તા. 4-4-1947
દિલ્હી
4 થી 7 વચ્ચેનો ગાળો અહીં ખૂબ જ રળિયામણો લાગે છે. અનેક લોકો પ્રાર્થના માટે આવે અને જાય. અનેક નવા નવા માણસોને મળવાનું થાય છે. અને જેમ કોઈક તહેવારના પ્રસંગોએ આપણા ગામમાં અમુક જગ્યાએ મેળા ભરાય, તેવું વાતાવરણ અહીં થઈ જાય છે. બાપુજી તો વાઈસરોય સાહેબ પાસે ગયા હોય એટલે ભાવુક લોકો બિચારા એમના બેઠકના ઓરડાને જોઈને પાવન થાય છે. એટલુ જ નહીં પણ મારા જેવું કોઈક ત્યાં દરવાજે ઊભું હોય તો એમ પણ ઇચ્છે કે, ગાદીતકિયાને અડી પ્રણામ કરી ચાલ્યા જાય. પણ એવી રજા આપવામાં જોખમ રહે છે. કારણ કે બાપુજીની બેઠકની આસપાસ અનેક ઉપયોગી કાગળો અને અનેક જાતનું બીજું સાહિત્ય પડેલું હોય છે. લોકોને ના પાડતાં મન પણ દુભાય છે. ઘડીભર એમ પણ થાય છે કે, જેઓને ચોવીસ કલાકનો સતત સમાગમ બાપુજીનો મળે છે તેઓને હસવું આવે કે ગાદીતકિયાને અડીને શું ચાળા કરતા હશે? પણ “ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?” એના જેવી હાલત મારા જેવીની છે.

બાપુ સાથે મનુબહેન
હમણાં જ થોડી વાર પહેલાં પંજાબની બે ઘરડી બહેનો અને બાળકો આવ્યાં. આ બાળકોમાં એકનો એક પૌત્ર અને પૌત્રી હતાં. દીકરા વહુનો પત્તો નથી. હુલ્લડ થયું અને આ બે ડોસીઓ ભાગી. બે ડોસીઓમાં પણ એક હિંદુ પંજાબણ છે, અને એક મુસલમાન છે. વર્ષોનાં પડોશીઓ હતાં માઉન્ટગોમરીમાં (ગુજરાનવાલા જિલ્લાના). એ કહેતા હતાં કે, “જ્યારથી અમે પરણ્યાં છીએ ત્યારથી અમે સાથે જ છીએ.”
એ બંને ડોસીઓના સસરાઓને સગા ભાઈઓ જેવો વ્યવહાર હતો એટલે ડોશીઓએ દેરાણી જેઠાણીનું સગપણું બાંધેલું, ૫ણ વ્યવહારમાં સગી બહેનો જેવી છે. આ બંને ડોશીઓના પતિ ઘણા ઘણા વખતથી ગુજરી ગયા. પેલી મુસલમાન ડોશીને તો કંઈ જ બાળક ન હતું. આ હિંદુ ડોશીને એક જ દીકરો, અને તેની એક દીકરીને દીકરો; એમ બે બાળકો. આ લોકો નિરાશ્રિત કેમ્પમાંથી બાપુજીના દર્શને આવ્યાં. કોઈકે એમને કહ્યું કે, હું મહાત્માજીની પૌત્રી છું અને એમની સેવામાં છું. ‘દેવ કરતા પૂજારીનું માતમ વધે’ એ કહેવત મુજબ બિચારી બંને ડોશીમાએ મને પ્રેમથી ચાંપી અને બધી વાત કરી. પેલી મુસલમાન ડોશી હિંદુના કેમ્પમાં જ રહે છે. પોતાનાં ઘરબાર છોડ્યાં, દીકરા-વહુનો પત્તો નહીં. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. હીબકાં ભરતાં પોતાની દુઃખી કહાણી સંભળાવી અને કહ્યું કે, કોઈક પાપ આડું આવ્યું કે જેથી અમારી ઉપર આ આપત્તિ પડી. હવે બસ બાપુજીના દર્શન કરી પાવન થવું છે, બીજી કોઈ ઇચ્છા નથી.
હું તો આ વાત સાંભળી ચકિત થઈ ગઈ. વાહ બાપુના ભક્તો!! મેં કહ્યું, ‘માજી ! બાપુજી પ્રાર્થનામાં આવશે ત્યારે તમે જોઈ શકશો.’
માજી – ‘એમ નહીં, બેટા!! અમારે તેમના ચરણસ્પર્શ કરવા છે અને મારી આ દીકરી તથા દીકરા પર હાથ ફેરવે એટલે એમનો બેડો પાર. પણ ગાંધીજી ક્યાં બિરાજે છે?’
મેં પડદો ઉઘાડીને કહ્યું, ‘સામો ગાદી તકિયો છે ને, ત્યાં બેસે છે. ‘
‘એમ નહીં; અમને ત્યાં જવા દે અને ત્યાં પગે લાગી આવીશું. ‘
મેં કહ્યું “માજી, તમને જવા દઉં તો મારાથી બીજા કોને ના પડાય ??’
એટલું કહ્યું અને બંને ડોશીમાની આંખો વળી ભરાઈ ગઈ. મારાથી આ દશ્ય ન જોવાયું એટલે અંદર જવા દીધાં. એટલી બધી ભક્તિ કે ખોળો પાથરીને પ્રણામ કરી પાવનતા અનુભવી તુરત જ તે લોકો બહાર નીકળ્યાં; અને મને અનેક આશીર્વાદ આપ્યા અને પ્રેમથી નવડાવી. મેં કહ્યું, “માજી, મેં તો કશું જ કર્યું નથી.” પણ જટાયુને જ્યારે રાવણે માર્યો ત્યારે પ્રભુનાં દર્શન માટે જ એ રામનામને જપતો જપતો પડ્યો. ભગવાન સીતાજીની શોધ માટે ત્યાં આગળથી નીકળ્યા અને જેમ જટાયુના મનની વેદના ટળી ગઈ, તેમ આ બંને ભક્ત ડોશીઓ ગાદીને પ્રણામ કરીને આનંદિત થઈ ગઈ.
બાપુજી વાઈસરોય હાઉસથી પાછા ફર્યા. અડધી ડાયરી તો બપોરના લખી હતી. બાકીનો આ ભાગ રાતે બાપુજી સૂઈ ગયા પછી ૧૧ વાગ્યે લખું છું.
જે બે ડોશીમા આવ્યાં હતાં તેની વાત બાપુજીને સંભળાવી; અને પ્રાર્થનામાં જવા હાથ મોં ધોઈને બાપુજી બહાર નીકળ્યા ત્યારે તે બંને જણીને મળ્યા. માથે હાથ મૂક્યો અને ડોશીમાએ બાપુજીનો હાથ પકડી પોતાનાં બાળકો ઉપર વારંવાર ફેરવાવ્યો. છોકરો સાત વર્ષનો હતો, છોકરી પાંચ વર્ષની. શી ભક્તિ હતી !
રામાયણનો દોહરો બરાબર આજે નજરે નિહાળ્યો કે: –
कर सरोज शिरू परसे, कृपासिंधु रघुवीर;
निरखी राम छवि धाम मुख, विगत भयी सब पीर ।
અને ડોશીમાનાં આશીર્વાદ મને તો એવા ફળ્યા કે, આજે ચાર દહાડે પ્રાર્થના થઈ શકી.
[મનુબહેન ગાંધીકૃત ‘બિહારની કોમી આગમાં’]
23 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 220
![]()



ગાંધીજીના વ્યક્તિત્વનું ઘડતર એક અતિ રસપ્રદ વિષય છે. ચીવટ, ચોકસાઈ, આગ્રહ, બાહ્યાન્તર સ્વચ્છતા, પવિત્રતા, ભલાઈ એમને વારસામાં મળ્યાં હતાં. ગુજરાતની સંસ્કૃતિના લાક્ષણિક સદ્ગુણો-ઊંડી વ્યવહાર-બુદ્ધિ (Common-Sense), સમાધાનવૃત્તિ, અહિંસાવૃત્તિ, કર્મશીલતા – એમનામાં પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. જાણે ગુજરાતની હજાર વર્ષની સંસ્કૃતિએ ગાંધીરૂપે માનવદેહ ધારણ કર્યો હતો!
