Opinion Magazine
Number of visits: 9563358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2023

રમેશ ઓઝા

દિલ્હી શહેર પરેશાન છે અને તેનું કારણ છે યમુનાનું પાણી. યમુનાનું પાણી દિલ્હી શહેરમાં પ્રવેશ્યું છે. યમુનાનું સ્તર અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યું છે અને ઉતરવાનું નામ નથી લેતું. દિલ્હી શહેરમાં કોઈ ધોધમાર વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ઉપરવાસમાં છે અને યમુનાનાં પાણીને સંઘરવા કોઈ રાજ્ય તૈયાર નથી. ખો ખોની રમતની માફક વચ્ચે આવતાં દરેક રાજ્ય યમુનાનાં પાણીને ખો આપે છે. દિલ્હી ખો આપી શકે એમ નથી એટલે પરેશાન છે.

પણ ખરું પૂછો તો પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી? લાખો વરસ દરમ્યાન યમુનામાં લાખો વાર પૂર આવ્યાં હશે અને બે કાંઠે ફેલાઈને એ પાણી પોતાને માર્ગે સમુદ્રમાં સમાયાં હશે. આ જ તો કુદરતનો ક્રમ છે. નદીઓને કાંઠે જ્યારે માનવ સભ્યતાઓ વિકસી તો એણે પણ નદીઓની વહેવાની અને ચોમાસામાં ફેલાવાની જગ્યાને છોડી દીધી હતી. સભ્યતા અને સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો એક વાક્યમાં કહી શકાય કે બીજાની જગ્યાનો સ્વીકાર એ સભ્યતા અથવા સંસ્કૃતિ. એમાં પશુ, પક્ષી, જંગલ, પર્વત, સમુદ્ર અને માનવીનો પણ સમાવેશ થાય છે. અને આ જ રાહે જો વિકૃતિની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે બીજાની જગ્યાનો અસ્વીકાર કે અનાદર એ વિકૃતિ. એમાં પરિવારમાં સ્ત્રીની જગ્યાનો અને સમાજમાં દલિતની જગ્યાનો પણ સમાવેશ થાય છે.

એમાં વળી જળ, જમીન, જંગલ, સમુદ્ર, પશુ, પક્ષી પાસે વાચા નથી અને વિકાસની જે અવધારણા વિકસી છે તેનાં પાયામાં તેનું શોષણ છે. જંગલને કાપો. નદીઓને નાથો અને તેનાં પાત્રોને સંકોરો કે જેથી વધુ જગ્યા મળે. સમુદ્રનાં ખારાં પાણી દૂર સુધી ફેલાય નહીં અને રેતી જમીનને બગાડે નહીં એ માટે ઈશ્વરે સમુદ્રને કિનારે વનસ્પતિ ઉગાડી આપી હતી. અત્યારે એ વનસ્પતિ કાપીને મકાનો બાંધવામાં આવે છે અને વધારે જમીન મેળવવા માટે સમુદ્રને પૂરીને દૂર ધકેલવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને જંગલોમાંથી ભગાડવામાં આવી રહ્યા છે જે રીતે મણિપુરમાં કુકી અને બીજી આદિવાસી પ્રજાને જંગલમાંથી ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને હટાવવામાં આવે તો જંગલની જમીન અને જંગલનાં તમામ સંસાધનો પર કબજો કરી શકાય. પશુ-પક્ષીઓની જગ્યા આંચકી લો. ટૂંકમાં બીજાના હકની જગ્યા આંચકી લેવાનો સર્વત્ર પ્રયાસ ચાલી રહ્યો છે, પછી એ જગ્યા લાચાર માનવીની હોય, અન્ય જીવોની હોય કે કુદરતની.

માટે આગળ કહ્યું એમ પરેશાન દિલ્હી અને દિલ્હીવાસીઓ નથી, યમુના નદી છે. તેની પાસે બે કાંઠે વહેવા માટે અને ઉપરથી લાવેલો સોના જેવો કાંપ છોડી જવા માટે જગ્યા નથી એટલે તે ગાંડીતૂર છે. દિલ્હીમાં યમુનામાં પૂર નથી આવ્યાં, દિલ્હીમાં યમુના તરફડી રહી છે. રક્તવાહિની નસોમાં ચરબીને કારણે અવરોધ પેદા થાય અને માનવી શ્વાસ લેવા માટે જે રીતે તરફડે એ રીતે યમુના તરફડી રહી છે. રસ્તામાં પડતાં કોઈ રાજ્ય યમુનાનાં પાણીને સંઘરી શકવાની સ્થિતિમાં નથી એટલે બંધના દરવાજા ખોલીને એક રાજ્ય યમુનાનાં પાણીને બીજાં રાજ્યમાં ધકેલે છે.

