એર ઇન્ડિયા વિશ્વની એક માત્ર એવી એર લાઇન છે જેણે સિલ્વાડોર ડાલી જેવા આર્ટિસ્ટ પાસે ખાસ એશ્ટ્રેસઝ ડિઝાઇન કરાવી હતી અને તેના બદલામાં વળતર તરીકે હાથી મોકલી આપ્યો હતો
ભારતની સૌથી પહેલી એરલાઇન એર-ઇન્ડિયા ગુરુવાર સાંજથી ચર્ચામાં છે કારણ કે એર ઇન્ડિયાએ પોતાનું રિ-બ્રાન્ડિંગ કર્યું. એક કરતાં વધુ પેઢી માટે એર ઇન્ડિયાના વાંકડી મૂછોવાળા મહારાજા, તેમનો લાલ કોટ અને પીળી-લાલ પાઘડી ભારતની આધુનિકતાની ઉડાનની ઓળખાણ રહી છે. એરલાઇન્સે પોતાનો લોગો બદલ્યો ત્યારે લોકોએ મહારાજાનો એ મેસ્કોટ હવે ઇતિહાસ થઇ જશેનો વસવસો વ્યક્ત કર્યો, પણ બીજા દિવસે એમ નથી થવાનું તેની પણ ચોખવટ આવી. એર-ઇન્ડિયાના નામમાંથી વચ્ચેની પેલો હાઇફન પણ ક્યારનો ય કાઢી લેવાયો છે અને તેને એર ઇન્ડિયા જ કહેવાય છે. જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસની રચના કરી એવા એર ઇન્ડિયાને લગતી ઘણી એવી બાબતો છે જે સીમાચિહ્ન સમાન છે. જો કે જેમ દરેક ઇતિહાસના નાયકને ભરતી ઓટનો સામનો કરવો જ પડતો હોય છે એમ એર ઇન્ડિયા એરલાઇન્સ સાથે પણ થયું છે. આ એરલાઇન ભારતને વૈશ્વિક નકશા પર ઝળકાવવા માટે પણ જવાબદાર છે તો જંગી ખોટ ખાઇને સરકારના માથાનો દુખાવો પણ બની ચૂકી છે.
1932માં ભારતના ઉદ્યોગપતિ જે પોતે ભારતના સૌથી પહેલા લાઇસન્સ્ડ પાયલટ હતા, એવા જે.આર.ડી. તાતાએ એર-ઇન્ડિયાની સ્થાપના કરી. બહુ જલદી જ તેમણે તેને ભારતની સૌથી પહેલી કોમર્શિયલ એર લાઇન બનાવવાનો નિર્ણય લીધો અને તે સમયની ઇમ્પિરિયલ એરવેઝના રૂટ્સ પર હવાઈ મેઇલ સેવાની શરૂઆત થઇ. એરલાઇન્સે ભારત આખામાં મેઇલ સેવા માટેના ડેસ્ટિનેશન્સ વધાર્યા અને પછી ધીરે ધીરે મુસાફરોને લઇ જવાની શરૂઆત પણ થઇ. એરલાઇન શરૂ થયાના પહેલા વર્ષના અંત સુધીમાં કરિયરે 10.7 ટન મેલ્સ અને 155 મુસાફરોને બ્રિટિશ બનાવટના મોનોપ્લેન ડિ હેવિલેન્ડ પસ મૉથ એરોપ્લેન મારફતે અલગ અલગ સ્થળોએ પહોંચાડ્યા હતા.
1938માં એરલાઇનને તાતા એરલાઇન્સ નામ આપવામાં આવ્યું અને પહેલીવાર વિમાન આંતરરાષ્ટ્રીય આકાશ ભણી ઉડ્યું. ફ્લાઇંગ કેરિયરે શ્રીલંકાના કોલંબોને પણ પોતાના રૂટમાં ઉમેર્યું. તાતા એરલાઇન્સે એવું ઘણું કર્યું છે જે ઇતિહાસનો હિસ્સો છે. જેમ કે બીજા વિશ્વ યુદ્ધમાં તેના વિમાનોનો ઉપયોગ મિલિટરી માટે થયો હતો અને યુદ્ધમાં મદદ કરવા જે.આર.ડી. તાતાએ ગ્લાઇડર્સ પણ બનાવ્યા હતા. 1942 સુધીમાં તો દીર્ઘદૃષ્ટા તાતાએ યુદ્ધ પછીના ભવિષ્યને ગણતરીમાં લઇને પશ્ચિમી દેશોમાં હવાઈ સેવાઓ ચાલુ કરવાની દિશામાં વિચાર શરૂ કરી દીધા. 1947માં ભારતને આઝાદી મળી અને સરકારે એરલાઇનમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી લીધી અને એર-ઇન્ડિયામાં વચ્ચેનો હાઇફન ખસી ગયો અને ત્યારથી એરલાઇન કહેવાઈ એર ઇન્ડિયા. એર ઇન્ડિયાની સૌથી પહેલી લાંબી ફ્લાઇટ ૧૯૪૮મા મુંબઈ અને લંડન હિથ્રો વચ્ચે હતી. જે.આર.ડી. તાતા આ ક્ષણની રાહ લાંબા સમયથી જોઇ રહ્યા હતા. જો કે પાંચ વર્ષમાં સરકારે એર ઇન્ડિયા અને અન્ય બીજા કેરિયર્સને રાષ્ટ્રીયકૃત કરી દીધા. એર ઇન્ડિયા પરથી તાતાનું પૂરેપૂરું નિયંત્રણ હવે સરકાર પાસે ચાલ્યું ગયું અને શરૂઆતમાં તો આ થવાથી જે.આર.ડી. તાતા ભારે રોષે ભરાયા હતા, પણ આખરે આ એરલાઇન એમણે શરૂ કરી હતી એટલે તે તેના ચેરમેન તરીકે સેવા આપવા ફરી એર ઇન્ડિયા સાથે જોડાયા.
