પુસ્તક પંઢરીનો પહેલો પડાવ
જ્યાં સાડા છ લાખ મરાઠી પુસ્તકો છે તેવું મુંબઈનું પુસ્તકાલય
૧૮૬૦ પહેલાંના મુંબઈની વાતો કરતું પુસ્તક : મુંબઈચે વર્ણન
આપણા મહારાષ્ટ્રમાં પંઢરી — પંઢરપુરની જાતરાનું અદકેરું મહત્ત્વ છે. તેને અનુસરીને હવે પછી થોડા વખત માટે આપણે કરશું પુસ્તક-પંઢરી. પણ કયાં પુસ્તક? કેવાં પુસ્તક? પુસ્તકનાં અવલોકન? ના, ના. જાતરાએ જનાર પાછા ફરતાં બીજાંને વહેંચવા માટે પ્રસાદ લેતો આવે તેવું કશુંક. આપણી આ જાતરાનો પહેલો પડાવ છે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલું મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય. જાતરામાં સહભાગી છે ૧૯મી સદીના મરાઠી સાહિત્યના એક અગ્રણી ગોવિંદ નારાયણ માડગાંવકર, મરાઠીના વિદ્વાન સંશોધક-વિવેચક સ.ગં. માલશે અને આપનો નાચીઝ દી.મ.
ગો.ના. માડગાંવકર
દી.મ. : યા માડગાંવકર સાહેબ, યા માલશે સર. તમારું બંનેનું પુસ્તક પંઢરીમાં સ્વાગત કરું છું. મરાઠી સાહિત્યના પ્રેમીઓ અને સંશોધકો માટે આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય એ તો એક તીર્થસ્થાન છે. માલશે સર! પહેલાં તેને વિષે થોડી વાત કરશો?
માલશે : જરૂર કરવાના. આજે હવે લાયબ્રેરીઓમાં રસ કેટલાને રહેલો છે? આ મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલયની શુરુઆત છેક ૧૮૯૮માં થયેલી. આજે તેની પાસે સાડા છ લાખ જેટલાં મરાઠી પુસ્તકો છે, જેમાં દોલામુદ્રિતોનો પણ સમાવેશ થાય છે.
દી.મ. : માલશે સાહેબ! આ દોલામુદ્રિત એટલે વળી શું?
માલશે : મરાઠી ભાષામાં ચોપડીઓ છાપવાનું શરૂ થયું ત્યારથી ૧૯મી સદીના સેવટ સુધી છપાયેલાં પુસ્તકોને અમે ‘દોલામુદ્રિત’ તરીકે ઓળખીએ છીએ. દોલા એટલે પારણું. મુદ્રણ-પ્રકાશનની બાલ્યાવસ્થાનાં પુસ્તકો તે દોલામુદ્રિત. આવાં પુસ્તકોનો બહુ મોટો ખજાનો અહીં છે.
દી.મ. : અને એમાંનું એક છે માડગાંવકર સાહેબનું પુસ્તક ‘મુંબઈચે વર્ણન.’
માલશે : હા, જી. એ પહેલી વાર છપાયેલું ૧૮૬૩માં. અને ૧૯મી સદીની અધવચ સુધીના મુંબઈ શહેરની જાણકારી માટે તો આ ચોપડી સોનાની ખાણ જેવી છે.
માડગાંવકર : આ તમે કશી વારતા કરતા છો! આપણી મુંબઈ વિષે તો કેટલું બધું લખાયેલું છે! તેમાં મારું પુસ્તક તો …
છઠ્ઠી આવૃત્તિ, ૨૦૨૦
દી.મ. : ગોવિંદરાવ પોતાને વિશે કશું બોલશે નહિ. માલશે સાહેબ! તમે જ થોડી વાર્તા કરો તેમના વિષે.
માલશે : ગોવિંદરાવનો જન્મ ૧૮૧૫માં, ગોવાના મડગાંવમાં. અર્વાચીન મરાઠી સાહિત્યના પહેલા ચાર મશાલચીમાં આજે તેમની ગણના થાય છે. બીજા ત્રણ તે સદાશિવ કાશીનાથ છત્રે, બાળ ગંગાધાર શાસ્ત્રી જાભેકર, અને હરિ કેશવજી પાઠારે. ગોવિંદરાવના ખાસ ધ્યાન ખેંચે તેવા બાબત એ કે તેમનાં ૧૮ પુસ્તકોમાંથી એકને બાદ કરતાં બધાં મૌલિક પુસ્તકો છે. ગોવિંદરાવના વડીલ(પિતા)નો ધંધો તપકીરની પૂડી (પડીકાં) વેચવાનો. ગોવામાંનો પોતાનો ધંધો સંકેલી લઈને નારાયણરાવ સકુટુંબ મુંબઈ આવ્યા. કાલબાદેવી રોડ પર તપકીરની પૂડી અને બીજાં ઓસડિયાં વેચવાની દુકાન શુરુ કરી. આગળ જતાં સમાજ સુધારાની ચળવળના ભાગ રૂપે તપકીર પૂડીના ગેરફાયદા ગણાવી ગોવિંદરાવે તેનો ઉગ્ર વિરોધ કર્યો. મુંબઈ આવીને તેઓ એલ્ફિન્સ્ટન નેટિવ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નિશાળમાં ભણવા લાગ્યા. પછી સરકારી ઓફિસમાં નોકરીએ લાગ્યા. પણ થોડા વખત પછી ફરી રેવરન્ડ વિલ્સનની નિશાળની કોલેજ શાખામાં ભણ્યા અને પછી ત્યાં જ ‘માસ્તર’ બન્યા.
દી.મ. : સાહેબ! આ જરા સમજાયું નહિ : રેવરન્ડ વિલ્સનની નિશાળની ‘કોલેજ શાખા’ એ વળી શું?
માલશે : જુઓ મહેતા! તમે તો જાણતા કે એલ્ફિન્સ્ટન કોલેજ એ મુંબઈની સૌથી પહેલી કોલેજ. પછી બીજી તે વિલ્સન કોલેજ. હિન્દુસ્તાનની ઘણી ભાષાના જાણકાર રેવરન્ડ વિલ્સને પહેલાં સ્કૂલ શરૂ કરી. અને વખત જતાં એ સ્કૂલની શાખા તરીકે કોલેજ શરૂ કરી. પછીથી બંને સંસ્થાઓ અલગ થઈ.
વિલ્સન સ્કૂલનું અસલ મકાન, ગિરગાંવ
દી.મ. : હો, હો. અત્તા કળલં.
માલશે : ૧૮૬૩ના અરસામાં ગોવિંદરાવ નોકરીમાંથી રિટાયર થયા. એ વખતે આપેલા ભાષણમાં રેવરન્ડ વિલ્સને ગોવિંદરાવે લખેલાં ૧૭ મરાઠી પુસ્તકની વિગતો આપી છે. પણ મહેતા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોવિંદરાવે ગુજરાતીમાં પણ ચાર ચોપડી લખેલી : સત્યનિરૂપણ (૧૮૫૩), ઉદ્ભીજ પદાર્થ (૧૮૫૯), શુચીર્ભૂતપણા, અને ઋણનિષેધક બોધ. અલબત્ત, આ ચારે તેમનાં મૂળ મરાઠી પુસ્તકોના અનુવાદ હતા. પણ એ અનુવાદ કરેલા ગોવિંદરાવે પોતે.
દી.મ. : તે ગોવિંદરાવજી! આપ ગુજરાતી બી ભણેલા?
ગોવિંદરાવ : ભણેલા નઈ, પણ આવડી ગયેલા. અને એમાં કોઈ નવા વાત નહોતા. અમારા જમાનામાં મરાઠી, ગુજરાતી, પારસી, બધા સાથે મળીને કામ કરતા અને એટલે એકબીજાની બોલી આપોઆપ શીખી જતા.
માલશે : ૧૮૬૫ના માર્ચની ૧૫મી તારીખે ગોવિંદરાવજી દેવલોક પામ્યા તે અગાઉ તેમણે જે કાંઈ લખ્યું તે બધું સાચી વાત લોકો સામે માંડીને તેમના જીવનને એક પાયરી ઉપર ચડાવવા માટે લખ્યું.
દી.મ. : અને માલશેસાહેબ! આપે તેમનું સમગ્ર સાહિત્ય ત્રણ મોટા ગ્રંથોમાં સંપાદિત કરીને ૧૯૬૮થી ૧૯૭૦ સુધીમાં પ્રગટ કર્યું. આ કાંઈ નાનુંસૂનું કામ ન કહેવાય. અને હા, તેમાં આપે ગોવિંદરાવજીનું પ્રમાણભૂત જીવનચરિત્ર પણ પહેલી વાર આપ્યું.
માલશે : જુઓ મહેતાભાઈ, મારા-તમારા જેવાને લાખો લોકો વાંચે, તારીફ કરે, એવું તો બનવાના નહિ. એટલે જે બી કામ હાથમાં લઈએ એ બને તેટલી સારી રીતે કરવું, એટલું આપણે કરી શકીએ. પણ મારે એક વાત કહેવા જોઈએ : ગોવિંદરાવનું સૌથી મહત્ત્વનું પુસ્તક તે તો તેમનું છેલ્લું પુસ્તક, ‘મુંબઈચે વર્ણન’. જાણીતા વિવેચક ન.ર. ફાટકસાહેબે કહેલું છે તેમ ૧૮૬૩માં જ્યારે આ પુસ્તક પહેલી વાર પ્રગટ થયું ત્યારે મુંબઈનો ઇતિહાસ જાણવા માટે બહુ ઓછાં સાધન હતાં. અંગ્રેજીમાં પણ એ વખતે મુંબઈ પર ઝાઝાં પુસ્તક લખાયાં નહોતાં. એવે ટાણે ગોવિંદરાવે આ પુસ્તક લખ્યું એ ખરેખર માન પ્રેરે તેવી બાબત છે.
ગોવિંદરાવ : જુઓ, એમાં બાબત એવી છે કે નાની ઉંમરે હું મુંબઈ આવી વસ્યો. અને મારાં આંખ-કાન ખુલ્લાં રાખીને જીવ્યો. મરાઠી ઉપરાંત અંગ્રેજી, ગુજરાથી, હિન્દી, વગેરે ભાષા બોલનારા સાથે મળીને કામ કર્યાં. એટલે ઘણા જાણવા મળ્યા. અને શોધવાની મહેનત કરો તો જાણકારી મેળવવા માટેનાં સાધન તો હતાં જ. એટલે આ પુસ્તક લખી શકાયું.
માલશે : મરાઠી માણૂસને પોતાની ભાષા માટે, પોતાના ઇતિહાસ માટે ઘણું અભિમાન હોય છે એમ કહેવાય છે. અને વાત સાવ ખોટી બી નથી. છતાં મુંબઈ વિશેની માહિતીના ખજીના જેવા આ પુસ્તકની બીજી આવૃત્તિ લગભગ સો વરસ પછી, છેક ૧૯૬૧માં થઈ એ જરા નવાઈ લાગે તેવી વાત છે. જો કે પછી ૨૦૨૦ સુધીમાં તેના કુલ ૬ આવૃત્તિ થયા છે એ સારી વાત છે.
ગોવિંદરાવ : આ પુસ્તક રચવાના મન મને કેમ થયા એની થોડી વાત કરું. એક દિવસ એક સભામાં હું ગયો હતો. એક ગોરા સાહેબ ભાષણ કરતા હતા. પોતાના દેશના ઇતિહાસ માટે, સાહિત્ય માટે, જાણકારી માટે, ગ્રેટ બ્રિટનમાં કેટલા બધા લોક કામ કરતા રહે છે તેમ બોલ્યા. પછી કહ્યું કે તમારે પણ તમારા દેશ માટે આ રીતે કામ કરવા જોઈએ. સારા કામને સરકાર મદદ કરે ચ છે, પણ સરકારની મદદ પર બધો મદાર ન રાખો. વાંચો, જાણો, લખો. – આ ભાષણ સાંભળ્યા પછી મેં નક્કી કરેલું કે ભલે હું મારા હિન્દુસ્તાન દેશનો ઇતિહાસ ન લખી શકું, ભલે મારી માયભૂમિ મહારાષ્ટ્રનો ઇતિહાસ ન લખી શકું. પણ આ મુંબઈ શહેરનો ઇતિહાસ તો મારે લખવો જ જોઈએ. પણ હા, એ વખતે મને માલુમ નહોતું કે મુંબઈને સલામ કરતું અ પુસ્તક મારું છેલ્લું પુસ્તક હશે.
દી.મ. : માલશે સાહેબ! આ પુસ્તકમાં શું શું છે એનો જરા ખ્યાલ આપશો?
સ.ગં. માલશે
માલશે : જરૂર. પુસ્તક ૧૫ ચેપ્ટરમાં વહેંચાયેલું છે. પુસ્તકની શરૂઆત થાય છે મુંબઈની હાલની (એટલે કે આ પુસ્તક લખાયું ત્યારની, ૧૮૬૦ની આસપાસની) અને અગાઉની સ્થિતિની સરખામણીથી. લોકો, તેમના પહેરવેશ, બોલી, રીતરિવાજો, તહેવારો, ધંધા-પાણી, વગેરેનું અપાર વૈવિધ્ય તે વખતના મુંબઈમાં પણ હતું એ હકીકત આ પુસ્તક વાંચતાં સમજાય છે. અને બીજી વાત એ કે એ જમાનામાં લોકો એકબીજાની પરંપરાને માન આપતા, તેમાંથી કેટલુંક સારું લાગે તે અપનાવતા પણ ખરા.
દી.મ. : આજે એવું કદાચ ઓછું જોવા મળે છે, નહિ?
ગોવિંદરાવ : જે સતત ગતિમાન છે તે જ છે જગત. મુંબઈ પણ કેટલું બધું બદલાઈ ગયું છે! અરે! અમારા જમાનામાં પણ સતત બદલતું રહેતું હતું. વરળી, પાયધુની, કુલાબા, ડોંગરી, બોરીબંદર, વાલકેશ્વર, ચોપાટી. ક્યાં એ લકડી બંદર, ક્યાં અમારા જમાનાની ચોપાટી, અને ક્યાં આજની ગિરગામ ચોપાટી! કોઈ ગરીબ, ચીંથરેહાલ માણસ, પોતાની મહેનત, બુદ્ધિ, અને નસીબને જોરે શ્રીમંત બની જાય એવું જ આ શહેરનું થયું. અંગ્રેજોએ એનું કલેવર બદલ્યું, પણ એ કલેવરમાં પ્રાણ પૂર્યા તે તો આપણે સૌએ.
માલશે : એ વખતે સરકાર લોકોના જીવનમાં ઝાઝું માથું મારતી નહિ. આખા મુંબઈ ઈલાકાની સરકારમાં ૧૭૨૦ની સાલમાં ફક્ત ૪૦ સનદી અધિકારી હતા. અને એમના પગાર? મુંબઈના ગવર્નરનો પગાર હતો વરસે – મહિને નહિ હોં – ત્રણ હજાર રૂપિયા! અને ત્યારે પગાર દર છ મહીને ચૂકવાતો!
ગોવિંદરાવ : અને માલુમ છે? મમ્માદેવીના મંદિરની પાછળ એક વખત બહુ મોટું ‘શાલ બજાર’ હતું.
દી.મ. : શાલ બજાર? એટલે?
માલશે : દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલી શાલના ઢગલા માંડીને દુકાનદારો બેઠા હોય! રંગબેરંગી, જરીવાળી અને વગરની, ગરમ, રેશમી, સુતરાઉ, અમૃતસર કે કાશ્મીરથી મગાવેલી શાલ. બારે મહિના વેચાય.
દી.મ. : પણ એ લે કોણ? મુંબઈમાં એવી ઠંડી જ ક્યાં પડે છે?
ગોવિંદરાવ : અમારા જમાનાના મુંબઈમાં ટાઢ, તડકો, પાઉસ, બધું માફકસર રહેતું. અને આ શાલ બજારથી થોડે દૂર હતી અફીણ-ગાંજાની દુકાનો. એનાથી આગળ જાવ એટલે જોહરીઓ – તમે ગુજરાતીમાં શું કહો? હા, ઝવેરીઓની દુકાનો, લાઈનબંધ. પછી આવે તાંબા-પિત્તળનાં વાસણોની દુકાનો. લાલ-પીળાં વાસણો દિવસના અજવાળામાં ઝગારા મારે! અને એની બાજુમાં એક લગભગ ચીંથરેહાલ, પોતડી ઘાલેલો માણસ રસ્તાની ધારે બેસીને પતરાવળી અને પડિયા વેચતો હોય.
માલશે : એ જમાનામાં હજી પ્લાસ્ટિક નામના દાનવે દેખા દીધી નહોતી. અને જે કાંઈ વપરાતું તેમાનું મોટા ભાગનું ‘રિસાઈકલ’ થતું. દાણો-પાણી કે શાકભાજી લેવા જાય ત્યારે લોકો પોતાની કપડાની પીશવી, તમે શું કહો? હા, થેલીઓ, સાથે લઈ જતા. દુકાનદાર ત્રાજવે તોળી તોળીને ઘઉં-ચોખા, વગેરે એક એક થેલીમાં ભરતો જાય.
દી.મ. : અમને તો હવે એવી થેલી લઈને ઘર બહાર જતાં શરમ જ આવે. એટલે બધું પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલું મળે. કેટલી સગવડ!
માલશે : જરા ગિરગામ કે જુહુ ચોપાટી જઈને જોજો! દરિયા કિનારા પર પ્લાસ્ટિકના ઢગલેઢગલા રોજેરોજ પડ્યા હોય છે.
દી.મ. : હા, અમે પહેલાં નાની નાની સગવડો ઊભી કરીએ, અને પછી મોટી મોટી અગવડો સામે ચાલીને આવે. પણ ગોવિંદરાવજી અને માલશે સાહેબ. આપણે રાત થોડી અને વેશ ઝાઝા એવું થયું છે. એટલે આ વાતો આજે તો અટકાવીએ. આવતે શનિવારે ફરી મળીશું, આપણે ત્રણે. ત્યાં સુધી આવજો!
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 ઓગસ્ટ 2023