(This series of my writing I dedicate to my friends, Prabodh Parikh, Paresh Naik, Babu Suthar, Amrit Gangar, Hemang A., Kamal Vora, Vipool Kalyani, Abhimanyu Acharya, Aditya Joshi, Satishchandra Joshi, Madir Shah and Purvarag Shah …)
આપણા સામ્પ્રત સાહિત્યનો વિચાર કરું છું તો એનો એક વિશેષ ઊડીને આંખે વળગે છે. તે એ કે ધર્મવિચાર, અધ્યાત્મવિદ્યા, ઇતિહાસ, સમાજકારણ, રાજકારણ કે વિજ્ઞાન સાથેનો એનો અનુબન્ધ કપાઈ ગયો છે. એ સર્વથી કપાયેલું આજનું એ સાહિત્ય જીવે છે ખરું પણ શબ્દ અને તેના લેખનની આવડતના જોરે ચલાય એટલું ચાલ્યા કરતા નાનકડા કોઈક જીવજન્તુ જેવું ! એના એ લઘુ કદથી મોટા ભાગનાઓ ત્રસ્ત છે પણ કોઈને એના વિકાસનો કે નાશનો વિચાર આવતો નથી.
પરિણામે રાજશાસન સંસ્કૃતિ સભ્યતા સમાજ અને આપણને સવિશેષે વ્હાલા આપણા સાહિત્ય વિશે કે કલા માત્ર વિશે, આપણે આજે નિરાશ, હતોત્સાહથી મન્દપ્રાણ અને કિમ્ કર્તવ્યમૂઢ મનોદશામાં સબડી રહ્યા છીએ. એવું કેમ છે એનો વિચાર માંડવાને ઘણું મૉડું થઈ રહ્યું છે.
આપણી હરેક સાહિત્યપરક સદેચ્છા છિન્નભિન્ન થઈ રહી છે. નથી તો માર્ગદર્શન મળતું, સંસ્કૃત કે પશ્ચિમની સાહિત્યમીમાંસાએથી કે એને આધાર આપતી પૂર્વની કે પશ્ચિમની એકેય ફિલસૂફીએથી. આજે લગભગ સૌ સંવેદનશીલ બૌદ્ધિકોને તમામ ગ્રાન્ડ નૅરેટિવ્ઝ ચૂપ અનુભવાય છે, એકે ય પરમ્પરિત કે સુરચિત કહેવાતું વિશ્વદર્શન પ્રેરણા કે ઉપકારક સાતા આપી શકતું નથી.
બીજી તરફ, આ ગ્લાનિના નિરસન માટે કોઈ વ્યક્તિવિશેષ સંભવશે એવી આશા રાખવી તે તો મને બાલિશ રોમાન્ટિસિઝમ લાગે છે. આપણી પાસે મેઇન સ્ટ્રીમમાં સંસ્થાપિત એકે ય મનીષી નથી કે નથી આપણી પાસે એકે ય નવલોહિયો પ્રતિભાવન્ત નવોદિત. સૌ આમ જ અને કેટલાક અંગત બળે સામે વ્હૅણ ઝઝૂમી રહ્યા છે. ટૂંકમાં, આપણે ઠોસ વૈચારિક આધારો વિનાની દયનીય દશામાં જીવીએ છીએ.
આનું એક કારણ તો આપણે જ છીએ. આપણે કશો નવ્ય વિચાર વિચારતા જ નથી. આપણને જાણ્યે-અજાણ્યે પરિસ્થતિ કોઠે પડી ગઈ છે. સમજીને કે ના-સમજીને આપણે સ્થિતસ્ય સમર્થનમ્ કરી રહ્યા છીએ. કશાક ગુપ્ત ભયે કરીને આપણે સીમાઓમાં સુખ જોઈ રહ્યા છીએ. આપણાં સાહસ જૂથબંધીમાં અને કોણ મોટો કોણ નાનો-ની હુંસાતૂંસીમાં ખરચાઇ રહ્યાં છે. અને, એવું જાણવા છતાં આપણે એ જ કરી રહ્યા છીએ, એટલે કે, મહા પ્રજ્ઞાપરાધમાં સરી રહ્યા છીએ.
આ દુરાવસ્થાનું બીજું મોટું કારણ તો એ છે કે આપણામાંના ભાગ્યે જ કોઈનું મૉઢું બદલાઇ રહેલા યુગ ભણી છે. પ્રેઝન્ટ ટાઇમસ્પિરિટથી આપણામાંના કોણ કોણ વાકેફ છે, એ પ્રશ્નનો ઉત્તરદાતા નિરાશવદન છે. સરેરાશ ગુજરાતી સાહિત્યકારની જ્ઞાનપરક દુનિયાનું ક્ષેત્રફળ આઠ-દસ ચોરસ ફીટથી વધારે નથી. એ એક સમર્થ કલાકાર તરીકે વિશ્વ સામે નથી ઊભો.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબરનેટિક્સ, કમ્પ્યૂટર સાયન્સ, ઇન્ટરનેટ ટૅક્નોલૉજિ, કે ગૂગલ જેવાં પ્લૅટફૉર્મ્સની સત્તાએ મનુષ્યને જે દિશામાં વિચારતો કર્યો છે એની આપણામાંના ભાગ્યે જ કોઈને જાણ છે. એટલું જ નહીં, આપણે એવી સંકીર્ણ અને રુગ્ણ મનોદશાનો ભોગ બન્યા છીએ કે એ અધુનાતન વિચારોની દિશાએ તો કદી ફરકવું જ નહીં …
આ સંજોગોમાં, હું Yuval Noha Harari-ની પ્રભાવક અને સમુપકારક વિચારધારાનો પરિચય મેળવવા અને સૌ જિજ્ઞાસુઓને આપવા ચાહું છું.
હરારી ઇઝરાઇલી છે, જાહેર બોદ્ધિક છે, હીબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલામમાં ઇતિહાસના પ્રૉફેસર છે. ૧૯૭૬માં જનમેલા ૪૭ વર્ષના હરારીનાં ત્રણ પુસ્તકોએ વિશ્વભરના વિચારકો-ચિન્તકોનું ધ્યાન ખૅંચ્યું છે. એ પુસ્તકો છે,
Sapiens: A Brief History of Humankind.
Homo Deus: A Brief History of Tomorrow.
21 Lessons for the 21st Century.
અલબત્ત, એ પુસ્તકોમાં સાહિત્ય કે કલાવિષયક સીધું કંઈ જ નથી પણ સાહિત્ય અને કલાઓ જે વિશ્વમાં હવે જનમવાની છે, જીવવાની છે, એ વિશ્વની એમાં એક વૈજ્ઞાનિક કલ્પના છે, આગાહી છે, આલોચના છે.
Big history અને Social philosophy હરારીનાં ગમતીલાં વિષયક્ષેત્રો છે.
વિશેષ, હવે પછી.
= = =
(05/23/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર