Opinion Magazine
Number of visits: 9736567
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અફઘાન સ્ત્રીઓ આ દુનિયામાં જીવે છે !  

સોનલ પરીખ|Opinion - Opinion|18 November 2025

હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, ‘દુનિયાની તમામ ચીજો નાશ પામે પણ બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો. લોહી વેચીને પણ અમે તને ભણાવીશું.’ એમના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.

વર્ષ 2021. આર્કાન્સાસની કૉલેજમાં ભણતી નાહીદ ઇસ્સર, ડોક્ટરેટની તૈયારીમાં વ્યસ્ત હતી. અમેરિકાના સૈન્યની વાપસી અને તાલિબાનોની આગેકૂચના સમાચારો તેના શ્વાસને અદ્ધર કરતા હતા કારણ કે તેનું કુટુંબ અફઘાનિસ્તાનમાં હતું. પછી તો તાલિબાને આફઘાનિસ્તાન કબજે કર્યું ને તેની ઊંઘ વેરણ થઈ ગઈ. મોડી રાત્રે કે વહેલી સવારે ઘેરથી ફોન આવતા ત્યારે એક જ ચિંતા તેને ખાઈ જતી, બધા સલામત હશે? કોણ જીવતું હશે? કોણ ક્યાં ગુમ થઈ ગયું હશે? 

વીસ વર્ષ સુધી અફઘાન મહિલાઓ શાળામાં જતી. પુરુષોની જેમ ભણતી. કારકિર્દી બનાવતી. કલાકાર, કર્મશીલ કે અભિનેત્રી બની શકતી. અચાનક નાહીદ અને તેના જેવી લાખો યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું અને તેઓ દેશ છોડવા કે પછી છુપાઈને અનિશ્ચિત ભવિષ્યની રાહ જોવા મજબૂર બની. પરિસ્થિતિમાં આજે પણ ખાસ ફરક પડ્યો નથી.

2003માં અફઘાનિસ્તાનમાં એક ફિલ્મ બની હતી, ‘ઓસામા’. એમાં બારતેર વર્ષની એક છોકરીની વાત હતી. એ છોકરીના પિતા રશિયા સામેની લડાઈમાં માર્યા ગયા હતા. તાલિબાનો આવ્યા અને બુરખા વિના, પુરુષ વિના બહાર નીકળવાની બંધી થઈ. મા જ્યાં નર્સ હતી એ હૉસ્પિટલ પર તાલિબાનોએ તાળાં માર્યાં.  હવે ઘરમાં કોઈ કમાનાર રહ્યું નહીં. દાદી અને માએ છોકરીના વાળ કાપી, છોકરાના કપડાં પહેરાવી એક ઓળખીતા દૂધના વેપારીને ત્યાં ‘ઓસામા’ નામથી કામે રાખી (ઓસામા એટલે સિંહ જેવો બહાદુર). થોડા દિવસમાં તાલિબાનો એ વિસ્તારના છોકરાઓને ધર્મ અને યુદ્ધની ‘ટ્રેનિંગ’ માટે ઉઠાવી ગયા. ઓસામાને પણ. મૌલવી પાસે તાલીમ લેતાં આખરે એક દિવસ પકડાયું કે ઓસામા છોકરો નહીં, પણ છોકરી છે. સજા રૂપે એને એ જ વૃદ્ધ મૌલવીને પરણવું પડ્યું. ફિલ્મના અંતે ભેદી કિલ્લા જેવા ઘરમાં આ નવી દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે! 

આ ભલે ફિલ્મની વાર્તા છે, પણ વાર્તાઓ અને ફિલ્મો જિંદગીમાંથી જ તો જન્મે છે. શબાના બાસિજ-રાસિખ નામની એક અફઘાન યુવતીને આપણામાંના અમુક જાણતા હશે. તેનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો. તાલિબાનોનું જોર વધ્યું અને છોકરીઓના શિક્ષણ પર, પુરુષ વિના ને બુરખા વિના સ્ત્રીના બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે શબાના છ વર્ષની હતી. 

