Opinion Magazine
Number of visits: 9735919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 March 2026

શું લિંકનનો અશ્વેત મુક્તિનો સંગ્રામ અને આંબેડકરનો દલિતોદ્ધારનો સંકલ્પ એક જ સંવેદનાની બે કડીઓ છે?

એક તો ટ્રમ્પાઈટિસ, ને એમાં ઉમેરાયો મુવો એસ્પ્ટિનાઈટિસ – બેઉના દોર ને શોર વચાળે ફેબ્રુઆરીનો બ્લેક ઇતિહાસ માસ, એની કકળતી આંતરડીનો ઝીણો અવાજ બચાડો ક્યાં ય દબાઈ ગયો … અને હવે હિંદ આંગણે ને બીજે એપ્રિલનો દલિત ઇતિહાસ માસ દસ્તક દઈ રહ્યો છે. શી ખબર, એની ઝીણીતીણી ચીસ ને ટીસ કશેક પણ પાધરી પહોંચશે કે કેમ.

પ્રકાશ ન. શાહ

બ્લેક હિસ્ટ્રી મન્થ એ અમેરિકી-કેનેડા આદિની એક ધીંગી પરંપરા છે, જેને હમણાં જ એક સૈકો પૂરો થયો. ફેબ્રુઆરી 1809માં લિંકનનો જન્મ અને ફેબ્રુઆરી 1818માં ફ્રેડરિક ડગ્લાસનો. આ ડગ્લાસ બાળપણમાં દક્ષિણ અમેરિકા રાજ્યમાં ધરાર ગુલામીમાં ઉછરેલ જણ, ભોગજોગે એ ગુલામીનું પાંજરું તોડી ખુલ્લાણમાં આવ્યો ને દક્ષિણ પેઠે ગુલામીમાં નહીં રાચતા ઉત્તર અમેરિકામાં કોળ્યો. સમતાલક્ષી વક્તા તરીકે એણે હાંસલ કરેલી મહારત હેરત અંગે જ હતી – ને ન્યૂયોર્કની ગોરી વસ્તી, ઓય મા, એક ગુલામની આ સિદ્ધિ, એમ એના પર ફિદા ફિદા હતી. 

લિંકન-ડગ્લાસની સ્મૃતિ સાંકળીને 1926થી હર ફેબ્રુઆરીમાં બ્લેક હિસ્ટ્રી મન્થ મનાવવાનો અને એ મિશે આફ્રિકન-અમેરિકન અધિકારોની સભાનતા કેળવવાનો ને એકંદર સમાજમાં સમસંવેદન જગાવવાનો ચાલ શરૂ થયો.

લિંકનથી ઓબામા વાયા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એમ જાડી રૂપરેખા આપણે જાણીએ છીએ, પણ આફ્રિકી-અમેરિકી તબકો વ્યાપક સમાજમાં પૂરા કદનો સમાસ પામે એ માટે સહૃદયતાની કેળવણીની કેવીક કુમક કથિત રાજકીય ફિરકાઓની બહારથી મળી રહી છે, એનો અંદાજે અહેસાસ છે આપણને? છેક 1852માં હેરિયર બીચર સ્ટોની કલમે ‘અંકલ ટોમ્સ કેબિન’ અવતરી અને એણે ગોરા અમેરિકી ચિત્તને સંવેદનાએ ઝંઝેડી નાખ્યું. અમેરિકી સિવિલ વૉરમાં લિંકનની સિદ્ધિ (અને દુર્નિવાર શહાદત) ફલવતી બને એની ભોંય ટોમકાકાની કહાણીએ કેળવી હતી.

પણ કમબખ્ત રેસિસ્ટ હેંગઓવર, એ તો ઊતરતાં દાયકાઓ શું સૈકો આખો કે એથીયે વધુ વખત લે. આ લખું છું ત્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’નો ખાસો એક સૈકો ને લટકામાં લગભગ દસકો થયે જ્હોન હાવર્ડ ગ્રિફિનની કલમે આલેખાયેલ ‘બ્લેક લાઈક મી’ (‘મો સમ શ્યામ’) ધારાપ્રવાહ વાંચ્યાનું સાંભરે છે. મેં, જેને રિપોર્ટર્સ જર્નલ કહી શકાય તેવી આ હપ્તાવાર દાસ્તાં ત્યારે એક આનાના અંગ્રેજી દૈનિક ‘ફ્રી પ્રેસ જર્નલ’ની રવિવારી ‘ભારત જ્યોતિ’માં વાંચેલી. ગોરા ગ્રિફિન મશાયને શું સૂઝ્યું કે એમણે કેમિકલ સહાયથી ચહેરો કાળો કીધો અને દક્ષિણનાં રાજ્યોમાં જ્યાં હજુ અલાયદા વાડાની રેસિસ્ટ રસમ જડબેસલાક જેવી હતી ત્યાં કાળી વસ્તી વચાળે રહીને તેમ ત્યાંના ગોરાઓ વચ્ચે કાળા હોવું તે શું એનો જે જાતઅનુભવ લીધો એની આ દાસ્તાં છે. 

પહેલાં તો, એ કહે છે, મારી સામે તકાતી ગોરી નજરનોંધણીથી હું પ્રીછતો થયો કે ‘હેઈટ સ્ટેર’ (ઘૃણા ને તિરસ્કારે રવરવતી નજરનો ધણી) શું છે. એક વિલક્ષણ જો કે દર્દનાક જોક પણ ક્યાંક નોંધી’તી ગ્રિફિને- મેં જ્યાં પ્રવેશ હોય એવા કેથલિક ચર્ચ વિશે પૃચ્છા કરી તો કાળી વસ્તીમાંથી સાંભળવા મળ્યું કે ભલા ભાઈ, પહેલાં તો તને ધોરણસરની યુરિનલની સોઈ મળે એને સારુ પ્રાર્થના કરી શકે તોયે ઘણું!

ગ્રિફિને બસમાં એક ગોરા બાનુ વાસ્તે જગ્યા ખાલી કરવાનો વિવેક કર્યો તો એક પા સાથી આફ્રિકી-અમેરિકી ઉતારુઓની ખફગી આવી પડી ને બીજી પા પેલાં બાનુ બીજા ગોરાઓને કહેતાં સંભળાયાં કે મુઆ કાળાયે કેવા દોઢડાહ્યા થાય છે.

‘બ્લેક લાઈક મી’ની આ તો એક ઉપલક ઝલક માંડ છે. પાંચ-છ વરસ પર ફ્લોઈડની ઘટના બની અને બ્લેક લાઈફ મેટર્સ એ ઝુંબેશ શરૂ થઈ ત્યારે આ જ શીર્ષ પંક્તિ લઈ લખાયેલી ગવાયેલી એક રચના મિકી ગાયટનના કંઠે ખાસી ઊંચકાઈ હતી : If you think we live in the land of the free / you should try to be black like me. (તમને જો એમ લાગતું હોય કે તમે ખરેખર આઝાદ માણસો માટેના મુલકમાં રહો છો તો જરા મારી પેઠે કાળા બનવાની કોશિશ કરો, અને -)