વિકાસની અવધારણાનાં પાયામાં શોષણ છે અને હવે શોષણને છૂપાવવા માટે સોંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરોમાં નદીઓનાં કિનારે બાંધવામાં આવતા રીવરફ્રન્ટ આનું ઉદાહરણ છે. વિકાસના નામે આ પહેલાં જ નદીઓની હકની જગ્યા છીનવી લીધી છે અને હવે સોંદર્યકરણના નામે નદીઓનાં પાત્રોને ટૂંકાવવામાં આવી રહ્યા છે. ઓછામાં પૂરું કુદરતે તેનાં શોષણ સામે બગાવત કરવાનું શરૂ કર્યું છે. દુકાળ, અતિવૃષ્ટિ, વાવઝોડાં, અતિશય ગરમી અને ઠંડી વગેરે હવે દર વર્ષે કોઈને કોઈ પ્રદેશમાં જોવા મળે છે. હિમશીલાઓ અને હિમાલયની ગ્લેસિયર ઓગળી રહી છે અને સમુદ્રનાં પાણીનાં સ્તર વધી રહ્યાં છે. એમ કહેવાય છે કે આ સદીના અંત સુધીમાં જગતમાં પ્રચંડ માત્રામાં અન્ન અને જળસંકટ પેદા થવાનું છે. જળસંકટ બન્ને પ્રકારનું; ક્યાંક અભાવનું અને ક્યાંક અતિશયતાનું.

દિલ્હીમાં પહેલીવાર મેં યમુનાનાં દર્શન ૧૯૭૮ની સાલમાં કર્યાં હતાં અને ત્યારે યમુના ધોરણસરની નદી હતી. ફેલાયેલી અને બન્ને કિનારે પોતાનાં હકની અનામત જમીન ધરાવનારી. યમુનાને પેલે કાંઠે પણ દિલ્હી વસેલું હતું, પણ યમુનાની અનામત જમીન છોડીને. આજે એ જ યમુના નદીની અનામત જમીન તો છોડો તેની વહેવાની જમીન પણ છીનવી લેવામાં આવી છે. પૈસા કમાવા માટે બિલ્ડરો, રાજકારણીઓ અને પ્રશાસનના અધિકારીઓએ મળીને એ યમુનાને નાળામાં ફેરવી નાખી છે અને તેનાં પાણી કાળા મેશ જેવાં છે. લોકોને બેવકૂફ બનાવવા સોંદર્યકરણના નામે રીવરફ્રન્ટ બાંધવામાં આવેલ છે જેણે નદીને હજુ વધુ સંકોરી છે. ધર્મનો ધંધો કરનારા બાવાઓનાં આશ્રમો દેશભરમાં સર્વત્ર નદીઓને કાંઠે સેંકડો એકર જમીનમાં જોવા મળશે. માટે પરેશાન યમુના છે. યમુના સંતપ્ત છે.

આ તો હજુ શરૂઆત છે. આવી રહેલાં સંકટનો હળવો અહેસાસ કરાવે છે. સંકટ તો હવે આવવાનું છે અને તે સાર્વત્રિક હશે. ચેતવવા માટે કુદરત ટપલી મારી રહી છે, કુદરતની લાત હવે પછી પડવાની છે. આદિ શંકરાચાર્યનું યમુનાષ્ટક ગાવાથી અને ગાતી કે સાંભળતી વખતે ગળગળા થઈ જવાથી સારા માનવી નહીં બની શકાય, સારા માનવી બનવું હોય તો યમુનાની કે બીજી કોઈ પણ નદીની હકની જગ્યાનો સ્વીકાર કરવો રહ્યો. કેટલાક મૂળભૂત પ્રશ્નો કરતાં શીખવું જોઈએ. રીવરફ્રન્ટની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? બુલેટ ટ્રેનની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? અંગત જીવનમાં પેન્ટ-શર્ટની દસમી જોડી ખરીદતાં પહેલાં પણ પ્રશ્ન થવો જોઈએ કે આની કોઈ જરૂર છે ખરી? છે એટલાં કપડાં પૂરતા નથી? જો પ્રશ્ન નહીં પૂછો તો કુદરત તો જવાબ આપી જ રહી છે. અને હા, આપણા અકરાંતિયાપણાની તેમ જ કદરૂપા સોંદર્ય પ્રત્યેની મુગ્ધતાની કિંમત આપણા નિર્દોષ સંતાનોએ ચૂકવવી પડશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—205

દીપક મહેતા|Opinion - Opinion|15 July 2023

અંગ્રેજ કવિ લોર્ડ ટેનિસન અને કાયદાશાસ્ત્રી દિનશાજી મુલ્લા   

 સ્થળ : ફ્લોરા ફાઉન્ટન ઉર્ફે હુતાત્મા ચોક આગળ આવેલા દાદાભાઈ નવરોજીના પૂતળા પાસે 

સમય : કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે

પાત્રો : પારસીઓનાં પૂતળાં

(હિંદના દાદા દાદાભાઈ નવરોજી સુખાસન પર બેઠા છે. ચહેરા પર કોઈ અજબ શાંતિ છે. સૌથી પહેલાં શેઠ ભીખા બહેરામ અને રઘલો આવે છે. બંને જણા મહેમાનોની આગતા-સ્વાગતાની તૈયારી કરે છે.)

દાદાભાઈ નવરોજી

રઘલો : ભીખા સેઠ! દર વખતે તું બધાને પૂછ પૂછ કર્યા કરે છે, પણ આજે તો પેલ્લાં હું જ તને પૂછસ. મને એ કહે કે આ જગાનું સાચ્ચું નામ સું છે? ફ્લોરા ફાઉન્ટન કે હુતાત્મા ચોક?

ભીખા સેઠ : બંને સાચ્ચાં.

રઘલો : એ કંઈ ભેજામાં ઊતરે નૈ.