આમજનતાને દોરવાને માટે, એમની પ્રવૃત્તિઓમાં સળંગસૂત્રતા આણવા માટે સ્વદેશપ્રેમી ત્યાગવૃત્તિવાળા સમર્થ નેતાઓની જરૂર હતી. એ માટે ગાંધીજીએ જ્યાં જ્યાં સત્ત્વ જોયું ત્યાં ત્યાં, પોતાના વ્યક્તિત્વના પ્રભાવે, પોતાના પ્રેમના બળે તેને આકર્ષ્યું અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યયજ્ઞમાં નિયોજ્યું. વ્યક્તિની શક્તિ અને મર્યાદાની એ અચૂક પરીક્ષા કરતા, અને સૌને બરાબર ઘટતું – સાહિત્યપ્રેમીને રાષ્ટ્રીય સાહિત્યનિર્માણનું, વ્યવસ્થાનિપુણને ભિન્ન ભિન્ન રાષ્ટ્રીયસંસ્થાઓના સંચાલનનું, સેવાપ્રેમીને અસ્પૃશ્યાદિ જાતિઓના સમુદ્ધારનું—કામ સોંપતા. જ્યાં ગૂંચવણ પડે, વિસંવાદ કે ઘર્ષણ થાય, ત્યાં એમની અમોઘ પ્રેમશકિત બધું બરાબર કરી દેતી. આથી જ ભારતનાં નરરત્નોના એ સૂત્રસ્થાને હતા.
ગાંધીજીએ ભારતનો આત્મા જાગ્રત કર્યો એનું એક શુભ પરિણામ એ થયું કે, ભારતીય સંસ્કૃતિ માટે સ્વાભિમાનની ભાવનાને વેગ મળ્યો. ઓગણીસમી સદીના અંતભાગથી ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનનો પ્રારંભ તો થયો જ હતો. યુરોપીય સંસ્કૃતિના પ્રથમ આઘાતે જેમાં કેવળ હીન તત્ત્વો જ જણાતાં હતાં તે ભારતીય સંસ્કૃતિ ધીમે ધીમે મહાશાળા, શાળાઓમાં સંસ્કૃતનો વ્યાપક અભ્યાસ થવાથી, યુરોપીય વિદ્વાનોના સંસ્કૃત સાહિત્ય અને ભારતીય તત્ત્વજ્ઞાન માટેના આદરનું આપણને ભાન થવાથી, અને સંસ્કૃતિપ્રેમી વિદ્વાનોના ઉદ્બોધનોથી, તત્ત્વોથી સભર, ગૌરવવંત લાગવા માંડી હતી. ગાંધીજીએ રાજકીય પ્રવૃત્તિની સાથે ભારતીય સંસ્કૃતિનુ રક્ષણ અને પુનરુજ્જીવન જોડી દીધું, ભરતીય સંસ્કૃતિની ઉપાસનાને રાજકીય ઉત્થાનનું પ્રતીક બનાવી દીધી, એથી ભારતીય સંસ્કૃતિ સત્વર પુન: પ્રતિષ્ઠા પામી. ગાંધીજીએ આપણું રાષ્ટ્રીય સ્વમાન જાગ્રત કરીને આપણું પ્રાચીન સંસ્કારધન કેટલું મૂલ્યવાન છે એ બતાવી પશ્ચિમના અંધ સંસ્કારદાસત્વમાંથી દેશને મુક્ત કર્યો. એ રીતે ભારતીય ભાષાઓ, ભારતીય પોશાક, ભારતીય જીવનપ્રણાલી, એ સર્વ ફરી આદરણીય મનાયા. પણ સાથે સાથે જ હિંદુ ધર્મ અને ભારતીય જીવનના ઘણાં અંગોને ગાધીજીએ સંસ્કારી લીધા. હિંદુ ધર્મમાં રહેલાં સત્ય, માનવપ્રેમ, અહિંસા, સેવા, અપરિગ્રહ, સ્વાશ્રય વગેરે સનાતન તત્ત્વોને એમણે વિકસાવ્યા, અને સાંપ્રદાયિકતા, અસ્પૃશ્યતા આદિ અનિષ્ટોને એમણે દૂર કરવાના પ્રયત્નો કર્યાં. એમણે આપેલા સત્ય અને અહિંસાનાં નવાં મૂલ્યો ભારતે જેટલે અંશે પચાવ્યાં, તેટલે અંશે રાષ્ટ્રનું આધ્યાત્મિક સત્ત્વ વધ્યું.
એમના અનુયાયીગણે—સદ્દગત મહાદેવભાઈ, કાકાસાહેબ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા અને અન્ય વિદ્વાનોએ, અને વિદ્યાપીઠની અસર તળે આવેલી આખી નવલોહિયા યુવાન લેખકોની પેઢીએ આ દિશામાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મણાં રાખી નથી. આ લેખકોના ગંભીર વાઙમય સર્જને લલિત સાહિત્યસર્જનની સમતુલા જાળવી છે. પરિણામે આજે હિંદની ભાષાઓમાં ગદ્ય પરત્વે ગુજરાતીનું સ્થાન જો મોખરે હોય તો તેનો યશ મહદંશે ગાંધીજીને છે.
ગોવર્ધનરામની કલાનું એમનું મૂલ્યાંકન મિતાક્ષરી છતાં કેવું સંગીન છે! “(સરસ્વતીચંદ્રના) પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્રચિત્રણ એના જેવું ક્યાં ય નથી. બીજામાં હિંદુ સંસાર સરસ ચીતરાયો છે. ત્રીજામાં એમની કળા ઊડી ગઈ, અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું!”
આવો જ મંજુલ ધ્વનિ મિસ એસ્થર ફેરિંગને લખેલા નાના પત્રમાં શ્રવણે પડે છે :
સત્ય અને અહિંસા, પ્રેમ અને સેવા, સ્વાશ્રય અને અપરિગ્રહ—એ નવાં મૂલ્યો એમણે સ્વીકાર્યાં, જીવનમાં ઉતાર્યાં, અને રાષ્ટ્રની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રયોજ્યાં. એમની પ્રજ્ઞા ઘણી સતેજ હતી. જીવનની ઘણી બાબતોમાં એમનાં જ્ઞાનનું ઊંડાણ અને વ્યાપકતા આશ્ચર્ય પમાડે તેવાં હતાં. પણ એમના નૈતિક જીવનની ભવ્યતા અને મહત્તા તો વર્ણનાતીત હતી. એ નૈતિક બળે એમને સર્વત્ર વિજય અપાવ્યો, અને એમના આદર્શોને એમના જીવનકાળમાં સિદ્ધ કર્યા. રાષ્ટ્રને એમણે આપેલાં નવાં મૂલ્યોની પાછળ કેટલી બધી ક્રાન્તદૃષ્ટિ હતી, એમણે રાજકીય જીવનમાં સ્થાપેલી અહિંસાની મહત્તા કેટલી વાસ્તવિક હતી, એ આજે (1972) ચીન અને બ્રહ્મદેશના હાલ જોતાં સ્વયંસ્પષ્ટ જણાય છે. અહિંસા અને પ્રેમ જેવી સાત્ત્વિક વૃત્તિઓનાં ફળ મોડાં, પણ ચિરસ્થાયી અને કલ્યાણકર; ભય અને હિંસાનું પરિણામ તાત્કાલિક પણ ક્ષણજીવી અને અંતે વિનાશકર. એ આજે હવે પ્રતીત નથી થતું શું?