Opinion Magazine
Number of visits: 9552863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કચ્છમાં ગાંધીનું પુનરાગમન !

સોનલ પરીખ|Gandhiana|7 September 2025

મુંબઈના કર્ણાક બંદરે વળાવવા આવેલા જનસમૂહને ગાંધીજીએ કહ્યું, ‘મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા નથી. હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે. મારા દરેક કાર્યમાં હું સત્ય અને કર્તવ્યધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છું. કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો છે.’

કચ્છ જિલ્લો ગુજરાતનો જ નહીં, ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે. 45,674 ચોરસ કિલોમીટરના તેના કુલ વિસ્તારમાં 4,000 કિલોમીટરનું રણ છે અને 406 કિલોમીટરનો દરિયાકિનારો છે. કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ છે. ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ છે એવાં કચ્છનાં અભયારણ્યો, ખનિજ સંપત્તિ, મીઠા ઉદ્યોગ, શિપિંગ, કઠિન જીવન અને ખડતલ-ખુમારીભરી પ્રજા ધ્યાન ખેંચનારાં છે. 

આ કચ્છની મુલાકાત મહાત્મા ગાંધી 1925માં 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર એમ બે સપ્તાહ માટે લીધી હતી. સાથે સરદાર પટેલ, મહાદેવભાઇ પણ હતા. બિહારની થકવી દેનારી યાત્રા પછી તરત તેઓ મુંબઈના કર્ણાક બંદરેથી સ્ટીમરમાં કચ્છ આવેલા. ભુજ ઊતરી ત્રણ દિવસ ત્યાં રહ્યા. ત્યાંથી પાંચછ ગામ થઈ કોઠારા, ડુમરા, ગોધરા, માંડવી, મુંદ્રા, અંજાર આમ કુલ 15 ગામ ગયા. ઠેકઠેકાણે જાહેરસભા યોજાઈ, માનપત્રો અપાયાં, મહારાવ ખેંગારજી સાથે મુલાકાત થઈ, વૃક્ષારોપણ થયાં, અંત્યજ શાળાનો પાયો નખાયો, સંવાદો અને ભાષણો થયાં. આ બધી વિગત મહાદેવભાઈની ડાયરી ભાગ 8માં નોંધાયેલી છે. 4 નવેમ્બરે તેઓ તુણા બંદરેથી સ્ટીમરમાં જામનગર આવવા નીકળ્યા. 

શેઠ કાનજી જાદવજીએ મહાત્મા ગાંધીના કચ્છ પ્રવાસ માટે બોમ્બે સ્ટીમ નેવિગેશનની સ્ટીમર એસ.એસ. રૂપાવટી ભાડે રાખી હતી. મુંબઈના કર્ણાક બંદરે વળાવવા આવેલા જનસમૂહને ગાંધીજીએ કહ્યું, ‘હું મૃત્યુની નજીક જઈ રહ્યો છું પણ મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા નથી. હકીકતે તો હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે … મારા દરેક કાર્યમાં હું સત્ય અને કર્તવ્યધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છું. કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો છે.’  કચ્છમાં તેમને સારા અને કડવા બંને પ્રકારના અનુભવો થયા. એક પ્રસંગે તેમણે કહેલું, ‘ચરણસ્પર્શથી હું અસ્પૃશ્ય રહેવા ઈચ્છું છું. મારા પ્રત્યે માન હોય તો મારામાં જે સારું હોય તેનું અનુકરણ કરજો.’ 

ગાંધીજીની કચ્છયાત્રાના આ શતાબ્દીવર્ષે ‘એ મહામાનવનું સ્મરણ કરીએ, આ નિમિત્તે થનારા કાર્યક્રમો દ્વારા બાળકો-યુવાનો સુધી પહોંચીએ અને આજના સંદર્ભમાં ગાંધી અને ગાંધીકાર્યોનો નાગરિકો સાથે વિમર્શ કરીએ’  આ ભાવ સાથે વરિષ્ઠ ગાંધીજન અને કર્મશીલ રમેશભાઈ સંઘવી અને એમના 11 સાથીઓની બનેલી શતાબ્દી ટીમની રાહબરી નીચે જુલાઈથી ડિસેમ્બર 2025 દરમિયાન શાળા-કોલેજોમાં સંમેલનો, ગાંધીગીતો, ગાંધીપ્રસંગો વગેરેની વિવિધ રીતે પ્રસ્તુતિ, વ્યાખ્યાનો, વૃક્ષારોપણ, યુવા શિબિરો, સાયકલયાત્રા, પ્રદર્શનો, દસ્તાવેજી ફિલ્મનિર્માણ, સંગીતયાત્રા વગેરે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર દ્વારા ‘કચ્છમાં ગાંધીજી’ નામના સુંદર પુસ્તકનું પ્રકાશન થયું છે. 19 ઑગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન પદયાત્રા યોજાશે. ભુજથી શરૂ થઈ, 22 ગામ આવરી લઇ આ પદયાત્રાનું સમાપન આદિપુર ગાંધીજીની સમાધિ પાસે થશે. 

કચ્છયાત્રા પહેલા ‘નવજીવન’ 23-8-1925 અંકમાં કચ્છયાત્રાની પોતાની અપેક્ષા વિષે ગાંધીજી લખે છે, ‘અખિલ ભારતીય દેશબંધુ રેંટિયા સ્મારકને સારું દ્રવ્ય એકઠું કરવાનું છે, તેમાં કચ્છ પાસેથી મોટી આશા રાખીશ. ખાદી વિનાનું બીજું કપડું પહેરેલું કોઈપણ મારી નજરે ન ચડે એ આશા રાખીશ. અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા રાખીશ. હિન્દુ-મુસલમાન વચ્ચે સંપની આશા રાખીશ. હિન્દુઓમાં ઘેરઘેર રામનામ અભિયાનની આશા રાખીશ. રાજાપ્રજા વચ્ચે પ્રેમભાવની અને પ્રજાને સુખી જોવાની આશા રાખીશ. બહેનોને શુદ્ધ ખાદી પહેરેલી અને સીતામાતા જેવા હૃદયભાવવાળી જોવાની આશા રાખીશ.’ કચ્છ આવ્યા બાદ તેમણે સ્વચ્છતા, વૃક્ષારોપણ અને ગોસેવા પર પણ ઘણો બહાર મૂક્યો હતો. 

યાત્રાસમાપન પછી ‘નવજીવન’ 22-11-1925 અંકમાં ગાંધીજી લખે છે, ‘જે સવાલનો વિચાર કચ્છની મુસાફરી દરમ્યાન કરવો પડ્યો તેમાં વૃક્ષરોપણ અને વૃક્ષસંરક્ષણ પણ હતો. કચ્છને કોઈ નદીનો આશરો નથી. ઝાડપાન નથી. વરસાદ અનિયમિત અને બહુ ઓછો પડે છે. વારંવાર દુષ્કાળ પડે છે. પાણીની ખેંચ તો રહ્યા જ કરે છે. જો કચ્છમાં નિયમસર અને ખંતપૂર્વક વૃક્ષો રોપવામાં આવે તો કચ્છમાં વસાદ વધારી શકાય અને તેથી મુલક વધારે ફળદ્રુપ થાય. આ દૃષ્ટિએ જયકૃષ્ણ ઇન્દ્રજી મહાપ્રયાસ કરી રહ્યા છે.’

આ કાર્યક્રમોમાં ‘એમ.કે. ગાંધી હાજીર હો’ નામનું નાટક ભજવાયું જેણે અનેક રીતે ધ્યાન ખેંચ્યું. આ નાટકનો વિષય ગાંધીજી સાથે જોડાયેલા એવા વિવાદો છે, જેને ઉછાળવા એક આખી લોબી કામ કરી રહી છે. ઈન્ટરનેટ પર ખૂબ ખોટું મુકાય છે. લોકો પણ અપપ્રચારમાં આવી જાય છે. સત્ય શોધવાની મહેનત કરવાની ભાગ્યે જ કોઇની તૈયારી હોય છે. આવા વિષય પર નાટક લખવા ને ભજવવામાં હિંમત જોઈએ.  

ઉપક્રમ એવો છે કે એક વકીલ એક એક વિવાદ પર સવાલ પૂછે અને ગાંધીજી પોતે જ તેના જવાબ આપે. બ્રહ્મચર્યના પ્રયોગો, પાકિસ્તાને 55 કરોડ કેમ અપાવ્યા, ભાગલા કેમ પડવા દીધા, ભગતસિંહને ફાંસી કેમ થવા દીધી, સરદારને વડા પ્રધાન કેમ ન બનાવ્યા જેવા સવાલો છેડાયા અને તેના સંશોધિત અને શ્રદ્ધેય જવાબો વિષયની ગંભીરતા જાળવીને છતાં નિખાલસતાથી અપાયા. 

રમેશભાઈ સંઘવી

ગાંધી 150માં આ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો. ત્યાર પછી તે ઘણી જગ્યાએ ભજવાયું છે. ગાંધી 150માં આ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો. રફીક વડનગરી અને દીપક અંતાણી તેના દિગ્દર્શકો છે. લેખક અને ગાંધીની ભૂમિકા કરનાર પણ દીપક અંતાણી છે. ‘ગાંધી એન્ડ ગોડસે’ ફિલ્મમાં ગાંધી બનનાર દીપકભાઈએ ગાંધીની ભૂમિકા સૌથી વધારે વાર ભજવવા માટે લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

‘કચ્છમાં ગાંધીજી’ પુસ્તક ‘એક તિનકા ભી યહાં બના સકતા હૈ માર્ગ નૂતન, તીર પર કૈસે રુકું મૈં આજ લહરોં મેં નિમંત્રણ’ પંક્તિઓ સાથે ‘ગાંધી પંથે ચાલવા ઈચ્છનાર પથિકો’ને અર્પણ થયું છે. સંપાદક રમેશભાઈ સંઘવી પ્રસ્તાવનામાં લખે છે, ‘ગાંધીજીની કચ્છયાત્રા અનોખી હતી … સો વર્ષ પૂર્વેનું એ કચ્છ! રૂઢિચુસ્ત અને સંકુચિત માનસ, અમાનવીય હદે અસ્પૃશ્યતા, અધિકારી વર્ગની જોહુકમી-ભ્રષ્ટાચાર, પ્રજાને ભોગવવી પડતી ખૂબ હાલાકી, વારંવાર પડતા દુષ્કાળ – આ બધા વિષે ગાંધીજીએ પ્રેરણાદાયક વાતો કરી … એવું લાગે છે કે કચ્છની પ્રજા ગાંધીજીને સત્કારવા, અભિનંદવા તૈયાર હતી પણ તેમના વિચારોના અમલ માટે નહીં … કચ્છમાં તેઓ સમુદ્ર ખેડીને આવેલા અને કચ્છથી વિદાય પણ સમુદ્ર માર્ગે લીધી. બાપુનું જીવન પણ સમુદ્ર જેવું … કચ્છમાં જે પણ ઘટ્યું તે મહાત્માના સાગરપેટમાં સહજ સમાઈ રહ્યું … ગાંધીજી તેમ જ સાથીદારોની આ કચ્છયાત્રા ભાવિ વિકાસનાં દ્વાર ખોલી આપે છે.’  

પ્રસ્તાવનાના અંતમાં રમેશભાઈ સંઘવીએ કવિ દુષ્યંતકુમારની પંક્તિઓ મૂકી છે, ‘સિર્ફ હંગામા ખડા કરના  મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે’ શતાબ્દી સમિતિના કાર્યક્રમો પાછળ ધ્યેય એ છે કે વૃક્ષારોપણ, વૃક્ષઉછેર, વૃક્ષમંડળ, વરસાદી પાણી સંગ્રહ, ગોપાલન, સજીવ ખેતી, સૂર્યઊર્જા-પવનઊર્જાનો યોગ્ય ઉપયોગ, પર્યાવરણ સંરક્ષણ, યુવકમંડળો, સેવાલક્ષી-સંસ્કારલક્ષી કાર્યો, ગ્રામસેવા, સ્વચ્છતા, ખાદી, ગ્રામોદ્યોગ, ચિત્તશુદ્ધિ કાર્યક્રમો, કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજીની યાદમાં વાટિકા આ બધું ગામેગામ ગ્રામજનોની ભાગીદારીથી થાય અને સાતત્યપૂર્વક થતું રહે. ગાંધીવિચાર અને ગાંધીકાર્યોનો પ્રસાર ચાલુ રહે અને લોકોનું જીવન સાચી દિશામાં પ્રગતિ કરે. 

આ સંદર્ભે દુષ્યંતકુમારની જ પંક્તિઓ યાદ આવે છે, ‘કૌન કહતા હૈ આસમાન મેં સુરાખ હો નહીં સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, દર્દ-એ-દિલ વક્ત કો પૈગામ ભી પહૂંચાયેગા, યે જો શહતીર હૈ પલકોં પે ઊઠા લો યારોં’ શહતીર એટલે છતને આધાર આપતું લાકડું. એ બરાબર ન હોય તો છત તૂટી જાય. છે ને વિચારવા જેવી વાત? 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑગસ્ટ  2025
છબિ સૌજન્ય : રમજાનભાઈ હસણિયા

Loading

ચલ મન મુંબઈ નગરી—305

દીપક મહેતા|Opinion - Opinion|6 September 2025

કમાન્ડર નાણાવટીના કેસમાં બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવ્યો, પણ …     

તારીખ : ૧૪ ઓગસ્ટ, ૧૮૬૨. સ્થળ : બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીનો હોલ. સમય : બપોરના ૪. ઘટના : બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના. 

ના, બોમ્બે, મદ્રાસ, અને કલકત્તા હાઈ કોર્ટ કોઈ કાયદા દ્વારા નથી સ્થપાઈ, પણ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાને પ્રતાપે સ્થપાઈ હતી. બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતા ઢંઢેરા પર રાણી વિક્ટોરિયાએ ૧૮૬૨ના જૂનની ૨૩મીને સોમવારે સહી-સિક્કા કર્યાં હતાં અને બીજા દિવસના સરકારી ગેઝેટમાં એ ઢંઢેરો પ્રગટ થયો હતો. આ હાઈ કોર્ટના પહેલવહેલા છ જજનાં નામ પણ આ જ ઢંઢેરામાં આમેજ કરવામાં આવ્યાં હતાં. હાલનું મકાન ૧૮૭૮ના નવેમ્બરમાં બંધાઈ રહ્યા પછી બોમ્બે હાઈ કોર્ટ એ મકાનમાં ખસેડાઈ હતી. 

બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતો બ્રિટનની રાણીનો ઢંઢેરો

જ્યૂરીનો બહુમતી નિર્ણય જજ મહેતાએ સ્વીકાર્યો નહિ, તે perverse હોવાનું જણાવ્યું અને કેસ ‘રેફરન્સ’ માટે બોમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો. જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચ આગળ ‘રેફરન્સ’ની સુનાવણી શરૂ થઈ. સાધારણ રીતે આવા ‘રેફરન્સ’ના કેસનો નિવેડો આવતાં બહુ દિવસ ન લાગે. કારણ જ્યુરી અને જજ, બેમાંથી કોણ સાચું એટલું જ નક્કી કરવાનું હોય. પણ આ કેસ બોમ્બે હાઈ કોર્ટમાં શરૂ થયો ત્યારે જ બંને પક્ષના વકીલોએ આગ્રહપૂર્વક જણાવ્યું કે આ કેસ અંગે કેટલીક બાબતોની વિગતવાર રજૂઆત કરવાનું અમને અનિવાર્ય જણાય છે. એટલે તેમની વિનંતી બંને ન્યાયાધીશોએ સ્વીકારી અને લાગતાવળગતા વકીલોને પોતપોતાની વાત રજૂ કરવાની મંજૂરી આપી. એટલે કેસની સુનાવણી લંબાઈ.

અગાઉ સેશન્સ કોર્ટમાં હાજર રહેલા લોકોએ અવારનવાર ધાંધલ-ધમાલ કરી હતી એ હકીકતને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સુનાવણી વખતે માત્ર કેસ માટે જરૂરી હોય તેટલા જ લોકોને હાજર રહેવા દેવામાં આવ્યા. બંને પક્ષના વકીલોએ એક-એક સાક્ષીની જુબાની, રજૂ થયેલા પુરાવાઓ, વગેરેનું જે પીંજણ કર્યું તેમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે. એટલે જઈએ સીધા જજમેન્ટના દિવસે બોમ્બે હાઈ કોર્ટમાં. હા, પોતાની વાત પૂરી કરતાં પહેલાં કમાન્ડર નાણાવટીના (બચાવ પક્ષના) વકીલ એ.એસ.આર. ચારીએ કમાન્ડરને બચાવવા છેલ્લો પાસો નાખ્યો હતો. બંને ન્યાયાધીશોને તેમણે કહ્યું : “અગર જો આપને એમ લાગે જ કે જ્યુરીના માનવંતા સભ્યોના નિર્ણયમાં ફેરબદલ કરવાની જરૂર છે, તો પણ હું આપનું એ હકીકત પ્રત્યે જરૂર ધ્યાન દોરીશ કે જ્યુરીના સભ્યો અને જસ્ટિસ મહેતા વચ્ચે બીજી બાબતો અંગે મતભેદ છે, છતાં એક બાબતમાં જ્યુરીના આઠ સભ્યો અને જજ મહેતા સહમત થાય છે. અને એ એક બાબત તે એ કે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ હેઠળ ખૂનના ગુનેગાર ઠરતા નથી.” આમ કહેવા પાછળનો ચારીનો હેતુ એ હતો કે કમાન્ડર નાણાવટી ગુનેગાર ઠરે તો પણ તેમને ફાંસીની સજા ન થાય.

જો કે આ કેસમાં આજ સુધી બનતું આવ્યું છે તેમ કેટલુંક અણધાર્યું બને તે માટે હાજર રહેલા બધા તૈયાર હતા, અને આપણે પણ તૈયાર રહેવાનું. અદાલતનું કામકાજ શરૂ થયું ત્યારે જસ્ટિસ શેલતે જાહેર કર્યું કે મારા સાથી જસ્ટિસ નાયક અને હું અમારા ચુકાદા અલગ-અલગ જાહેર કરશું. અને એ સાથે જ બંને પક્ષકારોની, તેમના વકીલોની, કોર્ટમાં હાજર રહેલા થોડા લોકોની, અને આ ખબર ફરી વળતાં લોકોની આતુરતા આસમાને જઈ પહોંચી. કારણ, બે ચુકાદા અલગ અલગ રજૂ થાય એનો સીધો અર્થ એ કે બંને ન્યાયાધીશમાં મતભેદ છે. નહિતર સામાન્ય રીતે સિનિયર જજ બંનેનો સંયુક્ત ચુકાદો જાહેર કરે.

ઓનરેબલ જસ્ટિસ શેલત

જસ્ટિસ શેલતને પોતાનો ચુકાદો જાહેર કરતાં પૂરા ત્રણ દિવસ લાગ્યા. તેમણે કહ્યું : નીચલી અદાલતમાં રજૂ થયેલા પુરાવા જોતાં અને સાક્ષીઓની જુબાનીની દખલ લેતાં એટલું તો નક્કી થાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીની જિંદગી, એની કારકિર્દી, ધૂળમાં મળી જાય એવું મરનાર પ્રેમ આહુજાનું વર્તન હતું. આવે વખતે કોઈ પણ માણસ હતાશ થઈ જાય, તેને પારાવાર ગુસ્સો આવે, તો તે સમજી શકાય તેમ છે. આમ કરવા બદલ મરનાર આહુજાને પાઠ ભણાવવાની અદમ્ય ઈચ્છા થાય તો તેમાં કશું અસ્વાભાવિક નથી. તેમની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો તેને પણ આવી અદમ્ય ઇચ્છા થઈ હોત.

પણ કોઈના પણ બૂરા કામનો બદલો બીજા બૂરા કામ વડે લેવામાં આવે તો તેને આપણા દેશનો કાયદો મંજૂરી આપતો નથી. ગમે તેવી અસહ્ય પરિસ્થિતિમાં પણ કાયદાની અવગણના કરી શકાય નહિ. બંને પક્ષ તરફથી અહીં જે રજૂઆત થઈ છે તેને સાંભળ્યા પછી મારો નિર્ણય એ છે કે આરોપી કમાન્ડર નાણાવટી ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનેગાર હોવાનું સાબિત થાય છે. અને એટલે હું તેમને માટે આજીવન કારાવાસની સજા જાહેર કરું છું. 

આ જાહેરાત પછી જસ્ટિસ નાયકે જાહેર કર્યું કે મારો ચુકાદો હું આવતી કાલે જાહેર કરીશ.

હવે? દેખીતું છે કે બંને જજમાં નિર્ણય અંગે એકમતિ નથી. એટલે ખટલો સુપ્રીમ કોર્ટમાં જશે? કે બંને જજે કોઈક વચલો રસ્તો વિચારી રાખ્યો હશે? જેમને અદાલતમાં હાજર રહેવાની છૂટ હતી તે બધા બીજે દિવસે રોજ કરતાં વહેલા આવીને બેસી ગયા હતા. ક્યારે અગિયાર વાગે, અને ક્યારે નામદાર ન્યાયાધીશો કોર્ટ રૂમની પાછળ આવેલા બારણામાંથી દાખલ થાય! બધાની નજર મંડાઈ હતી એ બારણા તરફ. પક્ષીનું પીછું ખરે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિ, કોર્ટમાં. બહાર પણ લોકોનાં ટોળાં મોટાં ને મોટાં થતાં જતાં હતાં. પણ કડક પોલીસ બંદોબસ્તને કારણે લોકો શાંત હતા. 

બરાબર અગિયાર વાગ્યે બન્ને જજસાહેબો કોર્ટ રૂમમાં દાખલ થયા અને જસ્ટિસ નાઈકે પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અસાધારણ ઉશ્કેરણીના સંજોગોમાં આરોપીથી આ કામ થઈ ગયું એવો બચાવ સ્વીકારી શકાય તેમ નથી. કારણ આવી દેખીતી ઉશ્કેરણી મરનાર પ્રેમ આહુજા દ્વારા થઈ હોવાનું બચાવ પક્ષ સાબિત કરી શક્યો નથી. ફરિયાદ પક્ષ અને સરકારી વકીલ તરફથી જે રજૂઆત થઈ હતી તેને આધારે સ્પષ્ટપણે એમ જણાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું તે સમજી બુઝીને, પૂરા હોશહવાસમાં રહીને, અગાઉથી કરેલા આયોજન પૂર્વક કર્યું હતું. મરનાર આહુજાના બેડ રૂમમાં ભરી રિવોલ્વર સાથે આરોપી કમાન્ડર નાણાવટી દાખલ થયા તે આહુજાને મારી નાખવાના ઈરાદા સાથે. તો બીજી બાજુ, બંને વચ્ચે ઝપાઝપી થઈ, અને તે દરમ્યાન અકસ્માત રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી ગઈ એવી બચાવ પક્ષની રજૂઆત પણ સ્વીકારી શકાય તેમ નથી. કારણ એક તો, જો ઝપાઝપી થઈ હોય તો મરનાર આહુજાએ કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે નહિ. બીજું, બનાવ પછી મરનાર આહુજાનાં ચશ્માં પૂરેપૂરી સાબુત હાલતમાં તેના બાથ રૂમની ફર્શ પરથી મળી આવ્યાં હતાં. જો ઝપાઝપી થઈ હોય તો આમ બનવું શક્ય નથી. જો ઝપાઝપી થઈ હોય તો આરોપીના શરીર પર ક્યાં ય ઉઝરડા પણ ન હોય, તેનાં કપડાં પર લોહીનો એકાદ ડાઘ પણ ન હોય, એમ બનવું સંભવિત નથી જણાતું. એટલે મરનાર આહુજાનું મોત એ એક અકસ્માત હતો એવો બચાવ સ્વીકારી શકાય તેમ નથી. ટ્રાયલ કોર્ટના જજ મહેતા અને જ્યુરીના બહુમતી સભ્યો વચ્ચે એક બાબતે સહમતી છે કે કમાન્ડર નાણાવટીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનો કર્યો નથી. પણ તેમની આવી સહમતી હાઈ કોર્ટ માટે બંધનકર્તા નથી. નીચલી અદાલતમાં થયેલી સમગ્ર કાર્યવાહીને નજરમાં રાખીને હાઈ કોર્ટે પોતાનો નિર્ણય લેવાનો અને જાહેર કરવાનો રહે છે. જજ નાઈકે નીચલી અદાલતના જજ મહેતાની કેટલીક ઊણપો કે ક્ષતિઓ બતાવી હતી. 

શુક્રવાર, ૧૧ માર્ચ, ૧૯૬૦: જસ્ટિસ શેલતે બંને જજનો સંયુક્ત ચુકાદો જાહેર કરતાં કહ્યું : જ્યુરીનો ચુકાદો ‘perverse’ હતો એવી જજ મહેતાની વાત સાથે હું સહમત થાઉં છું. કારણ આ ચુકાદો અદાલતમાં રજૂ થયેલ જુબાનીઓ અને પુરાવાઓથી વિરુદ્ધનો હતો. આરોપી નાણાવટીએ ખૂનનો ગુનો કર્યો નહોતો, પણ તેમણે ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો ગુનો કર્યો હતો એ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. આ અદાલત જેમ નીચલી અદાલતની જ્યુરીના નિર્ણય સાથે સહમત થવા બંધાયેલી નથી, તેમ એ અદાલતના જજના નિર્ણય સાથે સહમત થવા પણ બંધાયેલી નથી. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ આરોપી કમાંડર નાણાવટીને આ અદાલત દ્વારા ગુનેગાર ઠરાવવામાં આવે છે અને તે ગુના સબબ તેમને સખત મજૂરી સાથેની આજીવન (એટલે કે ૧૪ વરસ) કારાવાસની સજા ફરમાવવામાં આવે છે. 

આ ચુકાદો જાહેર થયો ત્યારે બોમ્બે હાઈ કોર્ટમાં જુદા જુદા પક્ષો તરફથી જે વકીલો હાજર હતા તેમાંનાં થોડાંક નામ: વાય.વી. ચંદ્રચૂડ, વી.એચ. ગુમાસ્તે, સી.એમ. ત્રિવેદી, રામ જેઠમલાની, એ.એસ.આર. ચારી, બેરિસ્ટર રજની પટેલ, એસ.આર. મોકાશી. છેલ્લે બોમ્બે હાઈ કોર્ટના જસ્ટીસ શેલતે જાહેર કર્યું : અમારા આ ચુકાદાના અનુસંધાનમાં આરોપી કમાન્ડર કાવસ નાણાવટીનો કબજો નેવલ પોલીસની કસ્ટડીમાંથી લઈને તેમને આર્થર રોડ ખાતેની પોલીસ કસ્ટડીમાં તાકીદે તબદીલ કરવાનો હું લાગતા વળગતા બોમ્બે પોલીસના અધિકારીઓને આદેશ આપું છું અને તે માટે જરૂરી વોરંટ જારી કરું છું. 

બોમ્બે હાઈ કોર્ટની સુનાવણી દરમ્યાન ક્યારે ય કમાન્ડર નાણાવટીને અદાલતમાં હાજર કરવામાં આવ્યા નહોતા. એટલે બોમ્બે હાઈ કોર્ટનો ફેંસલો જાહેર થયો ત્યારે તેઓ નેવલ પોલીસની કસ્ટડીમાં હતા. બોમ્બે હાઈ કોર્ટનો હુકમ થતાં તરત જ બોમ્બે પોલીસે નાણાવટીને તાબામાં લેવાની તૈયારી ચીલ ઝડપે કરી લીધી. બે કલાકમાં બોમ્બે પોલીસની ટીમ બોમ્બે હાઈ કોર્ટના વોરંટ સાથે આઈ.એન.એસ. કુન્જાલી(નેવલ પોલીસની જેલ)ને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વોરંટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે તેના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બોમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. અને એ કાગળ વાંચ્યા પછી બોમ્બે પોલીસની ટીમ ખાલી હાથે અને વીલે મોઢે પાછી ફરી.

પણ કેમ? એ કાગળમાં એવું તે શું લખ્યું હતું? કોણે લખ્યું હતું?

જવાબ આવતે અઠવાડિયે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 સપ્ટેમ્બર 2025

Loading

મેરા રંગ દે બસંતી ચોલા

સોનલ પરીખ|Opinion - Opinion|6 September 2025

મેરા રંગ દે બસંતી ચોલા
દમ નિકલે ઇસ દેશ કી ખાતિર બસ ઇતના અરમાન હૈ
એક બાર ઇસ રાહ મેં મરના સૌ જનમોં કે સમાન હૈ
દેખ શહીદો કી કુરબાની અપના દિલ ભી બોલા
ઇસ ચોલે કો પહન શિવાજી ખેલા અપની જાન પે
ઈસે પહન ઝાંસી કી રાની મિટ ગઈ અપની આન પે
આજ ઇસી કો પહન કે નિકલા હમ મસ્તોં કા ટોલા
મેરા રંગ દે બસંતી ચોલા
જબ શહીદોં કી અર્થી ઊઠે ધૂમ સે
દેશવાલોં તુમ આંસુ બહાના નહીં
પર મનાઓ જબ આઝાદ ભારત કા દિન
ઉસ ઘડી તુમ હમેં ભૂલ જાના નહીં
લૌટ કર આ સકે ના જહાં મેં તો કયા
યાદ બન કે દિલોં મેં તો આ જાયેંગે
એ વતન એ વતન હમ કો તેરી કસમ
તેરી રાહોં મેં જાં તક લુટા જાયેંગે
એ વતન એ વતન

પ્રેમ ધવન

જિંદગીમાં તેમ ફિલ્મસૃષ્ટિમાં, કેટલાક ‘અનસંગ હીરો’ હોય છે – એવી પ્રતિભાઓ જેની નોંધ ઓછી લેવાઈ હોય, પણ તેની પરવા કર્યા વિના એમણે પોતાનું શ્રેષ્ઠ આપ્યા કર્યું હોય. ‘છોડો કલ કી બાતેં’, ‘એ મેરે પ્યારે વતન’ ‘એ વતન, એ વતન, હમકો તેરી કસમ’ જેવાં અદ્દભુત ગીતોના સર્જક પ્રેમ ધવન એક આવી જ પ્રતિભા છે. તેઓ ગીતકાર, સંગીતકાર અને કોરિયોગ્રાફર પણ છે. ‘ઊડે જબ જબ ઝૂલ્ફે તેરી’નો વૈજયંતિમાલાનો ઠમકો યાદ છે ને? ‘નયા દૌર’, ‘દો બીઘા જમીન’, ‘ગુંજ ઉઠી શહનાઈ’ના કોરિયોગ્રાફર પ્રેમ ધવન જ હતા. સ્વાતંત્ર્યદિન નિમિત્તે માણીએ તેમનું લખેલું સદાબહાર, જોશીલું અને પ્રેરક ગીત. ફિલ્મ પણ એવી જ જબ્બર, ‘શહીદ’.

પ્રેમ ધવનની ગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘ઝિદ્દી’, જેમાં કિશોર કુમારે દેવ આનંદ માટે પહેલું ગીત ગાયું હતું. ના, ‘મરને કી દુઆએ ક્યોં માંગુ’ એ ગીત નહીં. એ પ્રોફેસર જઝબીએ લખ્યું હતું. પ્રેમ ધવને લખેલું ગીત તે ‘યે કૌન આયા રે’ જે કિશોર કુમાર-લતા મંગેશકરનું સંભવત: પહેલું યુગલગીત હતું.

1965ની ફિલ્મ ‘શહીદ’માં મનોજકુમારના આગ્રહથી તેમણે પહેલી વાર સંગીત આપ્યું અને ઇતિહાસ સર્જાયો. રામપ્રસાદ બિસ્મિલના ‘સરફરોશી કી તમન્ના’ સિવાયના ‘એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ પ્રેમ ધવનનાં લખેલાં. આજે પણ એ સાંભળીએ ત્યારે એક પળમાં દાયકાઓનું અંતર પાર કરીને પહોંચી જઈએ છીએ બ્રિટિશશાસિત ભારતમાં, ઘરબાર છોડી પ્રાણ સાટે માતૃભૂમિને આઝાદ કરવા માથા પર કફન બાંધીને ફરતા નવલોહિયા વીરોની વચ્ચે.

ભગતસિંહ – રાજ્યગુરુ – સુખદેવ

‘શહીદ’ જેમના પર બની છે તે ભગતસિંહ આવા જ એક વીર હતા. ભગતસિંહના કાકા અજીત સિંહ બ્રિટિશ વિરુદ્ધ બોલતાં પકડાયેલા ને જેલ તોડીને નાસી છૂટેલા. નાનકડા ભગતસિંહ પર આ ઘટનાની એવી મોટી અસર પડી કે તે ક્રાંતિકારી બન્યા.

1928માં સાયમન કમિશનના વિરોધમાં ખૂબ પ્રદર્શનો થયાં હતાં. તેમાં ભાગ લેનારાઓ પર અંગ્રેજો નિર્દય લાઠીચાર્જ કરતા. આવા એક લાઠીચાર્જ દરમિયાન લાલા લજપતરાય ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા. તેનો બદલો લેવા 17 ડિસેમ્બર 1928ના દિવસે ક્રાંતિકારીઓએ આસિસ્ટન્ટ કમિશનર સોન્ડર્સને મારી નાખ્યો. પછી 8 એપ્રિલ 1929ના દિવસે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બૉમ્બ ફેંક્યા. નાસી જવાને બદલે પકડાયા ને જેલમાં ગયા. જેલમાં થતાં દુર્વ્યવહાર સામે ઉપવાસ પર ઊતર્યા. એક સાથી યતીન્દ્રનાથનું મૃત્યુ થયું. સરકારે વ્યવહાર સુધાર્યો પણ સોન્ડર્સની હત્યાનો કેસ રિઓપન કર્યો. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે અદાલતમાં આગઝરતાં ભાષણો કર્યા. સરકારે ત્રણેને ફાંસીની સજા ફરમાવી. દરમિયાન ચંદ્રશેખર આઝાદ સહિત અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા. લોકજુવાળ એવો પ્રબળ હતો કે સરકારે એક દિવસ વહેલી ફાંસી આપી અને ચૂપચાપ ઉતાવળે સતલજના કાંઠે અગ્નિસંસ્કાર કરી દીધાં. મરતા પહેલા ત્રણેએ ‘ક્રાંતિ અમર રહે’ની ઘોષણાથી જેલની દીવાલો ગજાવી.

ફિલ્મમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’ ગીત બે વાર આવે છે. પહેલી વાર ક્રાંતિની મશાલ ઉઠાવવાનો ઉત્સાહ અને બીજી વાર દેશ માટે ફાંસીએ ચડી જવાનો આનંદ. ‘બસંતી’ અને ‘ચોલા’ આ બે શબ્દો ધ્યાન આપવા જેવા છે. બસંતી રંગ એટલે વસંતઋતુનો રંગ – ભગવો, કેસરી, લાલ, ગાઢો લાલ – વીરત્વ અને ત્યાગની પૂર્ણશોભાનો બસંતી રંગ – મેઘાણીની ભાષામાં કસુંબીનો રંગ. ચોલા એટલે પોશાક. હે માતૃભૂમિ, મારા વસ્ત્રને જ નહીં, આખા અસ્તિત્વને બસંતી રંગે રંગી દે એવી ઝંખના આ ગીતમાં વારંવાર વ્યક્ત કરવામાં આવી છે અને દરેક વખતે તેમાં નવો ઉમળકો, નવું જોશ, નવી આરત વ્યક્ત થાય છે. બે જ શબ્દોમાં ફના થઈ જવાનો ઉમંગ અને જિંદગીનો સાર આપી દેતા કવિત્વને સલામ કરવી પડે. પ્રેમ ધવન પોતે સમાજવાદી વિચારો ધરાવતા સ્વાતંત્ર્યસૈનિક હતા તેથી તેમનાં દેશપ્રેમનાં ગીતોને એક નવું પરિમાણ મળ્યું છે. નવી ‘શહીદ’ ફિલ્મમાં પણ આ ગીત થોડા ફેરફાર અને જુદી તર્જ સાથે મુકાયું છે. એ ગીત પણ સરસ છે, પણ પ્રેમ ધવનના આ ગીતનો જાદુ તો જુદો જ છે.

આવો જ જાદુ ગીતના ફિલ્માંકનમાં પણ છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એટલે કે મનોજકુમાર, પ્રેમ ચોપરા અને અનંત મરાઠેને ફાંસી આપવા લઇ જવાના છે. સંત્રી લેવા આવે છે. ભગતસિંહ પુસ્તક બંધ કરી સ્વસ્થતાથી ઊઠે છે. જેલની ખોલીઓ વચ્ચેથી તેમને લઇ જવાય છે. કેદીઓ સળિયામાંથી હાથ લંબાવી માથા પટકી એમને રોકવા મથે છે. ઊંચી દીવાલોની બીજી તરફ મેદની હાહાકાર કરી રહી છે. ફાંસી આપનારી ટીમ – જેલર, જલ્લાદ, સંત્રીઓ અને અધિકારીઓ દુ:ખી છે. આ ત્રણે માગેલું મળી ગયું હોય તેમ ખુશખુશાલ છે. ‘રંગ દે બસંતી ચોલા’ ગાતાં ગાતાં આવે છે. એકબીજાને ભેટે છે ને જાતે જ ગાળિયો પહેરી લે છે. જેલર શરમથી, લાચારીથી આંખ ઝુકાવી દે છે. સુંદર અભિનય, કુશળ દિગ્દર્શન (એસ.રામ શર્મા), પ્રેરક શબ્દો, ઉત્સાહભર્યું સંગીત. દેશપ્રેમથી ઉભરાતા અને હસતાં-ગાતાં મોતને ભેટનારા આ ‘મસ્તોં કા ટોલા’ને જોનાર કોઈ પ્રેક્ષકની આંખ કોરી નથી રહેતી. એ આંસુમાં દુ:ખ જરૂર રહેતું, પણ તે કરતાં વધારે કોઈ બીજી વસ્તુ હતી, જેનાથી હૃદય એકદમ ભરાઈને છલકાઈ જતું. કદાચ એ પ્રેમ હતો – દેશ માટેનો પ્રેમ, માનવીય ગરિમા માટેનો પ્રેમ, સ્વતંત્રતા માટેનો પ્રેમ, મોત પણ વહાલું લાગે તેવી છલોછલ ક્ષણો આપતી જિંદગી પ્રત્યેનો પ્રેમ.

મનોજ કુમાર

મનોજ કુમારની ‘શહીદ’ પહેલાં પણ ભગતસિંહ પર બીજી બે ફિલ્મો બની હતી, 2002માં બીજી ત્રણ ફિલ્મો બની. 2006માં બનેલી ‘રંગ દે બસંતી’માં શહીદ ભાગતસિંહને ફાંસી આપનાર જેલરની ડાયરી વાંચીને એની પૌત્રી ભારત આવે છે અને ભગતસિંહ અને એના ક્રાંતિકારી સાથીઓ પર ફિલ્મ બનાવવા માગે છે એવી, આધુનિક યુવાનોને ખૂબ અપીલ કરે તે રીતની વાર્તા હતી. આ બધી ફિલ્મોમાં મનોજકુમારની 1965માં બનેલી ‘શહીદ’ અત્યંત લોકપ્રિય અને સીમાચિહ્નરૂપ હતી. મનોજકુમારની દેશભક્તિશ્રેણીની આ પહેલી ફિલ્મ હતી. 27 વર્ષના મનોજકુમાર ભગતસિંહ સાથે તદાકાર થઈ જતા હતા. દેશભક્તિ પર આપણે ત્યાં ઉત્તમ ફિલ્મો સર્જાઈ છે. તેમાં ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘ક્રાંતિ’ સાથે મનોજકુમાર જરૂર અગ્રિમ સ્થાને બિરાજે, પણ ‘શહીદ’નો મનોજકુમાર ફરી કદી જોવા મળ્યો નથી. એ મનોજકુમાર અલગ છે, અદ્દભુત છે.

1931માં ફાંસી અપાઈ ત્યારે ભગતસિંહની ઉંમર હતી 24 વર્ષ. જેલમાંથી તેમણે લખેલું, ‘હું સૈનિક છું. મને ફાંસી ન હોય. મને તોપના મોઢે ઉડાવી દો.’ આજે પણ ભગતસિંહ યુવાચેતનાના આદર્શ છે. તેઓ કહેતા, ‘ક્રાંતિ માણસનો મૂળભૂત અધિકાર છે અને સ્વાતંત્ર્ય માણસનો મૂળભૂત હક્ક.’ ક્રાંતિ અને સ્વાતંત્ર્યનો તણખો દરેક દેશવાસીમાં જીવતો રહે તો દેશનું ભાગ્ય જાગે. દેશ માટે આપણે શું કર્યું એવો પ્રશ્ન જાતને પૂછીએ અને યાદ કરીએ પ્રેમ ધવનના જ શબ્દો, ‘અભી પલટના હૈ રૂખ કિતને દરિયાઓં કા, કિતને પરબત રાહોં સે હૈ ઔર હટાને’ આવો ભાવ જાગે ત્યારે ઉંમર ગમે તે હોય, ‘નયા ખૂન હૈ, નઈ ઉમંગે, અબ હૈ નઈ જવાની’નો અનુભવ જરૂર થાય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 15 ઑગસ્ટ 2025

Loading

...102030...100101102103...110120130...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved