કોઈ કહે છે કે ભગવાને માણસને બનાવ્યો છે, તો કોઈ કહે છે કે માણસે ભગવાનને બનાવ્યો છે. બંને વાત માનો કે બંને ન માનો, ભગવાનને કોઈ ફરક પડતો નથી, હા, માણસને પડે છે. એ માણસ જ છે, જે ભગવાનને માને છે ને એ જ નથી પણ માનતો. ભગવાનને કોઈ માને તો એનો રાજીપો એ વર્તાવા નથી દેતો ને કોઈ ન માને તો તેને એ મારવા ય નથી દોડતો. એ જ વાત ભૂતપ્રેત માટે પણ સાચી છે. કોઈ માને કે ભૂત છે તો ભૂતને તેથી કોઈ ફેર નથી પડતો ને કોઈ કહે કે ભૂત જેવું કૈં નથી, તો પણ ભૂતનો મિજાજ નથી જતો. ભૂત અને ભગવાન મનનાં કારણો છે, પણ ભગવાન બાબતે એટલું છે કે તે ધર્મ અને પરંપરાનું પરિણામ પણ છે, જ્યારે ભૂતની કોઈ પરંપરા નથી ને હોય તો તેની એટલી વ્યાપક અસરો નથી. ભગવાન વિષે કોઈ પુરાવા, તેને માનનાર શોધતો નથી. ભગવાનને માનવાનું મન હોય એટલું જ તેને માનવા માટે પૂરતું છે. પ્રેતમાં વાત જરા જુદી છે. મન, તેને ભયને કારણે સ્વીકારતું હોય તો પણ, તેના પુરાવા શોધવા માણસ મથે છે. પ્રેત હોવાના ઘણાએ પુરાવાઓ આપ્યા પણ છે, પણ વિજ્ઞાનનું તેને સમર્થન નથી. આ બધું છતાં ભગવાન અને ભૂત વગરનો દેશ પૃથ્વી પર જડવો મુશ્કેલ છે. ભગવાનને અને ભૂતને ન માનનારો વર્ગ છે એમ જ એને માનનારો વર્ગ પણ છે જ. એ પણ છે કે જેમ ભગવાન છે એવું સાબિત નથી થયું, એમ જ તે નથી એવું પણ સાબિત નથી થયું. એવું જ ભૂતનું પણ છે. તે છે એમ જ નથી પણ !
થોડા વખત પર ડુમસના દરિયાઈ બીચ પર ભૂત હોવાની કેટલીક તસવીરો મોબાઇલમાં વાયરલ થયેલી. કોઈ પોલીસે પણ ભૂત જેવું કશુંક નજીકથી પસાર થયું હોવાનું કહેલું, પણ એને પણ કોઈ વૈજ્ઞાનિક આધાર ન હતો. પછી તો એ ચર્ચા જ અટકી ગઈ. સૂરતમાં એવી ઇમારત પાર્લે પોઈન્ટ વિસ્તારમાં છે, જેમાં રાત્રે કોઈ રહેતું નથી. આજ સુધી કશુંક હોવાના કોઈ નક્કર પુરાવાઓ નથી મળ્યા, પણ આજે પણ એ ઇમારત ખાલી છે તે હકીકત છે. એવી ઘણી જગ્યાઓ બીજે પણ હશે, જે ભૂતપ્રેત હોવાની વાતોની સાક્ષી પૂરે, કોઈને ડાકણના ઊલટા પગ દેખાય છે, તો કોઈને ભૂતનો વાંસો દેખાય છે, પણ એ બધી વાતો જ છે. એવું ભગવાન વિષે પણ કહેવાતું રહે છે. કોઈને માતાજી આવે છે તો કોઈને ‘પિતાજી’ સાક્ષાત્ દેખાય છે. કોઈને ભગવાન હાજરાહજૂર છે, તો કોઈને લક્ષ્મી દર્શન દે