હુતાત્મા સ્મારક

ભીખા સેઠ : ઓહો! તો તુને ભેજું બી છે! તો સમજ. અંગ્રેજોના જમાનામાં આય જગાનું નામ હુતું ફ્લોરા ફાઉન્ટન. અરે! એ પછી બી ૧૯૬૧ સુધી તો એ જ નામ હુતું. સામે જે ફવારો દેખાય છે ને તેના પર જે પૂતળું છે તે રોમન દેવી ફ્લોરાનું છે. એટલે એ ફવારો ફ્લોરા ફાઉન્ટન બન્યો, અને લોકો આ આખ્ખી જગોને ફ્લોરા ફાઉન્ટન કહેવા લાગ્યા. આય ફવ્વારો બનાવવાનો ખરચ ૪૭ હજાર રૂપિયા આવ્યો હૂતો. તેમાંથી ૨૦ હજાર રૂપિયા આપના પારસી નબીરા ખરશેદજી ફરદુનજી પારેખે આપેયા હુતા. આઝાદી મળ્યા પછી ધીમે ધીમે એક ભાષા, એક રાજ્ય એ રીતે રાજ્યો બનતાં ગયાં. પણ અંગ્રેજોના જમાનાથી મુંબઈ રાજ્યમાં બે ભાષા ચાલતી હુતી, મરાઠી અને ગુજરાતી. હવે આ બેઉ ભાષાનાં અલગ રાજ્યો કરવાની માગની ઊભી થઈ. લોકો રસ્તા પર ઊતરી આયા. ‘મુંબઈ સહિતના સંયુક્ત મહારાષ્ટ્ર’ માટેની ચલવળ જોરદાર બનતી ગઈ. તને સું કેઉં રઘલા, હજારો લોકો એક સાથે નારા લગાવતા : ‘મુંબઈ કોણાંચી? મહારાષ્ટ્રાંચી.’ પોલીસે બેફામ ગોલીબાર કીધો. તેમાં ૧૦૬ લડવૈયા શહીદ થયા. શેવટે પહેલી મે ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ સ્ટેટ બન્યાં. યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્રના પહેલા મુખ્ય મંત્રી બન્યા. એવને પહેલું કામ આય મેમોરિયલ બાંધવાનું કર્યું. શહીદોની યાદ જાળવવા ૧૯૬૧માં આય હુતાત્મા સ્મારક ઊભું થયું. કોઈ એક માણસનું નહિ, પણ ઘણા બધા લોકોનું સાગમટું હોય એવું આ મુંબઈનું પહેલું બાવલું. આ એરિયાનું સત્તાવાર નામ છે હુતાત્મા સ્મારક ચોક, પણ લોકોની જીભ પરથી હજી ફ્લોરા ફાઉન્ટન નામ દૂર થયું નથી. 

રઘલો : પન આજે કાં પેલ્લી મે છે કે તેં આજની મિટિંગ અહીં બોલાવી?

ભીખા શેઠ : અલ્યા! તારું નામ રઘલો નહિ ઘેલો પાડવું જોઈએ. મહાત્મા ગાંધીએ જેમને  ‘હિંદના દાદા’ની પદવી આપેલી તેવા દાદાભાઈ નવરોજી સાહેબનું પૂતળું બી અહીં જ આવેલું છે. એવા મોટ્ટા માણસને કંઈ આપના કૂવા પર બોલાવાય? તેમની ખિદમતમાં આપને હાજર થવાનું હોય. 

(એક પછી એક મહેમાનો આવતા જાય છે. રઘલો નમનતાઈથી પાન-ગુલાબ આપતો જાય છે. દિનશા એદલજી વાચ્છા પધારે છે. તેમની પાછળ એક નોકર પાંચ-છ થોથાં ઉપાડીને ચાલે છે.)

રઘલો : આય સાહેબ તો વકીલ લાગે છે. મને વકીલની તો બૌ બીક લાગે, સેઠ!

ભીખા શેઠ : કેમ વારુ? 

રઘલો : એ લોકો તો સાચ્ચાનું જુઠ્ઠું અને ખોત્તાનું સાચ્ચું કરવામાં નામચીન. 

એદલજી વાચ્છા 

દિનશા વાચ્છા : નૈ રે દીકરા! હું વકીલ બી નહિ, અને સાચ-જૂથની અદલાબદલી કરવાવાળો બી નહિ. પણ તુને એમ કેમ લાગ્યું કે હું વકીલ હોવસ?

રઘલો : થોથાં ઉપાડીને પાછળ પાછળ નોકર ચાલે છે ને એટલે.

ભીખા શેઠ : અરે, એ બધી બુક્સ તો આ વાચ્છા શેઠે લખેલી છે. ૧૮૬૫માં શેર બજાર ભાંગ્યું તેને વિશે લખેલું છે. સર જમશેદજી તાતાની અને સેઠ પ્રેમચંદ રાયચંદની બાયોગ્રાફી લખેલી છે. મુંબઈની મુન્સીપાલ્ટીની તવારીખ લખેલી છે. પણ વાચ્છા સેઠ! મુને સૌથી વધારે ગમે ચ તે તો પેલી કિતાબ, Shells from the sands of Bombay. જૂના મુંબઈ માટે જાણવા માગનારાઓ માટે તો એ સુન્નાની ખાન છે. અને બીજી એક વાત : એક જમાનામાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝશાહ મહેતા પછી આય વાચ્છા સેઠ દેશના જાહેર જીવનનાં ત્રીજા મોટા આગેવાન ગણાતા હતા. ગણિત અને વેપાર-વણજના તો એવન ખાં હુતા. લોક કહેતા કે આંકડાઓ તો એવનની આંગલીઓ પર રમે છે. મુંબઈની અને દેશની કેટલીયે સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ કામ કરતા. 

વાચ્છા શેઠ : અરે ભીખા શેઠ! તમે મુને ખજૂરીના ઝાડ પર નિ ચડાઓ. જુઓ, મારી વાત થોડી સમજો. ૧૮૪૪ના ઓગસ્ટની બીજી તારીખે ખોદાયજીએ મુને આય દુનિયામાં મોકલ્યો. એલ્ફિન્સ્ટન સ્કૂલ અને કોલેજમાં ભણ્યો. જો કે ભણવાનું અધૂરું મૂકી મારા બાવાના ધંધામાં જોતરાવું પડ્યું. પછી બેન્કમાં કામ કર્યું, વેપારી પેઢીમાં કામ કર્યું. મુંબઈની મ્યુનિસિપાલિટીનો સભ્ય બન્યો, બહેરામજી મલબારીના ઇન્ડિયન સ્પેક્ટેતર નામના છાપામાં ઘણું ઘણું લખ્યું. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની શરૂઆત થઈ ત્યારથી તેના કામમાં પડ્યો. જે સિત્તેર લોકોની ટોલીએ એ શરૂ કરી તેમાંનો એક હું બી હૂતો. ૧૯૦૧માં કાઁગ્રેસનો પ્રમુખ બન્યો. એલન હ્યુમે કાઁગ્રેસની શરૂઆત કરી ત્યારે હું બી એવનની સાથે હૂતો. પન પછી જ્યારે તેઓ કાઁન્ગેસને પોતાની જાગીર સમજવા લાગ્યા ત્યારે મારે તેમની સામ્ભે બી બોલવું પડ્યું. મેં કહ્યું કે એવન માનતા લાગે ચ કે કાઁગ્રેસ તો મારું બચ્ચું છે એટલે હું કહું તે પરમાણે જ ચાલવું જોઈએ. પણ ખરા માઈ-બાપ તો પોતાનું બચ્ચું મોટું થાય એટલે તેને પોતાના પગ પર ચાલતાં શીખડાવે.

ભીખા શેઠ : મુંબઈની અને હિન્દુસ્તાનની લાંબો વખત સેવા કર્યા પછી વાચ્છા સાહેબ ૧૯૩૬ના ફેબરવારીની ૧૮મી તારીખે બેહસ્તનશીન થઈ ગયા. ફોર્ટ એરિયામાં એવનનું બાવલું છે અને એવનના નામનો એક રોડ બી છે.

રઘલો : શેઠ! આય બીજા દિનશાજી આવિયા, દિનશાજી મુલ્લા. અરે! એવનની સાથે તો ઢગલો ચોપડીઓ ઊંચકીને હમાલ ચાલતો છે.

ભીખા શેઠ : જો રઘલા. આય દિનશાજી તો ખરેખાત મોટ્ટા વકીલ છે. એટલે બોલવામાં સંભાળજે. 

રઘલો : નહિ રે સેઠ, હવે બોલે મારી બલારાત.

ભીખા શેઠ : પધારો મુલ્લા સેઠ, પધારો, અને આઈ સભાને શોભિતી કરો. 

એદલજી મુલ્લા 

મુલ્લા : દાદાભાઈ સાહેબ! આપને મારા પાયલાગણ! અરે વાચ્છા શેઠ, તમે બી હાજર છો! તમુને બી સલામ.

ભીખા શેઠ : આય મુલ્લા શેઠ બહુ મોટ્ટા વકીલ હતા. પછી જજ સાહેબ બન્યા. પોતે પાક્કા જરથોસ્તી, પન હિંદુ, મુસ્લિમ, અને બીજા કાયદાઓ વિષે ચોપડીઓ લખી. સુધારા-વધારા સાથે આજે બી એવનની ચોપડીઓ વેચાય છે. માનવામાં નિ આવતું હોય તો ગૂગલદેવને પૂછી જોજો.

મુલ્લા શેઠ : મોટ્ટો કે નાલ્લો વકીલ હું હૂતો એની તો મુને ખબર નિ, પણ હું વકીલ બનિયો તે લોર્ડ બાયરનને કારણે.

વાચ્છા શેઠ : સું કેઓ ચ? લોર્ડ બાયરન એટલે અંગ્રેજી ભાષાનો પેલો નામીચો કવિ? એવન તમુને ઓળખતા હુતા?

મુલ્લા શેઠ : નૈ રે! પણ હું એવનને ઓળખતો હૂતો એક મોટ્ટા કવિ તરીકે. ઓહોહો! સું સું લખતો હૂતો, કેવું કેવું લખતો હૂતો!

A drop of ink may make a million think 

ફક્ત નવ લફ્ઝમાં કેટલી મોટ્ટી વાત! કવિની કલમનું એક સ્યાહીનું ટીપું, લાખ્ખો-કરોડો લોકોને વિચારતા કરી મૂકે છે. એવનના એક લેટરે મારી આખ્ખી જિંદગાની બદલી નાખી. 

ભીખા શેઠ : એ વલી કઈ રીતે?

