દેશના જાણીતા સમાજવાદી નેતા, વિચારક અને લેખક અશોક મહેતાની વિદાયને આજે તો સાડા ત્રણ દાયકા (અવસાન તા. ૧૧મી ડિસેમ્બર ૧૯૮૪) થયા છે. આજની પેઢી માટે તો તે સાવ ભુલાયેલું નામ. રાજકીય પક્ષોના નેતાઓની સભાઓમાં ભાડૂતી ઓડિયન્સ લાવવું પડતું હોય એવા હાલના સમયમાં, કોઈ રાજકીય પક્ષ વ્યાખ્યાનમાળા યોજે અને તેમાં વક્તાને સાંભળવા ટિકિટ ખરીદીને જવું પડે તે ન માની શકાય તેવી બાબત છે. પણ ૧૯૩૯માં અમદાવાદમાં કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષે વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું હતું. એ જમાનામાં સવેતન રંગભૂમિના નાટકોના કલાકારોએ ટિકિટો વેચવા ઘેરઘેર ફરવું પડતું હતું. ત્યારે આ વ્યાખ્યાનમાળામાં અમદાવાદનો પ્રેમાભાઈ હોલ ખરીદેલી ટિકિટોવાળા શ્રોતાઓથી ઉભરાઈ ગયો હતો. કારણ એ હતું કે ૨૮ વરસના અશોક મહેતા “ઈન્ડિયન રેનેસાં એન્ડ નેશનાલિઝમ” પર વ્યાખ્યાન આપવાના હતા ! એક વક્તા તરીકે આ તેમની લોકપ્રિયતા અને સફળતા હતી !
પીઢ અર્થશાસ્ત્રી, સાંસદ અને કેન્દ્રીય મંત્રી, સમાજવાદી પક્ષના પ્રમુખ સ્થાપક, પ્રગતિશીલ આર્થિક અને રાજકીય વિચારધારાના જ્યોતિર્ધર કામદાર-કિસાન નેતા અને લેખક ચિંતક એવા અશોક મહેતા ભારતના સામાજિક, આર્થિક, રાજકીય ઇતિહાસનું અગત્યનું નામ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ‘અસ્મિતા’ શબ્દનો પ્રયોગ કરનાર, “ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતાનું એ સંતાન. જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૯૧૧ના ઓકટોબરની ૨૪મી તારીખે. મુંબઈમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતક થયેલા અશોક મહેતા કોલેજકાળથી જ અભ્યાસીનું કાઠું ધરાવતા હતા. યુસૂફ મહેર અલીએ સ્થાપેલી “બોમ્બે યુથ લીગ” ઉપરાંત ‘સ્ટુડન્ટસ સ્વદેશી લીગ” અને ‘કમળ દળ”ની પ્રવૃત્તિઓમાં તે સક્રિય હતા. મિત્રોના સહકારથી મુંબઈની કોલેજોના વિદ્યાર્થીઓનું સંગઠન બનાવ્યું હતું. એ સમયે “યુગાંતર” નામક અંગ્રેજી સાપ્તાહિકનું સંપાદન પણ કરતા હતા.
યુવાવસ્થાથી જ અશોક મહેતા આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. કારાવાસ દરમિયાન નાસિક જેલમાં જયપ્રકાશ નારાયણ અને અચ્યુત પટવર્ધનનો ભેટો થયો. જેલનિવાસ દરમિયાનની વિચારણાઓના ફળરૂપે ૧૯૩૪માં ‘કૉન્ગ્રેસ સમાજવાદી દળ”ની રચના કરવામાં આવી. ૨૩ વરસના અશોક મહેતા તેના અગ્રણી સભ્ય હતા. પાર્ટીના સાપ્તાહિક ”કૉન્ગ્રેસ સોસ્યાલિસ્ટ’નું ૧૯૩૯ સુધી તેમણે સંપાદન કર્યું. પ્રજા સમાજવાદી પાર્ટીના એ સ્થાપક મંત્રી (૧૯૫૦-૫૩) અને પ્રમુખ (૧૯૫૯-૬૩) હતા. કૉન્ગ્રેસે તેના અવાડી અધિવેશનમાં સમાજવાદનો માર્ગ અપનાવ્યો તો તેનાથી આકર્ષાયા અને કૉન્ગ્રેસમાં જોડાયા, વૈચારિક મતભેદો થયા તો છૂટા પણ પડ્યા.
અશોક મહેતાની સંસદીય કારકીર્દિ પણ બહુ તેજસ્વી રહી હતી. ૧૯૫૪-૫૭માં તેઓ પહેલી લોકસભામાં ભંડારા (મધ્યપ્રદેશ) બેઠક પરથી પ્રજા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીથી લોકસભાના સભ્ય બન્યા હતા. ૧૯૫૭થી ૬૨ની બીજી લોકસભામાં તેઓ બિહારના મુજફરપુરનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. ત્રીજી લોકસભા(૧૯૬૨)ની ચૂંટણી તેઓ સમાજવાદીઓના ગઢ સમા દેવરિયામાંથી હાર્યા હતા. ૧૯૬૬-૬૭માં તેઓ રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે પછી ચોથી લોકસભામાં (૧૯૬૭-૭૦) તેઓ ભંડારા બેઠક પરથી વિજેતા થયા હતા. જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેઓ ૧૯૮૦માં સુરતથી સાતમી લોકસભાની ચૂંટણી હાર્યા હતા. કેન્દ્રમાં બે વાર મંત્રી, લોકસભામાં પ્રજા સમાજવાદી પક્ષના નાયબ નેતા અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ નિમાયા હતા તો પ્લાનિંગ કમિશનના નાયબ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. કટોકટી બાદ રચાયેલી જનતા પક્ષની સરકારે અશોક મહેતાના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ સમિતિની રચના કરી હતી. સમિતિએ પંચાયતી રાજના વિકેન્દ્રીકરણ અને સ્તરીકરણની સુંદર સમીક્ષા કરતો ૧૩૨ ભલામણો સાથેનો અહેવાલ સરકારને આપ્યો હતો. પણ અલ્પજીવી સરકાર તેનો સ્વીકાર કરી ન શકતાં, કર્ણાટક, આંધ્ર અને બંગાળની વિપક્ષશાસિત સરકારો સિવાયના રાજ્યોમાં તેનો અમલ થઈ શક્યો નહોતો.
આઝાદી પૂર્વે મુંબઈના મેયર રહી ચૂકેલા અશોક મહેતા મુંબઈની ચાલીઓમાં ‘મજદૂરોંકે નેતા અશોક મહેતા” તરીકે ખ્યાતિ પામેલા હતા. ૧૯૪૯માં તેમણે” હિંદ મજદૂર સભા”ની સ્થાપના કરી હતી. અશોક મહેતાએ જાહેર જીવનમાં પોતાનો અસલ મિજાજ સદા જાળવી રાખ્યો. વોરસો કરારના દેશોનાં લશ્કરી દળોએ ચેકોસ્લોવેકિયા પર આક્રમણ કર્યું અને ભારતે આ રશિયન કૃત્યને વખોડવાનો નન્નો ભણ્યો તેના વિરોધમાં એમણે કેન્દ્રની કોબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. અસંમતિનો અવાજ કોઈ ભાગ્યે જ ઉચ્ચારતું એવા એ સમયે પોતાના વિચારોને વળગી રહી સત્તાનો ત્યાગ કરનાર અશોક મહેતા ભારતીય રાજનીતિનું એક વિરલ પાત્ર હતા. બીજી પંચવર્ષીય યોજનાની ચર્ચા દરમિયાન વસ્તી નિયંત્રણનું આયોજન તેમના પ્રયત્નોથી દાખલ થઈ શક્યું હતું. આજીવન અપરિણીત અને કેન્દ્રીય મંત્રી તરીકે રૂ. ૧નો પ્રતીક પગાર લેનાર કે પેટ્રોલિયમ મંત્રી તરીકે પેટ્રોલની કરકસર કરવા નાની અને સાદી કાર વાપરનાર તેઓ સાચા સમાજવાદી હતા.
જ્યારે વૈચારિક મતભેદો ઊભા થયા ત્યારે તેમણે પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રજા સમાજવાદી પાર્ટીના મુખપત્ર “જનતા”માં તેમણે “કમ્પલશન્સ ઓફ ધ બેકવર્ડ ઈકોનોમી એન્ડ એરિયાઝ ઓફ કોઓપરેશન” મથાળે લેખ લખી, તેમનો કૉન્ગ્રેસ પ્રત્યેનો ઝુકાવ વ્યક્ત કરી, પંડિત નહેરુ અને કૉન્ગ્રેસ સાથે જોડાવું મુનાસિબ માન્યું હતું. ૧૯૬૯માં કૉન્ગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ ઇંદિરા ગાંધીની શાસક કૉન્ગ્રેસના બદલે મોરારજી-નિજલિંગગપ્પાની સંસ્થા કૉન્ગ્રેસ સાથે રહ્યા હતા. એક જમાનાના ઇંદિરા ગાંધીના આ કેબિનેટ સાથીએ ઇંદિરા ગાંધીના એકહથ્થુ સત્તાવાદ અને કટોકટીના વિરોધની સ્પષ્ટ ભૂમિકા લઈ કટોકટીમાં જેલવાસ વેઠ્યો હતો.
૧૯૭૫-૭૬ના ઈમરજન્સી યુગમાં જ તેમનું “રિફલેકશન્સ ઓન સોસ્યાલિસ્ટ એરા” પુસ્તક પ્રગટ થયું હતું. અશોક મહેતા મેઘાવી વ્યક્તિત્વ અને અનન્ય પ્રતિભા ધરાવતા હતા. રણજિતરામ મહેતાની જન્મશતાબ્દી ટાણેના સમારંભમાં પિતાએ સ્થાપેલી “ગુજરાતી સાહિત્ય પરિષદ”ને પોતાની “મોટીબહેન” તરીકે ઓળખાવનાર અશોક મહેતા એક મોટા ગજાના લેખક હતા. તેમનાં નવ પુસ્તકો પ્રગટ થયાં છે. અચ્યુત પટવર્ધન સાથે તેમણે લખેલું “કોમ્યુનલ ટ્રાયંગલ ઈન ઇન્ડિયા” જાણીતું છે, પરંતુ તે ઉપરાંતના અર્થકારણ, સમાજકારણ, રાજકારણ પરના તેમનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં “ડેમોક્રેટિક સોશ્યાલિઝમ”, “પોલિટિકલ માઈન્ડ ઓફ ઇન્ડિયા”, “ઇન્ડિયન શિપિંગ”, “ગ્રેટ રિબેલિયન”, “હુ ઓન્સ ઇન્ડિયા”, “પોલિટિક્સ ઓફ પ્લાન્ડ ઈકોનોમી” અને ‘સ્ટડીઝ ઈન એશિયન સોશ્યાલિઝમ’ મુખ્ય છે.
પુરાણપાત્ર “નટરાજ” અશોક મહેતાનું પ્રિય પાત્ર હતું. જેના અંગેઅંગમાં ચૈતન્ય, સ્ફૂર્તિ અને ઉત્સાહ છે એવા “નટરાજ”નો ઉલ્લેખ તેમણે અનેક વ્યાખ્યાનોમાં કર્યો હતો. સમાજવાદના આ સાચા ભેખધારી નટરાજસમો સમાનતા અને ન્યાયને વરેલો સમાજ ઝંખતા હતા. આજના નવા અર્થનીતિના જમાનામાં જ્યારે સમાજવાદ પર સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે અશોક મહેતાનું અર્પણ અને વિચારો સ્મરણીય છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 11 ડિસેમ્બર 2019