છે. તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાંથી કોઈને કોઈ દેખાય કે આશીર્વાદ આપે ને એનાથી કોઈ વ્યક્તિ રાજી રહેતી હોય ને કોઈને એથી કોઈ નુકસાન ન થતું હોય તો તેનો આપણે વાંધો ઉઠાવનારા કોણ? એ જ રીતે કોઈને ભૂતપ્રેતનો અનુભવ થાય તો એનો વાંધો ઉઠાવવા જેવો ખરો? એમાં પણ એવું રાખી શકાય કે જો એથી કોઈને હાનિ ન થતી હોય તો તેનો વાંધો ન ઉઠાવવો, પણ વાત એ નથી. ભૂતને માનવાથી સ્થૂળ કે સૂક્ષ્મ નુકસાન થાય જ છે. ભગવાનને માનો કે ન માનો એનાથી કોઈને નુકસાન થતું નથી, પણ ભૂતને માનનાર ભયભીત થાય છે. ભૂત ન હોય તો પણ તેને વિષેની અફવાઓ માણસને ડરાવે છે કે ખોટી દિશાએ વિચારવા પ્રેરે છે. જો ભૂત હોય તો, તો તે ડરાવે જ છે. આ ભય દૂર કરવા જે ઈલાજ થાય છે તે ઘણાંને અનેક રીતે પાયમાલ કરે છે. એ રીતે ભૂત વધારે જોખમી છે. ભૂત ભગાડવા તબીબી સલાહ લેવા કોઈ જતું નથી. એ ભગાડવા લોકો ભગતભૂવા કે વળગાડ કાઢનારની મદદ લે છે. એવી જમાત મદદ કરવાને નામે લોકોને લૂંટે છે. વાસ્તવમાં તો એ માણસ પોતે કશું જાણતો હોતો નથી, પણ લોકોના વહેમનો ઈલાજ, એ પૈસા પડાવીને કરતો હોય છે. દોરાધાગા, મંત્રતંત્ર વડે તે વહેમી માણસોના ખરાખોટા ઇલાજો કરે છે ને એમાં ખરેખર પીડિતની તબિયત બગડે તો વ્યક્તિ જીવથી જાય એવું પણ બને છે.
કોઈ ઈશ્વરને ન માને તેથી કોઈને, કોઈ નુકસાન નથી, પણ કોઈ માને તો પણ કોઈ ખાસ નુકસાન નથી. તે એ રીતે કે કોઈ ઈશ્વરનું નામ લે કે પૂજાઅર્ચના કરે તો તે કશીક આસ્થાથી કે શ્રદ્ધાથી તેમ કરે છે ને તેને એવું હોય છે કે ભગવાન તેની સાથે રહેશે ને તેની ઈચ્છા પૂરી કરશે. બહુ થાય તો તેની ઈચ્છા પૂરી ન થાય, ત્યારે પણ તેની પાસે એ આશ્વાસન હોય છે કે ઈશ્વરની એવી ઈચ્છા હશે એટલે ઈચ્છા પૂરી ન થઈ. એ પછી તે વધુ શ્રદ્ધાથી ફરી ઇચ્છાપૂર્તિ માટે મથે છે. તેથી કદાચ આર્થિક નુકસાન થોડું થતું હશે, પણ તે સિવાય તે મોટી હાનિમાં સંડોવાતો નથી, ભૂતનું એવું નથી. ભૂતનો ભય હોય, તેની શ્રદ્ધા ન હોય. હોય તો અંધશ્રદ્ધા હોય. એ પણ છે કે અંધશ્રદ્ધા કે વહેમ માણસને મોટા નુકસાનમાં ઉતારે છે. ભૂતપ્રેતથી કોઈને લાભ થયો હોય એવું બન્યું નથી. બલકે, નુકસાન થયું હોય એવા અસંખ્ય દાખલાઓ મળી રહે એમ છે.
