ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપત્તિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …
— સ્વામી આનંદ
સ્વામી આનંદે મહાદેવભાઈ દેસાઈ વિશેના લેખનું શીર્ષક આપ્યું છે ‘શુક્રતારક સમા’. એમાં તેઓ લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આ તેજસ્વી તારાને દુનિયા સમીસાંજે કે વહેલી સવારે કલાક-બે કલાકથી વધુ દુનિયા દેખી શકતી નથી. ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભાથી આપણા આકાશને ઝળાંઝળાં કરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા.’
કિશોરલાલ મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે જેમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા છે, એ મહાદેવભાઈ દેસાઈને માટે ગાંધીજી ખુદ કહેતા કે ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ 15 ઑગસ્ટ 1942 એ મહાદેવભાઈની પુણ્યતિથિ હતી. એ નિમિત્તે એમને સ્મરીએ અને ભાવવંદન પાઠવીએ.
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ લખેલું એમના પિતાનું જીવનચરિત્ર. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ આ શબ્દો મહાદેવભાઈ માટે પહેલવહેલા ઝવેરચંદ મેઘાણીએ વાપર્યા હતા. આ પુસ્તક 1992માં લખાયું. એનાં ઘણાં વર્ષ પહેલાં 1950માં મહાદેવભાઈના મિત્ર, સાથી અને મહાત્મા ગાંધીના અંતેવાસી નરહરિ પરીખે ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ આપ્યું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ પરીખ કૉલેજના અભ્યાસ સમયે એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત સુધી મૈત્રીની ગાંઠ એવી ને એવી અતૂટ રહી.
નરહરિભાઈ પોતાના પુસ્તકમાં લખે છે, ‘મહાદેવભાઈ બાપુજી પાસે કેવી અને કેટલી સંપત—ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની—લઈને આવ્યા હતા એ જ મારે તો બતાવવું હતું … એવી સંપત લઈને મહાદેવ બાપુજી પાસે આવ્યા અને તેમાંથી કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહયોગી; મંત્રી; નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; પોતાના સ્વામી અને આપણી વચ્ચે ગેરસમજૂતી ઊભી થઈ હોય તો તેને દૂર કરાવનાર વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; અને આ બધું છતાં માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક;” —એવા એ બન્યા.
ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’ તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની લેખનશૈલીમાં એવું સામ્ય હતું કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. નારાયણભાઈ વર્ણવે છે કે ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવો.
આ મહાદેવભાઈનો જન્મ જાન્યુઆરી 1892માં. શિક્ષક પિતા હરિભાઈ અને ઊંડી ધર્મભાવનાવાળાં માતા જમનાબહેન ઉપરાંત એમના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ તેમ જ ગોધરાના પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્ત્વનો ફાળો હતો.
તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1910માં તેઓ તત્ત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. થયા અને 1913માં એલએલ.બી. થયા. ગાંધીજી ભારત આવ્યા એ વર્ષે મહાદેવભાઈ મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા. 1915ના જુલાઈ મહિનામાં તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ ને 1917માં તેઓ બધું છોડી ગાંધીજી પાસે આવી ગયા. જો કે કૌટુંબિક પાશમાંથી મુક્ત થવું સહેલું નહોતું. એ મંથનનું ચિત્રણ નરહરિભાઈના લખેલા ‘મહાદેવનું પૂર્વચરિત’માં જોવા મળે છે.
1919ની શરૂઆતમાં મહાદેવભાઈએ થોરોના ‘ઓન સિવિલ ડિસઓબિડિયન્સ’નો રાતોરાત સંક્ષેપ કર્યો – ‘કાયદાની સામે થવાની ફરજ’. પ્રેસ કાયદાનો ભંગ કરી એની નાનકડી પુસ્તિકા મુંબઈના હજારો લોકોએ ખુલ્લેઆમ વેચી સવિનય કાનૂનભંગ કર્યો. 1919ના જલિયાંવાલાં હત્યાકાંડ સમયે પંજાબ જતાં પલવલ સ્ટેશને ગાંધીજી પકડાયા, ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાના વારસ કહ્યા.
19૦5માં તેમનું લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયું. પત્ની સાથે સુંદર મનમેળ, છતાં મહાદેવભાઈ પત્ની પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં: ‘પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે. માંહી આવે વિયોગની વાત જો. સ્નેહધામ સૂનાં સૂનાં રે.’ જો કે વિયોગ છતાં નારાયણભાઈએ લખ્યું છે તેમ મહાદેવ–દુર્ગાનાં સ્નેહધામ ભર્યાં ભર્યાં હતાં, સૂનાં સૂનાં નહીં.
19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી મહાદેવભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી થયા. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’નું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ને પણ તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. તેમને 1927માં ‘નવજીવન’માંના લેખો માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.
ગાંધીસેવા પૂર્વે મહાદેવભાઈએ સાહિત્યસેવામાં પગરણ માંડેલાં. 1915માં કરેલા લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદે ફાર્બસ ગુજરાતી સભાનું પારિતોષિક મેળવ્યું. 1915થી 1925ના ગાળામાં રવીન્દ્રનાથના ‘ચિત્રાંગદા’, ‘પ્રાચીન સાહિત્ય’, ‘વિદાય અભિશાપ’ ઉપરાંત શરદબાબુની ‘ત્રણ વાર્તાઓ’ ને ‘વિરાજવહુ’નો અનુવાદ કર્યો. જવાહરલાલ નેહરુની તેમ જ ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદ આપ્યા. કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો આજે પણ મન મોહી લે.
ઉપરાંત એમણે ‘અંત્યજ સાધુ નંદ’, ‘વીર વલ્લભભાઈ’, ‘સંત ફ્રાન્સિસ’, ‘બે ખુદાઈ ખિદમતગાર’ તથા ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ જેવા ચરિત્રગ્રંથો, ‘એક ધર્મયુદ્ધ’માં અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો તો ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’માં બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ, નરહરિ પરીખ સાથે રહીને ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’, માર્તણ્ડ પંડ્યા સાથે ‘ખેતીની જમીન’ તેમ જ અંગ્રેજીમાં ‘ધી એપિક ઑવ્ ત્રાવણકોર’, ‘ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજિઝ’, ‘વિથ ગાંધીજી ઇન સિલોન’, ‘ધ સ્ટોરી ઑવ્ બારડોલી’, ‘ધ નૅશન્સ વૉઇસ’, ‘અનવર્ધી ઑવ્ વર્ધા’, ‘ધી ઇક્લિપ્સ ઑવ્ ફેથ’ અને ‘એ રાઇચ્યસ સ્ટ્રગલ’ એ પુસ્તકો આપ્યાં છે.
પણ ગુજરાતી તેમ જ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ. ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રગટ થયો છે. ગાંધીજીના સત્યના પ્રયોગોનો રોજ બ રોજનો પુરુષાર્થ, ગાંધીજીના સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં ટાંચણથી માંડી સુરેખ વર્ણનો ભરેલી આ ડાયરીઓ ગાંધીકોશની ગરજ સારે એવી છે. 1955માં એમને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના પોતે કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનારૂપે લખેલા ‘માય સબમિશન’ લેખમાં મહાદેવભાઈએ ભગવદગીતાની સૂક્ષ્મ છણાવટ કરી શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા સાઠ ઉપરાંત પરદેશી ચિંતકોને ટાંક્યા છે! ભારતીય ચિંતકો તો જુદા.
ગાંધીજી ૧૯૩૫માં વર્ધા રહેવા ગયા એ પછીનો સમય મહાદેવભાઈ માટે શારીરિક તેમ જ માનસિક કસોટીઓનો હતો. ૧૯૪૨ના ઑગસ્ટની ૯મીથી ૧૫મી તારીખના અઠવાડિયા દરમિયાન ગાંધીજી ઉપવાસ કરશે એ વિચારે મહાદેવભાઈના મનમાં ખૂબ ફડક પેસી ગઈ હતી. એ ફડક જ તેમના અકાળ મૃત્યુનું કારણ બની. આ મૃત્યુનો જખમ છેક સુધી ગાંધીજીને હૈયે રહ્યો. પછીનાં વર્ષોમાં પ્યારેલાલજીને કશુંક કહેવું હોય તો ગાંધીજીના મોંએથી અનાયાસ ‘મહાદેવ !’ સંબોધન સરી જતું.
અંતે ફરી સ્વામી આનંદે લખેલા શબ્દો યાદ કરીએ : ‘ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑગસ્ટ 2022