મુલ્લા શેઠ : હું કોલેજમાં ભણતો હૂતો ત્યારે મુને અંગ્રેજી સાહિત્યનું ઘેલું લાગેલું. ગાંડી-ઘેલી કવિતાઓ અંગ્રેજીમાં લખતો અને વિચારતો કે હું તો બસ! કવિ જ થાવસ. બીએ બી અંગ્રેજી લિટરેચરમાં કીધું. પન ઘેરના બધા કહે કે કવિતા લખવાથી કાંઈ છોકરાં ચાંદીને ઘૂઘરે રમે નૈ. એના કરતાં લોનું ભણ અને વકીલ થા તો બે પૈસા કમાઈસ. આપને તો હાથમાં લીધા ઈન્ડિપેન ને કાગજ ને લખી નાખ્યો લેટર લોર્ડ બાયરનને. સાથે મારી સોજ્જી પોએમ્સ બી મોકલી. લેટરમાં લખિયું કે મારી ખ્વાઈશ કવિ થવાની છે, પણ ઘેરના લોકો કહે છ કે વકીલ બન. આય સાથે મારી થોડી પોએમ્સ મોકલું છું તે જોઈને સલાહ આપવા મહેરબાની કરજો કે મારે કવિ થવું કે વકીલ.

રઘલો : હે હે હે! એવરા મોટ્ટા માનસે તો જવાબ જ આપ્યો નહિ હોએ. 

મુલ્લા શેઠ : અમારા જમાનામાં હિન્દુસ્તાન-ગ્રેટ બ્રિટન વચ્ચેની ટપાલ સ્ટિમરમાં જતી-આવતી. એક કાગજને પહોંચતા મહિનો-દોઢ મહિનો લાગે. એટલે રાહ જોયા કરું. પન એક દિવસ લોર્ડ સાહેબનો જવાબ આયો.

ભીખા શેઠ : સું લખેલું એવને? 

મુલ્લા શેઠ : જાત્તે, પોત્તે, જવાબ લખેલો : તમે મોકલેલી પોએમ્સ વાંચ્યા પછી મુને લાગે છ કે તમારે કુટુમ્બીઓની સલાહ માનીને વકીલાતનું જ ભણવું જોઈએ.” બસ. અંગ્રેજી લિટરેચરે એક બહુ મોટ્ટો કવિ ગુમાવિયો.

ભીખા શેઠ : અને હિન્દુસ્તાનને મલિયો કાયદાનો ખેરખાં. બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી, ગવર્ન્મેન્ટ લો કોલેજમાં શીખવાડ્યું, ઇન્ગલંડની પ્રિવિ કાઉન્સિલના મેમ્બર બનિયા, ૧૮૯૫માં મુલ્લા એન્ડ મુલ્લા નામની કંપની વકીલાતના ધંધા માટે સુરુ કીધી અને કાયદાનાં કેટલાંય થોથાં છાપિયાં. ૧૯૩૪ના એપ્રિલની ૨૬મી તારીખે એવન બેહસ્તનશીન થયા. બોમ્બે હાઈ કોર્ટના કંપાઉંડમાં એવનનું સ્ટેચ્યુ આજે બી ઊભેલું છે. 

દાદાભાઈ નવરોજી : આજે કેટલે વખતે આટલી વાતો સાંભળવા મળી. બાકી રોજ તો હજારો લોકો અહીંથી આવન-જાવન કરે છે, પણ કોઈને આંખ ઊંચી કરીને કોઈ પૂતલા તરફ જોવાની વટીક ફુરસદ નથી. હા, બર્થ ડે પહેલાં એક-બે દિવસે થોડી સાફસફાઈ થાય, કોઈ નાનો-મોટો નેતા આવીને હાર પહેરાવી જાય. મોટો નેતા હોય તો વલી બીજે દિવસે એકુ-બે છાપામાં અંદરને પાને ફોટો છપાય. 

ભીખા શેઠ : ચાલો, લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આજની આ બેઠક પૂરી કરીએ. ફરી મળીશું આવતા શનિવારે, આ જ જગ્યા, આ જ ટાઈમ. 

Email : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 (પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 15 જુલાઈ 2023)

Loading

એક ગમતી ગઝલ સમો માણસ

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|15 July 2023

અમદાવાદ જેવા મહાનગરમાં ડગલેને પગલે વઘતી વસતીમાં ભૂંસાતા માણસમાં મને એક ગમતી પ્રિય ગઝલ જેવા માણસ ચિનુ મોદી મળી ગયા હતા. ચિનુ મોદીને હું વ્હાલથી ચિનુકાકા કહેતો. ચિનુકાકાનો મારા પ્રત્યે અઢળક પ્રેમ! આ પ્રેમ ફકત ખાલી દેખાવ પૂરતો નહિ! મને જ્યારે પણ મળે, જ્યાં પણ મળે ત્યારે એમનો સ્નેહ આંખમાંથી ઝરવા માંડે, આવા પ્રેમાળ ચીનુકાકા આજે જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે ગમતી ગઝલ જેવા માણસ વિશે કાગળ પર લખવા કરતાં તેના સ્મરણમાં ખોવાઈ જવાનું, તેમની સ્મૃતિમાં ડૂબી જવાની ઈચ્છા હોવા છતાં મનની બે ચાર વાતને કાગળ પર લખવા બેઠો છું.

લગભગ ૧૯૮૮ના ગાળામાં હું અમેરિકાથી અમદાવાદ મારા બહેનના ઘરે છ અઠવાડિયા માટે આવ્યો હતો. તે ગાળામાં મારા મોટા ભાઈ સમા અને અંગત વડીલ મિત્ર કૈલાસ પંડિત ચિનું મોદી સાથે ગુજરાતી ગઝલકારોની ગઝલનું સુખનવર શ્રેણી નામે સંપાદન કરી રહ્યા હતા, તે કામ નિમિત્તે કૈલાસભાઈ અમદાવાદ આવેલા. એક સવારે મને કૈલાસભાઈનો ફોન આવ્યો. પ્રીતમ, આજે સાંજે જો તું કાંઈ ન કરતો હોય તો આપણે સાબરમાં ડીનર માટે મળીએ, ઈશ્વરની ઈચ્છાથી તે સાંજે હું સાવ નવરો ધૂપ જેવો હતો એટલે મેં કૈલાસભાઈને કહ્યું કે જરૂર આપણે સાંજે મળીએ છીએ. હું સાંજના સાતેક વાગે સાબર રેસ્ટોરન્ટ પર ગયો તો કૈલાસભાઈ એક વ્યક્તિ સાથે મારી રાહ જોતા ઊભા હતા. મને જોતા જ કૈલાસભાઈ મને ભેટી પડ્યા, અને સાથે આવેલી વ્યક્તિને કૈલાસભાઈ કહે કે આજ મારા જિગરને હું ચારપાંચ વરસ બાદ મળું છું. અને પછી તે વ્યક્તિનો મને પરિચય કરાવતા કહે પ્રીતમ, તું આ માણસના નામથી અને તેની ગઝલથી તો પરિચિત હોઈશ. આ છે આપણા જાણીતા અને માનીતા મશહૂર ગઝલકાર  ચિનુ મોદી … મારી સાથે હાથ મિલાવતા ચિનુ મોદીએ કૈલાસભાઈને કહ્યું, કૈલાસ તારો આ જિગર, આ છોકરો, તને એક સાચી વાત કહું, આપણા ગુજરાતી પિકચરમાં અભિનેતા તરીકે ચાલી જાય. અને તે પછી હું ચિનુકાકાને જ્યારે પણ, જ્યાં મળ્યો છું, ત્યારે મારી કોઈ સાથે ઓળખાણ કરાવતા ચિનુકાકાએ મારી ઓળખાણમાં હંમેશાં પ્રથમ વાકય સામેની વ્યક્તિને ઓળખાણ કરાવતા કહ્યું છે કે આ છોકરો છે પ્રીતમ લખલાણી …

અમેરિકામાં મને લગભગ ચાર દાયકા થયા અને મારો ગુજરાતી સાહિત્ય જગત સાથે નાતો લગભગ ત્રણ દાયકાથી. આ ત્રણ દાયકામાં અમેરિકા પધારેલાં આપણા મોટા ભાગના સર્જક મિત્રો મારે ઘરે આવી ગયા છે. મોટા ભાગના સર્જક મિત્રોએ મને ઘણું બઘું શીખવી દીઘું છે કે ભૂતને પીપળો દેખાડવા જેવો નથી. આ મિત્રો જ્યારે હું અમેરિકાથી ભારત જાઉં છું, ત્યારે મને છાસવારે તેમના શહેરોમાં મળે છે ત્યારે આંખ આડા કાન કરી લે છે. પણ ચિનુ કાકા આ બઘામાં જુદા પડી આવતા. આ માણસ જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ મૂઠી ઊંચેરા માણસ હતા. ચિનુકાકા મનથી, એક અઘકચરા, ફકીર માણસ હતા. આ ગઝલકાર ઓલિયો આપણા બીજા ગુજરાતી સર્જકો કરતાં સાવ એક જુદા પ્રકારના માણસ હતા. અમદાવાદમાં કોઈ કાર્યક્રમમાં મને દૂરથી કોઈ દસ બારના ટોળાંમાં નિહાળી લે તો ચિનુકાકા ઘીમાં ડગ ભરતા, ભીડ વચ્ચેથી માર્ગ કરતા, મારી પાસે આવી, મારે ખભે હાથ મૂકી વ્હાલથી પૂછે, દીકરા, અમદાવાદ ક્યારે આવ્યો? અને મારાથી કહેવાઈ જાય કે ચિનુકાકા, ત્રણ ચાર અઠવાડિયા થયા અને ચિનુકાકા મને કહે, અરે દીકરા, ત્રણ ચાર અઠવાડિયા થયા અને તું મને ફોન કરીને જણાવતો પણ નથી કે હું અમદાવાદમાં છું. ખેર અત્યારે તારો શું કાર્યક્રમ છે? બસ કાકા, ખાસ કહીં નથી. બેચાર મિત્રોને અહીં મળીને પછી બહેનના ઘરે જાઉં છું. તો પછી, ચાલ મારી સાથે. આજની સાંજ ચિનુકાકાને નામ, ઘરે જઇને થોડું પીશું અને પછી બહાર જમવા જશું. પછી હું તને મણિનગર બહેનના ઘરે મૂકી જાઈશ’ ….

