આજે, ભામહ, દણ્ડી અને ઉદ્ભટ્ટ વિશે —
ભામહનો સમય છે, છઠ્ઠા શતકનો મધ્યકાળ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાલંકાર”.
દણ્ડીનો સમય છે, સાતમા શતકનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાદર્શ”.
ઉદ્ભટ્ટનો સમય છે, નવમા શતકનો પૂર્વાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાલંકારસારસંગ્રહ”.
કાવ્યનું માધ્યમ ભાષા છે. ભાષાથી કાવ્યભાષા શી રીતે સંભવે? ભામહ, દણ્ડી કે ઉદ્ભટ્ટનો સહિયારો ઉત્તર એ હોઈ શકે કે અલંકારથી ! અને તેથી તેઓ અલંકારયુક્ત ઉક્તિને લક્ષમાં લે છે. અને તેથી એમનું ધ્યાન ભાષાથી ખસીને વાણી પ્રતિ સવિશેષે જાય છે.
અહીં દરેકના મને ગમી ગયેલાં મન્તવ્યો રજૂ કરું :
ભામહ —
ભામહે વક્ર વાણીની વાત વિસ્તારથી કરી છે. વક્ર વાણીનો સમ્બન્ધ એમણે અલંકારતત્ત્વ સાથે જોડ્યો છે અને અલંકારનો સમ્બન્ધ એમણે અતિશયોક્તિ અને વક્રોક્તિ સાથે જોડ્યો છે; એમનું એ મન્તવ્ય મને ખૂબ ગમ્યું છે. તેઓ દર્શાવે છે કે લોકવ્યવહારમાં પ્રયોજાતી વાણીનું, એ લોકસીમાનું, કોઈ ઉક્તિમાં અતિક્રમણ થાય ત્યારે તેને અતિશયોક્તિ અલંકાર કહેવો જોઈશે. કહે છે કે તમામ અતિશયોક્તિ વક્રોક્તિ હોય છે; વક્રતાથી અર્થ ચમત્કૃત થાય છે; કવિએ એ માટે યત્ન કરવો ઘટે. ઉમેરે છે કે વક્રોક્તિ વિનાનો અલંકાર તો બતાવો !
તેમછતાં, એમણે બધી અતિશયોક્તિઓનો મહિમા નથી કર્યો. કહે છે, ‘નિતાન્ત’ વગેરે શબ્દોથી સરજાતી અતિશયોક્તિથી વાણીનું સૌષ્ઠવ ન સચવાય; વક્રતાયુક્ત શબ્દ અને અર્થની ઉક્તિને જ વાણીનો કામ્ય અલંકાર કહેવાય ! સૂર્યાસ્ત થઇ ગયો છે, ચન્દ્રમા ચમકી રહ્યો છે, પક્ષીગણ નિવાસ ભણી જઈ રહ્યાં છે – ભામહ પૂછે છે, આ પણ ભલા શું કાવ્ય છે -? એ તો વાર્તા છે, સમાચાર ! —ઇત્યેવમાદિ કિમ્ કાવ્યમ્ વાર્ત્તામેનામ્ પ્રચક્ષતે I
વક્ર વાણીના પ્રયોગમાં શું ન કરવું જોઈએ એનો એમણે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. કહે છે, અપ્રયુક્તનો પ્રયોગ ન કરવો જોઈએ, કેમ કે ચિત્તને એ મોહમાં નાખે છે; જેમ કે, ‘હન્’ ધાતુનો ‘ગતિ’ અર્થ દર્શાવાયો છે છતાં તેનો પ્રયોગ કરવો યોગ્ય નથી; જે શબ્દ અન્ય એકદેશી શાસ્ત્રોથી સિદ્ધ હોય તેનો પણ પ્રયોગ ન કરવો જોઈએ; છન્દોવત્ (વેદવત્)-નો પ્રયોગ પણ ન કરવો જોઈએ; અને છાન્દસ્ (વૈદિક) પદોના પ્રયોગ પણ ન કરવા જોઈએ. જે ક્રમે આવ્યા હોય, કર્ણપ્રિય હોય, એ સાર્થક શબ્દો જ પ્રયોજવા જોઈએ.
ભામહ ૪ પ્રકારના વાણીદોષ વર્ણવે છે : શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, કલ્પનાદુષ્ટ અને શ્રુતિકષ્ટ. ચારેયના અર્થ સ્વયંસ્પષ્ટ છે.
આપણે જાણીએ છીએ કે કેટલાક સાહિત્યકારોની વાણી સાંભળીએ ત્યારે એમાં રહેલા દોષની આપણને તરત પ્રતીતિ થાય છે; કેટલાકની વાણીમાં અર્થનો દોષ પરખાય છે. તો, કેટલાકોએ કલ્પનાને એટલી બધી ચગવી હોય છે કે એ દોષને કારણે એમનું સમગ્ર સર્જન તૂટી પડે છે. અને, કેટલાકને સાંભળીએ પણ આપણને કષ્ટ પડતું હોય છે.
