કૉલેજોમાં સતત આંતરિક મૂલ્યાંકન એવી નવી પદ્ધતિ અપનાવતાં પહેલાં વિદ્યાર્થીઓની હાજરી, અધ્યાપકોને કરવી પડતી બાંધછોડ, એકંદર વિદ્યાકીય ઇચ્છાશક્તિ જેવાં પાસાં ધ્યાનમાં લેવા જરૂરી છે.
ચૌદમી અૉગસ્ટના અખબારી અહેવાલો મુજબ ગુજરાત યુનિવર્સિટીએ આર્ટસ, કૉમર્સ, સાયન્સ અને લૉ કૉલેજોના વિદ્યાર્થીઓના ઇન્ટર્નલ માર્કસ એટલે કે યુનિવર્સિટીનાં પરિણામના હિસ્સા તરીકે કૉલેજે આપવાનાં ત્રીસ ઇન્ટર્નલ માર્ક માટેની પદ્ધતિ બદલવાનો નિર્ણય લીધો છે. હવે વીકલી ટેસ્ટ,એમ.સી.ક્યુ. ટેસ્ટ, અસાઇનમેન્ટ અને હાજરી દ્વારા ઇન્ટર્નલ માર્કસ આપવામાં આવશે. અત્યાર સુધી કૉલેજો પચાસ માર્કનાં પ્રશ્નપત્ર સાથેની બે કલાકની એક આખી પરીક્ષા લેતી. તેના પછી યુનિવર્સિટીની પરીક્ષા લેવાતી. કૉલેજે લીધેલી પરીક્ષામાં દરેક પેપરમાં મેળવલાં ગુણને પચીસ માર્કમાંથી મેળવેલાં ગુણમાં ફેરવીને તેમાં વિદ્યાર્થીની હાજરી માટેના પાંચમાંથી ગુણ ઉમેરી કુલ ત્રીસ માર્કમાંથી આંતરિક ગુણ યુનિવર્સિટીને મોકલતી. યુનિવર્સિટીનું પ્રશ્નપત્ર સિત્તેર માર્કનું હોય છે. કૉલેજની પરીક્ષા તેમ જ હાજરીના કુલ ત્રીસમાંથી મેળવેલા માર્ક અને યુનિવર્સિટીની સિત્તેર માર્કની પરીક્ષામાંથી મેળવેલા માર્ક એમ સો માર્કમાંથી રિઝલ્ટ આપવામાં આવતું. એટલે કે કોઈ વિદ્યાર્થિનીએ કૉલેજની પચાસ માર્કની પરીક્ષાના કોઈ એક પેપરમાં ત્રીસ માર્ક મેળવ્યા હોય તો તેના પચીસમાંથી પંદર માર્ક થાય. તેને હાજરીના પાંચમાંથી ચાર માર્ક મળ્યા હોય તો તેના ત્રીસમાંથી ઓગણીસ ઇન્ટર્નલ માર્ક થાય. પછી યુનિવર્સિટીની પરીક્ષામાં તેને સિત્તેરમાંથી પિસ્તાળીસ માર્ક મળે તો તેના સોમાંથી કુલ માર્ક ચોસઠ થાય.
નવી પદ્ધતિ મુજબ, સત્રને અંતે કૉલેજે લેવાની બે કલાકની પચાસ માર્કની પરીક્ષા હવે નીકળી જાય છે. તેને બદલે ‘સતત મૂલ્યાંકન’ (કન્ટિન્યુઅસ ઍસેસમેન્ટ) પદ્ધતિ અપનાવવાની છે. ત્રીસ માર્ક માટેનાં આંતરિક મૂલ્યાંકન માટેની આ નવી પદ્ધતિનું માળખું ચૌદમી તારીખના ‘ટાઇમ્સ ઑફ ઇડિયા’માં આ મુજબ આપવામાં આવ્યું છે : એક સેમિસ્ટરમાં દરેક વિષયના દરેક પ્રશ્નપત્રમાં બે અઠવાડિક કસોટી (વીકલી ટેસ્ટ) માટે દસ માર્કનો ગુણભાર, પાંચ માર્કના ગુણભાર માટે એક મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન (એમ.સી.ક્યુ.) અથવા ઑનલાઇન પરીક્ષા, દસ માર્કના ગુણભાર માટે પાંચ અસાઇનમેન્ટ અને પાંચ માર્કના ગુણભાર માટે વિદ્યાર્થીની વર્ગોમાં હાજરી.
