
રવીન્દ્ર પારેખ
1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ, નાણાં મંત્રીએ રજૂ કર્યું ત્યારે આખા દેશની નજર નિર્મલા સીતારામન્ પર તો હતી જ, પણ તેમણે કેવા રંગની સાડી પહેરી હતી તેનાં પર પણ હતી. ઘણાંને તો બજેટ કરતાં સાડીની ચર્ચા કરવાનું વધારે માફક આવ્યું. એમણે ગૃહમાં ‘પોલ્યુશન’ને બદલે ‘પોલિટિકલ’ શબ્દ વાપરીને ભૂલ કરી ને સુધારી પણ ખરી, પણ ભૂલ તો થઈ જ હતી, કદાચ પોલ્યુશનનો સમાનાર્થી શબ્દ એમને પોલિટિકલમાં જડ્યો ! એક જમાનામાં જૂની ને નવી પત્નીનો મહિમા હતો, પણ હવે જાહેરમાં એ માન્ય નથી એટલે નાણા મંત્રીએ આશ્વાસન આપવા જૂની ને નવી સ્કિમનાં વિકલ્પો આપ્યા છે. એ સાથે જ જે નવી સ્કિમમાં જોડાય છે તેણે આગળ ઉપર તેને જ અનુસરવાનું રહે એવી ફરજ પણ પડાઈ છે.
આખા બજેટનો અભ્યાસ કરવાનું તો આવકવેરા વિભાગથી ય થતું હશે કે કેમ, તે નથી ખબર, પણ અર્થશાસ્ત્રીઓ અભ્યાસ કરી રહે ત્યાં સુધીમાં તો બીજું નવું બજેટ આવી રહે છે. બજેટ તો એક જ હોય છે, પણ તે વ્યક્તિએ વ્યક્તિએ જુદો અભિપ્રાય ઉપસાવી આપે છે. પેલી વાર્તા નથી, જેમાં અંધ, હાથીને તપાસે છે? એક અંધને હાથી થાંભલા જેવો લાગે છે, તો બીજાને પાઇપ જેવો લાગે છે. બજેટનું પણ એવું જ છે. કોઈને તે રાહત આપનારું લાગે છે તો કોઈને તે લૂંટનારું લાગે છે. એમાં રાજકીય પક્ષો જુએ તો બજેટ પક્ષ પ્રમાણે સારું, નબળું પણ થઈ જાય છે. ભા.જ.પ.ના એક પણ સભ્યને એમાં કશું જ નબળું લાગતું નથી, તો વિપક્ષના એક પણ સભ્યને એમાં કશું જ સારું દેખાતું નથી. જેમ કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ભા.જ.પ. સરકારનું બજેટ, નારીશક્તિની તરફેણ કરતું લાગે છે, તો બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને આ બજેટ ચૂંટણીલક્ષી અને લોકકલ્યાણની ભાવના વગરનું લાગ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આ બજેટ, દૂરંદેશી, કૃષિલક્ષી કે યુવા પેઢી તરફી લાગ્યું છે, તો કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીને આ બજેટમાં નોકરીઓ સર્જવાનું, અસમાનતા દૂર કરવાનું, મોંઘવારી સામે લડવાનું વિઝન દેખાતું નથી. આવું બધું બજેટ કોઈ પણ હોય, બોલાતું રહે છે.
પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ પૂર્વગ્રહ કે પશ્ચિમગ્રહ વગર વાતને જોઈ શકતું જ નથી. કેટલાક ખરેખરા અર્થશાસ્ત્રીઓ બધી બાજુએથી વિચારવામાં એટલું ઊંડું ચિંતન કરે છે કે તેઓ પછી સપાટી પર આવી શકતા નથી ને આવે છે તો લોકો ધંધે લાગી ગયા હોય છે, તો કેટલાંક તાજા અનર્થશાસ્ત્રીઓ પાસે કોઈ માંગે કે ન માંગે, પ્રતિક્રિયાઓ બજેટ પહેલાંથી જ લગભગ તૈયાર હોય છે. બજેટ કોઈ પણ હોય એમની રેસિપીમાં ફેર પડતો નથી. એ તો સારું છે કે આ બજેટમાં રાહતો અપાઈ છે, પણ રાહતો ન અપાઈ હોત તો પણ ઘણાં બની બેઠેલા અનર્થશાસ્ત્રીઓને રાહતો આભાસી લાગે છે, તો ઘણાંને એમાં કૈં મેળવવા કે ગુમાવવા જેવું પણ લાગતું નથી. કોઈ પણ સરકારનું બજેટ હોય, ઘણાંને એ ‘આવકારદાયક’, ‘વિકાસલક્ષી’ બજેટ જ લાગે છે, કોઈને દરેક માટે એમાં કૈં સારું દેખાયું છે, તો કોઈને એ અમૃતકાળનું નહીં, પણ ‘મિત્ર’કાળનું બજેટ પણ લાગ્યું છે, કોઈને એમાં મોંઘવારી વધતી દેખાઈ છે, તો કોઈને મોંઘવારી બજેટ પહેલાં જ ઘટતી પણ લાગી છે. જેટલાં મોઢાં એટલી વાતો …
બજેટમાં અનેક ક્ષેત્રો અને મંત્રાલયોને માટે લાખો કરોડ ફાળવાયા છે. સામાન્ય માણસને એમાં રસ પણ હોતો નથી. એ સારું પણ છે, બાકી, રસ પડે તો આનંદ ભાગ્યે જ થાય. જેમ કે થોડાં બજેટ પહેલાં, ભા.જ.પ. સરકારે સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મૂકેલી, પણ કામ છેક ગયા વર્ષને અંતે શરૂ થયું, બુલેટ ટ્રેન, મેટ્રો વગેરે પ્રોજેક્ટ્સ પણ લંબાતા જ ચાલે છે. ઘણી વાર તો એની જરૂર અંગે પણ પ્રશ્નો થાય, પણ હશે, કોઈ હેતુ તો હશે, એ સ્વીકારીને ચાલવું પડે. ઘણીવાર બજેટમાં રકમ ફાળવાતી રહે ને કામ ઘોંચમાં જ પડ્યું હોય ને પછી તો સરકાર ભૂલી જાય ને લોકોને ય યાદ ન હોય એમ બને.
શિક્ષણ, સંરક્ષણ, કૃષિ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો માટે દર વર્ષે કરોડો રૂપિયા જુદી જુદી યોજનાઓ માટે બજેટમાં ફાળવાય છે. બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવાની વાત છે. શિક્ષણ માટે 1,12,899.47 કરોડ ફાળવાયા છે. આગામી ત્રણેક વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયકોની નિમણૂક્ થશે ને એનો લાભ 3.50 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને મળશે. આવું આવતાં બજેટમાં પણ ઉમેરાઈ શકે. અત્યાર સુધીમાં શિક્ષકોની ભરતીના જેટલા આંકડાઓ બજેટમાં આવ્યા છે, એ બધા જો સાચા હોય તો ભારત શિક્ષક પ્રધાન દેશ બની જાય, પણ એવું થતું નથી. હજારો શિક્ષકોની ભરતી થતી જ નથી ને ઘણી સ્કૂલો એક, બે શિક્ષકોથી જ ચાલતી હોવાની નવાઈ નથી, ત્યારે પ્રશ્ન થાય કે આટલી ફાળવણી છતાં જો જગ્યાઓ ખાલી જ રહેતી હોય તો કોઈક સ્તરે અપ્રમાણિકતા કે ભ્રષ્ટતા ભાગ ભજવે છે એવું, નહીં? રેલવે માટે સૌથી વધુ 2.4 લાખ કરોડ ફાળવાયા છે, છતાં એમાં સિનિયર્સને અપાતું કન્સેશન બાકાત છે. રેલવે એટલી ગરીબ છે કે તે લાચાર વૃદ્ધોને મદદ ન કરવા લાચાર છે. બજેટમાં રકમ ફાળવાતી જ રહે ને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં તંત્રો આનાકાની કરે ત્યારે કારભાર ખાડે ગયો છે એમ માનવું પડે ને તેને અખાડે લઈ જવો જોઈએ એવું ખરું કે કેમ?
હેલ્થ સેક્ટર માટે ગયા બજેટ કરતાં 13 ટકા વધુ એટલે કે 89,155 કરોડ ફાળવાયા છે. એ સાથે જ 157 નર્સિંગ કોલેજો શરૂ કરવાની વાત પણ છે. 22 નવી એઇમ્સ માટે 6,835 કરોડ ફાળવાયા છે, આ ઉપરાંત સંરક્ષણ બજેટ 5.94 લાખ કરોડનું છે, જે ગયાં વર્ષ કરતાં 13 ટકા વધારે છે. આ ઉપરાંત શસ્ત્રો વિમાનો, યુદ્ધ જહાજોની ખરીદી માટે 1.62 લાખ કરોડ બાજુ પર રખાયા છે. પડોશી દેશોની રમતો સંદર્ભે આ ખર્ચ અનિવાર્ય છે. 2023-‘24નાં બજેટમાં MSME માટે 22,138 કરોડ ફાળવાયા છે જેથી કોરોનાને કારણે નિષ્ફળ ગયેલા નાના ને મધ્યમ ઉદ્યોગોને ટેકો થઈ શકે. વ્યવસાય શરૂ કરવા હવે પાન કાર્ડ પૂરતો ગણાશે. MSMEને 9 હજાર કરોડની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે. કૃષિ ક્ષેત્ર માટે કોઈ ચોક્કસ જાહેરાતો બજેટમાં નથી, હા, કૃષિ ક્રેડિટ કાર્ડ (KCC) 20 લાખ કરોડ વધારવાની જાહેરાત છે. આમે ય ખેડૂત દેવાદાર જ હોય છે તેમાં વધુ દેવાદારો ઊભા કરવાની આ તરકીબ છે. આવી તો ઘણી દરખાસ્તો છે ને એમ મનાય છે કે બજેટની જાહેરાતોનો સમયસર અસરકારક અમલ થાય તો એ ખરેખર અમૃતકાળનું બજેટ બની રહે, પણ આ આખો વ્યાયામ મોટે ભાગે બિન અસરકારક જ પુરવાર થાય છે એવું આગલા બજેટો પરથી પણ કહી શકાય. જો આ બજેટમાં પણ એવું થાય તો અમૃતકાળમાં ‘અમૃત’ અને ‘કાળ’ ચોઘડિયાં સૂચક જ ગણવાં પડે. આ ઉપરાંત સોનું, ચાંદી, સિગારેટ જેવી વસ્તુઓ મોંઘી થતી આવી છે તો તે મોંઘી થશે ને રમકડાં, મોબાઈલ પાર્ટ્સ, સાઇકલ, ઇલેક્ટ્રિક વેહિકલ્સ વગેરે સસ્તાં થશે. તે એટલે કે સોનાં, ચાંદી પર સરકારે ડ્યૂટી વધારી છે ને મોબાઈલ પાર્ટ્સ, રમકડાં પર ડ્યૂટી ઘટાડી છે,
આમ તો બજેટમાં દરખાસ્ત થતી રહે છે ને સમય જતાં બરખાસ્ત પણ થતી હશે, પણ મૂળ પ્રશ્ન છે તે અસરકારક અમલીકરણનો. એ ઉપરાંત અગાઉ ફાળવાયેલી રકમનો કોઈ હિસાબ થાય છે કે કેમ તેની પણ જનતાને ખબર પડતી નથી. બજેટમાં ગમ્મત એવી પણ થતી રહે છે કે રૂપિયો કયાંથી આવશે ને ક્યાં જશે? ને એ ગ્રાફિક્સ દ્વારા બતાવાય પણ છે, પણ ગોળ તો કુલડીમાં જ ભંગાતો રહે છે. ઘણીવાર તો રૂપિયો વધતાં જતાં દેવામાંથી આવે છે ને છેવટે તો આવે છે સરકાર પાસે જ, સિવાય કે રૂપિયો બ્લેકનો હોય ! બ્લેકનો હશે તો તિજોરીમાં જ જશે એટલું નક્કી છે. ધનિકોને એ સગવડ ટેક્સ ઘટાડાએ પણ પૂરી પાડી છે. મહત્તમ ટેક્સ 42.74 ટકા હતો તે ઘટાડીને 39 ટકા કરાયો છે. આ સ્લેબમાં મોટે ભાગે સૌથી વધુ ધનિકો આવે છે એટલે એમને લાભ થશે. ચારેક ટકાનો ઘટાડો થતાં 25 કરોડની આવકવાળા ધનિકોને સીધો 1 કરોડનો લાભ થશે, એના પ્રમાણમાં મધ્યમવર્ગને અપાયેલી રાહત ઓછી જ લાગવાની.
એ જે હોય તે પણ 2014 પછી પહેલીવાર અઢી લાખનો ઇન્કમટેક્સનો સ્લેબ બદલાયો તેથી લોકો ગેલમાં આવી ગયા છે. નવી ટેક્સ સિસ્ટમમાં 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉમેરાયું છે. જુદી જુદી માન્ય કલમો હેઠળ કરવામાં આવેલ રોકાણનો લાભ મળતાં 5 લાખ સુધી ટેક્સ લાગતો ન હતો, હવે તે સાત લાખની આવક સુધી નહીં લાગે. સિનિયર્સ તો મોટે ભાગે પેન્શન પર ને બચત પર નભતા હોય છે. એ તો પાંચ લાખ સુધી પણ ઘણીવાર નથી પહોંચતા. એ જો ત્રણચાર લાખની આવકમાં દોઢ લાખ જેવું રોકાણ કરે કે 50,000નો મેડિક્લેમ લે, તો તે આખું વર્ષ ટકે કઇ રીતે એ પણ વિચારવાનું રહે. જો કે, નવી સ્કિમમાં 7 લાખની આવક સુધી કરમુક્ત માળખું સ્વીકારવાનું હોય તો, રિબેટના લાભો જતાં કરવા પડે એ પણ છે. અહીં એ પ્રશ્ન પણ છે કે નવી સ્કિમમાં રિબેટનો લાભ ન મળવાનો હોય તો ને સાત લાખ સુધી ટેક્સ ન લાગવાનો હોય તો તેને 3થી 6 ને 6થી આગળનાં ટેક્સ રેટ કઇ રીતે લાગુ થાય? એ અંગેની સ્પષ્ટતા અપેક્ષિત છે. આમ તો ત્રણ લાખ સુધી કોઈ ટેક્સ નથી, ને ત્રણથી છ, છથી નવ, નવથી બાર, બારથી પંદર લાખ ને પંદરથી ઉપરના સ્લેબમાં અનુક્રમે 5, 10, 15, 20 ને 30 ટકા ટેક્સ લાગશે.
એક ગમ્મત વરિષ્ઠ નાગરિકોની બચત મામલે પણ છે. બચત ખાતામાં રાખવાની રકમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરી દેવામાં આવી છે તો એમને માટે જ બચતની સીમા 15 લાખની હતી, તે વધારીને 30 લાખ કરવામાં આવી છે, ત્યારે પ્રશ્ન થાય કે આટલી બચત કરવા જેટલી ક્ષમતા વરિષ્ઠોની છે ખરી? મોટે ભાગના વરિષ્ઠો પેન્શન પર નભે છે તો તેની એટલી આવક છે ખરી કે તે આવી યોજનાનો લાભ લઈ શકે? બીજી તરફ મહિલાઓને પ્રસન્ન કરવા મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટની જાહેરાત પણ થઈ છે. એમાં બે વર્ષ સુધીનાં 2 લાખનાં રોકાણ પર 7.5 ટકા વ્યાજ આપવાની દરખાસ્ત છે. બજેટની આટલી ખણખોદ પછી પણ હાથ તો નિરાશા જ લાગે છે. આપણાં બધાં બજેટ એમ માનીને તૈયાર થાય છે કે દરેક કરદાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ઇન્કમટેસ અધિકારી છે.
એક સાધારણ માણસ ઇન્કમટેક્સની ઓફિસે ઉચ્ચ અધિકારી પાસે ગયો ને બોલ્યો કે તે ઇન્કમટેક્સ ભરવા માંગે છે તો અધિકારીએ કહ્યું કે તમારી આવક કેટલી છે, તો પેલો બોલ્યો કે આવક તો નથી, સવારથી રાત સુધીમાં એટલી જાતના ટેક્સ ચૂકવું છું કે ઇન્કમટેક્સ ભરવા જેટલી ઇન્કમ રહેતી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ફેબ્રુઆરી 2023