Opinion Magazine
Number of visits: 9563179
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિરંજન ભગતના અનુવાદોનો સર્વસંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|30 July 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતે કાવ્યસર્જન, વિવેચન અને અંગ્રેજી સાહિત્યના અધ્યાપન ઉપરાંત નોંધપાત્ર પ્રમાણમાં અનુવાદકાર્ય પણ કર્યું છે. તેમણે બંગાળી તેમ જ સંસ્કૃત, અને અંગ્રેજી સહિતની યુરોપીય ભાષાઓમાંથી એંશી જેટલી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદો કર્યા છે.

આ અનુવાદોમાંથી ઘણાખરા અત્યાર સુધી નિરંજન ભગતના પોતાના વિવેચન સંગ્રહોમાં, કેટલાંક સંપાદિત સંચયો તેમ જ સામયિકોમાં અને નવ અનુવાદો હસ્તપ્રતો સ્વરૂપે છૂટાછવાયા હતા.

હવે તે બધા ‘નિરંજન ભગતના અનુવાદો’ નામના સંતર્પક સંચયમાં પહેલી વખત એક સાથે, પદ્ધતિસર ગોઠવણી અને સંશોધનપૂર્ણ સંપાદકીય નોંધો સાથે પ્રગટ થઈ રહ્યા છે.

અનુવાદ સંચયની મહત્ત્વની ઉપલબ્ધિ એ છે કે તેમાં સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો The Vision of Vasavadatta નામે પેન્ગ્વિન પ્રકાશને 1972માં પ્રસિદ્ધ કરેલો અંગ્રેજી અનુવાદ પણ મળે છે. તે આટલાં વર્ષોમાં જવલ્લે જ કોઈ વાચક-અભ્યાસીએ જોયો હોય.

એ જ પ્રમાણે કેટલીક રચનાઓની – ભગત સાહેબના શાળા સમયથી વખણાયેલા ‘સુંદર’ અક્ષરોમાં લખાયેલી – હસ્તપ્રતો પણ અહીં પહેલી વાર જોવા મળે છે.તેમાં અંગ્રેજી કવિ લી હન્ટ, ફ્રેન્ચ કવિઓ બૉદલેર તેમ જ મલાર્મેની એક-એક, વ્હિકટર હ્યુગોની બે, અને રવીન્દ્રનાથની ચાર રચનાઓની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

ગ્રંથના સંપાદકો રાજેન્દ્ર પટેલ, રૂપલ મહેતા અને શૈલેષ પારેખ ભગત સાહેબના વ્યક્તિત્વ તેમ જ જ્ઞાનસાધનાનાં ચાહક અને તેમના સર્જનનાં અભ્યાસી છે. 

હસ્તપ્રતોના સુવાચ્ય પુનર્મુદ્રણ, કાગળની ગુણવત્તા, અવકાશ (સ્પેસ) અને એકંદર સુરુચિપૂર્ણ નિર્માણની દૃષ્ટિએ પણ 328 પાનાંનું મોટા કદનું આ પુસ્તક ગુણવત્તાપૂર્ણ છે.

અપૂર્વ આશરના સુંદર સૌમ્ય મુખપૃષ્ઠમાં ભગત સાહેબનાં લાક્ષણિક હાસ્ય અને ચશ્માં સથેની વેધક પણ સ્નેહભરી નજરને ઉપસાવતી આછેરી બોલકી છબિ અને સાત રંગના લસરકા છે.

ગ્રંથનું પ્રકાશન નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ નામે ભાષા-સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ હાથ  ધરનાર સંસ્થાએ કર્યું છે. તેનું લોકાર્પણ 18 મે 2023ના રોજ ભગત સાહેબની 93મી વર્ષગાંઠે વિવેચક રમણ સોનીને નિરંજન ભગત સ્મૃતિ પરિતોષિક પ્રદાન સમારંભની સાથે કરવામાં આવ્યું.

‘પ્રાસ્તાવિક’માં સંપાદકો નોંધે છે : ‘સિત્તેર વર્ષના સમયગાળામાં નિરંજન ભગત વિવિધ સાહિત્યોનો અનુવાદ કરતા રહ્યા. આ અનુવાદોની સૂચિ જોતાં તેમના સાહિત્યરસની વિશાળ ક્ષિતિજોનો ખ્યાલ આવે છે.

‘એક છેડે પ્રશિષ્ટ અને પ્રાચીન સંસ્કૃત પદ્યનાટ્ય; બીજે પ્રાચીન હિબ્રૂ / લૅટિન / અંગ્રેજી બાઈબલ અને ત્રીજે, આધુનિક અંગ્રેજી / સ્પૅનિશ / ફ્રેન્ચ / એલિયટ / મિસ્ત્રાલ / બૉદલેર; અને આ બધાની વચ્ચે બંગાળી રવીન્દ્રનાથ ‌‌‌– સહુની સાથે તાદાત્મ્ય અનુભવતા નિરંજન ભગતને આ બધામાં રસ હતો અને તેમને ગુજરાતની તેમ જ વિશ્વની સાહિત્યપ્રેમી જનતા સાથે તે રસ વહેંચવો હતો.’

સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસનાં કાવ્યોનો સીધો સ્પૅનિશ ભાષામાંથી ગુજરાતી અનુવાદ ખ્રિસ્તી ધર્મગુરુ ફાધર ઇશુદાસ ક્વેલીની મદદથી કર્યો છે. આ બે સાહિત્યપ્રેમીઓ વચ્ચેની બે વર્ષની અનુવાદ પ્રક્રિયાનું ભગત સાહેબે  ટૂંકું પણ રસાળ સ્વકથન સંપાદકોએ સમાવ્યું છે.

ફ્રેન્ચ ભાષામાં સ્વશિક્ષિત ભગત સાહેબ વ્હિક્ટર હ્યૂગો, બૉદલેર અને માલાર્મેની કવિતાઓને તેમ જ મિલાન કુન્દેરાના નવલકથા પરના દીર્ઘ લેખને મૂળ ફ્રેન્ચમાંથી ગુજરાતીમાં લાવ્યા છે.

રવીન્દ્રનાથના અનુવાદો પણ બંગાળીમાંથી સીધા ઊતરી આવ્યા છે. અમૃતા પ્રીતમની ચાર કવિતાઓની સ્રોત ભાષા હિન્દી કે અંગ્રેજી એવું પ્રશ્નચિહ્ન પુસ્તકના અનુક્રમમાં છે.

સંપાદકો બીજું રસપ્રદ નિરીક્ષણ પણ આપે છે : ‘નિરંજન ભગતના અનુવાદોની પ્રેરણા સ્વેચ્છામાં નહી, પણ અન્યની ઇચ્છામાં (કે મૈત્રીસભર વિનંતીમાં) રહેલી છે કે કોઈ પ્રસંગ નિમિત્તે ઊભી  થતી આવશ્યકતામાં રહેલી છે.’ જો કે આ વિધાનમાં જે દસેક કૃતિઓ અપવાદ છે તેના નામ  પણ સંપાદકોએ નોંધ્યાં છે.

જહૉન ઑફ ક્રૉસનો અનુવાદ સંતના અવસાનની ચોથી શતાબ્દી નિમિત્તે ડિસેમ્બર 1991માં ફાધર ક્વેલીએ કરેલા સહજ સૂચન માત્રથી થયો.

રવીન્દ્રનાથની સહુથી જાણીતી કવિતા ‘Where the mind is without fear…’નું બંગાળીમાંથી કરેલું ગેય અનુસર્જન અમદાવાદની રચના સ્કૂલના સંસ્થાપક પન્નાબહેન શ્રેણિકભાઈ લાલભાઈના અનુરોધથી થયું છે.

ટાગોરના નાટ્યકાવ્ય ‘ચિત્રાંગદા’ મૃણાલિની સારાભાઈની વિનંતીથી ગુજરાતીમાં આવ્યું. નિરંજને બાઇબલની ‘બુક ઑફ યોબ’નો અનુવાદ ‘સંપૂર્ણ બાઇબલ’ને ગુજરાતીમાં લાવનાર નગીનદાસ પારેખ અને ક્વેલીની ‘વિનંતીને માન આપીને’ કર્યો.

ઘણાં અનુવાદોનું નિમિત્ત વિવેચન લેખો છે. ભગત સાહેબના મૌલિક વિવેચન ગ્રંથોની ‘સ્વાધ્યાયલોક’ નામની શ્રેણીના નવમાંથી ત્રણ ખંડો પશ્ચિમના સાહિત્યો પરના છે. તેમાં કેટલાક લેખકો / કૃતિઓ પરના વિવેચન લેખના હિસ્સા તરીકે તેમની કાવ્યકૃતિઓનો અનુવાદ છે.

‘સ્વાધ્યાયલોક’ના અંગ્રેજી સાહિત્ય પરના ખંડમાં ટી.એસ. એલિયટની દીર્ઘ એકોક્તિ ‘લવ્હ સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રૂફ્રૉક’ તેમ જ ડબ્લ્યુ.બી. યેટસનું ઊર્મી કાવ્ય, અને ‘અમેરિકન સાહિત્ય’ ખંડમાંથી ડબ્લ્યુ.એચ. ઑડનની એક રચના અલબત્ત મૂળ ભાષામાંથી જ ગુજરાતીમાં આવ્યાં છે.

ગ્રીક, લૅટિન, જર્મન, સ્પૅનિશ અને ઇટાલિયન કવિઓ અનુક્રમે સાફો, વર્જિલ, ગઅટે, મિસ્ત્રાલ અને કાસ્પિમોદોની રચનાઓના અંગ્રેજી ભાષાંતર પરથી કરેલા અનુવાદ ‘યુરોપીય સાહિત્ય’ ખંડમાંથી મળે છે.

રૉબર્ટ ફ્રૉસ્ટની પાંચ રચનાઓ ‘કવિતા’ સામયિકમાં અને કુન્દેરાનો નિબંધ ‘સંસ્કૃતિ’માં પ્રસિદ્ધ થયેલાં છે. ટાગોરના ચાર ગદ્ય લખાણોનો અનુવાદ ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ : Tagore in Ahmedabad’ નામના દ્વિભાષી પ્રકાશન માટે છે. કવિવરના દરેક લખાણ માટેનું સંપાદકોએ અહીં નોંધેલું નિમિત્ત ધ્યાનપાત્ર છે.