ગુજરાત યુનિવર્સિટી (ગુ.યુ.) મૂલ્યાંકન પદ્ધતિમાં ઉપર મુજબનો ફેરફાર રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના પરિપત્રને આધારે કરી રહી છે. ફેરફાર કરવા માટેનો પેડેગૉજિક (અધ્યયન-અધ્યાપન સંબંધિત) કે ઍકેડેમિક હેતુ, નવમી ઑગસ્ટના આ પરિપત્રમાં, બિલકુલ સ્પષ્ટ થતો નથી. સાદા શબ્દોમાં કહીએ તો સરકારે આ ફેરફાર માટેનું કોઈ ધોરણસરનું કારણ જ આપ્યું નથી. સરકારે પોતાની કૉલેજો માટે ફરજિયાત બનાવેલી આ પદ્ધતિ પણ ગુજરાત યુનિવર્સિટીએ પણ સ્વીકારી લીધી છે. આ નિર્ણય બાબતે, સરકાર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે ફરક એટલો જ છે કે ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ-ચાન્સલરે નવી પદ્ધતિ અપનાવવા માટેનું કારણ ‘ટાઇમ્સ’ને આ મુજબ જણાવ્યું છે: ‘સરકારે બધી યુનિવર્સિટીઓને આ પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્દેશ કર્યો છે. પહેલાં પરીક્ષા લેવામાં એક મહિનો જતો હતો. તેને સેમિસ્ટર દરમિયાન શૈક્ષણિક દિવસો ગુમાવવા પડતા હતા.’
સૈદ્ધાન્તિક ભૂમિકાએ સતત મૂલ્યાંકન પદ્ધતિ ઉત્તમ છે. પણ આપણાં કૉલેજ શિક્ષણની વાસ્તવિકતા વચ્ચે તેના અમલીકરણની દૃષ્ટિએ અસંમતિના ઘણા મુદ્દા છે. આવા પાયાના ફેરફાર પહેલાં જે અભ્યાસ થવો જોઈએ તે થયો હોવાનું જણાતું નથી. સરકારે કૉલેજ શિક્ષણના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા-વિમર્શ કર્યો હોવાનું જાણમાં નથી. આ મહત્ત્વનો નિર્ણય, સરકારે લગભગ 140 દિવસનાં સેમિસ્ટરમાં, વર્ગશિક્ષણ શરૂ થઈ ગયા પછી છેક સાઠમા દિવસે લીધો. વળી, આ લખાય છે ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી, કે નથી એના માટે આચાર્યોની બેઠક બોલાવી. આ અંગેની માહિતી અખબારોના સમાચારમાં વિવિધ વર્ઝન થકી મળી છે. આવા નિર્ણયની જાણ આટલી મોડી કરવામાં સત્તાવાળાઓએ એમ ધારી લીધું છે કે કૉલેજોને નવી પદ્ધતિ માટે વર્ગો, સમયપત્રક, વર્ગશિક્ષણની તરેહ જેવી બાબતોમાં આયોજનની કોઈ જરૂર જ નથી પડતી.
એ વાત સાચી છે કે વીકલી ટેસ્ટ વિદ્યાર્થીઓને ભણતાં રાખે છે અને અસાઇનમેન્ટસમાં તેમની શિક્ષક સાથેની આપ-લે વધી શકે છે. પણ આ બંને બાબતો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર રહેતાં હોય. હકીકત એ છે કે અનેક કૉલેજોમાં વર્ગમાં બેસતાં વિદ્યાર્થીઓની સંખ્યા માંડ પચાસ ટકા હોય છે. જ્યાં એક ડિવિઝનમાં સો કરતાં વધારે વિદ્યાર્થીઓ નોંધાયેલા હોય તે કોલેજ શિક્ષણમાં હાજરી પરાપૂર્વથી એક સમસ્યા છે. નિયમ મુજબ કૉલેજોમાં એંશી ટકા હાજરી ફરજિયાત હોય છે, તે વિના વિદ્યાર્થી પરીક્ષામાં બેસવાને અપાત્ર ઠરે છે. આ નિયમનું ભાગ્યે જ પાલન થાય છે. આર્ટસ, કૉમર્સ અને સાયન્સ કૉલેજોનાં સ્નાતક સ્તરનાં શિક્ષણનું વર્ષો જૂનું ઓપન સિક્રેટ છે. કૉલેજોમાં હાજરીના નિયમનું ચુસ્તીથી પાલન કરવું એ અધ્યાપકથી માંડીને વાઇસ-ચાન્સલર સુધી સહુ માટે બહુ મુશ્કેલ છે. તેનાં કારણો અનેક છે. આપણે ત્યાં ઉપર્યુક્ત ત્રણ વિદ્યાશાખાઓના કૉલેજ શિક્ષણ તરફ જોવાનું એકંદર વલણ મોળું છે. કેમ કે, તેમાં મેડિસીન, ટેકનોલોજિ, કમ્પ્યુટર કે પ્રોડક્શન ક્ષેત્રે રહેલી વિદ્યાશાખાઓની સરખામણીમાં સ્પર્ધા અને ભણતર પછી રોજગારીની તકો ઓછી છે. તદુપરાંત, કૉલેજનાં દરેક વર્ષનાં દરેક વિદ્યાર્થીના દરેક વર્ગની હાજરી મુજબ સેમિસ્ટરને અંતે પાંચમાંથી માર્ક મૂકવા એ ખૂબ સમય-શક્તિ-આયોજન માગી લેનારું કામ હોય છે. ખૂટતી હાજરીવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાનું કપરું હોય છે. એકંદર વિદ્યાકીય ઇચ્છાશક્તિનો અભાવ પણ એક પરિબળ છે. સરવાળે, મોટે ભાગે હાજરીના પાંચ માર્કનું ફિંડલું વાળી દેવામાંઆવે છે. પુષ્કળ ગેરહાજરી છતાં માંડ એકાદ માર્ક કાપવામાં આવે છે. અનેક જગ્યાએ તો હાજર-ગેરહાજર સહુને હાજરીના પાંચ માર્ક આપી દેવામાં આવે છે. એ તો ટેકન-ફૉર-ગ્રાન્ટેડ હતું.
આવા મહોલમાં હાજરી ઉપરાંત વીકલી ટેસ્ટ, એમ.સી.ક્યૂ. ટેસ્ટ, અસાઇનમેન્ટ યોજીને તેમનાં માર્ક ઇન્ટર્નલ તરીકે યુનિવર્સિટીને મોકલવાના હોય તો કેટલી બાંધછોડ કરવી પડે તેનો બરાબર અંદાજ કોઈ પણ અધ્યાપક અને આચાર્યને આવી શકે. હાજરીનું પિલ્લું વાળવાની વ્યવહારુ અને વ્યાપક રીતને કારણે વર્ગમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ આવે છે. કૉલેજો સતત મૂલ્યાંકનમાં પણ સંભવત: આ જ રીત અપનાવવી પડશે. કૉલેજની પરીક્ષા નથી અને વિકલી-એમ.સી.ક્યૂ.-અસાઇનમેન્ટ-હાજરીમાં પડીકાં વળાય છે – એ સમજાતાં વિદ્યાર્થીઓને એક સેમિસ્ટરથી વધુ સમય નહીં લાગે. વિદ્યાર્થીઓ કૉલેજની પચાસ માર્કની એક આખી પરીક્ષા માટે જે થોડાઘણાં ગંભીર હતા તે પણ નહીં રહે. બાવાનાં બે ય બગડશે. અધ્યાપકને અંતરાત્મા સાથે વધુ મોટી બાંધછોડ કરવાની આવશે. યુનિવર્સિટીઓ માટે વિચારણામાં પરિપક્વતા અને મૂલ્યોમાં સ્વાયત્તતા જેવી બાબતોનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી. ખરેખર તો આ સતત આંતરિક મૂલ્યાંકન સેમિસ્ટર સિસ્ટમની પેદાશ છે. ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શિક્ષણ સંસ્થાઓ માટે ઉપયોગી એવી આ સિસ્ટમ હજારો વિદ્યાર્થીઓ ધરાવતાં કૉલેજ શિક્ષણ પર અવિચારે લાદવામાં આવી છે. એનાથી પારાવાર નુકસાન થયું છે. તેમાં હવે આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ ઊંટની પીઠે છેલ્લું તરણું સાબિત ન થાય તો સારું.
16 ઑગસ્ટ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 24 અૉગસ્ટ 2018