સંજોગો મુશ્કેલ હતા, પણ તેના પિતાએ પછીના છ વર્ષ સુધી તાલિબાનોની ખફગીની પરવા કર્યા વિના શબાના અને એની બહેનોને છોકરાનાં કપડાં પહેરાવી શાળામાં મોકલવાનું ચાલુ રાખ્યું. તેના જેવી બીજી છોકરીઓ પણ હતી. છોકરાનાં કપડાં પહેરી એ બધી એક ગુપ્ત શાળામાં ભણવા જતી. વહેમાયેલા તાલિબાનો ધમકીઓ આપતા, હુમલા કરતા. છોકરીઓ ગભરાઈને કહેતી, ‘અમારે નથી ભણવું.’ પણ માતાપિતા ભણાવતાં. એક વાર તો શબાના અને તેના પિતાને બૉમ્બ-બ્લાસ્ટથી જરાક માટે બચી ગયા. 

સદ્દભાગ્યે ‘યસ’ એક્સચેન્જ પ્રોગ્રામમાં શબાનાને અમેરિકા જઈ ભણવા મળ્યું અને તે વર્મોન્ટની મિડલબરી કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ. કોલેજકાળ દરમિયાન તેણે ‘હેલા’ નામની, શિક્ષણ દ્વારા અફઘાન સ્ત્રીઓના સશક્તીકરણ માટે કામ કરતી એન.જી.ઓ. શરૂ કરી. 

‘મારી મા નાની હતી ત્યારે સમય સારો હતો. મારા નાના તેને ભણાવી શક્યા. મા ભણેલી હતી એટલે એ અમને ભણાવી શકતી.’ શબાના કહે છે, ‘પણ અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે છે. બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેચીને પણ, અમે તમને ભણાવીશું. મારા માતાપિતાના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.’ 

અમેરિકા જઈને એણે જે દુનિયા જોઈ તેનાથી તે સ્તબ્ધ બની ગઈ. અફઘાન છોકરીઓને પણ આવી તક મળવી જોઈએ – તેના મનમાં એક બીજ વવાયું અને અંકુરિત થતું ગયું. ગ્રેજ્યુએટ થઈને તે અફઘાનિસ્તાનમાં પાછી ફરી. સોલા (સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન) નામની છોકરીઓ માટેની પ્રાઈવેટ બૉર્ડિંગ સ્કૂલની તે સહસ્થાપક અને પ્રમુખ છે. 10થી 18 વર્ષની ઉંમર સુધીની અફઘાન છોકરીઓ અહીં રહેતી અને ભણતી. 

સોલાની સ્થાપના 2008માં થઈ. તે વખતે તે હજી અમેરિકામાં ભણતી હતી. ત્યાં એણે યુ.એન.ના એક અહેવાલમાં, અફઘાનિસ્તાનમાં હાઈસ્કૂલ સુધી પહોંચતી સ્ત્રીઓ માત્ર છ ટકા છે એવું વાંચ્યું ત્યારે તેને આ અભાગી સ્ત્રીઓની પ્રતિનિધિ તરીકેની પોતાની જવાબદારીનો અહેસાસ થયો.  

2008થી 2016 સુધીમાં અનેક અફઘાન છોકરીઓ સ્કૉલરશીપ મેળવીને અમેરિકા આવીને ભણી. સોલાનું મિશન, અફઘાનિસ્તાનની ઉછરતી પેઢીને ‘ફ્યુચર ચેન્જ મેકર્સ’ તરીકે તૈયાર કરવાનું છે. સમસ્યાઓથી દૂર ભાગવાનું કે ડરવાનું છોડી સમસ્યાઓનો સામનો કરતાં શીખવવાનું છે. 

