Opinion Magazine
Number of visits: 9742974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીડિયાને ગોદમાં લેવાનો ઉદ્દેશ્ય માત્ર સત્તાનું રાજકારણ નથી!

રમેશ ઓઝા|Opinion - Opinion|24 September 2023

માનવીએ સમાજની રચના કરી એ પછી સ્થાપિત હિતોએ સમાજનો કબજો લઈ લીધો. માનવી તેમાં વિલીન થતો ગયો. વિલીન નહીં, શરણે થઈ ગયો. આ શરણાગતિનો ઇતિહાસ ઓછામાં ઓછો ત્રણ–ચાર હજાર વરસનો હશે.

રમેશ ઓઝા

ઇન્ડિયા ગઠબંધને ૧૪ ટી.વી. એન્કરોના કાર્યક્રમોમાં પોતાના પ્રવક્તાઓને મોકલવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચાર ટી.વી. ચેનલ સહિત ૧૪ એન્કરોનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. દેખતી રીતે આ નિર્ણય સામે વ્યાપક પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એ એન્કરો અને બી.જે.પી.ના નેતાઓ આને લોકતંત્ર પરના હુમલા તરીકે ઓળખાવી રહ્યા છે. એન.ડી.ટી.વી. ચેનલ ગૌતમ અદાણીએ ખરીદી એ પહેલાં લોકતંત્રના પ્રહરીઓ એન.ડી.ટી.વી. પર બી.જે.પી.ના પ્રવક્તાઓને નહોતા મોકલતા. કેમેરાની સાક્ષીએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત લેનાર કરણ થાપરના કાર્યક્રમોમાં નહીં જવાનો આદેશ આપવામાં આવ્યો છે, એ કોણ નથી જાણતું? ત્યારે તેમને લોકતંત્રની યાદ નહોતી આવી.

જે ચેનલો અને એન્કરોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એ ગોદી મીડિયા તરીકે ઓળખાય છે અને ગોદી મીડિયાના ચરિત્રથી આખો દેશ પરિચિત છે. રવીશ કુમારે ગોદીમીડિયા શબ્દપ્રયોગ પહેલીવાર વાપર્યો હતો અને હવે એ દેશભરમાં પ્રચલિત થયો છે. તેઓ કોણ છે, તેઓ શું કરે છે, કઈ રીતે કરે છે, કોના માટે કરે છે, શા માટે કરે છે, તેઓ કેમ બચતા રહે છે, કોણ બચાવે છે, સર્વોચ્ચ અદાલતની વારંવારની ટિપ્પણી અને ચેતવણીની કેમ કોઈ અસર નથી થતી એ બધું જ તમે જાણો છે.

અંગ્રેજીમાં ગોદી મીડિયા લેપડોગ (ખોળામાં બેઠેલું કુરકુરિયું) તરીકે ઓળખાય છે. આનો અર્થ એ થયો કે આ બીમારીથી આખું જગત પીડાય છે. આખા જગતમાં ડાહ્યા જનો સમાજને લાગેલા આ ગ્રહણથી કેમ છૂટવું એની જદ્દોજહદ કરી રહ્યા છે. અહીં પણ નાગરિક સમાજે હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું છે. બ્રિટનમાં નાગરિક સમાજે ‘સ્ટોપ ફન્ડિંગ હેટ’ નામે જીહાદ શરૂ કરી છે. તેઓ કોર્પોરેટ કંપનીઓને અને બીજાઓને સલાહ આપે છે અને હાથ જોડીને સમજાવે છે કે સમાજમાં નફરત ફેલાવાનરાઓને સમાજમાં તિરાડો પાડનારાઓને વિજ્ઞાપન આપવાનું બંધ કરો. નફરત ફેલાવનારાં અખબારો, સામયિકો, ટી.વી. ચેનલો વગેરેને વાંચીને, જોઇને, તેમાં લખીને કે ચર્ચમાં ભાગ લઈને, વિજ્ઞાપન આપીને તેનું પોષણ કરવાનું બંધ કરો. બ્રિટનમાં ધીરે ધીરે તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય ફેક્ટચેકર અને મેઈનસ્ટીમ મીડિયાના વિકલ્પે ડીજીટલ મીડિયા શરૂ થયાં છે.

અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે શા માટે આ વૈશ્વિક ચિંતાનો વિષય છે? શા માટે આને સમાજને લાગેલા ગ્રહણ તરીકે ઓળખાવવામાં આવે છે? શા માટે ભારતમાં સર્વોચ્ચ અદાલતે વારંવાર આની સામે ચેતવણી આપવી પડે છે અને ચિંતા વ્યક્ત કરવી પડે છે અને સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે એ પછી પણ શા માટે તેની સામે કોઈ કારવાઈ કરવામાં આવતી નથી? શા માટે મીડિયાનું નિયમન કરનારા કાયદા, કાયદાઓનું પાલન કરનારાઓ અને નિયમન કરનારી જે તે સંસ્થાઓ કાં તો કાંઈ કરતા નથી અથવા કરી શકતા નથી? કોણ બચાવે છે? માટે તો નાગરિક સમાજે અહીં પણ મેદાનમાં ઉતરવું પડ્યું છે. કાયદાઓ અને નિયમન કરનારી સંસ્થાઓ અસરકારક નથી એટલે બે હાથ જોડીને કરવામાં આવતી સમજાવટ અસરકારક બને એ માટે પ્રયાસ કરવો પડે છે.

જો આ જે તે રાજકીય પક્ષોની હારજીતની રમત હોત અને માત્ર એટલા જ હેતુસર મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોત તો તે મોટી ચિંતાનો વિષય ન બનત. ભૂતકાળમાં રાજકીય પક્ષો મીડિયાનો ઉપયોગ કરતા જ હતા. આ કોઈ નવી વાત નથી. પણ અત્યારે જે રીતે અને જે સ્વરૂપમાં મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે એ ચિંતાનો વિષય છે. માટે એને સમાજને લાગેલા ગ્રહણ તરીકે ઓળખાવવામાં આવે છે અને દુનિયાભરમાં અદાલતોને, દૂરનું વિચારી શકનારા ચિંતકોને અને સમાજ માટે સરોકાર ધરાવનારાઓને ઊહાપોહ કરવાની જરૂર પડી છે. બીજા શબ્દોમાં કહીએ તો મીડિયાનો ઉપયોગ માત્ર સત્તા અને ચૂંટણીકીય હારજીત પૂરતો નથી કરવામાં આવી રહ્યો, પણ રમત ઘણી મોટી છે. જે દેશોમાં ચૂંટણીઓ નથી થતી અને જો થાય છે તો દેખાવ પૂરતી થાય છે એવા દેશોમાં પણ ગોદી મીડિયાને પાળવામાં આવી રહ્યા છે. જે ગોદમાં બેસવા તૈયાર નથી તેવા મીડિયાને સતાવવામાં આવે છે.

શા માટે? કઈ એવી મોટી રમત છે એ જાણવાનો અહીં આ કોલમમાં પ્રયાસ કરવામાં આવશે.  ફોટોગ્રાફીની ભાષામાં વાઈડ એન્ગલમાં એ રમતનાં સ્વરૂપને રજૂ કરવાનો ઈરાદો છે.

માનવીએ સમાજની રચના કરી એ પછી તેણે ધીરે ધીરે પોતાને સમાજમાં વિલીન કરવાનું શરૂ કર્યું હતું. એમાં તેને સમૂહની શક્તિનો અને એ શક્તિ દ્વારા સલામતીનો અનુભવ થતો હતો. એમાંથી સમૂહનું નિયમન કરનારી સંસ્થાઓ વિકસી જેમાં રાજ્યથી લઈને પરિવાર સુધીનો સમાવેશ થાય છે. ધીરે ધીરે બન્યું એવું કે એ સંસ્થાઓ સાથે સ્થાપિત હિતો વિકસ્યાં. બને ત્યાં સુધી સમાજ પરનું પ્રભુત્વ હાથમાંથી ન જવું જોઈએ. બને ત્યાં સુધી પ્રભુત્વ મારા હાથમાં રહેવું જોઈએ, મારા પછી મારાં સંતાનોના હાથમાં રહેવું જોઈએ, મારા ખાનદાનના કે ચોક્કસ કૂળના કે વંશના હાથમાં રહેવું જોઈએ, વગેરે. તેમણે પોતાનું પ્રભુત્વ કે સત્તા ટકાવી રાખવા અનેક પ્રકારની રમતો પ્રયોજી. ચોક્કસ પરિવાર, કૂળ, વંશ કે જ્ઞાતિ પ્રભુત્વ એટલા માટે ધરાવે છે કે તેને ભગવાને પસંદ કર્યા છે. બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી જન્મ્યા છે એમ કહેવાય છે ને! ઈશ્વરના વરદાન પછી આવે છે શ્રેષ્ઠતા. પવિત્ર લોહી, શ્રેષ્ઠ કૂળ, શ્રેષ્ઠ ધર્મ કે સંપ્રદાય. એ પછી ભવ્ય ઇતિહાસ. એવો ઇતિહાસ કે કોઈ એ પરિવાર, વંશ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે આજકાલ હવે રાષ્ટ્ર કે ભૂમિની બરાબરી ન કરી શકે. આખો ઇતિહાસ તેમણે જ લખ્યો હોય અને મનઘડંત હોય. ભવ્ય ઇતિહાસ પછી આવે ભય. જો સમાજનું (પરિવાર, જ્ઞાતિ, પેટા–જ્ઞાતિ, વંશ, ધર્મ, સંપ્રદાય, રાષ્ટ્ર કે પ્રદેશ આધારિત) અંગ બનીને નહીં રહો અને એકલા ચાલવાનું દુસ્સાહસ કરશો તો તમારી સુરક્ષાની જવાબદારી અમારી નહીં. જુઓ સામે દુશ્મનો સંગઠીત છે.

પરિણામે સમાજની રચના કરનારો માનવી સમાજમાં વિલીન થવા લાગ્યો તે ત્યાં સુધી કે તેણે સ્વતંત્ર રીતે વિચારવાનું જ છોડી દીધું. ખાસ લોકો તેના એટલે કે અદના માનવીનાં હિતમાં વિચારે, ખાસ લોકો તેના વતી નિર્ણય લે, ખાસ લોકો “બીજાઓ”થી તેને બચાવે, ખાસ લોકો તેને માટેની મર્યાદાઓ નક્કી કરે, ખાસ લોકો સમાજના, ધર્મના કે રાષ્ટ્રના “વ્યાપક હિત”માં તેને ચોક્કસ રીતે પ્રેરિત કરે, ખાસ લોકો “વ્યાપક હિત”માં તેની બલી ચડાવે અને આજકાલના યુગમાં તો હવે ખાસ લોકો તેણે ઉત્પાદિત કરેલી ચીજનું બજારમાં મૂલ્ય નક્કી કરે. બધું જ “વ્યાપક હિત”માં. અંગત હિત વિષે અદના માનવીએ તો વિચારવાનું પણ નહીં અને જે વિચારે તેને ધર્મદ્રોહીથી લઈને દેશદ્રોહી સુધીનાં લેબલ લગાડી શકાય.

ટૂંકમાં માનવીએ સમાજની રચના કરી એ પછી સ્થાપિત હિતોએ સમાજનો કબજો લઈ લીધો અને માનવી તેમાં વિલીન થતો ગયો. વિલીન પણ નહીં, શરણે થઈ ગયો. વ્યક્તિની શરણાગતીનો ઇતિહાસ ઓછામાં ઓછો ત્રણ-ચાર હજાર વરસનો હશે. બધું જ નિયમસર, ધોરણસર, શાસ્ત્રોક્ત રીતે, ધર્મમર્યાદામાં, પરંપરા મુજબ ચાલતું હતું. ક્યાં ય કશો અવાજ કે ઊંહકારો નહોતો. કોઈ લાઈન તોડતું નહોતું.

એમાં એક દિવસ એવું બન્યું કે યુરોપમાં સમયે કરવટ બદલી. શું બન્યું એની વાત હવે પછી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 સપ્ટેમ્બર 2023

Loading

આપણા હૈયા લગી રેલાતું ‘શાહીનું ટીપું’

કિશોર વ્યાસ|Opinion - Literature|24 September 2023

વાંચન થાળ

બીજલ પ્રકાશન, ૧૦૩, યોગી સૃષ્ટિ એપાર્ટમેન્ટ, ઐશ્વર્ય ફ્લેટ્સ સામે, વહાણવટી માતાના મંદિર પાસે, ઓઢવપુરા રોડ, ઈલોરા પાર્ક, વડોદરા-૩૯૦ ૦૨૩. 

શાહીનું ટીપું (કાવ્યસંગ્રહ) – રમણીક સોમેશ્વર, પ્ર.આ. ૨૦૧૦, ડેમી, પૃ.૧૨૭, કિં. રૂ. ૧૩૦.

રમણીક સોમેશ્વર (૧૯૫૧) આપણા ખ્યાત કવિઓમાંના એક છે. ‘તમે ઉકેલો ભેદ’ (૧૯૯૬) જેવા કાવ્યસંગ્રહ પછી તેઓ સાતત્યપૂર્વક લખતા, વાંચતા, વિચારતા રહ્યા છે. તેઓ ‘જળગીત’ જેવો અનુવાદ આપે કે લા.ઠા. સાથેનો પત્રસંવાદ રચે. ‘પત્ર-લાભ’ (૨૦૧૬) એ બધું ઝીણી નજરે જોવા-પામવાનું વાચકને ગમે એવું હોય છે. ‘શાહીનું ટીપું’ (૨૦૧૯) જેવા સંગ્રહની રચના જુઓ :

ચણીબોર મેં જોયાં

વગડે

લાલલાલ

સૂરજની સામે

ઝઝૂમતાં એ

સૂરજ :

જાણે ચણીબોર કો

અટવાયેલું ઝાડી વચ્ચે (પૃ. ૪૨)

આ રચનામાં ચણીબોર અને સૂર્ય સામસામાં ને એક થઈ જતાંનો કવિ અનુભવ રચે છે. અછાંદસમાં અનિયમિત લયનાં આવર્તનો જ નહીં, ક્યારેક એક એક શબ્દનાં પગથિયાં રચીને ટૂંકા પદવિન્યાસથી અસિદ્ધ લયને કવિ કારગત બનાવતો હોય છે. અહીં વગડે મેં ચણીબોર જોયાં એમ કહેવાને બદલે ચણીબોરને કવિએ આગળ કર્યાં છે કેમ કે કાવ્યનું કેન્દ્ર ચણીબોર આસપાસની લીલા છે. આથી ‘ચણીબોર મેં જોયાં’ જેવા છુપાયેલા પ્રશ્નાર્થનો ઉત્તર ‘વગડે’ એમ આપીને ચણીબોર સાથેનો મુકાબલો કવિએ રચ્યો છે. ચણીબોરને સૂરજની સામે ઝઝૂમતાં કલ્પીને સૂરજ જ જાણે ઝાડી વચ્ચે અટવાયેલું ચણીબોરની કલ્પના અવકાશનો વિસ્તાર સાધી આપનાર બને છે, તો અંગૂઠે તર્જની ટેકવી લખોટીની જેમ-થી શરૂ થતા કાવ્યમાં બાળરમત સાથે કવિએ કાવ્યલીલા મૂકી છે.

કવિ પેલી મોઈદાંડિયાથી રમાતી રમતમાં આવતી ગબીનો સંકેત રચીને ઉત્તમ કવિતા માટે ભાવિ તાકે છે તો આ ગબીને જ. ગબી ભલે દૂર દૂર થતી જાય પણ કવિ સમાધાન કરતો નથી. એક વેળાએ તો એ ગબીમાં પોતે રચેલા શબ્દને મૂકી આપશે જ, એ કવિ-પુરુષાર્થ પણ પાછળ ઢંકાયેલો આવે છે. અહીં ઘણી ટૂંકી રચનાઓ કવિએ આપી છે પણ એ રચનાઓમાં તાજગીસભર કલ્પના છે. ‘પહાડ’ જેવી રચનામાં શબ્દની કરકસર ધ્યાન ખેંચે એવી છે. ‘વરસે ને ઝીલી લે પહાડો. ઝીલે ને વહાવી દે’ (પૃ.૩૭). એમ કહેતાં કહેતાં કવિ લથબથ ખીણોને સ્મરે છે, પરંતુ આ સઘળું થયા પછી કવિ ‘પહાડ સદાયે કોરા’ કહીને જે ચમત્કાર સર્જે છે એ આસ્વાદ્ય બની રહે છે.

કવિ પતંગિયાંનાં જે કેટલાંક દૃશ્યો આપે છે એમાં પણ ભરપૂર કવિકર્મ દેખા દે છે. પતંગિયું જ્યાં કવિના ખભા પર આવીને જરા બેઠું કે સમુદ્રો હિલોળે ચઢ્યા ! પતંગિયું આ પરાગરજ લઈ ચાલ્યું, આખું જંગલ એની પાંખે … જેવી રચનાઓમાં પ્રકૃતિ સાથે ભળી જતું પરમ સ્વરૂપ આપણે અનુભવી શકીએ. કવિએ પ્રકૃતિનાં પરિમાણો જેમ કે રણ, દરિયા કાંઠે સૂર્યાસ્ત, બપોરને જે વૈવિધ્યથી ને નોખી ભાતે જોયાં છે એ ભાવકને માટે એક આનંદનો પર્યાય બની રહે એમ છે. ‘બિલાડીનું બચ્ચું’ જેવી રચના ઘણી પ્રભાવક છે. હેમીંગ્વેની ‘કેટ ઈન ધ રેઈન’ યાદ આવી જાય. ‘એ ખોતરે છે એના ઝીણા નખથી ખૂણામાં પડેલું અંધારું કે ક્યારેક ચાટે છે જીભથી અહીંતહીં ઢોળાયેલી ચાંદની’(પૃ.૭૪)માં જે કલ્પન છે એ સ્મરણમાં રહી જાય એવું છે. દાદી, માતાનાં કાવ્યો પણ એવાં જ માતબર બન્યાં છે. આ કવિની કવિતામાં પ્રગટ થતાં આવતાં ભાવસભર ચિત્રાંકનો, પ્રકૃતિને સૂક્ષ્મતાથી જોવાની દૃષ્ટિ, અનાગતને પામવાની ઝંખના, ભાષાને પ્રયોજવાનું કૌશલ અને નવતર આ સંગ્રહને કેવળ સર્જન દિશા તરફ સ્થિર કરી રાખવાને બદલે ચોપાસથી જોવા માણવાની તક રચે છે. ‘શાહીનું ટીપું’ કોરા કાગળમાં જ રહી પડવાને બદલે છેક આપણા હૈયા લગી રેલાય છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 23

Loading

ગુજરાત વિશેના જ્ઞાનના ભંડાર સમા અચ્યુત યાજ્ઞિકને સલામ

હરીશ ખરે [અનુવાદ : સંજય સ્વાતિ ભાવે]|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 September 2023

અચ્યુત યાજ્ઞિક

અગ્રણી બૌદ્ધિક, સમાજવિજ્ઞાની, રાજકીય વિશ્લેષક, ઇતિહાસ લેખક, પત્રકાર અને કર્મશીલ અચ્યુતભાઈ યાજ્ઞિકનું ૪ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ ૭૭ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

તેમણે સુચિત્રા શેઠ સાથે બે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં છે. The Shaping of Modern Gujarat : Plurality, Hindutva and Beyond ((૨૦૦૫) અને Ahmedabad : From Royal City to Mega City (૨૦૧૧).

અચ્યુતભાઈએ કિરીટ ભાવસાર સાથે તૈયાર કરેલી ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (૨૦૦૪) પણ ખૂબ રસપ્રદ છે.

અચ્યુતભાઈને અંજલિ તરીકે વરિષ્ઠ પત્રકાર હરીશ ખરેએ ‘ધ વાયર’ પોર્ટલ પર લખેલો અંગ્રેજી લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે.

− સંજય સ્વાતિ ભાવે

•••

છેક ૧૯૭૫ની સાલની આસપાસનાં વર્ષોથી લઈને હમણાં સુધી ગુજરાતને લગતા સમાચાર બહારનાં અખબારોને આપનાર પત્રકાર કે ગુજરાત પર અભ્યાસ કરનાર સંશોધક માટે અચ્યુત યાજ્ઞિકને અચૂક મળવું એ લગભગ ફરજિયાત જેવું બની ગયું હતું.

કારણ કે અચ્યુતભાઈ ગુજરાતના રાજકારણ અને ગુજરાતી સમાજના મિજાજ વિશેની માહિતી, વિગતો, આંકડા, આખ્યાયિકાઓ અને સૂક્ષ્મદૃષ્ટિના જ્ઞાનનો ભંડાર હતા. ગુજરાત વિશે લખનાર સમાજ વિજ્ઞાનીઓને અચ્યુતભાઈની ખોટ પડવાની. એ હંમેશાં માત્ર ‘અચ્યુતભાઈ’ જ હતા. અને અચ્યુતભાઈને તમે ગમે ત્યારે મળી શકો – વાતચીત માટે, તમને લાગે તો ચર્ચા માટે, અને જો તમે ધીરજનો ગુણ કેળવ્યો હોય તો એમનું ભાષણ સાંભળવા માટે. આમાંથી કંઈ પણ હોય, તેમને મળવામાં હંમેશાં લાભ જ હતો. પશ્ચિમ અમદાવાદના કોમર્સ કૉલેજ ચાર રસ્તા પાસે આવેલી તેમની ઑફિસ ‘સેતુ’ (Centre for Social Knowledge and Action) તેની અંદરની સાદગીને કારણે ભલે કોઈ આશ્રમ જેવી ભાસે, પણ તેનો માહોલ હતો કોફી-હાઉસ જેવો.

અચ્યુતભાઈને મળવા જનારને ‘સેતુ’ પર ભરપૂર ખાંડવાળી ચાની ચુસકીઓ અને અચ્યુતભાઈની ક્યારે ય ન ઓલવાતી સિગરેટોના ધુમાડાની વચ્ચે સાંપ્રત બનાવો અંગે બિલકુલ નવી વિગતો અને ખાસિયતોના પાઠ ભણવા મળતા. વિષય ગમે તે હોઈ શકે – નવનિર્માણ આંદોલન, ૧૯૮૧નાં અનામત-વિરોધી હુલ્લડો, ૧૯૮૫-૮૬નાં કોમી રમખાણો, નર્મદા યોજના વિરોધી આંદોલન, ૧૯૯૦-૯૨નાં આયોધ્યા-તોફાનો કે પછી ૨૦૦૨નો અતિભીષણ સંહાર.

અચ્યુતભાઈ સાથે થોડાક કલાક વીતાવ્યા બાદ — રિપોર્ટરની સ્ટોરીમાં સુધારો થાય, કોલમિસ્ટનો નજરિયો વધુ માતબર બને અને સંશોધકને એમ લાગે કે ગાઇડને થિસિસ સુપરત કરતા પહેલાં હજુ ઘણું ઘરકામ કરવાની જરૂર છે.

જૂના જમાનામાં પંડિત કે પુરોહિત જ્ઞાતિની કુળકથા અને કુંડળી જાણતા. અચ્યુતભાઈનું પણ એવું જ હતું. અચ્યુતભાઈ ૧૯૮૦ અને ૧૯૯૦ના ગાળાના રાજકારણી સમૂહ માટે અસલના જમાનાનું ‘ગૂગલ’ હતા.

સનત મહેતા, ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, અશોક ભટ્ટ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે બધા અચ્યુતભાઈને માન આપતા અને તેમના અભિપ્રાયને મૂલ્યવાન ગણતા. એ વર્ષો દરમિયાન ગુજરાતમાં હજુ સહિષ્ણુતા હતી, અને ઘણાં છાપાંને અચ્યુતભાઈની કોલમ છાપવામાં રસ હતો.

‘સેતુ’ પર જાણે હરોળ લાગતી. તેમાં મેધા પાટકર, બેલા ભાટિયા, મધુસૂદન મિસ્ત્રી કે ઇન્દુકુમાર જાની જેવાં કર્મશીલો હોય. ધીરુભાઈ શેઠ, આશિષ નાંદી, હર્ષ સેઠી, ઘનશ્યામ શાહ કે અનિલ ભટ્ટ જેવા વિદ્યાજનો કે શાલિની રાંદેરિયા જેવાં સંશોધક તમને ‘સેતુ’ પર મળે. અહીં તમને સામ પિત્રોડા, ભીખુ પારેખ કે મેઘનાદ દેસાઈ જેવા અગ્રણીઓ પણ મળી આવે.

લોકોને તેમના બેન્ક બેલન્સથી ચાહનાર કે તિરસ્કારનાર અને મૂલવનાર અમદાવાદી સમાજમાં અચ્યુતભાઈ નાત બહારના હતા. સાંસ્કૃતિક રીતે જ જ્ઞાનને બદલે સંપત્તિને પહેલી પસંદગી આપનાર સમાજમાં અચ્યુતભાઈ એમની શરતે જીવ્યા. અતિશય ધનવાન અમદાવાદીઓના આડંબર અને આચારની જાળ તેમ જ તેમના પરિવેશમાં એ ક્યારે ય અટવાયા નહીં; એ વર્ગના દંભની આરપાર એ જોઈ શકતા હતા. સ્થાપિત વર્ગોને, સત્તા સમેત મળનારા ઘમંડની સામે અચ્યુતભાઈ નક્કર સંવિદ દ્વારા લડ્યા. તેમના જ્ઞાનનો આધાર બૌદ્ધિક પ્રામાણિકતા અને વ્યક્તિગત આચારશુદ્ધિમાં હતો.

અચ્યુતભાઈ અંતકાળે અકિંચન હતા, પણ તેનો એમને અફસોસ ન હોય, કેમ કે તેઓ ગુજરાતના માનવંતાઓમાં સૌથી આદરપાત્ર તરીકે જીવ્યા. અચ્યુતભાઈ તંદુરસ્ત નાગરિક સમાજનું પ્રતીક હતા. તેમણે ગાંધીનગરના સત્તાધારીઓ સાથે બરાબર અંતર જાળવ્યું હતું, પણ જરૂર પડે તો ગરીબો અને વંચિતો વતી રાજ્યસત્તાની સાથે રહેવા (to engage with authority) માટે પણ તેઓ તૈયાર રહેતા. ગુજરાતમાં આર્થિક અન્યાયની સામે લડનાર કોઈ પણ એન.જી.ઓ., ચળવળ કે જૂથ તેમનું ગમે ત્યારે માર્ગદર્શન મેળવી શકતાં.

પીડિતોને અચ્યુતભાઈ ઘણી વાર નીડર ધારાશાસ્ત્રી ગિરીશભાઈ પટેલ પાસે મોકલતા. ગિરીશભાઈ ગુજરાતમાં ચાલતા અનંત અન્યાયોની સામે કોઈ પણ ફી લીધા વિના લડતા જ રહેતા. અને પછી આવ્યું ૨૦૦૦નું વર્ષ. ગુજરાત બદલાયું. નવાં આર્થિક બળો અને તેમના પ્રતિનિધિઓ / દલાલોએ ગુજરાતના રાજકારણ, સમાજ અને સમૂહ માધ્યમોને પોતાના તાબામાં લીધાં.

આ નવા ગુજરાતને અચ્યુતભાઈનાં મંતવ્યો કે વિચારોનો કોઈ ખપ ન હતો. પરિવર્તન ગુજરાતનાં તમામ સારાં સ્ત્રી-પુરુષોને હતપ્રભ બનાવી રહ્યું હતું. તે સંશોધનનો વિષય પણ હતું. તેના અભ્યાસીઓ માટે અચ્યુતભાઈ આખર સુધી અનિવાર્ય પૂછવાઠેકાણું રહ્યા. નવા ગુજરાતમાંથી નીકળીને આગળ વધવા માટે સમય પાકી ચૂક્યો હતો, અને એ આગળ વધ્યા પણ ખરા, હંમેશ મુજબ એમની શરતે. અસ્તુ.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 15 તેમ જ 22 

Loading

...102030...1,0081,0091,0101,011...1,0201,0301,040...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved