
courtesy : "The Indian Express", 08 November 2019
![]()

courtesy : "The Indian Express", 08 November 2019
![]()
સ્વચ્છ ભારત અભિયાનને પાંચ વર્ષ પૂરાં થઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨ ઓકટોબર, ૨૦૧૪ના દિવસે તેની શરૂઆત કરી હતી. ૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ, મહાત્મા ગાંધીની જન્મ જયંતીને દિવસે, મોદીએ ભારતને ખુલામાં શૌચ મુક્ત જાહેર કર્યું હતું. વડાપ્રધાનની દિવાળી પહેલાંની છેલ્લી હાઈપ્રોફાઈલ મિટીંગ ચીનના રાષ્ટ્રપતિ શી ઝીન્પીંગ સાથે હતી, ત્યારે તેમણે મહાબલીપુરમના સમુદ્ર કાંઠે કચરો વીણીને, નવા વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ એક ધક્કો આપવા પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષ પછી, એવું ખોંખારીને કહી શકાય કે ભારત સ્વચ્છ બની ગયું છે, અથવા વધુ મહત્ત્વની રીતે પૂછીએ તો, ભારતીયો સ્વચ્છતા માટે જાગી ગયા છે?
ભારતમાં ગંદકીનો પ્રશ્ન માત્ર શારીરિક નથી, એ એક જટિલ સામાજિક માનસિકતા છે. વડાપ્રધાન આ માનસિકતાને બદલવા પ્રયાસ કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના સરકારી આંકડા ભલે જે કહેતા હોય તે, મૂળ તો આ માનસિકતાનો સવાલ છે, અને જ્યાં સુધી લોકોના વિચારોમાં પરિવર્તન નહીં આવે, તંદુરસ્તીની અગત્યતા નહીં સમજાય અને ખાસ તો, સામાજિક પરિસ્થિતિઓમાં ક્રાંતિ નહીં આવે, ત્યાં સુધી ભારત, દાખલા તરીકે, દુનિયાના સૌથી સ્વચ્છ દેશો સ્વિટ્ઝર્લૅન્ડ કે ફ્રાંસની તોલે નહીં આવે.
વડાપ્રધાને પાંચ વર્ષ પહેલાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, ત્યારે ટોકિયો-જાપાનથી પ્રકાશિત થતી, એશિયા-પેસેફિક કેન્દ્રિત 'ધ ડિપ્લોમેટ' પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે ભારતના લોકોમાં (મશીનથી વિપરીત) શારીરિક શ્રમ પ્રત્યે એક ચોક્કસ અભિગમ છે, અને એના કારણે અસ્વચ્છતા ફેલાય છે. ભારતની ગંદકી ગરીબી દૂર કરવાથી દૂર નહીં થાય, કારણ કે દુનિયામાં ઘણાં દેશો એવા છે, જે ગરીબ છે પણ અત્યંત સ્વચ્છ છે, એમ 'ધ ડિપ્લોમેટે' કહ્યું હતું.

સ્વચ્છતાના બે પહેલુ છે : શારીરિક અને માનસિક. દુનિયાના તમામ ધર્મો અને રીતિ-રિવાજો શરીર અને મનને સ્વચ્છ રાખવાની જરૂરિયાતમાંથી આવ્યા છે. તમામ ધાર્મિક વચનો અને કાનૂની નિયમો માણસને ‘તન અને મન’થી પવિત્ર રહેવા પર ભાર મૂકે છે. આપણી તમામ ધાર્મિક પરંપરાઓ અને વિધિઓમાં તનશુદ્ધિને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમ? કારણ કે મનશુદ્ધિનો સૌથી સરળ અને હાથવગો ઉપાય તનશુદ્ધિ છે. મતલબ કે શરીરને ધોઈ નાખો, તો મન પણ ધોવાઇ જાય. આ જ કારણથી આપણી સાર્વજનિક જગ્યાઓ ગંદી છે, કારણ કે લોકો પોતના ઘરમાં તો સ્વચ્છતા રાખે છે, પણ એ કચરો ઘરના દરવાજામાંથી બહાર ફેંકે દે છે. એનો અર્થ એ થયો કે હું (કે મારું ઘર) સ્વચ્છ છે, એ પૂરતું છે અને એ કચરાથી બીજા લોકો ગંદા થાય, તે પ્રશ્ન મારો નથી. આ માનસિકતાના કારણે જ દુનિયામાં સૌથી વધુ ખુલ્લામાં શૌચ કરતો દેશ ભારત છે.
ખ્રિસ્તી મિશનરીઓએ 18મી-19મી સદીમાં જે સ્વચ્છતા અભિયાન ચલાવેલું તેમાંથી કહેવત આવેલી કે ‘સ્વચ્છતા એ જ પ્રભુતા છે.’ ગાંધીજીએ આમાંથી જ પ્રેરણા મેળવી હતી. ગાંધીજી કેમ ભારતીયોમાં સ્વચ્છતાની તીવ્ર ઈચ્છા જગવવામાં નિષ્ફળ રહ્યા? કારણ કે મોટા ભાગના ભારતીયો એવું માને છે કે ન્હાઈ-ધોઈ લો એટલે આપણે સ્વચ્છ થઇ ગયા, પણ બહાર ગંદકી થતી હોય તેનું શું? મોટા ભાગના લોકોને તેની કોઈ ફિકર નથી. કારણ એ છે કે આપણે સમાજને સ્વચ્છ રાખવામાં માનતા નથી (યુરોપમાં સાર્વજનિક સ્વચ્છતાની તીવ્ર ભાવના છે). ગાંધીજી ભારતીયોની આ માનસિકતા દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા.
2010માં ‘સાયન્સ’ નામના પ્રતિષ્ઠિત સામયિકે એક અભ્યાસમાં આચરણ અને અહેસાસ વચ્ચેના સંબંધનો ફોડ પાડીને કહેલું કે હાથ ધોવાની સામાન્ય ક્રિયા ય માણસને નૈતિક અપરાધબોધમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં, બીજાની અનૈતિકતાને ય માફ કરવા પ્રેરે છે.
સરળ રીતે કહીએ તો હાથ ધોવા એટલે પાપ ધોવાં! દુનિયાના તમામ ધર્મોમાં સ્નાન કરવાની ક્રિયા આટલા માટે જ કેન્દ્રસ્થાને છે. ધર્મોએ મનશુદ્ધિ માટે તનશુદ્ધિ પર ભાર મૂક્યો, તેમાંથી એક માન્યતા પ્રચલિત બની છે કે ગંગામાં નાહીએ તો સર્વે પાપ ધોવાઇ જાય. મેલી ગંગાને સાફ કરવાની સરકારી યોજનાઓ નિષ્ફળ રહેવાનું કારણ એ છે કે જે કામ તમે તાર્કિક રીતે શરૂ ન કરો, એ કામ તર્ક સંગત રીતે ખતમ પણ ન થાય. જેમ પગમાંથી કાંટો કાઢવા બીજા કાંટાની જરૂર પડે છે, તેમ એક અંધશ્રદ્ધાને ખતમ કરવા બીજી અંધશ્રદ્ધાની આવશ્યકતા રહે છે. ગંગા ગંદી જ એટલા માટે થઇ છે કારણ કે લોકો એવું મને છે કે તેના પાણીમાં ન્હાવાથી મનશુદ્ધ થઇ જાય છે.
જ્યાં સુધી ‘ગંગામાં નાહી લેવાથી’ પુણ્ય મળતું રહેશે ત્યાં સુધી ગંદકી રહેવાની.
આપણી નદીઓમાં, શહેરોમાં ગંદકી એટલા માટે નથી કે આપણને સ્વચ્છતા ગમતી નથી. ગંદકી એટલા માટે છે કે આપણે તનશુદ્ધિ કરીને મનશુદ્ધિનું પુણ્ય કમાવી લેવાની ફિરાકમાં છીએ. ‘મેં તો ગંગામાં નાહીને પાપ ધોઇ નાખ્યું. મારું કામ થઇ ગયું. હવે ગંગા મેલી છે કે સાફ એનાથી શું ફરક પડે છે’ એવી માનસિકતા ગંગાની (અને સાર્વજનિક જગ્યાઓની) ગંદકી માટે જવાબદાર છે.
ગાંધીએ તનશુદ્ધિની સાથે સાથે મનશુદ્ધિની વાત પણ કરેલી, અને એ માટે એમણે વૈચારિક સફાઇનું સૂચન કરેલું. ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. તેમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાં : સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા. વડાપ્રધાન જો ખરેખર ભારતને સ્વચ્છ અને સુખી દેશ બનાવવા માંગતા હોય, તો આ ૭ બાબતો અપનાવવા જેવી છે.
જે દેશમાં ‘ગંગામાં નાહી લેવાથી’ સર્વે પાપ ધોવાઇ જાય છે તેવી માન્યતા પ્રબળ હોય, તે દેશમાં મનશુદ્ધિની વાત કર્યા વગર તનશુદ્ધિના જાપ જપવાનો કોઇ મતલબ નથી, એવી ગાંધીજીને ખબર હતી. સાધન શુદ્ધિના ગાંધીજીના આગ્રહ પાછળ આ જ ડહાપણ હતું. તેમણે સુભાષચંદ્ર બોઝનું સમર્થન ન કર્યું કારણ કે બોઝ હિંસક ક્રાંતિ મારફતે સ્વતંત્રતા મેળવવાના આગ્રહી હતા. એવી જ રીતે શરીર સ્વચ્છ હોય, પણ મન ગંદુ હોય, તો પછી સ્વચ્છતાનો શું મતલબ?
1925માં એમણે ‘યંગ ઇન્ડિયા’માં લખેલું, ‘મનશુદ્ધિ વગર માત્ર તનશુદ્ધિ વડે ઇશ્વરની કૃપા ન મળે.’ ગાંધી માટે સ્વચ્છતા એ જાહેર આરોગ્યનો જ વિષય ન હતો. એમણે મંદિરમાં દલિતોના પ્રવેશ સામે સત્યાગ્રહ કરેલો. એમણે એક અનાથ મુસ્લિમ બાળકને દત્તક લેવા હિન્દુને સમજાવેલો. આ બધી વાતો મનશુદ્ધિની છે. તેમણે કહેલું કે, ‘ગંદા પગ લઇને હું કોઇને મારા મનમાં ચાલવા નહીં દઉં.’
સ્વચ્છ ભારતનો ગાંધીજીનો સંદેશ ફિલોસોફિકલ હતો. 1935ના ‘હરિજન’ના અંકમાં એ લખે છે, ‘શરીરના આરોગ્ય માટે જેમ સ્વચ્છતા જરૂરી છે, તેવી રીતે આત્માના સ્વાસ્થ્ય માટે આધ્યાત્મિક શુદ્ધતા જરૂરી છે. હકીકતમાં આત્મા શુદ્ધ હશે, તો શારીરિક સ્વચ્છતા એની જાતે આવશે. સ્વચ્છતાનો સંબંધ આંતરિક અને બાહ્ય છે. અંદરની સ્વચ્છતા એટલે સત્યપ્રેમ. સત્ય પવિત્રતાની પહેલી શરત છે અને એ સ્વચ્છતાનું બીજું નામ છે. આપણે બહારથી સ્વચ્છ અને સાફ હોઇએ, પરંતુ મનથી ગંદા હોઇએ તો આપણે દંભ કરી રહ્યા છીએ. એટલે, જે ભાઇ-બહેન નિયંત્રિત જીવન જીવવા માગે છે તેમના માટે બાહ્ય સ્વચ્છતા ત્યારે જ મતલબવાળી હશે જો એમની અંદર સ્વચ્છતા હશે.’
આ વાંચ્યા પછી સમજી શકાય છે કે ગંગા નદીમાં પોતડી પહેરીને ન્હાતા હોય, તેવા ગાંધીનો એકે ય ફોટો કેમ નથી.
![]()
મેં આ વર્ષના – ૨૦૧૯ના – મે-થી જૂન દરમ્યાન પીઓરીઆની 'ઈલિનોય સૅન્ટ્રલ કૉલેજ'માં – ICCમાં – અમેરિકન વિદ્યાર્થીઓને ૬ અઠવાડિયાં માટે દરેક મંગળવારે ૨ કલાક ભણાવ્યું હતું.
૬ અઠવાડિયાંના મારા એ કોર્સનો વિષય હતો : Suffering and the pursuit of Happiness : પીડા અને સુખ-પરિશીલન.
સ્વાભાવિક છે કે મેં અંગ્રેજીમાં જ ભણાવેલું. ચર્ચાઓ પણ અંગ્રેજીમાં થયેલી. હું એ વ્યાખ્યાનોને આવશ્યક કાપકૂપ સાથે આ સ્થાને ગુજરાતીમાં લગભગ અનુવાદ રૂપે મૂકું છું. આશા છે કે સૌને ગમશે.
= = =
ઉપરના આયોજન અનુસાર, આ સ્થાને મેં તારીખ ૧૨, ૧૯ અને ૨૬ ઑક્ટોબરે, કેટલીક વાતો કરી હતી. તેના અનુસન્ધાનમાં આગળ … 4
પીડાનાં મુખ્ય કારણોમાંનાં બે :
અ : પસંદગીઓને કારણે પીડા —
જીવનના આ કઠિન તથ્ય વિશે વિચારીએ કે આપણે મનુષ્યો ઘણી મોટી સ્વતન્ત્રતા સાથે જન્મ્યાં હોઈએ છીએ. એ સ્વતન્ત્રતા એટલી બધી મોટી છે કે આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરી શકીએ. કોઈ વિચાર કશી વાત કે કશું પણ કાર્ય પસંદ કરી શકીએ. આપણે સર્વથા મુક્ત હોઈએ છીએ. પરન્તુ છેલ્લે જે હકીકત હાથ આવે છે તે એ કે આપણે કરેલી આપણી પસંદગી બરાબર ન્હૉતી ! પસંદ કરેલો આપણો વિચાર, વાત કે આપણું કાર્ય ગલત હતાં. ધીમે ધીમે આપણને સમજાય છે કે – નો ચૉઇસ વૉઝ રાઇટ ચૉઇસ; અને આપણે દુ:ખી થઈ જઈએ છીએ.
પસંદગી માનવીય પીડાનું એક મહા મોટું કારણ છે.
પીડાના આ કારણને સમજવા આ એક સામાન્ય દાખલો :
ધારો કે, કોઈ સ્ટોરમાંથી, ‘વૉલમાર્ટ’-માંથી, આપણે ટૂથપેસ્ટ ખરીદવા ગયા છીએ. ત્યાં જે ૧૦ ટૂથપેસ્ટ હતી એમાંથી આપણે કોઈ ૧ પસંદ કરીએ છીએ. એકાદ અઠવાડિયામાં સમજાય છે કે પેસ્ટ બરાબર નથી, પસંદગી ખોટી હતી. આવું આપણી કોઈ પણ પસંદગી બાબતે બને છે. – કાર, ફોન, હાઉસ, વગેરે. માનવીય સમ્બન્ધ માત્ર વિશે આવું બને છે -ઍમ્લોયર / ઍમ્પલોઈ; ફ્રૅન્ડ્ઝ કે બૉયફ્રૅન્ડ / ગર્લફ્રૅન્ડ; કે વાઈફ / હસ્બન્ડ … જ્હૉન કહેતો હોય છે કે પોતે જે કમ્પનીમાં જોડાયેલો એ બોગસ નીકળી; મિત્ર જ દુશ્મનની જેમ વર્તવા માંડે; પત્ની કે પ્રિયા છોડીને ચાલી જાય; વગેરે.
મોટા ભાગની પસંદગીઓ માટે વ્યક્તિ પોતાને દોષી માનવા લાગે છે. કહે – ઉતાવળ થઈ ગઈ. બીજે જોયું જ નહીં . ઘણા કહેતા હોય છે – આથી વધારે સારું મળ્યું હોત, પણ ચૂકી જવાયું, થતાં થઈ ગયું, શું કરીએ … ઝીણી ઝીણી પીડા શરૂ થઈ જાય છે ને વ્યક્તિ એક નવી પસંદગી ન કરે ત્યાં લગી ચાલુ રહે છે, નવી પસંદગીનું તાત્ત્વિક ભાવિ પણ એ જ હોય છે.
પસંદગીઓને કારણે પીડા એ મુદ્દામાં એક ઑર હકીકત ઉમેરાતી હોય છે :
મોટા ભાગના લોકો મોટે ભાગે પોતાની પસંદગીનું મૂલ્ય નથી ચૂકવતા. એ માટે તૈયાર કે તત્પર નથી હોતા. એટલું જ નહીં, પોતાની જ પસંદગીને ડિઝ-ઓન કરે છે. કહે, એ તો મારા ડૅડની ચૉઈસ હતી, મારી નહીં. છોકરી કાકાએ પસંદ કરેલી, મેં નહીં … આપણી જ પસંદગીનો બોજ આપણાથી વેઠાતો નથી. આપણને યાદ જ નથી રહેતું કે આપણી પસંદગીનું મૂલ્ય આપણે જ ચૂકવવાનું હોય છે.

કોઈ કનટ્રોલ-ફ્રીકના હાથે હસતા મુખે ત્રાસ અનુભવતી યુવતી.

બીજું પિક્ચર ICC -ના કૅટરિન્ગ સૅન્ટરનું છે.
નાનો ઉપસંહાર :
૧ : પસંદગીઓ હંમેશાં આપણને પ્રાપ્ત ક્ષેત્રમાંથી જ થતી હોય છે અને એ ક્ષેત્ર સ્વાભાવિક છે કે હંમેશાં મર્યાદિત હોય છે.
૨ : મોટા ભાગની પસંદગીઓ છેવટે અસંતોષ આપે છે. આપણને આપણી ભૂલોનો અહેસાસ કરાવે છે. આપણને પસ્તાવો કરાવે છે – બીજાં અનેક ક્ષેત્રોમાં અનેક પસંદગીઓનો અવકાશ હતો પણ મેં એ ક્ષેત્રો શોધ્યાં નહીં.
૩ : એટલે આપણે ઇચ્છાએ કે અનિચ્છાએ સ્વીકારવું રહ્યું કે કોઇ પણ પસંદગી ખરી નથી ઊતરતી, એટલું જ નહીં, પણ દરેક પસંદગી પ્રશ્નાર્થ હેઠળ ઝઝૂમતી હોય છે, દરેક પસંદગી અન્ય પસંદગીને ચીંધતી હોય છે.
૪ : પ્રત્યેક વૈયક્તિક પસંદગી સામે એનાં કેટલાંક મુકરર ચૂકવણાં હોય છે, પણ વાસ્તવમાં ઊંધું-અવળું જ બનતું હોય છે.
૫ : આ રીતે આપણે શીખવું જોઈશે કે પસંદગીની સ્વતન્ત્રતા, ફંટાઈ જાય છે, સાચી દિશામાં નથી જતી. એવી વિ-પથે પળેલી પસંદગી અસંતોષ અને બેચૅની પેદા કરે છે, જે ક્રમે ક્રમે પીડા રૂપે અનુભવાય છે.
૬ : રોજિંદું જીવન ટેવોથી જિવાતું હોય છે. એ રીઢી ટેવો આપણને પસંદગીઓની આ મૂળ ભાત લગી નથી પ્હૉંચવા દેતી. અને એને પરિણામે, આપણને કશા ઉપકારક ઉકેલ નથી જડતા.
આપણે રૂટિન લાઇફ વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. આપણને ભાન નથી પડતું કે સવારથી માંડીને રાત્રે પથારીમાં પડીએ ત્યાં લગીમાં આપણે શું કર્યું બલકે જે કર્યું તે કેવી રીતે કર્યું. રૂટિનને મનોવિજ્ઞાનીઓ ટેવોની હારમાળા કહે છે એ મને સર્વથા ઉચિત લાગ્યું છે. આપણે એવો ભરોંસો રાખીને જીવીએ છીએ કે ટેવો વડે જીવન સરળતાથી જિવાશે. એ ભરોંસો લગભગ સાચો છે છતાં આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે એ સરળતા વાસ્તવમાં કેટલી બધી ઓછી હતી.
બ : બધાં પર કાબૂ મેળવવાની વૃત્તિને કારણે – કન્ટ્રોલ ફૅક્ટરને કારણે – પીડા :
આપણા સૌનો અનુભવ છે કે બીજાંના અન્ડરમાં રહીને કામ કરવું આપણને નથી ગમતું. કહો કે, કેટલું બધું પીડાદાયક હોય છે. તેમ છતાં, આપણામાંના ઘણા બીજાંઓને પોતાના કાબૂમાં રાખવા ઇચ્છતા હોય છે. ઇચ્છા પાર પાડવાને ગાળાગાળી કરતા હોય છે, એથી મોટી મારઝૂડ જેવી હિંસા પણ અજમાવતા હોય છે.
પરન્તુ બીજાંઓને કાબૂમાં લેવાં કે રાખવાં એ માનવસ્વભાવ છે. એમ આપણે બીજાંઓનાં ભલા માટે કરતા હોઈએ છીએ -જેમ કે, માબાપો સન્તાનોને એમના ઉત્તમ ભાવિ માટે; વેપારીઓ કામદારોને વેપારના સર્વોત્તમ પરિણામ માટે, એટલે કે, નફા માટે; પતિઓ પત્નીઓને અને પત્નીઓ પતિઓને કાબૂમાં લે એ આમ તો રૂડુંમીઠું દેખાય છે છતાં કટુ હોય છે અને એના સ્વાભાવિક પરિણામ લગી પ્હૉંચે ત્યાંલગી એવું – ને – એવું સંમિશ્ર રહે છે.
જાણીતું છે કે આવા કાબૂખોર લોકોને ‘કન્ટ્રોલ-ફ્રીક’ કહેવાય છે. પરન્તુ એથી આસપાસનાં સૌને કે સમગ્ર સમાજને કશો જ ફાયદો નથી થવાનો. સામાવાળા તો દુખી થશે જ પણ એ પોતે પણ થશે, થશે જ, ને કાયમ એમ જ રહેશે !
આથી સામેનું સત્ય એ છે કે આપણને આપણા પોતાના કન્ટ્રોલમાં રહેવું હંમેશાં ગમે છે. એટલે કન્ટ્રોલ-ફ્રીકે અને આપણે સૌએ એક યાદી બનાવી લેવી જોઈએ કે આપણને કઈ કઈ બાબતે પોતાના કન્ટ્રોલમાં રહેવું ગમે છે. એ યાદીમાં એક એ ઉમેરવું કે બીજાંને કન્ટ્રોલમાં લેવાનું મને નહીં ગમે, ને એ હું નહીં કરું.
= = =
તારીખ : ૮ નવેમ્બર ૨૦૧૯
પીઓરીઆ : યુ.ઍસ.એ.
![]()

