપુને ભૂલી ગયા છે અને કોમી હુલ્લડો પણ બંધ થઈ ગયાં છે. કર્ણાટકમાં હિંદુ આવતી ચૂંટણી સુધી સુરક્ષિત છે.
એકની એક ઘટના, એકના એક સ્વરૂપમાં, એકના એક સંજોગોમાં હજાર વાર બને અને છતાં ય લોકો તેને સાચી માને અને દોરવાય એ તો માનવમસ્તિષ્કની કમાલ જ કહેવાય. કૂતરાને તુતુ કરીને બોલાવો અને પછી દોડીને આવેલા કૂતરાને ખાવાનું ન આપો તો એ વધુમાં વધુ બે વાર આવશે અને છેતરાશે, ત્રીજીવાર નહીં આવે. પણ આ ધરતીનું સૌથી અકલમંદ પ્રાણી માણસ વારંવાર આવશે અને છેતરાશે. છેતરાયા પછી પણ છેતરાશે. સાંપ્રત સત્તાકીય રાજકારણ, સાંપ્રત ધર્મકારણ (કે ધાર્મિકતા) અને સાંપ્રત અર્થકારણ માનવીની વારંવાર છેતરવાની અને છેતરાયા પછી પણ માથું ઊંચું રાખીને ફરીવાર છેતરાવાની ક્ષમતા પર આધારિત છે. આ વિરલ ક્ષમતા આ ધરતી પર માત્ર સૌથી બુદ્ધિશાળી પ્રાણી જ ધરાવે છે.
માટે જે. કૃષ્ણમૂર્તિ નામના વીતેલી સદીના અનોખા અને મૌલિક ફિલસૂફે કહ્યું હતું કે માનવીય સંકટનું મૂળ એનાં મસ્તિષ્કમાં છે. માણસ આ ધરતીપરનું એક માત્ર દયાજનક પ્રાણી છે જે પોતાની જાતને છેતરે છે અને જાણતો હોવા છતાં છેતરે છે. છેતરાયા પછી પણ છેતરે છે. સૌથી બુદ્ધિમાન પ્રાણીની આ શોકાંતિકા છે. શા માટે માણસ પોતાની જાતને છેતરે છે, જાણતો હોવા છતાં છેતરે છે અને છેતરાયા પછી પણ છેતરે છે? આનું કારણ છે ભય. માનવી આ ધરતી પરનું અત્યંત અસુરક્ષિત ભયભીત પ્રાણી છે અને એ ટોળાંમાં સુરક્ષા શોધે છે. દેખીતી રીતે જે તે ઓળખનાં ટોળાં રચનારાઓ તેનો લાભ લે છે. ફેર એન્ડ લવલી વાપરનારો એક શાણી જમાતનો સભ્ય છે, તેને ગોરા થતાં આવડે છે, તેને એવો અહેસાસ કરાવવામાં આવે છે; પછી ભલે એ આખી જિંદગી ફેર એન્ડ લવલી વાપર્યા પછી પણ ગોરો ન થાય.
ભારતમાં અંગ્રેજો આવ્યા એ પછી હિંદુ અને મુસલમાનો વચ્ચે કોમી હુલ્લડો શરૂ થયાં. એ પહેલાં ધાર્મિક પ્રશ્ને મનદુઃખ, ઝઘડા કે વિખવાદની ઘટનાઓ બનતી હતી, પણ જેને આપણે હુલ્લડ કહીએ છીએ એવી ઘટનાઓ નહોતી બનતી. મનદુઃખ અને ઝઘડા માનવીય હોય છે, પરિવારમાં પણ આવું બનતું હોય છે, જ્યારે હુલ્લડ શુદ્ધ રાજકીય હોય છે. એની પાછળ એજન્ડા હોય છે. ભારતમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે અંતર વધારવાનો અંગ્રેજોનો એજન્ડા હતો. અંતર વધે તો એકતા સ્થાપિત ન થાય અને એકતા સ્થાપિત ન થાય તો પરસ્પર અવિશ્વાસની સ્થિતિમાં આપણું હોવું તેમના માટે અનિવાર્ય બની જાય. બન્ને કોમને એમ લાગવું જોઈએ કે આપણા (અંગ્રેજો) થકી તેઓ સુરક્ષિત છે.
અને એવું બન્યું પણ ખરું. હિંદુ અને મુસલમાનને એક સાથે એક જ ઘટના દ્વારા અસુરક્ષાનો અહેસાસ કરાવવા કોમી હુલ્લડો શરૂ થયાં. કોમી હુલ્લડો માટે આટલી તરકીબ વિકસાવવામાં આવી હતી :
૧. ધાર્મિક જુલૂસ ઉપર પત્થરમારો થાય.
૨. મસ્જિદની નજીક નમાજને સમયે વાજિંત્ર વગાડવાની ઘટના બને.
૩. મંદિરમાં ગોમાંસ અને મસ્જિદમાં ડુક્કરનું માંસ ફેંકવામાં આવે.
૪. ગાયની કતલ કરવાની કે કતલ કરવા લઈ જવાની ઘટના બને. નજર સામે કતલ થાય એ જરૂરી નથી, હાહાકાર થાય એટલું પૂરતું છે.
બસો વરસથી આ ચાર પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે, એક સરખી બને છે, એક હજાર વખત બની હશે અને દરેક વખતે કેટલાક લોકો રસ્તા પર ઉતરી પડે છે. ક્યારેક વળી મંદિર, મસ્જિદ કે ઇદગાહની જમીનને લઈને ઝઘડો પેદા કરવામાં આવે. ભારતમાં કોમી હુલ્લડનું શાસ્ત્ર અને તંત્ર એવું છે જેમાં કોઈ વિકાસ થયો નથી અને છતાં જેને જોઈએ છે તેને ફળ આપે છે. અંગ્રેજોને ફળ મળ્યું અને હવે એ લોકોને ફળ મળી રહ્યું છે જેઓ કોમી રાજકારણ કરે છે.
જે લોકો કોમી હુલ્લડ વખતે ઉશ્કેરાઈ જાય છે તેને ક્યારે ય પ્રશ્ન પણ નહીં થતો હોય કે બસો વરસથી એક સરખાં કારણે, એક સરખાં સંજોગોમાં એક હજાર કરતાં વધુ વખત હુલ્લડો થયાં હશે અને તેમાં કોઈ કોમને આજ સુધી કોઈ ફાયદો નથી થયો પણ કોઈકને જરૂર ફાયદો થઈ રહ્યો છે. એ જ તો ખૂબી છે માનવમસ્તિષ્કની. તેને એવો પણ પ્રશ્ન થતો નથી કે લોકોનો ગુસ્સો કોઈક ત્રીજું નક્કી કરે એટલો સમય ટકે અને સક્રિય રહે. કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો આવે, કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો ભડકે, કોઈક ઈચ્છે એટલો સમય ગુસ્સો ટકે અને કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો શાંત થઈ જાય. વાત એમ છે કે માણસને છેતરાવું ગમે છે કારણ કે તે ભયભીત છે અને તેને ટોળાંમાં રહેવું છે. કોઈ માણસ ક્રીમ લગાડીને ગોરો થયો નથી અને કોઈ માણસને અમુક બ્રેન્ડનું ઓઈલ વાપરવાથી માથામાં વાળ ઉગ્યા નથી, પણ છતાં ય વાપરે છે અને છેતરાય છે. એટલે તો કોમી હુલ્લડનું બસો વરસથી અવિકસિત શાસ્ત્ર હજુ ફળ આપે છે.
માનવી દયાજનક પ્રાણી છે અને ટોળાંનો માનવી હજુ વધુ દયાજનક છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑગસ્ટ 2023