ગયા વરસે, ૨૦૧૫ના માર્ચ મહિનામાં, તેમના નેજા તળે ગુજરાત યુનિવર્સિટીનાં એક વૃક્ષ તળે, દર શનિવારે સાંજે યોજાતી કાવ્ય સભામાં, મને ચિનુ કાકા મળી ગયા. દર વખતની જેમ મારે ખભે હાથ મૂકી મને કહે કે સભા બાદ તું હરદ્વાર અને માશુંગ ચૌઘરી સાથે ઘરે આવ. અમે ત્રણે જણા ચિનુ કાકાના ઘરે ગયા. મેં, અને માશુંગ ચૌઘરીએ ચિનુ કાકા સાથે મન ભરીને પીઘું. એ વખતે મારાથી ચિનુકાકાને પૂછાઈ જવાયું કે કાકા, આ લત તમને કોણે લગાડી? મને કહે કે આદિલ મનસુરીએ. અને પછી આદિલ તેમને ક્યાં અને કેવી રીતે મળ્યા. આદિલે પેલો શેર ગુજરાતીમાં ક્યો લખ્યો, વગેરે વાત કરી એટલે મેં પૂછયું આદિલે પહેલો શેર કયો લખ્યો અને તેમણે મને કહ્યું,”એ જ હાથોમાં છે મારી જિંદગી, સાચવી જે ના શક્યા મેંદીનો રંગ”. આ શેર આદિલનો પ્રથમ ગુજરાતી શેર અને આ શેર બચુભાઈ રાવતે ‘કુમાર’માં પ્રગટ કર્યો હતો. વાતને આગળ ચલાવતા ચિનુકાકા કહે કે મારી બા આદિલ પર ગુસ્સો કરતી કે આ મિંયો મારા દીકરાને બગાડી નાખશે. હું આદિલ, લાભશંકર અને મનહર મોદી રોજ ભઠયારી ગલીમાં સાંજે જતા અને ત્યાં ખાવું પીવું અને શેર શાયરીની સંગત કરતા. સમય જતા આ લતમાંથી આદિલ છૂટી ગયો. હું અને લાભશંકર વઘારેને વઘારે ડૂબતા ગયા ….

૨૦૧૦માં શિકાગોમાં અશરફ ડબાવાલાએ બે દિવસનો ગુજરાતી સાહિત્યનો કવિતા તેમ જ સુગમ સંગીતનો કાર્યક્રમ શિકાગો કલા કેન્દ્રના ઉપક્ર્મે રાખેલો. કવિ સંમેલનમાં ખાસ ભારતથી ચિનુમોદી, અનિલ જોશી, વિનોદ જોશી અને કૃષ્ણ દવે આવેલા. અમેરિકાથી મને તેમ જ ચંદ્રકાન્ત શાહ ને આમંત્રણ મળેલું. સાથે અશરફ ડબાવાલા, મઘુમતિ મહેતા, ઘરના કાયક્રમમાં તો હોય જ! પ્રથમ સાંજે કવિ સંમેલન તો ધાર્યા કરતાં વિનોદ જોશીના સંચાલનમાં વધારે સફળ રહ્યું. બઘા કવિઓ શિકાગોના ભવ્ય શ્રોતાગણ સામે ધોધમાર વરસ્યા. કાર્યક્રમના મઘ્યાન્તરમાં ચિનુકાકા અને અનિલ જોશી મારી પાસે આવ્યા. અનિલ જોશીએ મને કહ્યું, પ્રીતમ તારાં લઘુ કાવ્યો મને ગમ્યાં. લખતો રહેજે અને ચીનું કાકાએ મને કહ્યું, ઓપનિંગ બેસ્ટમેન તે તો રંગત જમાવી દીઘી. દીકરા, મેં મારી જિંદગીમાં આજ લગી કોઈ કવિને અછાંદસ કાવ્યો કવિ સંમેલનમાં કાગળમાં જોયા વિના વાંચતો જોયો નથી. તે તો દીકરા કમાલ કરી નાંખી. બહુ જ સરળતાથી કાવ્યો રજૂ કર્યા. મજા આવી ગઈ.

બીજે દિવસે સુગમ સંગીતના કાર્યક્રમમાં શ્યામલ, સૌમિલ અને આરતી મુનશીને ભારતથી બોલાવેલાં. કાર્યક્રમમાં પ્રથમ હરોળમાં એક ખૂણે હું બેઠો હતો અને બીજા ખૂણે ચિનુકાકા બેઠા હતા. સાંજ ઢળી રહી હતી અને ચિનુકાકાનો પીવાનો સમય થઈ ગયો હતો. ચિનુકાકા મારી પાસે આવ્યા અને મને કહે દીકરા, આ સાંજ શું લુખી કાઢવાની છે? મેં કહ્યું કાકા, સુરાની વ્યવસ્થા તો થઈ જાય તેમ છે, પણ એક મોટી મુશ્કેલી એ છે કે આપણે પીશું કયાં? મને ચિનુ કાકા કહે, અહિંયા બેસીને મજેથી પીશું. કાકા, અહિંયા ના પીવાય? કેમ ના પીવાય? કાકા આ જૈન દેરાસર છે અને તેના સભાગૃહમાં કાર્યક્રમ છે. જો કોઈ આપણને અહીં પીતા જોઈ જાય અને આપણી ફરિયાદ દેરાસરની કમિટીને કરી દે તો? બીજું બઘું તો ઠીક છે અશરફને બીજી વાર આ લોકો આ હોલ કાર્યક્રમ માટે નહિ આપે અને અશરફ આપણને પાછા કયારે ય શિકાગો કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપે. મને કહે તું આવી ચિંતા ન કર. બસ, તું પીવાની વ્યવસ્થા કર. બાકી બઘું પછી જોવાઈ જશે! આજે તો આપણે એક નવી ક્રાંતિ કરીએ. લોક કહેશે કે ચિનુ મોદી અને પ્રીતમ લખલાણીએ મન ભરીને અશરફના કાર્યક્રમમાં પીધું, અને તે પણ દેરાસરના ચોકમાં! મેં મારા યુવાન મિત્ર અને શિકાગો ટૂંક સમય પહેલા વડોદરાથી આવેલા નવોદિત ગઝલકાર ભરત દેસાઈને વ્યવસ્થાની વાત કરી, જે શિકાગોમાં એક લીકર સ્ટોરમાં કામ કરતા હતા. ચપટીક વગાડતાની સાથે ભરત દેસાઈ બે બ્લેક લેબલ જોની વોકરની બોટલ લઈને હાજર થયા. અને અમે ત્રણે જણાયે એટલું દિલથી પીઘું કે ઘડીના ભાગમાં એ પણ ભૂલી ગયા કે અમે કોણ છીએ!

ચિનુ મોદી ગઝલની એક મહાવિદ્યાલય હતા. તેમણે ગઝલ માટે શું નથી કર્યુ? તે પણ એક સવાલ છે. આજે ગઝલના લીલા દુકાળમાં પણ આપણને બે પાંચ યુવાન ઉત્તમ ગઝલકારો વાંચવા અને સાંભળવા મળે છે તે ગુજરાતી ગઝલને ચિનુ મોદી તરફથી મળેલ ભેટ છે. ઘણી વાર મને એવું લાગ્યું છે કે ચિનુકાકાનો જન્મ, ગઝલનો પાયો ગુજરાતમાં નાંખવા માટે જ થયો હતો. ચિનુ મોદીએ ‘રે’મઠથી જિંદગીના છેલ્લા શ્વાસ લગી યુવાન ગઝલકારોને ગઝલ અને કાવ્ય લખવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપી છે. મારું આ સદ્ભાગ્ય છે કે હું કયારે ય ગઝલ લખતો નહીં, પરંતુ ચિનુકાકાની અલવિદાના બેચાર મહિના પહેલાં મે ગઝલના નામે આડા ઊભા લીટા કરી, ફેસબુક પર મારી દીવાલ પર મૂક્યા. ચિનુકાકા ને જ્યારે પણ મારા શેર કે ગઝલ ફેસબુક પર વાંચવા મળે, ત્યારે ફકત ગમતાનો ગુલાલ જ ના કરે અને જો તેમને કદી કહેવાનું મન થાય તો મને વ્હાલથી મારા મેલ બોકસમાં લખે. એક વાર મેં ચિનુકાકાને કહ્યું, ચિનુકાકા મને ગઝલના બે પાંચ છંદમાં ગાલગાગા વઘારે ફાવવા કરતાં ગમે છે અને અનાયાસે મારાથી કોઈ શેર અથવા ગઝલ બસ ગાલગાગામાં રચાઈ જાય છે .કાકા, મને ખબર નથી પડતી આ પ્રયોગ / પ્રયાસ કેટલો લાંબો ચાલશે! ચિનુકાકા હસતાં હસતાં મને કહે કે, ‘દીકરા ચિનુકાકાની દુકાન ગઝલમાં ગાલગાગાથી ચાલી તો તારી દુકાન શું કામ આ એક છંદે ના ચાલે? ૨૦૧૩માં કૃષ્ણ દવેએ ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં મારો, દલપત પઢિયાર અને હરકિશન જોશીનો કાવ્ય સંપદાના નેજા હેઠળ કાવ્ય વાંચનનો કાર્યક્રમ રાખેલો. તે વખતે મેં કાવ્ય વાંચનમાં કહ્યું કે, ઉમાશંકર જોશી કહેતા કે જયાં સુઘી તમે એકાદ ગીત ના લખો ત્યાં લગી તમે કવિ નહિ, એટલે મેં કવિના વાડામાં પ્રવેશ કરવા એક ગીત લખ્યું છે, તે હું આજ તમારી સમક્ષ રજૂ કરું છું. ત્યારે પ્રથમ હરોળમાં રાજેન્દ્ર શુકલ, તુષાર શુકલ, અમર ભટ્ટ સાથે બેઠેલા ચિનુકાકાએ ઊભા થઈને કહ્યું કે આ છોકરો કવિ થવા ગીત લખે છે તો હવે આવનારા દિવસોમાં તે ગઝલ લખે તેવી હું આશા રાખું છું. હવે જે દિવસે તે ગઝલ લખે તે દિવસે મારે મન કવિ. ચિનુકાકા, તમારી પ્રેરણાએ મને ગઝલ લખતો કર્યો, પરંતુ મારા આ શેર અને ગઝલને તમારા વિના સાચું માર્ગદર્શન કોણ આપશે?

ચિનુકાકા, વરસે બે વરસે હું અમદાવાદ આવીશ, મિત્રોનાં ટોળાં મળશે. અવાર નવાર કવિ સંમેલન મુશાયરામાં જવાનું થશે. અગણિત કવિ મિત્રોને તેમ જ શ્રોતાઓને મળવાનું થશે. પણ આ બાવરી આંખ તમને શોધતી રહેશે. આ અમદાવાદ શહેરમાં હું ટોળાંમાં વાતોના વડા કરતો હોઈશ, ત્યારે કોઈ પાછળથી આવી મારે ખભે હાથ મૂકીને કહેશે કે દીકરા, તું કયારે અમદાવાદ આવ્યો? ચિનુ કાકા, તમારા આ પ્રેમાળ શબ્દો ફકત મારા કાન જ નહિ, પણ મારો ખભો પણ સાંભળવા કાન માંડીને બેઠો હશે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0271,0281,0291,030...1,0401,0501,060...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved