કોઈ પણ લોકશાહી દેશમાં રાજકીય નિર્ણયની ત્રણ બાજુ હોય છે. એક નૈતિક, બીજી બંધારણીય અને ત્રીજી વ્યવહારુ. વર્તમાન સરકારે નાગરિક ધારામાં જે સુધારો કર્યો છે તેની નૈતિક બાજુ જવા દઈએ. જો કે ગાંધીજીએ તો કહ્યું હતું કે ગમે એટલું ઉદ્દાત સાધ્ય હોય પણ જો સાધન અશુદ્ધ હોય તો જે તે દહાડે તે અશુદ્ધ સાધનની પણ કિમંત ચૂકવવી પડતી હોય છે. આમ છતાં અત્યારે એ નૈતિક બાજુને કોરે મૂકીએ.
વાચકને એટલી જાણ તો હશે જ કે બંધારણ પણ જે તે દેશની વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને વ્યવહારુ ધોરણે ઘડવામાં આવે છે. એટલે તો અલગ અલગ લોકશાહી દેશોમાં તે લોકશાહી દેશ હોવા છતાં પણ બંધારણ અલગ અલગ છે. દરેક દેશની પોતાની સામાજિક-ભૌગોલિક વાસ્તવિકતા હોય છે અને તેને અનુરૂપ જરૂરિયાત હોય છે. ભારતનું બંધારણ ઘડનારાઓએ ભારતની વાસ્તવિકતા અને જરૂરિયાત ધ્યાનમાં રાખી હતી.
અહીં એક વાત નોંધી લેવી જોઈએ. ભારતનું બંધારણ ઘડનારાઓમાંથી ચુસ્ત ગાંધીવાદી અને નેહરુવાદી તો દસ ટકા પણ નહોતા. અહીં એક પ્રસંગ ટાંકવો ઉચિત રહેશે. પ્રો. શ્રીમન્ન નારાયણ અગ્રવાલે બંધારણસભાની રચના થઈ ત્યારે આગ્રહ રાખ્યો હતો કે બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવું જોઈએ. ટૂંકમાં ભારતનું બંધારણ ગાંધીપ્રણિત હોવું જોઈએ. બંધારણ સભાએ ડૉ. અગ્રવાલને ગાંધીજીને અભિપ્રેત હોય એવો બંધારણનો મુસદ્દો રજૂ કરવા કહ્યું હતું. શ્રીમન્ન નારાયણે એવો મુસદ્દો તૈયાર કરીને ગાંધીજીને આપ્યો હતો. ગાંધીજીએ એ વાંચીને શ્રીમન્ન નારાયણને પાછો આપ્યો હતો. નહોતી તેના પર સહી કરી, નહોતી તેને માન્યતા આપી કે નહોતું તેમાં કોઈ પરિવર્તન સૂચવ્યું. તેમણે શ્રીમન્ન નારાયણને કહ્યું હતું કે મારે આ વિષે કાંઈ કહેવાનું નથી. મારા વિચારો લોકો જાણે છે.
ગાંધીજીએ આવું વલણ અપનાવ્યું એની પાછળનું કારણ એ હતું કે ગાંધીજી તાજા આઝાદ થયેલા દેશના સ્વરૂપ-ઘડતરમાં દખલગીરી કરવા નહોતા માગતા. ગાંધીજીની કલ્પનાનો સમાજ એ લાંબા ગાળાની યોજના છે અને તાજા આઝાદ થયેલા દેશની કેટલીક તાત્કાલિક જરૂરિયાતો છે એ ગાંધીજી સમજતા હતા. આ બાજુ શ્રીમન્ન નારાયણે તેમની દ્રષ્ટિએ ગાંધીજીને અભિપ્રેત મનાતા બંધારણના મુસદ્દાને બંધારણસભામાં રજૂ કર્યો હતો. તમને ખબર છે એ મુસદ્દાનું શું થયું હતું? તેના પર બંધારણસભામાં દસ મિનિટ પણ ચર્ચા નહોતી થઈ. નેહરુએ પણ તેના પર લક્ષ નહોતું આપ્યું અને ગાંધીજીને અભિપ્રેત બંધારણના મુસદ્દાને કચરાટોપલીમાં નાખી દેવામાં આવ્યો હતો. ગાંધીજીને બંધારણસભાના સભ્યો પર ભરોસો હતો કે તેઓ દેશનું લાંબા ગાળાનું હિત ધ્યાનમાં રાખીને દેશની જરૂરિયાત મુજબનું બંધારણ ઘડશે અને બંધારણસભાના સભ્યોને ખાતરી હતી કે ગાંધીજી દેશની વ્યવહારુ જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવા દેશે અને તેમાં વચ્ચે નહીં આવે.
આનો અર્થ એ થયો કે ભારતના બંધારણ પર ગાંધીજીનો કોઈ સીધો પ્રભાવ કે છાપ નથી. જે પ્રભાવ છે એ આડકતરો છે. ભારતનું બંધારણ ગાંધીજીથી સ્વતંત્ર દેશની જરૂરિયાત પર આધારિત કૃતિ છે.
તો શું બંધારણ પર નેહરુનો પ્રભાવ છે? જરા પણ નહીં. બંધારણસભામાં જેટલા સભ્યો હતા એમાં નેહરુવાદીઓ તો બહુ ઓછા હતા. બંધારણનો મુસદ્દો ઘડનારી કમિટીના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા જે ગાંધી-નેહરુ વિરોધી હતા. કનૈયાલાલ મુનશી હતા જે હળવા હિંદુવાદી હતા અને નેહરુની ગુડબુકમાં નહોતા. એન. ગોપાલસ્વામી આયંગર અને અલ્લાદી કૃષ્ણ સ્વામી ઐય્યર, સર. બી.એલ. મિત્તર હતા જે કોઈ અર્થમાં ગાંધીવાદી કે નેહરુવાદી નહોતા. તેમણે આઝાદીની લડતમાં ભાગ પણ નહોતો લીધો એટલે ગાંધીજીના પ્રભાવમાં હોવાનો તો સવાલ જ નહોતો. આ ઉપરાંત સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા સોએક જેટલા હિંદુ પક્ષપાત ધરાવનારા હળવા હિંદુવાદીઓ તેમાં હતા. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા આકરા હિન્દુત્વવાદી પણ તેમાં હતા. સમાજવાદીઓ હતા અને રજવાડાઓના પ્રજાના પ્રતિનિધિઓ હતા. જો તમારે ખાતરી કરવી હોય તો ભારત સરકારની વેબસાઈટ પર જાઓ. બંધારણસભાના એકેએક સભ્યની પૃષ્ઠભૂમિ તપાસો. નિષ્ઠાવાન ગાંધીવાદી અને નેહરુવાદી કહી શકાય એવા વીસ સભ્યો પણ નહીં જડે.
આટલી વાસ્તવિકતા સમજી લીધા પછી સવાલ એ ઉપસ્થિત થાય એ છે કે ગાંધી-નેહરુના વિરોધીઓ (ડૉ. આંબેડકર – ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી), હળવા હિંદુવાદીઓ (જે બહુમતીમાં હતા) અને ગાંધીજીના આદર્શવાદથી દૂર ભાગનારા કહેવાતા વહેવારવાદીઓએ મળીને સર્વસંમતિ સાથે (પ્લીઝ નોટ, સર્વસંમતિ સાથે) એવું બંધારણ કેમ ઘડ્યું જે આજના શાસકોને અને સંઘપરિવારને સ્વીકાર્ય નથી? ગાંધી-નેહરુવાળાઓ સંઘપરિવારની કલ્પનાના ભારતની વિરુદ્ધનું બંધારણ ઘડે એ તો સમજી શકાય, પણ અહીં તો એવા લોકોએ સંઘની કલ્પનાના ભારતની વિરુદ્ધનું બંધારણ ઘડ્યું હતું જેઓ ગાંધી-નેહરુના પરિઘની બહાર અને અને એ પણ પાછું સર્વસમંતિ સાથે.
શા માટે તેમણે હિન્દુત્વવાદીઓની કલ્પનાના ભારતને આકાર આપનારું બંધારણ ન ઘડ્યું અને એવું બંધારણ ઘડ્યું જે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી અને એ પણ આગળ કહ્યું એમ સર્વસંમતિ સાથે. શા માટે? ભક્તો આના બે જ ખૂલાસા આપી શકે. કાં તો તેમનામાં સંઘપરિવારના નેતાઓ જેટલી અક્કલ નહીં હોય અથવા તેઓ સંઘપરિવારના નેતાઓ જેટલા દેશભક્ત નહીં હોય. મને ખાતરી છે કે થોડા ભડવીર ભક્ત એવા મળી આવશે જે બંધારણસભાના શુક્રતારક સમા તેજસ્વી સભ્યોને તેમના અને તેમના નેતાઓ કરતાં ઓછી અક્કલવાળા અને ઓછા દેશપ્રેમી ગણાવશે. આટલી જીગર તેઓ ધરાવે છે તેની કબૂલાત કરવી જ રહી.
અને જો તમે ઓછા સાહસિક હો અને વિચારતા આવડતું હોય તો વિચારવું જોઈએ કે શા માટે તેમણે એ બધી જોગવાઈ બંધારણમાં નહીં કરી જે સંઘપરિવાર ઈચ્છે છે. તેઓ આ પ્રશ્નોથી અજાણ હતા એવું નથી. બંધારણના ઘડતરની કાર્યવાહીનાં ૧૨ વોલ્યુમ્સ અને બંધારણ સભાની પેટા-સમિતિઓમાં થયેલી ચર્ચાને નીરુપતા બી. શિવા રાવના છ વોલ્યુમ્સ તપાસી જશો તો ખાતરી થશે કે તેમણે નાગરિકત્વ સહિત દરેક પ્રશ્ને સાંગોપાંગ ચર્ચા કરી હતી. તેમણે ખૂબ વિચાર વિમર્શ કરીને, કહો ચાહી કરીને એવું બંધારણ ઘડ્યું હતું જેની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે. શા માટે? અત્યારના દેશભક્ત રાષ્ટ્રવાદી શાસકો કરતાં તેઓ ઓછા બુદ્ધિશાળી નહોતા અને ઓછા દેશભક્ત નહોતા એમ જો તમે માનતા હોય તો તમારે આ પ્રશ્નનો ઉત્તર શોધવો જોઈએ.
આનો ઉત્તર એ છે કે તેમણે તેમની મધુર કલ્પનાના ભારત કરતાં વાસ્તવિક ભારતનો સ્વીકાર કર્યો હતો. એ સમયે દરેક વિચારધારાઓના નેતાઓની ભારત વિશેની પોતપોતાની મધુર કલ્પનાઓ હતી. દલિતો મધુર કલ્પના ધરાવતા હતા કે ભારતમાં બ્રાહ્મણો હાંસિયામાં હોય. પરંપરારક્ષકો ઈચ્છતા હતા કે આધુનિકતાના પ્રવાહમાં તેમને મન જાળવવા જેવી મહાન પરંપરા તણાઈ ન જાય. આદિવાસીઓની કલ્પનાના ભારતમાં જંગલમાં સ્વાયત્તતા હતી. દ્રવિડોની કલ્પનાના ભારતમાં આર્યાવર્તના પ્રભાવથી મુક્તિ હતી. પણ બીજી બાજુ તેમને એની પણ જાણ હતી કે પચરંગી ભારતમાં આપણી કલ્પનાનું ભારત સ્થપાવું મુશ્કેલ છે. જ્યાં આટલી પચરંગી પ્રજા સાથે વસ્તી હોય અને તેમના હિતસંબંધો અથડાતા હોય ત્યાં આપણી કલ્પનાના દેશ માટે આગ્રહ રાખવાનો ન હોય. ભારત એક બૃહદ્દ પરિવાર છે જેમાં સંપ જાળવી રાખવો હોય તો જતું કરતા આવડવું જોઈએ.
કેટલાક કહેશે, શા માટે આગ્રહ ન રાખે? જે પ્રજા બહુમતીમાં હોય તેને આગ્રહ રાખવાનો અધિકાર છે. શું લઘુમતી દેશના હિતમાં બહુમતીનો દ્રષ્ટિકોણ ન અપનાવી શકે? આટલો પણ ત્યાગ ન કરે? આપણે ક્યાં તેમને દેશમાંથી ચાલ્યા જવાનું કહીએ છીએ. આપણે તો માત્ર એટલું જ કહીએ છીએ કે બહુમતી દ્રષ્ટિકોણની તરફેણમાં તમે તમારો વૈચારિક આગ્રહ જતો કરો. માત્ર વૈચારિક આગ્રહો જતા કરવાની વાત છે, કોઈ તમારી મિલકત માગતું નથી. આ જ દલીલ છે તમારી કે બીજી કોઈ? કેટલી ‘વ્યવહારુ’ અને ‘સોજ્જી’ દલીલ છે નહીં!
પણ આ દલીલ જેટલી સોજ્જી દેખાય છે એટલી નથી. વ્યવહારુ તો એ બિલકુલ નથી. જો એ સોજ્જી હોત તો ભિન્ન દ્રષ્ટિકોણ કે સંસ્કૃતિ ધરાવનારા લોકો સાથે સંવાદ સાધ્યો હોત. તેમની સાથે હળીમળીને તેમનો પ્રેમ જીત્યો હોત. જો તેમનો દેશપ્રેમ સાચો હોત તો જે પ્રજા હિંદુ સાંસ્કૃતિક ગર્ભગૃહની બહાર છે તેને અંદર લેવાનો પ્રયાસ કર્યો હોત. ખ્રિસ્તી મિશનરીઓ કઈ રીતે કામ કરે છે તે જુઓ છોને! છેક યુરોપથી ભારત આવે. ભારતની પ્રતિકુળ આબોહવામાં જીવતાં શીખે, સ્થાનિક ભાષા શીખે, લોકોની સેવા કરીને તેમનો પ્રેમ સંપાદન કરે, વિશ્વાસ સંપાદન કરે અને પછી તેમને ખ્રિસ્તી બનાવે. આટલી જહેમત તેઓ એટલા માટે ઊઠાવે છે કે તેઓ ઈશુના ધર્મને પ્રેમ કરે છે. તેમનો પ્રેમ સાચો છે. જો સાચો પ્રેમ હોય તો પરાયાને પોતાનાં કરીને તમે જે ચીજ સ્વીકૃત બનાવવા માગતા હો તે કરાવી શકો છો.
હિન્દુત્વવાદીઓએ કદાપિ આવો પ્રયાસ કર્યો છે? એક પણ પ્રસંગ બતાવો. જેણે આવો પ્રયાસ કર્યો હતો તેનું (મોહનદાસ કરમચંદ ગાંધી) ઊલટું તેમણે ખૂન કર્યું હતું. શા માટે આવો પ્રયાસ કરે જ્યારે હિંદુઓ બહુમતીમાં છે. બહુમતીએ તો શરતો લાદવાની હોય. વધુમાં વધુ સૌમ્ય ભાષામાં શરતો મુકવાની. ન માને તો ઈશારાની ભાષા વાપરવાની અને એ પછી પણ ન સાંભળે તો કાન આમળવાનો. બહુમતી લઘુમતીના લાડ શા માટે લડાવે? આમ ઉપર કહી એ દલીલ સોજ્જી તો નથી, વ્યવહારુ પણ નથી. સંયુક્ત પરિવાર શરતો લાદીને ટકી ન શકે એટલું સમજવા જેટલું વ્યવહારજ્ઞાન બંધારણ ઘડનારાઓમાં હતું અને ભારત એક સંયુક્ત પરિવાર છે એ તેની અફર નિયતિ છે.