શબાનાએ પોતાની કારકિર્દી અફઘાનિસ્તાનના પડકારો સામે લડવા માટે સમર્પિત કરી છે. તેના કામથી આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે ખેંચાયું. 2018માં તેને મલાલાઈ મેડલ મળ્યું. આ મેડલ અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગણાય છે. તે કહે છે કે છોકરીઓને શિક્ષણ આપવાથી દુનિયા ઘણાખરા પડકારો સામે લડવા સજ્જ થઈ જશે. આરોગ્યથી માંડી પર્યાવરણ અને ગરીબી જેવી સમસ્યાનો ઉકેલ છોકરીઓને ભણતી કરવામાં છે. ‘સમસ્યા એ નથી કે 130 મિલિયન છોકરીઓ જે અત્યારે શાળામાં નથી જતી, સમસ્યા એ છે કે આપણે તેમને આપણા પડકારોના ઉકેલની શક્યતાઓ તરીકે જોઈ નથી શકતા.’ 

‘મારામાં બહાદુરીનો વારસો છે. એક અફઘાન મહિલાએ મને એના ઘરમાં રહી ભણવાની સગવડ આપી હતી, એ વખતે, જ્યારે એ અપરાધ ગણાતો હતો. તેણે એવી હિંમત કરી કેમ કે તે જાણતી હતી કે છોકરીઓ ભણશે તો જ અફઘાનિસ્તાનની પ્રગતિ થશે. હું અમેરિકા આવી ત્યારે 15 વર્ષની હતી. મુક્તપણે ભણી શકવું એટલે શું તેની ખબર અમેરિકન છોકરીઓને નહોતી, મને હતી. બે વર્ષ પછી હું કૉલેજમાં દાખલ થઈ ત્યાં સુધીમાં મારામાં જબરદસ્ત ફેરફાર થઈ ગયો હતો. જ્યારે મેં અફઘાનિસ્તાનમાં ભણતી છોકરીઓની ટકાવારી વિશે જાણ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે. અને અમે સોલા શરૂ કરી. અહીંથી ભણીને છોકરીઓ પોતપોતાના ગામમાં જાય છે ત્યારે પોતાના શિક્ષણ અને કૌશલ્યોને લઈને જાય છે.’ 

પણ અત્યારે શબાના રવાન્ડામાં છે. ત્યાં કેમ? ‘અમેરિકાએ પોતાનાં દળો પાછાં ખેંચ્યા એ અમારા માટે ખતરાની ઘંટી હતી. પછી ઝડપથી જે બનતું ગયું તે ભયાનક દુ:સ્વપ્નથી કમ ન હતું. અમે છોકરીઓને તેમને ઘેર મોકલી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે વિદ્યુત સપ્લાય બંધ કર્યો. મોબાઈલ અને લૅપટોપ ચાર્જ કેવી રીતે કરવા? અમે પરસ્પર સંપર્ક ગુમાવી બેઠા. હવે સ્ટડી એબ્રોડનો વિકલ્પ જ બચ્યો હતો. અમારા બધા દસ્તાવેજો બાળી નાખી મેં દેશ છોડ્યો. અહીં સોલા ચાલુ કર્યું છે, ત્રણસો જેટલી એડમિશન એપ્લીકેશન પણ આવી છે, પણ હું આઘાતમાંથી બહાર આવી નથી. દસ્તાવેજોને ચાંપેલી આગે મારા શરીરનું અણુએ અણુ બદલી નાખ્યું છે. અફઘાનિસ્તાન મૂળ કબીલાઓનો દેશ છે. એકતા અમે કદી જોઈ નથી. પણ મારી નજર યુવાન અફઘાનીઓ પર છે. આજે દેશના 70 ટકા લોકો 25 વર્ષના કે એનાથી નાના યુવાનો છે. એ લોકો અફઘાન પ્રજાના ભલા માટે જે લડત ઉપાડશે એમાં ઇંધણ થઈ હોમાવા મારા જેવા અનેક તૈયાર બેઠા છે. વધુ શું કહું?’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ઑક્ટોબર  2025

Loading

રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 

રમેશ સવાણી|Opinion - Opinion|17 November 2025

રાહુલ ગાંધીની નબળાઈ છે કે તેઓ મોદી-શાહની માફક ‘પરમ-પવિત્ર’ રીતે ચૂંટણી લડી શકતા નથી !

બિહારમાં, મોદી-શાહ અને તેમની ટોળીએ રાહુલ-તેજસ્વી જોડીને ધૂળ ચાટતી કરી દીધી છે. મીડિયા / વિશ્લેષકો રાહુલને દોષિત ઠરાવી રહ્યા છે. તો આપણે પણ વહેતી ગંગામાં હાથ-મોં ધોઈ લઈએ. 

હકીકતમાં, રાહુલને ચૂંટણી લડવાની સમજણ પણ નથી, તે કેવી રીતે જીતી શકે?

કેટલાંકે હજારો ખામીઓ સૂચિબદ્ધ કરી છે, જેનું અહીં પુનરાવર્તન કરવાની જરૂર નથી, પરંતુ અમે કેટલીક ખામીઓ ગણાવીશું. 

સૌ પ્રથમ, રાહુલે બધી ‘અનૈતિક’ પ્રથાઓ છોડી દેવી જોઈએ અને મોદી-શાહની જેમ ‘આદર્શ’, ‘શુદ્ધ’, ‘સાત્ત્વિક’ અને ‘પરમ-પવિત્ર’ રીતે ચૂંટણી લડવી જોઈએ.

આ શું? તમે રોજગાર, ખુશહાલી, વિકાસ વગેરે વિશે વાત કરીને ચૂંટણી લડી રહ્યા છો ! અરે, આ ‘અમૃતકાળ’ છે, આ બધું અહીં ન ચાલે. 

થોડીક ધૂર્તતા, થોડી લુખ્ખાગીરી, થોડી નફરત, થોડું જૂઠ, થોડી છેતરપિંડી, ચોરી અને લૂંટ વગર ચૂંટણી હોય?

હવે ચાલો તમને કહીએ કે રાહુલે શું કરવું જોઈતું હતું :

[1] પહેલા, તેમણે પોતાનું ચૂંટણી પંચ બનાવવું જોઈતું હતું અને SIR દ્વારા 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી ઉડાવી દેવાની જરૂર હતી. પછી, અરજીઓ લઈને, તેમણે ઇચ્છા મુજબ 1.6 મિલિયન મતદારો ઉમેરવા જોઈતા હતા. વધુમાં, તેમણે કોઈપણ લપમાં પડ્યા વિના 5 લાખ મતદારો ઉમેરવા જોઈતા હતા. ચૂંટણી પંચને ખીલે બાંધી દેવું જોઈતું હતું, અને આદર્શ આચારસંહિતાને ‘અથાણું’ બનાવી બરણીમાં પેક કરવાની જરૂર હતી. રાહુલે પોતાની ‘સુપ્રીમ કોર્ટ’ પણ બનાવવી જોઈતી હતી. જે વ્યાસપીઠ પર બેસીને SIR જેવા મુદ્દાઓ પર ઉપદેશ આપતી રહે. સુપ્રીમ કોર્ટે અનિલ મસીહને ‘લોકશાહીનો હત્યારો’ કહીને છૂટા આખલાની જેમ છુટ્ટો મૂકી દીધો હતો. અરે, રાહુલ આ સરળ કામ પણ કરી શક્યા નહીં. 

[2] ચૂંટણીની જાહેરાત પહેલાં દસ હજાર રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં જમા કરાવવાના હતા. કુલ મળીને, ફક્ત થોડા અબજ રૂપિયા આપવાના હતા. જો કોઈ ફરિયાદ કરે, તો પોતાના ખીલે બાંધેલ ચૂંટણી પંચ મારફતે કહેવડાવી દીધું હોત કે ‘ચાલુ યોજના’ છે અને તેથી તેને રોકી શકાય નહીં ! રાહુલ થોડા અબજ રૂપિયા ખર્ચી શક્યા નહીં.

[3] રાહુલે સમગ્ર ચૂંટણી દરમિયાન તેમના ભાષણોમાં એક પણ વખત  ‘કટ્ટા’, ‘છર્રા’, કે ‘મુજરા’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો નહીં. અરે, જો ચૂંટણી લડી જ રહ્યા છો તો તમે સડકછાપ ભાષા ડાયલોગ ન બોલી શકો તો ચૂંટણી શા માટે લડો છો? શું નુકસાન થવાનું હતું જો તમે એક વાર કહ્યું હોત કે કાકા ટ્રમ્પે ‘મોદીની કાનપટ્ટી પર કટ્ટો’ રાખીને સીઝફાયર કરાવ્યું હતું ! રાહુલ બદમાશોની જેમ બોલી શક્યા નહીં.

[4] ચૂંટણી શરૂ થાય તે પહેલાં, કોઈ બદમાશ તેની માતાને ગાળો આપે અને તે દરેક મંચ પરથી આંસુ વહાવીને કહેત કે જુઓ, મારી માતાને ગાળો દઈ રહ્યા છે. તેમનો પક્ષ બિહાર બંધ કરાવત અને પછી તેમાં ગાળો આપવામાં આવત. પાર્ટીના પ્રવક્તા ગોદી મીડિયામાં છાતી ફાડીને ચીસો પાડતા કે ‘જુઓ, મોદી-શાહે ગાળો આપી છે.‘ રાહુલ આટલું નાટક પણ કરી શક્યા નહીં.

[5] મતદાનના દિવસે, કર્ણાટક અને હિમાચલ પ્રદેશથી ટ્રેનમાં ભરી ભરીને મોટી સંખ્યામાં મતદારોને મતદાન કરવા મોકલવાના હતા. દિલ્હી, ઉત્તર પ્રદેશ કે અન્યત્ર મતદાન કરી ચૂકેલા પક્ષના પદાધિકારીઓ / કાર્યકર્તાઓને બિહારમાં મતદાન કરાવવાનું હતું. પરંતુ કંઈ થયું નહીં. રાહુલ આટલો ખેલ કરી શક્યા નહીં.

[6] આખી ચૂંટણી દરમિયાન ‘ઘૂસપેઠિયા’નો રાગ આલોપવાનો હતો. ઘૂસપેઠિયા, ઘૂસપેઠિયા કહીને ખૂલ્લેઆમ ‘હિન્દુ-મુસ્લિમ’ કરવાની જરૂર હતી. તેમણે દરેક સભામાં કહેવાનું હતું કે  ‘જુઓ, મારી સરકાર છે, આ મારા ગૃહ મંત્રી છે, છતાં લાખો ઘૂસપેઠિયા ઘૂસી ગયા છે અને મતદારો બની ગયા છે !’ તેમણે કહેવાનું હતું કે ‘હું અને મારી સરકાર સંપૂર્ણ નિષ્ફળ છીએ, તેથી મને મત આપો.’ રાહુલ ન નફરત ફેલાવી શક્યા કે ન પોતાની નિષ્ફળતાઓ બતાવી શક્યા !

[7] રાહુલે પોતાની ED, CBI, IT વગેરે બનાવી વિરોધી નેતાઓની કમર તોડી નાખવાની જરૂર હતી. તે ઓછામાં ઓછું બીજા રાજ્યમાં વિપક્ષી ઉમેદવારના ઘર પર બુલડોઝર મોકલીને તેને ધૂળ ભેગું કરાવી શક્યા હોત. રાહુલ આટલું સરળ કામ પણ ન કરી શક્યા !

આ બધી નૈતિક, શુદ્ધ, સાત્ત્વિક અને પરમ-પવિત્ર પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચૂંટણી લડી હોત, તો તેમને કદાચ નાની જીત મળી હોત, પણ શું કરીએ, રાહુલને ચૂંટણી લડવાની સમજણ જ નથી ! 

pastedGraphic.png

પણ સાંભળો, રાહુલ,

ભલે હજારો ચૂંટણીઓ હારો પણ

ક્યારે ય ‘મોદી-શાહ’ જેવા બનશો નહીં.

ક્યારે ય તેમના જેવું ઘટિયા ભાષણ કરશો નહીં. ક્યારે ય નફરત ફેલાવશો નહીં,

ક્યારે ય તેમના જેવું જૂઠું બોલશો નહીં,

ક્યારે ય મત ચોરી કરશો નહીં. 

જે દિવસે તેમના જેવા સહેજ પણ બનશો, તે દિવસે ઘણા લોકો માટે આશાનો દીવો ઓલવાઈ જશે. 

આમ જ પ્રકાશતા રહો,

આમ જ આગળ વધતા રહો.  

[સૌજન્ય : વરિષ્ઠ પત્રકાર ડો. રાકેશ પાઠક, X પર, 15 નવેમ્બર 2025] 
[કાર્ટૂન સૌજન્ય : Nala Ponnappa]
17 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 November 2025

રાજ ગોસ્વામી

કલ્પના કરો કે એક સવારે તમે ઊઠો છો અને જુવો છો કે તમારા શહેરમાં, ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં અનગિનત નવા લોકો વસી ગયા છે – એ લોકો કામ કરે છે, બોલે છે, લખે છે, વિચારે છે, નિર્ણય લે છે, પણ કોઈએ તેમને જોયા નથી. આ નવા લોકો ન તો હવાઈ જહાજોમાં ઉડીને આવ્યા છે, ન સ્ટીમરોમાં બેસીને આવ્યા છે કે ન તો સરહદો લોંઘીને આવ્યા છે. એ આવ્યા છે ‘પ્રકાશની ગતિ’એ – ઇન્ટરનેટની અદૃશ્ય લહેરો પર સવાર થઈને આ લોકો તમારી આસપાસ ગોઠવાઈ ગયા છે. આ લોકો છે – એ.આઈ. ઇમિગ્રન્ટ્સ (કૃત્રિમ બુદ્ધિવાળા વસાહતીઓ).

તાજેતરમાં, લંડનમાં, એક કાર્યક્રમમાં, ઇઝરાયેલી ઇતિહાસકાર અને ‘હોમો સેપિયન્સ’ પુસ્તકના લેખક યુવલ નોઆ હરારીએ આ એક નવો શબ્દ (અથવા વિચાર) આપ્યો હતો; AI immigrants. તેમણે કહ્યું હતું કે આજકાલ યુરોપ-અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે અને ત્યાંના લોકોને લાગે છે કે તેમની સંસ્કૃતિ, સમાજ, અર્થવ્યવસ્થા પર બહારથી આવેલા લોકોનું મોટું જોખમ છે, પણ અસલી ખતરો તો એ.આઈ. ઇમિગ્રન્ટ્સનો છે જે લોકોને દેખાતો નથી.

યુવાલ હરારી

હરારી કહે છે કે એ.આઈ.ની લહેર માત્ર તકનીકી ક્રાંતિ નથી, પરંતુ એક સંસ્કૃતિગત ઈમિગ્રેશન (civilizational migration) પણ છે. માનવ સમાજમાં પહેલીવાર એવું થઇ રહ્યું છે કે આપણી દુનિયામાં એક નવી ‘પ્રજાતિ’ અથવા ‘બુદ્ધિ’ પ્રવેશી રહી છે – તે ન જન્મ લે છે, ન મૃત્યુ પામે છે, ન પાસપોર્ટ રાખે છે, ન વિઝા મેળવે છે, ન કોઈની મંજૂરી લે છે. ગુલઝાર સાબની મશહૂર રચનાની ભાષામાં કહીએ તો, ‘AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી.’ અને મહત્ત્વની વાત એ છે કે – તેના આગમનનો સામનો કરવા માટે કોઈ તૈયાર પણ નથી.

હરારી એક ગંભીર ચેતવણી આપવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે – જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બધું કામ કરવાની હોય, તો પછી માણસોને સરહદો પાર કરીને બીજા દેશોમાં જવાની જરૂર શી રહેશે? માણસો જ્યારે એક દેશથી બીજા દેશમાં પ્રવાસ કરે છે, ત્યારે તેઓ કામ, આજીવિકા અથવા બહેતર જીવન માટે સીમાઓ પાર કરે છે. તેમના આગમનથી જે તે દેશમાં સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય ફેરફાર આવે છે. હવે વિચારો – જો લાખો AI એજન્ટ્સ કોઈ સમાજ, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિમાં ઘૂસવા લાગ્યા તો શું થશે?

તેઓ નોકરીઓ ખાઈ જશે, મહત્ત્વના નિર્ણયો લેશે, વિચારધારાઓને પ્રભાવિત કરશે, રાજકીય મુદ્દાઓ બદલશે અને તેઓ સત્તા ભાગીદારી પણ શોધશે. આ એક એવું ઈમિગ્રેશન છે જે ન તો દેખાય છે કે ન તો રોકાય તેવું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે AI ઘણાં ક્ષેત્રોમાં માણસોની ભૂમિકા લઇ રહી છે – લેખન, કોડિંગ, ગ્રાફિક ડિઝાઇન, ગ્રાહક સેવા, મેડિકલ નિદાન અને ભાવનાત્મક થેરાપિ સુદ્ધાં તેના હાથમાં છે. આ એક એવું મૌન આર્થિક વિસ્થાપન છે જેને આપણે કદાચ સમજી શકતા નથી.

હરારીનો તર્ક છે કે આ જ ક્ષણ છે જ્યારે આપણે ‘રાજકીય અને સામાજિક વ્યવસ્થા’ને નવી રીતે વિચારવી જોઈએ. જો લાખો ડિજિટલ એજન્ટ્સ આપણી આર્થિક અને સામાજિક પ્રણાલીઓમાં કામ કરવા લાગશે, તો શું તે લોકો ટેક્સ ભરશે? શું તેમના માટે કાયદા હશે? શું તેમના ‘અધિકાર’ હશે? આ પ્રશ્નના જવાબ કોઈની પાસે નથી.

હરારી કહે છે કે માનવ જાતિ માટેનું ખરું જોખમ AIની શક્તિ નથી, જેની અત્યારે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે, તેનું અસલી જોખમ AIની સામાજિક ભૂમિકા છે. માનવ સમાજ હંમેશાં નવી ટેકનોલોજી અપનાવી છે – જેમ કે આગ, વ્હીલ, એન્જિન, વીજળી, ઈન્ટરનેટ. પરંતુ આ દરેક ટેકનોલોજીએ આપણા હાથમાં એક ‘સાધન’ આપ્યું હતું. અર્થાત, એ સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં હતું. 

AI પહેલી તકનીક છે જે સ્વયં નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. એ જ કારણથી AI immigrants શબ્દ સાર્થક છે – કારણ કે આ માત્ર મશીનો નથી, પરંતુ ડિજિટલ વ્યક્તિત્વો છે, જે હવે માનવીય સમાજ વચ્ચે રહેશે, તેમની સાથે વાતચીત કરશે અને તેમને પ્રભાવિત કરશે.  માણસ અને મશીનની સીમા ભૂંસાઈ રહી છે – કોઈ પણ AI હવે તમારી ભાષામાં કવિતા લખી શકે છે, તમારા ઇ-મેલનો જવાબ આપી શકે છે, તમારી અવાજમાં ગીત ગાઈ શકે છે, ત્યાં સુધી કે તમારા સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી શકે છે.  

અર્થાત્ તેઓ માણસોની જગ્યા લઇ રહ્યાં છે. પ્રશ્ન એ છે – જ્યારે માણસ-મશીનની ઓળખ ધૂંધળી થઇ જાય, તો ‘માનવતા’ની વ્યાખ્યા શું રહેશે? હરારીનો આ વિચાર ફક્ત દાર્શનિક નથી, રાજકીય પણ છે. તેઓ કહે છે કે વિશ્વના કોઈપણ દેશમાં હજુ સુધી AI-ગવર્નન્સ ફ્રેમવર્ક તૈયાર થયું નથી. જ્યારે લાખો AI immigrants આપણી અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિમાં જોડાશે, ત્યારે તેઓ કોના નિયંત્રણમાં હશે? કોઈ સરકારના? કોઈ કોર્પોરેશનના? કે પોતાના નિર્ણયોના? 

આ પ્રશ્ન ફક્ત ટેકનિકલ નથી, તે લોકશાહી સાથે જોડાયેલો પણ છે. જો AI એજન્ટ્સ આપણી ચૂંટણીઓને પ્રભાવિત કરે, અમારાં બાળકોને શિક્ષણ આપે, અથવા આપણા ન્યાય-વ્યવસ્થાનો ભાગ બને – તો પારદર્શિતા અને જવાબદારી કોણ સુનિશ્ચિત કરશે? 

AIની ક્રાંતિ માત્ર ‘નોકરી ખાઈ’ જવાની કહાની નથી, પરંતુ ઓળખ છીનવી લેવાની કહાની પણ છે. ઘણા લોકો પોતાના કામથી જ પોતાની અસ્તિત્વનો અર્થ શોધે છે – જેમ કે એક શિક્ષક, એક લેખક, એક ડૉક્ટર, એક કલાકાર. જ્યારે એ જ કામ મશીનો કરવાનું શરૂ કરશે, ત્યારે માણસના આત્મ-સન્માન અને જીવનના ઉદ્દેશ્યની ભાવના પર સંકટ ઊભું થશે. જેમ ઐદ્યોગિક ક્રાંતિના સમયમાં મજૂરોમાં બેરોજગારીનો ડર હતો, હવે બુદ્ધિજીવી વર્ગમાં ‘બૌદ્ધિક બેરોજગારી’નો ડર ઊભો થઈ રહ્યો છે. સમાજે જો આ માનસિક પરિવર્તનનો સામનો કરવાની તૈયારી ન કરી, તો તે અસંતોષ, અસમાનતા અને સામાજિક વિભાજનને જન્મ આપશે.

AIનું આ ઈમિગ્રેશન માત્ર કામ કે રાજકારણ સુધી સીમિત નહીં રહે. એ આપણા સાંસ્કૃતિક માળખામાં પણ પ્રવેશ કરશે. હવે AI ગીતો બનાવી રહી છે, નવલકથાઓ લખી રહી છે, ધાર્મિક ગ્રંથોની વ્યાખ્યા કરી રહી છે, ત્યાં સુધી કે AI-guru અને AI-spiritual bots પણ આવી ગયા છે.

જ્યારે મશીનો ધર્મ, કલા અને દાર્શનિકતામાં પ્રવેશ કરશે, ત્યારે ‘અર્થ’ કોણ વ્યાખ્યાયિત કરશે? શું માનવીય અનુભવની જગ્યા ડેટા-અનુભવ લઈ લેશે? આ પ્રશ્ન ઊંડો અને ચિંતાજનક છે – કારણ કે માનવ સંસ્કૃતિ સદીઓથી ‘કથા કથન’ (સ્ટોરી ટેલિંગ) પરંપરાની પર આધાર રાખે છે. હવે AI પણ કથા કહેવા લાગ્યું છે, અને તે પણ વધુ સારી રીતે. 

હરારીની વાત આપણને આ વિચાર કરવા માટે મજબૂર કરે છે કે આવતી શતાબ્દીમાં ‘માનવ સંસ્કૃતિ’ શું માનવીય રહેશે? કે પછી તેએક મિશ્રિત દુનિયા હશે – જ્યાં માણસ અને AI સાથે સાથે કામ કરશે, પ્રેમ કરશે, ઝઘડશે અને શાસન કરશે? આ માનવ ઇતિહાસનો નવો યુગ છે; પોસ્ટ-હ્યુમન યુગ. તેમની સાથે રહેવા માટે આપણે આપણી સીમાઓ, આપણાં મૂલ્યો અને આપણા બંધારણને નવેસરથી તૈયાર કરવા પડશે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 16 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...101102103104...110120130...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved