કાઁગ્રેસ સત્તા પર રહી ત્યારે નહેરુ, ઇન્દિરા ચલણમાં રહ્યાં. ચલણમાં ન રહે એવું હતું ત્યારે પણ ચલણમાં રાખવાના પ્રયત્નો થયા. એ જમાનામાં સરદાર વલ્લભભાઈ પટેલને પડદા પાછળ રાખવામાં આવ્યા, તો પણ ગાંધીજીની શરમ નડતી હતી એટલે કૈં નહીં તો એમને નામે રોડ અને રોકડ તો રહેવાં દીધાં. ગાંધીમાર્ગ અત્યાર સુધી તો છે, ભલે એના પર કોઈ ચાલતું હોય કે ન ચાલતું હોય તો પણ ! એ જ રીતે ચલણી નોટો પર પણ ગાંધીજી અત્યાર સુધી તો છે. કાલે એના પર ગોડસે દેખાય તો આઘાત ન લાગે એવી હવા સરકારે જ ઊભી કરી છે. તે એટલા માટે પણ માનવાનું મન થાય છે કે પ્રાથમિક શિક્ષણથી જ ગોડસે આદર્શ તરીકે સ્થપાય તેવી કોશિશો થઈ રહી છે. આમ પણ સૌથી ઊંચું પૂતળું સરદારનું ઊભું કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારને વૈશ્વિક ઊંચાઈ આપી છે ને કેવડિયાને તમામ વ્યવહારોથી સાંકળવાનો પ્રયત્ન કર્યો છે, પણ ગાંધીજીનું પોરબંદર વૈશ્વિક સંદર્ભે દેશ-દુનિયા સાથે સાંકળવાનું સૂઝ્યું નથી. કદાચ એમાં પણ ગાંધીજીને સરદારથી પાછળ પાડી દેવાનો ઉપક્રમ હોય એમ બને. આમ તો નહેરુ અને સરદાર, બંને, ઐતિહાસિક ક્રમે ગાંધીનું મહત્ત્વ ને આદર કરનારી વિભૂતિઓ છે, પણ શાસકો ઇતિહાસને બદલવાની ક્ષમતા ધરાવતા હોય છે એટલે એ કોઈને પણ રાજકીય હેતુસર આગળ પાછળ કરતા રહે છે.
કોની સ્થાપના કરવી ને કોનું ઉત્થાપન કરવું એ હવે ઇતિહાસના હાથમાં નથી, એ શાસકોના હાથમાં છે. એ ઈચ્છે તેનો મહિમા કરે અને ઈચ્છે તેનું ઊઠમણું કરે એમ બનવાનું. એને નિયંત્રિત કરવાનું પ્રજા કરી શકે, પણ તે પણ શાસકો અને વિપક્ષોમાં વહેંચાયેલી છે. પ્રજા કયાં તો ભા.જ.પી. છે અથવા તો વિપક્ષી છે. એ સિવાયના જે તટસ્થ છે તેમનો અવાજ બહુ ક્ષીણ છે એટલે વખાણ કે વખોડથી જ ચલાવવાનું રહે. વડા પ્રધાનને અત્ર તત્ર સર્વત્ર પ્રગટ થવામાં વાંધો ન આવે એટલે એમણે પણ પ્રાથમિક શિક્ષણથી જ વિદ્યાર્થીઓને દર્શન આપવાનું સ્વીકાર્યું છે. એ ન સ્વીકારે તો પણ, ભાવિક ભક્તો તો એમનો વરઘોડો કાઢીને વહાલા થવાના જ ! પ્રાથમિક સ્કૂલોમાં અન્ય મહાનુભાવોની સાથે હવે મોદી પણ દેખા દે એવું કરવાની સ્કૂલોને ફરજ પડાઈ છે. એ હિસાબે અન્ય નેતાઓની સાથે હવે વડા પ્રધાનની છબીઓ પણ ભીંતે લાગશે. અહીં પણ ગાંધીજી નથી. એટલે બાળકો નાનપણથી જ ગાંધીજીથી દૂર રહે એમ બને. ગાંધીજી ગુજરાતના હતા ને ગુજરાતમાંથી જ તેમનો કાંકરો કાઢવાનું શરૂ થયું છે. એ થાય તે ય સમજી શકાય, પણ ગોડસેની સ્થાપનાનો પ્રયત્ન વધારે પડતો છે. આમ પણ દેશ આખામાં ગાંધીજીને ભાંડવાનું ચાલ્યા જ કરે છે. ત્રણેક દિવસ પર જ બિહારના ચંપારણમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. આમ તો ભારત આવ્યા પછીની પહેલી ચળવળ ગાંધીજીએ ચંપારણમાં શરૂ કરેલી, એ જ ચંપારણમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત થઈ છે. ગયે વર્ષે ભા.જ.પ.ના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગાંધીજીની એવી નિંદા કરેલી કે ખુદ વડા પ્રધાને કહેવું પડેલું કે હું તેમને જિંદગીભર માફ નહીં કરી શકું. જો કે, તે પછી પણ પ્રજ્ઞા ઠાકુરને ઊની આંચ આવી નથી તે ચમત્કાર જ છે. ધર્મસંસદના સમાપનમાં કાલીચરણ તો ગાંધીજીને હરામી કહેવા સુધી ગયા છે એટલું જ નહીં, ગોડસેને ગાંધીજીની હત્યા કરવા બદલ વંદન પણ કર્યા છે. જામનગરમાં પણ ગોડસેની પ્રતિમા મૂકવાની વાત તાજી જ છે. અમેરિકાના મેનહટ્ટનમાં 6 ફેબ્રુઆરીએ ગાંધીની કાંસ્યપ્રતિમા તોડવામાં આવી તો ભારતે કડક કાર્યવાહીની માંગ કરેલી, પણ અહીં ગાંધીજીના વિરોધમાં કૈં થાય છે તો સરકાર તે ચાલવા દે છે.
વલસાડમાં 14 ફેબ્રુઆરીએ ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. અન્ય સ્પર્ધાઓ સાથે વકતૃત્વસ્પર્ધા પણ હતી. એને માટેના ત્રણ વિષયોમાં એક વિષય ‘મારો આદ ર્શ- નાથુરામ ગોડસે’ હતો. એક બાળકી એ વિષય પર બોલી અને તેને પહેલું ઈનામ પણ મળ્યું. આ વિષય પર બોલવા માટે ઈનામ ન મળ્યું હોત તો એની ચર્ચા થઈ હોત કે કેમ તે નથી ખબર, પણ ગોડસે વિષય તરીકે ચર્ચા જગાવી ગયો. ગાંધીજીના ગુજરાતમાં તેનો હત્યારો વિષય તરીકે સહન ન થયો ને વાત મીડિયામાં ફેલાઈ. વધારે ચગે તે પહેલાં સરકારે જિલ્લા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા. ગૃહ મંત્રીએ તપાસનો આદેશ આપી દીધો. એ સાથે જ બધાંએ જવાબદારીમાંથી છટકવાનું શરૂ કરી દીધું. કુસુમ વિદ્યાલયના સંચાલિકાએ કહ્યું કે અમે તો માત્ર સ્પર્ધા માટે શાળા આપી છે. એ સિવાય અમારી કોઈ ભૂમિકા નથી. એવું જ વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી પણ કહે છે કે સ્પર્ધા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોજાય છે ને શિક્ષણ વિભાગ એનાથી અલગ છે. શિક્ષણ વિભાગને આ સ્પર્ધા અંગેની કોઈ જાણ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે કરી નથી. આ સાચું હશે, પણ અન્ય વિભાગનો કાર્યક્રમ પોતાના શિક્ષણ વિભાગમાં થાય છે તો તે અંગેની માહિતી મેળવવાનું સાહેબને જરૂરી ન લાગ્યું? આમ તો આ સંયુક્ત કાર્યક્રમ હતો, પણ કોઈ કોઈનામાં માથું ન મારી શકે એવી જડબેસલાક વ્યવસ્થા હશે, નહીં તો ‘મારો આદર્શ-નાથુરામ ગોડસે’ જેવા વિષય પર કોઇની તો નજર પડી હોત, પણ કોઈને જ એમાં વાંધાજનક કૈં ન લાગ્યું. ન તો વિષયની તૈયારી કરનાર વિદ્યાર્થિનીને કે ન તો નિર્ણાયકને કે ન તો વિષય પસંદ કરનાર અધિકારીને. આમાં સૌથી વધુ જવાબદાર એ અધિકારી છે જેણે ગોડસેમાં આદર્શ જોયો. એ પસંદગી કોને માટે થઈ રહી છે એનો વિચાર આવ્યો હોત તો પણ અધિકારીને અટકી જવાનું કોઈ કારણ મળ્યું હોત. 11થી 13ની ઉંમરના વિદ્યાર્થીને માટે આ વિષય અનુકૂળ ગણાય? બાળકના મનમાં એક હત્યારાને આદર્શ તરીકે વિચારવાની ફરજ પાડવાનું યોગ્ય છે? કુમળી વયના બાળકને રાષ્ટ્રપિતાની વિરુદ્ધ વિચારવાની ફરજ પાડવા જેવી ખરી – જેવી ચિંતા જરૂર થઈ હોત, પણ એવું કશું વિચારાયું નથી. નાની ઉંમરથી જ ગાંધી વિરુદ્ધ વિચારવાની આવી તાલીમ સરકારે સ્કૂલોમાં આપવાનું શરૂ કર્યું છે તે જોખમી છે. ગાંધીજીની બાદબાકી અને વડા પ્રધાનનો સરવાળો એ ગુજરાતી શિક્ષણનો પાયો છે એવું નથી લાગતું?
કોઈ પરિપક્વ વ્યક્તિ ગોડસે કે ગાંધી વિષે સમજીને વાત કરે એ વાત જુદી છે ને એક બાળકને તેની ઊઘડતી સમજમાં નાનેથી જ પૂર્વગ્રહ વિકસાવવા પ્રેરવો એ જુદી બાબત છે. વિષય પરત્વે વાંધો હોય તો એટલા પૂરતો જ છે. એવું પણ જાણવા મળ્યું છે કે ગોડસે વિષે બોલનાર વિજેતા બાળકી પાસેથી ઈનામ આંચકી લેવાયું છે, તો એમ પણ કહેવાયું છે કે પ્રથમ વિજેતા બાળક ગોડસે પર બોલ્યું જ નથી, એનો વિષય બીજો જ હતો. જો, ઈનામ પાછું લઈ લેવાયું હોય તો એ બધી રીતે નિંદનીય છે. વિષય પસંદગી વિજેતાની નથી. એણે વિષયને ન્યાય આપ્યો હોય ને નિર્ણાયકોએ એ બાળકીને વિજેતા જાહેર કરી હોય તો કોઈને પણ એ ઈનામ પરત લેવાનો અધિકાર નથી. મુદ્દો એટલો જ છે કે આ સ્પર્ધા માટે આ વિષય બાળકોમાં પૂર્વગ્રહ વધારનારો હતો. ગોડસે કે ગાંધી અંગે ચર્ચા થાય ને નીરક્ષીર ન્યાય કરનાર વચ્ચે થાય તો તેનો વાંધો જ નથી. ગાંધીજી રાષ્ટ્રપિતા હોય તો પણ તે માણસ હતા ને તેમની ઘણી બાબતો સામે કોઈને વાંધો હોય એ શક્ય છે. એ જ રીતે ગોડસે કેવળ હત્યારો કોઈને ન લાગે એમ પણ બનવાનું.
માણસને વિચારવાની શક્તિ કુદરતે આપેલી છે. તે જે તે નિર્ણય વિચાર્યા વગર કે વિચારીને લઈ શકે છે. કોઈને ખોટો લાગતો નિર્ણય, જે તે વ્યક્તિને તો યોગ્ય જ લાગતો હોય છે. ગોડસે અવિચારી માણસ હતો એમ કોઈ ન કહે. જેણે એનું ચરિત્ર કે નાટક વાંચ્યાં – વિચાર્યાં છે તેને એના નિર્ણયો યોગ્ય લાગે પણ ખરા. તેને પોતાને તો એ નિર્ણયો યોગ્ય જ લાગ્યા છે, નહીં તો તે એ લે નહીં ! એને ગાંધી ખોટા લાગ્યા ને તેણે ગાંધીની હત્યાનો નિર્ણય અમલમાં મૂક્યો. એ જ રીતે ગાંધીજીને પોતાના નિર્ણયો યોગ્ય લાગ્યા અને દેશ હિતમાં તે લીધા. એમના નિર્ણય સાથે ઘણાં સંમત ન હોય એમ બને. પણ ગાંધીજીને જમા પક્ષે એક વાત 100 ટકા મૂકવી પડે કે એમનો સાચો કે ખોટો લાગતો કોઈ પણ નિર્ણય એવો નથી, જેમાં એમનો કોઈ સ્વાર્થ હોય. આટલે વર્ષે પણ એ બહાર નથી આવ્યું કે અમુક નિર્ણય તેમણે પોતાને માટે કે સંતાનોના હિતમાં લીધા હતા. આ રાષ્ટ્રપિતા જ એવો પિતા છે જેણે પોતાનું તો ઠીક, સંતાનોનું હિત પણ ન જોયું. એ રીતે સંતાનો માટે એ યોગ્ય પિતા ન થઈ શક્યા. ગાંધીજીનો એક પણ નિર્ણય સ્વાર્થ પ્રેરિત નથી જણાતો. બધાંને બધાં નિર્ણય યોગ્ય જ લાગે એવું દરેક વખતે ન પણ બને, પણ જો તે પોતાનાં સ્વાર્થ માટે ન હોય તો તે હત્યાને પાત્ર ન જ ઠરે. એવા માણસની હત્યા ગોડસેએ કરી છે ને તે ગમે એટલી ન્યાયને પાત્ર હોય તો પણ તે હત્યા હતી ને તેની સજા તેણે ભોગવવાની હતી. એનાથી તેની ઊંચાઈ વધતી હોય તો પણ, ગાંધીજીની ઊંચાઈ એથી ઘટતી નથી.
માનવ જીવનના ઇતિહાસમાં બે જ મોહન એવા છે જેણે એક પણ નિર્ણય પોતાનાં હિતમાં નથી લીધો. દુર્યોધન સાથે કૃષ્ણને કોઈ અંગત સ્વાર્થ ન હતો. યુદ્ધ પહેલાં પોતાની અઢાર અક્ષૌહિણી સેના ને નિ:શસ્ત્ર કૃષ્ણમાંથી પસંદગી કરવાની તક કૃષ્ણ, દુર્યોધનને આપે છે ને એ સેનાની પસંદગી કરે છે. યુદ્ધમાં કપટ કરવાનું આવ્યું ત્યાં કૃષ્ણે તે કર્યું, પણ તે પોતાને માટે ન હતું, છતાં યાદવાસ્થળી એ રોકી ના શક્યા. એવું જ ગાંધીજી માટે પણ થયું, પણ આજે જે લાભ લેવાય છે, એમાંનો કોઈ રાજકીય લાભ આ માણસે નથી લીધો. ગમે એટલું ગાંધીજીની વિરુદ્ધ વિચારીએ તો પણ એવું નથી લાગતું કે તેની છાતી ગોળીથી વીંધાવા માટે હતી.
ગોડસેના પક્ષે પણ એ જ સ્થિતિ હતી. ગાંધીજીને ગોળી મારવાથી કોઈ લાભ ખાટી જવાશે એવી કોઈ ગણતરી એની નથી. ગાંધીજીના નિસ્વાર્થ પ્રયત્નો છતાં ગોડસેને લાગ્યું કે ક્યાંક કોઈનું અહિત તીવ્રતમ રૂપે થઈ રહ્યું છે ને તેણે ગાંધીજીની હત્યા કરવાનું નક્કી કર્યું, એ સિવાય કોઈ સ્વાર્થ તેનો જણાતો નથી. બલકે, હત્યા પછીનું પરિણામ તેણે વિચાર્યું જ નહીં હોય એવું પણ નથી. ગાંધીજીએ નિસ્વાર્થપણે જીવ દીધો ને ગોડસેએ નિસ્વાર્થપણે જીવ લીધો. આ બે સત્યો વચ્ચે રહીને બંને માટે વિચારવાનું રહે ને એ બધાં પછી પણ કહેવાનું તો એ જ બાકી રહે છે કે ગમે એટલી જ ન્યાયપૂર્ણ કેમ ન હોય, હત્યા એ અપરાધ છે ને એ કોઈને પણ નાયક નહીં, ખલનાયક જ પુરવાર કરે છે. ગોડસે એ રીતે ખલનાયક છે અને રહેશે. એને સરકારી કે શૈક્ષણિક રીતે હીરો પુરવાર કરવાના ને ગાંધીજીને ખલનાયક સાબિત કરવાના પ્રયત્નો પડતા મૂકવા જેવા છે. જે જ્યાં છે ત્યાં ઠીક છે. ગાંધીજીનું ચલણ છે જ, કમસે કમ એને ચલણમાં તો રહેવા દઇએ. બહુ થાય તો આપણે ફરિયાદી થઈએ, પણ ન્યાયાધીશ થવાના પ્રયત્નો ન કરીએ તો એ પણ રાષ્ટ્રની સેવા જ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ફેબ્રુઆરી 2022