પોલાદ બનાવતા તાતાને સાબુ બનાવતા કર્યા એક પાદશાહે
જ્યાં કોઈ બી જાતનો સાબુ વપરાતો નહીં હોય એવું કોઈ ઘેર મલવું આજે મુશ્કેલ. પન ૧૮૯૫ સુધી નહાવા કે કપડાં ધોવા માટેના સાબુથી આપણો દેશ લગભગ અજાણ્યો હુતો! એ વરસમાં સૌથી પહેલો કપડાં ધોવા માટેનો સાબુ પરદેશથી કલકત્તા લાવવામાં આયો. એનું નામ ‘સનલાઈટ.’ હિન્દુસ્તાન મોકલવા માટેના સાબુના રેપર પર મોટે અક્ષરે છપાતું હુતું : Made in England. જમશેદજીના જમાનાથી તાતા કુટુંબ સાથે સંકળાયેલા હુતા એક ખૂબ જ બાહોશ, અઠંગ અભ્યાસી, સાહસિક એવા બરજોરજી પાદશાહ. એવને એક વખત દોરાબજીને કહ્યું : ‘ચાલો! ફક્ત દિવાળી જેવા વાર-તહેવારે વાપરવા માટે આપણે એક સાબુ બનાવીને વેચવા મૂકીએ!’ દરખાસ્ત હતી જરા અલાયદી, પન દોરાબજીને ગલે ઊતરી ગઈ. બરજોરજીએ નક્કી કીધું કે આપનો સાબુ હરીફના સાબુ કરતાં અલગ હોવો જોઈએ. એટલે એનો આકાર લંબચોરસ નહિ, ગોળ. આકાર ગોળ એટલે નામ રાખીએ મોતી. એની સુગંધ પણ લવન્ડર જેવી પરદેશી નહિ, પણ ચંદન, ગોલાબ, અને નીમ (લીમડો) જેવી દેશી. સાબુને પેક કરવાનો પૂંઠાના ચોરસ ખોખામાં.
હમામ સાબુની પહેલી જાહેર ખબર
તાતા ઓઈલ મિલ્સનો આય મોતી સાબુ જોતજોતામાં દેશનો દિવાલી માટેનો માનીતો સાબુ બની ગિયો. પન કાંઈ દિવાલીથી દિવાલી સુધી સાબુના કારખાનાને બંધ તો ન રાખી સકાય. એટલે રોજીંદા વપરાશના સાબુ તો બનાવવા જ પડે. એટલે કંપનીએ બજારમાં મૂક્યો ‘હમામ’. આ સાબુ માટેની પહેલી જાહેર ખબર આ સાથે મૂકેલી છે. તેમાંની ઘન્ની બાબતો ખાસ ધ્યાન ખેંચે તેવી છે. જેમ કે આજે જેને આપને ‘લઘુમતી કોમ’ કહીએ છીએ એ કોમના એક પુરુષનું ચિત્ર અહીં મુખ્ય સ્થાને છે. દેખઈતી રીતે એ સાબુનો વેપારી છે. જાહેર ખબરના બે મુખ્ય સંદેશ એના મોરાથી અપાયા છે. એક : હરીફ પરદેશી કંપનીના સાબુ કરતાં હમામ સાબુ વધારે મોટો છે. બે : એ સ્વદેશી છે. બરજોરજી પોતે એકદમ શાકાહારી હુતા. પગરખાં ચામડાનાં નહિ, કેનવાસનાં પહેરતા. ઘોરાગાડી કે બળદગાડીમાં કભ્ભી બી બેસતા નહિ. એટલે આય સાબુમાં પ્રાણીની ચરબી વપરઈ નથી, એવું સાફ લખિયું છે. બીજું ચિત્ર છે બે હિંદુ (બંનેને કપાળે ચાંદલો છે) સ્ત્રીઓનું. એ બંને ડાહી, સમજુ, શાણી સ્ત્રીઓ(Wise Women)નું પ્રતિનિધિત્વ કરે છે. પછી ઝીણા અક્ષરમાં સાબુની ગુણવત્તા અને કિફાયત ભાવની વાત કરી છે. હમામ સાબુનું વજન બી આપ્યું છે. અને હરીફ કંપનીના સાબુના જેટલા જ ભાવમાં ઘન્નો વધારે સાબુ મલે છે એમ બી જણાવિયું છે. પછી ફરી મોટ્ટા અક્ષરમાં આ સાબુ નહાવા માટેનો છે અને મોટો (BIG) છે એ દોહરાવ્યું છે. એટલું જ નહિ મફત સેમ્પલ સાબુ મેળવવા માટેની કૂપન બી છાપી છે.
નહાવાના સાબુ પછી કપડાં ધોવા માટેનો સાબુ. તાતાએ પોતાના સાબુનું નામ રાખિયું 501. આજે આપુનને થાય કે કેમ આવું નામ રાખિયું હોસે? બે કારન. એક : હરીફ કંપનીના સાબુની સામે એ વખતે એકુ ફ્રેંચ કંપનીનો સાબુ ટક્કર ઝીલી રહ્યો હુતો. એનું નામ હુતું 500. શેરને માથે સવા શેર તેમ ૫૦૦ને માથે ૫૦૧. તાતાના સાબુ માટે આય નામ પસંદ કરનાર હુતા દાદાભાઈ નવરોજીના બેટાના બેટા જાલ નવરોજી. બે : આપના દેશના ચાલ મુજબ છેવટે મીંડું આવતું હોય એ આંકડો શુભ મનાતો નથી, પણ અંતે એકડો આવતો હોય તો તે શુભ મનાય છે. એટલે ૫૦૧. તાતાએ આ સાબુનો ભાવ રાખ્યો ૧૦૦ ગોટીના દસ રૂપિયા! એટલે હરીફ પરદેસી કંપનીએ પોતાના સાબુનો ભાવ કરી નાખિયો ૧૦૦ ગોટીના છ રૂપિયા! પન ત્રણ મહિના પછી હારી-થાકીને હરીફ કંપનીએ ફરી અસલના ભાવે પોતાનો સાબુ વેચવાનું શરૂ કર્યું.
બરજોરજી પાદશાહ
તાતાને સાબુ બનાવતા કરનાર હુતા બરજોરજી જામાસ્પજી પાદશાહ. એવન બી એક ગજબની ખોપરી હુતા. બરજોરજીનો જનમ મુંબઈમાં, ૧૮૬૪ના મે મહિનાની સાતમી તારીખે. એવનનું કુટુંબ બી મૂલ નવસારીનું. એટલે જમશેદજી તાતા અને જામાસ્પજી બંને દોસ્તો. ૧૮૮૦માં જામાસ્પજી બેહસ્તનશીન થિયા પછી જમશેદજીએ બરજોરજીને પોતાની પાંખમાં લીધા. એટલું જ નહિ બરજોરજી જમશેદજી તાતાના જમાઈ થતાં થતાં રહી ગિયા. પોતાની દીકરી ધનબાઈનું સગપણ જમશેદજીએ બરજોરજી વેરે કીધેલું. પન દસ વરસની ઉંમરે ૧૮૭૧માં ધનબાઈ પરવરદેગારને પ્યારાં થઈ ગિયાં. બરજોરજી એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે ૧૮૮૪માં બી.એ. થિયા. મમ્મા કહે કે તારા મોટા ભાઈની જેમ ICS થા. પન ના. બાપ પાસેથી મળેલા પૈસાને પ્રતાપે માદામ બ્લેવત્સ્કી સાથે પહોંચ્યા ગ્રેટ બ્રિટન. કારન એ વેળાએ બરજોરજી પર માદામની થિયોસોફીની ઘન્ની જ અસર હુતી. પન પરદેશ ગિયા પછી બરજોરજી સમજીયા કે ઊજલું એટલું દૂધ નથી. એટલે માદામને મૂકીને કેમ્બ્રિજમાં ગણિતશાસ્ત્રના સ્ટડી માટે જોડાયા.
પાછા મુંબઈ આવિયા વેરે જમશેદજી તાતાએ પોતાની સાથે જોરાવા બરજોરજીને ઇજન દીધું. અગાઉ બી એક વાર જમશેદજીએ આવું નોતરું દીધેલું, પન તે વારે બરજોરજીએ ના ભણી હુતી. બરજોરજી જોરાયા પછી જમશેદજીએ એવનને સું કામ સોપીયું હોસે? કહે કે દુનિયા આખી ફરી આવો અને એજ્યુકેશનની મોટ્ટી મોટ્ટી સંસ્થાઓની મુલાકાત લો. પન કેમ વારુ? તો કહે કે એ વેળાએ જમશેદજીના મનમાં હિન્દુસ્તાનમાં સાયન્સના ઉચ્ચ અભ્યાસ માટેની એક સંસ્થા સ્થાપવાની મુરાદ જાગી હુતી. પાછા આવીને બરજોરજીએ જે રિપોર્ટ આપીયો તેને આધારે પછીથી ઇન્ડિયન ઇન્સટiટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થઈ. જમશેદજીએ સ્વદેશી મિલ શુરુ કીધા વેરે બરજોરજીને તેના એકુ ડિરેક્ટર બનાવવા ચાહ્યું. પન બરજોરજીએ ના ભણી. કેમ વારુ? તો કહે કે મારા વિચારો મજૂર તરફી છે. એટલે હું ડિરેક્ટર હોવસ તો તમુને કબી બી પ્રોબ્લેમ થઈ સકે.
તાતા બેન્કનો ચેક
બરજોરજીની સલાહથી તાતા ગ્રૂપ બીજા એક નવા એરિયામાં બી દાખલ થિયું : તાતા ઇન્ડસ્ટ્રિઅલ બેંક. આ બેંક સુરુ કરવા માટે દોરાબજી તૈયાર હુતા નહિ. પછી એવને બેન્કના નિયમોમાં એક એવો નિયમ મુકાવિયો કે આય બેંક તાતા ગ્રૂપની કોઈ બી કંપનીને કભ્ભી ભી લોન આપશે નહિ! ૧૯૧૭માં સુરુ થયેલી આ બેંક તે પહેલવહેલી પૂરેપૂરી ‘સ્વદેશી’ બેંક. જો કે આય બેંક પછીથી લાંબુ જીવી નહિ. ૧૯૨૩માં તે સેન્ટ્રલ બેંક સાથે ભલી ગઈ.
કારણ તો માલમ પડિયું નથી પણ ૧૯૩૧માં તાતા ગ્રૂપથી બરજોરજી છુટ્ટા પરિયા. પછી એવને સુ કીધું? કોઈ બીજી કંપનીમાં જોરાયા હોસે. ના, ના. એવન તો ઉપરી ગિયા દુનિયાની સફરે. જેથ્થે બી જાય, યુનિવર્સiટીમાં જાય, પ્રોફેસરો અને સ્કોલરોને મળે. જાતભાતના વિષયો પર ચર્ચા કરે. ૧૯૪૧ના જૂનની ૨૦ તારીખે એવન બેહસ્તનશીન થિયા.
તાતા ગ્રૂપ પર આવી પડેલી એકુ નહિ, બે અનધારી આફતની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 ડિસેમ્બર 2024