મુસ્લિમ સમાજસુધારક હમીદ દલવાઈ(૧૯૩૨ • ૧૯૭૭)નાં પત્ની જ નહીં પણ આજીવન કાર્યસાથી મેહરુન્નિસા દલવાઈનું આઠમી જૂને અઠ્ઠ્યાશી વર્ષની વયે પૂનામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેમના દેહને અંતિમ દર્શન માટે પૂનાના હડપસર પરાની સાને ગુરુજી અસ્પતાલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ સદ્ગતની ઇચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું.
પૂનામાં પચીસમી મેના રોજ જન્મેલાં મેહરુન્નિસાએ છવ્વીસમા વર્ષે હમીદ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન પહેલાં ઇસ્લામિક રસમ મુજબ અને પછી ૧૯૫૪ના વિશેષ લગ્નકાયદા મુજબ નોંધણીથી પણ કરવામાં આવ્યાં. ઉર્દૂભાષિક મેહરુન્નિસા ટૂંકા ગાળામાં મરાઠીમાં પણ પાવરધાં બન્યાં. દલવાઈ દંપતીની રૂબિના અને ઇલા એવી બંને દીકરીઓએ આંતરધર્મીય લગ્ન કર્યાં છે. હમીદના અવસાન પછી મેહરુન્નિસા મુસ્લિમ સત્યશોધક મંડળમાં વધુ સક્રિય બન્યાં. તેના પ્રમુખ તરીકે પણ તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી. એમણે ૧૯૮૬-૮૭માં તલ્લાક સામેના વિરોધ સરઘસની પહેલ કરી. ‘मी भरून पावले आहे' (હું પરિતૃપ્ત છું), નામે તેમની આત્મકથા ખૂબ વંચાય છે. તેમને અંજલિ તરીકે આઠમી જૂનના ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અખબારનો તંત્રીલેખ અહીં રજૂ કર્યો છે.
* * *
મેહરુન્નિસા દલવાઈના અવસાનથી વ્યાપક પ્રગતિશીલ ચળવળે એક આધારસ્તંભ ગુમાવ્યો છે. મુસ્લિમ-સમાજમાંની અન્યાયી રૂઢિ-પરંપરાઓની સામે જિહાદ પોકારનાર સંગઠન ‘મુસ્લિમ સત્યશોધક સમાજ’ના સ્થાપક હમીદ દલવાઈને તેમની જિંદગીમાં અનેક પડકાર ઝીલવા પડ્યા. તેઓ જે સમાજ માટે લડતા હતા, તે સમાજ તેમને દુશ્મન માનતો હતો, અને રાજકીય નુકસાનના ડરને કારણે કોઈ રાજકીય પક્ષ એમની સાથે ન હતો. આવા સંજોગોમાં જૂજ સમાજવાદી મિત્રો અને કાર્યકર્તાઓના બળે હમીદે મુસ્લિમ સત્યશોધક મંડળ સ્થાપીને ઐતિહાસિક લડતની શરૂઆત કરી. આવા નોખા જણનો ઘરસંસાર સંભાળવો એ ચળવળ ચલાવવા કરતાં વધુ કપરી કામગીરી હોય છે, અને મેહરુન્નિસાએ એ બરાબર પાર પાડી. દલવાઈ સાથેનો તેમનો ઘરસંસાર માત્ર ઓગણીસ વર્ષનો. સામાજિક સ્તરે હમીદની લડત ચાલુ હતી, ત્યારે ઘર, સંતાનોનો ઉછેર અને નોકરી એ બધાંનું સંતુલન મેહરુન્નિસાએ સંભાળ્યું. ફરિયાદ તો બાજુ પર, સમરસતાથી સાથ આપ્યો. પોતાને લીધે હમીદને તકલીફ ન પડે તેની સાવચેતી રાખીને ચાલ્યાં. ‘અમે બે, દખણી અને કોકણી એમ બે છેડે હતાં’, એમ એ કહેતાં. આમ, બે છેડે હોવા છતાં ય તેમણે એકબીજાંને સાથ આપ્યો. આખરી દિવસોમાં હમીદે ‘મેહરુ, આજે હું જે કંઈ છું, એ તારે લીધે જ છું,’ એમ કહ્યું હતું. હમીદના સાથ થકી જેમનું જીવન સમૃદ્ધ થયું. તે મેહરુન્નિસાએ ‘મી ભરુન પાવલે’ એવી કૃતજ્ઞતા આત્મકથામાં વ્યક્ત કરી. તીન તલ્લાકના વિરોધમાં દેશમાં જે પહેલું સરઘસ ૧૮ એપ્રિલ, ૧૯૬૬ના રોજ નીકળ્યું, તેમાં મેહરુન્નિસા ખભેખભો મિલાવીને હમીદની સાથે હતાં. હમીદના અવસાન પછી મંડળની જવાબદારી એમણે હિમ્મતભેર ઉપાડી લીધી. કાર્યકર્તાઓને સાથે રાખીને ચળવળ આગળ ચલાવી. ‘હમીદ દલવાઈ ઇસ્લામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ થકી કામ ચાલુ રાખ્યું. દલવાઈના વિચારો પછીની પેઢીઓ સુધી પહોંચે તે માટે તેમણે હમીદે લખેલો એકેએક કાગળ સાચવી રાખ્યો. ઉર્દૂ માતૃભાષા ધરાવતાં મેહરુન્નિસાએ ખંતથી મરાઠી આત્મસાત્ કરી. ચળવળને કસોટીએ ચડાવનારા પ્રસંગો હમીદ ગયા પછી પણ આવ્યા. બધી વિચારધારાઓને આરોપીના કઠેડામાં ઊભા રહેવાનું આવ્યું. પણ મુસ્લિમ સત્યશોધક સમાજની ચળવળ વિચલિત થયા વિના ધ્યેયમાર્ગે આગળ ચાલતી રહી, તેનો ઘણો શ્રેય મેહરુન્નિસાને મળે છે. ત્રિવાર તલ્લાકની વિરુદ્ધ આજે દેશમાં જે માહોલ ઊભો થયો છે, તેના પાયામાં આ ચળવળનું પાંચ દાયકાનું કામ છે. મેહરુન્નિસા હમણાંથી થાક્યાં હતાં. હુસેન જમાદાર જેવો અનુભવી કાર્યકર્તા ચળવળમાંથી નીકળી ગયો. સૈયદભાઈ થાક્યા. ચળવળ કંઈક ધીમી પડી. પણ પરિવર્તનની લડાઈના કાર્યકર્તાઓને આશા-નિરાશાના ખેલનો સામનો કરવો પડતો જ હોય છે. મેહરુન્નિસાની ચીવટમાં ઓટ ન હતી. આ વર્ષે ‘મહારાષ્ટ્ર ફાઉન્ડેશને’ ચીલો ચાતરીને હમીદ દલવાઈને મરણોત્તર જીવનગૌરવ પુરસ્કાર પ્રદાન કર્યો. મેહરુન્નિસાએ એ સ્વીકાર્યો. ત્યારે પણ તેમની ઉમ્મીદમાં કોઈ ઉણપ જણાતી ન હતી. ખરેખર તો આ જીવનગૌરવ જેટલું હમીદનું હતું, તેટલું જ મેહરુન્નિસાનું પણ હતું. મહારાષ્ટ્રના ઉજ્જ્વળ સામાજિક ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફુલે, તારાબાઈ શિંદેથી શરૂ કરીને લેવામાં આવતાં અનેક નામો સાથે મેહરુન્નિસા દલવાઈ એ નામ લીધા વિના આગળ વધી શકાય તેમ નથી.
૧૧ જૂન, ૨૦૧૭
Email : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 07
![]()


મહાન ફિલોસોફર રુસોએ આપણને શિખામણ આપેલી કે ‘કોઈ પણ માણસને તમારી ફૂટપટ્ટીથી માપશો નહીં કે તમારા મતથી જજ કરશો નહીં. આમ કરશો તો તમે એકલાએ ભૂલ નહીં કરી હોય. કોઈ પણ નિષ્ફળ જંગમાં એક પક્ષ હારે ત્યારે કોઈને કોઈની ભૂલ થઈ હોય જ છે. આજે આ લેખ હું મહાન ગુજરાતી સંદર્ભગ્રંથ ‘ભગવદગોમંડળ’ વિશે લખું છું. મારો વિચાર છે કે હું તમને ‘ભગવદગોમંડળ’ નામનાં ગુજરાતી એન્સાઈક્લોપીડિયાની વાત કરું. આ ગ્રંથ પ્રગટ કરવામાં એક કાઠિયાવાડી નામે ગોપાલ પટેલે કેવો રસ દાખવ્યો હતો, તે વાત કહેવી છે.
એનસાઇક્લોપીડિયા ગ્રીક શબ્દ છે. ગ્રીક અર્થ પ્રમાણે એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન અગર શિક્ષણ કે જ્ઞાનની દરેક શાખાનું જ્ઞાન – આ ગ્રંથમાં દરેક શાખાનું જ્ઞાન છે. જો કે ચીન સુધી નજર દોડાવીએ, તો 1738માં 240 જેટલા ભાગમાં ચીની એનસાઇક્લોપીડિયા છપાયેલો – ચીનનો આ ‘યૂ હાઈ એનસાઇક્લોપીડિયા’ છે. આ ઇતિહાસની વાત માથાકૂટ જેવી લાગશે, પણ જાણવું જોઈએ કે પ્રથમ મોડર્ન એનસાઇક્લોપીડિયા ફ્રેંચનો છે તે (1751) જૂનામાં જૂનો છે. પરંતુ અત્યારે આપણે રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારના પ્રવીણભાઈ પટેલ વિશે જાણીએ. તેઓ 66 વર્ષની ઉંમરે પણ સાડા પાંચ વાગ્યે ઊઠીને 4 કિલોમીટર ફરવા જાય છે. મોટો દીકરો મિહિર એમ.બી.એ. કરીને પિતા સાથે ગુજરાતી પુસ્તકો વેચવાનો ધંધો સંભાળે છે.