Opinion Magazine
Number of visits: 9458149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂજારીમાંથી અબજોપતિ

સુરેશ જાની|Opinion - Opinion|15 May 2023

નરેન્દ્ર રાવલ

૧૯૭૪ના તે દિવસે ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રનાં રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ જાય છે, એમ માનવામાં આવે છે, પણ નરેન્દ્ર માટે તો તે જરૂર કલ્યાણકારી હતું. ભુજના સ્વામીનારાયણ ગુરુકૂળમાં ૧૦૦ રૂ.ની ફી માંડ ભરી શકતા નરેન્દ્ર માટે ભાવિક ભક્તો માટે આ સ્તોત્ર વારંવાર ગાઈ, એમાંથી મળતી દક્ષિણાની રકમ   ગાડાનાં પૈડાં જેવડી મોટી હતી.  એ વખતે નરેન્દ્ર પાસે પહેરવાના જોડા પણ ન હતા. એક વખત તો વૈશાખના તાપથી તપેલી જમીન પર ચાલવાના ત્રાસથી છૂટકારો મેળવવા નરેન્દ્રે મંદિરના આંગણામાંથી જોડા પણ ક-મને ચોરવા પડ્યા હતા.

૧૯૬૧માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં જન્મેલા નરેન્દ્રને જીવનના દસ વર્ષ તો કાંઈ તકલીફ પડી ન હતી. પણ કુટુમ્બ આર્થિક ભીંસમાં આવી જતાં તે દારૂણ ગરીબીમાં ફંગોળાઈ ગયો હતો. ભણતાં ભણતાં બ્રાહ્મણ સંસ્કારોને કારણે તેને મંદિરમાં પૂજારીને મદદ કરવાનું કામ મળી ગયું હતું. એમાંથી મળતા પગારના બળથી એનો ગુજારો થઈ જતો અને ઘેર ગામડે પણ તે નાની રકમ મોકલી શકતો હતો.

૧૯૭૮ની સાલમાં ત્યાંથી જ તો તેને કેન્યામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કામ કરવાની તક મળી ગઈ. નરેન્દ્ર નૈરોબી પહોંચી ગયો અને મહિને ૫૦/- $ ના માતબર પગારના જોર પર અડધા પાંદડે થયો! બે ત્રણ વર્ષે વતનની યાદ આવતાં તે દેશ પાછો ફર્યો, પણ મંદિરની નોકરી તો છૂટી જ ગઈ. ૧૯૮૧ની સાલમાં નસીબ અજમાવવા તેણે ફરીથી આફ્રિકા ગમન કર્યું અને નૈરોબીની નજીક આવેલ નકૂરુ ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં પૂજા અને જ્યોતિષના સહારે રોજની ભૂખ ભાંગતો થયો. આ જ અરસામાં તેને કાશ્મીરી બ્રાહ્મણ કન્યા નીતા પંડિત સાથે પરિચય થયો જે પ્રણય અને ૧૯૮૨ માં  લગ્નમાં પાંગર્યો.

પરિણિત વ્યક્તિ સ્વામીનારાયણ મંદિરમાં પૂજાનું કામ ન કરી શકે, આથી નરેન્દ્રને મંદિર છોડવું પડ્યું . પણ એક ગ્રાહકની સહાયથી એને લોખંડના હાર્ડવેર વેચતી એક દુકાનમાં નોકરી મળી ગઈ. એમાંથી હવે એને બચત પણ થવા લાગી.

ધીમે ધીમે નરેન્દ્રના નસીબ આડેનું પાંડડું હટવા માંડ્યું. થોડાક વખત બાદ નૈરોબીના ગિકોમ્બા વિસ્તારમાં તેણે ‘સ્ટીલ સેંટર’ નામની  હાર્ડવેર  વેચવાની પોતાની નાની દુકાન શરૂ કરી. હવે એના ફળદ્રૂપ મગજમાં લોખંડના ધંધાની ગેડ બેસવા લાગી. વ્યાજબી ભાવ અને પ્રામાણિકતાના સબબે એની આવક વધવા માંડી. તેની નજર વધારે મોટા સાહસમાં ઝંપલાવવા દોડવા લાગી. આજુબાજુ રહેતી ગરીબ વસ્તીની દારૂણ હાલત જોઈ તેને થયું કે, લોખંડનાં પતરાં જો સસ્તાં બનાવી શકાય તો એ ગરીબ લોકો ઓછા ખર્ચમાં પોતાનાં ઝૂંપડાં બાંધી શકે.

૧૯૯૨માં જૂના ઘરાકો અને મિત્રો પાસેથી ઉછીની મૂડી અને બેંકમાંથી લોન લઈ નરેન્દ્રે એક ઔદ્યિગિક શેડ ભાડે રાખ્યો અને પતરાં રોલ કરવાનું એક સેકન્ડ હેન્ડ મશીન લોન પર લઈ આવ્યો. એ જ શેડના એક નાના રૂમમાં પતિ પત્ની રહેવા લાગ્યાં અને થોડાક કારીગરો રાખી પતરાં રોલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના છ મહિના તો તેમને પગાર પણ આપી શકાતો ન હતો, પણ એક પ્રામાણિક માણસ અને ગુરુ તરીકે તેની શાખના કારણે માણસો ટકી રહ્યા. નીતા ટ્રક ચલાવીને પેદા થયેલો માલ વેપારીઓના ગોદામમાં પહોંચાડવાનું અને હિસાબ કિતાબ રાખવાનું કામ કરતી હતી. પહેલા છ મહિના તો મોટી કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવું સહેલું ન હતું . માલ ખાસ વેચાતો જ ન હતો અને ગોદામમાં માલનો ભરાવો થતો જતો હતો.

પણ એકાએક લોખંડના ભાવમાં અભૂતપૂર્વ તેજી આવી અને એનો માલ બહુ બહોળા નફા સાથે વેચાવા લાગ્યો. બધું દેવું ચૂકવાઈ ગયું, અને ધંધો હવે પૂરઝડપે પ્રગતિ કરવા લાગ્યો.

બસ … એ ઘડી અને નરેન્દ્રે પાછું વાળીને જોયું નથી. દેવકી સ્ટીલ ઇન્ડસ્ટૃી અત્યારે કેન્યામાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની ગણાય છે. યુગાન્ડા, ઇથિયોપિયા અને કોન્ગોમાં પણ એનાં કારખાનાં ધમધમે છે. એના આ ઔદ્યોગિક સામ્રાજ્યમાં ૪,૦૦૦ લોકો કામ કરે છે. નિવૃત્ત થયેલા એના એક સાથીએ એની સહાયથી સ્ટીલનો વેપાર પણ શરૂ કર્યો છે. સામાજિક સેવાના કામોમાં નરેન્દ્રે લાખો ડોલરનાં દાન કર્યાં છે. નરેન્દ્ર એના જૂના સાથીઓને ભૂલી ગયો નથી. એમાંના ઘણા પણ હજુ એની સાથે છે. એમનાં બાળકોને નરેન્દ્રે શિક્ષણ અપાવ્યું છે. એ બધા એના કુટુંબીજનો જેવા બની ગયા છે.

૨૦૧૮ની સાલમાં તેમના મિત્ર અને સાથી કૈલાશ મોટાના સૂચન અને સહકારથી નરેન્દ્રે ‘ગુરુ’ નામની પોતાની આત્મકથા પણ લખી છે.

 સંદર્ભ –

https://en.everybodywiki.com/Narendra_Raval

http://www.coastweek.com/3837-Kul-Bhushan-Narendra-Raval-From-Priest-Palmist-and-Astrologer-to-Kenyan-Tycoon.htm

https://www.forbes.com/sites/mfonobongnsehe/2015/01/16/the-400-million-man-of-steel-who-said-no-to-africas-richest-man/#114054b25418

Video

https://www.youtube.com/watch?v=Cq8pFgRLkjE

https://www.youtube.com/watch?v=KfPBnTfy0aw

e.mail : surpad2017@gmail.com

Loading

માતા અને માતૃત્વ પર વાંચવા જેવાં પાંચ પુસ્તકો : “અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં” 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 May 2023

