કવિ પ્રહલાદ પારેખે (કવિતાની?) પરબનું ગીત લખ્યું છે –
“હું તો બેઠી પરબ એક માંડી કે પાણીડાં કોણ પીશે?
લીલા લીમડાએ છાંયડી ઢાળી કે પાણીડાં કોણ પીશે?
આજ હૈયે છે કામના જાગી કે પાણીડાં કોણ પીશે?
કોઈ આવીને નીર લિયે માંગી કે પાણીડાં કોણ પીશે?”
વૃત્તાંત 1માં જણાવ્યા પ્રમાણે તાળાબંધીની શરૂઆતથી 1 જૂન 2020 સુધી રોજ, મેં પણ મારી વૉટ્સ ઍપની પરબમાંથી,એક કાવ્ય ગાન સ્વરૂપે મોકલ્યું – સાથે તે કાવ્ય અંગેની અને તે કાવ્યના સ્વરાંકન અંગેની મારી સમજ પ્રમાણેની મારી નોંધ પણ ખરી. હું ક્યારે ય મળ્યો ન હોઉં અને જેમને ઓળખતો પણ ન હોઉં તેવી પણ અનેક વ્યક્તિઓએ સંદેશાઓ અને ફૉન દ્વારા મારી આ વહેંચણીથી તેમને મળેલાં આશ્વાસન અને આનંદ મને પહોંચાડ્યાં.
“અનલોકડાઉન” શરૂ થવાનું હતું એના આગલા દિવસે મેં નરસિંહથી શરૂ કરીને અત્યાર સુધીની, ક્યાંક સૂફી મિજાજ હોય કે ક્યાંક જીવન જીવવાની અમૂલી રીત વ્યક્ત થતી હોય અને આહિર ભૈરવ રાગથી શરૂ કરીને ભૈરવીમાં સમાપ્ત થાય અને સમાન તાલમાં ગાઈ શકાય તેવી, રચનાઓ વહેંચી અને મારી “ભજનયાત્રા”માં સૌને સામેલ કર્યા –
આવું વિશ્વભરમા અન્યત્ર ક્યાં થયું હશે તેની મારી શોધ મને માઈકલ ઈગ્નેશીએફના પુસ્તક “On Consolation” પાસે લઇ ગઈ. ઈગ્નેશીએફ કેનેડાના ઉદારમતવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા, ઇતિહાસવિદ્દ, હાર્વર્ડ અને ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં પ્રૉફેસર અને અનેક પુસ્તકોના લેખક છે. તેમણે અનુભવ્યું કે કોરોના સમયમાં કલાકારો, કવિઓ અને લેખકો લોકોનાં ભય, ચિંતાઓ, તણાવોમાં રાહત આપવાનું કામ કરતા હતા. હૉલેન્ડના રોટરડેમ જેવાં શહેરમાં કોઈને વિચાર આવ્યો કે વિશ્વભરના કલાકારો બીથોવનની સિમ્ફની ઑનલાઇન પ્રસ્તુત કરે જેમાં દરેક કલાકાર પોતપોતાના દેશમાં પોતાને ઘેર હોય. ઑનલાઈન હોવા છતાં સૌએ અજબ તાલમેલ જાળવ્યો. કોઈક કવિએ ફેસબૂક પર કાવ્યપાઠ કર્યો તો કોઈએ પિયાનોવાદન રજૂ કર્યું. અપાર પીડામાં જાતને આશ્વસ્ત કરવા કલાનો સહારો લઈને થયેલાં ઐતિહાસિક સર્જનો પર પુસ્તક લખવાનો ઈગ્નેશીએફને વિચાર આવ્યો. તેના પરિણામરૂપે આ પુસ્તકમાં પુત્રીના અકાળ અવસાન સમયે અભિવ્યક્ત થયેલી સિસેરોની પીડાની વાત છે; તો કવયિત્રી આના આખ્માતોવાએ, લેનિનગ્રાદમાં ક્રેસ્ટો જેલમાં કેદ તેના પુત્રને મળવા માટેની પ્રતીક્ષાની પળોમાં અનુભવેલી અનિશ્ચિતતા અને તેનાં કાવ્યોમાં વ્યક્ત વેદના પણ આપણે ઈગ્નેશીએફનું આ પુસ્તક વાંચીને અનુભવી શકીશું. પાશ્ચાત્ય સંગીતના ખ્યાતનામ સ્વરકાર ગુસ્તાવ માહલર ઉપરના પ્રકરણમાં બીથોવનનો એક હૃદયદ્રાવક કિસ્સો છે. 