આપણે ત્યાં અને દેશ બહાર પણ દલિત સંઘર્ષ અને આત્મસ્થાપન સારુ પ્રતિમાપુરુષ રૂપે ઉભરેલ આંબેડકરના જન્મ માસ એપ્રિલને દલિત ઇતિહાસ માસ તરીકે ઊજવવાની કોશિશ હમણે હમણે નજર સામે આવે છે : આ જ એપ્રિલમી 11મી ફુલે જયંતી છે જેમ 14મી તે આંબેડકર જયંતી છે. પ્રજાસત્તાક બંધારણનો પ્રકલ્પ ને સંકલ્પ પાર પાડવામાં અગ્રભૂમિકા સારુ આંબેડકરનું સુપ્રતિષ્ઠ હોવું, દલિતનું દલિત હોવું ને સૌ સવર્ણ પેઠે નાગરિકમાં સ્થપાવું, એ કોયડો ઉકેલવામાં ઉપયોગી થઈ પડે એવો ઇતિહાસનુસખો છે. ગાંધીએ આંબેડકરનું નામ કેમ સૂચવ્યું હશે એનો તરત જડતો જવાબ કદાચ એ હોઈ શકે કે જોડાનો પહેરણહાર સ્તો જાણે છે કે એ ક્યાં ડંખે છે. લોકશાહીની વ્યાખ્યાની રીતે આ પ્રયોગ સોજ્જો છે. પણ ચંદુ મહેરિયાએ એક સ્મૃતિ નિબંધમાં ઉપસ્થિત કરેલો તીવ્ર મુદ્દો સાંભરે છે – જોડો છે જ ક્યાં કે ડંખે. દેશજનતાએ સ્વરાજને નાતે કેટલું મોટું અંતર કાપવાનું છે એનું આ યક્ષદૃષ્ટાંત છે.

બને કે દલિત ઇતિહાસ માસ વિશે એપ્રિલમાં વધુ લખવાનુંયે થાય, હમણાં તો આવાં ઉજવણાં બેઉ છેડાની કામગીરી બજાવે છે જેમ આરતી જેની ઊતરે છે અને જે ઉતારે છે, તે બેઉને આલોકિત કરે છે તેમ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  11 માર્ચ 2026

Loading

પ્રતિબંધિત જગત

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 March 2026

રવીન્દ્ર પારેખ

શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી હોય કે સરકારી, બિન શૈક્ષણિક ઈરાદાઓ માટે ખપમાં લેવાતી થઈ ગઈ છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો માટેના અખાડાની જેવી છે. આ અખાડાઓ કોલેજો, યુનિવર્સિટીઓ સુધી વિસ્તર્યા છે. કોણ જાણે કેમ પણ શૈક્ષણિક સંસ્થાઓએ સ્વમાન ગુમાવી દીધું હોય, તેમ ખુશામતખોરોથી ભર્યું પડ્યું છે. રાજકીય નેતાઓની, મંત્રીઓની કદમબોશી એ જ જીવન છે, એવું લગભગ બધા જ અધિકારીઓ, શિક્ષણશાસ્ત્રીઓએ સ્વીકારી લીધું છે ને ‘સાહેબો’ને રાજી કરીને રાજી રહેવાનું પટાવાળાથી માંડીને પ્રોફેસરો સુધીના સમજી ગયા છે. યુનિવર્સિટી સુધી રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક શિક્ષણ પહોંચ્યું છે ને તેનો સીધો ઈરાદો રાજકારણીઓને પ્રસન્ન રાખવાનો જ છે. સરકારો બદલાવા માટે હોય છે, પણ કેટલીક સરકારો અનંતકાળ સુધી ચાલવાની હોય તેમ સત્તાના કેફમાં બધું કબજે કરવામાં માને છે, પણ સમય તો સમયનું કામ કરે જ છે ને ઘણી વખત તો તે એટલી  ક્રૂરતાથી કરે છે કે બચાવની કોઈ જ તક નથી રહેતી.

કેટલીક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં જુદા જુદા પ્રવેશ નિમિત્તે વિધાયકો, સાંસદો કે મંત્રીઓ રાજકીય પ્રચાર કે ધાર્મિક કાર્યક્રમો માટે દાખલ પડી જતાં હોય છે. સ્કૂલો ખાનગી હોય કે સરકારી, એમાં બહુ ફરક પડતો નથી. આવી વાત દક્ષિણનાં રાજ્યોનાં ધ્યાન પર વહેલી આવે છે. તમિલનાડુ સરકારે ખાનગી સ્કૂલોનાં કેમ્પસમાં રાજકીય તેમ જ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારનું માનવું છે કે શૈક્ષણિક કેમ્પસમાં બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. કેમ્પસ શિક્ષણ માટે જ સુરક્ષિત હોવું જોઈએ. શિક્ષણ વિભાગે 2 માર્ચે સરકારી આદેશ બહાર પાડ્યો, જેમાં તમિલનાડુએ પ્રાઇવેટ સ્કૂલ (રેગ્યુલેશન) નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનો હેતુ સંસાધનોનો ઉપયોગ શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે ના થાય તે સુનિશ્ચિત કરવાનો છે. એ હિસાબે સ્કૂલ સિવાયની કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સ્કૂલની કોઈ પણ જગ્યાનો ઉપયોગ રાજકીય કે ધાર્મિક કે ચોક્કસ વિચારધારાના પ્રચાર માટે નહીં કરી શકે. આ પ્રતિબંધ સ્કૂલ સમય પછી, શનિ-રવિ, જાહેર રજા કે વેકેશનમાં પણ લાગુ રહેશે. એનું આશ્ચર્ય જ છે કે આ પ્રતિબંધ બીજા કોઈએ નહીં, પણ સરકારે-તમિલનાડુ સરકારે મૂક્યો છે.

પ્રતિબંધ દરેક વખતે સારી બાબત નથી, પણ ક્યારેક તે અનિવાર્ય બને છે. કર્ણાટક ભારતનું પહેલું એવું રાજ્ય છે, જે 16 વર્ષથી નીચેની ઉમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ 17મું બજેટ રજૂ કરતી વખતે 16 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર કાબૂ કરવાની જાહેરાત કરી હતી. એ સાચું છે કે 16થી નીચેની વયનાં બાળકોને મોબાઈલનો અમર્યાદ ઉપયોગ કરતાં રોકવા અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના ઈલાજ તરીકે આ પ્રતિબંધ લાગુ કરવા તરફ કર્ણાટક સરકાર જઈ રહી છે. આવું એટલે જરૂરી છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાની વધી રહેલી લતને કારણે બાળકોનાં સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય, શીખવાની ક્ષમતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પર અસર પડી છે. સરકારનું માનવું છે કે બાળકો નાની ઉંમરથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. એકસપર્ટસનું માનવું છે કે ખૂબ જ વધારે સ્ક્રિન ટાઈમનો ઉપયોગ બાળકોની ધ્યાન આપવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. સોશિયલ મીડિયાથી ડિજિટલ એડિકશનનું જોખમ વધે છે અને ઓનલાઈન કન્ટેન્ટથી માનસિક અને ભાવનાત્મક અસર થઈ શકે છે ને તે સાથે જ સાઈબર બુલીંગ અને ઓનલાઈન ફ્રોડની શક્યતાઓ વધે છે. સિદ્ધારમૈયાએ યુનિવર્સિટીના કુલપતિ સંમેલનમાં આ અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી.

એ જ રીતે શુક્રવારે એન.ડી.એ.ની આંધ્ર સરકારે 13 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો પર, સોશિયલ મીડિયા સંદર્ભે પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. એટલે કે એક જ દિવસે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્વા બે રાજ્યો – આંધ્ર અને કર્ણાટક – આગળ આવ્યાં છે. ઉંમરમાં ફરક રાખ્યો છે. આંધ્રમાં 13 વર્ષે જ્યારે કાઁગ્રેસની કર્ણાટકી સરકારે 16 વર્ષે, બાળકો પર, સોશિયલ મીડિયા પર, પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. આંધ્રના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ 13ની ઉંમર 16 સુધી લઇ જવાની વાત પણ કરી છે. નાયડુએ તો ત્યાં સુધી કહ્યું છે કે 90 દિવસની અંદર જ 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તેની અમે ખાતરી કરીશું. બંને રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે ટૂંક સમયમાં જ નવા નિયમો લાગુ કરી દેવાશે.

કર્ણાટકે તો બાળકો માટે ટેકનોલોજી શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી છે. રાજ્યમાં AI બેઝ્ડ લર્નિંગ સિસ્ટમ હેઠળ ધોરણ 8થી ધોરણ 12 સુધીનાં બાળકોને આવરી લેવામાં આવશે. કર્ણાટક સરકારે એવી સિસ્ટમ વિકસાવી છે, જે અંતર્ગત 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપી શકાશે. એક તરફ 1૩ અને 16થી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પર, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાય છે અને બીજી તરફ 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજી શિક્ષણ આપવાની વાત પણ કર્ણાટક સરકાર કરી રહી છે, આ વિચિત્ર નથી લાગતું?

એ ખરું કે બેન્ગલુરુના રહેવાસી મનોહર એન. એચે પ્રતિબંધને મામલે એવું કહ્યું છે કે તે સારી વાત છે, પણ તેનો અમલ કરવાનું મુશ્કેલ થશે. તો, મધરહૂડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. સરિતા નાગરાજે રાજ્યની પ્રતિબંધ મૂકવાની વાતને બિરદાવી છે. આનાથી બાળકોની, કિશોરોની આરોગ્ય વિષયક હતાશા, ચિંતા, ઊંઘ જેવી સમસ્યાઓ હળવી થશે. આ પ્રતિબંધથી બાળકોની એકાગ્રતા અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો થવાની વાત પણ છે. આવું ભારતમાં જ છે, એવું નથી. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાનાં ક્મ્યુનિકેશન અને ડિજિટલ અફેર્સ મંત્રાલયે જાહેર કર્યું છે કે 16 વર્ષથી નીચેનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. U-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક સહિતનાં પ્લેટફોર્મ્સને નોટિસ બજાવાઈ છે. ઇન્ડોનેશિયા સરકારે નવો નિયમ બનાવી લીધો છે ને તે 28 માર્ચથી અમલમાં આવે એવી ધારણા છે. દરેક સોશિયલ મીડિયાને તાકીદ કરાઈ છે કે 28 માર્ચ પહેલાં 16 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિનાં એકાઉન્ટ્સ બંધ કરે. આમ પણ બાળકો પર સાઈબર  બુલીંગ, પોર્નોગ્રાફી, ઓનલાઈન છેતરપિંડીનું જોખમ છે જ, એ જોતાં આ પ્રતિબંધ અનિવાર્ય ગણાય.

એક વાત બહુ સ્પષ્ટ છે કે બાળકો અને તેના વાલીઓનો સ્ક્રિન ટાઈમ વધતો જ આવે છે. કેટલાંક ઘરોમાં સોશિયલ મીડિયામાં બાળક તો ઠીક, માબાપ પણ મોબાઈલમાં એવાં વ્યસ્ત હોય છે કે દુનિયા જોડે વાત કરવામાં ઘરની વ્યક્તિઓ વચ્ચે જ કંઇ કોમ્યુનિકેટ નથી થતું. મોબાઈલે દુનિયા ઘરમાં લાવી મૂકી છે, પણ ઘર, બહાર રહી ગયું છે. આ વધતા સ્ક્રિન ટાઈમે બાળકો પર એવી પકડ જમાવી છે કે પ્રતિબંધ એ જ એકમાત્ર ઉપાય બચતો હતો. આંધ્ર અને કર્ણાટકે તો પ્રતિબંધ મૂક્યો, પણ અન્ય રાજ્યો શાંત છે, તો એમ માનવાનું છે કે તે રાજ્યોમાં કોઈ જોખમ નથી? જોખમ છે, પણ રાજ્યો તેને નજર અંદાજ કરતાં હોય એમ બને. ક્યાં તો આ બધું કોઠે પડી ગયું છે અથવા તો તેમને, તેમનાં બાળકોની ચિંતા નથી. કમ સે કમ અન્ય રાજ્યોની દેખાદેખી પણ 16 વર્ષથી ઓછી વયનાં સંતાનો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું કરે.

 કર્ણાટકમાં પ્રતિબંધ મુકાયો છે તો આવું પણ સામે આવે છે – બેન્ગ્લુરુની વિશ્વશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને આઈ.આઈ.ટી.ની તર્જ પર ડેવેલપ કરવા 500 કરોડનું ફંડ જાહેર થયું છે. એમાં પહેલે વર્ષે જ 100 કરોડ ફાળવી દેવાશે. પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટે બે હજાર ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પણ કર્ણાટકના મુખ્ય મંત્રીએ જાહેરાત કરી છે. એક તરફ 16થી નીચેનાં બાળકો પર  સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત છે, તો બીજી તરફ આઈ.આઈ.ટી. ડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવવાની વાત છે. આ બંને એકબીજાના પૂરક નથી જણાતાં. આંધ્રના મુખ્ય મંત્રીએ પ્રતિબંધ માટે 13 વર્ષ કે 16 વર્ષની મર્યાદા રાખવી એ માટે ઘણી મથામણ પછી 13 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે ને આ પ્રતિબંધ 90 દિવસમાં લાગુ કરવાનું ઠરાવ્યું છે. જો કે, વયમર્યાદા 16 વર્ષ કરવાનું પણ વિચારાઈ રહ્યું છે.

હવે પ્રતિબંધિત જગતમાં જીવવાનું છે, પણ સાચું તો એ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે 16થી નીચેના પર આખા દેશમાં પ્રતિબંધ મુકાવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 માર્ચ 2026

Loading

મા કસમ !

અશોક કરણિયા|Opinion - Opinion|8 March 2026

છેલ્લા થોડા દિવસોથી, મારા ઘરની નજીકના ટ્રાફિક સિગ્નલ પર મને કેટલાક નવા ચહેરા દેખાતા હતા.

તેમાં એક ઉત્સાહી કિશોરી હતી, અને તેના બે નાનાં ભાઈ-બહેન. તેઓ નાનકડાં રમકડાં અને વસ્તુઓ લઈને લાલ સિગ્નલ થતાં કારોની વચ્ચે ફરતાં.

એક સાંજે તે મારી કારની બારી પાસે આવી, અને પૂછ્યું કે શું હું રમકડું ખરીદીશ ?

મેં નમ્રતાથી કહ્યું, કે મને તેની જરૂર નથી.

Ahaan અને Ignite સાથેના મારા કામને કારણે, મને આવાં બાળકોની પરિસ્થિતિ વિશે થોડું સમજાયું છે. તેથી મેં તેને પૂછ્યું કે શું તે ભણે છે ?

“હા,” તેણે કહ્યું.

તે દસમા ધોરણમાં હતી. તેનાં ભાઈ-બહેન સાતમા અને પાંચમા ધોરણમાં હતાં.

મેં પૂછ્યું કે જ્યારે તેની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે તે રસ્તા પર શા માટે છે.

તે શાંતિથી બોલી : “મારી પરીક્ષા કાલે છે. હું ભણી ચૂકી છું. હું મારી મમ્મીને પૈસા કમાવવામાં મદદ કરી રહી છું.”

તેના જવાબમાં કંઈક એવું હતું કે હું થોડો નિ:શબ્દ થઈ ગયો.

મેં પૂછ્યું : “તું સાચું કહી રહી છે? આ તારી મમ્મી માટે છે?”

તેણે મારી આંખોમાં જોઈને કહ્યું : “મા કસમ.”

માતાના નામે કસમ — બાળક આપી શકે એવી સૌથી મોટી કસમ.

મેં તેને થોડા પૈસા આપ્યા.

તેણે તરત જ માથું હલાવ્યું.

“ના. તમને કંઈક લેવું પડશે.”

મેં કહ્યું કે ચાલશે.

પણ તે આગ્રહ કરતી રહી.

“હું આમ પૈસા લઈ શકું નહીં. તમને રમકડું લેવું પડશે.”

દાન નહીં.

ફક્ત વિનિમય.

ફક્ત માન.

મેં રમકડું લઈ લીધું.

ત્યારે જ સિગ્નલ લીલું થયું અને ટ્રાફિક આગળ વધવા લાગ્યો.

હું આગળ વધતો હતો ત્યારે મેં તેનું નામ પૂછ્યું.

તે બોલી : “મંજુલા.”

e.mail : ashokmkarania@gmail.com

Loading

...9101112...203040...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved