ત્રાણું વર્ષના મહેન્દ્રભાઈની ‘મન્રો ડાયરી’
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નામે સત્તાવન વર્ષથી સાતત ચાલી રહેલા જ્ઞાનવિજ્ઞાનના ઉપક્રમની એક હજાર ત્રણસો બાવનમી પુસ્તિકા ‘લોકમિલાપ : પુણ્યનો વેપાર’ તાજેતરમાં બહાર પડી છે. વાચકોને ઉત્તમ વાચન સામગ્રી ખૂબ ઓછા દરે પૂરી પાડી સમાજ પરિવર્તન કરવા મથનાર લોકમિલાપ એક અજોડ પ્રકાશન સંસ્થા છે. તેના અમ્રૃત વર્ષમાં લખાયેલી આ પુસ્તિકા લોકમિલાપના લગભગ બધાં પાસાં આવરી લે છે. તે સામયિકોમાં લેખન-સંપાદનનો બહોળો અનુભવ ધરાવનાર મુંબઈના સોનલ પરીખે લખી છે.
લોકમિલાપના સ્થાપક એવા વાચનપ્રસારના ભેખધારી મહેન્દ્રભાઈ મેઘાણીનો શનિવારે ત્રાણુંમો જન્મદિવસ છે. તેમને લગતી બે તાજેતરની બાબતોની નોંધ લેવી ઘટે . એપ્રિલની શરૂઆતમાં તેમણે સંપાદિત કરેલી ત્રીસ પાનાંની બહુ વાચનીય પુસ્તિકા લોકમિલાપે બહાર પાડી છે : ‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ’. તેના પહેલા હિસ્સામાં જીવન અને સાહિત્ય અંગેના મેઘાણીના વિચારો છે; બીજામાં ‘મેઘાણીની સાહિત્ય-તપશ્ચર્યાના એમના સમકાલીન સાહિત્યકારોએ કરેલા મૂલ્યાંકનના કેટલાક અંશો’ સામેલ કરવામાં આવ્યા છે. અત્યારે પણ સંપાદકની દૃષ્ટિ એવી અક્ષુણ્ણ છે કે દરેકે દરેક લખાણ લોકશાયરની મહત્તાની પ્રતીતિ કરાવે છે.
મહેન્દ્રભાઈની એક ‘મોકળાશભરી મુલાકાત’ સાર્થક પ્રકાશનના અર્ધવાર્ષિક સામયિક ‘જલસો’ ગયા મહિને બહાર પડેલા ચોથા અંકમાં વાંચવા મળે છે. તેમાં ત્રીસ પાનાં અને વીસ ફોટા છે. ઠીક ઓછી જાણીતી માહિતી મળે છે : પિતા અને માતાઓ સાથેનાં મહેન્દ્રના સંબંધ, બીજી માતા માટે સમભાવનો અભાવ, લેખન-પ્રકાશનની તાલીમનાં વર્ષો, પિતાના અવસાન પછી તેમની ચિતામાં કૂદી જવાની ઇચ્છા, આઝાદ હિંદ ફોજના અફસરો પર ચાલેલા કેસનું ‘લાલાકિલ્લાનો મુકદ્દમો’ પુસ્તક, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને જયપ્રકાશના આંદોલન દરમિયાન ‘મિલાપ’ના સંપાદકની ભૂમિકા, બાળકો માટેની ‘ફિલ્મ મિલાપ’ પ્રવૃત્તિ, લિપિ સુધારણાની કોશિશ, ગાંધી ટોપી, દીકરાનું અબુલ એવું નામકરણ અને અન્ય. મુલાકાતને અંતે મહેન્દ્રભાઈ એ મતલબનું કહે છે કે સરકાર આત્મહત્યાને ગુનો ગણતો કાયદો જો દૂર કરે તો ‘મારે પહેલો એનો અમલ કરવો છે’ !
ઇન્ટરવ્યૂનો એક બહુ રસપ્રદ હિસ્સો મહેન્દ્રભાઈએ 1948માં કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસ નિમિત્તે અમેરિકામાં કરેલા એક વર્ષના વસવાટને લગતો છે. તેઓ નવા જ સ્થપાયેલા યુનાઇટેડ નેશન્સની ઓફિસની કાર્યવાહીમાં વારંવાર હાજરી આપતા, તેમનાં પ્રિય અખબારો ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ તેમ જ ‘ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર’નું સઘન વાચન કરતા અને મુંબઈના જન્મભૂમિ જૂથના ‘નૂતન ગુજરાત’ અખબારમાં તેના એક્રેડિટેડ કૉરસપૉન્ડન્ટ તરીકે ‘અમેરિકાની અટારીએથી’ કૉલમ લખતા.
અત્યારે પણ મહેન્દ્રભાઈ અમેરિકાની અટારીએથી ‘મન્રો ડાયરી’ લખે છે. અમેરિકાના ન્યુ જર્સીના મન્રોમાં તેમનાં દીકરી અંજુબહેનને ત્યાં એ દર વર્ષે ચાર-છ મહિના રહે છે. મહેન્દ્રભાઈનાં લખાણો કેટલાક વાચકસ્નેહીઓને અંજુબહેન બહુ સુઘડ રીતે મેઇલ કરે છે. ડાયરીમાં મોટે ભાગે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના લેખોના સંક્ષેપો કે તાજેતરમાં ગમી ગયેલાં પુસ્તકોમાંથી સારવેલા અંશોનો સમાવેશ થાય છે.
પહેલી એપ્રિલથી હાલેલી ‘મન્રો ડાયરી’ના લખાણોમાં પોણી સદીથી અચૂક જળવાયેલ વાચનની પૅશન, રુચિવૈવિધ્ય, જાહેર જીવન માટેની નિસબત અને માનવતાવાદી મૂલ્યો દેખાય છે. અન્ય લેખકોની કૉપી પર ભાષા અને રજૂઆત, સંશોધન અને સંમાર્જનના કામ માટે સુખ્યાત મેરિ નૉરિસ અને વિલ્યમ ઝિન્સર પરનાં લેખો મહેન્દ્રભાઈએ ટૂંકાવ્યા છે. આર્થ્રાઇટીસ અને આકંઠ જીવન વિશેનાં લખાણો છે. લિંકનની હત્યાના દોઢસોમા સ્મૃિતદિનના અનુસંધાને લિંકનના અંતિમ પ્રવાસ વિશે અને અમેરિકાના મોટાભાગના પ્રમુખો પરના તેમના પ્રભાવ વિશે વાંચવા મળે છે. દેશકાળની સભાનતા સતેજ છે. વૈશ્વિક રાજકારણને લગતો ‘ન્યુ ડિક્ટેટર્સ રૂલ બાય વેલેવેટ ગ્લોવ્ઝ’ લેખ છે. મન્રોમાં ય મહેન્દ્રભાઈને ભારતના કોમવાદની ચિંતા છે. ભાવનગરમાં એક મુસ્લિમ પરિવારને હિન્દુ વિસ્તારમાંથી ઘર છોડવાની ફરજ પાડવામાં આવી તે અંગે બારમી એપ્રિલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક લેખની સારવણી મન્રો ડાયરીમાં છે. અત્યારે શાંતિસૈનિક બનેલા બીજા વિશ્વયુદ્ધના જાપાની બૉમ્બર પાયલોટ કનામા હારોડાની વાત છે. નિર્ભયા અત્યાચાર પર ન્યુયૉર્કમાં એક મહિના પહેલા ભજવાયેલા નાટકનું અવલોકન છે. કુરાન બાળવાના કથિત આરોપ માટે કાબુલમાં ઓગણીસમી માર્ચે જાહેરમાં જેની હત્યા થઈ તે મહિલા ફર્ખુન્દા પરના અત્યાચારના કર્મેશીલોએ કરેલા ‘રિઍનેક્ટમેન્ટ’ની મહેન્દ્રભાઈ નોંધ લે છે. પુસ્તકોની દુકાનો અને ગ્રંથવિક્રેતાઓ વિશેના લેખો મહેન્દ્રભાઈની નજરે ન પડે તો જ નવાઈ. મન્રોના જાહેર ગ્રંથાલયોમાં જઈને તેમને ગમેલાં પુસ્તકોમાંથી નોંધો ચાલતી રહે છે. તેમાંનાં કેટલાંક પુસ્તકો છે : ‘એન વાય ટી પે ઇ જ વન’, ‘ચાર્લ્સ ચૅપ્લિન, ધ જિનિયસ ઑફ સિનેમા’, ‘રીડર્સ ડાઇજેસ્ટ બાઇબલ’ ‘ઓબામા ધ હિસ્ટૉરિક જર્ની’.
‘લાઇબ્રેરી ઇન અમેરિકા’ પુસ્તક મહેન્દ્રભાઈના મનમાં વસી ગયું . તેમાં અમેરિકામાં સદીઓથી ચાલતાં જાહેર ગ્રંથાલયોની ચારસો છબિઓ અને નોંધપાત્ર વિગતો છે. આ પુસ્તકને અંતે એક અવતરણ છે : ‘ગ્રંથાલયો એ સ્વવિકાસ માટેનાં તીર્થધામ છે. એ સૌથી ઓપન યુનિવર્સિટીઓ છે કે જ્યાં પ્રવેશ માટે પરીક્ષાઓ નથી અને ઉંમરનો કોઈ બાધ પણ નથી.’ મહેન્દ્રભાઈ લખે છે : ‘આ શબ્દોએ બાણુંમાં વર્ષે મને મન્રોની લાઇબ્રેરીની આ ઓપન યુનિવર્સિટીમાં દાખલ થઈને તેમાં દરરોજ ત્રણ કલાક વીતાવવાની પ્રેરણા આપી.’
16 જૂન 2015
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 17 જૂન 2015
e.mail : sanjaysbhave@yahoo.com