જગતમાં કેટલીક બાબતો એવી છે જે આપણે સાચી હોવા છતાં તેને અનુસરતા હોતા નથી. દેશમાં જાગૃત નાગરિકો કંઈ ઓછા નથી, તેમ છતાં, એ સક્રિય નાગરિકો ચૂંટણી-પ્રક્રિયામાં ઝુકાવતા નથી. પેલું સૂત્ર તો જાણીતું અને જગજાહેર છે કે સજ્જનોની નિષ્ક્રિયતાને પરિણામે દુર્જનોની સક્રિયતા વધે છે. સારા માણસો ચૂંટણીમાં ઊભા રહેતા નથી, તેથી ખોટા માણસો ચુંટાય છે. આમ છતાં સારા માણસો કંઈ ઉમેદવાર થવા ધસી જતા નથી!
જે સમાજ યોગ્ય માણસોનું પૂજન કરતો નથી, આદર કરતો નથી, તે યોગ્ય – આદરપાત્રને પેદા કરવાની તાકાત ગુમાવી બેસે છે. આ પણ જાણીતું સૂત્ર છે, તેમ છતાં કેટલાક યોગ્ય – આદરપાત્ર માણસો માન-સન્માન સ્વીકારવા તૈયાર થતા હોતા નથી. સમાજનો જે અગ્રિમવર્ગ આવું બધું સોચતો આવ્યો છે, તે પોતે ઘણી બધી વાર તેનાથી ઊફરો ચાલતો હોય, અળગો રહેતો હોય, તે આપણે જોયું છે.
સ્વાભાવિક સવાલ પેદા થવો જોઈએ કે આવું કેમ? શું આ લોકો જે બોલે છે, જે કહે છે, જે બીજાને સૂચવે છે તે પોતે કરતા નથી એવું છે? કે પછી તેઓ વાસ્તવિકતાને વધુ પિછાણે છે, પોતે તેને બદલવા અશક્તિમાન છે એવું માને છે; કે પછી, પોતે જે કંઈ કહે છે, તેથી પણ વધુ કોઈ ઉચ્ચતર મૂલ્ય છે, તેનું ઉદાહરણ બનવા માગે છે?
આપણે ઘણી વાર આ બધું જોયું છે. જેમના હાથે અનેકનાં સન્માન થતાં હોય એમનો સન્માન સમારંભ તમે યોજવાનું કહો તો એ સંમત ન થાય. આવું કેમ ? પ્રશ્ન ઘણો પેચીદો છે, ઘણી ધીરજથી તેને સમજવો પડે એમ છે, તે વિશે વિચારવું પડે તેમ છે.
થોડા ચોક્કસ દાખલા જોઈએ. આચાર્ય યશવંત શુક્લ ઘણું લખતા હતા, ઘણાં ઉત્તમ વક્તવ્યો એમના નામે બોલે છે, તેમ છતાં તેઓ પોતાના લેખોનું પુસ્તક બહાર પાડવા સંમત થતા ન હતા. જો કે જીવનનાં છેલ્લાં વર્ષોમાં એવાં બે-ત્રણ પુસ્તકો છેલ્લે થયાં ખરાં.
સુરેશ જોશી કે ઉમાશંકર જોશી, એવા બીજા કેટલાક, ઉંમરના કોઈક તબક્કે સમાજ જે ઉજવણીઓ કરે છે, તેવું પોતાના કિસ્સામાં થવા દેવા સંમત થયા ન હતા. ઉમાશંકરને ઘણાં પારિતોષિકો મળ્યાં છે, તેમના હસ્તે ઘણાં પારિતોષિકો અપાયાં પણ હશે. પણ પોતાના નામનું પારિતોષિક તેમણે ઊભું થવા દીધું નથી. સુરેશ જોશી તો સંસ્થાઓથી, પારિતોષિકોથી લગભગ અલિપ્ત રહ્યા છે.
‘લોકમિલાપ'વાળા મહેન્દ્ર મેઘાણીએ પુસ્તક-પ્રકાશન અને તેના વિતરણના ક્ષેત્રે નવા માનદંડો ઊભા કર્યા. તેમાં સફળતાને પણ વર્યા. તેમણે કોઈ પારિતોષિક તેમને મળે તેવું ઝંખ્યું નથી. મારા જેવા કેટલાકે તેમનું બહુમાન થવું જોઈએ, એવું કંઈક લખ્યું હોય, તો તેમણે અંગત નારાજગી પ્રગટ કરી છે, ભવિષ્યમાં આવું ન લખવા સૂચવ્યું છે. શિરીષ પંચાલ જેવા કોઈ પ્રકારનાં ઇનામો સ્વીકારતા નથી. પોતે નથી સ્વીકારતા તેની જાહેરાત કે પ્રચાર કરવામાં પણ માનતા નથી.
કવિ લાભશંકર ઠાકર પણ આવી બધી પરંપરાઓથી વિપરીત ચાલતા હતા. પણ છેલ્લે મિત્ર વિનોદ ભટ્ટના પ્રેમાગ્રહને કારણે અપવાદ રૂપે રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારેલો. આપણા સન્માનનીય વિવેચક જયંત કોઠારીએ સાઠ કે તેથી વધુ ઉંમર પછી એવી જાહેરાત કરી હતી કે હવે પછી મારા નામની વિચારણા કોઈ પારિતોષિક માટે ન કરવી.
આ બધું યાદ આવવાનું કારણ જુલાઈમાં યોજાઈ રહેલો પ્રકાશોત્સવ છે. પત્રકાર, તંત્રી, વિચારક, જાહેર બૌદ્ધિક એવા પ્રકાશ ન. શાહના નામે પૂરા કદનાં કોઈ પુસ્તકો બોલતાં નથી. પોતાનાં લેખો કે વક્તવ્યોનાં પુસ્તકો પ્રકાશિત થવા દેવામાં પોતે જ અવરોધકબળ બની ઊભર્યા છે. અપવાદ રૂપે એકાદ-બે નાની પુસ્તિકા એમના નામે બોલે છે ખરી, એમાંની એક કદાચ જયપ્રકાશ નારાયણ વિશેની છે. હવે એમના માનમાં ઉજવણી થઈ રહી છે અને સમાજ એમને આપવાની નાણાંકીય થેલીમાં સહયોગ કરે તેવી અપીલો સામયિકોમાં અને સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ છે.
પ્રકાશભાઈનું પ્રદાન વ્યાપક જાહેરજીવનને ઘણું બધું છે. તેઓ જરૂર બિરદાવવા યોગ્ય વ્યક્તિ છે, એ વિશે ભાગ્યે જ બેમત છે. વાંધો કે વિરોધ એ બાબતે હોઈ શકે છે કે તેમણે અપવાદરૂપ રહ્યા છે, તે સ્થાન જાળવી રાખવું જોઈએ કે પછી એક સોપાન નીચે ઊતરીને સન્માન કરવા માગતા યુવામિત્રોની વાત સ્વીકારી લેવી જોઈએ?
હું મોટે ભાગે આવી ઉજવણીઓનો તરફદાર રહ્યો નથી. વરિષ્ઠ, વયસ્ક મિત્ર નગીનદાસ સંઘવીનું સન્માન થવું જોઈએ, એવું હું કહી ચૂક્યો છું, પણ બીજી પળે તેમાં સામેલ થવાનું મને કબૂલમંજૂર લાગ્યું નથી. આને કોઈ વિરોધાભાસ રૂપે પણ જોઈ શકે. હું એને દ્વિધાભાવ રૂપે જોઉં છું. મને વધુ આનંદ થયો હોત જો પ્રકાશભાઈ આ ઉજવણીમાં સંમત ન થયા હોત. એ સાથે છેલ્લી વાત એ પણ કરવી છે કે એમના ઉત્તમ લેખોનાં સંકલનો એમના આગ્રહને બાજુ પર રાખીને પણ સમાજ સમક્ષ મુકાવાં જ જોઈએ.
E-mail : dankesh.oza20@gmail.com
***
"નિરીક્ષક" તંત્રી : ‘મેરે મન કી બાત’ એવી શીર્ષટાંપ સાથે આ નિરીક્ષા – નુક્તેચીની ૧૮મી જુલાઈએ હાથોહાથ મળી. એકાદ અઠવાડિયા પર મળી હોત, તો એ ૧૬મી જુલાઈના અંકમાં (એટલે કે ૨૦મી જુલાઈના પ્રકાશોત્સવ પૂર્વે) પ્રસિદ્ધ કરી શકાઈ હોત. તેમ છતાં આવા પ્રસંગો (અને પ્રશ્નો) તો આવ્યા જ કરવાના, એટલે ચાલુ અંકમાં તે પ્રકાશિત કરવું, મુનાસીબ માન્યું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 10