આને કારણે બંધારણસભાની બહાર જે આંબેડકર હતા એ બંધારણસભાની અંદર જુદા હતા. તેમને એટલી જાણ હતી કે એક સંયુક્ત પરિવારના સહઅસ્તિત્વનું બંધારણ ઘડવાનું છે, માત્ર દલિતો માટેનું નહીં. સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી જેવા હિંદુવાદીઓ આ વાત જાણતા હતા કે સંયુક્ત પરિવાર ભારતની નિયતિ છે એટલે બંધારણ એવું હોવું જોઈએ જેમાં સંયુક્ત પરિવાર સંયુક્ત રીતે જીવી શકે અને ધીરે ધીરે રાષ્ટ્રીય ભાવના વિકસે. બંધારણ સભામાં જે બીજા વિચાર અને વલણના લોકો હતા એ પણ ભારતની વાસ્તવિકતા જાણતા હતા એટલે તેમણે સંયુક્ત પરિવાર ટકી શકે એવું બંધારણ ઘડવામાં સાથ આપ્યો હતો. બંધારણ સર્વસંમતિ સાથે ઘડાયું અને એક અવાજે માન્ય રખાયું એનું રહસ્ય આ છે.
બંધારણ ઘડનારાઓ લોંઠકા હિન્દુત્વવાદીઓ કરતાં વધારે બુદ્ધિમાન હતા અને વ્યવહારુ હતા. તેમને જાણ હતી કે શરતો મૂકવાથી રાષ્ટ્રની રચના ન થાય એટલે સ્વતંત્ર ભારતની કલ્પના અને રચના વિષે રાષ્ટ્રીય સર્વસંમતિ બની હતી. દરેક સભ્યે તેનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો હતો. બાકી શરતો મૂકતા તો તેમને પણ આવડતું હતું. તેઓ ઊલટા વધારે અધિકારથી શરતો મૂકી શક્યા હોત, કારણ કે તેમનામાંના મોટા ભાગનાઓએ દેશની આઝાદી માટે ભોગ આપ્યો હતો, ખાલી ખિસ્સાવાળા ડરપોક ઠણઠણપાલ નહોતા. આમ છતાં તેમણે સંયમ દાખવ્યો હતો, કારણ કે તેઓ બુદ્ધિમાન હતા, સાચા દેશપ્રેમી હતા અને વ્યવહારુ હતા.
તેમણે તેમનો અંગત ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો એનું બીજું કારણ એ હતું કે ભારતમાં કોઈ બહુમતીમાં છે જ નહીં. શું ઉત્તર ભારતીય હિંદુ દક્ષિણ ભારતમાં હિંદુ હોવા છતાં અને દક્ષિણ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં બહુમતીમાં છે? શું ઉત્તર ભારતીય હિંદુ, મુંબઈમાં હિંદુ હોવા છતાં અને મુંબઈમાં હિંદુઓ બહુમતીમાં હોવા છતાં તે પોતે બહુમતીમાં છે? તમે જોયેલા કોઈ પણ એક ગામની કલ્પના કરો. એ ગામમાં જે જાતિ બહુમતીમાં હશે તે બાજુના ગામમાં લઘુમતીમાં હશે. ઉત્તરથી દક્ષિણમાં કે ઉત્તર ભારતથી નીકળીને મુંબઈમાં કે પછી એક ગામથી નીકળી બાજુના ગામમાં પગ મૂકતાની સાથે પ્રતીતિ થશે કે તે લઘુમતીમાં છે. પાછા પ્રતીતિ કરાવનારા શરત-બહાદુરો દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. આમ ભારતમાં હિંદુઓ સહિત કોઈ પ્રજા બહુમતીમાં નથી એ જોતાં બહુમતીવાદ ચાલી ન શકે. આને કારણે તેમણે તેમનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો. આટલી દીર્ઘદ્રષ્ટિ, દેશપ્રેમ, અક્કલ અને વ્યવહારુતા તેઓ ધરાવતા હતા.
બંધારણ ઘડનારાઓએ તેમનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો એનું ત્રીજું કારણ એ હતું કે આજે તમને નકશામાં જે ભારત ભળાય એવું ભારત અંગ્રેજોનાં શાસન પહેલાં ઇતિહાસમાં ક્યારે ય નહોતું. ક્યારે ય એટલે ક્યારે ય નહોતું. કોઈ યુગમાં નહીં, અશોક અને અકબરના યુગમાં પણ નહીં. એ તો અંગ્રેજોએ શોષણ કરવાના ઈરાદે દેશના પ્રદેશોને જોડ્યા હતા અને અખિલ ભારતીય વહીવટી માળખું વિકસાવ્યું હતું. નકશામાં જે ભળાય છે તે ભારત અને વહીવટીતંત્ર આપણને વારસામાં મળ્યા છે. એ શારીરિક ભારતની અંદર ભારત નામનો આત્મા રેડવો હોય અને “ભારત સરકાર” નામની ચીજને “આપણી” સરકાર તરીકે સ્વીકૃત કરાવવી હોય તો શરતો અને દાદાગીરી ન ચાલે. છેવટે જે ભારતને ભારતના ઇતિહાસે કદાપિ જોયું જ નથી તેને સ્થિર થવા માટે સમય આપવો જોઈએ. કારણ કે બંધારણ ઘડનારાઓ વધારે બુદ્ધિમાન હતા, વધારે દેશપ્રેમી અને વ્યવહારુ હતા એટલે તેમણે આગ્રહો અને શરતો નહોતી રાખી. બાવડાબાજ બેવકૂફ નહોતા.
અને છેલ્લી વાત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધ્વજમાં જે ભારત (શ્રી લંકા સહિત અફઘાનિસ્તાનથી બર્મા સુધીનું) દેખાય છે એ તેમની મીઠી કલ્પનાનું ભારત છે. આવું ભારત વાસ્તવમાં ક્યારે ય નહોતું. મીઠી કલ્પના કરવામાં કાંઈ જ ખોટું નથી, પરંતુ એ સાકાર કેવી રીતે થાય અને સાકાર થયા પછી તે ટકે કેવી રીતે એ વિષે પણ તેમણે વિચારવું જોઈએ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ વાંચવો જોઈએ. જેનો સૂરજ આથમતો નહોતો એ અંગ્રેજો પણ વખત આવ્યે ભાઈબાપા કરતા હતા અને સમાધાનો કરતા હતા. સંસ્થાનવાદી યુગમાં અંગ્રેજ સામ્રાજ્ય સૌથી વધુ ફેલાયું અને સૌથી વધુ ટક્યું એનું કારણ બાંધછોડ કરવાની તેમની આવડત હતી. જોઈ જુઓ ભારતની આઝાદીનો ઇતિહાસ. ભાગ ભલે ન લીધો હોય, અભ્યાસ તો કરી જ શકાય છે. રાણા પ્રતાપનું શૌર્ય જોઇને ગદગદ થઈ જવાની જગ્યાએ સભ્યતાઓ અને રાષ્ટ્રો કેમ બને છે અને કેમ નાશ પામે છે તેનો અભ્યાસ કરવો જોઈએ.
પણ વાંચે કોણ? વાંચવા-વિચારવાની મનાઈ છે. ઘેટું જો વાંચે અને વિચારે તો નાસી જાય.
આ આખો લેખ વાંચ્યા પછી પણ જો કાંઈ પલ્લે ન પડ્યું હોય તો બોલો ભારત માતા કી જય.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2019