અઢારમી સદી સુધી ભારતના લોકો કાગળના રૂપિયાના સ્થાને ચીજ-વસ્તુઓ કે સિક્કાઓનો વિનિમય કરતા હતા. યુરોપની ખાનગી વેપારી પેઢીઓએ ભારતમાં ધંધોશરૂ કર્યો ત્યારે કલકત્તાની બેન્ક ઑફ હિન્દોસ્તાને પહેલીવાર કાગળના રૂપિયા પ્રચલિત કર્યા. રૂપિયાની આ બસો વર્ષની બોલબાલા પછી એના વળતાં પાણી થયાં છે, અને ભારતમાં કેશલેસ અર્થવ્યવસ્થાનો પ્રચાર શરૂ થયો છે.
સંસારમાં ભૌતિક સુખ-સુવિધાની તરક્કીની સાથે એને પ્રાપ્ત કરવાના અવૈધ તરીકાઓની પણ એટલી જ જબ્બર તરક્કી થઇ છે. જગતના દેશોને એટલે જ કેશલેસ વ્યવસ્થા આકર્ષક લાગે છે. કોઇપણ નવી વ્યવસ્થાની વાત આવે ત્યારે એનાં બહુ ગુણગાન ગાવામાં આવે છે, અને જૂની વ્યવસ્થાથી ત્રસ્ત થયેલી જનતા એ નવા સ્તુિતગાનને ભોળા ભાવે ગાવા લાગી જાય છે.
કેશ વગરની દુનિયા કેવી હોય? એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. કરન્સી એટલે જે કરન્ટ (વર્તમાન) ધારકની પાસે છે તે. તમારા પૈસા ચોરાઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય, એ કોઇકની પાસે તો છે જ. પૈસા હંમેશાં કરન્ટ જ હોય, વર્તમાનમાં જ હોય, પ્રવાહમાં જ હોય, ચલણમાં જ હોય, એટલે જ એને કરન્સી કહેવાય છે.
એ પૈસા જ્યારે બેન્કમાં જમા હોય ત્યારે એની કસ્ટડી બેન્ક પાસે હોય છે. બેન્કના એકાઉન્ટમાં જે બેલેન્સ હોય તે અસલી પૈસા ન કહેવાય, તે પૈસા ઉપરનો દાવો કહેવાય. આ ફર્ક મહત્ત્વનો છે. એ દાવો ત્યારે જ માન્ય ગણાય જો એ સિદ્ધ કરી શકાય. કેશલેસ વ્યવસ્થામાં દરેક લેવડ-દેવડને બેન્કની નજરમાંથી પસાર થવું પડે. બેન્કો આવી કોઇપણ લેવડ-દેવડનો ઇનકાર કરી શકે.
જરૂરી નથી કે પ્રત્યેક વ્યવહાર યોગ્ય સમીક્ષામાંથી પસાર થાય. એવું પણ બને કે કોઇ વ્યક્તિ કે સંસ્થા રાજકીય રીતે પ્રતિકૂળ હોય તો એને લેવડ-દેવડથી વંચિત રાખવામાં આવે. અગાઉ હવાલાના વ્યવહારો રોકવાના પ્રયાસમાં જાયજ વ્યવહારો કે વ્યક્તિઓને અન્યાય થયાનાં ઉદાહરણો છે.
કેશલેસ અર્થવ્યવસ્થાનો બીજો મહત્ત્વનો પ્રશ્ન પ્રાઇવસી અથવા ગોપનીયતાનો છે. કેશલેસ સમાજમાં પૈસા પૈસા ન રહેતા નંબર બની જાય છે, સિગ્નલ્સ બની જાય છે, ઇલેક્ટ્રોનિક કરન્ટ બની જાય છે. એક મશીનથી બીજા મશીન વચ્ચેના એ ‘નાણાકીય વ્યવહાર’માં તમારી એ તમામ માહિતી હોય છે, જે તમારા સામાજિક કે ફાયનાન્શિયલ પ્રોફાઇલને બનાવે છે.
ટૂંકમાં, કેશલેસ વ્યવસ્થામાં પૈસાનું સ્થાન ઇન્ફોર્મેશન લે છે. આ ઇન્ફોર્મેશન તેજ ગતિએ, ક્ષણાર્ધમાં એક શહેરથી બીજા શહેર, એક રાજ્યથી બીજા રાજ્ય અને એક દેશથી બીજા દેશમાં અનેક મશીનો, મોબાઇલ ફોન અને એપ્લિકેશન વચ્ચેથી પસાર થાય છે.
કોઇપણ પ્રકારની માહિતી હોય, બે બાબતો અનિવાર્યપણે એનો ‘પીછો’ કરે છે, નિગરાની અને નિયંત્રણ. દરેક સરકારને કાણામાંથી ઝાંખવામાં અને જે દેખાયું તેને સેન્સર કરવામાં વિશેષ ભાવ હોય છે. ડિજિટલ પૈસા પણ આમાંથી બાકાત નથી. પૈસા જ્યારે નામ-ઠામ-કામ-સ્થાનના સિગ્નલ બની જાય ત્યારે એની પર નિગરાની રાખવાનું કે એને અધવચ્ચેથી કાપવાનું આસાન થઈ જાય છે.
સરકાર તમને ઇલેક્ટ્રોનિક ચુકવણીની ફરજ પાડે ત્યારે એનો મતલબ એ થયો કે તમારા વ્યવહારની તમામ વિગતો સરકાર પાસે હશે. ઇરાદો પણ આ જ છે. સરકાર ઇલેક્ટ્રોનિક પૈસાના માધ્યમથી તમારી સેવા નથી કરી રહી, એને બ્લેક કે ટેરર મની પર દેખરેખ રાખવી છે.
ઉદ્દેશ એકદમ ઉત્તમ અને વાજબી છે. પ્રશ્ન માત્ર સૂકા ભેગું લીલું બળી જાય તેનો છે. ભારત હજુ અેટલું સક્ષમ કે ‘મેચ્યોર’ નથી કે એ આમ આદમીના નિર્દોષ વ્યવહારને નિગરાનીમાંથી જતા કરે.
ભારતમાં આમ પણ પ્રાઇવસીની બાબતને ‘ફાલતુ’ ગણવામાં આવે છે.
પતિ-પત્ની એકબીજાના ઇ-મેલ પાસવર્ડની આપ-લે કરે એ ‘સામાન્ય’ ગણાય છે. પિતા એની પુત્રી કે પુત્રના મોબાઇલ કે બેગમાં ખાંખાંખોળા કરે એ આવકાર્ય ગણાય છે. આધાર કાર્ડમાં સમાયેલી વ્યક્તિગત માહિતીઓને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી એક રિટના સંદર્ભમાં ભારત સરકારના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ તો એવું કહ્યું હતું કે, ‘નાગરિકોને પ્રાઇવસીનો સંવૈધાનિક અધિકાર નથી.’
એનો મતલબ એ થયો કે કેશલેસ વ્યવહારમાં સરકારને એ પણ ખબર હશે કે કઈ યુવતીએ ક્યાંથી અને કેટલા પૈસાની અંડરવિયર ખરીદી અથવા કોણે એઇડ્સની દવા ખરીદી. સરકારને એ પણ ખબર હશે કે મેં મારી કઈ પ્રેમિકા (અથવા પ્રેમી, એઝ ધ કેસ મે બી) માટે ક્યાં રૂમ બુક કરાવ્યો કે પછી મેં કેટલા પૈસા ખર્ચીને કઈ પોર્નોગ્રાફિક ચોપડીઓ ખરીદી.
માની લો કે મારી ભક્તિ સરકાર પ્રત્યે ન હોય તો મને એ વાતનો ડર ન રહે કે સરકાર મારી અંગત ઇન્ફોર્મેશનનો ઉપયોગ મને ‘સીધો’ કરવા માટે કરી શકે છે? પ્રાઇવસીને લઈને એક એવો તર્ક થઈ શકે કે જેને કશું ખોટું કરવું ન હોય એને પ્રાઇવસીની ચિંતા શા માટે કરવી જોઇએ? આપણે એવું માનીએ છીએ કે દુનિયામાં બે પ્રકારના લોકો છે, સારા લોકો અને ખરાબ લોકો. ખરાબ લોકો એ છે જે ગુનાઇત કામ કરે છે અને એમને એમની પ્રવૃત્તિ છુપાવવી છે.
સારા લોકો એ છે જે ઘરેથી નીકળીને કામ પર જાય છે અને રાત્રે ઘરે આવીને ટેલિવિઝન જુએ છે. આ લોકો ઇન્ટરનેટ કે મોબાઇલનો ઉપયોગ આતંકવાદી હુમલો કરવા માટે નહીં, પણ જ્ઞાન પ્રાપ્ત કરવા કરે છે.
ગૂગલ કંપની લોકોની અંગત માહિતી ભેગી કરે છે તેવા આરોપના જવાબમાં ગૂગલના વડા એરિક શ્મિટે કહ્યું હતું કે, ‘તમે ન કરવા જેવું કામ કરતા હો તો પછી ઉત્તમ ઉપાય તો એ છે કે તમારે એવું કામ જ ન કરવુ જોઇએ. પ્રાઇવસીનો મામલો જ ખતમ.’ એ પછી સ્નેટ નામની એક ઇન્ટરનેટ પત્રિકાએ ગૂગલ સર્ચનો જ ઉપયોગ કરીને એરિક શ્મિટની અંગત અને ગોપનીય વાતો જાહેર કરી ત્યારે એરિકે જ ગૂગલના તમામ કર્મચારીઓને એ પત્રિકા સાથે વાત નહીં કરવા આદેશ કર્યો હતો.
અર્થ એ છે કે આતંકવાદીઓ કે ગુનેગારો જ નહીં, મારા-તમારા જેવા ‘ભગવાન’ના માણસોને કશુંક તો ગોપનીય રાખવાનું જ હોય છે. એક સભ્ય સમાજ પબ્લિક અને પ્રાઇવેટના તંદુરસ્ત સંતુલન ઉપર જ કામ કરતો હોય છે. આપણા ડૉક્ટર સાથે, સાયકોલોજિસ્ટ સાથે જીવનસાથી સાથે, મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથેના આપણા એવા કેટલા ય વ્યવહાર છે, જે આપણને જાહેર થાય તે અનુકૂળ નથી.
મારી પ્રાઇવસી એ મારી સિક્યોરિટી છે. કેશલેસ સમાજમાં મારો એ અધિકાર છીનવાઈ જશે. મારી પ્રાઇવસી રહેવી જોઇએ કે ન રહેવી જોઇએ એનો ફેંસલો મારી પાસે નહીં, સરકારની એજન્સી પાસે હશે. એક વ્યક્તિ તરીકેની મારી સ્વતંત્રતા એજન્સીમાં બેઠેલા બાબુના હાથમાં હશે. કોઈ એમ કહેતું હોય કે દેશના સારા માણસોએ આગળ આવીને આવી સ્વંત્રતાનો ભોગ આપવો જોઇએ એ લોકો એમનો ઇ-મેલ પાસવર્ડ મને મોકલી આપે. આપશે? નહીં આપે. પ્રાઇવસી એ પ્રાઇવસી નથી, એ સ્વતંત્રતા છે, અને એ સ્વતંત્રતાની સાબિતી કેશમાં છે, કેશલેસમાં નહીં.
સૌજન્ય : લેખકની સાપ્તાહિક કોલમ ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 01 જાન્યુઆરી 2017