મહાન ફિલોસોફર રુસોએ આપણને શિખામણ આપેલી કે ‘કોઈ પણ માણસને તમારી ફૂટપટ્ટીથી માપશો નહીં કે તમારા મતથી જજ કરશો નહીં. આમ કરશો તો તમે એકલાએ ભૂલ નહીં કરી હોય. કોઈ પણ નિષ્ફળ જંગમાં એક પક્ષ હારે ત્યારે કોઈને કોઈની ભૂલ થઈ હોય જ છે. આજે આ લેખ હું મહાન ગુજરાતી સંદર્ભગ્રંથ ‘ભગવદગોમંડળ’ વિશે લખું છું. મારો વિચાર છે કે હું તમને ‘ભગવદગોમંડળ’ નામનાં ગુજરાતી એન્સાઈક્લોપીડિયાની વાત કરું. આ ગ્રંથ પ્રગટ કરવામાં એક કાઠિયાવાડી નામે ગોપાલ પટેલે કેવો રસ દાખવ્યો હતો, તે વાત કહેવી છે.
મોરારિબાપુને વિભાવના શબ્દનો અર્થ સમજાયો નહીં
મહાન કથાકાર મોરારિબાપુ મિડલ સ્કૂલમાં ભણતા, ત્યારે અમે હાઈસ્કૂલમાં ભણતા હતા. તેઓ વાંચનનો નેહડો છોડતા નથી. એ વાંચનના ગાળામાં તેના જાણવામાં ‘વિભાવના’ શબ્દ આવ્યો. પણ મોરારિબાપુને વિભાવના શબ્દનો અર્થ સમજાયો નહીં. તેનો અર્થ ભગવદગોમંડળમાં હતો. વિભાવના એટલે કલ્પના, તકરાર, તજવીજ, સત્યને તપાસવું અને વિભાવના એટલે એક અર્થાલંકાર. આ બધા અર્થ ભગવદગોમંડળમાં છે.
આપણે ગૌરવ લેવું જોઈએ કે ગોંડલના ભગવતસિંહજીએ આપણને ગુજરાતી ભાષાના લભગભ તમામ શબ્દોના અર્થ આપ્યા. એટલે મને જાણવાનું મન થયું કે જગતમાં આજે સૌથી મોટો એન્સાઈક્લોપીડિયા કયો? એન્સાઈક્લોપીડિયા બિટાનિકા? ના, ના. ‘ધ અરેબિક લેજિસ્લેશન’ મોટામાં મોટો એનસાઇક્લોપીડિયા છે. આ વાત મને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી જાણવા મળી. લિબિયાના વિદ્વાન કાજી – વિદ્વાન મોહમ્મદ બિન યુનિસે 1,64,000 પાનાંનો અરેબિક સંદર્ભગ્રંથ 200 જેટલા ભાગમાં પ્રગટ કર્યો છે. તે ગ્રંથોનું કુલ વજન જ 925 રતલ થતંુ હતું. તમામ આરબ દેશના કાનૂનોનો અર્થ એ સંદર્ભગ્રંથમાં છે. ‘ધ અરેબિક લેજિસ્લેશન’ કે ભગવદગોમંડળ. તેમાં બન્નેમાં મુસ્લિમ કાનૂનો વિસ્તારથી છે.
એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન
એનસાઇક્લોપીડિયા ગ્રીક શબ્દ છે. ગ્રીક અર્થ પ્રમાણે એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન અગર શિક્ષણ કે જ્ઞાનની દરેક શાખાનું જ્ઞાન – આ ગ્રંથમાં દરેક શાખાનું જ્ઞાન છે. જો કે ચીન સુધી નજર દોડાવીએ, તો 1738માં 240 જેટલા ભાગમાં ચીની એનસાઇક્લોપીડિયા છપાયેલો – ચીનનો આ ‘યૂ હાઈ એનસાઇક્લોપીડિયા’ છે. આ ઇતિહાસની વાત માથાકૂટ જેવી લાગશે, પણ જાણવું જોઈએ કે પ્રથમ મોડર્ન એનસાઇક્લોપીડિયા ફ્રેંચનો છે તે (1751) જૂનામાં જૂનો છે. પરંતુ અત્યારે આપણે રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારના પ્રવીણભાઈ પટેલ વિશે જાણીએ. તેઓ 66 વર્ષની ઉંમરે પણ સાડા પાંચ વાગ્યે ઊઠીને 4 કિલોમીટર ફરવા જાય છે. મોટો દીકરો મિહિર એમ.બી.એ. કરીને પિતા સાથે ગુજરાતી પુસ્તકો વેચવાનો ધંધો સંભાળે છે.
ગ્રંથના તમામ ભાગ સંપાદિત
આપણે ચંદુભાઈ બેચરદાસ પટેલને પણ યાદ કરવા જોઈએ તેમણે આ ગ્રંથના તમામ ભાગ સંપાદિત કર્યા. આખો ગ્રંથ પ્રગટ કરતા પહેલાં મહાત્મા ગાંધીજીને પ્રસ્તાવના લખવા વિનંતી કરી. ત્યારે ગાંધીજી તો ભગવદગોમંડળને તૈયાર કરવામાં જે જે લેખકોએ મહેનત કરી તેમનાથી પ્રભાવિત થઈ ગયા. આ ગ્રંથોમાં બે લાખ શબ્દો વપરાયા છે. ગુજરાતી પ્રજાને આવો ધુરંધર ગ્રંથ આપ્યો તે બદલ ધન્યવાદ. પણ હું આ જબ્બર પુરુષાર્થ જોઈને એટલો પ્રભાવિત થયો છું કે એક પ્રસ્તાવના લખવાની મારી ક્ષમતા જોતો નથી.
લગભગ વીસ હજાર શબ્દો ભેગા કર્યા
જો કે, અફસોસની વાત એ છે કે આજે ભગવદગોમંડળની બીજી આવૃત્તિ, જે 2008માં 2000 નકલો છપાઈ, તેમાંથી હજી 1000 નકલ જ વેચાઈ છે. પણ ભગવતસિંહજીએ રાજવટ મૂકીને ભગવદગોમંડળના ‘સહસંપાદક’ તરીકે પૂરો ભાગ ભજવેલો છે. આ ‘શબ્દકોષ’ કે ‘શબ્દ- જ્ઞાનકોષ’ તૈયાર કરવામાં મદદ કરી હોય, તેની કદર ભગવતસિંહજી કરતા. એ જમાનામાં 90 વર્ષ પહેલાં નવો શબ્દ સૂચવાનારને એક આનાથી માંડીને રાણી છાપના ચાંદીના એક રૂપિયાના સિક્કાનું ઈનામ આપતા. ચારણો, બારોટો, ભરવાડો પાસેથી પણ અનેક નવા શબ્દો મળી આવતા. ઘણી વખત મહારાજા પાસે નોટબુક ન હોય, તો તેમના પહેરણ ઉપર પેન્સિલથી નવા શબ્દો અને અર્થ લખી નાખતા. આ બધાં કામને છાપવા માટે મુંબઈથી ખાસ ટાઇપો બનાવનારાને બોલાવીને ગોંડલમાં ટાઇપ ફાઉન્ડ્રી શરૂ કરાવી. મહારાજાએ લગભગ વીસ હજાર શબ્દો ભેગા કર્યા. આજે રાજકોટના ગોપાલ પટેલે પોણા ત્રણ લાખ શબ્દોના અર્થવાળા ભગવદગોમંડળના 9 ભાગ પ્રગટ કર્યા છે.
ભગવદગોમંડળ માટે ખાસ કાગળ તૈયાર કરી આપ્યો
1956માં ભગવદગોમંડળના તમામ ગ્રંથો વેચાઈ ગયેલા. ગુજરાતમાં દાહોદની કૉલેજમાં જૂના ગ્રંથો હતા, તે ચોરાઈ ગયા હતા. હદ તો એ વાતની થઈ કે ભગવદગોમંડળના નવેનવ ગ્રંથ કોઈ પટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હતા! તે પસ્તી ખરીદનારે તેના રૂ. 6000 ઉપજાવ્યા હતા. ભારતની કોઈ પણ ભાષામાં હજી આ પ્રકારનો જ્ઞાનકોષ તૈયાર થયો ન હોવાનો ગોવિંદભાઈનો દાવો છે. ગોંડલની નગરપાલિકાના પુસ્તકાલયે ઘણા ગુજરાતી પ્રકાશકોને વિનંતી કરી, પણ લગભગ 100 વર્ષ જૂના આ ગ્રંથોના પ્રકાશનમાં કોઈને રસ ન પડ્યો, પણ મૂળ ઉપલેટામા ખેતી કરનારા પ્રવીણભાઈ અને ગોપાલભાઈ રાજકોટમાં નાનકડી સર્ક્યુલેટિંગ લાઈબ્રેરી ચલાવતા હતા. તેમણે પુસ્તકોનો વેપાર હાથ ધર્યો. કોઈ હાથ અડાડતા નહોતા, તેવા ભગવદગોમંડળનું પ્રકાશન હાથ ધર્યુ. આ ગ્રંથોને છાપવા માટે જ 70 (સિત્તર) ટન જેટલો કાગળ વપરાયો છે. નવ ગ્રંથોનું વજન પચાસ કિલો જેટલું થાય છે. બેલારપુર મિલે ભગવદગોમંડળ માટે ખાસ કાગળ તૈયાર કરી આપ્યો.
સૌજન્ય : ‘આસપાસ’, નામક લેખકની કોલમ, “દિવ્ય ભાસ્કર”, 05 જુલાઈ 2017