નિરંજન ભગતે ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો અનુવાદ મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો અને તે અમેરિકામાં ભજવાયો. આ અંગે સંપાદકોએ સંશોધનપૂર્ણ માહિતીલેખ આપ્યો છે. તેને અંતે લખ્યું છે :

‘1960ના દાયકામાં એક ગુજરાતી લેખકે કરેલા સંસ્કૃત નાટકના અંગ્રેજી અનુવાદ ઉપરથી ન્યૂયૉર્કમાં અમેરિકન કલાકારો નાટક ભજવે એ એક અગત્યની સાંસ્કૃતિક ઘટના અવશ્ય કહેવાય. તેમાં અનુવાદ અને અનુવાદકના યોગદાનની નોંધ સરખી પણ ન લેવાય એ અક્ષમ્ય ઉપેક્ષા ન કહેવાય ?

‘આ અનુવાદ અને તેની સાથે સંકળાયેલી અન્ય હકીકતો ગુજરાતી સાહિત્યિક વર્તુળોના ધ્યાનમાં આવ્યાં હોય એમ જણાતું નથી.’

‘નિરંજન ભગતનું છપાયેલું પ્રથમ કાવ્ય પોતાના જ ગુજરાતી કાવ્યનો અંગ્રેજી અનુવાદ છે’ એ હકીકત સંપાદકો દસ્તાવેજી આધાર સાથે સાબિત કરે છે. 

‘નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિનો આરંભ અનુવાદથી થયો હતો’ એવું બીજું ફલિત પણ સંપાદકોએ આપ્યું છે. તે આધારપૂર્ણ છે, છતાં તેમાં કવિ-અનુવાદક માટેના આદરમાંથી આવેલી દુરાકૃષ્ટતા જણાય છે.

આ સંપાદન મૂલ્યવાન તટસ્થ દસ્તાવેજીકરણ સ્વરૂપનું એ અર્થમાં છે કે તેમાં અત્યારે  જવલ્લે જ કોઈ કૌટુંબિક વારસદાર ધરાવનારા આપણા એક મૂર્ધન્ય સાહિત્યકારના સાક્ષરજીવનનું એક મહત્ત્વનું પાસું સચવાઈ ગયું છે.

સંપાદકોએ અનુવાદની ગુણવત્તા વિશેની ભાગ્યે જ કોઈ ટિપ્પ્ણી કરી છે. નિષ્ઠાપૂર્ણ સંપાદનની કેટલીક ગૌણ મર્યાદાઓ તેમ જ અનુવાદની એકંદર ગુણવત્તાની તટસ્થ સમીક્ષા અભ્યાસીઓ પાસે અપેક્ષિત છે.

ભગતસાહેબના અનુવાદ તેમ જ સંપાદનકાર્ય વિશે અંગ્રેજીમાં પણ વાંચવા મળે છે. તે શૈલેષ પારેખે લખેલા ખૂબ મહત્ત્વના મૉનોગ્રાફ Niranjan Bhagatનું  સાતમું પ્રકરણ છે.

આ મોનોગ્રાફ આપણા સમયના ગુજરાતના જ્ઞાની કવિ-વિવેચકના જીવન-કવન અને સર્જનકાળનો દુનિયાભરના વાચકોને સર્વગ્રાહી વિશદ પરિચય મળે તે પરિપ્રેક્ષ્યથી લખાયો છે.

ભગત સાહેબ પરનું આ પહેલવહેલું અંગ્રેજી પુસ્તક આ જ વર્ષે સાહિત્ય અકાદમી(દિલ્હી)એ પ્રસિદ્ધ કર્યું છે. તેની કેટલીક પ્રતો શૈલેષભાઈએ રસ ધરાવનાર વાચકો માટે ભેટ તરીકે સાહિત્ય પરિષદના સંકુલમાં આવેલા ‘ગ્રંથ વિહાર’ પુસ્તકભંડારમાં મૂકી હતી.

શૈલેષ પારેખે છેક 2006માં ભગત સાહેબના કાવ્યોનો અનુવાદ કર્યો છે, જે Niranajan Bhagat in English : Sixty Six Poems (ગુજરાતી સાહિત્ય પરિષદ, 2004) નામે પ્રસિદ્ધ થયો છે. તેના  પ્રકાશન અવસરે  23 જાન્યુઆરી 2005ના રોજ  ભગતસાહેબે એક વ્યાખ્યાન કર્યું હતું. 

એ અંગ્રેજી વ્યાખ્યાન વિશ્વસાહિત્યના સર્જકોની અનેક રીતે પડકારરૂપ કૃતિઓના અનુવાદો કરનાર નિરંજન ભગતે અનુવાદ વિશે સિદ્ધાંતચર્ચા તરીકે કરેલું સંભવત: એકમાત્ર જાહેર ઔપચારિક રેકૉર્ડેડ ઉચ્ચરણ છે. તેનો દરેક શબ્દ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક છે.

તે વ્યાખ્યાનના એક અંશનો અનુવાદ પુસ્તકના ચોથા અવરણ પર છે. અનુવાદક નિરંજન ભગત કહે છે :

‘… ઘણું ગુમાવવા છતાં અનુવાદને કારણે ઘણું મળે છે. અનુવાદ એક પડકાર પણ છે અને એક સમાધાન પણ છે … સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ સંપર્ક સાધવાનો, સત્ય કહેવાનો તેમ જ આનંદ, આતંક, વિજય અને વેદના વ્યક્ત કરવાનો છે.

‘તેથી જ દરેક ભાષાના સાહિત્યનો અનુવાદ બીજી બધી જ ભાષાઓમાં કરવો જ પડશે. જેમ વીસમી સદી  વિવેચનની સદી હતી તેમ એકવીસમી સદી અનુવાદની સદી હશે.’ 

‌‌‌‌‌‌—————–‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————————— 

પુસ્તકનાં  પ્રાપ્તિસ્થાન: 

– ગૂર્જર સાહિત્ય ભવન, 070-22144266, 22149260, મો. 9825268759 

– ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.500/- 

30 જુલાઈ 2023
[1000 શબ્દો] 
[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા લેખનો ઉમેરણ સાથેની version]   
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અવિશ્વાસની વધતી ખાઈ : મણિપુરથી સંસદ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2023

રાજ ગોસ્વામી

બે મહિના પહેલાં, આપણે આ કોલમમાં લખ્યું હતું કે, “પૂર્વોત્તર રાજ્યો પ્રત્યે દેશના બાકી ભાગોમાં કેવી ઉપેક્ષા છે તેનું તાજું ઉદાહરણ મણિપુર છે. મણિપુરમાં સ્થાનિક જાતિઓ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઇ છે, પરંતુ તેમને મુખ્ય ધારાનાં મીડિયામાં તેના વિશે કશું જ વાંચવા નહીં મળે. મણિપુરમાં આદિવાસી સમૂહો વચ્ચે હિંસાનાં પગલે લશ્કરે ફ્લેગ માર્ચ કરી છે. ઇમ્ફાલ, ચુરચાંદપુર અને કોંગપોકપીમાં હિંસક ઘટનાઓ પછી રાજ્યના આઠ જિલ્લાઓમાં અચોક્કસમુદ્દતનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે. મણિપુર સરકારે આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાના પગલે 4,000 લોકોએ લશ્કરી અને સરકારી છાવણીઓમાં આશ્રય લીધો છે.

ભારતીય મહિલા મુક્કેબાજ મેરી કોમે ગુરુવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણે વાગે ટ્વીટ કરીને વડા પ્રધાનની મદદ માગી હતી. તેણે લખ્યું હતું, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. મહેરબાની કરીને મદદ કરો.” મેરીએ વડા પ્રધાન મોદી, વડા પ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને હિંસાની તસવીર પણ જોડી હતી.”

અગાઉ લખ્યું હતું તેમ, તાજેતરની ઉશ્કેરણીનું નવું કારણ મણિપુર હાઇકોર્ટનો એ ફેંસલો હતો, જેમાં તેણે બહુમતી (53 ટકા) મૈતેઈ સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ આપવા કહ્યું હતું. તેનાથી કૂકી લોકો અકળાયા હતા અને તેમની એક વિરોધ રેલીમાંથી હિંસાની શરૂઆત થઇ હતી. બંને સમુદાયો વચ્ચેના અવિશ્વાસનો મામલો 1960ના દાયકા જૂનો છે અને સમય સમય પર તેમની વચ્ચે હિંસા થતી રહી છે.

અલગ-અલગ સરકારોએ અલગ-અલગ રીતે આ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કર્યા છે, પરંતુ રાજકીય લાભ લેવાની વૃત્તિ કહો, અણઆવડત કહો, ઉત્તર-પૂર્વના પ્રદેશો તરફ બાકી ભારતની ઉદાસી કહો કે પછી આ ત્રણે બાબતોનો સરવાળો કહો, સરવાળે મણિપુર સળગતું જ રહ્યું છે અને વર્તમાન બિરેન સિંહની સરકારમાં એ આગમાં ઘી હોમાયું છે. આરોપો તો એવા થઇ રહ્યા છે કે બિરેન સિંહની સરકારે આ વખતે મૈતેઈ સમુદાયનો પક્ષ લઈને કૂકી સમાજના લોકોને નિશાન બનવા દીધા છે.

બીજી બાજુ, સરકારનો દાવો એવો છે કે કૂકી લોકો મોટા પ્રમાણમાં ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા છે (કૂકીઓનું મણિપુરના પર્વતીય વિસ્તારોમાં પ્રભુત્વ છે) અને પાડોશી મ્યાનમારમાંથી પણ ઘણા ઘુસણખોરો એમાં મદદ કરી રહ્યા છે. બિરેન સિંહની સરકારે ડ્રગ્સના ધંધા પર અને ઘુસણખોરી પર પંજો કસ્યો છે એટલે કૂકીઓને તે ગમ્યું નથી.

ગમે તે કારણ હોય, પણ મેરી કોમના મણિપુરની એ આગ ન ઠરી અને ઊલટાની એવી વકરી કે કૂકી સમાજની બે મહિલાઓને નગ્ન કરીને સાર્વજનિક રીતે તેમની સાથે બેઈજ્જતીના એક વીડિયો મારફતે એ આગની જાણકારી આખી દુનિયાને થઇ. ભારતની સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપવી પડી કે સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો અમારે કંઇક કરવું પડશે.

વડા પ્રધાન, જે છેલ્લા બે મહિનાથી મણિપુરના મુદ્દે મૌન હતા, તેમણે ચુપ્પી તોડવી પડી અને દેશના લોકોને કહેવું પડ્યું કે આ ઘટનાથી તેમને વ્યથા થઇ છે અને 140 કરોડ લોકોને શરમ અનુભવવી પડી છે. મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય તેમ નથી.

વિરોધ પક્ષો જ નહીં, નાગરિક સમાજના લોકો અને મણિપુરમાં ભા.જ.પ.ના જ નેતાઓએ પણ કહ્યું કે વડા પ્રધાને મણિપુરની હિંસામાં સમયસર પગલું ભરવામાં મોડું કરી દીધું છે. વીડિયો આવ્યા પછી મણિપુરની પોલીસે આ સ્ત્રીઓને નગ્ન કરનાર 7 લોકોની ધરપકડ કરી છે, પરંતુ ત્યાંના મૈતેઈ અને કૂકી સમાજ વચ્ચે વૈમનસ્ય અને અવિશ્વાસની જે ખાઈ પહોળી થઇ છે તે જલદી ભરાવાની નથી.

ઊલટાનું, મણિપુરની ઘટનાના પડઘા પૂરા ઉત્તર-પૂર્વમાં અને દિલ્હીની રાજનીતિમાં પડ્યા છે. નજીકના મિઝોરામમાંથી મૈઈતી સમુદાયના લોકોએ ઉચાળા ભરવાના શરૂ કર્યા છે. મણિપુરની હિંસાના પગલે મિઝોરામમાં ‘આદિવાસીઓ માટે ન્યાય’ની રેલીનું આયોજન થતાં, સોમવારે 1,000 મૈતેઈ લોકો આસામ જતા રહ્યા હતા. આસામ સરકારે સરહદ પર રાહત શિબિરો પણ સ્થાપી છે. બીજી તરફ, ઓલ આસામ મણિપુર સ્ટુડન્ટ એસોસીએશને મિઝો લોકોને આસામ ખાલી કરવાની ધમકી આપતાં દક્ષિણ આસામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શાંતિ માટે સુરક્ષા બળોના તમામ પ્રયાસો છતાં, 26મી તારીખે મ્યાનમાર સરહદે આવેલા એક ગામમાં 30 ખાલી ઘરોને સળગાવી દેવાંમાં આવ્યાં હતા. એ પહેલાં, સુરક્ષા બળોને લઇ જવા માટેની બે બસોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે ઘણી મહેનત કરી છે અને તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે, પરંતુ જાણકાર લોકો કહે છે કે મણિપુરની હિંસાને જો ડામવામાં ન આવી તો કર્યું કારવ્યું ધૂળમાં મળે તેમ છે.

વૈશ્વિક આતંકવાદ પર નજર રાખીને તેનાં સંભવિત જોખમો પર લોકોને અને સરકારોને સાવધ કરવાનું કામ કરતા અમેરિકા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપના 19 જૂનના એક અહેવાલ અનુસાર, મણિપુરના મૈતેઈ અને કૂકી સમુદાયના લોકોના સામાજિક, રાજકીય અને આર્થિક અસંતોષને જો દૂર કરવામાં નહીં આવે, તો આતંકવાદની દૃષ્ટિએ ઉત્તર-પૂર્વ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુઃખાવો બનેલું રહેશે.

અહેવાલ લખે છે, “એવી પૂરી શક્યતા છે કે મણિપુરની અશાંતિ પાડોશી રાજ્યોમાં ફેલાઈ જાય. અન્ય રાજ્યોમાં રહેતા નિરાશ્રિતો ખાવા-પીવા અને આશ્રયોમાં ભાગ પડાવશે અને એથી સ્થાનિક લોકોમાં નારાજગી વધશે. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના સૂચનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ધ્રુવીકરણ ઊભું થયું છે.”

મણિપુરે કેન્દ્રની રાજનીતિમાં પણ આકરું ધ્રુવીકરણ ઊભું કર્યું છે. 18મી જુલાઈએ શરૂ થયેલા સંસદના ચોમાસું સત્ર પર મણિપુર છવાયેલું રહ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી, આખું અઠવાડિયું કોઈ કામકાજ વગર જ પસાર થયું છે. વિરોધ પક્ષોના નવા સંગઠિત ‘ઇન્ડિયા’ મોરચાએ મણિપુર અંગે સંસદમાં ચર્ચાની અને વડા પ્રધાનના નિવેદનની માંગણી કરીને બંને ગૃહોને ઠપ્પ કરી દીધાં હતા. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં એકઠા થયેલાં વિપક્ષી નેતાઓએ નક્કી કર્યું હતું કે ગૃહમાં મણિપુરની ચર્ચા ન થાય અને વડા પ્રધાન નિવેદન ન કરે તો કોઈ કામકાજ થવા ન દેવું.

સરકાર (જો રાજસ્થાન અને બંગાળમાં સ્ત્રીઓ પર અત્યાચારની ચર્ચા પણ કરવામાં આવે તો) મણિપુર અંગે ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ વિરોધ પક્ષો વડા પ્રધાનનું નિવેદન માગી રહ્યા છે, જેના માટે સરકાર તૈયાર નહોતી. મણિપુરનો વીડિયો સામે આવ્યો અને સુપ્રીમ કોર્ટે પણ સખ્ત ટીપ્પણી કરી તે દિવસે સંસદમાં આવતાં પહેલાં, વડા પ્રધાને બહાર પત્રકારો સમક્ષ ઘટનાની ટીકા કરતુ નિવેદન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓની માંગ હતી કે વડા પ્રધાને ગૃહમાં બોલવું જોઈએ. સરકાર આના માટે તૈયાર નહોતી.