1960ના દાયકામાં એર ઇન્ડિયાએ બોઇંગ 707-420 એરક્રાફ્ટ શરૂ થયા અને એર ઇન્ડિયાએ જેટ પ્લેન વાપરવાની શરૂઆત કરી અને બે વર્ષમાં તે વિશ્વની સૌથી મોટી એવી એરલાઇન બની જેના બધા જ વિમાનો જેટ પ્લેન્સ હતા. એર ઇન્ડિયા એક એવું નામ બન્યું જે ઘર ઘરમાં જાણીતું બન્યું એટલું જ નહીં પણ વિશ્વની સૌથી વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ સેવા આપતી એરલાઇન તરીકે તેની ગણના થવા માંડી. અન્ય વૈશ્વિક સ્પર્ધક એરલાઇનની સામે તેનું કદ કદાચ નાનું હોય પણ વાસ્તવિકતા એ હતી કે તેની સેવાઓ એટલી સારી હતી કે આખી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં તેની વાહવાહી થતી. વળી એર ઇન્ડિયાની સેવાઓ એટલી સારી ગણાતી કે યુરોપિયન અને અમેરિકન હવાઈ સેવાના મુસાફરો હવે ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ્સ માટે એર ઇન્ડિયાની એરલાઇનનો ઉપયોગ કરવાનું પસંદ કરવા લાગ્યા. એર ઇન્ડિયાની જાહેરાતો અને તેના મજાના મેસ્કોટ મહારાજાની લોકપ્રિયતા પણ ઘણી હતી.બધું રંગેચંગે ચાલતું હતું પણ પછી એવિએશન માર્કેટ ઉઘડ્યું, નવા સ્પર્ધકો આવ્યા અને એર ઇન્ડિયા અહીં બીજી એરલાઇન સાથે પગલાં મેચ કરવામાં પાછી પડી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં એર ઇન્ડિયાના સી.ઇ.ઓ. અને એમ.ડી. કેમ્બેલ વિલ્સને એમ પણ કહ્યું હતું કે દોઢ દાયકા સુધી એર લાઇનને સરખી રીતે ચલાવી શકે એવી ટેલેન્ટ્સની પણ ખામી હતી અને આઇ.ટી. સિસ્ટમ કે રેવન્યુ મેનેજમેન્ટમાં કોઇ રોકાણ ન થવાથી એ બધું પણ અસ્તવ્યસ્ત રીતે જ ચાલી રહ્યું હતું. એરલાઇનનું ટર્ન અરાઉન્ડ હજી નવી વાત છે પણ 2018માં તો એવી હાલત હતી કે ભારતે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાનો પ્રયાસ કર્યો. 76 ટકા હિસ્સો વેચવાનો પ્રયત્ન તો કર્યો પણ કોઇ પણ ખાનગી ખરીદદાર એવી એરલાઇનમાં પૈસા નાખવા નહોતો માગતો જેની માલિકી સરકાર સાથે વહેંચવાની હોય. 2020માં ભારત સરકારે એર ઇન્ડિયામાંથી મુક્તિ મેળવવા માટેના 100 ટકા ભાગીદારી જતી કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. તાતા સન્સ જેણે એરલાઇન શરૂ કરી હતી તેણે સરકારી બની ચૂકેલી એરલાઇન માટેની હરાજીમાં ભાગ લીધો. આઠ દાયકા પછી અનેક ટર્મોઇલ અને ટર્બ્યુલન્સમાંથી પસાર થઇ ચૂકેલી આ એરલાઇન તાતા ગ્રૂપ પાસે પાછી ફરી. બે દાયકા પહેલા સરકારે ડિસઇનવેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલુ કરી હતી જ્યારે અટલ બિહારી બાજપાઈની સકારે 40 ટકા હિસ્સો વેચાવાની જાહેરાત કરી હતી ત્યારે તાતા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ રસ દાખવ્યો હતો, પણ એ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી ન થઇ શકી. ત્યારથી માંડીને અત્યાર સુધી જે પણ સરકાર આવી તેણે એર ઇન્ડિયાને વેચવાની ભાંજગડ કરી પણ કંઇ વળ્યું નહીં. આખરે ઑક્ટોબર 2021માં બધું પાર પડ્યું. તાતા સન્સે સરકાર પાસેથી એરલાઇનનો કન્ટ્રોલ મેળવવા માટે 18,000 કરોડની બીડ જીતી હતી.
તાતા ગ્રૂપ પાસે એરલાઇનની માલિકી આવી. હવે એરલાઇનને ફરીથી ધમધમતી કરવા માટે જેટ્સથી માંડીને એરબસીઝ અને બોઇંગ માટેની રેકોર્ડ ડીલ્સ કરવામાં આવી. એરલાઇન્સના વિસ્તરેલા ઑપરેશન્સની વેલ્યુ અંદાજે 6.40 લાખ કરોડ જેટલી હોવાની મનાય છે. એરલાઇનના સંચાલકોનું કહેવું છે કે નવા એરક્રાફ્ટ આ વર્ષના અંતમાં આવશે તો જેટ્સ 2025 સુધીમાં આવવાની શક્યતા છે. નવા લોગોની જાહેરાત સાથે એર ઇન્ડિયાએ બ્રાન્ડિંગ મેક-ઓવર કર્યું તો સાથે નવી ઉડાનો માટે તે પૂરી રીતે તૈયાર છે તેનો પણ સ્પષ્ટ સંકેત આપ્યો. એર ઇન્ડિયા ભારતની ઓળખાણ રહી છે અને તેની કામગીરીમાં કોઇ ટર્બ્યુલન્સ ન આવે એ માટે તાતા ગ્રૂપ પૂરી રીતે સજ્જ છે તેવું તેમની નવી જાહેરાતો પરથી લાગી રહ્યું છે.
બાય ધી વેઃ
એર ઇન્ડિયા માત્ર ફ્લાઇટ્સ અને સર્વિસિઝની વાત નથી, વિમાનમાં ઉડનારાઓ માટે એ મુસાફરી એક ‘શ્રેષ્ઠી’ હોવાનો અનુભવ કરાવે એ પણ અગત્યનું છે. આજે કદાય એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આટલા બધી કંપનીઝ હોવાને કારણે વિમાનની આવન-જાવન પહેલાંની સરખામણીએ સામાન્ય બની છે, પણ સાંઇઠના દાયકામાં ફ્લાઇટ લેવી એ કોઇ લાઇફસ્ટાઇલ અને લક્ઝરીથી કમ નહોતું. પેસેન્જર્સ ફ્લાઇટમાં ક્યુબન હવાના સિગાર્સ પીતાં, કેવિએર ખાતાં અને શેમ્પેઇન માણતાં. હર્મિઝ અને ક્રિશ્ચન ડિઓરનાં કપડાં અને જ્વેલરી સ્ટુઅર્ડેસિઝ પહેરતી. એ હવાઇ યાત્રાનો સુવર્ણકાળ હતો અને તમે માનશો એર ઇન્ડિયા લક્ઝરીને મામલે નંબર વન હતી. એર ઇન્ડિયાએ એક સમયે આર્ટિસ્ટ સિલ્વાડોર ડાલી (1967માં) પાસે ડિઝાઇન કરાવેલી 500 એશ્ટ્રેઝ પોતાના ખાસ મુસાફરોને ભેટ આપી હતી અને ડાલીને વળતર ચૂકવવા માટે પૈસાને બદલે હાથી આપ્યો હતો – એ પણ બેંગલોરથી જીનિવા સુધી પ્લેનમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી ટ્રકમાં ડાલીને ઘરે મોકલાયો હતો. વળી હાથી ભાઇનું આગમન થયું તો ત્યાંના મેયરે ત્રણ દિવસની રજા જાહેર કરીને શહેરના મુખ્ય હિસ્સામાં હાથીની પરેડનું આયોજન કર્યુ હતું. આ હતો એર ઇન્ડિયાનો ઠાઠ અને હવે તાતા જૂથે જે રીતે કમર કસી છે તે જોતાં લાગે છે હવાઇ યાત્રાનો સુવર્ણ યુગ પહેલાં જેવો તો નહીં, પણ એને મળતો આવે એટલો તો બહેતર થશે જ. અને હા જતાં જતાં એક બીજું બાય ધી વે એ કે એર ઇન્ડિયાના મહારાજા કોઇ રાજા પરથી પ્રેરણા લઇને નહોતા બનાવાયા. ખાસ તો તેની મૂછોની પ્રેરણા એર ઇન્ડિયાના કોમર્શિયલ ડાયરેક્ટર બોબી કૂકાના એક પાકિસ્તાની ઉદ્યોગપતિ મિત્ર સૈયદ વાજીદની મૂછો પરથી લેવામાં આવી હતી. મહારાજાનો મેસ્કોટ એટલે એર ઇન્ડિયાની રાજવી ઠાઠની સેવાથી દરેક ગ્રાહક મહારાજા તેવું અનુભવી શકે તેવો સંદેશ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑગસ્ટ 2023