રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19 મે, 2023 ને રોજ 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરીને આખા દેશને આંચકો આપ્યો છે. આનાથી મોટો આંચકો 2016ની 8 નવેમ્બરની રાતના 8 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 500ની અને 1,000ની નોટોને ચલણમાંથી રદ્દ કરીને આપ્યો હતો. એ રાત્રે 12 પછી 15.44 લાખ કરોડની 86 ટકા નોટ એક જ ઝાટકે રદ્દ થઈ ગઈ હતી. આવા આંચકાઓ મંત્રીઓની બદલીઓ કરીને, સર્જિકલ સ્ટ્રાઈક કરીને, 370મી નાબૂદ કરીને અપાતા જ રહ્યા છે. એટલું છે કે દેશની પ્રજાને સતર્ક ને ચિંતિત રાખવાના ઉદ્દેશોમાં સરકાર મહદ્દ અંશે સફળ રહી છે. 2016માં હજાર, પાંચસોની નોટો રદ્દ થતાં જ રોકડની જરૂર એકદમ વધી, એટલે RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ 2,000ની નોટો છાપવામાં આવી. નોટ છાપવાનો હેતુ બર આવતાં, હવે છ વર્ષે 2,000ની નોટ પાછી ખેંચવાનો રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે. આ નિર્ણય ‘જોર કા ઝટકા ધીરે સે લગે’ એ પ્રકારનો છે. આમ તો રિઝર્વ બેન્કે 2,000ની નોટોને ચલણમાંથી બહાર કરવાનું 2017-‘18થી જ શરૂ કર્યું હતું ને 2019-‘20થી તો બે હજારની નોટો છાપવાનું પૂર્ણપણે બંધ જ છે. છેલ્લાં ચાર વર્ષમાં રિઝર્વ બેન્કે જ બે હજારની 102 કરોડ નોટ રદ્દ કરી છે. અહીં સવાલ એ થાય કે 2016 પહેલાં જેનું અસ્તિત્વ જ ન હતું એ બે હજારની નવી નોટો રદ્દ કરવાની સ્થિતિ કેમ આવી? એ સાચું કે નોટબંધીને કારણે ચલણની જરૂર ઊભી થતાં નવી નોટ બહાર પાડવી પડે એમ હતું, પણ બે હજારની નોટ બહાર પડવાને કારણે જમાખોરીને ઉત્તેજન આપવા જેવું જ થયું. હવે ચલણમાંથી એ નોટ પાછી ખેંચીને રિઝર્વ બેન્ક કદાચ પ્રાયશ્ચિત કરી રહી છે.
23 મેથી કોઈ પણ ચાર્જ વસૂલ્યા વગર બે હજારની નોટ ખાતામાં ભરવાનું કે બદલવાનું શરૂ થશે ને તે 30 સપ્ટેમ્બર, 2023 સુધી ચાલશે, પણ પ્રજાને રઘવાઈ થઈને દોડવાનો અનુભવ છે એટલે એ તો આ મામલે લાઇન નહીં લગાવે ત્યાં સુધી જંપવાની નથી. એને 2016નો, કલાકો લાઇનમાં ઊભાં રહેવાનો ને મરવાનો અનુભવ છે, એટલે એ નવો અનુભવ લેવા જૂના અનુભવની ફાળ સાથે તત્પર હોય તેમાં નવાઈ નથી. પ્રજા તો 23મીથી 20 હજારની મર્યાદામાં, એટલે કે 2,000ની 10 નોટને હિસાબે ખાતામાં જમા કરાવવા કે બદલાવવા દોડશે કે 2,000ની બે નોટને હિસાબે બેન્કોમાં બદલી કરવા ફોર્મ ભરશે ને કેવાયસીની પ્રક્રિયા પૂરી કરશે, એવી વાત હતી, પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ.) તરફથી એવો ખુલાસો આવ્યો છે કે 2.000ની 10 નોટની બદલીમાં કોઈ ઓળખ આપવાની નથી કે નથી તો કોઈ ફોર્મ પણ ભરવાનું. રહી વાત ગામડાંની તો લોકો બિઝનેસ કોરસપોન્ડન્ટની મદદથી 2,000ની બે નોટ બદલાવી શકે છે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને બે હજારની નોટો ઇસ્યુ ન કરવાની તાકીદ પણ કરી છે. ટૂંકમાં, રિઝર્વ બેન્કે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ બે હજારની નોટ ખેંચવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પછી પણ કોઈ ફેરફાર આવે તો તેની તૈયારી લોકોએ રાખવાની રહે. હા, રિઝર્વ બેન્ક પોતે પણ નોટ બદલી માટે પોતાની પ્રાદેશિક શાખાઓ પર વ્યવસ્થા ઊભી કરશે એટલે જરા પણ પેનિક થવાની જરૂર નથી, વળી 30મી સપ્ટેમ્બર સુધીનો પૂરતો સમય છે, એટલે બહુ લાઇન નહીં લાગે, પણ જેની પાસે બે હજારની વધુ નોટો છે ને એક સાથે બે હજારની 10થી વધુ નોટો બદલી ન શકાય એવો નિયમ હોય ત્યારે વીસ વીસ હજાર જમા કરાવવા માણસો ઊભાં કરવા પડે ને એ મફતમાં નહીં થાય તો થોડી ખોટ ખાઈને પણ બે હજારની નોટોને ઠેકાણે પાડવા અમીરો કોશિશ કર્યાં વગર નહીં જ રહે ને એ કારણે પણ લાઈન લાગવાની શક્યતાઓ વધે જ છે. એવું બે હજારની બબ્બે નોટો બદલાવવાની બાબતે પણ ખરું જ !
આ બબ્બે નોટોની કે વીસ હજારની લિમિટ કેમ, આ અંગે પુછાતા રિઝર્વ બેન્કના જ પૂર્વ ડેપ્યુટી ગવર્નરે સ્પષ્ટતા કરી છે કે નોટો અસલી છે કે નકલી, એની ચકાસણી કરવામાં સમય લાગે ને એ દરમિયાન અન્ય ગ્રાહક સેવાઓ ન ખોરવાય એટલે આ મર્યાદાઓ મુકાઈ છે. એનો અર્થ તો એ પણ ખરો કે બ્લેકની નોટો સાથે નકલી નોટોનું જોખમ પણ છે જ. 2016ને યાદ કરીએ તો 2,000ની નોટો બહાર પડી તે અરસામાં જ 2,000ની નકલી નોટો પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડવામાં આવેલી. એ સૂચક છે કે ભારતની સમાંતરે જ બે હજારની નોટો પાકિસ્તાનમાંથી બહાર પડવાનું શરૂ થયેલું ને ઘણી નકલી નોટો ભારતમાં પધરાવવામાં આવેલી. હકીકતે તો 2,000ની નોટો બહાર પાડવાનું પગલું જ નોટબંધીની આખી યોજના પર વિપરીત અસર પાડનારું હતું. તે એટલે કે જમાખોરી રોકવા જો હજાર, પાંચસોની નોટો રદ્દ કરી હોય, તો બે હજારની નોટોથી તો જમાખોરી ઑર વધે એમ હતું. હજારની બે નોટ તિજોરીમાં રાખવા કરતાં બે હજારની એક નોટ રાખવાનું વધારે સગવડ ભર્યું હતું, કારણ એથી જગ્યા ઓછી રોકાતી હતી ને વધુ નોટો સાચવવાની સગવડ આપોઆપ જ ઊભી થતી હતી. બીજું એ કે પાંચસોની નોટ બંધ કરીને પાંચસોની નવી નોટ જેમ બહાર પાડી એમ જ હજારની નોટ બંધ કરીને હજારની નવી નોટ બહાર પાડવાની હતી, તેને બદલે બે હજારની નોટો બહાર પાડી. એમ થતાં જમાખોરીને ઉત્તેજન આપવા જેવું જ થયું ને એની સમાંતરે નકલી નોટોનું ચલણ પણ વધ્યું. આ બધાંનો કાઁગ્રેસ, આપ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) જેવા વિપક્ષોએ એમ કહીને વિરોધ કર્યો કે નોટબંધી જેવો નિર્ણય નિષ્ણાતોને વિશ્વાસમાં લીધા વગર લેવાયો હતો, એમાં તથ્ય પણ હતું, પણ એનું કશું ઉપજયું નહીં.
હવે જ્યારે 2,000ની નોટો પાછી ખેંચવાની વાત આવી છે તો સપ્ટેમ્બરની ત્રીસમી સુધીમાં જેટલી નોટો બહાર પડી છે એનાથી વધુ નોટો પાછી આવે એમ બને. ઘણી નોટો પાછી ખેંચાઈ હોવા છતાં હજી 3.62 લાખ કરોડની નોટો ચલણમાં છે. આમ તો નોટબંધીનો આખો વેપલો કાળું નાણું બહાર કઢાવવાનો હતો, પણ ત્યારે પરિણામ નોટની બદલીમાં વધુ આવ્યું હતું. હવે જ્યારે 2,000ની નોટો પાછી ખેંચવાની વાત છે તો એમાં પણ બ્લેકના વ્હાઇટ થવાની તકો વધે એમ બને.
એ તો 30મી સપ્ટેમ્બરે ખબર પડે, પણ 23મી મેની રાહ જોયા વગર જ લોકો સોનામાં બે હજારની નોટોને રોકવા જ્વેલર્સને ત્યાં ઉપડ્યા તો એમને માટે વેપારીઓએ સોનાનો ભાવ 63 હજારથી વધારીને 72 હજાર કરી દીધો, તો ક્યાંક 2,000ની નોટના 1,950 આપવાનું પણ બન્યું, તો, કોઈકે લાખોનો ટેક્સ ભરવાનો બાકી હતો, તે ભરી દઈને બે હજારની સેંકડો નોટોને ઠેકાણે પાડી દીધી. કેટલાક પેટ્રોલ પંપવાળાઓએ 500નું પેટ્રોલ પુરાવાય તો જ બે હજારની નોટ લેવાનું કબૂલ્યું. એ જ રીતે ગાડીની ખરીદીમાં ડાઉન પેમેન્ટ બે હજારની નોટમાં કરવાનો આગ્રહ પણ રખાયો. સુરતમાં એ.પી.એમ.સી.માં ખેડૂતોએ અને આંગડિયાઓએ તો બે હજારની નોટો લેવાનો જ ઇન્કાર કરી દીધો. આ રીતે નોટો લેવાનો ઇન્કાર કરી શકાય નહીં, કારણ 2,000ની નોટો લીગલ ટેન્ડર તરીકે હજી નકારાઈ નથી, તે ત્યાં સુધી કે 30મી સપ્ટેમ્બર પછી પણ કોઈ પાસેથી 2,000ની નોટ મળી આવે તો તેની સામે કાનૂની કાર્યવાહી નહીં થાય એવી સ્પષ્ટતા પણ રિઝર્વ બેન્કે કરી છે. શિરડીનાં સાંઈ સંસ્થાને તો ‘ભેંશ ભાગોળે..’ની જેમ અત્યારથી જ દાન પેટીમાં બે હજારની નોટો ન નાખવા અનુરોધ કર્યો છે. આવી તો કૈં કૈં રમતો હજી થાય તો નવાઈ નહીં ! નથી લાગતું કે અપ્રમાણિકતા જ આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે?
હવે 2,000ની નોટ બંધ કરીને રિઝર્વ બેન્ક નવી નોટ બહાર પાડશે કે 500ની નોટો જ મોટાં ડિનોમિનેશન માટે પૂરતી થઈ પડશે એ અંગે નિષ્ણાતોનો મત એવો છે કે હવે લોકો ઘણું ખરું મોટી રકમ ડિજિટલ પેમેન્ટથી ચૂકવતાં થયાં છે એટલે મોટી નોટો બહાર નહીં પડે તો ચાલે, પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે જમીનની, મકાનોની ખરીદીમાં આજે પણ પચાસ ટકા લગભગ બ્લેકના ચૂકવાય છે ને એ રકમ એવી હોય છે કે તેનું 200-500ની નોટોમાં ચૂકવણું સગવડ ભરેલું ન જ હોય. રિઝર્વ બેન્કે નાણાંકીય વ્યવહારો સરળ કરવા હોય તો હજારની બંધ પડેલી નોટો નવેસરથી છાપવી જોઈએ. એ સાચું છે કે એ નોટો મોટે ભાગે તિજોરીઓનું જ વજન વધારતી હોય છે, પણ કાળું નાણું આપણે જ અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકાર્યુ હોય ત્યાં બીજો ઈલાજ નથી. એ પણ છે કે મોટી રકમ હવે સોનાચાંદી કે હીરાઝવેરાતમાં પણ રોકાય છે. એટલે મોટી નોટોથી જ કાળું નાણું વધે છે એ વાત પૂરી સાચી નથી. એમ તો ભારતીય ચલણમાં પાંચ હજારની અને દસ હજારની નોટો પણ હતી ને એ પણ મોરારજી દેસાઈની સરકારે 16 જાન્યુઆરી, 1978ને રોજ રદ્દ કરી હતી. આઝાદી પછીની એ પહેલી નોટબંધી હતી. એ નોટબંધી પણ કાળું નાણું બહાર કઢાવવાની ગણતરીએ જ થઈ હતી, પણ આજ સુધી એવું બન્યું નથી કે કાળું નાણું નાબૂદ થયું હોય. થોડો ટેક્સ ભરીને, ઘણો ટેક્સ બચાવવાની માનસિકતા લોકોમાં એ હદે ઘર કરી ગઈ છે કે નોટબંધી એક ઉપાય હોઈ શકે, પણ તે કાળું નાણું રોકવાનો એક માત્ર ઉપાય નથી જ ! રોકડી વાત એ છે કે નાણું બંધ થાય તો કદાચ કાળું નાણું બંધ થાય ને સૌ જાણે છે કે નાણું બંધ થાય એમ નથી, તો કાળું નાણું તો ક્યાંથી બંધ થવાનું…
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 મે 2023