1804માં વિયેનામાં ડોરોથી વૉન એર્ટમૅન નામની યુવા પિયાનોવાદક પોતાના ત્રણ વર્ષના પુત્રને ગુમાવીને ઊંડા માનસિક દબાવમાં હતી. બીથોવન એને મળવા એને ઘેર ગયો અને ત્યાં લગભગ એક કલાક એવું પિયાનોવાદન કર્યું કે ડોરોથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બીથોવન કાંઈ જ બોલ્યા વગર ડોરોથીનો હાથ વાત્સલ્યથી દાબીને નીકળી ગયો. એ પછી ડોરોથીએ એક પત્રમાં કોઈને જણાવ્યું હતું કે તે દૈવી સંગીત હતું અને જાણે કે પ્રકાશના વિશ્વમાં ગાંધર્વો તેના પુત્રને આવકારી રહ્યા હતા! નરસિંહરાવ દીવેટિયાનું “મંગલ મંદિર ખોલો” આવી જ વેદનામાંથી અવતરેલું ને! માહલરે પોતાના સંતાનને ગુમાવ્યાનું દુઃખ 1901થી 1904ની વચ્ચે પાંચ ગીતોમાં વ્યક્ત કર્યું. છેલ્લા ગીતમાં પોતાને આ માટે દોષિત માનતા એ કહે છે –
“In this weather, in this storm
I should never have let the children out”
( https://youtu.be/YFXKSsAs5HY )
બાલમુકુન્દ દવેનું “સોનચંપો” ગીત યાદ આવશે જ –
“રંકની વાડીએ મો’ર્યો સોન રે ચંપાનો છોડ
અમને ન આવડ્યાં જતનજી”
કોરોના સમયે અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત કરવી પડી હતી. લોકશાહીના ત્રીજા સ્તંભ સમી અદાલતો ચાલે જ નહીં તે તો ન ચાલે એમ વિચારીને તમામ રાજ્યોની વડી અદાલતોએ ટેક્નોલોજીની સહાય લઇ ઑનલાઇન સુનાવણી શરૂ કરી. ગુજરાત હાઈકૉર્ટે આખા ભારતમાં પહેલ કરી અને અદાલતો ઑનલાઇન ચાલે તે માટે અથાગ જહેમત ઊઠાવી. આરંભની મુશ્કેલીઓ બાદ આ વ્યવસ્થા સૌને એવી તો કોઠે પડી ગઈ કે 2021 ઑગસ્ટમાં જ્યારે પ્રત્યક્ષ સુનાવણી પુન: શરૂ કરાઈ ત્યારે સૌએ ઑનલાઇન સુનાવણી બંધ ન કરવા વિનંતી કરી. કાયદાનું શાસન – Rule of Law – તે લોકશાહીનો પાયો છે. ન્યાયતંત્ર સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા – access to justice – તે આ નિયમનું એક પાસું છે. ન્યાયપ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગના પ્રણેતા અને પ્રચારક, યુ.કે.ની સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના ટેક્નોલોજી અંગેના સલાહકાર અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રૉફેસર રિચર્ડ સસકિંડના પુસ્તકે આંખ ખોલી નાખી – “Online justice and Future of Courts”. ન્યાયતંત્ર લોકશાહીનો આધાર છે, પણ ન્યાયપ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે. પ્રૉફેસર સસકિંડ એમ કહે છે કે સામાન્ય માણસ સુધી ન્યાયવ્યવસ્થા પહોંચે તે માટે માટે ટેક્નોલોજી શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતાના આ પુસ્તકમાં એ ફ્રાન્ઝ કાફકાના “The Trial”માંથી માર્મિક રીતે ટાંકે છે –
“Before the law stands a gatekeeper. A man from the country comes to this gatekeeper and requests admittance into the law. But the gatekeeper says that he cannot grant him admittance right now … The man from the country had not expected such difficulties; after all, he thinks, the law should be accessible to everyone at all times.”
ગુજરાત હાઇકૉર્ટે કાર્યવાહીનું યુટયૂબ ઉપર જીવંત પ્રસારણ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. ઑનલાઇનનો ફાયદો એ થયો છે કે પક્ષકાર ઘેરબેઠા પોતાના કેસની કાર્યવાહી નિહાળી શકે છે.
વકીલાત પણ કળા કહેવાય છે – Advocacy is an Art. વર્ષો પહેલાં અમેરિકાના પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી રિચાર્ડ પૉઝનરનું પુસ્તક “Law and Literature” વાંચ્યું હતું. પૉઝનરે એમાં સૂચવ્યું હતું કે વકીલાતના અભ્યાસક્રમમાં એક વિષય – Law and Literature – ફરજિયાત હોવો જોઈએ. દલીલો જો સાહિત્યિક હોય તો તે કવિતાની જેમ જ કર્ણમધુર લાગે છે. સંસ્કૃતમાં સારા કવિતાપાઠ માટે જે કહેવાયું છે તે વકીલાતમાં દલીલોને પણ લાગુ પડે છે –
येडपि शब्दविदो नैव नैव चार्थ विचक्षणा:|
तेषामपि सतां पाठ: सुष्ठु कर्णरसायनं||
(જેઓ અર્થ જાણતા નથી તેમ જ અર્થ કરવામાં વિચક્ષણ નથી તેમને માટે પણ સારા માણસોએ કરેલો (કાવ્યનો) પાઠ કર્ણરસાયન બને છે.)
લોકોનાં મન કોરોનાને કોરે મૂકીને રચનાત્મક રીતે પરોવાયેલાં રહે તે માટે અમેરિકાની ખ્યાતનામ (પણ ખૂબ ઊંચી ફી લેતી) હાર્વર્ડ યુનિવર્સિટીએ કેટલાક વિષયો ઓનલાઇન વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું. એમાં ચાર અઠવાડિયા માટે એક વિષય શૅકસપિયરના જીવન અને સર્જનની ઝલક ઉપર હતો. કહે છે કે અમેરિકાની સુપ્રીમ કૉર્ટના લગભગ 750થી વધુ ચુકાદાઓમાં શૅક્સપિયરનું કોઈ ને કોઈ વાક્ય ટાંકવામાં આવ્યું છે. ભારતની અદાલતોના ચુકાદાઓમાં અને ઘણા વકીલોની દલીલોમાં પણ શૅક્સપિયરના ઉદ્દગારો સંભળાય છે. વકીલો માટે તો એણે ‘હેન્રી સિક્સ્થ’ નાટકમાં લખેલું જ કે “The first thing we do, let’s kill all the lawyers”. આ ઉપરાંત ટ્રેડમાર્ક ઉપરના કેસોમાં “What’s in a name?” (રોમિયો અને જુલિયેટ) કે સામા પક્ષની દલીલોમાં તથ્ય નથી તેવું કહેવા “Sound and fury, signifying nothing” (મૅકબેથ) જેવાં વાક્યો અમે અવારનવાર સાંભળ્યાં છે. “મર્ચન્ટ ઑફ વૅનિસ” તો લેણદાર-દેવાદાર વચ્ચેના કેસોમાં અવારનવાર કરારના અર્થઘટન માટે વપરાય છે. નાની પાલખીવાલાએ કટોકટીકાળ સમયે, તે પહેલાં અને પછી આપેલાં પ્રવચનોમાં “મૅઝર ફૉર મૅઝર” નાટકનો આ સંવાદ સત્તાના દુરુપયોગ માટે અર્થસભર રીતે વણી લીધેલો – “It is excellent To have a giant’s strength, but it is tyrannous to use it like a giant”. 600 વર્ષ ઉપરાંતથી જે સર્જક વિશ્વભરમાં સૌથી વધુ ભજવાતો હોય તેને માત્ર ચાર અઠવાડિયામાં તો કઈ રીતે સમજી શકાય? પણ મારા વકીલાતના વ્યવસાયને વધુ રસિક બનાવવા શેક્સપિયરના સર્જનાત્મક આકાશ ભણી એક નજર કરવા મારા મનની બારી ઊઘાડવાનું નક્કી કર્યું. અમેરિકાના વકીલ અને કાયદાના શિક્ષક ડૅનિયલ કૉર્નસ્ટેઇનનું પુસ્તક “Kill all lawyers? Shakespeare’s Legal Appeal” વાંચ્યું, માણ્યું અને ધન્ય થયો. શૅક્સપિયરનાં નાટકોમાં કાયદાને સ્પર્શતી બાબતો કેમ આવે છે તે સમજી શક્યો. તેણે પોતાના સમયમાં પણ ન્યાયપ્રક્રિયામાં વિલંબ જોયેલો. પોતે અનેક કેસો કરેલા અને અનેક કેસો તેની સામે થયેલા. ગોપનીયતાનો અધિકાર, કાયદાનું સમાન રક્ષણ, ઘાતકી અને બિનપ્રમાણસર સજા(ગુનાના પ્રમાણમાં સજાનું ઘણું વધારે પ્રમાણ), વ્યક્તિસ્વાતંત્ર્ય જેવા, કાયદા સાથે નિસબત ધરાવતા, અનેક વિષયો શૅક્સપિયર કેટલી સરળતાથી પોતાનાં નાટકોમાં ગૂંથી લે છે તે વિચારથી જ હું અભિભૂત થઇ ગયો. સહેજ રમૂજ કરું? – હવે બસ શૅક્સપિયરને ક્વૉટ કરી શકું એવા કેસો આવવાની રાહ જોઉં છું!
આમ જ, ઑનલાઇન દલીલો કરવાનો ને ઑનલાઇન કાવ્યસંગીત પીરસવાનો સહિયારો આનંદ મેં માણ્યો. કેટલાક કાર્યક્રમો અહીં સાંભળી શકાશે –
જીવંત કાર્યક્રમોથી વિરુદ્ધ અહીં મૂંગી દાદ મળતી હતી. મનોજ ખંડેરિયાએ કહ્યું છે –
“એ બની રહી આજ પર્યન્ત મારી સર્જકતાનું બળ
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે?”
છેલ્લે મારે વાત કરવી છે ચાર્લી મૅકેસીના આ પુસ્તકની – “The Boy, the Mole, the Fox and the Horse”. ગ્રાફિક રીતે લખાયેલા સચિત્ર પુસ્તકમાં છછુંદર, શિયાળ અને ઘોડો એક બાળકનાં પ્રવાસનાં મિત્રો બને છે તેની વાત છે. આખું પુસ્તક – તેની પાછળનો વિચાર, તેની પ્રસ્તુતિ બધું જ – નિતાન્ત સુંદર છે. તેમાં ઘોડા અને બાળક વચ્ચે જીવનમાં ટકી રહેવા માટે મનોબળ પૂરું પાડતા સંવાદ છે –
“We have a long way to go” sighed the boy.
“Yes, but look how far we’ve come,” said the horse
“This storm is making me tired,” said the boy.
“Storms get tired too,” said the horse, “so hold on.”
સાહિત્ય- સંગીત-ફિલ્મો માણતા માણતા ને વકીલાત કરતા કરતા હું ટકી રહ્યો હતો. કોરોનાનું તોફાન પણ થાક્યું હતું, શમવા લાગ્યું હતું.
(સમાપ્ત)
[પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જુલાઈ 2023; પૃ. 41-44]
e.mail : amarbhatt@yahoo.com