છેવટે, 26 પક્ષોના ‘ઇન્ડિયા’ મોરચે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું હતું. 543 સભ્યોના ગૃહમાં, ભા.જ.પ.ની આગેવાની હેઠળના એન.ડી.એ. મોરચા પાસે 330થી વધુ સભ્યો છે, ઇન્ડિયા પાસે 140ની આસપાસ છે અને 60 સભ્યો બંનેમાંથી એકે ય જૂથમાં નથી. દેખીતી રીતે જ, સરકાર આ પ્રસ્તાવ જીતી જવાની છે, પરંતુ વિપક્ષો માટે મુદ્દો એ નથી. તેમને તો મણિપુરના મુદ્દે સરકારને ઘેરવી છે અને એ બહાને ગૃહમાં વડા પ્રધાનનું મોઢું ખોલાવું છે.

સંસદીય લોકશાહીમાં, અવિશ્વાસના પ્રસ્તાવને વિપક્ષોનું હથિયાર કહેવાય છે. પ્રસ્તાવ મારફતે તે સરકારની નિષ્ફળતાની ગૃહમાં ચર્ચા કરે છે અને સરકારે તેનો જવાબ પણ આપવો પડે છે. 1999માં, અટલ બિહારી વાજપેઈની સરકાર એક મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગઈ હતી, પરંતુ ગૃહમાં તેની જે વિસ્તૃત ચર્ચા થઇ હતી તે આજે પણ સંસદીય લોકશાહીના વિધાર્થીઓ માટે અગત્યનો પાઠ છે. 2018માં, આંધ્ર પ્રદેશના મુદ્દે તેલુગુ દેસમ પાર્ટી મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી, જે 199 મતોથી સરકાર જીતી ગઈ હતી.

તે વખતે, પ્રસ્તાવનો જવાબ આપતાં, વડા પ્રધાન મોદીએ કાઁગ્રેસને ટોણો માર્યો હતો, “તમે જરા વધુ મહેનત કરો એવી હું આશા કરું છું, જેથી 2023માં તમને ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો અવસર મળે.”

કાઁન્ગ્રસે તો એના માટે શું મહેનત કરી હતી એ તો ખબર નથી, પણ મણિપુરની બિરેન સિંહની સરકારે તો ચોક્કસ એવી સ્થિતિ સર્જી છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે જે અવિશ્વાસ પેદા થયો છે તે સંસદમાં પણ પહોંચ્યો છે.

લાસ્ટ લાઈન:

“માણસો બ્રિજ ઓછા અને દિવાલો વધુ બનાવે છે.”

— જોસેફ ફોર્ટ ન્યુટન, અમેરિકન ધર્મઉપદેશક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મણિપુર વંશીય હિંસાઃ  ડ્રગ્ઝનો વ્યાપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકીઓની ત્રિરાશીનો ખોટી રકમનો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 July 2023

મણિપુર અગેઇન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સમાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે; તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ થતા અંગૂલી નિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું

ચિરંતના ભટ્ટ

મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની ખેતી અને વ્યાપારને પણ આ જાતિવાદના ખટરાગ સાથે સીધો સંબંધ છે. નાગા, કુકી અને મૈતેઈ જાતિના લોકો વચ્ચેનો હિંસક સંઘર્ષ આજકાલની વાત નથી. ભારતના કેટલાક પુરાણા અલગાવવાદી આંદોલનો મણિપુરમાં થતી હિંસાના મૂળમાં છે, અને છેલ્લા બે દાયકાથી ઉત્તરપૂર્વમાં આ સંઘર્ષ ઘટ્યો પણ છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી જે રીતે સંજોગો વણસ્યા છે તેણે મણિપુરને ભરડામાં લીધું છે. આ વર્ષના પ્રારંભથી જ સતત હિંસક અથડામણો મણિપુરમાં શરૂ થઇ અને મે મહિનામાં મામલો એવો બીચક્યો કે સરકારે ત્યાં પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવી પડી. 

ભૌગોલિક રીતે જોઈએ તો મણિપુરના બે હિસ્સા થાય, ઇમ્ફાલ વેલી અને ડુંગરાળ પ્રદેશો અને ત્યાં જે 60 વિધાનસભા મતવિસ્તારો છે તેમાંથી 40 ઇમ્ફાલ વેલીમાં છે અને બાકીના 20 મતવિસ્તારો 10 અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલા છે. ઇમ્ફાલ વેલીમાં મૈતેઈ જાતિનો ઇજારો છે જે મોટેભાગે હિંદુઓ છે અને ડુંગરાળ જિલ્લાઓમાં નાગા અને કુકી (ચિન, મિઝો અને ઝોમી પ્રજાતિઓ પણ ડુંગરાળ પ્રજાતિઓ છે જે મૈતેઈ સામેના સંઘર્ષનો હિસ્સો છે) આદિવાસી જાતિઓ છે જેમાં મોટભાગના ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. કુકી, નાગા અને મૈતેઈ જાતિઓ વચ્ચેના સંઘર્ષનાં મૂળિયાંમાં કંઇક આવી વાત છે – ડુંગરાળ પ્રદેશના આદિવાસીઓનો દાવો છે કે ઇમ્ફાલ વેલીમાં રહેતા લોકોએ પોતાની રાજકીય ઇજારાશાહી હોવાથી વિકાસ લક્ષી કાર્યો રૂંધ્યા છે તો મૈતેઈ લોકોનો દાવો છે કે તેઓ તેમની પોતાની જ વારસાગત જમીન પર – પ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છીએ અને તેમની સંખ્યા ઘટી રહી છે. તેમને એ વાંધો છે કે તેઓ મણિપુરના ડુંગરાળ વિસ્તારોમાં જમીન નથી ખરીદી શકતા કારણ કે ત્યાં આદિવાસી જાતિઓને વિશેષાધિકાર મળેલો છે અને આ કારણે તેમણે જબરદસ્તીથી માત્રને માત્ર ઇમ્ફાલ વેલીમાં જ રહેવું પડે છે, તેઓ ત્યાં બંધાઈ ચૂક્યા છે.

મૈતેઈ જાતિને આદિવાસી જાતિ – ખાસ કરીને અનુસૂચિક જનજાતિ હોવાનું સ્ટેટસ મળે એ માટે કેટલીક સંસ્થાઓ સતત માગ કરી રહી છે અને તાજેતરમાં ત્યાં હાઈકોર્ટમાં પણ એવી દલીલ કરાઈ કે રજવાડાઓ રાષ્ટ્રમાં ભળ્યા તે પહેલાં મૈતેઈ લોકો આદિવાસી જાતિમાં ગણાતા પણ હવે એ દરજ્જો તેમની પાસે ન હોવાથી તેમને પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જમીનો, ભાષાને સાચવવામાં તકલીફ પડે છે અને માટે તેમને ફરી આદિવાસી પ્રજાતિ હોવાનો દરજ્જો પાછો જોઈએ છે. કુકી અને નાગા આદિવાસી જાતિઓને લાગે છે કે આ માંગથી મૈતેઈ પ્રજાતિને વિધાનસભામાં અને તેના થકી આખા રાજ્ય પર કાબૂ કરવો છે વળી તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો દરજ્જો તો ધરાવે જ છે. મૈતેઈ જાતિ એક સમયે રાજાઓ ગણાતા, તેમના પ્રદેશો પર નાગા જાતિના લોકો લૂંટફાટ કરતા રહેતા અને અંગ્રેજોએ મૈતેઈઓના રાજાઓ સાથે કરાર કરેલા પણ અંગ્રેજો સાથે આ કરવાથી ફાયદા કરતા નુકસાન વધારે થયું. અંગ્રેજોએ મ્યાનમારના કુકીઓને પણ અહીં વસાવ્યા અને તે વખતથી આ ત્રણ જાતિઓ વચ્ચે ચાલતી આવતી ઈજારાશાહી લડાઈ આજે પણ ચાલી રહી છે. મૈતેઈની વસ્તી વધુ હોવા છતાં તે હાંસિયામાં છે તો કુકી વહિવટી તંત્રમાં છવાયેલા છે. જમીન પરનો કબ્જો તેમને આ સંઘર્ષનું બળતણ છે. વળી સ્થળાંતર કરીને આવતા વસાહતીઓને કારણે જંગલની અનામત જમીનો પર ઘુસી રહ્યા છે. આમાં પાછા જે મૂળ મણિપુરનાં છે તેમને જ હાંસિયામાં ધકેલાવું પડે છે, વળી આને લીધે અફીણની ખેતીના પ્રદેશો બદલાય છે અને વિસ્તરે પણ છે.

મણિપુરની આ હિંસામાં જમીન પરના અધિકારોનો પ્રશ્ન તો છે જ પણ ભારત-મ્યાનમાર સરહદે થતો હેરોઈનનો ગેરકાયદે વ્યાપાર આ સંઘર્ષને તીવ્ર બનાવે છે. મણિપુરના ડુંગરાળ પ્રદેશમાં પૉપીની મોટા પાયે ખેતી થાય છે, ખસખસના આ છોડમાંથી અફીણ બને છે અને મણિપુરની સરહદેથી તેનો બેફામ ગેરકાયદે વેપાર ચાલે છે. મણિપુરની હિંસામાં નાર્કોટિક્સ એક ન ટાળી શકાય એવો ભાગ ભજવે છે. જમીનના હકનો ટંટો મોટો થાય છે કારણ કે આદિવાસી પ્રજાતિઓ અફીણની ખેતમાં સંડોવાયેલી છે, તેમનું આર્થિક ગાડું આ નશાના જોર પર ચાલે છે. આ પરિસ્થિતિ વધારે જટિલ બને કારણ કે મ્યાનમાર સશસ્ત્ર શરણાર્થીઓને આ તરફ ધકેલે છે. આતંકી જૂથોને નાર્કોટિક્સના વ્યાપારથી ફાયદો થાય છે અને મૈતેઈ જાતિના લોકો કુકી જાતિના લોકોને આ તમામ માટે જવાબદાર ઠેરવે છે. સ્વાભાવિક છે કે કુકી જાતિના જે લોકો આમાં હિસ્સેદાર નથી તેમને આ ‘લેબલ’ સામે વાંધો હોય જ. ત્યાં શાસક વર્ગ અને વિરોધ પક્ષ વચ્ચેનું રાજકારણ પણ હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં પણ એ મુદ્દો ઊઠ્યો કે મણિપુરના મુખ્ય મંત્રીએ ‘ડ્રગ્ઝ સામેનું યુદ્ધ’ જાહેર કર્યું એમાં સંજોગો ધાર્યા કરતાં વધારે વણસ્યા. વળી અફીણના વ્યાપારના ઇતિહાસ વિશે વિગતવાર લખનારા પ્રસિદ્ધ લેખ અમિતવ ઘોષે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં એમ વાત કરી હતી કે હિંસાનું વિશ્લેષણ થાય ત્યારે અફીણના વ્યાપારને ગણતરીમાં લેવો જ પડે.

મણિપુરમાં નાર્કો-પૉલિટિક્સ જટિલ પ્રશ્ન છે. કુકી આતંકીઓ પાસે મોંઘાદાટ શસ્ત્રો છે (કઈ રીતે લાખોની કિંમતનાં એ.કે. -56 કે એ.કે. – 46 જેવા શસ્ત્રો આ પ્રજાતિઓ પાસે આવે છે જે આર્થિક રીતે સદ્ધર નથી) અને તે મ્યાનમાર, મિઝોરમ અને બાંગ્લાદેશના ગેરકાયદે વસાહતીઓ અને ડ્રગ્ઝના વ્યાપારના પૈસાને કારણે આવ્યા હોવાનું મૈતેઈ રિસર્જન્સ ફોરમનો આક્ષેપ છે. રાજ્ય સરકાર તેના કહેવાતા અભિયાનમાં ડ્રગ્ઝના વ્યાપારમાં સંડોવાયેલાઓની ધરપકડ કરે છે પણ છતાં ય એમ થાય છે કે મોટી માછલીઓ છટકી જાય છે અને સામાન્ય લોકોને આ પણ કઠે છે.

મણિપુર અગેઇન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સમાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે, તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ થતા અંગૂલી નિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું. બિરેન સિંઘના આવાં વલણને કારણે તેમનું અફીણની ખેતી અંગેનું કોઇપણ વિધાન કોમવાદ ભડકાવે છે. મ્યાનમારના વસાહતીઓ જંગલોના નાશ માટે, અફીણની ખેતી અને નાર્કોટિક્સના વ્યાપાર માટે જવાબદાર છે એવું પણ બિરેન સિંઘે કહ્યું છે.

મણિપુર સરકારના સૂત્રો અનુસાર 2017-18 દરમિયાન 18,664 એકરમાં ફેલાયેલા અફીણના ખેતરોનો નાશ કરાયો હતો, જે મોટેભાગે ડુંગરાળ પ્રદેશોમાં હતા. રાજ્ય સરકારની આ કામગીરીને કારણે કુકી, ઝો, ચિન પ્રજાતિઓ ફુંગરાઈ કારણ કે તેઓ પૉપી સિડ્ઝની ખેતી કરીને જ કમાણી કરતા હતા. મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ – ગોલ્ડન ટ્રાયંગલ દેશો – માંથી આવનાર નાર્કોટિક્સ આજકાલ બને છે મણિપુરમાં. મ્યાનમાર અને ચીનની વચ્ચે થતા ડ્રગ ટ્રાફિકિંગમાં તેની આસપાસના વિસ્તારો સંડોવાય અને ત્યાં જ મણિપુર અને બાકીના ઉત્તર-પૂર્વિય ભારતની વાત આવે છે. આ સાબિતી છે કે વાત માત્ર મણિપુર પૂરતી નથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલમાં મણિપુરની સંડોવણીની છે.

મણિપુરમાં વંશવાદી હિંસા, નાર્કોટિક્સનું અર્થતંત્ર, રાષ્ટ્રીય સલામતી અને આંતરરાષ્ટ્રીય આતંકી વ્યૂહરચના આ ચારેય મુદ્દાનું કોકડું એક સાથે ગુંચવાયેલું છે. તેનો ઉકેલ એક દિશામાં વિચાર કરવાથી લાવવો મુશ્કેલ છે.

બાય ધી વેઃ

કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે કે મણિપુરના સરહદી વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે. સરકારે ભારત-મ્યાનમાર પ્રદેશની વ્યૂહાત્મક ગણતરીઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે તેની સાથે એ પણ યાદ રાખવું પડે કે સરહદી ખેલમાં આદિવાસી સપાટામાં ન લેવાય કારણ કે તેમની આર્થિક સ્થિતિ તો બદતર છે જ અને એવામાં બેની લડાઈમાં તેમનો ભોગ લેવાશે તો તેઓ સ્વ-બચાવમાં બમણા જોરથી સામા થશે.  સત્તાધીશો જો મણિપુર, નાગાલેન્ડ અથવા મિઝોરમ જેવા રાજ્યોમાં ચાલતા આંતરિક વિક્ષેપો કે સંઘર્ષનો બહાના તરીકે ઉપયોગ કરીને વંશીય વિભાજન લંબાવશે તો તેની અસરો સારી નહીં હોય. જો પરિસ્થિતિને સમજદારીથી સંભાળવામાં નહીં આવે તો ભારત આ સંવેદનશીલ ક્ષેત્રમાં મોટી ભૂલ કરી બેસશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જુલાઈ 2023

Loading

...102030...1,0051,0061,0071,008...1,0201,0301,040...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved