આપણી તકલીફ એ છે કે આપણને પેરિસની ઘટનામાં જેટલો રસ છે તેટલો દેશની ઘટનામાં નથી.
તામિલનાડુમાં ચાર વર્ષ અગાઉ લખાયેલી નવલકથા માટે પેરુમલ મુરુગન [Perumal Murugan] નામના એક લેખક ધરાર બહિષ્કૃત થયા છે. તેમણે પોતાનાં તમામ પુસ્તકો પાછા ખેંચી લઈ ' પોતે હવે લેખક તરીકે મૃત્યુ પામે છે' તેવી ઘોષણા કરી છે, ત્યારે આપણે અભિવ્યકિત સ્વાતંત્ર્યના આ તમાશા-એ-હિંદના નઘરોળ સાક્ષી સાબિત થઈએ છીએ
તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫. સ્થળ સોશિયલ મીડિયા ફેસબુકની વોલ. આ દીવાલ પરની પોસ્ટ આ મુજબ છે : મરી ગયો પેરુમલ મુરુગન. એ ઈશ્વર નથી કે ફરીથી આવશે પાછો. એવા કોઈ પુનર્જન્મમાં એને વિશ્વાસ પણ નથી. હવે એ ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.
આ પોસ્ટ એક લેખકે પોતાના મોતની કરેલી સત્તાવાર જાહેરાત છે. લેખક પેરિસનો કાર્ટૂનિસ્ટ નથી. લેખક પેશાવરનો પીડિત નથી. લેખક આઈ.એસ.આઈ.એસ.ના આતંકવાદનો ભોગ બનેલો નથી, લેખક તમિલ ભારતીય છે. તે આપણા દેશની અસહિષ્ણુતાનો પીડિત છે. એમ.એફ. હુસેનથી લઈને વેન્ડી ડોનિગર સુધીના લોકોની જેમ, સમાજના એક વર્ગની દંભી માનસિકતાનો ભોગ બન્યો છે. લેખક દલિત સમુદાયમાં જન્મેલો છે. લેખક એક સરકારી કોલેજમાં તમિલ ભાષાનો વિદ્વાન પ્રોફેસર છે. અનેક સાહિત્યિક કૃતિઓ ઉપરાંત નિષ્ઠાવંત શૈક્ષણિક પ્રદાન તેમના નામે બોલે છે. આ લેખકનું નામ છે પેરુમલ મુરુગન. પેરુમલ મુરુગન તમિલ સાહિત્યમાં પ્રતિષ્ઠિત નામ છે. ૪૮ વર્ષના આ લેખકે ભારતીય સાહિત્યને તમિલ ભાષામાં ચાર નવલકથાઓ, ત્રણ વાર્તાસંગ્રહો અને ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા છે. તેમનું સાહિત્ય ઇતિહાસ પ્રત્યે સંવેદનશીલ છે, દેશની સૌથી ક્રૂર એવી જાતિપ્રથા સામે મુખર અને સર્જનાત્મક છે. પોતાની એક નવલકથા બાબતે થયેલા આકરા અને અકારણ વિરોધથી વ્યથિત થયેલા પેરુમલ મુરુગને આખરે પોતે લેખક તરીકે મૃત્યુ પામે છે તેવી જાહેરાત કરી છે. શું છે આ આખી ઘટના?
૨૦૧૦માં તેમની નવલકથા 'માતોરુભાગાન' પ્રકાશિત થઈ. આ નવલકથાને લોકોનો અને વિવેચકોનો પણ જોરદાર આવકાર મળ્યો. આ નવલકથા એક નિસંતાન ખેડૂત દંપતીની વાર્તા છે. નવલકથાની પૃષ્ઠભૂમિ છે ૨૦મી સદીનો ઈરોડ અને નમક્કલ પાસેનો એક કસબો તિરુચેરગોડે. તિરુચેરગોડે એ જગ્યા છે જ્યાંથી પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ જાતિપ્રથા તથા કુરિતિયો સામેના પ્રખ્યાત દ્રવિડિયન આંદોલનની શરૂઆત કરેલી. નવલકથા સંતાનહિન સ્થિતિ અને તેને લીધે થતાં ભેદભાવ પર પ્રહાર કરનારી છે. વાર્તામાં ઘટના એવી બને છે કે સંતાનહિન મહિલાને સંતાન પ્રાપ્ત થાય અને વંશવેલો જળવાઈ રહે તે માટે તેના પરિવારજનો તેને અજાણ્યા માણસ સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે. આમાં એક એવી ધાર્મિક પરંપરાની કલ્પના છે જેમાં એક રાત માટે બે સ્ત્રી-પુરુષ પરસ્પર સહમતીથી સંબંધ બાંધી શકે છે. સ્ત્રી સાથે સંબંધ બાંધનાર આવા અજાણ્યા માણસને ભગવાનનો દૂત ગણાવાની પરંપરા છે અને આવા સંબંધ થકી જન્મનાર બાળકને 'સામી પિલ્લે' યાને કે ભગવાનનું સંતાન ગણવામાં આવે છે. બસ, આટલી જ વાત પર વિરોધ છે. સ્થાનિક ગોંડર સમુદાયના લોકો પોતાની સ્ત્રીઓનું આ પાત્ર થકી અપમાન કરવામાં આવ્યું હોવાનું હાલ કહી રહ્યાં છે. અલબત્ત, લેખક પેરુમલ મુરુગન પોતે પણ આ સમુદાયમાંથી જ આવે છે.
હકીકત જાણે એમ છે કે, આ પુસ્તક ૨૦૧૦માં પ્રકાશિત થયેલું છે અને તેનો વિરોધ ૨૦૧૪ના અંત અને ૨૦૧૫ની શરૂઆતમાં થઈ રહ્યો છે. આ પુસ્તક સંતાનહિન સ્ત્રીની વેદના અને તેને લીધે ઊભા થતાં ધાર્મિક-સામાજિક ભેદભાવોને ઉજાગર કરે છે અને લોકોની સામાજિક માનસિકતા પર પ્રહાર કરે છે. પુસ્તક પતિ-પત્નીના સંબંધો અને બાળક પેદા કરવા માટેની લગ્નસંસ્થા ઉપર પણ પ્રહાર કરે છે. મુદ્દો એ છે કે, આટલાં વર્ષ સુધી આ પુસ્તકનો વિરોધ ન થયો અને હવે શું કામ? એવું એટલા માટે કેમ કે ૨૦૧૩માં આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ 'વન પાર્ટ વુમન' પ્રકાશિત થયો. આ વેળાએ રાજકીય લાભ ખાટનારાં પરિબળો અચાનક મેદાનમાં આવ્યાં. સ્થાનિક ગોંડર સમુદાયને ભડકાવવા માટે પુસ્તકના ચોક્કસ ભાગોની ૧૦,૦૦૦થી વધુ પ્રતો પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવી અને લેખક પોતાના નાનકડા શહેરમાં જ જાણે કે બહિષ્કૃત થઈ ગયા. આ પુસ્તક સામેનો આયોજનબદ્ધ વિરોધ મૂળે તો દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં અમુક સંગઠનોનો છે. આ સંગઠનોએ અનેક દિવસો સુધી ધરણાં યોજ્યાં. લેખકે નવલકથામાંથી તિરુચેરગોડે નામ હટાવવાની તૈયારી બતાવી પણ તો ય વિરોધ ચાલુ જ રહ્યો. પુસ્તકના ચોક્કસ પાનાં મહિલાઓને આપીને તેમનો પુસ્તકવિરોધી મત ઊભો કરવામાં આવ્યો અને લેખકના નાનકડા શહેર નમક્કલમાં જડબેસલાક બંધનું આયોજન પણ થયું. આખરે લેખકને શહેર છોડીને ભાગવું પડયું.
તામિલનાડુનું સ્થાનિક રાજકારણ આમાં ભળેલું છે. સ્થાનિક સરકારી તંત્ર દ્વારા સમાધાનના પ્રયાસોની આડમાં લેખક પાસેથી બિનશરતી માફી તથા તમામ પ્રતો પાછી ખેંચવાનું લખાવવામાં આવ્યું હોવાના પણ સમાચાર છે. પેરિસના કાર્ટૂનિસ્ટને મુદ્દે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઈ દેનારા અનેક લોકો આ વેળાએ ફરકતા નથી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અનેક દિવસોથી ત્રસ્ત થયેલા લેખક પેરુમલ મુરુગને પ્રકાશકોનું નુકસાન પોતે વેઠીને તમામ પુસ્તકો બજારમાંથી પાછાં ખેંચી લેવાની તથા જેમની પણ પાસે તે હોય તેમને સળગાવી દેવાની અપીલ કરી દીધી.
આ બાબતે વિખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહા સહિત અનેક લોકોએ પેરુમલ મુરુગનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુહાએ કહ્યું કે પેરુમલ મુરુગનનું લેખક તરીકે મોત તમિલ અને ભારતીય સાહિત્ય માટે એક અત્યંત દુઃખદ ઘટના છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે, આલોચક નિરંજના રોય સહિત અનેક લોકોએ પેરુમલ મુરુગનને પોતાનો ટેકો જાહેર કર્યો છે અને ઘટનાની નિંદા કરી છે. જો કે, હકીકત તો એ છે કે, પેરુમલ મુરુગન હાલ તો બહિષ્કૃત ખાનાબદોશ છે. તેમના પોતાના શહેરનું એ રીતે કોમી ધ્રુવીકરણ કરી દેવામાં આવ્યું છે કે તેઓ ત્યાં રહી શકશે કે કેમ એ જ મોટો પ્રશ્ન છે.
તેમના પ્રકાશક તેમની પડખે છે અને આ બાબતે અદાલત સુધી જવા તૈયાર છે પણ ૪૮ વર્ષની ઉંમરે પ્રતિબદ્ધ રીતે સાહિત્યિક ઉપાસના કરનાર લેખકની વ્યથાનું શું? લેખકે કરેલી પોતાના મોતની જાહેરાત જો ખરેખર સાચી પડશે તો આપણી દંભી સભ્યતાએ એક સર્જકની હત્યા કરી એમ જ ગણાશે.
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘વિગતવાર’ નામક લેખકની કટાર, “સંદેશ”, 21 જાન્યુઆરી 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3033936