નારી શક્તિ પર સાહિત્યમાં જેટલું લખાયું છે એટલું માતૃત્વ પર લખાયું નથી. કદાચ એનું કારણ એ હશે કે માતૃત્વ નારીના અસ્તિત્વનો જ એક ભાગ ગણવામાં આવે છે. આવું વધારે તો ભારતીય ભાષાઓ છે. અંગ્રેજીમાં એવું નથી. ત્યાં માતા અથવા માતૃત્વને લઈને ખૂબ પુસ્તકો છે; ફિક્શન અને નોન-ફિક્શન બંને. આપણે ત્યાં હિન્દીમાં વાર્તાના કેન્દ્રમાં માતા હોય તેવાં પુસ્તકો ઠીકઠીક લખાયાં છે. ગુજરાતીમાં નારી ચેતના પર ઘણું વાર્તા સાહિત્ય છે, પરંતુ માત્ર માતાની ભૂમિકા જ કેન્દ્રમાં હોય તેવું સાહિત્ય ઓછું છે. છતાં, જે પણ લખાયું છે તે સુંદર અને યાદગાર છે. આવો, એવી પાંચ માતાઓ પર નજર નાખીએ :

૧. લોહીની સગાઇ – ઈશ્વર પેટલીકર

પેટલાદ નજીકના પેટલી ગામના ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઉર્ફે પેટલીકરનું નામ આવે એટલે સૌને તેમની સ્ત્રી પ્રધાન કાલજયી નવલકથા ‘જનમટીપ’ યાદ આવે તે સહજ છે. તેમાં ગુજરાતના શ્રમજીવી જ્ઞાતિ સામાજિક સંઘર્ષ અને નાયક-નાયિકાના અંતર સંઘર્ષની કથા છે. પેટલીકરની બીજી એટલી જ મહત્ત્વની ‘લોહીની સગાઇ’ ભારતીય કક્ષાએ ઇનામી ઠરેલી વાર્તા છે.

તેમાં એક માતાના તેની ગાંડી દીકરી સાથેના સંબંધનું માર્મિક ચિત્રણ છે. અમરતકાકી તેનું નામ. તેની એક દીકરી મંગુ જન્મથી જ ગાંડી છે. ગામલોકો તેને ગાંડાના દવાખાને ભરતી કરવાની સલાહ આપે છે. અમરતનો માતૃપ્રેમ કેવો છે તે વાર્તાના પ્રારંભે જ સ્પષ્ટ થઇ છે; “મંગુને ગાંડાનાં દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતા ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એ એક જ જવાબ આપતાં ‘હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’”

ગાંડી દીકરીના લાલનપાલનમાં માની મમતા કસોટીએ ચડે છે. અંતે, ગામમાં એક સ્ત્રી ગાંડપણમાંથી સાજી થઈને આવે છે તેમાંથી પ્રેરણા લઈને અમરત મંગુને દવાખાને મુકવા તૈયાર થાય છે. ઘરે આવ્યા પછી અમરતનનું દિલ મંગુની યાદમાં વ્યથિત રહ્યા કરે છે અને રાત સુધીમાં એ આત્મગ્લાનિ અને પસ્તાવો તેની પર એવો હાવી થઇ જાય કે માતા પોતે જ ગાંડી થઇ જાય છે. પેટલીકરે આ વાત એક યાદગાર અને મર્મસ્પર્શી વાક્યથી રીતે મૂકી હતી; “અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.” આ વાક્ય આજે પણ ગુજરાતી વાચકોના હૈયે વસેલું છે. એક માતા દીકરીની જેમ ગાંડી થઈને તેની ‘નાત’ની થઇ જાય એ કેવો પ્રેમ!

૨. રેત સમાધિ – ગીતાંજલિ શ્રી

ગયા વર્ષે, સાહિત્યના નોબેલ કહેવાતા બૂકર પારિતોષિક મળવાના કારણે જગપ્રસિદ્ધ બનેલી હિન્દી લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા આમ તો એક મધ્યમ વર્ગીય પરિવારની દિનચર્યા, સગાં-સંબંધીઓ, વાદ-વિવાદ, લગાવ-અલગાવ અને ઈચ્છાઓ-સપનાંનું ચિત્રણ કરે છે. એમાં એક દીકરી અને માના સંબંધની આસપાસ વાર્તા ફરે છે. 

નવલકથા 80 વર્ષની એક વૃદ્ધ ચંદ્રપ્રભા વિશે છે. તેના પતિનું અવસાન થઇ ચુક્યું છે. ચંદ્રપ્રભા ડિપ્રેશનમાં આવીને તેના ઓરડામાં ભરાઈ ગયેલી છે. તેનો દીકરો અને દીકરી તેને બહાર લાવવા મહેનત કરે છે. એમાં, પરિવારના આપસી સંબંધો પણ ઉજાગર થાય છે. એક દિવસ અચાનક ચંદ્રપ્રભાને પાકિસ્તાન જવાનો વિચાર આવે છે, અને ખાટલામાંથી ઊભી થઈને જતી રહે છે. બધા તેને શોધે છે, પણ ચંદ્રપ્રભા તેની જૂની યાદો, જૂની જગ્યાઓ અને જૂના સંબંધોની ખોજમાં સરહદ પાર જતી રહે છે. 

ચંદ્રપ્રભા મૂળ પાકિસ્તાનની ચંદા હતી અને ત્યાં તેના વિવાહ અનવર સાથે નક્કી થયા હતા, પરંતુ વિભાજન પછી તે ભારત આવીને ચંદ્રપ્રભા બનીને નવી જિંદગી શરૂ કરે છે. બે સંતાનોની મા, ચંદ્રપ્રભાએ તેનો વર્તમાન તો જીવી લીધો છે, પરંતુ કદાચ અતીત જીવવાનો રહી ગયો હતો. હવે તે પાછી ચંદા બનીને અનવરને શોધવા નીકળે છે. પ્રેમી તરીકે વિખૂટાં પડેલાં બંને મળે છે અને એકબીજાની માફી માંગે છે.

૩. મા – મેક્સિમ ગોર્કી

રશિયન લેખક મેક્સીમ ગોર્કીએ, ૧૯૦૬માં લખેલી ‘મધર’ નવલકથા આજે પણ વિશ્વસાહિત્યની મહાન કૃતિઓમાં ગણાય છે. એમાં એક એવી મહિલાના જીવનની વાત છે જે એક રશિયન કારખાનામાં કામ કરે છે અને ગરીબી તેમ જ ભૂખ સાથે સંઘર્ષ કરે છે. તેનો પતિ શરાબી છે અને તેની મારપીટ કરે છે અને દીકરાની સંપૂર્ણ જવાબદારી માતા પર નાખી દે છે. એ દીકરો પણ પિતાન જેમ શરાબી બની જાય છે પણ અચનાક ક્રાંતિકારી પ્રવૃતિઓમાં સામેલ થઈને જીવન બદલી નાખે છે. આ નવલકથામાં શોષિતોના ઉદ્ધારની અને મજદૂરોની ક્રાંતિની વાત છે. સાથે એક માતાની કરુણાની કથની પણ છે. ગુજરાતીમાં જયા ઠાકોરે ‘મધર’નો સરસ અનુવાદ કર્યો છે.

૪. હજાર ચૂરાશીર મા – મહાશ્વેતા દેવી

અમદાવાદની ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી વિભાગનાં પ્રોફેસર ડો. નિયતિ અંતાણી ‘સાહિત્યસેતું’ સામાયિકમાં લખે છે, “નક્સલવાદીઓનો દાવો હંમેશાં એવો રહ્યો છે કે તેમણે ગરીબ-શોષિત-વંચિત અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવ્યાં છે. સિત્તેરના દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓ પર થયેલું સરકારી દમન એટલું આત્યંતિક અને ઘાતકી હતું કે નક્સલવાદી હોવાના આરોપસર ઘણા નિર્દોષ નવલોહિયા-આશાસ્પદ લોકોને પોલીસે નક્સલવાદી હોવાના આરોપસર ખતમ કરી નાખ્યા. ‘હજાર ચુરાશીર મા’ કથામાં મહાશ્વેતાદેવી એ ગાળાના બંગાળની વાત કરે છે. 1974માં લખાયેલી આ કથાનો વિષય નક્સલ પ્રવૃત્તિમાં સામેલ પુત્રના મૃત્યુ પછી પ્રવૃત્ત થતી માતાનું છે. તેનો નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. પિતા બાપ તેને ઓળખવાથી આઘો રહે છે પણ સુજાતા (મા) પાછી પડતી નથી.

5. માય લાઈફ ઇન ફૂલ – ઈન્દ્રા નૂઈ

12 વર્ષ સુધી પેપ્સીકોમાં સી.ઈ.ઓ. રહેનાર પ્રથમ ભારતીય મહિલા ઈન્દ્રા નૂઈની ‘માય લાઈફ ઇન ફૂલ’ આમ તો એક મહિલા તરીકે અમેરિકાની કોર્પોરેટની દુનિયામાં તેમની પ્રગતિની કથા છે, પરંતુ એક દીકરી તરીકે તેમની જીવનયાત્રામાં તેની માતાની ભૂમિકા શું હતી અને એક માતા તરીકે તેમની બે દીકરીઓનાં જીવનમાં ખુદની ભૂમિકા શું હતી તેનું સુંદર વર્ણન કર્યું છે. તેનો એક નાનકડો સુંદર કિસ્સો ઈન્દ્રાએ લખ્યો છે :

શુક્રવારે મોડી રાત સુધી હું ઓફિસમાં હતી. ડલાસથી સ્ટિવ(પેપ્સીકોના CEO સ્ટિવ રેઇનમન્ડ)નો ફોન આવ્યો કે મને પેપ્સીકોની પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે અને બોર્ડમાં સામેલ કરશે. હું સાતમા આસમાને પહોંચી ગઈ. ફટાફટ ઘરે જવા નીકળી. 10 વાગવા આવ્યા હતા. શિયાળાની રાતમાં રોડ સૂમસામ હતા. હું કિચનના દરવાજેથી ઘરમાં આવી અને ટેબલ પર મારી ચાવીઓ અને બેગ મૂકી.

મને બધાને સમાચાર કહેવાનું એક્સાઈટમેન્ટ હતું. ત્યાં મારી મા આવી. “એક જોરદાર સમાચાર છે,” હું લગભગ ચીસ પાડી બોલી.

“સમાચારને રાખ બાજુએ,” મા બોલી, “પહેલાં બહાર જા અને દૂધ લઇ આવ.”

હું ચાવી ઊઠાવીને કારમાં બેઠી અને એક માઈલ દૂર સ્ટોપ એન્ડ શોપમાંથી એક ગેલન દૂધ લઈ આવી. હું પાછી કિચનમાં આવી ત્યારે ગુસ્સામાં તમતમી ગયેલી હતી. મેં દૂધની બોટલ ધડામ કરતી ટેબલ પર પટકી.

“મને આજે જ પેપ્સીકોની પ્રેસિડેન્ટ બનાવવામાં આવી છે, અને તને સમાચાર સાંભળવાની ફુરસત નથી,” હું જોરથી બોલી.

“સાંભળ,” મા બોલી, “તું પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉ કે ગમે તે, તું જ્યારે ઘરે આવે ત્યારે પત્ની છું, માતા છું, દીકરી છું. ઘરમાં તારી જગ્યા બીજું કોઈ ના લે, એટલે ઘરે આવતી વખતે પેલો પ્રેસિડેન્ટનો મુગટ ગેરેજમાં મૂકીને આવજે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 14 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માઈન્ડ ટ્રેપ્સ : ઊલઝનેં અપની બનાના, આપ હી ફંસના

સોનલ પરીખ|Opinion - Opinion|15 May 2023

માઈન્ડ ટ્રેપ્સ એટલે આપણા જ મન-મગજના પ્રપંચો, જે આપણને વિચારવામાં, નિર્ણય લેવામાં ભૂલો કરાવે છે. આપણને એવું લાગતું હોય છે કે આપણા વિચારો પર આપણું નિયંત્રણ છે અને આપણે મુક્તપણે નિર્ણય લેવા સક્ષમ છીએ. પણ આપણું જ મન આપણને ફસાવતું હોય, ગોટાળે ચડાવતું હોય અને આપણને એની ખબર પણ ન હોય એવું બને છે 

સોનલ પરીખ

સ્કૂલમાં ભણતા ત્યારે હિંદીમાં એક કાવ્ય આવતું જેમાં માણસ ચંદ્રની દયા ખાય છે કે તારું તો કેવું છે, રોજ આકાર બદલવાનો, કોઈ સ્થિરતા જ નહીં. ત્યારે ચંદ્ર કહે છે, ‘તું મારી નહીં, તારી પોતાની ચિંતા કર, કેમ કે તું તો એવો છે કે, ‘ઊલઝને અપની બનાકર આપ હી ફંસતા ઔર ફિર બેચૈન હો હંસતા ન રોતા હૈ’ આ કાવ્યના કવિને ખ્યાલ હોય કે નહીં, પણ એ આજે જેને લઈને ખૂબ સંશોધનો થઈ રહ્યા છે એ ‘માઈન્ડ ટ્રેપ્સ’ની વાત કરી રહ્યો છે.

માઈન્ડ ટ્રેપ્સ એટલે આપણા જ મન-મગજના પ્રપંચો, જે આપણને વિચારવામાં, નિર્ણય લેવામાં ભૂલો કરાવે છે. આપણને એવું લાગતું હોય છે કે આપણા વિચારો પર આપણું નિયંત્રણ છે અને આપણે મુક્તપણે નિર્ણય લેવા સક્ષમ છીએ. પણ આપણું જ મન આપણને ફસાવતું હોય, ગોટાળે ચડાવતું હોય અને આપણને એની ખબર પણ ન હોય એવું બને છે.

જરા નિરીક્ષણ કરો – ‘હું સફળ નહીં થાઉં’ કે ‘એ ગોટાળા જ કરશે’ એવું ભવિષ્યકથન, માણસને સારો કે ખરાબ એવા બે અંતિમો પર જ જોતું બ્લેક એન્ડ વ્હાઈટ થિંકિંગ, ‘એને મારા માટે સમય જ નથી’ જેવું માઈન્ડરિડિંગ, ‘એણે મારા સામું જોયું નહીં, મારી કોઈ ભૂલ થઈ હશે’ જેવું ઝટપટ તારણ, ‘તું હંમેશાં ખોટું જ બોલે છે’ જેવું અતિસામાન્યીકરણ, નકારાત્મકતા તરફ ઢળી જવું, ટાળવું, લેબલિંગ, જજમેન્ટલ થવું, લાગણીઓને તર્ક પર સવાર થવા દેવી, નાની વાતને વધુ મહત્ત્વ આપી દેવું, ‘આમ ન કર્યું હોત તો’ જેવા પસ્તાવા – આ બધામાંથી આપણે રોજ, વારંવાર પસાર નથી થતા?

મનોવિજ્ઞાન આને માઈન્ડ ટ્રેપ્સ, થિંકિંગ એરર્સ, નેગેટિવ ઓટોમેટિક થોટ્સ કે અનહેલ્પફુલ થોટ્સ કહે છે. એને કારણે મન એકાગ્ર થઈ શકતું નથી, થાકે છે, અટવાય છે. એને લીધે વિચારો અસ્પષ્ટ, ધૂંધળા થાય છે, સમય-શક્તિ વેડફાય છે, મન દુ:ખી, આળું, શરમિંદગી અનુભવતું કે ભયભીત થાય છે. સતત આવું ચાલે તો થાક, અનિદ્રા, ભૂખ ચાલી જવી, ટટ્ટારપણું ગુમાવવું, મુશ્કેલી ઊભી થાય એવું કરી બેસવું આવું પણ થાય છે. જિંદગી એની મઝા ગુમાવી બેસે છે. આજની ઝડપી અને સ્પર્ધાત્મક જીવનશૈલીમાં આવા અવરોધ પોસાય નહીં. એનાં મૂળ આપણા જ મનમાં છે એ સમજીએ અને જરા સતર્ક રહીએ તો તેનાથી મુક્ત થઈ જવાનું એટલું અઘરું પણ નથી.

એક વીડિયો ક્લિપ આ વાતને વાર્તારૂપે સમજાવે છે : એક યુવાન, જેને આપણે આનંદ કહીશું. એ એક દિવસ એક પાર્ટીમાં જાય છે અને મિત્રોના આગ્રહથી વધારેપડતી મીઠાઈ ખાઈ લે છે. આરોગ્ય વિશે સભાન હોવા છતાં એ મનને રોકી શક્તો નથી. આ છે ‘કોગ્નેટિવ ડિસોનન્સ’. માનવું કંઈક ને કરવું કંઈક બે વિરોધી મૂલ્યો વચ્ચે ખેંચતાણ થાય અને તમે તમારાં મૂલ્યો કે વિચારથી વિરુદ્ધ વર્તો ત્યારે એક જાતની અસહાયતાનો અનુભવ થાય છે. આવા વખતે મૂલ્યો અને વર્તનની સંવાદિતા જાળવી લેવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

એક દિવસ આનંદથી શર્ટ પર ચા ઢોળાઈ. એ ખૂબ હીણપત અનુભવવા લાગ્યો કે લોકોએ જોયું, બધા કેવું માનશે. આને સ્પૉટલાઈટ ઈફેક્ટ કહે છે. આપણા દેખાવ કે કાર્ય પર લોકો જે ધ્યાન આપતા હોય તેને આપણે ઑવર-એસ્ટીમેટ કરતા હોઈએ છીએ. હકીકત એ છે કે મોટા ભાગના માણસો પોતાની દુનિયામાં મસ્ત હોય છે, કોઈ કંઈ જુએ તો ય તરત ભૂલી જતું હોય છે માટે આપણે સહજ રહેવું.

ખરીદી કરવા જઈએ ત્યારે આપણે ‘એન્ક્રોચિંગ બાયસ’નો ભોગ બનતા હોઈએ છીએ. આનંદ પોતાના દીવાનખંડ માટે નવો સૉફા ખરીદવા ગયો. સેલ્સમેને તેને પહેલા 95,000 રૂપિયાનો સૉફા બતાવ્યો. આનંદને એ એટલો ગમી ગયો કે અન્ય સૉફાને તે આ સૉફા સંદર્ભે જ વિચારવા લાગ્યો. તેનું બજેટ 25 હજારનું હતું છતાં તેણે 45,000નો સૉફા ખરીદ્યો અને છતાં તેને લાગ્યું કે મને ફાયદો થયો. મોટા સ્ટોર કે મોલના તાલીમ પામેલા સેલ્સ પર્સન્સ આ ટેકનિક ખૂબ અજમાવે છે અને લોકો બજેટ બહાર ખરીદી કરીને પણ ખુશ થાય છે! મગજ ઠેકાણે રાખો, માહિતીને બરાબર સમજેલા રહો અને પહેલા મળેલી માહિતીને નિર્ણય પર હાવી ન થવા દો.

એક સમારંભમાં આનંદને દિવ્યા મળી અને એ ‘હાલો ઈફેક્ટ’નો શિકાર બન્યો. તે દિવ્યાના સૌંદર્યથી એટલો પ્રભાવિત થઈ ગયો કે એને એની ખામીઓ દેખાઈ જ નહીં. આવું બધા સાથે થાય છે. નોકરી માટેના ઈન્ટરવ્યૂમાં આવું ખૂબ થાય છે. સારા દેખાવનો, સારા બેકગ્રાઉન્ડવાળો કે પ્રતિષ્ઠિત કૉલેજમાંથી આવતો ઉમેદવાર આવે ત્યારે ઈન્ટરવ્યૂ લેનારા પહેલેથી જ ધારી લે છે કે આ યોગ્ય ઉમેદવાર છે. લગ્ન માટે પાત્ર જોતી વખતે પણ આ થાય છે. આઈક્યૂ સારી હોય તેની ઈક્યૂમાં ઠેકાણાં ન હોય, સુંદર કન્યા અભિમાની હોય, સારું કમાતો છોકરો લુચ્ચો હોય. ભણેલી વ્યક્તિ શિથિલ ચારિત્ર્યની હોય, સ્માર્ટ ઉમેદવાર કામચોર હોય એવું બને. આનાથી બચવા માટે દરેક લક્ષણને સ્વતંત્ર રીતે તપાસવાની ટેવ પાડવી. એકના આધારે બીજું કલ્પી ન લેવું અને ઉપરછલ્લી બાબતો પરથી ધારણા ન બાંધવી.

આનંદ એક વાર એ.ટી.એમ.માંથી પૈસા લેવા ગયો અને ડેબિટકાર્ડ ત્યાં જ ભૂલી આવ્યો. આ છે બ્લુમા ઝિગાર્નિક ઈફેક્ટ. મગજનું એવું છે કે કામ પૂરું થાય એટલે એ ડિલિટ બટન દબાવી દે. આનંદનું મગજ પૈસા લેવા પર એકાગ્ર હતું. એ મળ્યા ત્યાં સુધીનું દરેક સ્ટેપ એણે બરાબર લીધું પણ મળી ગયા પછી કાર્ડ રહી ગયું. આની શોધ એક રશિયન સાયકૉલોજિસ્ટે કરી હતી. એ એક રેસ્ટોરાંમાં જમવા ગયો. એણે નોંધ્યું કે મોટા અને જટિલ ઑર્ડર વેઈટરોને બરાબર યાદ રહેતા હતા, પણ જેવી વાનગીઓ અપાઈ જાય, તેઓ એ ભૂલી જતા હતા. વેઈટરો સર્વ કર્યા પહેલા બધું નોંધી લે છે તેમ એ.ટી.એમ.માં જઈએ ત્યારે પૈસા લેતા પહેલા કાર્ડ લઈ લેવાની ટેવ પાડવી જોઈએ.

રજાના દિવસે આનંદને થયું ફિલ્મ જોઉં. એણે લેપટોપ ખોલ્યું. ફિલ્મ પસંદ કરવા માટે 15 મિનિટ બ્રાઉઝ કર્યું. ફિલ્મ નક્કી કરી, જોઈ. બહુ મઝા ન આવી. આ છે પેરાડોક્સ ઑફ ચોઈસ. દૂરદર્શન પર અઠવાડિયે એક ફિલ્મ બતાવાતી ને આપણે રાજી થઈને જોતા. દુકાનોમાં જતા ત્યારે સીમિત વિકલ્પોમાંથી પસંદ કરી લેતા. હવે ઓનલાઈન શોપિંગ હોય કે ફિલ્મની પસંદગી – ખૂબ વિકલ્પો છે. એને લીધે નિર્ણય લેતા વાર લાગે છે. મગજ થાકે છે ને છેલ્લે અયોગ્ય પસંદગી થઈ જાય છે. ખૂબ વિકલ્પો હોવા તે સારી બાબત છે પણ તેનાથી અનિર્ણયાત્મકતા, એંક્ઝાયટી અને અંતે અસંતોષ પણ આવે છે. આનાથી બચવા વિકલ્પો અને પસંદગીની મૂંઝવણ વચ્ચે બેલેન્સ રાખવું.

આ માહિતી ડેનિયલ કાહનેમનના ‘થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો’ નામના પુસ્તકમાંથી લીધી છે. તેઓ કહે છે, ‘વિચારવાની બે પદ્ધતિ છે : ફાસ્ટ અને સ્લૉ. ફાસ્ટ સિસ્ટમ સ્ફૂરણા અને લાગણીઓ પર આધાર રાખે છે, સ્લૉ સિસ્ટમ સજાગતા અને તર્કથી કામ લે છે. આ સિસ્ટમો આપણા અભિપ્રાય ને નિર્ણય પર અસર કરે છે ને જો ગાફેલ રહીએ તો પૂર્વગ્રહના શિકાર બનીએ છીએ ને ભૂલ કરીએ છીએ. જો આપણે માઈન્ડ ટ્રેપ્સ વિશે જાણતા હોઈએ તો સ્પષ્ટ, એકાગ્ર અને યોગ્ય પરિપ્રેક્ષ્યવાળા બનીએ. આપણા ઋષિઓએ ભલે બીજા સંદર્ભમાં પણ ક્યારનું કહ્યું જ છે, ‘મન એવં મનુષ્યાણાં કારણ બન્ધમોક્ષયો’.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ઍપ્રિલ 2023

Loading

...102030...1,0051,0061,0071,008...1,0201,0301,040...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved