૧ માર્ચ, ૨૦૧૭ના રોજ મુંબઈ સ્થિત National Centre for Performing Arts દ્વારા ભારતીય સમાંતર સિનેમાના સંગીતકાર તરીકે ખ્યાત વનરાજ ભાટિયાને તેઓએ લયબદ્ધ કરેલાં ગીત અને સંગીતને તેમની સમક્ષ રજૂ કરી અને તેમના સઘળાં સંગીતને અંજલિ આપવામાં આવી હતી. આ સંગીત સમારંભમાં દેશનાં જાણીતા તબલાંવાદક ઝાકીર હુસૈન, The Symphony Orchestra of India અને તુષાર ભાટિયાના મ્યુિઝકલ ગ્રૂપ દ્વારા વનરાજ ભાટિયાના અનન્ય સંગીતને તેમની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું.
૯૦ વર્ષીય સંગીતકાર વનરાજ ભાટિયા એ ભારતનાં વિશિષ્ટ એવાં જૂજ સંગીતકાર પૈકીના એક છે કે જેમણે પશ્ચિમનાં શાસ્ત્રીય સંગીતનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે અને પોતાની સંગીત વિશેની આ સમજણને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પરોવવામાં સફળ સાબિત થયા છે. વનરાજ ભાટિયાએ પોતાના સંગીતના અભ્યાસ અને તેમાં પ્રાપ્ત કરેલી અનેક સ્કોલરશીપ થકી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના જ્ઞાનની બાબતમાં પોતાનો એવો નોંધપાત્ર ફાળો આપ્યો છે કે જે ભાગ્યે જ કોઈ ભારતીય સંગીતકાર આપી શક્યા છે.
વનરાજ ભાટિયાએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયાં બાદ લંડનની રોયલ અકાદમી ઓફ મ્યુિઝકમાંથી સંગીતનો અભ્યાસ કર્યો છે અને સાથે તેઓ પેરીસ કન્ઝર્વેટરીમાં પણ સંગીતનો અભ્યાસ કરી ચૂક્યા છે. વર્ષ ૧૯૬૦માં દિલ્હી યુનિવર્સીટીના વેસ્ટર્ન મ્યુિઝકોલોજી વિભાગમાં વનરાજ ભાટિયાની રીડરના હોદ્દા તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, ત્યાંની કેટલીક મર્યાદાઓ અને વિરોધાભાસને જોતાં વનરાજ ભાટિયાને તેમની આ નિમણૂક સહજ રીતે અસંતોષકારક લાગી હતી.
વનરાજ ભાટિયાએ પોતાની સંગીતમય કારકિર્દીનો મોટા ભાગનો સમય ભારતીય મીડિયામાં સમાવેશ થતાં એ તમામ ક્ષેત્રોમાં સંગીતનું સર્જન કરવામાં આપ્યો છે કે જેમાં ફિલ્મ સંગીત સિવાય ટેલિવિઝન અને રેડિયોની જાહેરખબરની જિંગલ માટે રચવામાં આવેલા સંગીતનો પણ સમાવેશ થાય છે. જે પૈકી શક્તિ સિલ્ક મિલ્સ અને લિરિલ સાબુની જાહેરખબરના સંગીતનો પણ સમાવેશ થાય છે. જાહેરખબરોના માધ્યમ થકી વનરાજ ભાટિયા તે સમયે ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલના સંપર્કમાં આવ્યા હતા. સમાંતર સિનેમાના જનક એવા દિગ્દર્શક શ્યામ બેનેગલની અનેક ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીમાં વનરાજ ભાટિયા સંગીતનું સર્જન કરી ચૂક્યા છે. જેમાં શ્યામ બેનેગલ દ્વારા નિર્દેશિત અંકુર, મંથન, ભૂમિકા, જુનૂન, કલયુગ, મંડી, ત્રિકાલ, સૂરજ કા સાતવાં ઘોડા અને સરદારી બેગમ જેવી ફિલ્મો અને ભારત એક ખોજ નામની ટેલિવિઝન શ્રેણીનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં મુખ્યત્વે પશ્ચાદ સંગીતની રચના કરવામાં વનરાજ ભાટિયાનો અમૂલ્ય ફાળો રહેલો છે. વર્ષ ૧૯૮૮માં ટેલિવિઝન-ફિલ્મ તમસના સંગીત માટે તેમને શ્રેષ્ઠ સંગીતનો રાષ્ટ્રીય પુરસ્કાર અને વર્ષ ૧૯૮૯માં તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૨માં વનરાજ ભાટિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં છે. હવે, આગળ આપણે વનરાજ ભાટિયાની સંગીતમય સફર વિશે માંડીને વાત કરીશું.
વનરાજ ભાટિયાનો ઉછેર મુંબઈ સ્થિત ‘ન્યૂ એરા’ નામની શાળામાં ભારતીય શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સાથે થયો હતો. તે સમયે તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતના તમામ રાગ વિશેની જાણકારી હતી. તેમને શાળામાં Miss Yeoh નામનાં એક ચીની શિક્ષિકા થકી ત્રિમાસિક પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. સંગીતકાર John Strauss’sના The Blue Danube સંગીતથી તેઓ પ્રભાવિત થયા અને તેમને સંગીતના વિવિધ પાઠ શીખવાની શરૂઆત કરી. વનરાજ ભાટિયા તે વખતે જાતે જ વિવિધ ઓપેરાની રેકર્ડ ખરીદી લાવતા હતા અને તે રીતે તેમણે સંગીત સાંભળવાની શરૂઆત કરી હતી. જે પૈકી તેમને La Boheme નામની એક સંગીતની રચના ખૂબ જ પસંદ આવી હતી. આ સિવાય પોતાના એક મિત્રના ઘરે સાંભળેલી Tchaikovskyની Piano Concert No. 1 પણ તેમને પસંદ પડી હતી. વનરાજ ભાટિયાએ મુંબઈના લગભગ તમામ સંગીતના શિક્ષકો પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. જે પૈકી બાળરોગોના નિષ્ણાત ડોક્ટર અને સંગીતકાર એવા માણિક ભગત પાસેથી તેમણે સતત ચાર વર્ષ સુધી સંગીત શીખ્યું હતું. તે સમયમાં તેમને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે તેઓ ક્યારે ય પણ સારા પિયાનોવાદક નહિ બની શકે અને માટે તે આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષક માણિક ભગતે તેમને સંગીતનું સંપૂર્ણ સપ્તક શીખવ્યું હતું. તે સમયમાં તેઓ સંગીતની કોઈ એક ધૂન પણ યોગ્ય રીતે વગાડી શકતા નહોતા, પણ તે તમામ ધૂનને તેઓ દિલ થકી સમજી અને અનુભવી શકતા હતા. જ્યારે વનરાજ ભાટિયા સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા, ત્યારે તેઓને મહાન સંગીતકાર જેવા કે Brahms, Chopin, Beethoven, Schubert, Mozart વિશેની પૂરતી જાણકારી હતી.
વનરાજ ભાટિયાના પિતા કાપડના વેપારી હતા અને તેમણે તે વખતે કહ્યું હતું કે તેઓ પુત્ર વનરાજને લંડનમાં છ મહિના માટે સંગીત શીખવા માટેનું ખર્ચ આપશે અને ત્યાર બાદ જો વનરાજ ભાટિયા સ્કોલરશીપ નહિ મેળવી શકે તો તેણે લંડનથી પરત મુંબઈ આવી જવું પડશે. પરંતુ, વનરાજ ભાટિયાનો સમગ્ર પરિવાર તેમના સંગીતના આ શોખનો ભારે વિરોધી હતો. એક સમયમાં તેઓ તેમનો પિયાનો પણ સળગાવી દેવા માંગતા હતા. આ તે સમય હતો કે જ્યારે દેશમાં સમાજવાદ અને ગાંધીજીની ચળવળ ભારે ચર્ચામાં હતી. વનરાજ ભાટિયાના એક પારિવારિક સદસ્યનું એવું પણ કહેવું હતું કે જો આપણે વનરાજને સંગીત શીખવા માટે વિદેશ મોકલીશું તો તે ત્યાંથી પરત આવ્યા બાદ મુંબઈની ચોપાટી પર ચણા વેચવાનું કામ કરશે પણ વનરાજ ભાટિયાના પિતા તેમને લંડન મોકલવા માટેના પક્ષમાં હતા. સદ્ભાગ્યે વનરાજ ભાટિયાને વિદેશમાં એક કરતાં વધારે સ્કોલરશીપ મળી જે પૈકીની એક Rockfeller Fellowship પણ હતી. ત્યાર બાદ તેઓએ પેરિસમાં પણ સંગીતનો અભ્યાસ કર્યો. જ્યાં તેઓએ તેમનો પૂરો સમય માત્ર અને માત્ર સંગીત શીખવામાં જ પસાર કર્યો. વિદેશથી પરત ભારત આવ્યા બાદ, તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા કારણ કે તે વખતે તેમનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે વખતે દિલ્હી યુનિવર્સિટીમાં વેસ્ટર્ન મ્યુિઝકોલોજીની શરૂઆત કરવામાં આવી હતી, પણ તેઓ આ પ્રકારના શિક્ષણને ધિક્કારતા હતા અને કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ કે જે સારો સંગીતકાર બની શકતી નથી તે બાદમાં સંગીતજ્ઞ બની જાય છે. આ જગ્યાએ કાર્ય કરવામાં તેમને વધુ રસ નહોતો છતાં સંજોગવશાત્ તેમણે અહીં આ વેસ્ટર્ન મ્યુિઝકોલોજી વિભાગમાં પાંચ વર્ષના લાંબા સમયગાળા સુધી કાર્ય કર્યું હતું.
વનરાજ ભાટિયાએ વર્ષ ૧૯૫૪માં જિંગલ્સની રચના કરવાનું શરુ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેઓ કુલ ૬,૦૦૦ કરતાં વધારે જિંગલ્સ તૈયાર કરી ચૂક્યા છે. આ સાથે તેઓ લગભગ અન્ય તમામ ભારતીય સંગીતકાર સાથે પણ કામ કરી ચૂક્યા છે. મુંબઈમાં જ્યારે વનરાજ ભાટિયા નાણાંકીય અછતમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે શક્તિ સિલ્ક મિલ્સ માટેની જાહેરખબર માટે એક જિંગલની રચના કરી હતી કે જે લગભગ ત્રણ મિનિટ જેટલી લાંબી હતી અને તે પ્રથમ રેડિયો અને ત્યાર બાદ સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. દિગ્દર્શક શ્યામ બેનેગલે જ્યારે આ જિંગલ સાંભળી ત્યાર બાદ તેમણે વનરાજ ભાટિયાને પોતાની ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ આપવાનું શરુ કર્યું હતું. વનરાજ ભાટિયા તે સમયમાં પોતાની સાથે અન્ય પાંચ સંગીતકારોને લઈને સંગીતની રચના કરતા હતા અને તે દરેકને અલગ-અલગ વાદ્ય વગાડવા માટે આપતા હતા કારણ કે તે પ્રયોગ થકી એક જુદાં જ પ્રકારના સંગીતની રચના શક્ય બની શકતી હતી.
આ એ સમયગાળો હતો કે જ્યારે બોલીવૂડમાં મોટા ભાગના સંગીતકાર પંજાબ અને ઉત્તરપ્રદેશથી આવતા હતા અને તેમાંના મોટાભાગના સંગીતકાર હારમોનિયમવાદક હતા કે જેઓ પોતાનાં લોકસંગીતના જ્ઞાન થકી એક ઉમદા સંગીતની રચના કરી શકતા હતા. છતાં, પણ તેમનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત રહેતું હતું. આ સંગીતકાર તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ધૂનને એક ચોક્કસ શૃંખલામાં બાંધી આપનાર વ્યક્તિ (Arranger) પર આધારિત રહેતા હતા અને જો એક વખત આ Arranger જતો રહે તો તેમનું સંગીત પણ બદલાઈ જતું હતું. જ્યારે, વનરાજ ભાટિયા જાતે જ તેમની તમામ સંગીતબદ્ધ રચના અને ધૂનને એક શૃંખલામાં ગોઠવી શકતા હતા. વનરાજ ભાટિયાનું સંગીત તે વખતે પણ એટલું જ અનન્ય હતું કે જેટલું અત્યારે છે અને તેઓ ક્યારે ય પણ મુખ્યપ્રવાહની ફિલ્મ માટે સંગીત આપવા ઇચ્છતા નહોતા. તેઓએ મોટેભાગે સમાંતર સિનેમાની ફિલ્મોમાં પશ્ચાદ્ સંગીતની જ રચના કરી છે. લોકો કહે છે કે વનરાજ ભાટિયા એ પશ્ચિમના વ્યક્તિ છે ત્યારે તેઓ જણાવે છે કે તેમણે ફિલ્મ સરદારી બેગમ માટે માત્ર તબલાં, સારંગી અને હારમોનિયમનો ઉપયોગ કરીને સંગીતની રચના કરી હતી. તે સમાંતર સિનેમાના યુગ દરમિયાન Film and Television Institute of Indiaમાંથી સ્નાતક થયેલા મોટા ભાગનાં ફિલ્મકારોની ફિલ્મમાં વનરાજ ભાટિયાએ પશ્ચાદ્ સંગીત આપ્યું હતું. આ ફિલ્મોમાં સંગીત થકી તેમને કોઈ વધારે નાણાં મળતા નહોતા અને તે તમામ ફિલ્મકાર પ્રસિદ્ધ થઇ ગયા બાદ વનરાજ ભાટિયાને તેમનાં કામ માટેનું વળતર ચૂકવતા હતાં!
વનરાજ ભાટિયાને અન્ય ભારતીય સંગીતકારમાં કલકત્તાનું ન્યૂ થિયેટર સ્ટુડીઓઝ, રાઈચંદ બોરલ, પંકજ મલિક અને કે.એલ. સાઈગલની ફિલ્મનું સંગીત પસંદ છે. તેઓ જ્યારે યુરોપ હતા ત્યારે ઓપેરાના સંગીત માટે એવા ઘેલા હતા કે વર્ષ ૧૯૫૨ના શિયાળાના સમયમાં તેઓ વિયેના માત્ર ઓપેરા સાંભળવા માટે ગયા હતા.
ગત વર્ષોમાં તેમણે નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક અગ્નિવર્ષા માટે સંગીતની રચના કરી હતી પણ આ નાટક નિષ્ફળ સાબિત થયું હતું. આ સિવાય તેમણે અન્ય કોઈ ભારતીય નાટકમાં સંગીત આપ્યું નથી. એક વખત જ્યારે વનરાજ ભાટિયા અને ગીતકાર જાવેદ અખ્તરની મુલાકાત થઇ હતી, ત્યારે જાવેદ અખ્તરે કહ્યું હતું કે તમે મને તૈયાર કરેલી સંગીતની ધૂન આપો અને હું તમને તે ધૂન આધારિત ગીત લખી આપીશ ત્યારે વનરાજ ભાટિયાએ કહ્યું હતું કે ‘હું ક્યારે ય પણ શબ્દ વિના ધૂન તૈયાર કરતો નથી.’
Email – nbhavsarsafri@gmail.com