‘ક્વેકર પીસ મૂવમેન્ટ’[Quaker Peace movement]ની ઉત્તર ઇંગ્લેન્ડમાં સ્થાપના થયાને આ વર્ષે ૧૦૦ વરસ પૂરાં થયાં. બીજા વિશ્વયુધ્ધના નગારાં વાગતાં હતાં, તે સમયે વિલિયમ પેન[William Penn]નું વિધાન : ‘PEACE can only be secured by JUSTICE; never by force of arms.’ મારા મનમાં વિચારોનો વંટોળ પેદા કરી ગયું. વળી ૧૯૩૨-’૩૪ દરમ્યાન, જીનિવામાં વિશ્વ નિ:શસ્ત્રીકરણ સંમેલન મળેલું જેમાં લીગ ઓફ નેશન્સના સભ્ય દેશોએ શસ્ત્રો બનાવવા/વેચવા પર પ્રતિબંધ લાવવાનો અને સંઘર્ષો નિવારવા વૈકલ્પિક માર્ગ લેવા માટે દુનિયાના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરેલા. કરુણતા તો એ છે કે તેમ છતાં ય બે વિશ્વયુધ્ધો ખેલાયા અને હજુ હિંસાના ખપ્પરમાં લાખો નિર્દોષના જાન હોમાય છે, એવે સમયે ઉપરોક્ત પ્રશ્ન મનમાં ઉદ્દભવ્યો.
આ પ્રશ્ન કોને પૂછવામાં આવે છે તેને આધારે જવાબ મળશે, ભાઈ. બુદ્ધિજીવીઓ, શિક્ષણ અને સમાજ ઘડતરના કાર્યક્ષેત્રમાં પડેલાઓ, યુવાપેઢીને અને આમ જનતાને પૂછશો તો કહેશે, શાસ્ત્રોનો જ વેપાર કરવો હોય ને ભલા, આ તે કઈ પૂછવાની બાબત છે?
સત્તાધારીઓ, રાજકારણીઓ, ભારે ઉદ્યોગોના માલિકો અને કેટલાક અંતિમવાદીઓને ભૂલેચૂકે પણ પૂછશો, તો જોરશોરથી કહેશે, શસ્ત્રોનો વેપાર કરીએ છીએ અને કરશું; અમને પૂછનાર તમે કોણ?
શાસ્ત્રોનો વેપાર ન હોય. એમાં સંચિત જ્ઞાનનું આદાન-પ્રદાન યુગોથી થતું આવ્યું છે. ઇજિપ્ત, મેસોપોટેમિયા, ચીન અને સિંધુ ખીણની સંસ્કૃિતઓ જયારે પૂર્ણ કળાએ ખીલી રહી હતી, ત્યારે બીજા દેશોમાંથી જ્ઞાન પિપાસુ વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ યોજનો દૂર શાત્રાભ્યાસ કરવા જતા.
ત્રણેક હજાર વર્ષ પહેલાં ભારતમાં તક્ષશિલા અને પાંચમી સદીમાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં દેશ પરદેશથી આવતા વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં નિપૂણતા પ્રાપ્ત કરતા. ૧૧મી અને ૧૩મી સદી દરમ્યાન બ્રિટનની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે જગત ભરમાં ભારે આકર્ષણ હતું. આજે હવે અમેરિકાની યેલ, કેલિફોર્નિયા કોલેજ ઓફ ટેકનોલોજી અને હાર્વર્ડમાં પ્રવેશ મેળવવા અને અભ્યાસ કરવા બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે.
શાસ્ત્રોના અધ્યયન અને અધ્યાપનથી અગણિત ફાયદાઓ થયા છે. જ્ઞાન વહેંચવાથી વૃદ્ધિ પામતું રહ્યું અને તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન જેવા ગહન શાસ્ત્રોથી માંડીને નાટ્યશાસ્ત્ર, સંગીત વિદ્યા તથા શિલ્પ, કળા અને સાહિત્ય જેવી જ્ઞાન શાખાઓ ભૌગોલિક સીમાઓ વટાવીને બહોળા માનવ સમુદાયને ઉપલભ્ધ થઇ અને તેને કારણે દુનિયાના એક ખૂણે પ્રગટેલા જ્ઞાનદીપ સર્વત્ર પ્રકાશ ફેલાવતા થયા.
એક હકીકત અહીં નોંધવા જેવી છે, આજની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણ આપવા જેવું ઉમદા કામ પણ હવે વ્યાપારી ધોરણે થવા લાગ્યું છે એટલે શાસ્ત્રોનો પણ વેપાર શરુ થયો છે એમ દુ:ખ સાથે કહેવું પડે છે.
વેપાર કરવા માટે શાક-ભાજીથી માંડીને સોનું, હીરા, માણેક જેવી વસ્તુઓ પૂરતી નહોતી એટલે માણસે શસ્ત્રોનો વેપાર આદર્યો! પોતાના દેશની સુરક્ષા માટે દરેક દેશને સક્ષમ શસ્ત્રદલ રાખવું પડે એ જ માનવ જાતની બદનસીબી છે. પણ જેમ દરેક ગામ, શહેર અને દેશ પોતાના ખપ પૂરતું અનાજ અને કાપડ પેદા કરે છે અને વધારાની વસ્તુઓની નિકાસ કરે તેમ પોતાના દેશમાં ન પાકતી વસ્તુઓ આયાત કરે તે વ્યાજબી છે. તેવી જ રીતે દરેક દેશે પોતાની સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો પણ પોતે જ બનાવવા જોઈએ, પણ જો પોતાની તાકાત ન હોય તો બીજા દેશોમાંથી આયાત ન કરવા જોઈએ એમ મારી સમજ કહે છે.
જરા વિચાર કરતાં જણાશે કે યુરોપ ખંડના મોટા ભાગના દેશોએ ૧૮મી સદી પછી દક્ષિણ ગોળાર્ધના દેશો પર રાજ્ય કર્યું. જયારે ગુલામ દેશોને સ્વતંત્ર કરવાની ફરજ પડી ત્યારે એવી વ્યવસ્થા કરી કે એ દેશો આંતરિક વિગ્રહ કે પડોશી દેશો સાથે જીવે ત્યાં સુધી લડતા રહે. મજાની વાત એ છે કે બીજા દેશો પર રાજ્ય કરવાથી મળતી સમ્પત્તિ હવે ન મળતી હોવાને કારણે એ દેશોનું શોષણ કરવાની બીજી કોઈ રીત યુરોપીયન દેશોએ શોધવી પડી. પહેલાં ગુલામ પ્રજાનું હીર ચૂસીને તગડા થયેલા ‘First World’ના સભ્ય ગણાતા દેશો હવે સ્વતંત્ર થયેલા દેશોને પોતાના દેશોમાં બનેલા શસ્ત્રો વેચીને મોતનો વેપાર કરીને પોતાની રૈયત માટે કમાણીનું સાધન ઊભું કરે છે. ઓગણીસમી અને વીસમી સદીમાં ગુલામ બનેલા દેશોએ પોતાના દેશની સંપત્તિ ધોળે દિવસે લૂટાતી જોઈ, અને હવે આંતરિક વિગ્રહમાં વિજય મેળવવા જે દેશોએ એમના પર રાજ્ય કર્યું તેમની જ પાસેથી શસ્ત્રો ખરીદીને ફરી એમના જ દેવાદાર બને છે ! આ તે કેવી કરુણતા?
યુનાઇટેડ નેશન્સની સ્થાપના ઇ. સ. ૧૯૪૫માં થઈ, ત્યારથી માંડીને આજ સુધી તેની મધ્યસ્થીને કારણે કેટલા યુધ્ધો અને આંતરિક સંઘર્ષો નિવારી શકાયા છે, તે જાણવું હોય તો જીનિવાના યુ.એન.ના મુખ્ય મથકની મુલાકાત લઈ, ત્યાંની તવારીખ નોંધવા જેવી છે. જો કે એ સંગઠનની ખરી બિનઅસરકારકતાનું માપ તો એની જ સામે બે વેંત ઊંચા આસને બેઠેલા રેડક્રોસના મુખ્ય મથકમાં પ્રદર્શિત એ સંગઠનની સ્થાપના(ઇ. સ. ૧૮૬૩)થી માંડીને આજ સુધી તેના દ્વારા થયેલ માનવતાભર્યા કાર્યોની યશોગાથાનો અભ્યાસ કરવાથી જ કાઢી શકાય.
બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયાને પણ આજે છ દાયકાથી વધુ વર્ષોનાં વહાણાં વાઈ ગયાં, તો ય ક્યાં ય વિશ્વ શાંતિ તરફ ગતિ કર્યાનાં એંધાણ નથી કળાતા આથી સહેજે સવાલ થાય કે યુ.એન.ના પ્રયત્નો સાચી દિશામાં છે? એની યુક્તિઓ સફળ કેમ નથી થતી? કદાચ સંઘર્ષ ગ્રસ્ત દેશોમાં શાંતિ જાળવવા માટે સશસ્ત્ર દળો મોકલવાને બદલે બે દેશો વચ્ચે શસ્ત્ર વેપારની બંધી લાવવાનો સમય આવી ગયો છે.
જો ધનાઢ્ય દેશોની સરકારોએ પોતાની પ્રજાના પેટનો ખાડો પૂરવાની ફરજ પૂરી કરવી હોય અને તે પણ બીજા દેશોમાં પોતાનો તૈયાર કે કાચો માલ નિકાસ કરીને, તો ભલા શસ્ત્રો સિવાય લાખો અને કરોડો વસ્તુઓ એમની પાસે છે જ, જે મેળવવા વિકસતા અને અવિકસિત દેશોની આમ પ્રજા તલપાપડ થઈ રહી છે. જે દેશોમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે અને જે દેશો લોકશાહી સરકારો ઊભી કરવા જાન ફના કરી રહ્યા છે, તે બધા દેશોના નાગરિકોએ સાગમટે પોતાની સરકારોને પ્રજાએ ભરેલા આવક વેરા અને વેચાણ વેરામાંથી શસ્ત્રો બનાવીને બીજા દેશોમાં વેંચી કે ખરીદી હરગીઝ શકાય તેવી બાયેધરી આપવાની ફરજ પાડવી જોઈએ. હું જો વિનાકારણ બીજા દેશના નિર્દોષ નાગરિકનો જાન ન લઉં તો મારા કરવેરામાંથી એમને એકબીજાને કે બીજા દેશો સાથે લડાઈ કરવા માટે શા માટે જોગવાઈ કરી આપું? એ એક પ્રકારની આડકતરી હિંસા જ થઈને? લોકશાહી સરકારોને તેના નાગરિકોની થાપણનો આવો અમાનવીય ઉપયોગ કરવાની સત્તા બિલકુલ ન હોવી ઘટે.
ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે શસ્ત્ર વેચાણ બંધ કરીને શાસ્ત્રોનો વ્યાપાર વધારવાની ઝુંબેશ ચલાવવાની પ્રતિજ્ઞા ૨૦૧૩માં સહુ જાગૃત પ્રજાજનો લેશે, એવી પ્રાર્થના કરીએ.
e.mail : ten_men@hotmail.com