એક સમર્થ આલંકારિક તરીકે ભામહે શબ્દાલંકારો અને અર્થાલંકારો બન્નેનો સરખે સરખો સ્વીકાર કર્યો છે. કહે છે, કેટલાક વિદ્વાનો રૂપકાદિ અલંકારોને બાહ્ય લેખે છે. તેઓ સુબન્ત અને તિડ્ન્ત પદોના અનુપ્રાસ આદિ શબ્દાલંકારોને ચમત્કારક માને છે અને કહે છે કે શબ્દરચનાનું ચાતુર્ય જેટલું ચિત્તાકર્ષક હોય છે તેટલું અર્થાલંકારોનું નથી હોતું.
એ લોકોના મન્તવ્ય સંદર્ભે હું દાખલો આપું : તેઓને ‘રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં આ ગુલ્મને આંગણ’-માં, એ અર્થાલંકારમાં, ચમત્કાર નહીં અનુભવાય, પરન્તુ ‘કાચના કબાટમાંથી કાચી કૅરીનું કચુંબર કરો’, એ વર્ણસગાઈ ચિત્તાકર્ષક લાગશે. પરન્તુ, ભામહ કહે છે, અમને તો બન્ને પ્રકારના ભેદોથી વિશિષ્ટ કાવ્ય ચમત્કારક હોવાથી રુચે જ છે.
કવિ અને કાવ્યશાસ્ત્ર બન્નેની પ્રશંસા કરતાં ભામહ કહે છે, ધન વગરની વ્યક્તિ જેમ દાતા ન થઈ શકે, નપુંસક વ્યક્તિમાં જેમ અસ્ત્રચાતુર્ય ન હોઈ શકે, અજ્ઞ જનમાં પણ જેમ ચાતુર્ય ન હોઈ શકે, એમ અ-કવિ કદી શાસ્ત્રજ્ઞાતા ન હોઈ શકે.
કવિઓનો મહિમા કરતાં કહે છે, ગુરુના ઉપદેશથી જડ બુદ્ધિવાળો પણ શાસ્ત્ર વાંચી શકે છે, પણ કાવ્ય તો કોક પ્રતિભાશાળી જ રચી શકે છે. કહે છે, સારા કાવ્યના રચનાકારોનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તો પણ એમનું કાવ્યરૂપી શરીર અક્ષય જ રહે છે. પણ કુકવિઓ માટે કહે છે, કવિ ન હોવું તે અધર્મ કે વ્યાધિના દણ્ડને પાત્ર થવા જેવું છે, પરન્તુ કુકવિત્વને તો પણ્ડિતોએ સાાક્ષાત મૃત્યુ જ ગણ્યું છે.
દણ્ડી —
અલંકારનું સ્વરૂપ વર્ણવતાં દણ્ડી કહે છે કે કાવ્યના સૌન્દર્યકારી ગુણોને અલંકાર કહેવાય છે. દણ્ડી પણ એ જ કહે છે કે લોકમર્યાદાના ઉલ્લંઘનથી અતિશયોક્તિ અલંકાર જનમે છે, પણ જણાવે છે કે અલંકારોમાં તેને ઉત્તમ ગણવામાં આવ્યો છે – અસાવદતિશયોક્તિ: સ્યાદલંકારોત્તમા યથા I
એમનું એ મન્તવ્ય મને ખૂબ ગમ્યું છે કે અલંકારના એમણે ૩ પ્રકાર દર્શાવ્યા, પ્રેય:, રસવત્, ઉર્જસ્વી; પણ એ પ્રકારોમાંના રસવત્-ને એમણે રસ સાથે પણ જોડ્યો. દરેક પ્રકાર માટે એમણે ઉદાહરણ પણ આપ્યું છે.
૧ :
દણ્ડી કહે છે, પ્રેય: પ્રિયતરાખ્યાનમ્ – પ્રીતિકર ભાવથી થયેલું કથન પ્રેય: અલંકાર છે.
ઉદાહરણ : હે ગોવિન્દ ! તારા આજે મારે ઘેર આવવાથી મને જે પ્રસનન્તા થઈ છે, એ તું કોઈ બીજા સમયે આવીશ ત્યારે ફરીથી થશે. વિદુરે આ યોગ્ય જ કહ્યું છે કેમ કે એમનામાં છે એટલું ધૈર્ય બીજાઓમાં તો હોય જ ક્યાંથી? એટલે, વિદુરના આ વચનથી માત્રભક્તિ દ્વારા પૂજનીય હરિ સંતોષ પામ્યા છે. આ ઉદાહરણમાં રજૂ થયેલું કથન હરિ વિશે પ્રીતિકારક છે તેથી અહીં પ્રેય: અલંકાર છે.
૨ :
દણ્ડી કહે છે, રસવદ્ રસપેશલમ્ – રસથી ઉત્પન્ન આનન્દને આપનારા ભાવનું કથન રસવત્ અલંકાર છે.
ઉદાહરણ : (ચીરહરણ પ્રસંગે) જેણે મારી સામે દ્રૌપદીને વાળથી પકડીને ખૅંચી હતી એ આ પાપાત્મા દુ:શાસન મને મળી ગયો છે, તે શું હવે ક્ષણ માટે ય જીવિત રહેશે ખરો? શત્રુને જોઈને ભીમનો ‘ક્રોધ’ સ્થાયી ભાવ ઉચ્ચ અવસ્થાએ પ્હૉંચીને ‘રૌદ્ર’ રસના રસત્વને પામ્યો છે. તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.
દણ્ડીએ રસવત્ અલંકારનાં અન્ય ઉદાહરણ પણ આપ્યાં છે : અનેક સમુદ્ર સહિત પૃથ્વીને નહીં જીતીને, અશ્વમેધ વગેરે યજ્ઞોનું યજન નહીં કરીને, અને યાચકોને ધનનું વિતરણ નહીં કરીને, હું શી રીતે રાજા હોઈ શકું? : અહીં ‘ઉત્સાહ’ સ્થાયી ભાવ ‘વીર’ રસના રસત્વને પામ્યો છે તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.
જે કોમળાંગીને પુષ્પોની શય્યા પણ કષ્ટદાયક લાગેલી એ તન્વંગી પ્રજ્વલિત ચિતા પર શી રીતે આરોહણ કરી શકે? અહીં ‘શોક’ સ્થાયી ભાવ ‘કરુણ’ રસના રસત્વને પામ્યો છે તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.
દણ્ડી ઉમેરે છે, આ રીતે બીભત્સ, હાસ્ય, અદ્ભુત, ભયાનકનાં રસવત્ ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.
૩ :
દણ્ડી કહે છે, ઉર્જસ્વિ રૂઢારહંકારમ્ – જેમાં અહંકારની સ્પષ્ટ અભિવ્યક્તિ થઈ હોય તે ઉર્જસ્વિ અલંકાર છે.
ઉદાહરણ : હું તારો શત્રુ છું, એ વિચારીને તારા હૃદયમાં મારે કારણે ડર પેદા ન થવો જોઈએ. મારી તલવાર મારાથી વિમુખ થનારાઓ પર કદી પ્રહાર નથી કરતી. કોઈ અહંકારી પુરુષે યુદ્ધમાં પરાજિત શત્રુને આવું કહીને છોડી દીધો. દણ્ડી ઉમેરે છે, આ પ્રકારનાં કથનોમાં ઉર્જસ્વિ અલંકાર હોય છે.
ઉદ્ભટ્ટ —
ઉદ્ભટ્ટ પણ અલંકારના પ્રેય:, રસવત્ અને ઉર્જસ્વિ પ્રકારો વર્ણવે છે. પરન્તુ મને ગમવાનું કારણ એ છે કે એ દરેક પ્રકારને તેઓ રસતત્ત્વ સાથે વિશદ રીતે જોડે છે :
જેમ કે, કહે છે કે, જે કાવ્યમાં શ્રુંગારાદિ રસનો ઉદય ચોખ્ખા રૂપમાં દર્શાવી શકાય એને રસવત્ અલંકાર કહેવાય છે.
જેમ કે, કહે છે કે, રતિ આદિ સ્થાયીભાવોને સૂચવનારા અનુભાવથી થયેલી રચનામાં પ્રેય: અલંકાર હોય છે.
જેમ કે, કહે છે કે, કામ ક્રોધ વગેરે કારણોથી અનૌચિત્યમાં પ્રવૃત્ત ભાવ અથવા રસ ધરાવતી રચનામાં ઉર્જસ્વિ અલંકાર હોય છે.
એક ‘સમાહિત’ અલંકાર વિશે ઉદ્ભટ્ટ જણાવે છે કે –
રસભાવત્દાભાસવૃત્તે: પ્રશમબન્ધનમ્ I
અન્યાનુભાવનિ:શૂન્યરૂપમ્ યત્તત્સમાહિતમ્ II
જે રચનામાં રસ, ભાવ, રસાભાસ કે ભાવાભાસના પ્રશમનું વર્ણન હોય, અને બીજા રસોના અનુભાવ નિ:શૂન્યરૂપ હોય, તેને સમાહિત અલંકાર કહેવાય છે.
ઉદાહરણ : ગિરિસુતાનાં નેત્ર, ભ્રમરોના વિભ્રમપૂર્ણ ભ્રમ અને રોમાંચના સ્વેદથી પ્રસન્ન મુખરાગ જોઈને મહાદેવ સ્મરજ્વરથી પ્રદીપ્ત સર્વ અંગો સાથે સ્વસ્તિપૂર્વક એની નજીક સરકી ગયા.
દણ્ડી અને ઉદ્ભટ્ટની વિશેષતા એ છે કે તેઓએ અલંકારતત્ત્વનો રસતત્ત્વ સાથે સમ્બન્ધ સ્થાપ્યો તેથી અલંકાર બાહ્ય ઘરેણું છે એ માન્યતાનો નિકાલ થઈ ગયો.
= = =
(01/12/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર