દૂધવાળો આવે, ઘંટડી બજાવે, દૂધ મીઠા લાવે.
જોઈ સિનેમા માંડ સૂતાંતાં : ઊઠવું કેમ ભાવે!
હાય રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે!
ગયે શનિવારે મેટ્રોમાં અંગ્રેજી ફિલ્મ જોઈને ઘરે આવતા મોડું થયું. સવારે મોડા ઊઠવાનું ધાર્યું હતું. પણ ૧૯૫૧ના માર્ચ મહિના પહેલાનાં મુંબઈમાં એ શક્ય નહોતું. કારણ ભગવાનદાસ કાકાને ઘરે જ નહિ, મુંબઈના લગભગ દરેક ઘરની મુલાકાતે રોજ આવનારાઓમાંથી પહેલો, દૂધવાળો વહેલી સવારે આવીને બેલ વગાડ્યા વગર રહેતો નહિ. ૧૯૫૧ના માર્ચની ચોથી તારીખે પંડિત જવાહરલાલ નેહરુએ આરે મિલ્ક કોલોનીનું ઉદ્ઘાટન કર્યું તે પહેલાં તબેલામાંથી તાજું દૂધ ભૈયાજીઓ ઘરે ઘરે પહોચાડતા. સવારે અને બપોરે, એમ બે વાર. રાતના બે-ત્રણ વાગે દૂરના પરામાંના તબેલામાં દૂધ દોહી, પિત્તળનાં ચળકતા હાન્ડામાં ભરી, હાંડાનું મોઢું સૂકા ઘાસથી ઢાંકી, માથે મૂકી, લોકલ ટ્રેનમાં સવાર થઈને ભૈયાજી ઘરે ઘરે દૂધ પહોચાડે. ૧૯૩૩મા ઝવેરચંદ મેઘાણી થોડો વખત મુંબઈવાસી બન્યા ત્યારે મુંબઈનું આ રોજિંદુ ચિત્ર જોઈ તેમણે ‘દૂધવાળો આવે’ કાવ્ય લખ્યું. ઉપલી પંક્તિઓ પછી લખે છે:
બોરીવલી સ્ટેશન, ત્રણ બજે ટનટન, ભેંસો દોહી ભમભમ,
રેલગાડીનાં મો-ફૂફાડે દોટમદોટ આવે –
પાઘડી વિંખાય, તાંબડી ઢોળાય, તોયે વે’લો આવે.
ઉદ્ઘાટન પછી આરે કોલોનીમાં વૃક્ષારોપણ કરતા જવાહરલાલ નેહરુ
આરેની દૂધની બાટલીઓ
આરે કોલોની શરૂ થઇ તે પછી મુંબઈગરાઓએ પહેલી વાર જાડા કાચની બાટલીમાં ભરેલું દૂધ જોયું, પીધું. એ જમાનો હતો દૂધથી માંડીને મોટર સુધીની દરેક વસ્તુની અછતનો જમાનો. મોટર ખરીદવી હોય તો ઓર્ડર બુક કર્યા પછી પાંચ-સાત વર્ષ રાહ જોવી પડે. દૂધ માટે પણ સરકારી ઓફિસમાં જી કાર્ડ કઢાવવું પડે. એલ્યુમિનિયમનાં કાર્ડ પર નામ, સરનામું, નંબર એમ્બોસ કરેલા હોય. રોજ કેટલી બાટલી દૂધ મળશે તે પણ લખ્યું હોય. જેટલી બાટલી દૂધ લેવું હોય તેટલી ખાલી બાટલી કાર્ડ કઢાવતી વખતે જ ખરીદી લેવાની. પછી રોજ સવારે નજીકના સેન્ટર પર કાર્ડ અને ખાલી બાટલી લઈને જવાનું. ખાલી બાટલી આપીને દૂધથી ભરેલી બાટલી લેવાની, અલબત્ત રોકડા દોકડા આપીને. ખાલી બાટલી બરાબર ધોવાઈ ન હોય તો દૂધ લીધા વગર ખાલી બાટલી લઈને પાછા ઘરે આવવું પડે. બે જાતનું દૂધ મળે : હોલ અને ટોન્ડ. બેમાં ટોન્ડ સસ્તું. તે વખતે લોકો આજના જેટલા હેલ્થ કોન્શિયસ નહિ, એટલે ટોન્ડ મિલ્કનાં ફાયદા ન જાને. સસ્તું, એટલે ટોન્ડ તે તો ગરીબગુરબાં માટે એમ મનાતું. બંનેની બાટલી સરખી, પણ ઉપરની એલ્યુમિનિયમની કેપ જૂદા રંગની. પહેલાં તો લોકોને બહુ ભરોસો નહોતો બેઠો સરકારી દૂધ પર. ભૈયાજીનાં દૂધ જેટલું તાજું નહિ. વહેલી સવારે મિલ્ક સેન્ટર પર લેવા જવું પડે, લાઈનમાં ઊભા રહેવું પડે. પણ ભૈયાજીનાં દૂધ કરતાં સસ્તું. એટલે પહેલાં તો ઓછી આવકવાળાઓએ લેવાનું શરૂ કર્યું. પછી મધ્યમ વર્ગ બાટલી (દૂધની) તરફ વળ્યો. પણ ઉપલો અને શ્રીમંત વર્ગ આ સરકારી દૂધ ભાગ્યે જ ખરીદતો.
દૂધવાળો
જેમ ભર્યા ઘરમાં નહિ, દીવા વિના દેખાય;
વર્તમાનપત્રો વિના, જગ ચરચા ન જણાય.
સવાર પડે એટલે બીજા બધા દીવા ઓલવાઈ જાય, પણ એક દીવો એવો કે જે સવારે જ પેટાવાય. કવીશ્વર દલપતરામે ‘વર્તમાનપત્ર વિષે’ નામના કાવ્યમાં કહ્યું છે એમ ત્યારે એ વખતે ‘જગચર્ચા’ જાણવાનું લગભગ એકમાત્ર સાધન એટલે વર્તમાનપત્ર કહેતાં છાપું. ભગવાનદાસ કાકાને ઘરે રોજ સવારે છાપાવાળો નાખી જાય. પણ દૂધવાળાની જેમ બેલ મારીને ઊઠાડે નહિ. બારણે મૂકીને ચાલતો થાય. મહિનાને અંતે હિસાબ કરીને પૈસા આપી દેવાના. બીજું ઘણું બદલાયું છે વખત સાથે, પણ મુંબઈમાં છાપાવાળો બદલાયો નથી. એનો કોઈ વિકલ્પ મળ્યો નથી. હા, એ વખતે છાપાં સતત દાયતિંગ કરતાં, બલકે તેમણે કરવું પડતું. કારણ? કારણ ન્યૂસ પ્રિન્ટની તંગી. પહેલાં તો આયાત થતો. પછી સરકારી પેપર મિલમાંથી દરેક છાપાને માર્યાદિત જથ્થો, ઠરાવેલા ભાવે મળે. ન્યૂસ પ્રિન્ટનું કાળું બજાર પણ ચાલે. થોડાં વરસ તો દરરોજ છાપું કેટલાં પાનાં આપી શકે એ અંગે સરકારે નિયમ બનાવેલા. એટલે બહુ બહુ તો ૧૨ કે ૧૬ પાનાં. એ વખતે છાપામાં આજના જેવું નહિ. ત્યારે ન્યૂસ વધુ, જાહેર ખબર ઓછી. ક્યારેક કોઈ અસાધારણ ઘટના બને ત્યારે સવારનું છાપું બપોરે ‘વધારો’ બહાર પાડે જેમાં પહેલે પાને એ અસાધારણ ઘટના અંગેના સમાચાર છાપ્યા હોય. બાકીનાં પાનાં સવારવાળાં જ હોય. આજની જેમ એ જમાનો દરેક મિનિટે ‘બ્રેકીંગ ન્યૂસ’નો નહોતો એટલે વરસમાં માંડ બે-ત્રણવાર આવો ‘વધારો’ બહાર પડે. પછી આવ્યાં સાંજનાં છાપાં. ૧૯૦૨ના મેં મહિનાની પહેલી તારીખે અરદેશર બેહરામજી પટેલે ‘સાંજ વર્તમાન’ શરૂ કર્યું તે પહેલવહેલું સાંજનું ગુજરાતી છાપું. અરદેશરજીને ક્રિકેટનો જબરો શોખ. પારસીઓ અને અંગ્રેજો વચ્ચેની પહેલી ક્રિકેટ મેચ તેમણે ગોઠવી હતી. ક્રિકેટ અંગે તેમણે ઈન્ગલંડની મુસાફરી પણ કરી હતી. આ ઉપરાંત તેમણે ઘણા નાટકો પણ લખ્યા હતા જે રંગભૂમિ પર સફળતાથી ભજવાયા હતા. સાંજના છાપાના ફેલાવાને પીઠબળ મળ્યું હતું રોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓનું. ઓફીસ કે દુકાનેથી પાછા ફરતા સ્ટેશન નજીકથી કે સ્ટેશન પરથી સાંજનું છાપું ખરીદવાનો જાણે વણલખ્યો નિયમ. મુસાફરી દરમ્યાન છાપું વંચાતું જાય. એટલે સમાચાર ઓછા, અને હલકું-ફૂલકું વાચન વધારે એવો ઘાટ સાંજનાં છાપાંનો ઘડાતો ગયો.
અરદેશર પટેલ
કોઈ મુંડ મુન્ડાવે, ને કોઈ દાઢી કાઢી નાખે,
કોઈ રાખે ચોટલી ને કોઈ રાખે ચોટલો,
સરવ ધરમનો મરમ સદાચરણ છે,
દુરાચરણ તે પ્રૌઢ પાપ તણો પોટલો. (દલપતરામ)
ભગવાનદાસ કાકાના દીકરાઓ રોજ દાઢી કરવામાં સ્વાવલંબી હતા, પણ ભગવાનદાસ કાકા નહોતા. એટલે રોજ સવારે તેમની દાઢી કરવા પૂંજાભાઈ રોજ ઘરે આવે. ચામડાની કાળી બેગમાંથી એક પછી એક ઓજારો કાઢે, જાણે કોઈ સર્જન ઓપરેશન કરવા માટે પોતાના ઓજારો કાઢતો હોય તેવી અદાથી. રમીલા વહુ માથે ઓઢીને આવે છે અને પિત્તળના એક જૂના ગન્જીયામાં ગરમ પાણી મૂકી જાય છે. હજી શેવિંગ ક્રીમ કે ફોમ આવ્યાં નથી. એક ડબ્બીમાંથી ગોળ આકારનો શેવિંગ કાઢી પૂંજાભાઈ તેના પર પાણીવાળું બ્રશ ગોળ ગોળ ઘૂમાવે છે અને પછી જે ફીણ થાય તે ભગવાનદાસ કાકાની દાઢી પર લગાડે છે. અને પછી લાંબા, ચળકતા અસ્ત્રાથી દાઢીનાં વાળને નિર્મૂળ કરવા મંડી પડે છે. આ બધાં કામ દરમ્યાન તેની જીભ તો સતત ચાલુ જ હોય છે. ગઈ કાલના છાપામાં વાંચેલા ખબર, પડોશી પાસેથી સાંભળેલી અફવાઓ, બીજા કોઈ ઘરાકે આપેલી ‘ખાનગી’ માહિતી. પૂછે છે : તે હેં કાકા! સાંભળ્યું છે કે અંગ્રેજ સરકાર રૂપિયાની નવી નોટ બહાર પાડવાની છે તેના પર ગાયની ચરબી લગાડવાની છે, જેથી દેશ આંખો વટલાઈ જાય. સાચી વાત? પૂંજાભાઈ આ રીતે ઘરમાં આવે એ વિલાસકાકીને બહુ ગમતું તો નથી, પણ શુ થાય? ગામ જેવો ઘરનો ઓટલો મુંબઈમાં ક્યાંથી કાઢવો?
નળ છે વહેતા મીઠા નીરના રે,
ધોરી રગો શરીરમાં જેમ. (દલપતરામ)
સવારે એક ભૈયાજી દૂધ આપી ગયા, હવે આવે બીજા ભૈયાજી, વાવડી કહેતા કૂવાનું પાણી લઈને. આમ તો છેક ૧૮૬૦થી મુંબઈમાં પાઈપ વાતે પાણી આપવાનું શરૂ થયું હતું. અને વીસમી સદીમાં તો લગભગ ઘરે ઘરે નળનું પાણી આવતું. આખો દિવસ નહિ, સવારે અને સાંજે થોડો થોડો વખત. પાણી આવે ત્યારે મોટા પીપડામાં ભરી લેવાનું. પછી જરૂર પ્રમાણે વાપરવાનું. પણ ભગવાનદાસ કાકાના કુટુંબની જેમ ઘણા રુઢિચુસ્ત કુટુંબો નહાવા-ધોવા માટે નાળાનું પાણી વાપરે, પણ પીવા માટે નહિ. નળ આવ્યા તે પહેલાં કૂવા અને તળાવો મુંબઈની તરસ છીપાવતા. હવે તળાવો તો લગભગ રહ્યા નહિ, પણ કૂવાઓ તો હતા. આવા કૂવાનું પાણી તાંબાના ઘડામાં ભરીને રોજ સવારે ભૈયાજી ઘરે-ઘરે પહોચાડે. ગરગડી, દોરડું ને હાન્ડાની મદદથી કૂવામાંથી કાઢેલું પાણી લાકડાના મોટા પીપમાં ઠાલવે. એ પીપ એક ગાડા પર ફિક્સ કરેલું હોય. ગાડું હંકારીને ભૈયાજી ઘરે ઘરે જાય અને ઠરાવ્યા પ્રમાણે રોજ એક-બે હાંડા પાણી આપીને જાય. બોમ્બે હાઈ કોર્ટ પાસેના કૂવાની જેમ કેટલાક કૂવાનું પાણી તો પ્રખ્યાત. એક દિવસ એવો પણ આવશે કે જ્યારે પીવાનું પાણી પ્લાસ્ટિકની બાટલીમાં વેચાશે એવું તો ત્યારે કોઈએ સપનામાં પણ ધાર્યું નહોતું.
ભગવાનદાસ કાકાના ઘરથી થોડે દૂર પ્રિન્સેસ સ્ટૃીટ. પારસીઓની સારી એવી વસ્તી. થોડે દૂર ચીરા બજારની માચાલી બજાર. પારસીઓની વસ્તી હોય ત્યાં માચાલી, પાઉં, ઈંડા વગેરે વેચનારા ફેરિયાઓ રોજ આવે. એ વખતે પાઉં એટલે આજે જેને લાદી પાઉં કહીએ છીએ તે જ. સ્લાઈસ્ડ બ્રેડ ત્યારે કોઈએ જોઈ નહોતી. વહેલી સવારે બેકરીમાં તૈયાર થયેલા તાજા, નરમ પાઉં. સાસુન ડોકની તાજી માછલીઓ. પારસી ઘરોની એક લાક્ષણીકતા. કોઈ ફેરિયાએ દાદર ચડીને ઉપર જવું ન પડે. બાલ્કનીમાં એક મજબૂત દોરીનો એક છેડો કઠેડા સાથે બાંધ્યો હોય. બીજે છેડે વાંસની ટોપલી બાંધી હોય – પ્લાસ્ટિકને આવવાને હજી વાર હતી. ફેરિયો આવે ત્યારે ટોપલી ઉપરથી નીચે સરકાવાવાની. ફેરિયો પાઉં કે ઈંડા કે માચાલી તેમાં મૂકે એટલે દોરી ખેંચીને ટોપલી ઉપર લઇ લેવાની. હવે તેમાં પૈસા મૂકીને ફરી ટોપલી નીચે. ફેરિયો પૈસા લઇ લે એટલે ટોપલી ઉપર. ક્યારેક ઘરનું કોઈ માણસ પાકીટ કે રૂમાલ કે એવું કઈ ભૂલી ગયું હોય ત્યારે પણ આ ટોપલી કામ આવે.
મહાલક્ષ્મી પાસેનો ધોબીઘાટ
અને રવિવારની સવારનો આગંતૂક ધોબી
વોશિંગ મશીન તો હતા નહિ, એટલે ભગવાનદાસ કાકાને ઘરે અને બીજા ઘણા ઘરે દર રવિવારે સવારે ધોબી આવે. ઘરમાં પડેલી કોઈ જૂની ડાયરીને ‘ધોબીની ડાયરી’ બનાવી દેવાય. ધોબીને આપવાના બધાં કપડાં ભેગાં થઇ જાય એટલે રમીલા ડાયરીમાં તેણી નોંધ કરી લે. ૫ ખમીસ, ૪ પાટલૂન, ૩ કફની, ૫ સાડી, વગેરે. ધોબી આવીને એ કપડાં લઇ જાય અને આગલે રવિવારે આપેલાં કપડાં ધોઈ, ઈસ્ત્રી કરીને આપી જાય. ધોવા માટે કપડાં મોટે ભાગે જાય મહાલક્ષ્મી સ્ટેશન પાસે આવેલા ધોબી ઘાટ પર. દર મહીહિને હિસાબ કરીને ધોબીને પૈસા ચૂકવાય. હિસાબ થાય સો કપડાના ૧૫, ૨૦, કે ૨૫ રૂપિયાના હિસાબે. રેશમી કે જરીવાળા ભારે કપડાં ધોબીને ન અપાય. ધોવડાવવાની બહુ જરૂર હોય તો નજીકની લોન્ડ્રીમાં અપાય. ભૂલેચૂકે ધોબીથી એક-બે કપડાં ખોવાઈ જાય કે બદલાઈ જાય તો તે દિવસે તેની સાથે ધર્મયુદ્ધ થઇ જાય. ત્યારે કોલસાની ઈસ્ત્રી વપરાતી એટલે કોઈ વાર એકાદ કપડું થોડું બળી પણ ગયું હોય. ત્યારે મિનિધર્મયુદ્ધ થઇ જાય.
વીતેલાં વર્ષનો ટપાલી
પિત્તળનાં વાસણને કલાઈ કરવા દર બે-ત્રણ મહિને કલાઈવાળો આવે. ગરમ ગરમ કલાઈ લગાડ્યા પછી તરત વાસણને પાણીની બાલ્દીમાં ડૂબાડે ત્યારે જે છમકારો થાય તે સાંભળવાની ભગવાનદાસ કાકાની દીકરીને બહુ મજા આવતી – એ નાની હતી ત્યારે. તો વરસમાં એક વાર ઘરે દરજી બેસે. ઘરના નાના-મોટા, સ્ત્રી-પુરુષ-બાળક બધાના આખા વરસનાં કપડા સીવે. બધા માટેનાં કાપડની ખરીદી એક સાથે તાકાને હિસાબે થાય. એટલે બધા છોકરાના ખમીસ-પાટલૂન એક જ કપડાંના, છોકરીઓનાં ફરાક એક જ કપડાંના. દરજી દર વરસે આવે એટલે તેને માપ લેવાની ભાગ્યે જ જરૂર પડે. છતાં જરૂર પડે તો પુરુષો-છોકરાઓના માપ લે, પણ મા-બહેનોના માપ તો લેવાય જ નહિ. જરૂર પડે તો અગાઉ સીવેલું કોઈ કપડું નમૂના તરીકે માગી લે. એવી જ રીતે લગનસારા પહેલાં ઘરે પરોણીગર બેસે. મોતીના બંગાળી, માલા વગેરે ઘરેણાં પરોવીને નવા તૈયાર કરી આપે. એ માટેના સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના ‘ઘરા’ કે ખોખા પહેલેથી ગુલાલ વાડી જઈને ખરીદી લીધા હોય. જે ઘરેણાં ભાંગ્યા-તૂટ્યાં હોય તે સમાનામા પણ કરી આપે.
પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 04 જાન્યુઆરી 2020