થોડા દિવસ પર જ ગીર-સોમનાથની એક બાળકીનો બલિ ચડાવાયાની વાત મીડિયામાં ચર્ચામાં હતી. આ બલિ તેનાં પિતા અને કાકાએ મળીને ચડાવ્યો હતો. તે એટલે કે પિતાને દીકરાની ઈચ્છા હતી ને તે ફળે એ માટે પોતાની જ દીકરીનો ભોગ લેવાયો હતો. દરેક પુરુષે એ સમજી લેવાની જરૂર છે કે જન્મ ભલે માતા આપતી હોય, તો પણ દીકરી કે દીકરો જન્મે એને માટે કેવળ અને કેવળ પિતા જવાબદાર છે, પણ આપણાં કુટુંબો દીકરીનાં જન્મ માટે માતાને દોષી ઠેરવતાં હોય છે ને એટલો ત્રાસ તેનાં પર ગુજારતાં હોય છે કે તેનો અકાળે મૃત્યુથી જ છૂટકો થાય છે. પિતા પુત્ર પ્રાપ્તિના લોભમાં જીવતી દીકરીને મારી નાખે એવું નુકસાન અંધશ્રદ્ધાનું ઘાતક પરિણામ છે. આવું ઘાતક પરિણામ શ્રદ્ધા આપતી નથી.
સંતાન ન થતું હોય તો ડોક્ટરનો સંપર્ક કરવાનો રહે, પણ કેટલાક લોકો સાધુસંતને કે દોરાધાગાને આશરે જાય છે ને સાધુબાવાઓ કે ભગતભૂવાઓ જે તે સ્ત્રીને સંતાન પોતે આપે છે ને તે પછી કહેવાતા પિતાને નામે ચડે છે. આવું કરવા ભાગ્યે જ કોઈ સ્ત્રી રાજી હોય છે, પણ ઘરની સ્ત્રીઓ જ તેને એ માર્ગે લઈ જાય છે. અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ સ્ત્રીઓ બનતી હોય છે ને સૌથી વધુ વેઠવાનું પણ તેને જ આવે છે. શ્રદ્ધા એ રીતે અંધશ્રદ્ધા જેવાં ઘાતક પરિણામો નથી જ આપતી. એ રીતે શ્રદ્ધાવાન કે આસ્થાવાન હોવામાં વેઠવાનું ઓછું જ છે. ગમ્મતમાં કહેવું હોય તો એમ કહેવાય કે ભગવાન, ભૂત કરતાં ઓછો ઘાતક છે. કોઈએ ભૂતને માનવાનું ઓછું કરવું હોય તો પણ તે ઓછું ન થાય એવી સ્થિતિ છે. વિશ્વભરની ફિલ્મોમાં ભૂતપ્રેત ને હોરર ફિલ્મો, હોરર સિરિયલો, હોરર લિટરેચરની અગાઉ ન હતી એટલી બોલબાલા આજે છે તે ફિલ્મોની અને દર્શકોની સંખ્યા વધતી સંખ્યા પરથી જાણી શકાય એમ છે. કોઈ ભૂતપ્રેતમાં માને કે ન માને, પણ દર્શકોને, વાચકોને ડરવાનું ગમે છે. જે રીતે હોરર ફિલ્મો અને સાહિત્ય, બજારમાં ઊપડે છે એ પરથી ચોક્કસપણે કહી શકાય કે ભૂતપ્રેત અને તેનાં દ્વારા ફેલાવાતો ભય ઘણાંને આકર્ષે છે. આ બધાંથી અંધશ્રદ્ધામાં ઘટાડો થાય એવું હાલ તુરત તો લાગતું નથી. ખબર નથી પડતી કે ચંદ્ર સુધી ઊડી આવેલો માણસ ચકલાનાં કુંડાળામાં જ ઘેરાઈને કેમ પીડાતો હોય છે ! એમ લાગે છે કે વિજ્ઞાન ને ટેકનોલોજી જેમ જેમ વિકસે છે, તેમ તેમ અંધશ્રદ્ધા પણ વિકસતી આવે છે. આ ગુજરાત કે ભારતમાં જ છે એવું નથી, જગતનો કોઈ ખૂણો એવો નથી જ્યાં ભૂત અને ભગવાન પહોંચ્યા ન હોય. અંધશ્રદ્ધા ભૂતને જીવાડે છે ને શ્રદ્ધા ભગવાનની સ્થાપના કરે છે. એ માણસે નક્કી કરવાનું છે કે તેને શું જોઈએ છે, ભગવાન કે ભૂત? અને આમાંનું કૈં ન જોઈતું હોય તો તે નક્કી કરવાનું પણ છેવટે તો માણસના હાથમાં જ છે…
000
e.mail : ravindra21111946@gmail.com