પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા સંબોધન
છવ્વીસ દેશોની યાદીમાં જી.ડી.પી.ને ધોરણે માથાદીઠ વહેંચણીમાં આપણે ચોવીસમાં ક્રમે છીએ, અને આપણી કુલ જી.ડી.પી.ના 67 ટકા, રિપીટ, 67 ટકા તો અબજોપતિઓના છે
પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળતાં સ્વાભાવિક જ સમજાયું કે હવે એ લોકસભાની ચૂંટણી અંગે એલાને જંગ તરેહના મિજાજમાં છે. અલબત્ત, સ્વાતંત્ર્યદિવસને અનુરૂપ ઠાવકાઈ અને જોસ્સાની મિલાવટ જરૂર હતી, પણ શ્રીઅરવિંદની સાર્ધ શતાબ્દી, અસહકાર આદિ ગાંધીલડત અને ભગતસિંહની ક્રાંતિકારી ધારાનાં અવસરસહજ આરંભવચનો પછી સરવાળે એમણે જે મારગ પકડ્યો તે હજુ થોડા જ દિવસ પર અવિશ્વાસની દરખાસ્ત વેળાએ જવાબ વાળતાં જે ચિત્ર આપ્યું હતું એના જ અનુસંધાનમાં આગળ ચાલવાનો હતો – અને એક તબક્કે બિલકુલ મે 2024ના ઉંબર અઠવાડિયે પુગી ગયા હોય એમ પોતે આગામી પંદરમી ઓગસ્ટે રિપોર્ટ કાર્ડ ને લેખાંજોખાં આપશે, એમ પણ સરળતાથી કહી નાંખ્યું.
લોકસભામાં અવિશ્વાસ પરની દરખાસ્તના જવાબમાં અને લાલકિલ્લાથી અપાયેલ ભાષણમાં કંઈક સામ્ય તેમ જ સાતત્ય ને સંધાન વરતાયાં હોય તો એનું એક કારણ વડા પ્રધાને પોતે, એક અર્થમાં વિકસાવેલ કાર્ય-અને-શાસન-શૈલીમાં રહેલું છે. આ શૈલી ગૃહમાં પ્રશ્નોત્તર અને ધોરણસરની ચર્ચાકીય આપલેવાળી એટલે કે સંસદીય લોકશાહીમાં અપેક્ષિત એટલે કે સંસદીય લોકશાહીમાં અપેક્ષિત સહજ ઉત્તરદાયિત્વની નથી. નેહરુનું દૃષ્ટાંત તો અસાધારણ છે, એને તો ખેર છોડો, પણ મનમોહનસિંહ અને તે પૂર્વે વાજપેયી જે રીતે ગૃહમાં હાજર રહેતા, ચર્ચામાં દરમિયાન થઈ ઉત્તરદાયિત્વ નિભાવતા તે એ સૌને સારું એક ગરવોનરવો રાબેતો હતો. વર્તમાન વડા પ્રધાનના કિસ્સામાં ઉત્તરદાયિત્વની આ સમજ ફોરતી નથી.
વારુ, જ્યાં સુધી પંદરમી ઓગસ્ટના ઉદ્દબોધનની વચનલહાણનો સવાલ છે, એમણે કહ્યું છે તેમ આવતી પંદરમી ઓગસ્ટે તેઓ એ અંગે જાહેર હિસાબ જરૂર આપવાના છે. પણ અત્યારે આપણે એટલું તો પૂછી શકીએ ને કે આગલાં નવ વરસમાં એમણે ગૃહમાં (ઘણું ખરું જો કે ગૃહ બહાર) આપેલાં વચનો સામે દસમે વરસે દેખાતું વાસ્તવ શું છે અને એ અંગે એમણે કહેવાનું શું છે. અથવા, હાલ જે સિદ્ધ થયાનું કે થવાનું કહેવાય છે એ વિશે નજર સામે શું છે અને શું નથી, તે પણ પૂછી તો શકીએ જ. ખાસ તો, એટલા માટે કે, એમના અગાઉના એક વક્તવ્ય અનુસાર ‘હમ મખ્ખન પર લકીર નહીં પથ્થર પર લકીર ખીંચનેવાલે હૈં.’
અલગ અલગ બે-ત્રણ બાબતોમાં હાલના સરકારી દાવાને દાખલા સત્તાવાર સુલભ આંકડા કે અન્ય વિગતો સહ તપાસીએ એટલે નિરક્ષીર થઈ રહેશે. 2018માં, જેમ કે લાલ કિલ્લેથી કહેવાયું હતું કે આઝાદીના અમૃતવર્ષ પ્રવેશે એટલે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. હવે નાંખી નજરે એના કોઈ ચિહ્ન નથી, અને મોડે મોડે પણ એ દિશામાં કોઈ કારવાઈ હાથ ધરાશે એવી ખબર 2023-24નું અંદાજપત્ર જોતાં પડતી નથી. શરૂ શરૂમાં સો સ્માર્ટ સિટીનો ડિંડિમિકા ઘોષ કાને પડતો હતો – હવે નથી તો એ અવાજ સંભળાતો, નથી તો એ સ્માર્ટ સિટી વરતાતાં.
અર્થવાસ્તવ વિશે થોડું વધુ, એમણે બ્રાન્ડ મોદીની જેમ ગૌરવટંકાર કીધો કે આપણે 2028માં વિશ્વની ત્રીજી મોટી અર્થસત્તા હોઈશું. ભાઈ, આ તો 2013થી (ભોગજોગે મનમોહનસિંહના કાળથી) પ્રાપ્ત સર્વે રિપોર્ટ મુજબની વિગત છે. પ્રશ્ન આ મોટી અર્થસત્તા ભારતના સામાન્ય નાગરિકને સારુ માથાદીઠ આવક કેવી ને કેટલી જોગવી શકે છે એનો છે. આપણી જે જી.ડી.પી., તે 26 દેશોની યાદીમાં માથા દીઠ વહેંચણીને ધોરણે 24મે ક્રમે છે. આપણી જે જી.ડી.પી., તેમાં 67 ટકા અબજોપતિના છે. વડા પ્રધાને કહ્યું કે ફુગાવો નિયંત્રણમાં છે. આગલે જ દિવસે, સત્તાવાર આંકડા ખાતા તરફથી પ્રાપ્ત વિગત મુજબ છૂટક વેચાણમાં હાલ ફુગાવો છેલ્લા પંદર મહિનામાં સૌથી ટોચે છે. શાકભાજીના ભાવ એક જ વરસમાં 37 ટકા વધ્યા છે.
હજુ રાજકીય ને બીજા મુદ્દા લઈ શકાય, પણ એટલું જ કહીશું કે વાગ્મિતાનો મોલ લચતો હોય ત્યારે વિગતો બચાડી શેઢે સડતી પડી હોય છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઑગસ્ટ 2023
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય